મતોની ચોરી એ બંધારણ સાથે છેતરપિંડી છેઃ રાહુલ ગાંધી

બેંગલુરુઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેંગલુરુમાં એક સભાને સંબોધન કર્યું હતું અને ફરી એક વાર મતચોરીનો આરોપ લગાવ્યો છે. અગાઉ તેમણે આરોપ લગાવ્યો હતો કે બિહારમાં SIR માત્ર એટલા માટે લાવવામાં આવ્યું છે કારણ કે ચૂંટણી પંચને ખબર પડી ગઈ છે કે અમે તેમની ચોરી પકડી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ અને ભાજપ “મતોની ચોરી” માટે સાઠગાંઠ કરી રહ્યા છે.

તેમણે મતચોરીને ભારતના બંધારણ સાથે છેતરપિંડી ગણાવતાં કોંગ્રેસની સભામાં તેમણે મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકના ચૂંટણીમાં ગેરરીતિઓના તેમના આક્ષેપો ફરીથી કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશમાં મતચોરી થઈ રહી છે અને બંધારણ પર હુમલો કરનાર બચી નહીં શકે. તેમણે ઉમેર્યું કે સત્યને છુપાવી શકાય નહીં. ભાજપની વિચારધારા બંધારણ વિરુદ્ધ છે, પરંતુ અમે બંધારણને બચાવીશું.ચૂંટણી પંચે જવાબ આપવો પડશે કે આ ગેરરીતિઓ શા માટે થઈ અને કોણે કરી છે. બેંગલુરુની મહાદેવપુરા બેઠક પર મતચોરીનો મુદ્દો તેમણે ફરીથી ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનના મત ઓછા નહોતા થયા, તેમને લોકસભા ચૂંટણી જેટલા જ મત મળ્યા હતા, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં એક કરોડ નવા મતદાતાઓએ મતદાન કર્યું હતું, જે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે આવ્યા નહોતાં. લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન જીત્યું હતું, પરંતુ માત્ર ચાર મહિના પછી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વિજય મેળવી લીધો. ચૂંટણી પંચ અને ભાજપે મળીને લોકસભા ચૂંટણીને છીનવી લેવા માટે ષડયંત્ર રચ્યું છે.

ભાજપની વિચારધારા ભારતના બંધારણ વિરુદ્ધ છે, જ્યારે કોંગ્રેસનો દરેક કાર્યકર તેની રક્ષા કરશે. ભારતના ચૂંટણી પંચે અમને છેલ્લાં 10 વર્ષોની મતદાતા યાદીઓ અને તમામ મતદાનની વિડિયો રેકોર્ડિંગ તાત્કાલિક આપવું જોઈએ.