ન્યુ યોર્કઃ ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો મુજબ માર્યા ગયેલા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિની પોતાના પુત્ર મોજતબા ખોમિનીને પોતાના ઉત્તરાધિકારી તરીકે બનાવવાના પક્ષમાં નહોતા. એક રિપોર્ટ અનુસાર ખોમિનીએ પોતાની વસિયતમાં સ્પષ્ટ રીતે મોજતબાને આ પદથી દૂર રાખવાની વાત લખી હતી.
ખોમિનીની વસિયત અને મોજતબાનો વિરોધ
ઈરાનના વિરોધી જૂથ ‘નેશનલ યુનિયન ફોર ડેમોક્રસી’ના રિસર્ચ ડિરેક્ટર ખુસરો ઇસ્ફહાનીએ ઈરાની ગુપ્તચર નેટવર્કના હવાલાથી મોટા દાવા કર્યા છે. ખોમિનીએ પોતાની વસિયતમાં સ્પષ્ટ લખ્યું હતું કે મોજતબાને ઉત્તરાધિકારી ન બનાવવામાં આવે. તેમનું માનવું હતું કે તેમના પુત્ર પાસે ઈરાન જેવા દેશને ચલાવવા માટે જરૂરી અનુભવ અને ક્ષમતા નથી. નિષ્ણાતોનું કહેવું છે કે મોજતબા એક “મહત્ત્વાકાંક્ષી પરંતુ અનુભવહીન” વ્યક્તિ છે, જેમણે પોતાના પિતાના નામ સિવાય રાજકારણમાં કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી નથી.
IRGCના દબાણથી થઈ ‘ગેરકાયદે’ નિમણૂક
ઈરાનમાં સર્વોચ્ચ નેતાની પસંદગી ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ દ્વારા થાય છે, પરંતુ મોજતબાની નિમણૂક સામાન્ય પ્રક્રિયા મુજબ થઈ નહોતી. દાવો કરવામાં આવ્યો છે કે એસેમ્બલીમાં થયેલા મતદાન દરમિયાન મોજતબાને બહુમતી મળી નહોતી અને ઘણા મૌલવીઓએ તેમના નામનો આકરો વિરોધ કર્યો હતો. જ્યારે એસેમ્બલી કોઈ નિર્ણય પર પહોંચી શકી નહોતી, ત્યારે શક્તિશાળી IRGCએ હસ્તક્ષેપ કર્યો હતો. કહેવાય છે કે IRGCના ભારે દબાણ અને ધમકીઓ સામે ઝૂકી એસેમ્બલીને મોજતબાના નામ પર મંજૂરી આપવી પડી. વિરોધ સ્વરૂપે ઘણા મૌલવીઓએ એ બેઠકનો બહિષ્કાર પણ કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રંપની નારાજગી — આ સ્વીકાર્ય નથી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મોજતબાની નિમણૂકને સંપૂર્ણપણે નકારી કાઢી છે. ટ્રંપે કહ્યું હતું કે મોજતબા શાંતિથી રહી શકશે નહીં. તેમના મુજબ, જો ઈરાન ખોમિનીની નીતિઓ પર ચાલનાર નેતા પસંદ કરશે તો અમેરિકા પાંચ વર્ષ પછી ફરી યુદ્ધના મેદાનમાં ઊતરવું પડી શકે છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે તહેરાને તેમની સહમતી વિના કોઈ નેતાની નિમણૂક કરવી નહોતી જોઈએ. ટ્રંપે મોજતબાને “લાઇટવેઇટ” નેતા ગણાવ્યા હતા.




