નવી દિલ્હીઃ સેનાપ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે ઇસ્લામાબાદને આકરો સંદેશ આપ્યો હતો. તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપતું રહેશે અને ભારત વિરુદ્ધ કામ કરતું રહેશે તો તેને નક્કી કરવું પડશે કે તે ભૂગોળનો ભાગ બનીને રહેવા માગે છે કે પછી ઇતિહાસનો. સેનાપ્રમુખનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારત ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમો ઊજવી રહ્યું છે.
દિલ્હીના માણેકશો સેન્ટરમાં ‘યુનિફોર્મ અનવેલ્ડ’ દ્વારા આયોજિત એક સંવાદાત્મક સત્ર દરમિયાન સેનાપ્રમુખને પૂછવામાં આવ્યું હતું કે જો ગયા વર્ષે ઓપરેશન સિંદૂરને જન્મ આપનાર પરિસ્થિતિઓ ફરી ઊભી થાય તો ભારતીય સેના કેવી પ્રતિક્રિયા આપશે. તેના જવાબમાં જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે જો તમે મને અગાઉ સાંભળ્યા હોય તો મેં કહ્યું હતું કે પાકિસ્તાન જો આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ કામ કરવાનું ચાલુ રાખશે, તો તેણે નક્કી કરવું પડશે કે તે ભૂગોળમાં રહેવા માગે છે કે ઇતિહાસમાં.
જનરલ દ્વિવેદીની આ ટિપ્પણી ટૂંકી હોવા છતાં પાકિસ્તાન માટે ખૂબ જ કડક સંદેશ માનવામાં આવી રહી છે અને તે આતંકવાદ વિરુદ્ધ ભારતના કડક વલણને ફરી એક વાર સ્પષ્ટ કરે છે.
ગયા વર્ષે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં સાત મેની વહેલી સવારે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજાવાળા કાશ્મીર (POK)માં આવેલાં અનેક આતંકી ઠેકાણાંઓ પર ચોક્કસ હુમલા કર્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાને પણ ભારત વિરુદ્ધ હુમલાઓ શરૂ કર્યા અને ભારતે આપેલા તમામ જવાબી પ્રહાર પણ ઓપરેશન સિંદૂર હેઠળ જ કરવામાં આવ્યા હતા. પરમાણુ હથિયારોથી સજ્જ બંને પડોશી દેશો વચ્ચે લગભગ 88 કલાક સુધી સૈન્ય અથડામણ ચાલી હતી, જે 10 મેની સાંજે બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી બાદ થંભી ગઈ હતી.




