VIDEO: મોહમ્મદ અલી ખામેનેઈની અંતિમયાત્રા, ભારતીય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈના અવસાન બાદ તેમની અંતિમયાત્રા અને વિદાય સમારોહ માટે ઈરાન સરકાર દ્વારા અભૂતપૂર્વ અને અત્યાર સુધીની સૌથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. આ ઐતિહાસિક અંતિમ સંસ્કાર વિધિમાં ભારત સહિત દુનિયાભરના અગ્રણી નેતાઓ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો ભાગ લઈ રહ્યા છે.

સુરક્ષાના કારણોસર પુત્ર મોજતબા ખામેનેઈ ગેરહાજર

આ જાહેર અંતિમ સંસ્કાર વિધિમાં સૌથી વધુ ધ્યાન ખામેનેઈના પુત્ર અને સંભવિત વારસદાર મોજતબા ખામેનેઈની ગેરહાજરીએ ખેંચ્યું છે. સત્તાવાર અહેવાલો અનુસાર, સુરક્ષાની ચિંતાઓને કારણે તેઓ આ સમારોહથી દૂર રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, જે હવાઈ હુમલામાં આયાતોલ્લાહ ખામેનેઈનું મોત થયું હતું, તે જ હુમલામાં મોજતબા પણ ઈજાગ્રસ્ત થયા છે. પિતાના અવસાન બાદ તેઓ હજુ સુધી એકપણ વાર સાર્વજનિક રૂપે સામે આવ્યા નથી અને માત્ર સ્ટેટ ટેલિવિઝન પર તેમના અગાઉથી રેકોર્ડ કરાયેલા સંદેશાઓ જ પ્રસારિત કરવામાં આવ્યા છે.

તેહરાનમાં કિલ્લા જેવી અભૂતપૂર્વ સુરક્ષા

તેહરાનના ગવર્નર મોહમ્મદ સાદેગ મોતામાદિયાને જણાવ્યું હતું કે, “અમે શહીદ નેતાના વિદાય સમારોહ માટે સર્વોચ્ચ સ્તરની સુરક્ષા અને સલામતી વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.” તેમણે ઉમેર્યું કે, સવારે બરાબર ૬ વાગ્યે તેહરાનના પ્રાર્થના મેદાન (Prayer Grounds) ના દરવાજા ખોલી દેવામાં આવશે અને લોકોને સમયસર પહોંચવા અપીલ કરવામાં આવી છે. ઈરાન સરકાર આ મુશ્કેલ સમયમાં દેશમાં એકતા અને સ્થિરતા પ્રદર્શિત કરવાના પૂરા પ્રયાસો કરી રહી છે.

ભારતીય નેતાઓ સહિત વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિ

આ ઐતિહાસિક અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી દિગ્ગજ નેતાઓ તેહરાન પહોંચ્યા છે. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ, આર્મી ચીફ જનરલ અસીમ મુનીર, રશિયાની સુરક્ષા પરિષદના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવ, આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશિન્યાન સહિત અનેક દેશોના મંત્રીઓ અને સંસદના સ્પીકર્સ સામેલ છે.

ભારત તરફથી વિદેશ મંત્રાલયના રાજ્ય મંત્રી પવિત્રા માર્ગેરિટા અને બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈન સત્તાવાર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય રાજકીય નેતાઓ જેવા કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પણ તેહરાન પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મશહદમાં અંતિમ દફનવિધિ

લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શોકાતુર નાગરિકોની હાજરી વચ્ચે આયાતોલ્લાહ ખામેનેઈના પાર્થિવ દેહની યાત્રા ઈરાન અને ઈરાકના વિવિધ શહેરોમાંથી પસાર થશે. આ ભવ્ય રાજ્યકક્ષાના સમારોહના અંતે ઈરાનના પવિત્ર શહેર મશહદમાં તેમની દફનવિધિ કરવામાં આવશે.