વર્ષ 2025: ભારતીય અર્થતંત્ર માટે પ્રોત્સાહક વર્ષ

નવી દિલ્હીઃ વર્ષ 2025 ભારતીય અર્થતંત્ર માટે કોઈ ટર્નિંગ પોઈન્ટથી જરાય ઓછું નથી રહ્યું. ક્યારેક મોઘવારી પર અંકુશ લાગ્યો તો ક્યારેક મૂડીરોકાણે જોર પકડ્યું. શેરબજારમાં નવા રેકોર્ડ બન્યા, વ્યાજદરોએ રાહત આપી અને ભારત ફરી એક વાર વિશ્વના સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ઊભરી આવ્યું હતું. સરકારની નીતિઓ, RBIના નિર્ણયો અને ઘરેલુ રોકાણકારોના વિશ્વાસે મળીને અર્થતંત્રની ગાડી ફુલ સ્પીડમાં દોડાવી.

સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર

વર્ષ 2025માં ભારત ફરી વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો. આગામી નાણાકીય વર્ષ માટે પણ વૃદ્ધિનો અંદાજ મજબૂત રાખવામાં આવ્યો. તેની પાછળ ઇન્કમ ટેક્સમાં રાહત, સરળ મોનેટરી પોલિસી, જીએસટી સુધારા અને અમેરિકા સાથે સંભવિત ટ્રેડ ડીલ જેવાં મોટા કારણો રહ્યાં.

  1. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ પર ભાર

IMF અને RBI અનુસાર વર્ષ 2025માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટો અને રિન્યુએબલ એનર્જી જેવાં ક્ષેત્રોમાં સરકારના રોકાણથી વિકાસને નોંધપાત્ર ગતિ મળી.

  1. મોંઘવારી પર કાબૂ અને સસ્તી લોન

આ ઉપરાંત ઓક્ટોબર, 2025માં રિટેલ મોઘવારી માત્ર 0.25 ટકા રહી, જે RBIના 4 ટકાના લક્ષ્યથી ઘણી ઓછીં છે. ડિસેમ્બર MPC બેઠકમાં RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને 5.25 ટકા કર્યો હતો. આ સાથે આ વર્ષે ચોથી વખત કેન્દ્રીય બેન્કે રેપો રેટ ઘટાડ્યો છે, જેથી લોકો માટે લોન લેવી સરળ બની અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો હતો.

  1. સર્વિસ એક્સપોર્ટ અને રેમિટન્સે સંભાળ્યું મોરચું

આ વર્ષે આઈટી, બીપીઓ, કન્સલ્ટિંગ અને રિમોટ હેલ્થ/એજ્યુકેશન જેવી સેવાઓની નિકાસ મજબૂત રહી. IMFના અહેવાલ અનુસાર મજબૂત સર્વિસ એક્સપોર્ટ અને રેમિટન્સે કરંટ અકાઉન્ટનું સંતુલન જાળવવામાં મદદ કરી, ભલે ઊર્જાની કિંમતો અને ટેરિફ સંબંધિત અનિશ્ચિતતા રહી.

  1. IPO બજારમાં રેકોર્ડ ઉછાળો

ઓક્ટોબર, 2024થી સપ્ટેમ્બર, 2025 દરમિયાન 86 IPO દ્વારા લગભગ 1.71 લાખ કરોડ રૂપિયા એકત્ર થયા, જે ગયા વર્ષથી લગભગ બમણા છે. નવા લિસ્ટિંગ્સ મોટા ભાગે ઓવરસબ્સક્રાઇબ થયાં અને નિફ્ટી કરતાં લગભગ ચાર ગણું વધુ રિટર્ન આપ્યું. આ બધું ઘરેલુ રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને રિટેલ રોકાણના કારણે શક્ય બન્યું.

  1. ઘરેલુ રોકાણકારોએ શેરબજારને આપ્યો સહારો

આ સમયગાળા દરમિયાન વિદેશી રોકાણ અસ્થિર રહ્યું, પરંતુ ઘરેલુ રોકાણકારોએ ભારતીય શેરબજારને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી. SIP, વધતા ડીમેટ અકાઉન્ટ્સ અને ‘ગિરાવટ પર ખરીદી’ની માનસિકતાએ બજારને મજબૂતી આપી.