2025નું વર્ષ ભારત માટે ખૂબ જ દુઃખદ રહ્યું. વિમાન દુર્ઘટના, ભાગદોડ, આગ અને વિસ્ફોટોમાં સેંકડો લોકોના મોત થયા અને સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા.

2025નું વર્ષ ભારત માટે ઘણી રીતે આઘાતજનક રહ્યું. દેશભરમાં થયેલા બોમ્બ વિસ્ફોટ, નાસભાગ અને અકસ્માતોની ઘટનાએ સેંકડો પરિવારોના જીવનને કાયમ માટે બદલી નાખ્યું. કેટલીક જગ્યાએ સુરક્ષામાં ખામીઓ સ્પષ્ટ જોવા મળી, જ્યારે અન્ય જગ્યાએ ભીડ વ્યવસ્થાપન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું. આ વર્ષ ફક્ત એક કેલેન્ડર વર્ષ નહોતું, પરંતુ ઘણા પરિવારો માટે અધૂરી વાર્તાઓનો અંત પણ હતો. ચાલો જોઈએ તે મુખ્ય ઘટનાઓ જેણે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું.
1. મહાકુંભ નાસભાગ ઘટના
તારીખ: 29 જાન્યુઆરી, 2025
મોત: 30
સ્થળ: પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ
શ્રદ્ધાના મહાન સંગમમાં જ્યારે વ્યવસ્થા તૂટે ત્યારે ભક્તિ પણ આંસુમાં ફેરવાઈ જાય છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં 28-29 જાન્યુઆરીની રાત્રે નાસભાગની ઘટના બની હતી. નદીએ સ્નાન કરવા જવાના માર્ગમાં માનવ મહેરામણ ઉમેટ્યુ અને દુર્ઘટના ઘટી, સંપૂર્ણ પરિસરમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતાં. તેમજ 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ પ્રશાસનના ભીડ-વ્યવસ્થાપન પર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતાં. મામલો કોર્ટમાં ગયો, સુનાવણી પણ થઈ. ન્યાયાધીશ હર્ષ કુમારના નેતૃત્વમાં ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ આ મામલે હજી સુધી એટલે કે ડિસેમ્બર 2025 સુધીમાં પણ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી.
2. પહેલગામ આતંકવાદી હુમલો
તારીખ: 22, એપ્રિલ, 2025
મોત: 26
સ્થળ: પહેલગામ, જમ્મુ-કાશ્મીર
22 એપ્રિલ, 2025 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરનમા આતંકવાદીઓએ નાગરિકો પર હુમલો કર્યો ને આખા દેશમાં હાહાકાર મચી ગયો. આ દુર્ઘટનામાં 25 ભારતીયો અને 1 નેપાળી સહિત 26 લોકોએ જીવ ગૂમાવ્યા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સેના, CRPF અને J&K પોલીસે ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબરૂપે ભારતે ઓપરેશન સિંદૂર સાથે પ્રતિક્રિયા આપી. 6-7 મેની રાત્રે, પાકિસ્તાનમાં આતંકવાદીઓના નવ ઠેકાણાઓ પર સચોટ હુમલા કરવામાં આવ્યા.
3. RCBની વિક્ટરી પરેડમાં નાસભાગ
તારીખ: 4 જૂન, 2025
મોત: 11
સ્થળ: બેંગ્લોર, કર્ણાટક
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને વિરાટ કોહલીના ચાહકોની સંખ્યા ઓછી નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પહેલી IPL જીત બાદ, ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરવા માટે ઉમટી પડ્યા. ઉજવણીના ભાગરૂપે પરેડનું આયોજન થયું . પરેડ રૂટમાં છેલ્લી ઘડીએ થયેલા ફેરફારો અને અપૂરતા આયોજનને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ભીડ એટલી વધવા લાગી કે લોકો એકબીજા પર પડવા લાગ્યા. ભાગદોડમાં 11 લોકોના મોત થયા અને 56 થી વધુ ઘાયલ થયા.જોતજોતામાં આનંદનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું.આટલા મોટા કાર્યક્રમમાં ભીડનું નિયંત્રણ કેમ આટલું નબળું હતું તે અંગે પ્રશ્નો ઉભા થયા.કર્ણાટક સરકારે પોલીસ કમિશનરને સસ્પેન્ડ કર્યા અને ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો.
4. એર ઈન્ડિયા પ્લેન ક્રેશ
તારીખ: 12 જૂન, 2025
મોત: 280
સ્થળ: અમદાવાદ, ગુજરાત
ક્યારેય ન ભૂલી શકાય એવો 12 જૂનનો કાળો દિવસ. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર એક ભયાનક અકસ્માત થયો, જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 (લંડન ગેટવિક જતી બોઇંગ 787-8) ટેકઓફ પછી બપોરના સમયે બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ. ફ્લાઈટમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોને કાળ ભરખી ગયો. જે હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયું તે જગ્યાએ 39 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં 280 જીંદગીઓ મોતને ભેટી. ડઝનબંધ લોકો ઘાયલ થયા. પ્રારંભિક તપાસમાં ઘટના પાછળનું કારણ ઇંધણ/એન્જિન નિયંત્રણમાં સમસ્યા હોવાનું બહાર આવ્યું. આ આખી ઘટનામાં એક વ્યક્તિનો સદ્નસીબે બચાવ થયો.
5. કરુર નાસભાગ
તારીખ: 27 સપ્ટેમ્બર, 2025
મોત: 41
સ્થળ: કરુર, તમિલનાડુ
અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય તમિલનાડુના કરુરમાં રેલી કરી રહ્યા હતા. તેમને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી. અપેક્ષિત સંખ્યા કરતાં લગભગ ત્રણ ગણા, અથવા લગભગ 10,000 લોકો પહોંચ્યા હતા. વિજયના આગમનમાં વિલંબ થયો, જેના કારણે ભીડ બેચેન થઈ ગઈ, અને અચાનક ઝપાઝપી શરૂ થઈ. લોકો એકબીજા પર પડી ગયા, ઘણા લોકો બેરિકેડમાં ફસાઈ ગયા અને કેટલાક લોકો નાસભાગમાં ફસાઈ ગયા. નાસભાગમાં આશરે 41 લોકોએ જીવ ગુમાવ્યા.
6. લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ
તારીખ: 9 નવેમ્બર, 2025
મોત: 13
સ્થળ: નવી દિલ્હી
9 નવેમ્બર, 2025 ના રોજ, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક આતંકવાદી હુમલો થયો હતો. સાંજના સમયે એક કારમાં વિસ્ફોટની ઘટના ઘટી ને 13 લોકો માર્યા ગયા. 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.સિગ્નલ પર ધીમે ધીમે આગળ વધી રહેલી કારમાં વિસ્ફોટથી રાહદારીઓ ઘાયલ થયા હતા અને વાહનોને પણ નુકસાન થયું હતું. દિલ્હી પોલીસ, એનએસજી અને એફએસએલએ ઘટનાસ્થળને સીલ કરી દીધું હતું અને પુરાવા એકત્રિત કર્યા હતા. એનઆઈએએ ગુપ્તચર અને પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરી હતી. નવ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે તેમને જેલમાં ધકેલી દીધા હતા.
7. નાઈટક્લબ અગ્નિકાંડ
તારીખ: 6 ડિસેમ્બર
મોત: 25
સ્થળ: ગોવા
ગોવાના આર્પોરામાં બિર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં 6 ડિસેમ્બરના રોજ મધ્યરાત્રિ પછી ભીષણ આગ ફાટી નિકળી હતી. આ ભયાનક ઘટનાએ લોકોને ભયભીત કરી દીધા હતા. આ ઘટનામાં 25 લોકો મૃત્યુ પામ્યા હતા અને 5 થી વધુ ઘાયલ થયા હતા.




