Home Blog Page 1009

ભારત સરકારે ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની માંગ કરી

ભારત સરકારે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની માંગ કરી છે. ચોક્સીની 12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બેલ્જિયમ ફેડરલ પબ્લિક સર્વિસે સોમવારે આ માહિતી આપી. ભાગેડુ હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી ભારતમાં હજારો કરોડ રૂપિયાના પીએનબી બેંક કૌભાંડનો મુખ્ય આરોપી છે અને લાંબા સમયથી ફરાર હતો. તેની ધરપકડને ભારતના પ્રત્યાર્પણ પ્રયાસો માટે એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. વિભાગે જણાવ્યું હતું કે બેલ્જિયમના અધિકારીઓ ચોક્સી સામે વધુ કાનૂની કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત, તેમને કાનૂની સલાહ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેહુલ ચોક્સીની 12 એપ્રિલ, 2025 ના રોજ શનિવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને આગળની ન્યાયિક પ્રક્રિયા સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. તેમને તેમના વકીલો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. બેલ્જિયમની ફેડરલ પબ્લિક સર્વિસ ઓફ જસ્ટિસ પુષ્ટિ કરે છે કે ભારત સરકારે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ઔપચારિક વિનંતી મોકલી છે.

ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો હતો

સોમવારે અગાઉ, ચોક્સીના વકીલે પુષ્ટિ આપી હતી કે પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ સાથે જોડાયેલા ભાગેડુ હીરા વેપારીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડમાં સારવારના બહાને ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો ત્યારે ધરપકડ કરવામાં આવી હતી.

CM નીતીશકુમારે કરેલા પૂલના ઉદઘાટનમાં તિરાડો પડી

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી બિહારમાં પૂલ તૂટી પડવાની ઘણી ઘટનાઓ બની રહી છે., જેના વિડિયો પર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. રાજકીય પક્ષો સતત એકમેક પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. એવામાં બિહારની રાજધાની પટનામાં એક પૂલના બાંધકામમાં ગંભીર ખામીના અહેવાલ છે.

સોશિયલ મિડિયા પર પટનામાં જેપી ગંગા પથ (જેપી સેતુ)નો એક વિડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં પૂલ પરની તિરાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે માત્ર ત્રણ દિવસ પહેલાં CM નીતીશકુમારે આ પૂલનું ઉદઘાટન કર્યું હતું. પરંતુ ત્રણ દિવસમાં જ આ પૂલમાં મોટી તિરાડો દેખાઈ રહી છે. જેને કારણે બાંધકામ સામે સવાલો ઊભા થયા છે.

પટનાનો જેપી ગંગા પથ 3831 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. CM નીતીશકુમારે ત્રણ દિવસ પહેલાં જ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. પૂલના પિલર નંબર A-3 પાસે આ તિરાડો જોવા મળી રહી છે. પૂલની બંને લેનમાં આ તિરાડો દેખાય છે. CM નીતિશકુમારે નવ એપ્રિલે પટનાના કંગન ઘાટથી દિદારગંજ સુધી બનેલા આ ગંગા પથનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે  બિહારના બંને નાયબ CM, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, માર્ગ બાંધકામપ્રધાન નીતિન નવીન, વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ મંચ પર હાજર રહ્યા હતા.

આ પૂલ પરથી વાહનોની અવરજવર શરૂ થઈ હતી. વાહનોનું દબાણ વધતાં રોડ પર તિરાડો પડી ગઈ. તિરાડો જોઈને લોકો રોષ ઠાલવી રહ્યા છે. શંકા છે કે બાંધકામની ગુણવત્તા સાથે ક્યાંક બાંધછોડ કરવામાં આવી છે.

સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં આ પૂલનું ઉદ્ઘાટન કરી દીધું છે. તિરાડો દેખાવાથી ખ્યાલ આવે છે કે ઉદ્ઘાટન પહેલાં ટેક્નિકલ પરીક્ષણો અને સેફટી ચેક યોગ્ય રીતે કરવામાં આવી નહોતી.

પૃથ્વીરાજ સુકુમારન અને કરીના કપૂર આ ફિલ્મમાં સાથે કરશે કામ

બોલિવૂડમાં એક નવી જોડી દર્શકો સમક્ષ આવવા માટે તૈયાર છે. કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારન ટૂંક સમયમાં મેઘના ગુલઝારની ફિલ્મ ‘દાયરા’માં જોવા મળશે. ‘રાઝી’ અને ‘તલવાર’ જેવી યાદગાર ફિલ્મો આપનાર મેઘના હવે જંગલી પિક્ચર્સ સાથે ત્રીજી વખત ફિલ્મ બનાવવા જઈ રહી છે. ‘દાયરા’ એક ક્રાઈમ ડ્રામા છે. ફિલ્મની જાહેરાત બાદ ચાહકોમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ છે.

કરીના કપૂરે નવી ફિલ્મની જાહેરાત કરી
કરીનાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહ સાથે આ ફિલ્મની જાહેરાત કરી. તેણીએ લખ્યું, “હું હંમેશા એવી અભિનેત્રી રહી છું જે દિગ્દર્શકના નિર્દેશન મુજબ કામ કરે છે. આ વખતે મેઘના ગુલઝાર જેવા તેજસ્વી દિગ્દર્શક સાથે કામ કરવું મારા માટે ખાસ છે. હું પૃથ્વીરાજના અભિનયની ચાહક છું. તેમની સાથે આ સફર વધુ રોમાંચક રહેશે. ‘દાયરા’ મારી ડ્રીમ ટીમનો પ્રોજેક્ટ છે. ચાલો તેને ખાસ બનાવીએ.”

ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે
‘દાયરા’ની વાર્તા મેઘના ગુલઝાર, યશ કેશવાની અને સીમા અગ્રવાલ દ્વારા સંયુક્ત રીતે લખવામાં આવી છે. આ ફિલ્મ હજુ શરૂઆતના તબક્કામાં છે, પરંતુ તેની સ્ટારકાસ્ટ અને મેઘનાના નામથી તે પહેલાથી જ ચર્ચામાં આવી ગઈ છે. કરીનાની સ્પષ્ટવક્તા શૈલી અને પૃથ્વીરાજનો ગંભીર અભિનય આ ફિલ્મને ખાસ બનાવવાની ક્ષમતા ધરાવે છે. મેઘનાની ફિલ્મો હંમેશા હૃદયને સ્પર્શે છે અને ચાહકોને ‘દાયરા’ પાસેથી પણ આવી જ અપેક્ષાઓ છે.

કરીના કપૂર ‘સિંઘમ અગેન’માં જોવા મળી
વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના કપૂર છેલ્લે સિંઘમ રિટર્ન્સમાં સ્ક્રીન પર જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અજય દેવગન સહિત ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. જોકે, રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં.

જ્યારે મેઘના ગુલઝારે અગાઉ ફિલ્મ સામ બહાદુર બનાવી હતી. આ ફિલ્મમાં વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં હતો. વિક્કીના અભિનયની સાથે દર્શકોને આ ફિલ્મ ખૂબ જ ગમી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ જાહેર થઈ.

500ફિલ્મોમાં કરનાર અભિનેતા અને હાસ્ય કલાકાર બેંક જનાર્દનનું નિધન

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા મનોજ કુમારે તાજેતરમાં આ દુનિયાને અલવિદા કહ્યું. મનોજ કુમારનું નિધન માત્ર હિન્દી સિનેમા માટે જ નહીં પરંતુ દક્ષિણ સિનેમા અને તમામ સિનેમા પ્રેમીઓ માટે પણ એક મોટી ખોટ છે. આ પીઢ અભિનેતાના નિધનના શોકમાંથી હજી ચાહકો બહાર આવ્યા ન હતા ત્યાં વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત કન્નડ સિનેમા અભિનેતા અને હાસ્ય કલાકાર બેંક જનાર્દનનું નિધન થયું છે. રવિવારે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા.

બેંક જનાર્દનનનું 77 વર્ષની વયે અવસાન
દાયકાઓથી પોતાના અભિનય અને હાસ્યથી દર્શકોનું મનોરંજન કરતા કન્નડ અભિનેતા બેંક જનાર્દનનું રવિવારે 77 વર્ષની વયે બેંગલુરુમાં અવસાન થયું. બેંક જનાર્દન ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમને બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને અન્ય ઘણા લોકોએ બેંક જનાર્દનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

2023 માં હાર્ટ એટેક આવ્યો
બેંક જનાર્દનને 2023 માં હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગી. તે સમયે અભિનેતા સ્વસ્થ થઈ ગયા, પરંતુ પછી ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

500 થી વધુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓમાં કામ

બેંક જનાર્દનન કન્નડ સિનેમાના જાણીતા અભિનેતા હતા અને 500 થી વધુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓમાં દેખાયા હતા. ચાલીસ વર્ષથી વધુની કારકિર્દી દરમિયાન તેમણે હાસ્ય અને સહાયક બંને ભૂમિકાઓ ભજવી. તેમના મૈત્રીપૂર્ણ અને સરળ અભિનયથી તેમને મનોરંજન ઉદ્યોગમાં પ્રિય વ્યક્તિ બનાવ્યા. જનાર્દનનની કારકિર્દી થિયેટરથી શરૂ થઈ હતી, જોકે તેમણે થોડો સમય એક બેંકમાં કામ કર્યું હતું, જેના પરથી તેમને બેંક જનાર્દન નામ મળ્યું. શાહ, તારલે નાન માગા, બેલિયાપ્પા બંગારપ્પા અને બીજી ઘણી ક્લાસિક ફિલ્મોમાં ભૂમિકાઓ સાથે તેમણે મોટા અને નાના બંને પડદા પર એક અમીટ છાપ છોડી.

ભર ઉનાળે વડોદરામાં થશે વીજ કાપ, જાણી લો સમય અને તારીખ

વડોદરા શહેરમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે નાગરિકોને વીજ કાપનો સામનો કરવો પડશે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી સમારકામ અને જાળવણી કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે 16 એપ્રિલથી 26 એપ્રિલ સુધી દરરોજ સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે, જેની કોઈ અગાઉથી સૂચના આપવામાં આવશે નહીં. વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, આ જાળવણી કામગીરી વીજ વિતરણની ગુણવત્તા સુધારવા અને ભાવિ સમસ્યાઓ ટાળવા માટે અનિવાર્ય છે.

16 એપ્રિલે અટલાદરા, ફતેગંજ અને આસપાસના વિસ્તારોમાં અટલાદરા રોડ, દીપ અને ધરમસિંહ ફીડરમાં વીજ કાપ રહેશે, જ્યારે 17 એપ્રિલે સમા, ગોત્રી, વાસણા, લક્ષ્મીપુરા અને ગોરવામાં અગોરા મોલ, ગંગોત્રી, માઇલ સ્ટોન, નારાયણ, પ્રથમ સૃષ્ટિ અને શ્રીનાથ ફીડરના વિસ્તારો અસરગ્રસ્ત રહેશે. આવી જ રીતે, 19 એપ્રિલે ફતેગંજ, ગોત્રી અને વાસણામાં આનંદ નગર, ઇસ્કોન હાઇટ્સ અને અટલાદરા સ્ટેડિયમ ફીડર, 20 એપ્રિલે અલકાપુરી અને ગોરવામાં આર્કેડ અને ગોરવા ગામ ફીડર, 22 એપ્રિલે સમા અને ગોરવામાં ચાણક્યપુરી, મનોરથ અને સહયોગ ફીડર, 23 એપ્રિલે ફતેગંજ, લક્ષ્મીપુરા, અટલાદરા, અકોટા, વાસણા અને ગોત્રીમાં હાર્મની, માધવ પાર્ક, મહાબલીપુરમ, સ્વાગત, ટાગોર નગર અને વુડા ફીડર, 24 એપ્રિલે સમા, ગોરવા અને અટલાદરામાં અણુશક્તિ, સુભાનપુરા રોડ અને સન ફાર્મા ફીડર, 25 એપ્રિલે વાસણા, અટલાદરા, અકોટા અને ગોત્રીમાં વરણીમાં, ચાણક્ય, ગુજરાત ટ્રેક્ટર અને રાજેશ ટાવર ફીડર, તેમજ 26 એપ્રિલે ફતેગંજ અને અલકાપુરીમાં ડિલક્સ અને સારાભાઈ ઇસ્ટ એવન્યુ ફીડરના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન નાગરિકોને અગવડ ન થાય તે માટે પોતાનું કામકાજ આગોતરું આયોજન કરવા અધિકારીઓએ સૂચન કર્યું છે. MGVCLએ લોકોને વીજ કાપ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા જેવી કે ઇન્વર્ટર અથવા જનરેટરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે, જેથી રોજિંદા જીવનમાં ખલેલ ઓછી થાય. આ ઉપરાંત, કોઈપણ અણધારી સમસ્યા માટે MGVCLના હેલ્પલાઇન નંબર 19124 અથવા 18002332670 પર સંપર્ક કરવા જણાવાયું છે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરાશે

અમદાવાદઃ વસ્ત્રાપુરમાં આવેલી બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચે ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે આવતી કાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ચાર્જશીટ ફાઈલ કરશે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે અને 5000થી વધુ પાનાંની ચાર્જશીટ ફાઈલ થશે, જેમાં તૈયાર કરાયેલી ચાર્જશીટમાં 105 સાક્ષીઓનો સમાવેશ થાય છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમા એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ બે દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.

ક્રાઇમ બ્રાંચે આ ચાર્જશીટમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી તેનો પણ ખુલાસો કરવામાં આવશે. સરકારે રચેલી કમિટીના રિપોર્ટનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ આઠ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે.

ખ્યાતિ કાંડને લઈ મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ સાત ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે અને દર્દીઓના મૃત્યુમાં મામલે વસ્ત્રાપુરમાં ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર્તિકના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે. EDએ કાર્તિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

યંગ ટેલેન્ટના સપનાને પ્રોત્સાહન આપે છે આ ઇન્ફ્લૂએન્સર!

“અત્યાર સુધીમાં મેં ઈન્સ્ટાગ્રામ પર લગભગ 6 હજાર જેટલી સ્મૉલ બ્રાન્ડને કોઈ પણ પ્રકારના ચાર્જિસ વગર પ્રમોટ કરી છે.”… આ શબ્દો છે ઈન્સ્ટા ઈન્ફ્લૂઅનસર રૂપલ મિતુલ શાહના. રૂપલબેન ફક્ત એક સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર જ નહિ, પરંતુ હજારો નાના સપનાને પાંખ આપનાર એક સચોટ નામ છે. તેઓ નાના ઉદ્યોગોને તેમજ નાની બ્રાન્ડ્સને પ્રમોટ કરીને તેમને પોતાના પ્લેટફોર્મ પરથી લોકો સુધી પહોંચાડવાનું એક ભવ્ય કામ કરે છે. ખાસ કરીને મહિલાઓ જેઓ નાના સ્ટાર્ટઅપ સાથે પોતાના ફિલ્ડમાં આગળ વધવા માગે છે, તેમને તો રૂપલબેન ચોક્કસથી પ્રોત્સાહન પૂરું પાડે છે. રૂપલબેન પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મનો ઉપયોગ ફક્ત ફેશન કે બ્રાન્ડ પ્રમોશન માટે જ નહિ, પરંતુ સંવાદ અને સારા મુદ્દાઓને સમર્થન આપવા માટે પણ કરે છે. સુરતના આ સશક્ત મહિલા આજના યુગની એવી પ્રેરણાસ્પદ શખ્સિયત છે, જે પોતાનું નામ બનાવતા જાય છે અને સાથે જ બીજા અનેક લોકો માટે પણ રસ્તો મોકળો કરતા જાય છે.

રૂપલ મિતુલ શાહ, સોશિયલ મિડીયાનું ખૂબ જ જાણીતું નામ છે. સુરતના રહેવાસી રૂપલબેન ગ્લેમરસ અને ગ્રાઉન્ડેડ સોશિયલ મિડીયા ઇન્ફ્લૂએન્સર છે. તેઓ ફક્ત લુક્સ માટે જ નહીં, પરંતુ પોતાની અદભુત એનર્જી, પરિવાર સાથેના હ્રદયસ્પર્શી બંધન અને વિઝનરી લાઇફસ્ટાઇલ માટે પણ એટલાં જ જાણીતા છે. રૂપલબેનના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપને એલિગન્સ અને ટ્રેડિશનની એક સુંદર ઝલક જોવા મળે છે. સાડીથી લઈને સ્ટાઈલિશ વેસ્ટર્ન આઉટફિટ સુધી, દરેક લુકમાં રૂપલ શાહ એક સ્પષ્ટ સંદેશ આપે છે, “સ્ત્રી હોવું એ ગર્વની વાત છે અને સપના જીવવાની કોઈ ઉંમર હોતી નથી”. બિઝનેસવુમન તરીકે પણ રૂપલબેનનો દબદબો છે – તેઓ મેઘમયુર ઈન્ફ્રા અને મેઘમયુર રિયાલ્ટી કંપનીઓના ડિરેક્ટર પણ છે. રૂપલબેનનો જીવનપ્રવાસ સાથે જ સોશિયલ મિડીયા જર્ની પણ આજે ઘણી મહિલાઓને પ્રેરિત કરી રહી છે. ત્યારે ચિત્રલેખા.કોમના “દીવાદાંડી” વિભાગમાં રૂપલબેનની આ જર્નીમાં વિશે વધુ જાણકારી મેળવીએ.

રૂપલબેનનો જન્મ ભાવનગરમાં થયેલો, પરંતુ પરિવાર વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલો છે. તેમનો અભ્યાસ સુરતમાં થયેલો. પિતા વિનયભાઈ શાહ B.Com, L.L.B હતા, જ્યારે માતા ગૃહિણી. રૂપલબેનને એક ભાઈ અને એક બહેન પણ છે. રૂપલબેનનું કહેવું છે કે આજે તેઓ જે મુકામ પર છે તેની પાછળ તેમના માતા-પિતાના આર્શીવાદ અને તેમના સંસ્કાર જ છે. સાથે-સાથે રૂપલબેનની સુંદરતામાં પણ તેમનો વારસો જોવા મળે છે તેવું ચોક્કસ કહી શકાય. પિતાનો આગ્રહ રહેતો કે ત્રણેય બાળકો ભણવામાં આગળ વધે. આજથી 45 વર્ષ પહેલાં વિનયભાઈએ ત્રણેય બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખ્યો હતો. રૂપલબેન કોમર્સ વિષય સાથે સ્નાતક થયા બાદ શેઠ ધનજીશા રુસ્તુમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી પણ કરેલી છે.

રૂપલબેનના લગ્ન સુરત સ્થિત મિતુલ શાહ સાથે થયા, જેઓ શહેરના એક અગ્રણી બિલ્ડરમાંના એક છે. સંયુક્ત પરિવારમાં સાસુ-સસરા, સસરાના પણ પપ્પા, સાસુના માતા બધાંને સાથે રાખીને રૂપલબેન મિતુલભાઈના પરિવારમાં ગોઠવાય ગયા. લગ્નને લગભગ ત્રીસ વર્ષનો સમય થઈ ગયો છે. રૂપલબેન અને મિતુલભાઈને સંતાનમાં જાનવી નામની દીકરી છે. જેના ફેબ્રુઆરી 2024માં લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા.

સોશિયલ મિડીયાની જર્ની વિશે વાત કરતા રૂપલબેન જણાવે છે કે, “કોવિડ સમયમાં મેં માત્ર ફન માટે ટિકટોક વિડીયો બનાવવાના શરૂ કર્યા હતા. જેમાં મને ટૂંક સમયમાં જ ખૂબ જ સારા એવા ફોલોઅર્સ મળી ગયા. પરંતુ જ્યારે ભારતમાંથી ટિકટોકની વિદાય કરવામાં આવી ત્યારે મિત્રોના કહેવાથી હું ઈન્સ્ટાગ્રામ તરફ વળી.”

રૂપલબેનનું કહેવું છે કે, “આજે હું સોશિયલ મિડીયા પર ખૂબ જ વ્યસ્ત રહું છું, અનેક ઈવેન્ટ્સમાં હાજરી આપવા માટે જવાનું હોય છે. કેટલાંક કાર્યક્રમોન પણ અટેન્ડ કરવા માટે જવાનું હોય છે. ત્યારે મારા પતિનો તો મને ફૂલ સપોર્ટ મળે જ છે. પરંતુ મારા આખો પરિવાર મને સાથ આપે છે. ઘણીવાર મારી રીલનું શૂટિંગ ઘરમાં જ થતું હોય છે. ત્યારે પણ મારા સાસુ-સસરા બધાં જ મને સપોર્ટ કરતા હોય છે. મારા માટે થઈને આજે મારા સાસુ-સસરાએ 80-82 વર્ષની ઉંમરે ઈન્સ્ટાગ્રામ ફોનમાં ડાઉનલોડ કર્યુ છે. કારણ કે તેઓને મારું કામ જોવું ગમતું હોય છે. તેઓ મારા કામને લઈને ઉત્સુક હોય છે. પ્રોત્સાહન પણ એટલું જ આપે છે.”

 

રૂપલબેન ગરબા પણ ખૂબ જ સુંદર રમ છે. જેના કારણે તેઓ અનેક કાર્યક્રમોમાં જજ તરીકેની પણ સેવા આપે છે. આ સિવાય તેમની ફેશન સેન્સના કારણે તેમણે 500 કરતા પણ વધુ શૉ જજ કર્યા છે. તેમણે જ્વેલરી બ્રાન્ડ્સ માટે મોડેલિંગ પણ કર્યું છે. રૂપલબેનની ફેશન સેન્સ ગોડ ગિફ્ટેડ છે. તેઓ શાળા સમયથી પોતાની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહેતા હતા. ઈન્સ્ટાગ્રામ પર યુથ પણ રૂપલબેનને મોટા પ્રમાણમાં ફોલો કરે છે. આથી તેઓ જે પણ પહેરે છે, તેનું સારી રીતે અનુકરણ તેમના ફોલોઅર્સ કરે એ રીતે ડિસન્સી જાળવીને પહેરે છે.

ખૂબ જ સહાયક પરિવારથી સંપન્ન, રૂપલબેન શાહની આ જર્નીમાં અનેક લોકો જોડાયા છે. તેઓ બધાંને સાથે રાખીને ચાલી રહ્યા છે. જીવન પ્રત્યેના ઉત્સાહ, ઉદારતા તેમજ માનવતા પ્રત્યેના પ્રેમથી તેઓ તેમની આસપાસના બધાં જ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના માટે તેઓ સોશિયલ મિડીયા જેવાં પાવરફૂલ ટૂલનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

(રાધિકા રાઓલ-અમદાવાદ)

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ

નવી દિલ્હીઃ બેલ્જિયમમાં પોલીસે પંજાબ નેશનલ બેન્ક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની ધરપકડ કરી છે. 65 વર્ષીય ચોક્સીની શનિવારે CBI ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે.

મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્કમાંથી 13,500 કરોડ રૂપિયાની લોનની છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા માટે તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો.

મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે બેલ્જિયમ પોલીસે મુંબઈની એક કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ જાહેર કરાયેલા બે ધરપકડ વોરન્ટનો ઉલ્લેખ કર્યો હતો. આ વોરન્ટ 23 મે, 2018 અને 15 જૂન, 2021એ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સી ખરાબ સ્વાસ્થ્ય અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માગ કરી શકે છે એમ અહેવાલ કહે છે.

પીએનબી કૌભાંડના 13,850 કરોડ રૂપિયાના આરોપસર મેહુલ ચોક્સી પર CBI અને ED દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કેસમાં આરોપી છે, જે લંડનમાં છુપાયેલો છે અને તેના પ્રત્યાર્પણની પણ રાહ જોવામાં આવી રહી છે.

જાન્યુઆરી 2018માં મેહુલ ચોક્સીના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતમાંથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેન્કમાં લોન છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ બંને દેશ છોડીને ભાગી ગયા હતા. આ ભારતનું બીજું સૌથી મોટું બેન્ક કૌભાંડ હતું. આ મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. વર્ષ 2021માં જ્યારે તે ક્યુબા જઈ રહ્યો હતો ત્યારે તે ડોમિનિકામાં પકડાઈ ગયો હતો. આ પછી મેહુલે કહ્યું હતું કે રાજકીય ષડયંત્રને કારણે આ કેસ તેમની સામે ચાલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ED એ ભારતમાં તેમની મિલકતો ગેરકાયદે રીતે જપ્ત કરી છે.

અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, સાત કલાકની જહેમતે આગ કાબૂમાં

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં 14 એપ્રિલની સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યારે જલ એક્વા નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી, જે ઝડપથી બાજુમાં આવેલી બી.આર.એગ્રો કંપનીના વેરહાઉસ સુધી ફેલાઈ. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી દેખાતા હતા, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 12થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ છથી સાત કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, કારણ કે નાઈટ શિફ્ટમાં કર્મચારીઓ હાજર ન હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, આગ બંને કંપનીઓના સ્ટોરેજ એરિયામાં લાગી હતી, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઘટનાસ્થળે પોલીસ, સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમો પહોંચી, અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપની તરફ જતા તમામ માર્ગોને કોર્ડન કરી દેવાયા.

આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનનો આંકડો હજુ સ્પષ્ટ થવાનો બાકી છે, પરંતુ તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવી ઘટનાઓનો ઇતિહાસ રહ્યો છે, જેમ કે ગત 14 માર્ચે નેશનલ હાઇવે 48 નજીક નોબલ માર્કેટના સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી આગ. આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા ધોરણોને લઈને ફરી ચર્ચા જગાવી છે. લોકોને આગળ જતાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

વક્ફ કાયદા અંગે કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનું સ્ફોટક નિવેદન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સહારનપુરથી કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનો એક વિડિયો વાયરલ થયો હતો. આ વિડિયોમાં ઈમરાન મસૂદ વક્ફ બિલ અંગે કહી રહ્યા છે કે જો મસ્જિદો નહીં હશે તો નમાજ ક્યાં અદા કરવામાં આવશે? જો કબ્રસ્તાન નહીં હશે તો મૃતદેહોને ક્યાં દફનાવવામાં આવશે?  ઈદગાહની વાત તો બાજુ પર જ રાખો, જો અમે સત્તામાં આવીશું તો વક્ફ બિલને એક જ કલાકમાં ઉખાડી ફેંકીશું.

આ વિડિયો વાઇરલ થતાં જ રાજકીય વિવાદ ઊભો થયો છે. હવે આ નિવેદન અને વિવાદ પર ઈમરાન મસૂદે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે મેં કોઈને ચેતવણી નથી આપી. અમારો વિરોધ ભાજપ વિરુદ્ધ છે, કોઈ સમુદાય વિરુદ્ધ નથી. મારું આખું નિવેદન સાંભળો. મેં કહ્યું છે કે જો અમે સત્તામાં આવીશું, તો અમે આ કાયદાને નકારી કાઢીશું.

તેમણે આગળ કહ્યું હતું કે ‘મેં મારા નિવેદનમાં એમ પણ કહ્યું છે કે હિંસા માટે દેશમાં કોઈ સ્થાન નથી અને મુર્શિદાબાદની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. અમે લોકશાહી, કાયદા અને બંધારણમાં માનનારા લોકો છીએ. આ વાઇરલ વિડિયો હૈદરાબાદનો હોવાનું કહેવાય છે, જ્યાં મસૂદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ મિલી કાઉન્સિલના કાર્યક્રમમાં સામેલ થયા હતા.

તેમણે સંબોધનમાં કહ્યું હતું કે આ લોકશાહી દેશ છે, રાજાશાહી નહીં. જે દિવસે અમે સત્તામાં આવીશું તે દિવસે વક્ફ બિલ કાયદાને એક કલાકમાં જ ઉખાડી ફેંકીશું. અમે એક જ કલાકમાં સારવાર કરવાનું જાણીએ છીએ.  મેં બંધારણના દાયરામાં રહીને વક્ફ કાયદાનો વિરોધ કરવાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે  જ્યાં-જ્યાં આપણી સરકાર છે, જ્યાં-જ્યાં વિપક્ષ સત્તામાં છે ત્યાં આ કાયદો કોઈ પણ સંજોગોમાં લાગુ થવો ન જોઈએ.