Home Blog Page 102

અદાણી જૂથ કામદારોના કલ્યાણ માટે મુન્દ્રામાં બનાવશે ક્લાઉડ કિચન

અમદાવાદઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે કામદાર કલ્યાણ, સ્થાનિક રોજગાર અને ઉદ્યોગસાહસિકતા પર કેન્દ્રિત વૃદ્ધિદાયક વ્યૂહરચના પ્રસ્તુત કરી હતી. આ વ્યૂહરચનાના ભાગરૂપે અદાણી ગ્રુપ મજબૂત તરલતા દ્વારા મૂડી ખર્ચને વેગ આપે છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિન પ્રસંગે પર અદાણી સમૂહના કર્મચારીઓને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ૨૪ રાજ્યોમાં ૭૦૦થી વધુ અસ્ક્યામતોનું સંચાલન અને લગભગ ચાર લાખ કર્મચારીઓ, ભાગીદારો અને કોન્ટ્રેક્ટરોને જોડતા અને તેના કાર્યબળને રાષ્ટ્ર નિર્માણના કેન્દ્રમાં રાખતા અદાણી સમૂહની પ્રગતિને સંપત્તિઓ મારફત સર્જવામાં આવેલી આજીવિકાની તકો અને સમુદાયોને સક્ષમ અને તાકાતવાન બનાવવાના માપદંડથી તોલશે.

તેમણે કહ્યું હતું કે તમે ફક્ત કર્મચારીઓ નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માતા છો. આપણે કોઈ પ્રકલ્પ પૂર્ણ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત કાર્ય પૂરું કરતા નથી, પરંતુ આપણે દેશના ભવિષ્યને કંડારીએ છીએ. તેમણે અદાણી સમૂહનો ઇરાદો સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે અદાણી સમૂહના પ્રક્લ્પોના સ્થળે સ્થાનિક લોકોની ભરતીને પ્રાથમિકતા અપાશે, પહેલા સ્થળ નજીકના લોકોને, બાદના ક્રમે રાજ્યના ઉમેદવારોને અને જરૂર પડે ત્યાં બહારના ઉમેદવારોને તકો અપાશે.

તેમણે કહ્યું હતું કે અદાણી સમૂહની વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ કામદાર કલ્યાણ છે. તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે મોટા આંતર માળખાકીય કામકાજના સ્થળો મુન્દ્રા અને ખાવડામાં ૫૦,૦૦૦ કામદારો માટે અદાણી એર-કન્ડિશન્ડ રહેઠાણનું નિર્માણ કરવા સાથે દૂરનાં સ્થળોએ જીવનધોરણ સુધારવાના હેતુથી ગુજરાતના મુન્દ્રામાં એક કેન્દ્રીયકૃત ક્લાઉડ કિચન પણ બનાવી રહ્યું છે. આ કિચન દરરોજ ૧,૦૦,૦૦૦ લોકોને પૌષ્ટિક ભોજન પીરસશે.

અદાણીએ કહ્યું હતું કે આ કોઈ વિશેષાધિકાર નહીં, પણ એક જરૂરિયાત છે. દરેક કર્મચારીને ગૌરવ સાથે જીવવાનો અને કામ કરવાનો અધિકાર છે. તેમણે અદાણી સમૂહના ઉદ્યોગોના સંચાલન સંબંધી કામકાજની વ્યૂહરચના વિષે કહ્યું હતું કે મજબૂત તરલતા અને મૂડીની પહોંચ દ્વારા સમર્થિત ત્રણ સ્તંભોમાં પથરાયેલી આ વ્યૂહરચનાને કારણે મૂડીખર્ચની ઝડપી વ્યવસ્થા અને પ્રકલ્પની ઝડપી અમલવારીને સક્ષમ બનાવે છે.

મુન્દ્રા બંદર, ખાવડાનો નવીનીકરણીય ઊર્જા પાર્ક, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને ગંગા એક્સપ્રેસવે સહિતના મુખ્ય પ્રકલ્પોને રાષ્ટ્રીય વિકાસ ધારા સાથે જોડતાં તેમણે કહ્યું હતું કે સમૂહની આ તમામ પહેલો ભારતના લોજિસ્ટિક્સ, ઊર્જા અને માળખાગત નેટવર્કની કરોડરજ્જુને મજબૂત બનાવી રહી છે. આ પ્રકલ્પો માત્ર મિલકતો નથી, પરંતુ તે રાષ્ટ્રીય પ્રગતિનાં સાધનો હોવાનું તેમણે કહ્યું હતું.

EDએ ઇકબાલ મિર્ચીની 700 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત

નવી દિલ્હીઃ અંડરવર્લ્ડ કનેક્શન અને મની લોન્ડરિંગના મોટા કેસમાં EDએ દાઉદ ઇબ્રાહિમની નજીકના સહયોગી ઇકબાલ મિર્ચીની આશરે રૂ. 700 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. EDના જણાવ્યાનુસાર આ સંપત્તિઓ ભારતથી લઈને દુબઈ સુધી ફેલાયેલી છે અને તેને ગેરકાયદે કમાણીથી ખરીદવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈના વર્લી વિસ્તારમાં ડો. એન્ની બેસન્ટ રોડ પર આવેલી ત્રણ મોટી જમીનો—રાબિયા મેન્શન, મરિયમ લોજ અને સી વ્યુ—પણ આ એટેચમેન્ટમાં સામેલ છે.

આ પ્રોપર્ટીઓનું કુલ વિસ્તાર અંદાજે 4970 ચોરસ મીટર છે. આ ઉપરાંત દુબઈમાં હોટેલ મિડવેસ્ટ એપાર્ટમેન્ટ તેમ જ કોર્પોરેટ બે અને DEC ટાવર્સમાં આવેલી લગભગ 14 રિયલ એસ્ટેટ યુનિટ્સ પણ EDના નિશાને આવી છે.

આ સંપત્તિઓ સીધા ઇકબાલ મિર્ચીને નામે નહોતી

EDનું કહેવું છે કે આ સંપત્તિઓ સીધા મિર્ચીને નામે રાખવામાં આવી નહોતી, પરંતુ ટ્રસ્ટ અને પરિવારના સભ્યોને નામે છુપાવવામાં આવી હતી, તેમાં મોહમ્મદ યુસુફ ટ્રસ્ટ ઉપરાંત આસિફ ઇકબાલ મેમન, જુનૈદ ઇકબાલ મેમન અને હાજરા ઇકબાલ મેમનના નામનો સમાવેશ થાય છે. ED મુજબ આ બધાને ફક્ત ‘ફ્રન્ટ’ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, જેથી વાસ્તવિક માલિકી છુપાવી શકાય.

પૈસા છુપાવવા અને કાયદેસર બતાવવાનો ગોઠવણભર્યો ખેલ

EDએ પોતાની રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ આખું પ્રોપર્ટી નેટવર્ક ગેરકાયદે પ્રવૃત્તિઓથી કમાયેલા પૈસાને ઠેકાણે લગાડવાનો માધ્યમ હતું. EDના કહેવા મુજબ મિર્ચી પરિવારએ આયોજનબદ્ધ રીતે પૈસા છુપાવ્યા, ફેરવ્યા અને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.

ગેરકાયદે કમાણીનો મોટો હિસ્સો વિદેશમાં મોકલાયો

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી કમાયેલા પૈસાનો મોટો હિસ્સો વિદેશમાં મોકલવામાં આવ્યો હતો, જેને કારણે તેને જપ્ત કરવું મુશ્કેલ બન્યું છે. EDનું કહેવું છે કે આ તમામ સંપત્તિઓ PMLA હેઠળ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ તરીકે આવે છે અને FEO (ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ) હેઠળ તેને જપ્ત કરી શકાય છે.

આજથી રાજ્યભરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ

અમદાવાદ: 1લી મે ગુજરાતના સ્થાપના દિવસથી જ ટ્રાફિક પોલીસ પણ ફરી એક્શનમાં આવી છે. ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આજથી સઘન હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે છેલ્લા એકાદ મહિનાથી ટ્રાફિકના નિયમો બાબતે જે શિથિલતા જોવા મળતી હતી, તેનો અંત આવ્યો છે.

સરકારી કચેરીઓના દરવાજે જ ‘સપાટો’

આ વખતે પોલીસની રણનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સામાન્ય રીતે જાહેર રસ્તાઓ પર ઊભી રહેતી પોલીસ આજે સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર જ ગોઠવાઈ ગઈ હતી. પોલીસનું માનવું છે કે જનતાને નિયમો શીખવતા પહેલા સરકારી કર્મચારીઓએ આદર્શ પૂરો પાડવો જોઈએ. જોકે, આ કડક અમલવારીને કારણે આજે અનેક સ્થળોએ પોલીસ અને સરકારી કર્મચારીઓ વચ્ચે તીખી તકરારના દૃશ્યો સર્જાયા હતા.

રાજકોટમાં હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ

રાજકોટ શહેરમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં દંડ વસૂલાત અને નિયમોનું પાલન કરાવવા માટે ખાસ ચેકિંગ હાથ ધરાયું છે. ટ્રાફિક પોલીસનો ઉદ્દેશ માર્ગ અકસ્માતોમાં ઈજા અને મૃત્યુના પ્રમાણમાં ઘટાડો લાવવાનો છે. પરંતુ ઉનાળાની ગરમી વચ્ચે હેલ્મેટ ફરજિયાત બનાવવાના નિર્ણયને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

વડોદરામાં ફરજિયાત હેલ્મેટ અમલવારી

દારૂ પીને વિધાનસભામાં પહોંચ્યા CM માનઃ અકાલી દળનો આરોપ

ચંડીગઢઃ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પર શિરોમણિ અકાલી દળ  દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ વિધાનસભામાં દારૂ પીને આવ્યા હતા. અકાલી દળે આ મામલે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વિડિયો પણ શેર કર્યો છે અને આ વર્તનને શરમજનક ગણાવ્યું છે. બીજી તરફ ભાજપે પણ આ મુદ્દે ટીકા કરતાં કહ્યું હતું કે આ બંધારણ અને વિધાનસભાની મર્યાદાનું અપમાન છે. અકાલી દળે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે મજૂર દિવસના અવસર પર મુખ્ય મંત્રી ભગવંત માન દારૂ પીને વિધાનસભાના પવિત્ર ગૃહમાં આવ્યા, જે ખૂબ શરમજનક છે. પાર્ટીએ વધુમાં કહ્યું કે લોકો પોતે વિડિયોમાં જોઈ શકે છે કે મુખ્ય મંત્રીનું વર્તન કેવું હતું અને આ બાબતની કડક નિંદા કરવામાં આવે છે.

ડોપ ટેસ્ટની માગ

અકાલી દળે માગ કરી છે કે મુખ્ય મંત્રીનો પંજાબ સમક્ષ ડોપ ટેસ્ટ કરાવવામાં આવે, જેથી સત્ય બહાર આવી શકે. કોંગ્રેસે પણ આ આરોપોને સમર્થન આપ્યું અને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું

 મોબાઇલ ઉપયોગથી શરૂ થયો વિવાદ

મજૂર દિવસ નિમિત્તે બોલાવવામાં આવેલા વિશેષ સત્રની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થઈ હતી, પરંતુ ચર્ચા દરમિયાન કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ સિંહ ખૈરા દ્વારા મોબાઇલ ફોનના ઉપયોગને લઈને મુખ્ય મંત્રી માને વાંધો ઉઠાવતાં વિવાદ શરૂ થયો હતો.

 કોંગ્રેસનો આરોપ અને હંગામો

થોડી વાર પછી ચર્ચા દરમિયાન ખૈરાએ આરોપ લગાવ્યો કે મુખ્ય મંત્રી માન નશાની હાલતમાં હતા. વિરોધ પક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ પણ આ આરોપને સમર્થન આપ્યું અને તમામ સભ્યોનો આલ્કોહોલ ટેસ્ટ કરાવવાની માગ કરી હતી.

બાજવાએ સ્પીકરને કહ્યું હતું કે જો આ આરોપ સાચો હોય તો તે લોકશાહી માટે કાળો દિવસ ગણાશે. તેમણે તમામ સભ્યોના ટેસ્ટ માટે દરવાજા બંધ કરવાની વિનંતી કરી હતી. એ પછી વિધાનસભામાં ભારે હંગામો થયો, સત્તાધારી પક્ષના સભ્યો માનના સમર્થનમાં ઊભા રહ્યા જ્યારે વિરોધ પક્ષે નારેબાજી ચાલુ રાખી હતી. અંતે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું.

નાની નાની બાબતો…

શેમ્પૂ કંડિશનર બોડી વોશ આ ત્રણ નામ અથવા વસ્તુઓએ એટલા ઈરિટેટ કર્યા છે કે પૂછશો જ નહીં. અને મને ખબર છે કે મારા જેવી અનેકોને આ અનુભવ હશે. દુનિયાની અસંખ્ય હોટેલ્સમાં મેં હમણાં સુધી મુકામ કર્યો છે. ટુ સ્ટારથી સેવન સ્ટાર્સ સુધી, પરંતુ લગભગ નેઉ ટકા હોટેલ્સમાં આ ઈરિટેશન મેં અનુભવ્યું છે. અગાઉ પ્રવાસમાં હું મારો શેમ્પૂ મારું કંડિશનર એમ બધુંજ જોડે લઈને જતી. જોકે સમજ વધવા લાગી તેમ મેં સૂટકેસનો સાથ છોડી દીધો અને ફક્ત એક કેબિન બેગ પર દુનિયાનો પ્રવાસ કર્યો. `લેસ લગેજ મોર કમ્ફર્ટસ.’ આથી બેકપેકની જેમ જોડેનો સામાન ઓછો કરવો જ પડ્યો. શેમ્પૂ કંડિશનર્સને પણ બાયબાય કર્યું. હોટેલ્સમાં જે હોય તેની પરજ નિભાવી લેવાનો નિર્ણય લીધો અને છેલ્લાં અનેક વર્ષ તેનું પાલન કર્યું. આ નિર્ણયની કિંમત જોકે મને ઈરિટેશનના સ્વરૂપમાં ગણવી પડી.

આપણે હોટેલમાં નાહવા માટે બાથરૂમમાં જઈએ ત્યારે ત્યાં જનરલી ત્રણ બોટલ રાખેલી હોય છે અથવા આજકાલતો બાથરૂમની વોલને જ ફિક્સ કરેલું હોય છે. શેમ્પૂ કંડિશનર બોડી વોશ/જેલ બોટલોમાં હોય છે. તેની પરના અક્ષર એટલા નાના હોય છે કે આંખોગમે તેટલી પહોળી કરીએ, બારીકાઈથી જોવાનો પ્રયાસ કરીએ છતાં વંચાતું નથી. તેમાં શું છે? દુનિયાના ત્રણમાંથી બે માણસોને ચશ્માં હોય છે. એટલે કે, ચશ્માં વિના આ અક્ષરો દેખાઈ જ નહીં શકે અને બાથરૂમમાં ચશ્માં પહેરીને કોણ જાય છે?તે બોટલો સાથે ફાવટ કરતી વખતે ડિઝાઈનરને મારા દ્વારા સભ્ય શબ્દોનો ઠપકો અપાઈ જતો. ધીમે ધીમે ગુસ્સો કરવાને બદલે મેં મારી અંદર સુધારણા લાવી દીધી. એન્ટ્રી કર્યા પછી ચશ્માં પહેરીને બાથરૂમમાં જઈને મારા જમણા હાથે શું છે, ડાબા હાથે શું છે અને વચ્ચે કઈ બોટલ છે તેનો રીતસર અભ્ચાસ કરતી. આ પછી મારું ઠપકો આપવાનું કામ ઓછું થયું.જોકે તે છતાં હોટેલમાંના બાથરૂમ્સ એ કાંઈ અભ્યાસ કરીને જવાની જગ્યા છે? અર્થાત ક્યારેક એકાદ હોટેલમાં મોટા અક્ષરોમાં આ નામ લખેલી બોટલ દેખાય અને ચશ્માં વિના તે નામ વાંચી શકાય તો મારા દ્વારા તે હોટેલની ડિઝાઈન એજન્સીનો આભાર પણ માનવામાં આવે છે. કોઈક તો તે હોટેલના ગેસ્ટનો વિચાર કરે છે એ જોઈને સારું લાગે છે. આમ જોવા જઈએ તો આ નાની વાત છે, પરંતુ તેને કારણે તે હોટેલ્સ કેટલા લેવલ સુધી તેમના ગેસ્ટ્સનો વિચાર કરે છે તે સમજાય છે. `શેમ્પૂ કંડિશનર બોડી વોશ’ આ એક્ચ્યુઅલી મારા માટે એક કેસ સ્ટડી નીવડ્યાં. ટીમ મિટિંગ્સમાં આવી બાબતોના દાખલા, અમારે ત્યાં રિલેટેડ બાબતોનું મહત્ત્વ સમજાવવામાં બહુ મદદરૂપ થાય છે. અને મેં અનેક વાર અનુભવ્યું છે કે આ નાની જણાતી બાબતો બહુ મોટો ફરક નિર્માણ કરી શકે છે.

આપણે રોજના જીવનમાં અનેક બાબતોનો સામનો કરીએ છીએ, જે નજીવી લાગે પરંતુ તેની પાછળ વિચાર હોય તો તે અનુભવને એક અલગજ ઊંચાઈ  મળે છે. અને વિચાર નહીં હોય તો ત્રાસદાયક બને છે. એકાદ ડિઝાઈન, ત્યાં અપાતી સર્વિસ, આપણી વર્તણૂક આ બધું અંતે માણસો માટે જ હોય છે, પરંતુ અનેક વાર આપણે તે કેન્દ્રસ્થાને રહેલા માણસને જ ભૂલી જઈએ છીએ. મેં જ્યારે આ નાની નાની બાબતોનો વિચાર કરવાનું શરૂ કર્યું ત્યારે એટલી બાબતો માથામાં ઘેરો ઘાલીને નાચવા લાગી કે પૂછો જ નહીં.

એક દિવસ અમે જાપાની ફિલ્મ જોતાં હતાં. તેમાં તે જાપાની છોકરી ઘરમાં આવી. તેણે તેના શૂઝ કાયમની જગ્યા પર મૂક્યા, એકદમ સીધી રેખામાં અને તેની બાજુમાં તેટલાં જ વ્યવસ્થિત રીતે મૂકેલાં ઘરનાં સ્લીપર્સ પહેરીને તે અંદર ગઈ. આ ફક્ત બે સેકંડનો સીન હતો, પરંતુ તેમાં કેટલી શીખ હતી. આપણે ઘણી વાર શૂઝ કાઢીએ છીએ, પણ તે કઈ રીતે મૂકવા જોઈએ તેની પર બહુ ધ્યાન આપતાં નથી. તે છોકરીની એ નાની કૃતિમાં એક શાંતિ હતી. એક વ્યવસ્થિતપણું હતું. મેં અને સુધીરે એકબીજાને જોઈને કહ્યું, `કેટલી સુંદર આદત છે આ’ અને તે દિવસથી અમે પણ તે આદતને આત્મસાત કરી. ઘરમાં બહારના અને અંદરના ચપ્પલ અસ્તવ્યસ્ત રહેશે નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. આદત નાની, પરંતુ વ્યવસ્થિતપણાનું મોટું પરિણામ ઘડાઈ શકે છે. આજકાલ મેનેજમેન્ટ સ્કૂલમાં એક વાત એકદમ ખાસ શીખવવામાં આવે છે. તે છે `સવારે ઊઠ્યા પછી ઘરમાં ગમે તેટલા માણસો કામે હોય તો પણ આપણો બેડ આપણે વ્યવસ્થિત કરવાનો.’ `યુએસ નેવી સીલ’ ના એડમિરલ વિલિયમ મેકરેવને તેમના પ્રસિદ્ધ ભાષણમાં કહ્યું હતું, `તમને જો દુનિયા બદલવી હોય તો સવારે ઊઠ્યા પછી તમારો બેડ વ્યવસ્થિત લગાવો.’ યુ ટ્યુબ પર આ ભાષણ પહેલી વાર સાંભળ્યું ત્યારે તુરંત ધ્યાનમાં આવ્યું નહીં. જોકે થોડું ઊંડાણમાં જઈને વિચાર કરતાં સમજાયું કે આ આદત ફક્ત બેડ ગોઠવવાની નથી, પરંતુતે શિસ્ત, સાતત્યતા, સમાધાન, આત્મવિશ્વાસ અને એકમ્પ્લિશમેન્ટની આદત છે. આપણે પોતે આપણો બેડ તૈયાર કર્યા પછી ખરેખર એક અનોખી અનુભૂતિ મળે છે. તે ભાષણે અમારી પર નિશ્ચિત જ પ્રભાવ પાડ્યો હતો અને અમે હવે નિયમિત રીતે તેનું પાલન કરીએ છીએ અને સુકૂન મેળવીએ છીએ. ખરું કહું તો   બેડ વ્યવસ્થિત કર્યા પછી આજે આપણે કાંઈક સારું કરીને દિવસની શરૂઆત કરી રહ્યા છીએ એ વિચારથી અથવા ભાવનાથી દિવસની દિશા બદલાય છે. મિટિંગમાં બેઠેલાં હોઈએ ત્યારે ફોન સાઈલેન્ટ રાખવો અથવા ઊલટો રાખવો અથવા એક્ચ્યુઅલી ફોન લઈને જ નહીં આવવું, આ આમ જોવા જઈએ તો એટિકેટ છે પરંતુ તેમાંથી સામેની વ્યક્તિને આપણે કેટલું મહત્ત્વ આપીએ છીએ તે દેખાય છે. મિટિંગમાં એકાદ સાથે અથવા ટીમ સાથે અથવા મહેમાન સાથે બોલતી વખતે વચ્ચે જ ફોન જોવો એટલે આપણે ફિઝિકલી ત્યાં હોવા છતાં મેંટલી નથી એ આપણી કૃતિને આપણે સામેની વ્યક્તિને બતાવીએ આપીએ છીએ અને સામેની વ્યક્તિનું તે અપમાન હોય છે. ફિઝિકલી અને મેંટલી આપણે ત્યાં હોવું, સામેની વ્યક્તિનો આદર કરવો, બીઈંગ ફોકસ્ડ ઈન પ્રેઝેન્ટ મોમેન્ટ એ આજના સમયની સૌથી મોટી વાત બની ગઈ છે.

રસ્તા પર ચાલતી વખતે અથવા વાહન ચલાવતી વખતે આપણે અથવા આપણો ડ્રાઈવર લેન ડિસિપ્લીનનું પાલન કરે છે? રેડ સિગ્નલ પર આપણે થોભીએ છીએ? તેની પર આપણે આત્મપરીક્ષણ કરવું જોઈએ. કહેવાય છે ને કે, `ઈન ઈન્ડિયા, એવરીબડી ઈઝ ઈન અ હરી, બટ નો બડી ઈઝ ઓન ટાઈમ.’ અનેક દેશોમાં લેન ડિસિપ્લીન, ઝેબ્રા ક્રોસિંગ, રેડ સિગ્નનલ પરથોભવું આ બાબતો જીવનશૈલીનો ભાગ છે. શરીરમાં તે નાનપણથી જ કેળવાઈ જતી હોવાથી આ શિસ્તની બાબત કરતી વખતે તેમને પ્રયાસ કરવા પડતા નથી. શિસ્તપ્રિયતાને લીધે તેમના ટ્રાફિકમાં પણ એક ફ્લો હોય છે. આપણે ત્યાં ટ્રાફિકમાં દરેક જણ પોતાનો માર્ગ કાઢે છે અને પછી ધાંધલ મચી જાય છે. સમાજ ઘડાય છે અથવા બગડે છે તેમાં નાની બાબતો જવાબદાર હોય છે.

આપણે એકાદ કેફેમાં બેસીએ છીએ, ઊઠતી વખતે ખુરશી બરોબર તેની જગ્યાએ ગોઠવીએ છીએ ખરા? તે જગ્યા ફક્ત આપણી નથી, પરંતુ તે શૅર્ડ સ્પેસ હોય છે. તેનો આદર કરવું તે નાની આદત છે. રૂમમાંથી બહાર નીકળતી વખતે અથવા કાર્યાલયમાં મિટિંગ રૂમમાંથી બહાર નીકળતી વખતે આપણે લાઈટ ફેન એસી બંધ કરીએ છીએ ખરા? અગાઉ આપણે ત્યાં `સેવ એનર્જી’ પર એક કેમ્પેઈન હતું. મોટા ભાગે સરકારની જ હતી, પરંતુ તે આજે પણ ધ્યાનમાં છે. એક યુવાન ઓફિસમાં જવા નીકળે છે. કારમાં બેસે છે. કાર સ્ટાર્ટ કરે છે, થોડો આગળજાય છે અને અચાનક એકદમ ચોંકે છે અથવા કાંઈક મહત્ત્વનું યાદ આવ્યું હોય તેમ કારને બ્રેક મારે છે. નીચે ઊતરે છે, ઘરમાં આવે છે અને ફેન ચાલુ હોયતે બંધ કરે છે. આ પછી હસતો હસતો એક વિજયી ભાવ ચહેરા પર લઈને ફરી કારમાં બેસે છે અને ઓફિસમાં જાય છે. આ એક નાની બાબત છે, તે જાગરૂક, જવાબદાર, સજાગ નાગરિક હોવાનું બતાવી આપે છે. અને નિસર્ગનિર્મિત અથવા માનવનિર્મિત જે રિસોર્સીસ છે તેમનો આદર આપણે કરવો જ જોઈએ એ મક્કમ રીતે અને કડક શબ્દોમાં કહું છું.

`થેન્ક યુ’ અને `સોરી’ આ બે નાના શબ્દ છે,પરંતુ સંબંધમાં મોટો ફરક નિર્માણ કરે છે. આપણે અનેક વાર મનમાં આભાર માનીએ છીએ… પરંતુ બોલીને બતાવતા નથી. અને ક્યારેક ક્યારેક એક સોરી કહેવામાં પણ કંજૂસી કરીએ છીએ. આપણો ઈગો આડમાં આવે છે. જોકે આ નાના શબ્દ સંબંધને જોડી રાખે છે. અમારે ત્યાં સુધીરની એક આદત બધાને ઘણું બધું શીખવી જાય છે. તે એટલે ગૂડ મોર્નિંગ અથવા ગૂડ ઈવનિંગ એકદમ મોટા અવાજમાં બોલવાનું અને ઓફિસમાંનો માહોલ એકદમ ઉત્સાહી બનાવી દેવાનો. સુધીરને અમે `જગન્મિત્ર’ કહીએ છીએ. તેની તે વેલકમિંગ પર્સનાલિટી બનવાનું મૂળ તે ગૂડ મોર્નિંગમાં હોવું જોઈએ એવું મને લાગે છે.

નાની બાબતોની તાકાત ચોક્કસ શું હોય છે તેઆ સમજાવી આપતું હોય તો ટોયોટાથી આપણા રોજના જીવન સુધીનો પ્રવાસ જોવો જોઈએ. ટોયોટા વિશે એક વાત બહુ પ્રસિદ્ધ છે. તે છે, તેમનું કામ કરવાની પદ્ધતિ. બીજું મહાયુદ્ધ પછી જાપાનમાં વિકટ પરિસ્થિતિ હતી. રિસોર્સીસ ઓછા, પૈસા ઓછા, પણ કામ કરવાની ઈચ્છા પ્રચંડ હતી. તે સમયે ટોયોટાએ એક અલગ જ રાહ પકડી. `મોટા ફેરફાર કરવાના નહીં, રોજ નાના ફેરફાર કરવાના.’ ફેક્ટરીમાં કામ કરનારા દરેક માણસને કહેવામાં આવ્યું, `તમે કશું નાનું સુધારી શકતા હોય તો કહો.’ આ સાંભળવામાં બહુ સાદું લાગે છે, પરંતુ અહીંથી જ બદલાવની શરૂઆત થઈ.

ટોયોટાએ `કાયઝેન’ કહ્યું તે કાંઈ મોટી ફિલોસોફી નહોતી. ફેક્ટરીમાં ઊભા રહેલા એક કામગારે “આ પાર્ટ થોડો ઉપર રખાય તો મને વાંકા વળવું નહીં પડશે એમ કહ્યું અને તે નાના બદલાવથી હજારો સેકંડ બચવા લાગ્યા. કોઈ મશીન બદલાયું નહીં, કોઈ કરોડો ખર્ચ કરાયા નહીં, ફક્ત ધ્યાન આપ્યું, બદલાવ કર્યો અને તે સાતત્યતાથી કર્યો. ટોયોટામાં હજુ એક બહુ અલગ વાત હતી, એંડોન કોર્ડ. કોઈ પણ વર્કરને પ્રોડકશન લાઈન અટકાવવાનો અધિકાર હતો. જો તેને કોઈ ડિફેક્ટ દેખાય અથવા કશુંક બરોબર નથી એવું લાગે તો તે દોરી ખેંચીને આખી લાઈન રોકી શકતો હતો. આપણને લાગશે, `અરે, લાઈન રોકવી એટલે નુકસાન!’ પણ ટોયોટાનો વિચાર અલગ હતો. `ભૂલને આગળ જવા દેવા કરતાં તેને ત્યાં જ રોકવાનું વધુ સારું હોય છે.’ આવા ડિફેક્ટ તુરંત પકડાય તો ભવિષ્યમાં મોટું નુકસાન ટળીશકે છે. ટોયોટાએ `5 S સિસ્ટમ’ રજૂ કરી. Sort, Set in Order, Shine, Standardize, Sustain. સરળ ભાષામાં કહીએ તો જે આવશ્યક છે તે જ રાખો, બધું વ્યવસ્થિત રાખો, સ્વચ્છ રાખો, બધા માટેએક જ પદ્ધતિ રાખો. આપણને આ સાંભળીને એવું લાગે છે કે, `અરે આ તો ઘરમાં પણ કહે છે!’ જોકે ફરક એટલો જ છે કે તેમણે તેનું રોજ પાલન કર્યું. ટોયોટાનું કામ જોઈને દુનિયા છક થઈ ગઈ. અમેરિકન કંપનીઝે અભ્યાસ કર્યો કે `આ લોકો અલગશું કરી રહ્યા છે?’ ફોર્ડ, જનરલ મોટર્સ જેવી કંપનીઓએ ટોયોટાની પદ્ધતિ શીખવાનું શરૂ કર્યુું. `લીન મેન્યુફેક્ચરિંગ’ આ શબ્દ ત્યાંથી જ આવ્યો. મોટોરોલા અને જી ઈ એ સિક્સ સિગ્મામાં કાયઝેન એલિમેન્ટ્સ લીધા. આજે આઈટી કંપનીઓ, હોસ્પિટલો, એરલાઈન્સ સર્વત્ર `સતત સુધારણા’ની સંકલ્પના વપરાય છે. ભારતમાં પણ અનેક કંપનીઓએ આ ગ્રહણ કર્યું. મારુતિ સુઝુકીએ ટોયોટા પ્રોડકશન સિસ્ટમ એડોપ્ટ કરી. ટાટા મોટર્સે `સતત સુધારણા’ આ તેનું કલ્ચર બનાવ્યું. ઈન્ફોસિસે પ્રોસેસીસ રિફાઈન કરી અને નાની સુધારણાઓ હાથમાં લીધી, પરંતુ મજેદાર વાત એ છે કેઆ બધાની શરૂઆત ક્યાં થઈ? તો એક વર્કરના નાના નિરીક્ષણમાંથી. ટોયોટાએ દુનિયાને એક મોટો બોધ આપ્યો કે મોટા થવા મોટા ફેરફાર કરવા પડતા નથી, નાની બાબતો સતત વ્યવસ્થિત કરવી પડે છે.

ખરું કહીએ તો આ બધી નાની નાની બાબતો,જેમ કે, ચપ્પલ વ્યવસ્થિત કરવા, લાઈટ બંધ કરવી, ફોન બાજુમાં રાખવો, એકાદને હસીને ભેટવું અથવા એકાદના મનથી `આભાર’ માનવા આ બધી બાબતોનું ક્યાંય મોટું કૌતુક થતું નથી. આ માટે એવોર્ડસ મળતા નથી, પરંતુ આ બધી બાબતો મળીને આપણો સ્વભાવ, આપણી પર્સનાલિટી અને આપણું જીવન ઘડે છે. મોટી વાતોનો આપણે બધા જ વિચાર કરી છીએ, પરંતુ જીવન ખરેખર તો આ નાની બાબતોના પાયા પર ઊભું હોય છે. ભાન, કાળજી અને થોડું પોતીકાપણું એટલું જ પૂરતું હોય છે. બાકી બધું આપોઆપ ઘડાય છે. આથી પ્રશ્ન એ નથી કે આપણે મોટું શું કરીએ છીએ, પ્રશ્ન એટલો જ છે કે આપણે નાની બાબતો કેટલા મનથી કરીએ છીએ? કારણ કે જીવન સમૃદ્ધ કરવા માટે મોટી બાબતોની જરૂર હોતી નથી, નાની બાબતો મનથી કરાય તો જીવન આપોઆપ અર્થપૂર્ણ બની જાય છે.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

આશિકી ફેમ રાહુલ રોયના સપોર્ટમાં આવી ફરાહ ખાન, શું છે મામલો?

રીલ્સના કન્ટેન્ટ ક્રિએટર સાથે રીલ પોસ્ટને લઈ આશિકી ફેમ રાહુલ રોય ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. તેમણે પોતાની આર્થિક મુશ્કેલીઓ વિશે ખુલીને વાત કરી. તેમના સંઘર્ષને જોઈને ઘણા લોકો હવે તેમને પ્રેમ અને પ્રોત્સાહન આપી રહ્યા છે. અર્ચના પૂરણ સિંહ અને ફરાહ ખાને પણ તેમની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે.

શું છે મામલો?

ક્લાસિક ફિલ્મ ‘આશિકી’ના અભિનેતા રાહુલ રોય હાલમાં સોશિયલ મીડિયા પર તેની વાયરલ રીલ્સને કારણે સમાચારમાં છે. આ રીલ્સ જોઈને કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે અને ટ્રોલ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેની દુર્દશા સમજી રહ્યા છે અને તેને ટેકો આપી રહ્યા છે. આ દરમિયાન ફરાહ ખાન અને અર્ચના પૂરણ સિંહે ખુલ્લેઆમ રાહુલને ટેકો આપ્યો છે.

રાહુલ રોયે પોતે ખુલાસો કર્યો કે તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે લખ્યું છે કે તેમના સ્ટ્રોક પહેલાના કેટલાક જૂના કાનૂની કેસોને કારણે તેમના પર પૈસા બાકી છે. તેથી, તેઓ રીલ્સ બનાવીને પ્રામાણિકપણે પૈસા કમાઈ રહ્યા છે. તેમના નિવેદન બાદ ઘણા લોકો સમર્થનમાં આવ્યા.ફિલ્મ દિગ્દર્શક ફરાહ ખાન સૌપ્રથમ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે,હાસ્ય કલાકાર અર્ચના પૂરણ સિંહે પણ રાહુલ રોયને ટેકો આપ્યો છે.

અર્ચના પૂરણ સિંહે રાહુલને ટેકો આપ્યો

અર્ચનાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “રાહુલ, તમને વધુ શક્તિ મળે. મને ખૂબ આનંદ છે કે તમે જે યોગ્ય છે અને જે તમને ખુશ કરે છે તે કરી રહ્યા છો. તમે હંમેશા અદ્ભુત છો. મેં તમારા મૂળ ગીતોના બધા રીલ્સ જોયા છે. તમારા માટે ઘણો પ્રેમ અને હિંમત, રાહુલ.”

રાહુલ રોયે ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો

ટ્રોલિંગ અંગે રાહુલે કહ્યું,”જો તમે મારી સાદગીની મજાક ઉડાવો છો અથવા મારા સંઘર્ષો પર ટિપ્પણી કરો છો તો તે મારા કરતાં તમારા વિશે વધુ કહે છે. જો તમે ખરેખર મારી કાળજી લો છો, તો કૃપા કરીને મને સારી અને માનનીય નોકરી શોધવામાં મદદ કરો. ઓછામાં ઓછું હું બીજાની મજાક ઉડાવીને નહીં,પરંતુ સખત મહેનત દ્વારા કમાઈ રહ્યો છું.”

સોનુ સૂદે પણ રાહુલને ટેકો આપ્યો

કેટલાક વીડિયોમાં રાહુલ જૂની ફિલ્મ “ફિર તેરી કહાની યાદ આયી” ના “તેરે દર પે સનમ” ગીત પર નાચતા જોવા મળ્યા હતા, જેના માટે કેટલાક લોકોએ તેની ટીકા કરી હતી. તે જ સમયે અભિનેતા સોનુ સૂદે પણ રાહુલને ટેકો આપ્યો અને લખ્યું,’કીપ રોકિંગ ભાઈ.’

અમારા સુપ્રીમ લીડર સંપૂર્ણ સ્વસ્થ છેઃ મોજતબા સહયોગીનો દાવો

તહેરાનઃ ઈરાનની એક્સપર્ટ્સ એસેમ્બલીના સભ્ય અને સુપ્રીમ લીડરના કાર્યાલયમાં આંતરરાષ્ટ્રીય બાબતોના ઉપપ્રમુખ અયાતુલ્લા મોહસેન કોમીએ અમેરિકામાં મોજતબા ખોમિનીના આરોગ્ય અંગે ફેલાતી અફવાઓને નકારી કાઢી છે. કોમીએ કહ્યું કે આવા સમાચારો પશ્ચિમી દેશો દ્વારા પ્રતિક્રિયા ઉકેલવા અને અફવાઓ ફેલાવવા માટેનો પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે નેતાના આરોગ્ય વિશે પૂછવામાં આવતા પ્રશ્નોનો ઉપયોગ ઈરાની અધિકારીઓ પર જાહેરમાં જવાબ આપવા માટે દબાણ બનાવવા માટે થઈ રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો અમારા સુપ્રીમ લીડર આયાતુલ્લા સૈયદ મોજતબા ખોમિનીના આરોગ્ય વિશે પૂછે છે. આ દુશ્મનની ચાલ છે. તેમણે આગળ કહ્યું હતું કે તેનો હેતુ અટકળો ઊભી કરવાનો અને અધિકારીઓને જવાબ આપવા માટે મજબૂર કરવાનો છે. કોમીએ એ પણ જણાવ્યું હતું કે ઈરાની અધિકારીઓ સુપ્રીમ લીડરના જીવનની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે મોજતબા ખોમિની તે ઈમારતમાં હાજર હતા જ્યાં બોમ્બમારો થયો હતો, પરંતુ તેઓ સુરક્ષિત બચી ગયા છે.

ભગવાન છે અને તે દયાળુ છે

તેમણે કહ્યું હતું કે અમારા સુપ્રીમ લીડર મોજતબા ખોમિની એ સમયે એ જ ઈમારતમાં હાજર હતા જ્યાં ભારે બોમ્બમારો થયો હતો અને જ્યાં ઘણા લોકો શહીદ થયા હતા. વિસ્ફોટ થવાના થોડા મિનિટ પહેલાં ભગવાનની કૃપાથી, તેઓ પ્રાંગણમાં બહાર નીકળી ગયા હતા. કોમીએ આગળ કહ્યું કે મોજતબા ખોમિની હાલમાં “સંપૂર્ણ સ્વસ્થ” છે અને વાટાઘાટો તથા કામગીરી સંબંધિત મુદ્દાઓ સહિત રાજ્યનાં કાર્યોની દેખરેખમાં સક્રિય રીતે જોડાયેલા છે. કોમીએ કહ્યું કે ભગવાન છે અને તે રક્ષણ કરે છે—આ તેનો સૌથી મોટો પુરાવો છે.

સુરત વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ: ઉદ્યોગ, કૃષિ, ગ્રીન એનર્જી, સેવા ક્ષેત્રના સ્ટોલ એક છત નીચે

સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સ્થાપના દિવસે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સું શહેરમાં ઉદ્ઘાટન કર્યું.  ત્યારબાદ પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. તેમણે નવીન ટેકનોલોજી, ગ્રીન એનર્જી એકમો, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને સેવા ક્ષેત્રના વિકસતા મોડલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે તેમણે રાજ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગકારો અને યુવાનોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી પ્રોત્સાહન આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ‘વાઈબ્રન્ટ ગુજરાત’ના વૈશ્વિક વિઝનને વધુ વ્યાપક બનાવવા માટે પ્રાદેશિક સ્તરે આ પ્રકારની કોન્ફરન્સ યોજવાનો નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ પહેલના માધ્યમથી રાજ્યના દરેક વિસ્તારમાં રહેલા વિકાસના અવસરોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુરત ખાતે આયોજિત આ બે દિવસીય કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, MSME અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સક્રિય ભાગ લઈ રહ્યા છે. કોન્ફરન્સનો મુખ્ય હેતુ રિજનલ ઇન્ડસ્ટ્રીય ગ્રોથને ગતિ આપવી, રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઉભા કરવાનો છે. આ પ્રદર્શનને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્ર એમ મુખ્ય ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન અંતર્ગત નવીન પ્રોડક્ટ્સ, ટેકનોલોજી, મશીનરી, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સરકારી યોજનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં સોલાર અને વિન્ડ એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાતની ઓળખરૂપ કૃષિ વૈવિધ્યને પ્રદર્શિત કરતો ‘મેન્ગો ફેસ્ટિવલ’ પણ યોજાયો છે. જેમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ઉગતી કેરીની જાતો રજૂ કરવામાં આવી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ટ્રેડ ફેરનો પણ પ્રારંભ કરાવ્યો હતો અને પ્રદર્શન દ્વારા ઊભી થનારી વ્યવસાયિક સંભાવનાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રકારની પ્રાદેશિક કોન્ફરન્સ રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગજગતના આગેવાનો અને દેશ-વિદેશના પ્રતિનિધિઓ જોડાયા હતા.

એપ્રિલમાં GST વસૂલાત 8.7 ટકા વધી  2.43 લાખ કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ એપ્રિલમાં સંપૂર્ણ માલ અને સેવા કર (GST) વસૂલાત 8.7 ટકાથી વધી લગભગ 2.43 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, એમ શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓ મુજબ આ માહિતી મળી છે.આ પહેલાં એપ્રિલ, 2025માં સૌથી વધુ વસૂલાત 2.23 લાખ કરોડ રૂપિયાથી વધુ નોંધાઈ હતી. ઘરેલુ વેચાણ અને ખરીદીમાંથી મળતું કુલ આવક 4.3 ટકા વધી 1.85 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું હતું, જ્યારે આયાતમાંથી મળતી એપ્રિલ મહિનામાં વસૂલાતમાં 25.8 ટકાનો તેજ વધારો નોંધાયો અને તે 57,580 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

એપ્રિલમાં ‘રિફંડ’ તરીકે ચૂકવાયેલી રકમ 19.3 ટકા વધી 31,793 કરોડ રૂપિયા થઈ હતી. ‘રિફંડ’ બાદ શુદ્ધ એપ્રિલ મહિનામાં વસૂલાત 7.3 ટકા વધીને લગભગ 2.11 લાખ કરોડ રૂપિયા રહી હતી.

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં SGST વસૂલાતમાં મજબૂત વધારો

એપ્રિલમાં અનેક રાજ્યોમાં રાજ્ય GST વસૂલાતમાં ગયા વર્ષની સરખામણીએ મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાં રાજ્યોમાં મહારાષ્ટ્રમાં 40 ટકાનો વધારો નોંધાયો, જ્યારે કર્ણાટકમાં 42 ટકા જેટલી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. તેલંગાણામાં પણ 36 ટકાનો મજબૂત વધારો નોંધાયો, જે ઉપભોગ અને સેવાઓમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. પુડુચેરીમાં નોંધપાત્ર રીતે 108 ટકાનો વધારો નોંધાયો હતો

બીજી તરફ, કેટલાક વિસ્તારોમાં આ મહિનામાં ધીમી અથવા નકારાત્મક પ્રવૃત્તિ જોવા મળી હતી લદ્દાખમાં SGST વસૂલાતમાં 8 ટકાની ઘટાડો નોંધાયો, જે કમજોર આર્થિક પ્રવૃત્તિ અથવા ઊંચા આધારના પ્રભાવનું સંકેત આપે છે. જ્યારે ઝારખંડમાં ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ કોઈ ફેરફાર નોંધાયો નથી અને વૃદ્ધિ સ્થિર રહી હતી.

માર્ચમાં કેટલો હતો GST કલેક્શન

સરકારી આંકડા મુજબ માર્ચમાં GST વસૂલાત 8.8 ટકા વધી 2 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ થઈ હતી. તેમાં ઘરેલુ વેચાણ અને આયાતથી મળતા કરનો મોટો ફાળો રહ્યો હતો

માર્ચ, 2025માં કુલ GST વસૂલાત 1.83 લાખ કરોડ રૂપિયા રહી હતી હતી કુલ ઘરેલુ આવક 5.9 ટકા વધી 1.46 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ થઈ, જ્યારે આયાતમાંથી મળતી આવક 17.8 ટકા વધી 53,861 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

આમિર ખાન સ્ટ્રેસમાં હોય ત્યારે કરે છે આ કામ

અભિનેતા આમિર ખાન હાલમાં તેની ફિલ્મ ‘એક દિન’ માટે સમાચારમાં છે. તેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો કે તે હજુ પણ દરેક ફિલ્મ પહેલાં તણાવમાં રહે છે. એ પણ જણાવ્યુ કે સ્ટ્રેસમાં હોય ત્યારે તે શું કરે છે.

અમિર ખાન સ્ટ્રેસમાં હોય ત્યારે તે મન્સૂર ખાનની મદદ લે છે. આમિર ખાન અને મન્સૂર ખાનનો સંબંધ ઘણો જૂનો છે. તેઓ પિતરાઈ ભાઈ-બહેન છે અને સાથે મળીને તેમણે આમિર ખાનની બ્લોકબસ્ટર ડેબ્યૂ ફિલ્મ “કયામત સે કયામત તક” માં અભિનય કર્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને ખુલાસો કર્યો કે તે દર વખતે જ્યારે પણ ફ્લાઇટમાં બેસે છે ત્યારે મન્સૂર ખાન માટે ” સિક્રેટ નોંધ” લખે છે.

આમિર ખાને ધ હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયાને કહ્યું કે “જ્યારે શૂટિંગ પૂરું થાય છે અને અમે અંતિમ પોસ્ટ-પ્રોડક્શનમાં હોઈએ છીએ, ત્યારે હું હંમેશા મન્સૂર માટે એક નોંધ લખું છું.”

તેમણે ઉમેર્યુ કે જો મારું વિમાન ક્રેશ થાય કે હું મરી જાઉં તો ફિલ્મનું શું થશે તે વિચારીને હું હંમેશા ખૂબ જ તણાવમાં રહું છું. તેથી હું દિગ્દર્શકને મન્સૂરની સલાહ લેવાનું કહું છું, અને હું મન્સૂરને કહું છું કે તે કામ સંભાળે. હું દર વખતે ફ્લાઇટમાં ચઢતા પહેલા આવું કરું છું.

કિરણ રાવને સલાહ આપવામાં આવી

માત્ર નોંધ જ નહીં, આમિર ખાને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવને પણ કહ્યું છે કે જો તેને કંઈક થાય, તો તેણે બાકીના કામ માટે ચોક્કસપણે મન્સૂર ખાનની સલાહ લેવી જોઈએ.

આમિરે આગળ કહ્યું, “તે એક એવી વ્યક્તિ છે જેની સમજણ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. મેં કિરણને ઘણી વાર કહ્યું છે કે જો મને કંઈક થાય, તો તેણે બધું કરતા પહેલા મન્સૂરની સલાહ લેવી જોઈએ.” આ અંગે પ્રતિક્રિયા આપતા મન્સૂર ખાને કહ્યું, “મને તાજેતરમાં જ આ વિશે ખબર પડી, અને હવે હું ખૂબ પ્રેશરમાં છું.”

ફિલ્મ “એક દિન” વિશે

“એક દિન” ની વાર્તા ઓફિસના સાથીદારો દિનેશ (જુનૈદ) અને મીરા (પલ્લવી) ની આસપાસ ફરે છે. દિનેશ મીરાના ખૂબ પ્રેમમાં છે. જાપાનની ઓફિસ ટ્રીપ દરમિયાન નસીબના ઘંટડી પર તેણીની એક ઇચ્છા પૂર્ણ થાય છે. હકીકતમાં, એક અકસ્માતને કારણે મીરા થોડા સમય માટે તેની યાદશક્તિ ગુમાવી દે છે અને દિનેશને તેનો બોયફ્રેન્ડ માનવા લાગે છે. આખી ફિલ્મ આ વાર્તા પર ટકી છે.