Home Blog Page 1022

ઓમ નમો અરિહંતાણં…,વિશ્વશાંતિ માટે નવકાર મહામંત્રનો વિશ્વવ્યાપી ઉચ્ચાર

આજે વિશ્વભરમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે નવકાર મંત્રના સામૂહિક ઉચ્ચાર દ્વારા એક ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ નોંધાવવામાં આવશે. અમદાવાદના GMDC મેદાન સહિત દેશના અનેક સ્થળોએ 20 હજારથી વધુ લોકોએ આ આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ GMDC ખાતે હાજર રહ્યા હતા. JITO અને જૈન સમાજના સંયુક્ત આયોજનમાં 43 દેશોના 73 ચેપ્ટર અને 13 આંતરરાષ્ટ્રીય ચેપ્ટર સામેલ થયા છે. ભારત અને વિદેશના કુલ 400 સ્થળોએ આ મંત્રોચ્ચારનું આયોજન થયું છે, જેમાં ગુજરાતમાંથી એક લાખથી વધુ લોકો સહભાગી બનશે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં શાંતિની કામના સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં જૈન ધર્મના આ મહામંત્રની શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.

નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ‘નવકાર મહામંત્ર દિવસ’ની ઉજવણીમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી અને અન્ય લોકો સાથે મંત્રનો ઉચ્ચાર કર્યો. તેમણે જણાવ્યું કે, “નવકાર મંત્રનો આ ભવ્ય આયોજન વિકસિત ભારતના સંકલ્પ સાથે સંકળાયેલો છે. આ મંત્ર માત્ર આધ્યાત્મિક શક્તિ જ નથી, પરંતુ તે વ્યક્તિને સ્વથી સમાજ અને સમાજથી વિશ્વ સુધીની યાત્રા શીખવે છે.” તેમણે ઉમેર્યું, “મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે વિકસિત ભારત એટલે વિકાસની સાથે સાંસ્કૃતિક વારસાનું જતન. એક એવું ભારત જે પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શે, પરંતુ પોતાના મૂળથી અલગ નહીં થાય.” પીએમ મોદીએ યાદ કર્યું કે, “થોડા વર્ષો પહેલાં બેંગલુરુમાં પણ મેં આવા સામૂહિક મંત્રોચ્ચારમાં ભાગ લીધો હતો. આજે ફરી એ જ આધ્યાત્મિક અનુભૂતિ થઈ, જે દરેક શબ્દમાંથી પ્રગટે છે. આ મંત્રનું દરેક અક્ષર એક શક્તિશાળી મંત્ર છે.”

પીએમ મોદીએ નવકાર મંત્રના મહત્વ પર પ્રકાશ પાડતાં કહ્યું, “આ મંત્ર ફક્ત શબ્દોનો સમૂહ નથી, તે આપણી આસ્થાનું પ્રતીક છે. તે જીવનની દિશા બતાવે છે અને વ્યક્તિને આંતરિક શુદ્ધિ તરફ લઈ જાય છે. નવકાર મંત્ર એ માનવતા, ધ્યાન અને સાધનાનું પ્રતિબિંબ છે.” તેમણે ઉમેર્યું, “આ મંત્ર આપણને શીખવે છે કે સાચો શત્રુ બહાર નહીં, પરંતુ અંદર છે – નકારાત્મકતા, દ્વેષ અને સ્વાર્થ. આ આંતરિક દુશ્મનોને જીતવામાં જ સાચી સફળતા રહેલી છે.” જૈન ધર્મની આ શિક્ષણ પર ભાર મૂકતાં તેમણે કહ્યું, “જીવનના નવ તત્વોને સમજીને આપણે પૂર્ણતા તરફ આગળ વધીએ છીએ. આપણી સંસ્કૃતિમાં નવનું આગવું સ્થાન છે, અને નવકાર મંત્ર આ નવ તત્વોનું સાર્થક રૂપ છે. તે આપણને પોતાની શક્તિ પર વિશ્વાસ રાખી, આત્મજયનો માર્ગ અપનાવવા પ્રેરે છે.”

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)

પૌઆની સેન્ડવિચ

કોઈવાર બ્રેડનો વધુ ઉપયોગ ન કરવો હોય, તો પૌઆની સેન્ડવિચ બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • પૌઆ 1 કપ
  • રવો 1 કપ
  • દહીં ½ કપ
  • કોબી ઝીણું સમારેલું  ½ કપ
  • ગાજર 1
  • સિમલા મરચું 1
  • બાફેલા મકાઈના દાણા ½ કપ
  • બાફેલા વટાણા ½ કપ
  • લીલા મરચાં 2-3
  • આદુ 1 ઈંચ
  • સમારેલી કોથમીર 1 કપ
  • મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • સેન્ડવિચ મસાલો 1 ટી.સ્પૂન
  • ઈનો ફ્રુટ સોલ્ટ ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ ½ ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • તેલ 1 ટી.સ્પૂન
  • અળદની દાળ 1 ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન

રીતઃ પૌઆને ધોઈને પાણી નિતારીને 2 મિનિટ માટે રાખો. ત્યારબાદ મિક્સીમાં લઈ, તેમાં રવો તથા દહીં મેળવીને ક્રશ કરીને એક વાસણમાં કાઢી લો. તેમાં થોડું પાણી નાખીને થોડું ઢીલું ખીરું બનાવી લો.

તૈયાર ખીરામાં ઝીણાં સમારેલાં કોબી તેમજ સિમલા મરચાં ઉમેરો. ગાજર ખમણીને મેળવો. આદુ તેમજ મરચાં પણ ઝીણાં સમારીને ઉમેરી દો. બાફેલા વટાણા તેમજ મકાઈ દાણા મેળવીને સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચિલી ફ્લેક્સ, સેન્ડવિચ મસાલો તથા સમારેલી કોથમીર મેળવી દો. આ મિશ્રણ 10 મિનિટ માટે રહેવા દો.

10 મિનિટ બાદ તેમાં ઈનો ઉમેરી, ઉપરથી લીંબુનો થોડો રસ મેળવી લો. જો ખીરું ઘટ્ટ હોય તો થોડું પાણી ઉમેરો.

વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં અળદની દાળ થોડી સોનેરી રંગની તળી લીધા બાદ જીરૂ તતળાવીને ગેસ બંધ કરી દો. આ વઘાર સેન્ડવિચ માટેના ખીરામાં મેળવી દો.

ગેસ માટેનું ટોસ્ટર લઈ તેમાં અંદરની બાજુએ તેલ લગાડી લો. આ ખાલી ટોસ્ટર પહેલીવાર ગેસ ઉપર અડધી મિનિટ માટે મૂકીને સહેજ ગરમ કરી લો. હવે આ ટોસ્ટરમાં એક ચમચા વડે પૌઆનું ખીરું અડધું ટોસ્ટર ભરાય એ રીતે ભરી દો (સેન્ડવિચ શેકાયા બાદ ખીરું ફૂલીને બહાર ન આવે તે માટે). ટોસ્ટર બંધ કરીને તેને ગેસની મધ્યમ આંચ ઉપર 1-1 મિનિટ વારાફરતે બંને બાજુએથી શેકી લો. ફરીથી 1-1 મિનિટ બંને બાજુએથી શેકી લો.

4-5 મિનિટ શેકાયા બાદ ગેસ બંધ કરીને ટોસ્ટર થોડું ઠંડું પડે એટલે તવેથા વડે સેન્ડવિચ તેમાંથી બહાર પ્લેટમાં કાઢી લો. આ જ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લો.

તૈયાર પૌઆ સેન્ડવિચ ટોમેટો-કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.

રાની અને તમન્નાને બ્રેક આપનાર ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરનું નિધન

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે તાજેતરમાં જ આ દુનિયાને અલવિદા કહ્યું. મનોજ કુમારના મૃત્યુના આઘાતમાંથી ફિલ્મ ઉદ્યોગ હજુ બહાર આવ્યો નથી અને હવે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના એક દિગ્ગજ ફિલ્મ નિર્માતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. હિન્દી સિનેમામાં રાની મુખર્જી અને તમન્ના ભાટિયા જેવી જાણીતી અભિનેત્રીઓને લોન્ચ કરનાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરનું નિધન થયું છે. સલીમ અખ્તરે 82 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું અને આજે તેમને દફનવિધિ કરવામાં આવશે.

ફિલ્મ નિર્માતાએ 8 એપ્રિલે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સલીમ અખ્તરે ‘કયામત’, ‘ફૂલ ઔર અંગારે’, ‘બાઝી’, ‘બાદલ’, ‘ઇઝ્ઝત’, ‘લોહા’ અને ‘પાર્ટિશન’ સહિત ઘણી લોકપ્રિય અને સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું. પોતાની ફિલ્મો દ્વારા તેમણે મિથુન ચક્રવર્તી, અજય દેવગન, સુનીલ શેટ્ટી અને બોબી દેઓલ જેવા સ્ટાર્સની કારકિર્દીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સલીમ અખ્તર ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતા
સલીમ અખ્તર ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતા અને જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. તેમના સરળ અને સીધા સ્વભાવ માટે જાણીતા સલીમ અખ્તર એક મહાન નિર્માતા હતા અને 1980 અને 1990 ના દાયકા વચ્ચે ઉદ્યોગમાં ખૂબ સક્રિય હતા. તેમના નિર્માણનું નામ ‘આફતાબ પિક્ચર્સ’ છે, જેના બેનર હેઠળ તેમણે ઘણી યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું. તેઓ મુખ્યત્વે હિન્દી સિનેમામાં સક્રિય હતા.

આ અભિનેત્રીઓને લોન્ચ કરવામાં આવી હતી
સલીમ અખ્તરે પોતાની ફિલ્મથી રાની મુખર્જીને પણ લોન્ચ કરી હતી. તેણે ‘રાજા કી આયેગી બારાત’ (1997) માં રાની મુખર્જીને બ્રેક આપ્યો, જેની સાથે રાની હિન્દી સિનેમાની રાણી તરીકે ઉભરી આવી. આ પછી તે ઘણી મોટી ફિલ્મોનો ભાગ રહી. માત્ર રાની જ નહીં, સલીમ અખ્તરે તમન્ના ભાટિયાને પણ હિન્દી સિનેમામાં લૉન્ચ કરી હતી. તમન્ના સલીમ અખ્તરના પ્રોડક્શન હેઠળ બનેલી ‘ચંદા સા રોશન ચેહરા’માં જોવા મળી હતી.

સલીમ અખ્તર મુખ્યત્વે હિન્દી સિનેમામાં સક્રિય હતા. તેમના લગ્ન શમા અખ્તર સાથે થયા હતા. આજે, એટલે કે 9 એપ્રિલના રોજ બપોરે 1.30 વાગ્યે, ઝોહરની નમાઝ પછી,ઇરલા મસ્જિદ પાસે તેમની દફનવિધિ કરવામાં આવશે. બીજી તરફ, તેમના નિધનના સમાચારથી ઉદ્યોગ પણ શોકમાં છે. સલીમ અખ્તરના નિધન પર સોશિયલ મીડિયા દ્વારા ઘણા સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો.

ગરમીથી રાહત માટે AMCનો ‘હીટ એક્શન પ્લાન’, ઠેર-ઠેર પાણીના પરબ શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીથી નગરજનોને રાહત આપવા હીટ એક્શન પ્લાન હેઠળ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. NGO અને બિલ્ડરોના સહકારથી શહેરમાં 600થી વધુ પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા છે, જેથી લોકોને પીવાનું શુદ્ધ પાણી સરળતાથી મળી રહે. આ ઉપરાંત, ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને શહેરના આશરે 70 ટ્રાફિક જંકશનો બપોરના તીવ્ર ગરમીના સમયે બંધ રાખવામાં આવ્યા છે, જેથી ટ્રાફિક પોલીસ અને રાહદારીઓને ગરમીની અસરથી બચાવી શકાય.

મ્યુનિસિપલ સ્કૂલોમાં સમયસર ફેરફાર કરીને દર દોઢ કલાકે પાણી પીવા માટે ખાસ બેલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. શહેરની મુખ્ય હોસ્પિટલો જેમ કે શારદાબેન, LG, SVP, VS અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં ગરમીથી પીડાતા દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 100થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લઈને આ યોજનાને સફળ બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

મેયરે બિલ્ડરોને સૂચના આપી કે બાંધકામ સ્થળોએ કામદારોને વહેલી સવારે અને સાંજે કામ આપવું, જેથી ગરમીની અસર ઘટે. અધિકારીઓને એવું પણ કહેવામાં આવ્યું કે પાણીની પરબો કે અન્ય સુવિધાઓ માટે NGOને સંપૂર્ણ સહયોગ આપવો, અને દરેક વોર્ડમાં ઓછામાં ઓછી 25 પાણીની પરબો શરૂ થાય તેની ખાતરી કરવી. આ સાથે, UHC દ્વારા સામાજિક સંસ્થાઓને મફત ORS પેકેટ્સ આપવામાં આવશે, તેમજ BRTS અને AMTS ડેપો પર પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

નર્સિંગ હોમમાં લાગી ભીષણ આગઃ 20 લોકો જીવતા ભૂંજાયા

નવી દિલ્હીઃ ઉત્તર ચીનમાં આવેલા એક નર્સિંગ હોમમાં આગ લાગવાથી 20 લોકોનાં મોત થયાં હતાં. જોકે હજુ સુધી આગ કેમ લાગી તેનું કારણ જાણી શકાયું નથી. ગઈ કાલે હેબેઇ પ્રાંતના ચેંગડે શહેરમાં સ્થિત એક નર્સિંગ હોમમાં સ્થાનિક સમયાનુસાર રાત્રે નવ વાગ્યે આગ લાગી હતી, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.

શિન્હુઆએ જણાવ્યું હતું કે આઠ એપ્રિલે રાત્રે 9 વાગ્યે હેબેઈ પ્રાંતમાં ચેંગડે શહેર સ્થિત એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. નર્સિંગ હોમમાં આગ લાગ્યા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ કુલ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં તેની ચોક્કસ માહિતી સામે નથી આવી. જોકે, અત્યાર સુધી 20 લોકોના આગમાં બળીને મોત થયાની માહિતી સામે આવી છે.

ફાયરની ટીમ દ્વારા હજુ આગ લાગવાના કારણ વિશે તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.

સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ, ક્યા ઠરાવને મંજૂરી અપાશે તેના પર સૌની નજર

અમદાવાદ: 64 વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન રાજ્યમાં મળી રહ્યું છે. મંગળવારે સરદાર સ્મારકમાં CWCની બેઠક અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજાયા બાદ આજે સાબરમતીના તટે દેશભરના કોંગ્રેસીઓ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરવા માટે ભેગા થયા છે. રાષ્ટ્રીય અધિવેશનમાં એક બાદ એક ઠરાવ પર ચર્ચા કરવામાં આવશે. રાહુલ ગાંધીએ 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યારે આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે.આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસના નેતા જયરામ રમેશ, પ્રભારી મુકુલ વાસનિક સહિતના નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના કુલ 140થી વધારે લોકો સ્ટેજ ઉપર હાજર છે.

કાર્યક્રમ શરૂ થતાં પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે તેમની સાથે CPP અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ ગુજરાત કોંગ્રેસના નેતા અને મોટી સંખ્યામાં CWC સભ્યો પણ હાજર રહ્યા.

અશોક ગેહલોતે જણાવ્યું કે ગઇકાલે CWC બેઠકમાં જે પ્રસ્તાવ નક્કી કરાયા હતા તે આજે અધિવેશનમાં પણ મૂકવામાં આવશે. પ્રસ્તાવ નક્કી થશે. અધિવેશનને લઈને કોંગ્રેસમાં ઉત્સાહ છે. કોંગ્રેસનો બીજો વિકલ્પ નથી, લોકોને પણ કોંગ્રેસ જ જોઈએ છે.

RBIએ આપી મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો

મુંબઈ: ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે આખી દુનિયામાં અફળાતફળી જેવો માહોલ સર્જાયો છે. દુનિયાભરના માર્કેટ તૂટી રહ્યા છે. ત્યારે RBIએ મોનિટરી પોલિસીની મહત્ત્વપૂર્ણ બેઠકમાં મોટો નિર્ણય લેતાં રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને મોટી રાહત આપી છે.

હવે રેપો રેટ 6% 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આ જાહેરાત સાથે જ રેપો રેટ હવે 6.25% થી ઘટીને 6 % થઈ ગયો છે.   એટલે કે હવે આવનારા દિવસોમાં લોન સસ્તી થશે અને EMIમાં પણ ઘટાડો નોંધાશે. આ માહિતી RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી હતી.ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો

ચાલુ વર્ષે સતત બીજી વખત RBIએ રેપો રેટમાં ઘટાડો કરીને સૌને ચોંકાવી દીધા છે. અગાઉ 2024-25ની છેલ્લી ફાયનાન્શિયલ મીટિંગમાં RBIએ આ રીતે જ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત ફેબ્રુઆરી મહિનામાં કરી હતી. ત્યારે 6.50% થી રેપો રેટને ઘટાડીને 6.25% પર લાવી દેવામાં આવ્યો હતો. આ ઘટાડો લગભગ પાંચ વર્ષ બાદ કરવામાં આવ્યો હતો.

રેપો રેટ ઘટાડતાં શું ફેરફાર થશે? 

રેપો રેટમાં ઘટાડો થતાં બેન્કો પણ હાઉસિંગ અને ઓટો જેવી લોન સામેના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વ્યાજદરો ઘટશે તો હાઉસિંગની ડિમાન્ડ વધશે અને મોટાભાગના લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થશે.

ઘરમાં મળ્યો 500ની નોટોનો ઢગલો: નોટો અસલી કે નકલી? તપાસમાં શું સામે આવ્યું ?

કર્ણાટક: ઉત્તર કન્નડ જિલ્લાના દાંડેલી શહેરમાં એક ઘરમાંથી ₹500ની નોટો મોટી સંખ્યામાં મળી આવતા હંગામો મચી ગયો. શરૂઆતમાં, આ નોટો નકલી ચલણી નોટો લાગતી હતી. જેના કારણે આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસે ખાસ ઇનપુટના આધારે આ દરોડો પાડ્યો હતો, પરંતુ જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે વાત કંઈક બીજી જ નીકળી.મળતી માહિતી મુજબ, આ મામલો ગાંધીનગર વિસ્તારનો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે જે નોટોને નકલી ચલણ તરીકે ગણવામાં આવી રહી હતી, તેના પર ન તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નું સીલ હતું અને ન તો RBI ગવર્નરની સહી. આ કારણે પોલીસને શંકા હતી કે આ ચલણ અસલી કે નકલી ન હોઈ શકે.

તપાસ દરમિયાન, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નોટની પાછળ સ્પષ્ટપણે લખ્યું હતું કે તેનો ઉપયોગ ફક્ત ફિલ્મ શૂટિંગ માટે જ થઈ શકે છે. આ સિવાય આ નોટો પર કોઈ સિરિયલ નંબર નથી. નકલી ચલણ પર એક સિરિયલ નંબર હોય છે. આવી સ્થિતિમાં, તેને હજુ સુધી નકલી નોટ કહી શકાય નહીં. છતાં, આ મામલાની તપાસ ચાલી રહી છે.આ બાબતની માહિતી મળતાં પોલીસે તાત્કાલિક ઘરમાં રહેતા ભાડૂઆતને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે આ નોટો ક્યાંથી લાવવામાં આવી હતી, કયા હેતુ માટે જમા કરવામાં આવી હતી અને તેની પાછળનો હેતુ શું હતો. સ્થાનિક લોકોમાં આ ઘટના અંગે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, આ નોટોનો ઉપયોગ ફક્ત શૂટિંગના પ્રોપ્સ તરીકે થતો હોય તેવું લાગે છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ નોટોનો ઉપયોગ કોઈ છેતરપિંડી કે ખોટા ઈરાદા માટે થવાનો હતો.

50 વર્ષમાં પ્રથમ વાર, પાકિસ્તાને વૈશાખી પર 6,700થી વધુ ભારતીયોને વિઝા આપ્યા

નવી દિલ્હી: પાકિસ્તાન સરકારે છેલ્લા 50 વર્ષમાં પહેલી વાર 14 એપ્રિલે વૈશાખીના ધાર્મિક તહેવાર માટે 6,700થી વધુ ભારતીય શીખ યાત્રાળુઓને વિઝા આપ્યા છે. મંગળવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી.‘પાકિસ્તાન-ભારત ધાર્મિક પ્રોટોકોલ કરાર 1974’ હેઠળ, કોઈપણ ધાર્મિક તહેવાર માટે વધુમાં વધુ 3,000 શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન આવવાની મંજૂરી છે. પરંતુ આ વખતે પાકિસ્તાન સરકારે કુલ 6,751 વિઝા જારી કર્યા છે, એટલે કે, નિર્ધારિત સંખ્યા કરતાં 3,751 વધુ વિઝા આપવામાં આવ્યા છે.

આ વધારાના વિઝા ધાર્મિક બાબતોના મંત્રાલય અને ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)ની ચોક્કસ વિનંતી પર જારી કરવામાં આવ્યા છે. ETPBના અધિક સચિવ સૈફુલ્લાહ ખોખરે આ માહિતી આપી. ભારતમાંથી શીખ શ્રદ્ધાળુઓ શીખ નવું વર્ષ અને ખાલસા પંથની સ્થાપનાના તહેવારની ઉજવણી કરવા માટે 10 એપ્રિલે વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન પહોંચશે.
આ તહેવાર ગુરુદ્વારા નાનકાના સાહિબમાં ઉજવવામાં આવશે

ખોખરે કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાન સરકારે નિર્ધારિત સંખ્યા કરતાં વધુ યાત્રાળુઓને વિઝા આપ્યા છે. બૈસાખીનો મુખ્ય કાર્યક્રમ 14 એપ્રિલે ગુરુદ્વારા જન્મસ્થાન, નનકાના સાહિબ ખાતે યોજાશે. તેમણે કહ્યું, ‘પાકિસ્તાન શીખો માટે બીજા ઘર જેવું છે.’ અમે બધા ભક્તોનું દિલથી સ્વાગત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. પહેલા આ મુખ્ય કાર્યક્રમ હસન અબ્દાલના ગુરુદ્વારા પંજા સાહિબમાં થતો હતો, પરંતુ આ વખતે ભક્તોની સંખ્યામાં વધારાને કારણે, નાનકાના સાહિબની પસંદગી કરવામાં આવી છે.