Home Blog Page 103

સુરતમાં ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ઉજવણી

સુરત: ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શહેરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ દ્વારા અદ્દભુત પ્રદર્શન – ‘ભવ્ય મશાલ પી.ટી ટોર્ચ લાઈટ ડ્રિલ યોજાઈ હતી. જેમાં પોલીસ જવાનોએ સાહસિક કરતબો રજૂ કરી શૌર્ય, શિસ્ત, એકાગ્રતા તેમજ શારીરિક સજ્જતા અને ક્ષમતાનું પ્રદર્શન કરી સુરતવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહી પોલીસ જવાનોના અદભૂત કરતબો નિહાળી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત પોલીસ બેન્ડના સુમધુર અને જોશીલા સૂરો સાથે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ જમીર, જેસીપી (ક્રાઈમ) કરણરાજ વાઘેલા, ટ્રાફિક જેસીપી સજ્જનસિંહ તેમજ સેક્ટર-1 અને સેક્ટર-2ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી. સંદીપ દેસાઈ, સંગીતાબેન પાટીલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં સુરતના નગરજનોએ આ ઉત્સવનો આનંદ માણ્યો હતો.પોલીસ જવાનોના અવનવા કરતબો

ચેતક કમાન્ડોએ રજૂ કરેલો ‘બસ હાઈજેક’ ડેમો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ચેતક કમાન્ડોએ અત્યંત કુશળતાપૂર્વક આતંકવાદી સંગઠનો સામે કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવે છે તેનું જીવંત પ્રદર્શન કરી લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો હતો. ત્યારબાદ અમદાવાદ જીપકા ટ્રેનિંગ સેન્ટરના ૩૦૦ પોલીસ જવાનોએ હાથમાં સળગતી મશાલ લઈ ‘મશાલ પી.ટી.’ રજૂ કરી હતી. અંધકારમાં મશાલના પ્રકાશ સાથે જવાનોએ ‘નો ડ્રગ્સ’, ‘જય તાપી’, ‘ગુજરાત પોલીસ’ અને ‘જય હિંદ’ જેવી આકૃતિઓ તેમજ પગથિયાં અને તોરણની રચના કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મશાલ સાથે ગરબાના તાલ પર ઝૂમતા જવાનોએ સુરતવાસીઓને ડોલાવ્યા હતા.સુરત પોલીસના ૧૭ અશ્વ સવાર જવાનોએ અશ્વ દોડ અને વિવિધ કરતબો રજૂ કર્યા હતા. સુરતના નાગરિકોએ પોલીસ દળની આ શિસ્ત, સાહસ અને કળાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. સમગ્ર કાર્યક્રમે સુરત પોલીસની સજ્જતા, ક્ષમતા, જનસુરક્ષાની પ્રતિબદ્ધતા અને દેશભક્તિના દર્શન કરાવ્યા હતા.

શ્રેયસ ઐયર બન્યા ભારતના પ્રથમ ઓફિશિયલ Formula 1® પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર

અમદાવાદ: ભારતમાં મોટરસ્પોર્ટ્સના શોખીનો અને ગેમિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ (MFRL) દ્વારા ભારતના પ્રથમ અધિકૃત Formula 1® પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ચહેરા તરીકે ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરની પસંદગી કરવામાં આવી છે.

F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026

મુંબઈ ફાલ્કન્સને સત્તાવાર Formula 1® દ્વારા માન્યતા પ્રાપ્ત ‘સિમ રેસિંગ’ સ્પર્ધા આયોજિત કરવાનો અધિકાર મળ્યો છે. આ અંતર્ગત ‘F1® સિમ રેસિંગ ઈન્ડિયા ઓપન 2026’ યોજાશે, જે દેશના ખૂણે-ખૂણેથી રેસિંગ પ્રતિભાઓને શોધીને તેમને વૈશ્વિક મંચ પૂરો પાડશે.

કેમ શ્રેયસ ઐયરની પસંદગી કરવામાં આવી?

શ્રેયસ ઐયર માત્ર મેદાન પર જ નહીં, પણ મેદાન બહાર પણ યુવા પેઢીમાં લોકપ્રિય છે. તેમની શિસ્ત, નેતૃત્વ ક્ષમતા અને ડિજિટલ યુગના યુવાનો સાથેના જોડાણને કારણે તે આ પ્રોગ્રામ માટે શ્રેષ્ઠ પસંદગી સાબિત થયા છે.

પોતાની નવી ભૂમિકા વિશે શ્રેયસ ઐયરે જણાવ્યું હતું કે, “આ એવી પહેલ છે જેનો હું બાળપણમાં ભાગ બનવા માંગતો હતો. મુંબઈ ફાલ્કન્સ જે રીતે યુવાનો માટે ભવિષ્યનો માર્ગ તૈયાર કરી રહી છે, તેનો ભાગ બનતા મને ગર્વ છે.”

કઈ રીતે રમાશે આ ચેમ્પિયનશિપ?

ગેમ પ્લેટફોર્મ: આ સ્પર્ધા F1® 25 (સત્તાવાર FIA Formula 1® World Championship™ ગેમ) પર રમાશે.

ડિવાઈસ: સ્પર્ધકો PC, પ્લેસ્ટેશન 5 અને એક્સબોક્સ (Xbox) દ્વારા ભાગ લઈ શકશે.

પ્રોસેસ: શરૂઆતમાં ઓનલાઈન ક્વોલિફાયર રાઉન્ડ થશે, ત્યારબાદ શહેર આધારિત સિમ્યુલેટર રાઉન્ડ અને અંતે નવેમ્બરમાં મુંબઈમાં ગ્રાન્ડ ફાઈનલ યોજાશે.

નોંધણી (Registration) ક્યારથી શરૂ થશે?

આ સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન 30 એપ્રિલ, 2026થી શરૂ થઈ ચૂક્યા છે. રસ ધરાવતા યુવાનો MFRL એપ (પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ) દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે.

મુંબઈ ફાલ્કન્સના મેનેજિંગ ડિરેક્ટર અમિત ગઢોકે આ અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, ભારત પાસે વિશ્વ સ્તરની રમતગમત પ્રતિભાઓ છે અને આ પ્લેટફોર્મ તેમની ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે.

પાસપોર્ટ વિવાદ: પવન ખેડાને સુપ્રીમમાંથી મળ્યા શરતી જામીન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા પવન ખેડાને જાલસાજી અને માનહાનિ કેસમાં મોટી રાહત આપતાં તેમના આગોતરા જામીન (anticipatory bail) મંજૂર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે કેસની તપાસ ચાલુ રહી શકે છે, પરંતુ ધરપકડ કરવાની જરૂરિયાત પર સંતુલન જાળવવું જરૂરી છે. આ નિર્ણયથી હાલ માટે ખેડાની ધરપકડ પર સ્ટે લાગી ગયો છે. આસમ પોલીસે તેમના વિરુદ્ધ જાલસાજી અને માનહાનિનો કેસ નોંધ્યો હતો. ગુરુવારે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આસમ પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં પવન ખેડા પર આપત્તિજનક નિવેદનો અને દસ્તાવેજોમાં ગેરરીતિના આરોપો લગાવવામાં આવ્યા હતા. અગાઉથી જામીન આપતાં કોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ નજરે આ મામલો રાજકીય સ્પર્ધાથી પ્રભાવિત લાગે છે અને આવા કેસોમાં વ્યક્તિગત સ્વતંત્રતાને પ્રાથમિકતા આપવી જોઈએ.

હાઇકોર્ટનો આદેશ પલટાયો

ગૌહાટી હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ ખેડાએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. સુપ્રીમે હાઇકોર્ટનો આદેશ રદ કરતાં કહ્યું હતું કે ઉપલબ્ધ તથ્યો અને પરિસ્થિતિઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નહોતું.

રાજકીય ટકરાવ

કોર્ટે  આદેશમાં જણાવ્યું કે આ કેસમાં લગાવવામાં આવેલા આરોપો અને તેના જવાબમાં આપવામાં આવેલા જાહેર નિવેદનો દર્શાવે છે કે વિવાદમાં રાજકીય તત્ત્વ મુખ્ય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ફોજદારી પ્રક્રિયાનો ઉપયોગ ‘રાજકીય પ્રતિસ્પર્ધાના સાધન’ તરીકે થવો જોઈએ નહીં.

કોર્ટે માન્યું હતું કે કેસ મુખ્યત્વે દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત છે, જે પહેલેથી તપાસ એજન્સી પાસે ઉપલબ્ધ છે. તેથી કસ્ટડીમાં પૂછપરછની જરૂરિયાત નથી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આરોપીની હાજરી કસ્ટડી વિના પણ સુનિશ્ચિત કરી શકાય છે.જામીન સાથે કડક શરતો

* તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે

* પોલીસ બોલાવે ત્યારે હાજર રહેવું ફરજિયાત રહેશે

ભારતી સિંહ અને શેખર સુમનને હાઈકોર્ટથી રાહત, FIR રદ

ભારતી સિંહ અને શેખર સુમન પર 2010 માં ‘કોમેડી સર્કસ કા જાદુ’શોમાં વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે હવે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે.

 

બોમ્બે હાઈકોર્ટે બુધવારે હાસ્ય કલાકાર ભારતી સિંહ અને અભિનેતા શેખર સુમન સામે કોમેડી શો દરમિયાન ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપમાં દાખલ કરાયેલી FIR રદ કરી હતી. કોર્ટે બંનેને રાહત આપતા કહ્યું હતું કે હાસ્ય પ્રદર્શનને ગંભીર ભાષણો જેવા જ ધોરણો સામે માપવા જોઈએ નહીં.

કયા કેસમાં FIR દાખલ કરવામાં આવી હતી?

2010 માં કોમેડી સર્કસ કા જાદુ શો પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી. હાસ્ય કલાકાર અને અભિનેતા ઉપરાંત સોની અને એક પટકથા લેખકનું પણ આરોપી તરીકે નામ આપવામાં આવ્યું હતું. રઝા એકેડેમીના પ્રતિનિધિની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે સિંહે શોમાં કુરાનની એક શ્લોકની મજાક ઉડાવી હતી, જે ઇસ્લામ માટે અપમાનજનક માનવામાં આવતી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, સુમને પણ સિંહ પછી શ્લોકનું પુનરાવર્તન કર્યું હતું.

બચાવ પક્ષના વકીલની દલીલ

હાસ્ય કલાકાર અને અભિનેતાનું પ્રતિનિધિત્વ કરતા નીતિન પ્રધાને કોર્ટમાં દલીલ કરી હતી કે બંને સામેની પોલીસ તપાસ સંપૂર્ણપણે પાયાવિહોણી છે, કારણ કે તેઓ ફક્ત ન્યાયાધીશ અને અભિનેતા તરીકેની ભૂમિકા ભજવી રહ્યા હતા.

ન્યાયાધીશનું નિવેદન

જસ્ટિસ અમિત બોરકરની સિંગલ બેન્ચે FIR રદ કરી. તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોમાં કલાકારો અને ન્યાયાધીશો લોકોને હસાવવા માટે હોય છે. તેઓ કોઈપણ ધાર્મિક જૂથ વિરુદ્ધ નિવેદનો આપતા વક્તાઓની સ્થિતિમાં નથી. કોર્ટે જણાવ્યું હતું કે બંનેની ભૂમિકા એટલી દૂરની હતી કે તેમને ફરિયાદી દ્વારા કથિત ગુનાઓના દાયરામાં લાવી શકાય નહીં.

 

LPGની કિંમતો વધતાં કોંગ્રેસનો ભાજપ પર હુમલો

નવી દિલ્હીઃ દેશમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયેલા અચાનક વધારો લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. મણિકમ ટાગોરે આ મુદ્દે કેન્દ્ર સરકારને નિશાન બનાવતાં કહ્યું કે આ વધારો ચૂંટણી પૂર્ણ થતાં જ કરવામાં આવ્યો છે, જે એક વિચારીને બનાવેલી વ્યૂહરચના જેવો લાગે છે. તેમણે તેને સંયોગ નહીં, પરંતુ એક પેટર્ન ગણાવ્યો છે.

વાસ્તવમાં, પહેલી મેથી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેને પરિણામે દિલ્હીમાં તેની કિંમત વધીને 3071.50 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત પાંચ કિલોના ફ્રી ટ્રેડ LPG સિલિન્ડરના ભાવમાં પણ આશરે 261 રૂપિયાનો વધારો થયો છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે 29 એપ્રિલે મતદાન થયું અને તેના તરત પછી પહેલી મેએ ભાવ વધારી દેવામાં આવ્યા. તેમના કહેવા મુજબ ચૂંટણી પહેલા ભાવ વધારવામાં આવ્યા નહોતા, પરંતુ મતદાન પૂર્ણ થતાં જ આ નિર્ણય લેવામાં આવ્યો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેની સીધી અસર નાના વેપારીઓ પર પડશે, જેમ કે હોટેલ, ઢાબા, ચાની દુકાનો અને અન્ય નાના વ્યવસાયો. ટાગોરના જણાવ્યા મુજબ જ્યારે કોમર્શિયલ ગેસના ભાવ વધે છે ત્યારે નાના દુકાનદારોને પણ ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધારવા પડે છે, જેનાથી સામાન્ય લોકો પર પણ અસર પડે છે. આ કારણે મોંઘવારી વધવાની શક્યતા છે.

બીજી તરફ, નિષ્ણાતો માને છે કે ગેસના ભાવમાં આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા ઉતાર-ચઢાવને કારણે થયો છે. તાજેતરમાં પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે કાચા તેલના ભાવ વધી રહ્યા છે. ભારત પોતાની ગેસની જરૂરિયાતનો મોટો ભાગ વિદેશમાંથી આયાત કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય ભાવોમાં થતા ફેરફારોનો અસર અહીં પણ જોવા મળે છે.

સરકારે હાલમાં ઘરેલુ ગેસના ભાવ સ્થિર રાખ્યા છે, જેથી સામાન્ય ઘરોને રાહત મળી છે. પરંતુ કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થતાં નાના વેપારીઓ અને ગ્રાહકો પર તેનો અસર સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે.

વાસ્તુ: સાચા શિક્ષણ માટે સાચો માર્ગ જરૂરી

શું તમારા ઘરમાં પૈસા ટકતા નથી? શું તમારા બાળકો સારું ભણતા નથી? શું તમારું મન સતત વિચારોમાં અટવાયેલું રહે છે? શું તમને હંમેશાં કોઈને કોઈ ચિંતા સતાવતી રહે છે? શું તમારા ઘરમાંથી બીમારીઓ જતી નથી?

તો સમજવું જોઈએ કે તમારા જીવનમાં નકારાત્મકતા પ્રવેશી ગઈ છે. આવા સંજોગોમાં માત્ર રીલ્સ જોઈને નિર્ણય લેવો એ પડોશીની સલાહ લઈને હૃદયનું ઓપરેશન કરાવવું જેટલું ખતરનાક છે.

પોપટની જેમ શ્લોક બોલતા લોકો પણ ઘણી વાર તેનો સાચો અર્થ સમજતા નથી. તો આખું શાસ્ત્ર કોઈ સંસ્થામાં સહેલાઈથી કેવી રીતે શીખી શકાય? એક જ સંસ્થામાંથી પાસ થયેલા બધા વિદ્યાર્થીઓનું જ્ઞાન સમાન નથી હોતું. તો રીલ્સ બનાવનારા દરેક વ્યક્તિનું જ્ઞાન કેવી રીતે ચકાસી શકાય?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો નીચે જણાવેલ ઈમેઈલ પર મોકલી શકો છો.

પ્રશ્ન: હું એક જાણીતી સંસ્થામાં વિદ્યાર્થી છું. અમારે દર વર્ષે એક ઇલેક્ટિવ વિષય પસંદ કરવો પડે છે. મારા મમ્મીએ લિસ્ટ જોઈને મને વાસ્તુશાસ્ત્ર લેવાનું કહ્યું. અમારા મેડમ અને મારા મમ્મી બંનેએ રીલ્સ જોઈને શીખવાનું સૂચન કર્યું. સેમેસ્ટર પૂર્ણ થયા બાદ મૌખિક પરીક્ષા આવી. બહારથી એક નિષ્ણાત આવ્યા હતા. તેમણે પૂછ્યું કે તમે કયો સંદર્ભ (reference) લીધો છે? અમે ગર્વથી કહ્યું કે અમે રીલ્સ જોઈને ભણ્યા છીએ.

તેમને આઘાત લાગ્યો. તેમણે જે વાતો કરી તે અમે ક્યાંય સાંભળી નહોતી. ત્યારે સમજાયું કે વાસ્તુશાસ્ત્ર કેટલું ઊંડું અને ગંભીર વિષય છે. અમને આપણા પર શરમ આવી અને મેડમ પર ગુસ્સો પણ આવ્યો. મેડમ ત્યારથી ફોન પણ નથી ઉઠાવતા. તે નિષ્ણાતે કહ્યું કે જો અમારે મૂળભૂત જ્ઞાન મેળવવું હોય તો યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. તેમણે તમારું નામ સૂચવ્યું. હવે હું સાચે જ આ વિષય શીખવા માંગું છું. મેં અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચી દીધા છે, પણ સાચું જ્ઞાન મળ્યું નથી. માત્ર સર્ટિફિકેટ આપવાની વાત થાય છે, ભણાવવામાં ધ્યાન નથી. કૃપા કરીને માર્ગદર્શન આપશો.

જવાબ: આજકાલ પેપર આપ્યા વિના પાસ કરાવી દેવા, ઓછી લાયકાતવાળા શિક્ષકો રાખીને સંસ્થાઓ ચલાવવી અથવા સરળતાથી ડિગ્રી આપી દેવી – આ બધું સામાન્ય બની ગયું છે. આવા વાતાવરણમાં લોકો વિચારતા નથી કે જ્ઞાન વિના ડિગ્રી માત્ર કાગળનો ટુકડો છે.

કોઈપણ વિષય શીખવા માટે સૌપ્રથમ પ્રશ્ન પૂછવો જોઈએ – “આ વિષય શું છે?” અને “હું શા માટે શીખવા માંગું છું?” આ વિષય કોઈ ફેશન નથી કે સર્ટિફિકેટ લઈને બતાવી દેવું. તમારા કેસમાં પણ એવું જ થયું છે – જેમને વિષયનું જ્ઞાન નથી, તેઓએ જ શીખવવાનો પ્રયાસ કર્યો.

સૌપ્રથમ ગ્રંથો વાંચો. યોગ્ય ગુરુ પાસે જ શીખો, કારણ કે કેટલીક વિદ્યાઓ ગુરુ વિના પ્રાપ્ત થતી નથી. જો મારી પાસે શીખવા ઈચ્છો તો મારી શરતો કઠોર હશે. સમય, સમર્પણ અને યોગ્યતા – આ બધું મહત્વનું છે. શાસ્ત્રો રટવાના વિષય નથી, સમજવાના વિષય છે, એટલે સમય તો લાગશે જ. રંગીન પ્રેઝન્ટેશન અને આકર્ષક ભાષણ કરતાં, જ્ઞાન, સહજતા અને સ્પષ્ટ અભિવ્યક્તિ ધરાવતા ગુરુની પસંદગી કરવી. ભરેલો ઘડો ક્યારેય અવાજ કરતો નથી. અને જો તમે સન્માન આપી શકો, તો જ ગુરુ પાસે જવું.

સૂચન: જ્યાં વધુ દેખાડો હોય છે, ત્યાં કંઈક છુપાવવાની વૃત્તિ હોવાની શક્યતા વધારે હોય છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

કાઉન્ટિંગ પહેલાં TMCનો ભાજપ, ચૂંટણી પંચ પર સાઠગાંઠનો આક્ષેપ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે સૌની નજર ચોથી મેનાં પરિણામો પર ટકી છે. એદરમિયાન TMC એ એક કથિત CCTV વિડિયો જાહેર કરીને ભાજપ અને ચૂંટણી પંચ પર સાઠગાંઠના આક્ષેપ કર્યા હતા. તેના તરત બાદ ચૂંટણી પંચે આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢતાં કહ્યું હતું કે તમામ સ્ટ્રોંગરૂમ સંપૂર્ણ સુરક્ષિત અને સીલ છે.

કાઉન્ટિંગ પહેલાં વિવાદ

TMC નું કહેવું છે કે ભાજપ અને ચૂંટણી પંચે નિયમોનો ભંગ કરીને કોઈ પણ પક્ષના પ્રતિનિધિઓની હાજરી વગર બેલેટ બોક્સ ખોલ્યા છે. TMC એ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક કથિત વિડિયો પણ શેર કર્યો છે, જેમાં ધોળેદહાડે લોકશાહીની હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

TMCએ ગંભીર આક્ષેપો કર્યા

TMCના ઉમેદવાર કુણાલ ઘોષ અને શશિ પાંજાએ ગુરુવારે ખુદીરામ અનુશીલન કેન્દ્રમાં અનિયમિત પ્રવૃત્તિઓના આક્ષેપ સાથે ધરણાં કર્યાં. TMC ના નેતાઓ EVM સ્ટ્રોંગરૂમની બહાર ધરણાં પર બેઠા. કુણાલ ઘોષે જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યકરો અને સમર્થકો બપોરે 3:30 વાગ્યા સુધી સ્ટ્રોંગરૂમની બહાર હાજર હતા. અચાનક એક ઈમેલ આવ્યો કે સ્ટ્રોંગરૂમ સાંજે ચાર વાગ્યે ફરી ખોલવામાં આવશે. અમે અમારા કાર્યકરોનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું હતું કે કે તેઓ ત્યાંથી જઈ ચૂક્યા છે. ત્યાર બાદ અમે તરત જ ત્યાં પહોંચ્યા, પરંતુ હવે અમને અંદર જવા દેવામાં આવતા નથી. ભાજપના કાર્યકરોને બોલાવવામાં આવી રહ્યા છે.

EC એ સ્પષ્ટતા કરી

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ખુદીરામ અનુશીલન કેન્દ્ર પરિસરમાં સાત વિધાનસભા વિસ્તારો માટે સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યા છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ સ્ટ્રોંગરૂમ ઉમેદવારો, તેમના એજન્ટો અને સામાન્ય નિરીક્ષકની હાજરીમાં યોગ્ય રીતે બંધ અને સીલ કરવામાં આવ્યા હતા. અંતિમ સ્ટ્રોંગરૂમ સવારે લગભગ 5:15 વાગ્યે સીલ થયો હતો.

EVM સંપૂર્ણ સુરક્ષિત

ચૂંટણી પંચના જણાવ્યાનુસાર જ્યાં EVM રાખવામાં આવ્યાં છે તે બધા સ્ટ્રોંગરૂમ સંપૂર્ણ સુરક્ષિત અને સીલ છે. તે જ પરિસરમાં પોસ્ટલ બેલેટ માટે અલગ સ્ટ્રોંગરૂમ છે, જ્યાં પોલિંગ કર્મચારીઓ અને ETBPS દ્વારા મળેલા મતપત્રોને વિધાનસભા ક્ષેત્રવાર સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

ફરી મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, 19kg ગેસના બાટલામાં 993 રૂપિયા વધ્યા

નવી દિલ્હી: દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે, 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.આ વધારા બાદ, દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ હવે ₹3,000 ને વટાવી ગયો છે. જોકે, તેલ કંપનીઓએ ઘરેલુ (14.2 કિલો) સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો નથી, જેનાથી જનતાને રાહત મળી છે. 19 કિલોના સિલિન્ડરના ભાવ વધારા પછી, દિલ્હીમાં એક કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,071.50 પર પહોંચી ગયો છે, જે 1 એપ્રિલના રોજ ₹2,078.50 હતો. આનો અર્થ એ થયો કે 1 મેથી એક સિલિન્ડરનો ભાવ ₹993 વધ્યો છે. આ વધારાથી દેશભરમાં હોટલ અને રેસ્ટોરન્ટના બિલમાં વધારો થશે. અન્ય ખાદ્ય ચીજોના ભાવ પણ વધી શકે છે. વધુમાં, સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે. ચાથી લઈને સમોસા સુધીની દરેક વસ્તુના ભાવ વધી શકે છે.

જબલપુરના બરગી ડેમમાં પર્યટકો સાથે ક્રૂઝ ડૂબ્યું, 9ના મૃતદેહ મળ્યા

મધ્યપ્રદેશ: જબલપુરમાં બરગી ડેમ ખાતે ક્રુઝ શિપ અકસ્માત આઘાતજનક છે. નર્મદા નદીના બેકવોટરમાં ભારે પવન અને ઊંચા મોજા વચ્ચે પ્રવાસીઓને લઈ જતું એક ક્રુઝ શિપ અચાનક ડૂબી ગયું. અત્યાર સુધીમાં નવ મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 23 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુ:ખદ અકસ્માતે ઘણા પરિવારોને ઘેરા આઘાતમાં મૂકી દીધા છે.

દિલ્હીના રહેવાસી પ્રદીપ કુમાર કોઈક રીતે આ અકસ્માતમાં બચી ગયા, પરંતુ તેમની પત્ની અને ચાર વર્ષનો પુત્ર હજુ પણ ગુમ છે. પ્રદીપે અકસ્માતની ભયાનક વાર્તા સંભળાવી અને ક્રૂઝ મેનેજમેન્ટ પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે ક્રૂઝ પર સલામતી વ્યવસ્થા ઓછી હતી. બે ક્રૂ સભ્યો હાજર હતા, પરંતુ જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે તેઓએ મુસાફરોને તેમના પોતાના હાલ પર છોડી દીધા.

ક્રૂઝ પર સવાર લોકોના કહેવા મુજબ, કોઈએ પણ લાઈફ જેકેટ પહેર્યુ ન હતું. ક્રૂઝ ડૂબવા લાગ્યું ત્યારે બધા લાઈફ જેકેટ પહેરવા લાગ્યા. પ્રવાસીઓએ પોતે જ એકબીજાને લાઈફ જેકેટ પહેરાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે મોજા ઉછળવા લાગ્યા, ત્યારે કિનારા પરના લોકોએ ડ્રાઇવરને ક્રૂઝને ડોક કરવા માટે પણ વિનંતી કરી. પરંતુ ડ્રાઇવરે શરૂઆતના બિંદુ પર પાછા ફરવાનો આગ્રહ રાખ્યો, અને થોડા જ સમયમાં ક્રૂઝ પલટી ગયું.

આ અકસ્માત બાદ, બરગી ડેમની આસપાસ વ્યાપક હોબાળો મચી ગયો હતો. સ્થાનિકો અને બચાવ ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં નવ મૃતદેહો મળી આવ્યા છે. નવીનતમ માહિતી અનુસાર, અકસ્માતના લગભગ 12 કલાક પછી ડાઇવર્સે એક મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મૃતદેહો મળી આવતાં પરિવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઘણા પરિવારો હજુ પણ તેમના પ્રિયજનોના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.

દુર્ઘટના બાદ, મધ્યપ્રદેશ સરકારે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. કેબિનેટ મંત્રી રાકેશ સિંહ અને મંત્રી ધર્મેન્દ્ર લોધી આખી રાત ઘટનાસ્થળે રહ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું. ડૂબી ગયેલા ક્રુઝ શિપને બહાર કાઢવા માટે આખી રાત પ્રયાસો કરવામાં આવ્યા. તેને લોખંડના કેબલનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યું, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ત્યારબાદ ભોપાલ અને આગ્રાથી NDRF ટીમોને બોલાવવામાં આવી.  NDRFના નિષ્ણાત ડાઇવર્સ હવે ડૂબી ગયેલા ક્રુઝ શિપની અંદર ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે. વહીવટીતંત્રને ડર છે કે ગુમ થયેલા લોકોના બચવાની શક્યતા ઓછી છે.

ગરમીમાં શીતળતા પ્રદાન કરતાં તરબૂચ

ગરમીની ઋતુમાં સાધારણ રીતે કેરીના આગમન પહેલાં મળતાં થઈ જતાં તરબૂચ (કલિંગડ) ખાતાં જ ઠંડકનો અનુભવ થાય છે. પ્રમાણમાં સસ્તાં અને આસાનીથી મળી શકે એવા આ ફળના ઉપયોગથી ગરમીમાં રાહત તો થાય જ છે. આ ઉપરાંત, તેના બીજા ઘણા ફાયદા છે, જેના લીધે તરબૂચનું ફળ તરીકેનું મહત્ત્વ વધે છે.

એનો પહેલો ફાયદો એ કે તેમાં ખૂબ જ ઓછી કૅલરી હોય છે તેમજ મીઠાશ હોવા છતાં પણ તે એક લો શુગર ફ્રૂટ છે, એટલે ડાયાબિટીસ ધરાવતા લોકો પણ નિયંત્રિત પ્રમાણમાં આ ફળનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, કલિંગડમાં વિટામિન-સી, વિટામિન-એ, પોટેશિયમ, મૅગ્નેશિયમ તેમજ વિટામિન બી-૫ અને બી-૬ જેવા પોષક તત્ત્વો સારા પ્રમાણમાં રહેલા છે.

ગરમીમાં પાણી કે પ્રવાહી વધુ પ્રમાણમાં લેવાય તે જરૂરી છે, કારણ કે પ્રવાહી આપણને હાઈડ્રેટ રાખે છે. તેવી જ રીતે, એવા ફળો કે જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેનો ઉપયોગ પણ આ સીઝનમાં ફાયદાકારક છે. તરબૂચમાં લગભગ ૯૨ ટકા જેટલો ભાગ પ્રવાહી હોય છે. બાકીના ભાગમાં રેસા તેમજ બીજ હોય છે, જે પણ પૌષ્ટિક છે.

વિટામિન-સી એ ઍન્ટિ-ઑક્સિડન્ટ છે, જે તરબૂચમાં સારા પ્રમાણમાં રહેલું છે. આ ઉપરાંત, તરબૂચમાં કેરોટિનોઇડ્સ તેમજ લાયકોપેન (એક પ્રકારનું વિટામિન-એ) હોય છે. લાયકોપેન મુખ્યત્વે લાલ રંગના ફળો કે શાકભાજીમાં રહેલું હોય છે, જે પણ એક પ્રકારનું ઍન્ટિ-ઑક્સિડન્ટ છે. તેની મદદથી આંખ, વાળ, ત્વચા વગેરે સુંદર અને ચમકીલા બને છે. આ પ્રકારના વિટામિનમાં એવા તત્ત્વો પણ રહેલા છે, જે કેન્સર જેવી બીમારી સામે રક્ષણ આપી શકે છે.

હૃદયરોગ વિશ્વભરમાં મૃત્યુ માટેના કારણોમાં મોખરે છે. તરબૂચમાં એવા ઘણા પ્રકારના પોષક તત્ત્વો છે, જેના દ્વારા બ્લડ પ્રેશર તેમજ કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ મળે છે. એક તારણ મુજબ, તરબૂચમાં રહેલા લાયકોપેન તેમજ તરબૂચના બીજના ઉપયોગથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલ ઘટાડી શકાય છે. ૪૫ વર્ષની ઉંમર પછી પુરુષો તેમજ સ્ત્રીઓની રક્તવાહિનીઓમાં રક્ત પરિભ્રમણમાં થોડી ઘટ્ટતા આવે છે, જેના કારણે રક્તવાહિનીઓ થોડી કડક બને છે. લાયકોપેન આ ઘટ્ટતાને ઘટાડવામાં પણ મદદ કરે છે, જે તરબૂચમાં સારા પ્રમાણમાં હોય છે.

વિટામિન-એ પૂરતું હોવાને કારણે આંખના સ્વાસ્થ્ય માટે તરબૂચનો ઉપયોગ અસરકારક છે. દૃષ્ટિ સુધારવા, આંખ ચમકીલી બનાવવા અને અંધાપો આવતો અટકાવવા માટે પણ આ ફળ ઉપયોગી છે. તરબૂચ લીવરને એમોનિયા (પ્રોટીનના પાચનમાંથી નીકળતો કચરો)ના નિકાલની પ્રક્રિયામાં મદદ કરે છે, જે કિડની પરનો ભાર ઓછો કરે છે અને વધારાનું પ્રવાહી દૂર કરે છે. પોટેશિયમથી સમૃદ્ધ તરબૂચ એક ઉત્તમ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ છે, જે શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન જાળવી રાખીને ચેતાતંત્ર અને સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ઍસિડિટી, ગૅસ તેમજ પાચન સંબંધિત તકલીફોમાં પણ તરબૂચનો ઉપયોગ કરી શકાય. કલિંગડથી ઍસિડિટી દૂર થઈ શકે છે, કારણ કે તે ઠંડક આપનારું છે. આ ઉપરાંત, તેમાં રહેલા રેસા અને બીજ કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે. તેનો પાણીનો ભાગ પાચનક્રિયામાં સહાયક બને છે.

કસરત કરતી વખતે થતા સાંધા અને સ્નાયુના દુખાવામાં પણ આ ફળ ઉપયોગી છે. તરબૂચ ઓછી કૅલરી ધરાવતું હોવાથી વજન ઘટાડવા માટેના ડાયેટ પ્લાનમાં પણ તેનો સમાવેશ કરી શકાય. ત્વચાને રુક્ષ થતી અટકાવવામાં તેમજ ત્વચા પર ઉંમરને લગતી અસર (કરચલી પડવી, ત્વચા સંકોચાઈ જવી વગેરે) ઘટાડવામાં પણ પાણી વધુ ધરાવતા તેમજ લાલ રંગના ફળો ઉપયોગી છે. આથી જ ઘણી કૉસ્મેટિક તેમજ આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ તરબૂચનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરવામાં આવે છે.

તરબૂચના બીજ પણ સારા પોષક તત્ત્વો ધરાવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ તત્ત્વો રહેલા છે. આ ઉપરાંત, તેમાં પોલિઅનસેચ્યુરેટેડ ફૅટી એસિડ રહેલું છે, જેને ગુડ ફૅટ અથવા લાભદાયક ફૅટ તરીકે ઓળખી શકાય. તેનો ઉપયોગ અમુક પ્રકારના હોર્મોન્સમાં સુધારો કરવામાં પણ અસરકારક છે.

આ સામાન્ય ફળના અસામાન્ય લાભોનો ઉપયોગ આ સીઝનમાં કરી શકાય, કારણ કે આ ગાળામાં સારી ગુણવત્તાવાળું કલિંગડ વાજબી ભાવે મળી રહે છે. દરેક ઉંમરની વ્યક્તિ માટે સ્વીકાર્ય તેમજ સ્વાદિષ્ટ એવા આ તરબૂચ ખરેખર પોષણનો ભંડાર છે.

તરબૂચની ક્વૉલિટી ઓળખવાની વાત કરીએ તો, ઘાટા લીલા રંગની છાલ ધરાવતા તરબૂચની જગ્યાએ થોડા આછા રંગના પસંદ કરવા. તેમાં સાઈડમાં રહેલો પીળો રંગનો ભાગ એ કુદરતી રીતે પકવાયેલું હોવાની નિશાની છે. તરબૂચને ટકોરા મારીને જો અંદર પોલાણ હોય એવું લાગે તો તેને પસંદ ન કરવું. વજનદાર તરબૂચ હંમેશાં દળદાર અને સ્વાદિષ્ટ હોય છે. આમ, તરબૂચ ખરીદતાં પહેલાં તેની ક્વૉલિટી ચકાસવી, જેથી તમે આ આદર્શ ફળનો આસ્વાદ માણી શકો.

માફક આવે તો ઉનાળાના દિવસોમાં રોજ પણ કલિંગડ ખાઈ શકાય. અલબત્ત, અમુક વ્યાધિ હોય તો સાવધાની રાખવી.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)