Home Blog Page 1044

‘દિવાના’ માં નિર્દેશક પછી હીરો પણ બદલાયો હતો

ફિલ્મ ‘દિવાના’ (1992) માં પહેલાં નિર્દેશક અને હીરો અલગ હતા. ‘દિવાના’ નું નિર્માણ ગુડ્ડુ ધનોઆ અન્ય નિર્માતાઓ સાથે મળીને કરી રહ્યા હતા. એનું નિર્દેશન પહેલાં દક્ષિણના એસ.એ. ચંદ્રશેખર કરવાના હતા. કેમકે એમની ફિલ્મ ‘વસંતા રાગમ’ પરથી એ બની રહી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટ નક્કી થઈ ગઈ હતી. ઋષિ કપૂર અને દિવ્યા ભારતી સાથે હીરો તરીકે અરમાન કોહલી હતો. ગુડ્ડુ એ સમય પર શેખર કપૂરની એક ફિલ્મ સાથે જોડાયેલા હતા. એમાં નદિમ– શ્રવણનું સંગીત હતું. ગુડ્ડુએ પોતાની ફિલ્મમાં પણ એમને સંગીત આપવાનું કહ્યું અને એ તૈયાર થઈ ગયા.

ગુડ્ડુ સંગીત માટે ચંદ્રશેખરને ફોન કરતાં ત્યારે એ કહેતા કે મને હિન્દી આવડતું નથી. તમે ગીત-સંગીતનું કામ સંભાળી લેજો. ફિલ્મના ‘એસી દિવાનગી’ સહિતના ચાર ગીતો બનાવી લેવામાં આવ્યા હતા ત્યારે એક દિવસ નિર્દેશક ચંદ્રશેખરે કહ્યું કે તે દક્ષિણની ચાર-પાંચ ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી હિન્દી ‘દિવાના’ કરી શકશે નહીં. અને હિન્દી રિમેકના પૈસા પણ જોઈતા નથી. ગુડ્ડુ ત્યાંથી નીકળીને એક જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સ્કૂટર પર રાજ કંવર મળી ગયા. રાજ ત્યારે સહાયક નિર્દેશક તરીકે કામ કરતા હતા.

ગુડ્ડુએ એમને ‘દિવાના’ નું નિર્દેશન કરવા કહ્યું અને એ તૈયાર થઈ ગયા. ફિલ્મ શરૂ થાય એ પહેલાં એવું બન્યું કે નિર્માત્રી શબનમ કપૂરની ‘દિવાના’ સિવાયની બીજી ફિલ્મ ‘ઇન્સાફ કી દેવી’ (1992) જેના નિર્દેશક ચંદ્રશેખર હતા. એમાં પણ અરમાન કોહલી હતો.  પરંતુ શબનમને કોઈ કારણથી અરમાન સાથે વાંધો પડ્યો અને એ ‘ઇન્સાફ કી દેવી’ માંથી નીકળી ગયો. તેથી પિતા રાજકુમાર કોહલીએ ગુડ્ડુને ફોન કરીને કહ્યું કે શબનમે અરમાનને કાઢી મૂક્યો હોવાથી અમે તારી ફિલ્મ પણ કરીશું નહીં. કેમકે શબનમનો પતિ તારી ‘દિવાના’ માં ભાગીદાર છે. ગુડ્ડુ ચિંતામાં પડી ગયા હતા. તે શેખર કપૂરની ફિલ્મોના નિર્માણનું કામ સંભાળતા હતા એટલે પોતાની સમસ્યાની વાત કરી.

શેખરે શાહરૂખ ખાનનું નામ સૂચવ્યું. ગુડ્ડુએ પરિચય માંગ્યો ત્યારે એમણે ‘સર્કસ’ અને ‘ફૌજી’ સિરિયલમાં કામ કર્યું હોવાનું કહ્યું. ગુડ્ડુએ શાહરૂખ સાથે મુલાકાત કરી અને ‘દિવાના’ માટે વાત કરી. શાહરૂખે કહ્યું કે હું અત્યારે પાંચ-છ ફિલ્મો કરી રહ્યો હોવાથી ના પાડી દીધી. ગુડ્ડુને સાચું લાગ્યું નહીં એટલે નવાઈથી એ પાંચ ફિલ્મોના નામ પૂછ્યા. શાહરૂખે દિલ આશના હૈ, રાજૂ બન ગયા જેન્ટલમેન, કિંગ અંકલ, કભી હાં કભી ના અને ‘ચમત્કાર’ ના નામ આપ્યા. ગુડ્ડુએ ફિલ્મનો વિષય જાણી લેવા આગ્રહ કર્યો એટલે બીજા દિવસે ઘરે બોલાવ્યા.

પહેલાં ભાગની વાર્તા સાંભળી શાહરૂખે જમવા બેસવાનું કહ્યું. ગુડ્ડુએ જેટલી વાર્તા સંભળાવી એમાં શાહરૂખનું પાત્ર જ ન હતું! જમ્યા પછી બીજો ભાગ સાંભળી શાહરૂખ ફિલ્મ કરવા તૈયાર થઈ ગયો અને રૂ.11000 સાઈનીંગ એમાઉન્ટ લીધી. પણ એક શરત કરી કે જો મારી કોઈ ફિલ્મની તારીખો રદ થશે તો જ હું તારી ફિલ્મ કરીશ. ગુડ્ડુનું નસીબ સારું હતું કે શાહરૂખની તારીખો મળતી રહી અને ફિલ્મ પૂરી થઈ શકી. ભાગ્યનો કેવો ખેલ કહેવાય કે શાહરૂખ જે પાંચ-છ ફિલ્મો કરતો હતો એ બધી પહેલાં ગુડ્ડુ ધનોઆની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘દિવાના’ સૌપ્રથમ રજૂ થઈ. એટલું જ નહીં શાહરૂખની એ પહેલાં શરૂ થયેલી બધી ફિલ્મો રજૂ થયા પછી એના જેટલી સફળ અને લોકપ્રિય રહી ન હતી. ‘દિવાના’ માટે શાહરૂખ ખાનને ફિલ્મફેરનો શ્રેષ્ઠ નવોદિત હીરોનો એવોર્ડ પણ મળ્યો હતો.

​ઝારખંડના બે માલગાડીઓ વચ્ચે ટક્કર; લોકોપાઇલોટ્સ સહિત બે લોકોના મોત

ઝારખંડ: સાહિબગંજમાં મંગળવારે (1 એપ્રિલના રોજ) ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બરહેટ એમ.જી.આર. લાઇન પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે ચાર CISF જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. માલગાડીઓ વચ્ચે ટક્કરને કારણે, તેમાં ભરેલા કોલસામાં આગ લાગી ગઈ.

Sahibganj, Jharkhand: A major collision on the Farakka-MGR railway line in Sahibganj killed two drivers and injured 4-5 railway staff. Firefighters and officials are managing the situation, with investigations ongoing pic.twitter.com/7Dhi0gZ9CK

દુર્ઘટના કેવી રીતે સર્જાઈ?

અહેવાલો અનુસાર, સાહિબગંજમાં આ દુર્ઘટના મંગળવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ સર્જાય. ફરક્કાથી આવતી ખાલી માલગાડી બરહેટ એમ.ટી. પર ઉભી હતી. ત્યારે લાલમટિયા તરફ જતી કોલસા ભરેલી થ્રુપાસ માલગાડીએ તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ કોલસા ભરેલી માલગાડીમાં આગ લાગી હતી અને ઘણી બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

આ બંન્ને ટ્રેનો વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. માલગાડીના એન્જિનમાં આગ લાગી ગઈ અને ખાલી માલગાડીના ડ્રાઇવરો, અંબુજ મહતો અને કાલેશ્વર માલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. ઘટનાની માહિતી મળતા જ NTPCના અધિકારીઓ, રેલવેના અધિકારીઓ અને બરહાટ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયા. આગ ઓલવવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો. આ ઘટનામાં રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓએ કહ્યું છે કે તેઓ આ મામલાની તપાસ કરશે. આ ઘટના પર શોક પણ વ્યક્ત કર્યો.

EPFOની મોટી જાહેરાત, ડોક્યુમેન્ટ વિના પણ 5 લાખ રૂપિયા ઉપાડી શકાશે

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ દેશના 7.5 કરોડ સભ્યોને મોટી રાહત આપી છે. હવે PF ઉપાડની ઓટો સેટલમેન્ટ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જે અત્યાર સુધી 1 લાખ રૂપિયા હતી. આનો અર્થ એ થયો કે હવે P Fખાતાધારકો કોઈ પણ દસ્તાવેજો વિના આ રકમ ઉપાડી શકશે. આ સાથે, દાવાની પતાવટ જે અત્યાર સુધી 10 દિવસમાં થતી હતી, તે હવે ફક્ત 3-4 દિવસમાં થશે. આ ઉપરાંત, EPFO ​​એ લગ્ન, શિક્ષણ અને ઘર ખરીદવા માટે PF ઓટો-ક્લેમની સુવિધા પણ પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. અગાઉ, ફક્ત બીમારી અને હોસ્પિટલના ખર્ચ માટે PF ખાતામાંથી ઓટો-ક્લેમ ઉપલબ્ધ હતો.અહેવાલ મુજબ, શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરાની અધ્યક્ષતામાં શ્રીનગરમાં યોજાયેલી સી.બી.ટી. બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, બીજી એક મહત્વપૂર્ણ માહિતી શેર કરતી વખતે, આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે EPFO ​​સભ્યો હવે આ વર્ષે મે અથવા જૂનના અંત સુધીમાં UPI (UPI PF ઉપાડ) અને ATM (ATM PF ઉપાડ) દ્વારા PF ઉપાડી શકશે.

મર્યાદા ઘણી વખત વધારવામાં આવી 
EPFO ​એ એપ્રિલ 2020માં તેના સભ્યોને ઓટો-ક્લેમ સુવિધા આપવાનું શરૂ કર્યું હતું. જે શરૂઆતમાં ફક્ત 50,000 રૂપિયા સુધી મર્યાદિત હતું. આ પછી, મે 2024માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા PF ઓટો ક્લેમની મર્યાદા વધારીને 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી. હવે આમાં મોટી રાહત આપવામાં આવી છે અને મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.ક્લેઈમ રદ થવાના દરમાં પણ ઘટાડો થયો

મીટિંગમાં માહિતી શેર કરતી વખતે, એવું પણ કહેવામાં આવ્યું કે પીએફ દાવા અસ્વીકાર દરમાં સતત ઘટાડો થયો છે અને જ્યાં પહેલા લગભગ 50 ટકા દાવા નકારવામાં આવતા હતા, તે હવે ઘટીને માત્ર 30 ટકા થઈ ગયા છે. EPFO દ્વારા નિયમોને સતત સરળ બનાવવા માટે લેવામાં આવી રહેલા પગલાંની અસર અહીં જોઈ શકાય છે.

UPI સુવિધા સાથે ઓટો ક્લેમની સરળતા

તાજેતરમાં, સચિવ દાવરાએ માહિતી આપી હતી કે ટૂંક સમયમાં EPFO ​​સભ્યોને ATM તેમજ UPIમાંથી PFના પૈસા ઉપાડવાની સુવિધા મળશે. આ સુવિધા સાથે, તેઓ ફક્ત UPI પર સીધા જ તેમના PF બેલેન્સને ચકાસી શકશે નહીં. પરંતુ તેઓ નિર્ધારિત રકમ સુધી ઉપાડી પણ શકશે. આ સાથે, તેમને PFના પૈસા તેમની પસંદગીની બેંકમાં ટ્રાન્સફર કરવાની સુવિધા પણ મળશે. દાવરાએ એમ પણ કહ્યું કે નવી સુવિધા હેઠળ, દાવાઓ પહેલાથી જ સ્વચાલિત હશે.

બાળકનું નામ રાખવાનો અધિકાર કોને?

મારું નામ મારા ફોઈએ રાખ્યું હતું, પણ એ સારુ ન હતું એ મને અત્યારે સમજાય છે. જો કે શાળામાં પ્રવેશ મેળવવાનો સમય આવ્યો ત્યારે મારી મમ્મીએ મારું નામ બદલી નાંખ્યું. જેનો મને અત્યારે આનંદ છે. પરંતુ ફોઈએ પાડેલા નામને બદલવાની સજા રૂપે મારી માતાને ઘરના દાદરે નવ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા બેસી રહેવું પડ્યું. બે મહિના સુધી ફોઈ ઘરે ના આવ્યાં. માફીનામા શરૂ થયા, અંતે બધુ સારુ થયું, પણ એવુ બધે નથી થતું.

વાત છે નામ અને ફોઈ વચ્ચેના નાજુક બંધનની.

સામાન્ય રીતે વિચારવામાં આવે તો ફોઈ નામ રાખે એ એક રિવાજ છે, પણ પ્રશ્ન એ થાય કે શું ખરેખર પોતાના સંતાનનું નામ રાખવાનો માતાને અધિકાર નથી?

આયુષી લગ્નના ત્રણ વર્ષ પછી માતા બનવાની હતી, એની ખુશીનો તો કોઈ પાર જ ન હતો. ઘરમાં પણ બધા એની આગળ-પાછળ ફરે, આ ખા, પેલું ખા, આમ કર, અહીં બેસ એમ કહીને આખો દિવસ એની સાર સંભાળ લીધા કરે, એની નણંદ સુરેખા પણ અઠવાડિયે એક વાર તો ભાભીની ખબર જોવા આવી જ પહોંચે. પાછી કહેતી પણ જાય કે મારા તો એકના એક વીરાના ઘરે ઘોડિયું બંધાશે. હું તો ખુબ ખુશ છું. અમારા ઘરનો કુળદીપક આવશે. આયુષીને આવી વાતો સાંભળીને સારુ ન લાગતું, કારણ કે આજના આધુનિક સમયમાં દીકરી-દીકરી વચ્ચેની ભેદરેખા તો લગભગ ભૂંસાઇ જવા આવી છે.

આયુષી ડિલીવરી પછી નાનકડી દીકરી સાથે હોસ્પિટલથી ઘરે આવી ત્યારે એનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. પતિ દિર્ઘાયુ સાથે વાત કરતા એને દીકરીના નામ વિશે ચર્ચા કરી કે છઠ્ઠીના દિવસે આપણી પરીનું નામકરણ થશે ત્યારે એના માટે મે સુંદર નામ વિચાર્યુ છે. પતિ-પત્ની વાતો કરી રહ્યા હતા ત્યાં જ સુરેખા વચ્ચે આવીને બોલી, ભાભી, જો જો નામ વિચારતા, એ તો મારો હક છે અને મે નામ વિચારી પણ લીધુ છે.

સુરેખાના ગયા પછી આયુષીએ પતિ સામે જોયું, પણ ત્યાંથી પણ સહકારની અપેક્ષા ના દેખાઈ. એણે એની મમ્મીને ફોન કરીને પોતાની વેદના કહી તો મમ્મીએ પણ સુરેખાનો પક્ષ લેતા કહ્યું કે, દીકરી, નામ રાખવાનો હક તો ફોઈનો જ હોય. આ બધુ સાંભળી આયુષી નિરાશ થઈ ગઈ. નામકરણના દિવસે સુરેખાએ ભત્રીજીનુ નામ રાખ્યું ગાથા આયુષીને રાખવું હતું સ્વરા. એને મન વાળ્યું અને દીકરીના નામના વધામણાં કર્યા.

આયુષીના કિસ્સામાં પણ એ જ પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે આખરે કેમ માતા પોતાના સંતાનનું નામ રાખી ન શકે? એવા કેવા રિવાજ છે? કયા ગ્રંથોમાં લખાયેલું હશે કે નામ ફોઈ જ રાખે? જન્મ માતા આપે, પીડા માતા સહન કરે, સંતાનનો ઉછેર માતા કરે અને એને નામ આપવાનો પણ હક નહીં?

સંતાનનું નામ રાખવાનો પ્રથમ અને અનિવાર્ય હક માતાને મળવો જોઈએ

આજના યુગમાં પણ અમુક પરિવારોમાં એ માન્યતા છે કે બાળકનું નામ રાખવાનો હક માતા કરતા ઘરના વડીલો અથવા ફોઈને હોવો જોઈએ. ઘણી જગ્યાએ તો માતાને પૂછવામાં પણ આવતું નથી, કે જે બાળકને  એણે નવ મહિના ગર્ભમાં રાખ્યું છે, જે માટે એણે અસહ્ય પીડાઓ સહન કરી છે, એ બાળકનું નામ રાખવામાં એની કોઈ ભૂમિકા નથી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજીક કાર્યકર વૈશાલીબહેન રાઠોડ કહે છે કે, “આ વિચારધારા ન્યાયસંગત નથી. માતા એ બાળકની પ્રથમ અને પરમ સંભાળક છે, જેણે એનું પોષણ કર્યું છે, એની ભવિષ્યની ઉન્નતિ માટે સપનાઓ જોયાં છે. બાળકનું નામ રાખવાનો પ્રથમ હક માતાનો છે, કેમ કે એ માત્ર નામ નહીં, પણ માતા અને બાળકના આત્માના જોડાણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ બાબત માત્ર પરંપરાગત માન્યતાઓ નહીં, પરંતુ માતા માટેના સન્માન અને સમાન અધિકારની વાત છે. માતા એ વ્યક્તિ છે જે નવ મહિના સુધી પીડા સહન કરે છે, પ્રસૂતિની વેદનાને માને છે, અને બાળકના ભવિષ્ય માટે એક નવું પ્રભાત સર્જે છે. ત્યારે, એના બાળકનું નામ રાખવાનો અધિકાર માત્ર કુટુંબના અન્ય સભ્યોને આપવામાં આવે અને માતાને અવગણવામાં આવે, એ ન્યાયસંગત ન કહેવાય. આજના સમયમાં માતાઓ વધુ આત્મનિર્ભર બની રહી છે. તેઓ પોતાના સંતાન માટે શ્રેષ્ઠ વિચાર કરી શકે છે, અને એટલે જ સંતાનનું નામ રાખવાનો પ્રથમ અને અનિવાર્ય હક માતાને મળવો જોઈએ.”

મારા નામ પાછળ મારી માતાની ઓળખ છે!

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ધનવી પિયુષ દેસાઈ કહે છે કે, “મારા માટે મારું નામ માત્ર એક ઓળખ નહી, મારી માતાની પૃષ્ઠભૂમિ છે, જે મને એક મજબૂત સ્ત્રી તરીકે ઊભી રાખે છે. હું મારા નામમાં મારી માતાને જોતી, અને એ જ મારી માટે સૌથી મોટું ગૌરવ છે!  જ્યારે હું આજે આ પળે ઘડીને, એક જુદા દેશમાં, એક જુદા સંજોગોમાં બેઠી છું, ત્યારે પણ મારા નામની મીઠાશ અને શક્તિ મને રોજ યાદ અપાવે છે કે હું કોણ છું!

મારા નામની પાછળ મારી માતાની પસંદગી છે, મારી માતાના સંસ્કાર છે, અને સૌથી મહત્વની વાત, મારી માતાની ઓળખ છે!  જ્યારે મારા જન્મની ઘડીઓમા મારા માતા-પિતા માટે આનંદ અને ઉત્સાહ સાથે એક પ્રશ્ન પણ ઊભો થયો – “નાનકીનુ નામ શું રાખવું?” ત્યારે મારી માતાએ મારા માટે એક શબ્દ પસંદ કર્યો – “ધનવી”( Dhanvee).

એ માત્ર એક નામ નથી, એ એક ઓળખ છે, એક આશીર્વાદ છે, એક કથા છે, જે મારી માતાએ મારા માટે ઘડી. આજે હું કેનેડામાં છું અને મારી મા હજી ભારતમાં, છતાં જ્યારે લોકો મને “ધનવી”( Dhanvee) કહીને બોલાવે ત્યારે મને લાગણીભીના સંબંધોની સુગંધ આવી જાય. એ એક શબ્દ નથી, એ મારી માતાની પસંદગી છે, જે આજે પણ મારી સાથે છે!”

અલબત્ત, બદલાતા સમયની સાથે હવે બાળકનું નામ માતા-પિતા પણ પાડતા થયા છે અને ઘણા કિસ્સાઓમાં માતા-પિતા અને ઘરના સભ્યો કહે એ જ નામ ફોઇ વિધિવત પાડે એવું જોવા મળે છે, પણ વાત અહીં સંતાનનું નામ પાડવા પર એની જન્મદાતાના અધિકારની છે.

(હેતલ રાવ)

મહેસાણામાં ખાનગી ઉડ્ડયન એકેડેમીનું ટ્રેનર વિમાન ક્રેશ, મહિલા પાયલટ ઘાયલ

મહેસાણા: જિલ્લાના ઉચરપી ગામ નજીક એક ટ્રેનિંગ વિમાનના અકસ્માતનો બનાવ સામે આવ્યો. બ્લૂ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન ખેતરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર મહિલા ટ્રેઈની પાઈલટ ઘાયલ થઈ હતી.

બ્લૂ રે એવિએશન કંપની દ્વારા પાઈલટ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. ટ્રેનિંગ દરમિયાન વિમાન અચાનક ખેતરમાં ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ઘાયલ મહિલા પાઈલટને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મહેસાણાના એરોડ્રોમ સ્થિત પાઈલટ ટ્રેનિંગ સેન્ટરથી ઉડાન ભરેલું ટ્રેનિંગ વિમાન ઉચરપી ગામના એરંડાના ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેઈની પાઈલટ અલેખ્યા ઈજાગ્રસ્ત થઈ છે. તેને તાત્કાલિક મહેસાણાની વાઇબ્રન્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. વિમાન પડતાં ખેતરમાંથી અવાજને કારણે આસપાસનાં ગામના લોકો ચોંકી ગયા અને તરત જ ઘટનાસ્થળે દોડી ગયા. આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર અને એવિએશન વિભાગ દ્વારા અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.

અંતરિક્ષમાંથી હિમાલય અને ભારતના અનેક રંગો જોવાનો અનુભવ અદ્દભૂત: સુનિતા વિલિયમ્સ

અમેરિકા: ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશનમાંથી પરત આવ્યા બાદ પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે.

ટૂંક સમયમાં જ ભારત આવીશ

સુનિતા વિલિયમ્સ ટૂંક સમયમાં જ ભારત પણ આવશે. તેમણે કહ્યું છે, કે “મને આશા છે કે મારા પિતાના દેશ અને આગામી એક્સીઑમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે હું જલ્દી જ મુલાકાત કરીશ અને તેમની સાથે મારા અનુભવ વર્ણવીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદ્ભુત લોકતંત્ર છે, જેમાં અંતરિક્ષ ઉદ્યોગ ડગલાં ભરી રહ્યું છે. હું તેનો હિસ્સો બની મદદ કરવાનું પસંદ કરીશું.”તેમણે એમ પણ જણાવ્યું હતું કે અંતરિક્ષમાંથી હિમાલય અને ભારતના અન્ય ભાગોના રંગ જોઈ અદ્દભૂત અનુભવ થાય છે. દિવસ અને રાત બંને સમયે ભારતને જોવું એક અવિશ્વસનીય અનુભવ હતો. સુનિતા વિલિયમ્સે જણાવ્યું હતું કે પૃથ્વી પર પરત આવ્યા બાદ સૌથી પહેલા તેમણે પોતાના પતિ અને કૂતરાઓને ગળે લગાવ્યા. સૌથી પહેલા ગ્રીલ્ડ સેન્ડવીચનો સ્વાદ માણ્યો અને પિતાને યાદ કર્યા.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

રાજ્યમાં બેવડી ઋતુનો માર: આજે હીટવેવની, ત્રણ દિવસબાદ વરસાદની આગાહી

ગાંધીનગર: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે ગરમી-બફારો જ્યારે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો વાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસને લઈને હીટવેવ અને માવઠાની આગાહી કરી છે. મંગળવારે (1 એપ્રિલ 2025ના રોજ) સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે આગામી 3 એપ્રિલ, 2025 સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 17 જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

પોરબંદર-ગીર સોમનાથમાં હીટવેવનું યલો એલર્ટ

રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ભર ઉનાળે માવઠાની આગાહી કરી છે. મંગળવારે હવામાન વિભાગલ અનુસાર પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની સ્થિતિને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શક્યતા છે.

આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં મંગળવારે (1 એપ્રિલ, 2025) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 2-3 એપ્રિલની આગાહી

રાજ્યમાં 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા અને 3 એપ્રિલે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાય વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે.

૦૧ એપ્રિલ – ૨૦૨૫

પંચાંગ 01/04/2025