Home Blog Page 1046

IFFCOએ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025ની ઘોષણાનું સ્વાગત કર્યુ

નવી દિલ્હી: IFFCOએ લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025ની ઘોષણા અને 26મી માર્ચ 2025ના રોજ નીચલા ગૃહ દ્વારા મળેલ મંજૂરીનું સ્વાગત કરે છે. સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે બિલની જાહેરાત કરતાં કહ્યું કે આઝાદીના 75 વર્ષ પછી, દેશને તેની પ્રથમ સહકારી યુનિવર્સિટી મળી રહી છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી(TSU) ગ્રામીણ અર્થતંત્રને રોજગાર, વ્યાવસાયિક વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા મજબૂત બનાવશે. TSU સહકાર ક્ષેત્રમાં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપશે. ‘સહકાર સે સમૃદ્ધિ’ના મિશન સ્ટેટમેન્ટ સાથે સુસંગત, આ પહેલ સ્થાનિકથી વૈશ્વિક સ્તરે સહકારી સંસ્થાઓને અપગ્રેડ કરવામાં મદદરૂપ થશે.

અમિત શાહે જણાવ્યું હતું કે આ બિલ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે, આત્મનિર્ભરતા અને નાના ઉદ્યોગોને વિકસિત કરશે.  સામાજિક સમાવીશન વધારશે અને નવીનતા તથા સંશોધન ક્ષેત્રે નવા માપદંડ સ્થાપિત કરવા માટે વધુ તક આપશે. તેમણે ઉમેર્યું કે આ યુનિવર્સિટી સમગ્ર દેશ માટે એક નવી સહકારી નેતાગીરી પ્રજ્વલિત કરશે જે સહકારની ભાવના અને આધુનિક શિક્ષણથી સુસજ્જ હશે.

IFFCOના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. ઉદય શંકર અવસ્થીએ આ પ્રસંગે જણાવ્યું કે, “ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 એક ઐતિહાસિક પગલું છે. જે સહકાર ક્ષેત્રના વિકાસ માટે પથપ્રદર્શક સાબિત થશે. આ યુનિવર્સિટીની સ્થાપના સહકારી ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આ અભૂતપૂર્વ પગલાં માટે હાર્દિક સ્વાગત કરું છું. આ યુનિવર્સિટી ભારતીય કૃષિ, ખેડૂતો અને ગ્રામ્ય વિકાસ માટે એક મોટું પગલું છે, જે અમારા ગામડાઓને વધુ મજબૂત બનાવશે.”

IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, “આ યુનિવર્સિટી દ્વારા આગામી પેઢી માટે સહકારી નેતૃત્વના વાવેતર અને સંભારણાની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવશે.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહનો આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે આભાર માન્યો હતો. વધુમાં કહ્યું હતું કે, પ્રશિક્ષિત માનવ સંસાધનની જરૂરિયાતના પુરવઠા માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી મુખ્ય ભૂમિકા ભજવશે.

આ યુનિવર્સિટીના ડિપ્લોમા અને ડિગ્રી ધારકો માટે રોજગારની નવી તકો ઉભી થશે. આ યુનિવર્સિટી સ્થાનિક તેમજ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સહકારી વ્યવસ્થાપન માટે વ્યાવસાયિક અભ્યાસક્રમો સહકાર ક્ષેત્રને વૈશ્વિક સ્તરે માર્કેટિંગ કરવાની તકો આપશે, જે સહકારી ક્ષેત્રના કુલ આઉટપુટ અને આવકમાં વધારો કરશે.

ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે

સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, “દેશની આ પ્રથમ સહકારી યુનિવર્સિટી 75 વર્ષ પછી નિર્માણ પામશે અને જ્યારે અહીં દર વર્ષે 8 લાખ વિદ્યાર્થીઓ ડિપ્લોમા, ડિગ્રી અથવા સર્ટિફિકેટ મેળવી શકશે. ત્યારે સહકારી ચળવળમાં નવી ઉર્જાનો સંચાર થશે.”ઈન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)ના ડાયરેક્ટર જનરલ જેરોન ડગલસે વિડીયો સંદેશ દ્વારા આ પગલાંને વિશ્વવ્યાપી સહકારી ચળવળ માટે એક મજબૂત આધારસ્તંભ ગણાવ્યું અને ભારત સરકારના આ નક્કર નિર્ણય માટે આભાર માન્યો.

GST નિયમોમાં મોટો ફેરફાર! 1 એપ્રિલથી તમારા પર શું અસર પડશે ?

નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલ એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. આવતીકાલથી ઘણા નવા નિયમો અમલમાં આવી રહ્યા છે, જેમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના નિયમોમાં ફેરફારનો પણ સમાવેશ થાય છે. સરકાર GST પ્રક્રિયાને સરળ બનાવવા અને છેતરપિંડી અટકાવવા માટે સતત પગલાં લઈ રહી છે. આ અંતર્ગત, GST નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે 1 એપ્રિલથી અમલમાં આવશે.

મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન

નિયમોમાં ફેરફારના ભાગ રૂપે, GST પોર્ટલમાં લોગ ઇન કરવા માટે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, ફક્ત પાસવર્ડથી લોગ ઇન કરવાનું હવે કામ કરશે નહીં. બધા કરદાતાઓએ OTP અથવા અન્ય સુરક્ષા પગલાંઓનું પણ પાલન કરવું પડશે. આ ઉપરાંત, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) એ ઇ-વે બિલ અને ઇ-ઇનવોઇસ સિસ્ટમને પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવી છે. યોગ્ય અધિકૃતતા વિના કોઈ ઇન્વોઇસ જનરેટ કરી શકાતું નથી. એવું માનવામાં આવે છે કે આનાથી છેતરપિંડી માટે કોઈ અવકાશ રહેશે નહીં.

ઈ-વે બિલ ફક્ત આટલા દિવસો માટે જ માન્ય

નવા ફેરફારો હેઠળ, ઈ-વે બિલ હવે ફક્ત 180 દિવસ માટે માન્ય રહેશે અને તેને 360 દિવસથી વધુ સમય લંબાવવામાં આવશે નહીં. હવે કરદાતાઓ GSTR-7 (TDS સંબંધિત રિટર્ન) છોડી શકશે નહીં અને પછીની તારીખે ફાઇલ કરી શકશે નહીં. કરદાતાએ માસિક રિટર્ન ક્રમિક રીતે ફાઇલ કરવું જરૂરી રહેશે. નવા નિયમો અનુસાર, હવે કંપનીના પ્રમોટરો અને ડિરેક્ટરોએ GST સુવિધા કેન્દ્રમાં જઈને ફિંગરપ્રિન્ટ/બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. ઉપરાંત, જો કોઈ કંપનીના PAN પર બહુવિધ GST નોંધણીઓ હોય, તો ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર (ISD) તરીકે નોંધણી પણ જરૂરી રહેશે.

ભૂલ બદલ 10 હજાર રૂપિયા દંડ

1 એપ્રિલથી, ખોટી ITC વિતરણ માટે 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. અહેવાલમાં નાંગિયા એન્ડરસન એલએલપીના શિવકુમાર રામજીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ફેરફારો સુરક્ષામાં વધારો કરશે, પરંતુ કર ભરવાનું થોડું મુશ્કેલ બની શકે છે. તે જ સમયે, AKM ગ્લોબલના સંદીપ સેહગલના મતે, GST નિયમો હવે વધુ કડક બનવા જઈ રહ્યા છે. જૂના ઇન્વોઇસ માટે કોઈ છૂટ રહેશે નહીં અને પાલન ન કરવા પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. અર્થ સ્પષ્ટ છે કે સરકાર ઇચ્છે છે કે કર પ્રક્રિયા સરળ અને પારદર્શક બને અને છેતરપિંડી પર કાબુ મેળવે.

અનુભવ કેવો રહેશે?

નિષ્ણાતો કહે છે કે GST અંગે કડકતા અને દેખરેખ વધી રહી છે. નાનાથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી, દરેક માટે સિસ્ટમ અપડેટ કરવી, તેમના કર્મચારીઓને તાલીમ આપવી અને યોગ્ય દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. આ જ કારણ છે કે પાલન ન કરવા બદલ ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, નવા ફેરફારો સાથે વેપારીઓનો ટેક્સ ફાઇલિંગનો અનુભવ કેવો રહેશે તે જોવાનું બાકી છે.

ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે ચામુંડાધામમાં માઈભક્તોનું ઘોડાપુર

ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે રવિવારે ચોટીલા ચામુંડાધામ ખાતે હજારો માઈ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો. ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત સાડા પાંચ કિલોમીટરની ડુંગર પરિક્રમામાં એક લાખથી વધુ ભાવિકોએ ભાગ લઈને માતાજીના જયઘોષ સાથે પદયાત્રા પૂર્ણ કરી હતી. આ યાત્રા પૂર્વે યોજાયેલી ધર્મસભામાં મહંત પરિવારના અમૃતગિરિબાપુ (ગોપીનાથ), આત્માનંદ સરસ્વતીજી, શંભૂપ્રસાદ ટુંડીયા (ઝાઝરકા), પ્રેમબાપુ (સતરંગ) સહિત અનેક સંતો તેમજ માયાભાઈ આહિર, હેમંત ચૌહાણ, સોનાલીબેન દોષી જેવા ખ્યાતનામ કલાકારો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભામાં નવરાત્રીના મહાત્મ્ય સાથે રાષ્ટ્ર, ધર્મ અને સાંસ્કૃતિક ધરોહરની રક્ષા માટે માઈ ભક્તોને આહ્વાન કરવામાં આવ્યું હતું.

ધર્મ જાગરણ સમન્વય દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, અને દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ વખતે ચામુંડા માતાજીના જયકારા સાથે ધર્મ ધ્વજા દંડ આપીને યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. પદયાત્રા દરમિયાન ભાવિકો માટે સેવાભાવી લોકો દ્વારા ઠંડા ફળ, પાણી, શરબત સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જોકે, યાત્રાના રૂટ પર કાંટા અને કાંકરાવાળા રસ્તાઓને કારણે નાના બાળકો, વૃદ્ધો અને ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક પદયાત્રા કરતા માઈ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગામી વર્ષે ડુંગર પરિક્રમાનો માર્ગ સુધારવામાં આવે તેવી માગ ભાવિકો દ્વારા ઉઠી છે.

ચોટીલા હાઈવે પર ભાવિકોની ભીડને કારણે અડધા દિવસ સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને નિયંત્રિત કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય ટીમને એમ્બ્યુલન્સ સાથે તૈનાત રાખવામાં આવી હતી. આ યાત્રાએ ચામુંડાધામના પર્વત ફરતે ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાયુ હતું, પરંતુ રસ્તાની સમસ્યાઓને લઈને ભાવિકોમાં નારાજગી પણ જોવા મળી હતી. આયોજકો અને સ્થાનિક વહીવટી તંત્રને આગામી વર્ષે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પગલાં લેવાની જરૂર છે.

જાણો શું છે માધવપુર ઘેડના મેળાનો મહિમા!

ગુજરાતના પોરબંદર જિલ્લામાં, સૌરાષ્ટ્રના દરિયાકિનારે સ્થિત માધવપુર એના ઐતિહાસિક મહત્વ અને વિસ્મયજનક કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. પોરબંદરથી 46 કિલોમીટર દૂર આવેલા આ ગામનો દરિયાકિનારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી નાખે છે. જોકે, જે વાત માધવપુરને અનોખું બનાવે છે, એ છે અહીં યોજાતા માધવપુર ઘેડના મેળા.

માધવપુર ઘેડના મેળાનો ઇતિહાસ

માધવપુર મેળાનો ઇતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથાઓ અને પુરાણો અનુસાર ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં એ સમયના રાજા ભીષ્માકની રાજ કુવારી રુક્ષ્મણીજીના લગ્ન તેમના ભાઈ રુકમૈયાની ઇચ્છાથી શિશુપાલ સાથે નક્કી થાય છે. રુક્ષ્મણીજીને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને લગ્ન માટે પત્ર લખે છે. આ પત્ર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણને પહોંચાડવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તર પૂર્વમાં જઇ રુકમૈયાને હરાવી રુક્ષ્મણીનું હરણ કરી દ્વારકા પરત ફરતી વખતે, એ સમયના માધવ તીર્થ એટલે કે હાલના માધવપુરમાં લગ્ન વિધિ સંપન્ન કરે છે. .ભગવાન શ્રીકૃષ્ણને કુંવારી ભૂમિ પર લગ્ન કરવા હતા, એટલે દરિયાદેવે અહીં ભગવાનને જગ્યા કરી આપી, એ સ્થળ એટલે મધુવન એ ખૂબ જ રમણીય અને શાંતિ આપનારું છે.

લગ્ન વિધિ માટેના ચોરી માયરાના સ્થાપત્યના અંશો માધવપુરે સાચવી રાખ્યા છે. ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસે ગણેશ સ્થાપનાથી આ મેળાની શરૂઆત થાય છે. ત્યાર બાદ રાત્રે ૦૯.૦૦ કલાકે ભગવાન માધવરાયજી અને ત્રિકમરાયજીના મંદિરેથી પહેલા ફૂલેકાનો પ્રારંભ થાય છે. ચૈત્ર સુદ દસમ તથા એકાદશીના દિવસે બીજું અને ત્રીજું ફુલેકું નીકળે છે.

માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન’

ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સવ તરીકે શ્રદ્ધાપૂર્વક ઊજવાય છે. જેમાં મહેર સમુદાયના લોકો ધજાઓ સાથે શણગારેલા હાથી, ઉંટ અને ઘોડા પર સવાર થઈને રુક્ષ્મણીનું મામેરું લઇ આવે છે. જ્યારે બપોરે ૧૨.૦૦ કલાકે મધુવનમાં આવેલ મહાપ્રભુજીના પવિત્ર સાંનિધ્યમાં રુક્ષ્મણીના પિયર પક્ષની જગ્યામાં ‘રુક્ષ્મણી મઠ’થી ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયું કરવામાં આવે છે. ચાર ફેરા જેવા પ્રસંગો જોવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આ મેળા માટે ‘માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન’ લગ્નગીત પણ જાણીતું છે.

મેળાનું રાષ્ટ્રીય મહત્વ

2018થી, માધવપુર ઘેડના મેળાને રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઓળખ આપવામાં આવી છે. ઉત્તર પૂર્વ અને ગુજરાતના સાંસ્કૃતિક સમૂહો અહીં ભવ્ય પ્રસ્તુતિઓ આપે છે. 2025ના મેળામાં પહેલીવાર 1600 કલાકારો, જેમાં ઉત્તર પૂર્વના 800 અને ગુજરાતના 800 કલાકારો ભવ્ય પ્રદર્શનો કરશે. અરુણાચલ પ્રદેશ, આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, સિક્કિમ, મેઘાલય અને ત્રિપુરાના લોકો પણ ઉમંગભેર જોડાશે.

માધવપુરના આ અસલી સોરઠી મેળામાં નવપરણિત યુગલો સહિત યુવાનો પવિત્ર પ્રેમના સમન્વયની આ પળના અચૂક સાક્ષી બને છે. અહીં મેળામાં ભાતીગળ વસ્ત્ર-અલંકારો પહેરીને ગીતો ગાતી અને રાસડે રમતી વિવિધ સમાજની સ્ત્રીઓ સૌરાષ્ટ્રની સંસ્કૃતિના દર્શન કરાવે છે. લોકો પાંચ દિવસ સુધી ભક્તિ, આનંદ, ઉલ્લાસ અને આધ્યાત્મરસમાં લીન થઈને આ મેળામાં સહભાગી બને છે.

મેળાનાં આકર્ષણો

મેળાના પ્રારંભથી ચાર દિવસ સુધી સ્ટેડિયમ આકારના ભવ્ય મેદાનમાં ઉત્તર પૂર્વના કલાકારો અને ગુજરાતના કલાકારો એક સાથે ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરે છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીની લગ્નકથા, ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીનો પ્રેમ, એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિવિધતામાં એકતા સાથે ભવ્ય ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.

માધવપુર ખાતે સદીઓ પુરાણું વિષ્ણુ મંદિર પણ આવેલું છે, જે જૂના માધવરાયજીના મંદિરથી ઓળખાય છે. 12મી સદીમાં બનેલું આ મંદિર ભારતની ભવ્ય સનાતન સંસ્કૃતિના વારસાનું પ્રતીક પણ છે. આ મંદિર ખૂબ જર્જરિત થતાં 300 વર્ષ પહેલા પોરબંદરના મહારાણીએ બીજું નવું મંદિર બંધાવી આપેલું. ત્યાં જૂના મંદિરમાંથી માધવરાયજીની મૂર્તિઓ અહીં પધરાવવામાં આવી છે. આ મૂર્તિઓ પણ ભારતની અજોડ અને ખૂબ જ આગવી વિશેષતાઓ ધરાવતી મૂર્તિઓમાંની એક છે. ભગવાન માધવરાયજીના દર્શન કરવા એક લહાવો છે. દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુ ભગવાન માધવરાયજીના અચૂક દર્શન કરે છે. ભગવાન માધવરાયજીની જાન માધવરાયજીના મંદિરેથી મધુવનમાં રુક્ષ્મણી માતાના મંદિર પરિસર ચોરી માર્યા ખાતે જાય છે. અહીં લગ્ન વિધિ થાય છે, જે પ્રસંગ પણ હજારો ભાવિકો માણે છે.

માધવપુર ભારતના ઇતિહાસમાં ભક્તિ આંદોલન વખતે પણ શ્રદ્ધાનું કેન્દ્ર હતું. અહીં મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પણ યાત્રા કરેલી અને તેમની બેઠક પણ આવેલી છે. રામાનુજાચાર્ય પરંપરા, ગુરુ ગોરખનાથનો ધુણો બ્રહ્મકુંડ, ગદા વાવ, મધુવંતી નદી સંગમ, નીલકંઠ મહાદેવ, ગુફાઓ, રુક્ષ્મણી મંદિર અને પૌરાણિક વિવિધ વાવ-કુંડો આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત માધવપુર બીચ પર રેત શિલ્પનું પણ આયોજન કરવામાં આવે છે. રેત શિલ્પના કલાકારો રેતીનાં ચિત્રો શિલ્પનું સર્જન કરી માધવપુરના મેળાની ઇતિહાસ સાથે જોડાયેલી કૃતિઓની પ્રસ્તુતિ કરે છે.

IFS નિધિ તિવારી બન્યા વડાપ્રધાન મોદીના ખાનગી સચિવ, જાણો કોણ છે આ અધિકારી?

કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) એ તાજેતરમાં મંત્રાલયના ઘણા અધિકારીઓની ફરજોમાં ફેરફાર કર્યા છે, આ સંદર્ભમાં IFS નિધિ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે નિધિ તિવારી 2014 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. DoPT દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, નિધિ તિવારી હાલમાં PMOમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત હતા, પરંતુ હવે તે PMના પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે નિધિ તિવારીની સેવાઓની પ્રશંસા કરવામાં આવી છે, જેના કારણે તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રીના અંગત સચિવ તરીકે નિધિ તિવારીએ ઘણા મહત્વપૂર્ણ કાર્યો સંભાળવા પડશે, જેમાં પ્રધાનમંત્રીના રોજિંદા કામનું સંકલન, મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન અને વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન વગેરેનો સમાવેશ થાય છે.

કોણ છે નિધિ તિવારી?
તમને જણાવી દઈએ કે નિધિ તિવારી 2014 બેચની ભારતીય વિદેશ સેવા અધિકારી છે, તે હાલમાં પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત હતા. IFS નિધિ તિવારીને નવેમ્બર 2022 માં PMO ના ડેપ્યુટી સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. PMO માં જોડાતા પહેલા, તેઓ વિદેશ મંત્રાલય (MEA) માં નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિભાગમાં અંડર સેક્રેટરી હતા. અધિકારી વારાણસીના મેહમૂરગંજના વતની છે. તેણીએ 2013ની સિવિલ સર્વિસીસ પરીક્ષામાં 96મો ક્રમ મેળવ્યો હતો. તેણીની તૈયારી દરમિયાન તેણીને વારાણસીમાં સહાયક કમિશનર (વાણિજ્યિક કર) તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતાં.

જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, પીએમએમઓ ઓફિસમાં ખાનગી સચિવના પદ પર કામ કરતા અધિકારીઓને પે મેટ્રિક્સ લેવલ 14 મુજબ પગાર મળે છે. આ લેવલના અધિકારીઓનો પગાર દર મહિને 1,44,200 રૂપિયા છે. આ ઉપરાંત, આ અધિકારીઓને મોંઘવારી ભથ્થું, ઘર ભથ્થું, મુસાફરી ભથ્થું અને અન્ય ઘણા ભથ્થા આપવામાં આવે છે. આ ઉપરાંત, તેમને એક કાર, પીએમ નિવાસસ્થાન પાસે એક ઘર અને એક ચોકીદાર અને સુરક્ષા કર્મચારી પણ આપવામાં આવે છે.

સુરતમાં રાજસ્થાન સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, 12000 બહેનોએ ઘુમ્મર કરી બનાવ્યો રેકોર્ડ

સુરત શહેર રાજસ્થાનના રંગમાં રંગાયું હતું જ્યાં રાજસ્થાન સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન 12,000થી વધુ માતા-દીકરીઓએ એકસાથે પરંપરાગત ઘુમ્મર નૃત્ય કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. આ ભવ્ય આયોજન ગોડાદરા વિસ્તારમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મરુધર મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ નૃત્યમાં 5 વર્ષની બાળકીઓથી લઈને 80 વર્ષના વૃદ્ધો સુધીના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને અનોખું વાતાવરણ સર્જ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા સુરતે બે રેકોર્ડ્સ હાંસલ કર્યા હતા, જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન અને ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. આ પહેલાં જયપુરમાં 6,000 મહિલાઓએ ઘુમ્મર નૃત્ય કરીને રેકોર્ડ સ્થાપ્યો હતો, જેને સુરતે તોડી નાખ્યો છે. રાજસ્થાની સમાજના લોકો, જેઓ વર્ષોથી સુરતમાં વસે છે અને ખાસ કરીને કાપડ માર્કેટ સાથે સંકળાયેલા છે, તેમણે પોતાના વતનની સંસ્કૃતિને જીવંત રાખીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.

ગુજરાતના ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ એટલે પરંપરાગત ઘુમ્મર નૃત્ય, જે રાજસ્થાની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. સુરતમાં રહેતા રાજસ્થાની સમાજે વતનથી દૂર હોવા છતાં પોતાની પરંપરાઓને જીવંત રાખીને આ ભવ્ય ઉજવણી કરી હતી. આ કાર્યક્રમે રાજસ્થાનના સ્થાપના દિવસને યાદગાર બનાવી દીધો અને સમગ્ર વિશ્વમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.

મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની બળાત્કાર કેસમાં ધરપકડ

મહાકુંભ મેળામાં વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. બળાત્કાર કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમના જામીન નામંજૂર થયા બાદ દિલ્હીના નબી કરીમ પોલીસ સ્ટેશન દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે સનોજ મિશ્રાએ એક નાના શહેરની એક છોકરી પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો, જે હિરોઈન બનવાની ઈચ્છા રાખતી હતી.

ડ્રગ્સ આપવા અને બળાત્કારનો આરોપ
પીડિતાના જણાવ્યા મુજબ, તે 2020 માં ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સનોજ મિશ્રાને મળી હતી. તે સમયે તે ઝાંસીમાં રહેતી હતી. બંને વચ્ચે થોડીવાર વાતચીત ચાલુ રહી અને પછી ડિરેક્ટરે 17 જૂન, 2021 ના ​​રોજ તેણીને ફોન કર્યો અને કહ્યું કે તે ઝાંસી રેલ્વે સ્ટેશન પહોંચી ગયો છે. જ્યારે પીડિતાએ સામાજિક દબાણનો હવાલો આપીને તેને મળવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપી સનોજ મિશ્રાએ આત્મહત્યા કરવાની ધમકી આપી. આ પછી ડરના કારણે પીડિતા તેને મળવા ગઈ. બીજા દિવસે, 18 જૂન, 2021 ના રોજ, આરોપીએ તેણીને ફરીથી ફોન કરીને આત્મહત્યાની ધમકી આપની રેલ્વે સ્ટેશન પર બોલાવી.

ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપીને શોષણ
આરોપ છે કે ત્યાંથી આરોપી તેણીને એક રિસોર્ટમાં લઈ ગયો અને નશીલા પદાર્થો આપ્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાએ FIRમાં જણાવ્યું છે કે આરોપીઓએ તેના વાંધાજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવ્યા હતા અને જો તેણી વિરોધ કરશે તો તેને જાહેર કરવાની ધમકી આપી હતી. આ પછી તેણે તેણીને લગ્નના બહાને ઘણી વખત અલગ અલગ જગ્યાએ બોલાવી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. ઉપરાંત, તેણે તેણીને ફિલ્મોમાં કામ અપાવવાનું વચન આપીને લાલચ આપી.

સનોજ મિશ્રા મોનાલિસાને અભિનયની તાલીમ આપી રહ્યા હતા
તમને જણાવી દઈએ કે અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે મહાકુંભમાં માળા વેચીને સોશિયલ મીડિયાના વાયરલ થયેલી મોનાલિસા પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મ દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેમની આગામી ફિલ્મ ધ ડાયરી ઓફ 2025 માં મોનાલિસાને લેવાની જાહેરાત કરી હતી. એવા પણ સમાચાર હતા કે સનોજ મિશ્રા મોનાલિસાને અભિનયની તાલીમ આપી રહ્યા છે અને મોનાલિસાને પોતાની સાથે કેટલીક જગ્યાએ લઈ જઈ રહ્યા છે.

તાજેતરમાં, મોનાલિસા પણ સનોજ મિશ્રા સાથે વિમાનમાં મુસાફરી કરતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ આરોપો લગાવવામાં આવી રહ્યા હતા કે સનોજ મિશ્રા મોનાલિસાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સનોજ મિશ્રાએ આ આરોપોનો યોગ્ય જવાબ આપ્યો હતો. સનોજ મિશ્રાએ કહ્યું હતું કે જ્યારે તેમને ખબર પડી કે કુંભ મેળામાં મોનાલિસા નામની છોકરી વાયરલ થઈ રહી છે, ત્યારે તેમણે પહેલી વાર તેને જોઈ. તેણે કહ્યું કે મોનાલિસાની આસપાસ ભીડ હતી અને લોકો તેની રીલ બનાવી રહ્યા હતા પરંતુ કોઈએ તે ગરીબ છોકરીને મદદ કરી નહીં. સનોજે કહ્યું કે મોનાલિસાનો પરિવાર તંબુમાં રહે છે અને તેમની પાસે ઘર પણ નથી. આવી સ્થિતિમાં, લોકો તેને મદદ કરવાને બદલે તેને વધુ હેરાન કરી રહ્યા હતા.

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા વાહનોમાં આગ લાગી, 33 વાહનો બળીને ખાક

અમદાવાદ શહેરના રિંગરોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા વાહનોમાં વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુલ 33 ટુ-વ્હીલર અને 2 ગાડીઓ ખાક થઈ ગયાં હતાં, જેમાંથી 22 વાહનો ડિટેઇન કરાયેલાં હતાં, જ્યારે 11 ટુ-વ્હીલર અન્ય લોકો દ્વારા પાર્ક કરાયેલાં હતાં. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

ફાયર બ્રિગેડને વહેલી સવારે લગભગ સાત વાગ્યે કંટ્રોલ રૂમમાં સંદેશો મળ્યો હતો કે, ઓઢવ પોલીસ સ્ટેશન સામે રિંગરોડ પર બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. આ માહિતી મળતાં જ ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને ઝડપથી કાબૂમાં લઈ લીધી હતી, જ્યારે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક બહાર દોડી આવ્યો હતો.

આગ લાગવાની ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આગ કેવી રીતે લાગી અને તેની પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણો ઈદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં રવિવારે સાંજે ઈદ-ઉલ-ફિત્રનો ચાંદ જોવા સાથે રમઝાન મહિનો સમાપ્ત થયો અને સોમવારે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી અને આશા વ્યક્ત કરી કે આ તહેવાર સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવના વધારશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ લખ્યું, “ઈદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે. આ તહેવાર તમારા બધા પ્રયત્નોમાં ખુશી અને સફળતા લાવે. ઈદની શુભકામનાઓ.”

 

પીએમ મોદીનો સંદેશ


રાષ્ટ્રપતિએ ખાસ સંદેશ આપ્યો

આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. મુર્મુએ કહ્યું, “બધા દેશવાસીઓને, ખાસ કરીને મુસ્લિમ ભાઈ-બહેનોને, ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર અભિનંદન. આ તહેવાર ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે અને કરુણા અને દાનની ભાવના અપનાવવાનો સંદેશ આપે છે. હું ઈચ્છું છું કે આ તહેવાર દરેકના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશી લાવે અને દરેકના હૃદયમાં ભલાઈના માર્ગ પર આગળ વધવાના જુસ્સાને મજબૂત બનાવે.”

મુખ્યમંત્રી યોગી, આનંદીબેન પટેલે રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે રાજ્યના લોકોને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી. રાજભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, “ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજ્યના તમામ લોકોને, ખાસ કરીને મુસ્લિમ ભાઈઓ અને બહેનોને ઈદ-ઉલ-ફિત્રના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી છે.” રાજ્યપાલે પોતાના અભિનંદન સંદેશમાં સૌને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે ઈદનો આ તહેવાર ભાઈચારો, પ્રેમ અને સામાજિક એકતાનો સંદેશ આપે છે. આ પ્રસંગે તેમણે લોકોને ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા અપીલ કરી જેથી તેમના જીવનમાં ખુશીઓ આવે અને એક મજબૂત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થઈ શકે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર રાજ્યના લોકોને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, મુખ્યમંત્રીએ કહ્યું કે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ખુશી અને સંવાદિતાનો સંદેશ લાવે છે. આ તહેવાર સામાજિક એકતાને મજબૂત બનાવે છે અને પરસ્પર ભાઈચારાની ભાવના વધારે છે.

અખિલેશ-માયાવતીએ શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ‘X’ પર એક પોસ્ટમાં ઈદની શુભેચ્છા પાઠવી હતી, જેમાં લખ્યું હતું કે, “ચાંદ બારીક છે, આજે ઈદ છે. બધાને ઈદ મુબારક!” બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ બધાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી અને X પર કહ્યું, “પવિત્ર રમઝાન દરમિયાન એક મહિનાના ઉપવાસ પછી, બધા દેશવાસીઓને અને ખાસ કરીને ભારતીય મુસ્લિમો અને તેમના પરિવારોને, ઈદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભેચ્છાઓ અને બધા માટે સારા જીવન માટે શુભકામનાઓ, જે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના ભારતીય બંધારણમાં ગેરંટી આપવામાં આવી છે.”

રવિવારે ચાંદ જોવા મળ્યાની પુષ્ટિ થયા બાદ પવિત્ર રમઝાન મહિનાના સમાપન સાથે સોમવારે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.

આંખો નથી તો શું? સપનાંઓને ઉડાન આપી છે અમિષાએ!

જે લોકો સપનાં જુએ છે તેઓ જ કંઈક અલગ કરી શકે છે! આ વાત સાબિત કરી છે અમિષા ડાંગોદરાએ. અમિષા, એક એવી છોકરી કે જેની પાસે આંખોની રોશની નથી, પણ જીવન માટેનું તેનું વિઝન આંખોથી જોઈ શકે તેવાં લોકો કરતાં પણ વધારે સ્પષ્ટ છે. તેની સંઘર્ષગાથા જાણો તો એમ જ લાગે કે, અમિષા સંજોગો સામે લડવા માટે જન્મી છે.

ઘરની આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવા છતાં પરિવારે અમિષાના સપનાંઓ પર કોઈ મર્યાદા ક્યારેય મૂકી નહીં. પરિવારનો સાથ, સખત મહેનત અને દ્રઢ નિશ્ચયે જ આજે અમિષાને એક સફળ ઉદ્યમી બનાવી છે.

જ્યાં લોકો મુશ્કેલીઓ સામે ઝૂકી જાય છે ત્યાં અમિષાએ પોતાની મુશ્કેલીઓને જ પોતાની હિંમત બનાવીને જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. બાળપણથી જ બંને આંખે જોઈ ન શકતી અમિષા પ્રથમ બ્લાઈન્ડ ગર્લ બની છે, જેણે જર્નાલિઝમના કોર્સમાં એડમિશન લીધું.

ચિત્રલેખા.કોમના “દીવાદાંડી” વિભાગમાં આજે વાત કરવાના છીએ કમ્યુનિકેશન અને જર્નાલિઝમની ગુજરાતની પ્રથમ દિવ્યાંગ વિદ્યાર્થિની  અમિષા ડાંગોદરા  વિશે, જેણે આ અઘરા વિષયમાં પોતાનું સ્થાન બનાવી, સાબિત કરી દીધું છે કે મન મજબૂત હોય તો શારીરિક અવરોધ અડચણ બનતા નથી!

અમિષાનો જન્મ ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના વાવરડા ગામમાં થયો. સામાન્ય રીતે ગામડાઓમાં દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે બહારગામ મોકલવામાં આવતી નથી. એમાં પણ અમીષાની આંખોની દ્રષ્ટિ તેના ભણતરમાં નડતર બનશે તેવું સૌને લાગ્યું હતું. પરંતુ અમિષાએ તેની મહેનત અને નિશ્ચયથી આ બધી જ બાબતોને ખોટી સાબિત કરી. તેની પાસે આંખો નહીં, પણ વિશાળ દ્રષ્ટિ છે! તેનું સપનું છે કે તે એક વોઈસ આર્ટિસ્ટ અને રેડિયો જોકી(RJ) બને. Accessibility Tester તરીકે પ્રગતિ કરે અને પોતાના કૌશલ્યથી દુનિયાને એક નવો અવાજ આપે.

જ્યાં મોટાભાગના બાળકો માતા-પિતાની નરમ સ્નેહભરી છાંયામાં ઉછરે છે ત્યાં અમીષાને નાની ઉંમરથી જ હોસ્ટેલમાં રહેવું પડ્યું. અમિષાના માતા તેને હોસ્ટેલ મોકલવા માંગતા ન હતા. પરંતુ ગામમાં કે આસપાસ બ્લાઈન્ડ વિદ્યાર્થીઓ માટેની શાળા ન હોવાના કારણે પિતાએ અઘરો નિર્ણય કર્યો. નાની ઉંમરમાં જ અમિષાને રાજકોટમાં હોસ્ટેલમાં ભણવા માટે મૂકી દીધી. શરૂઆતમાં તેને કેટલીક તકલીફોનો સામનો કરવો પડ્યો.

જો કે સમય સાથે અમિષાએ એકલતાને પાછળ છોડી દીધી. પરીક્ષાઓ અને મુશ્કેલીઓને હરાવીને નિરંતર જીવનમાં અને અભ્યાસમાં આગળ વધતી રહી. બારમા ધોરણ સુધીનો અભ્યાસ રાજકોટમાં કર્યો, ગ્રેજ્યુએશન માટે અમદાવાદ આવી. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી વિષય સાથે સ્નાતક થઈ.

હવે શરૂ થયો જંગ. કોલેજમાં એન્કરિંગ કરવાથી અમિષામાં એક કોન્ફિડન્સ આવ્યો હતો. તે માસ કોમ્યિનિકેશનનો અભ્યાસ કરવા માગતી હતી. અનેક જર્નાલિઝમ કોલેજોએ અમિષાની આંખોની દ્રષ્યિના કારણે તેને એડમિશન આપવાનો ઈન્કાર કર્યો. જો કે અમદાવાદની ચીમનલાલ પટેલ ઈન્સ્ટિટ્યૂટે અમિષાને તેની શારિરીક નહીં પરંતુ માનસિક એબિલિટીના આધારે એડમિશન આપ્યું. અત્યારે તે અહીં માસ કમ્યુનિકેશનના દ્વિતિય વર્ષમાં અભ્યાસ કરે છે.

તમામ પડકારો વચ્ચે, અમિષા માત્ર શિક્ષણમાં જ નહીં, પણ Accessibility Testing, વૉઈસ ઓવર, સ્પોર્ટ્સ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં હંમેશા આગળ રહે છે. સ્ટેટ લેવલની સ્પીચ કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંક મેળવીને પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. Accessibility Testing ક્ષેત્રમાં પણ પ્રગતિની શિખરો સર કરી રહી છે. તે હાલ McLeod Accessibility Tester તરીકે અભ્યાસ કરી રહી છે અને એક પબ્લિક રિલેશન એજન્સીમાં Voice Over પણ શીખી રહી છે. એક ન્યૂઝ વેબસાઇટમાં કામ પણ કરી રહી છે.

અમીષા કહે છે, મારા પપ્પા પાસે સગવડ હોય કે ન હોય પરંતુ હું જે વસ્તુ વિશે ડિમાન્ડ કરું તે વસ્તુ ગમે તેમ કરીને તેઓ મારી સામે હાજર કરી દેતા. મારી નાનામાં નાની ઈચ્છા પૂરી કરવાના પ્રયત્ન કરતા. સમાજ કે ગામવાળા કંઈ પણ કહે, પરંતુ મારા માતા-પિતાએ ક્યારેય અમને બે ભાઈ-બહેનને દિવ્યાંગ હોઈએ તેવો અનુભવ કરાવ્યો નથી. જો કે કુદરતને મારી ખુશી મંજૂર ન હતી. આથી મારા પપ્પાને ખૂબ જ જલ્દી મારી પાસેથી લઈ લીધા. કોરોના સમય પહેલાં જ પપ્પાનું અવસાન થયું. ત્યારે પરિવારની સમગ્ર જવાબદારી મમ્મી પર આવી ગઈ. મારા મમ્મી મજૂરી કરીને પણ અમને ચાર ભાઈ-બહેનને ઉછેરી રહ્યા  છે. મારા જેવી દિવ્યાંગ દીકરી માટે તો તેઓ દીવા સમાન છે. મારે તો બીજા જન્મમાં પણ આંખો નથી જોઈતી, પરંતુ મમ્મી-પપ્પા તો આ જ જોઈએ છે!”

કેટલીય કોલેજોએ અમિષાને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો. કારણ કે “બ્લાઈન્ડ છોકરી જર્નાલિઝમના ફિલ્ડમાં કેવી રીતે આગળ વધશે?” પણ અમિષાએ હાર ન માની. તારક લુવારના માર્ગદર્શન હેઠળ અમદાવાદની ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવ્યું. આજે તે પોતાની ફેકલ્ટીમાં એક પ્રેરણારૂપ દાખલો છે!

અમિષા આજે સમાજમાં એક મજબૂત સંદેશ આપી રહી છે, “દીકરીઓએ ભણવું જોઈએ, સમાજે તેમને બંધનોમાં નથી બાંધવી!” તે કહે છે, “જગત આપણને શું આપશે, તે મહત્વનું નથી. આપણે દુનિયાને શું આપી શકીએ, તે વધુ મહત્વનું છે!” જ્યાં મોટા ભાગના યુવાનો આજે એક નાની નિષ્ફળતા પછી ગભરાઈ જાય છે, ત્યાં અમીષા જેવાં લોકો પોતાના સંઘર્ષથી પ્રગતિના દરવાજા ખોલે છે.

અમીષાનું માનવું છે કે સફળતા સુધી પહોંચવા માટે બે વસ્તુઓ જરૂરી છે: એક, દ્રઢ મનોબળ, અને બે, ક્યારેય હાર ન માનવાની ઝંખના.” અમીષાનું કહેવું છે કે તેની  પાસે બંને છે! આજના ટેક્નોલોજીના જમાનામાં પ્રજ્ઞાચક્ષુઓ કંઈ ન કરી શકે તે વાત શક્ય જ નથી. હા થોડી ઘણી મુશ્કેલીઓ ચોક્કસથી આવે. પરંતુ તેનું સમાધાન કરીને સફળતા તો મેળવી જ શકાય છે. આખરે, જીવનમાં સફળતા તેઓને જ મળે છે, જે ક્યારેય મુશ્કેલીઓની સામે શરણાગતિ સ્વીકારતા નથી. જો તમારા સપનાઓ મોટાં હોય તો તેને પૂરાં કરવા તારે પણ મોટું બનવું પડશે! અમીષાની અત્યાર સુધીની સફર દરેક યુવાને પ્રેરિત કરે છે કે, મહેનત અને હિંમતથી કંઈ પણ સંભવ છે!

(રાધિકા રાઓલ-અમદાવાદ)