Home Blog Page 1072

યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી ગાઝામાં ઇઝરાયલે ફરી સેના ખડકી દીધી

ગાઝા: ઇઝરાયલે ફરી એકવાર ગાઝામાં ટેન્ક ઉતારીને જમીન પર હુમલો કર્યો છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) અનુસાર, તેણે ગાઝા પટ્ટીના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યુ છે. આ IDF ગ્રાઉન્ડ ઓપરેશનનો ઉદ્દેશ્ય ઉત્તર અને દક્ષિણ ગાઝા વચ્ચે બફર ઝોન બનાવવાનો અને ઇઝરાયલી સરહદ પર સુરક્ષા ઝોનનો વિસ્તાર કરવાનો છે.

ઉત્તર અને દક્ષિણ ગાઝાને અલગ કરતા નેત્ઝારિમ કોરિડોરમાં IDFના 252મા ડિવિઝનના સૈનિકો ઘૂસ્યા છે. સેનાએ તેના અડધાથી વધુ વિસ્તાર પર પણ કબજો કરી લીધો છે. બીજી તરફ, રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે ધમકી આપી છે કે જો બંધકોને પરત નહીં કરવામાં આવે તો હમાસનો સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે.

જેરુસલેમમાં નેતન્યાહૂ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

બુધવારે રાત્રે જેરુસલેમમાં હજારો લોકો નેતન્યાહૂ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓ ઇઝરાયલી ગુપ્તચર એજન્સી શિન બેટના વડા રોનેન બાર અને એટર્ની જનરલ ગાલી બહરાવ-મિયારાને તેમના પદ પરથી દૂર કરવાના અને ગાઝામાં યુદ્ધ ફરી શરૂ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનનથી પાણીનો મારો કર્યો. પોલીસે રસ્તાઓ બ્લોક કરવાના આરોપમાં 12 લોકોની ધરપકડ પણ કરી છે.

એટર્ની જનરલ ગલી બહારાવ-મિયારાએ શિન બેટના વડા રોનેન બારને હટાવવાના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. આ પછી, નેતન્યાહૂએ મિયારાને પણ પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. નેતન્યાહૂ પર આરોપ છે કે તેઓ સાથીઓ અને હમાસ અને કતાર વચ્ચેના ગુપ્ત ડીલની તપાસ રોકવા માટે રોનાનને હટાવવા માંગતા હતા. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના ભૂતપૂર્વ વડા, તામીર પારદોએ નેતન્યાહૂને દેશની સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે.

ઇઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું – અમે ગાઝામાં નર્કના દરવાજા ખોલીશું

ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે મંગળવારે હમાસને ચેતવણી આપી હતી કે જો બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો ગાઝામાં નર્કના દરવાજા ખોલવામાં આવશે. હમાસે ઇઝરાયલી હવાઈ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું. હમાસે ધમકી આપી છે કે આ પગલાથી તેની કસ્ટડીમાં રહેલા ઇઝરાયલી બંધકોના જીવ જોખમમાં મુકાશે. હમાસે કહ્યું કે ઇઝરાયલે કોઈપણ ઉશ્કેરણી વિના હુમલાઓ કર્યા હતા.

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે હુમલાઓનો આદેશ આપ્યો કારણ કે યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધી રહી ન હતી. નેતન્યાહૂએ ઘણી વખત ફરીથી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે. ઇઝરાયલે છેલ્લા બે અઠવાડિયાથી ગાઝામાં ખોરાક, દવા, બળતણ અને અન્ય પુરવઠાના સપ્લાયને રોકી દીધો છે અને હમાસને યુદ્ધવિરામ કરારમાં ફેરફારો સ્વીકારવાની માંગ કરી છે.

સતત 8મા વર્ષે ફિનલેન્ડ સૌથી ખુશહાલ દેશ, ટોપ-10માં બીજા ક્યા દેશો છે?

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ એટલે કે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની 2025 માટેની યાદી સામે આવી ગઈ છે. વિશ્વના 10 સૌથી ખુશહાલ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. દર 20 માર્ચે વર્લ્ડ હેપ્પીનેસ ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદી પણ જાહેર કરાઇ છે. સૌથી ખુશહાલ દેશોની યાદીમાં સતત આઠમા વર્ષે ફિનલેન્ડ પ્રથમ સ્થાને છે.

ટોપ-10 દેશોમાં કોને કોને સ્થાન? 

વિશ્વના સૌથી ખુશહાલ ટોપ-10 દેશોની વાત કરીએ તો ફિનલેન્ડ બાદ ડેનમાર્ક, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન પણ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. પરંતુ વિશ્વનો સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ આ યાદીમાં સ્થાન મેળવી શક્યો નથી. જ્યારે ભારતને પણ આ યાદીમાં સ્થાન મળ્યું નથી. ગેલપના મેનેજિંગ ડિરેક્ટર ઇલાના રોન-લેવે જણાવ્યું હતું કે નોર્ડિક દેશોનું આ યાદીમાં ટોચ પર હોવું આશ્ચર્યજનક નથી કેમ કે જે દેશો તેમના રહેવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં સફળ  રહ્યા છે ત્યાં સ્થિરતા જોવા મળી છે.

ફિનલેન્ડનું ફરી નંબર વન હોવાનું શું કારણ

રિપોર્ટ અનુસાર ફિનલેન્ડ એક અસાધારણ અપવાદ છે અને મને લાગે છે કે, વિશ્વ ખરેખર ફિનલેન્ડની વિશિષ્ટતા શું છે તે સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમનું માનવું છે કે, આ પાછળના સૌથી મોટા કારણોમાં અન્ય લોકો પર વિશ્વાસ, ભવિષ્ય માટે આશાવાદ, સંસ્થાઓમાં વિશ્વાસ અને મિત્રો અને પરિવારનો ટેકો શામેલ છે. ફિનલેન્ડમાં, પોતાના જીવન વિશે સારું અનુભવવા અંગે સર્વસંમતિ વધુ છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2022-2024 દરમિયાન સરેરાશ સ્વ-મૂલ્યાંકન અને ગેલપ વર્લ્ડ પોલમાં કેન્ટ્રીલ લેડર પ્રશ્નના જવાબો અનુસાર દેશોને રેન્કિંગ અપાયું છે.ડેનમાર્ક ખૂબ જ ખાસ

ખુશહાલ દેશોની યાદીમાં બીજા ક્રમે સ્થાન મેળવનારું ડેનમાર્ક એક દાયકા કરતાં વધુ સમયથી વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ટોચના 10 દેશમાં સામેલ છે. ફિનલેન્ડ અને યાદીમાં રહેલા અન્ય નોર્ડિક દેશોની જેમ ડેનમાર્કના લોકો પણ ખુશહાલ છે કારણ કે, આ દેશ સામાજિક સલામતી કવચ, સામાજિક જોડાણ પૂરા પાડે છે. ઉપરાંત, યુવાનો આ સ્થળોએ તેમના જીવન વિશે સારું અનુભવે છે. તમને જણાવી દઈએ કે, ડેનમાર્કના લોકો વિશ્વમાં સૌથી વધુ ટેક્સ ચૂકવે છે અને તેઓ તેમની આવકનો અડધો ભાગ ચૂકવવા તૈયાર રહે છે. પરંતુ આ વાત એ હકીકત દ્વારા પણ સંતુલિત છે કે, દેશમાં મોટાભાગની આરોગ્ય સેવાઓ મફત છે, બાળ સંભાળ સબસિડી આપવામાં આવે છે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોઈ ટ્યુશન ફી ચૂકવતા નથી અને અભ્યાસ દરમિયાન ખર્ચને પહોંચી વળવા માટે અનુદાન મેળવે છે. વૃદ્ધોને પેન્શન મળે છે અને તેમને સારસંભાળ માટે સહાયકો પણ પૂરા પાડવામાં આવે છે.

યમનમાં અમેરિકાના હવાઈ હુમલા, હુથીના શસ્ત્રોના ડેપો-મિસાઈલ પ્લેટફોર્મને કર્યા ટાર્ગેટ

યમન: હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર અમેરિકાના હવાઈ હુમલા ચાલુ છે. બુધવારે મોડી રાત્રે પણ, અમેરિકાએ યમનમાં હુતી બળવાખોરોના મિસાઇલ પ્લેટફોર્મ અને અનેક શસ્ત્રોના ડેપો પર ઝડપી હવાઈ હુમલા કર્યા. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે એક દિવસ પહેલા જ વ્હાઇટ હાઉસે તેહરાનને ચેતવણી આપી હતી કે તેણે અમેરિકાને ગંભીરતાથી લેવું પડશે અને હુથીઓના દરેક હુમલા માટે ઈરાન જવાબદાર રહેશે. તે જ સમયે, હુથીઓએ અમેરિકાને ખુલ્લો પડકાર આપ્યો હતો.વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ યમનમાં હુમલા કરવા માટે કટિબદ્ધ છે અને તેમની ચેતવણીઓને અવગણવી જોઈએ નહીં. હકીકતમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ યમનના તેહરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા ભવિષ્યમાં કરવામાં આવતા કોઈપણ હુમલા માટે ઈરાનને સીધા જવાબદાર ઠેરવશે.

છેલ્લા ઘણા દિવસોથી હુતી બળવાખોરો પર અમેરિકાના હવાઈ હુમલા ચાલુ છે. જવાબમાં, હુથીઓએ લાલ સમુદ્રમાં અમેરિકન જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી છે. એવું કહેવાય છે કે હુતી બળવાખોરો પાસે લગભગ 1 થી 1.5 લાખ લડવૈયાઓ છે. તેમની પાસે ડ્રોન અને મિસાઇલ સહિત ઘણા ખતરનાક શસ્ત્રો પણ છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુથીઓ પાસે એક હજારથી વધુ ઈરાની મિસાઇલો છે અને હિઝબુલ્લાહ હુથી બળવાખોરોને તાલીમ પણ આપે છે.
હુથીઓએ લાલ સમુદ્રમાં અનેક હુમલા કર્યા

નવેમ્બર 2023થી, હુથીઓએ આંતરરાષ્ટ્રીય શિપિંગ પર 100થી વધુ હુમલાઓ કર્યા છે, જેના કારણે વૈશ્વિક વેપારને નોંધપાત્ર નુકસાન થયું છે. હુથીઓનું કહેવું છે કે ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે તેમણે પેલેસ્ટિનિયનોના સમર્થનમાં આ હુમલાઓ કર્યા હતા. તમને જણાવી દઈએ કે યમનમાં સૌથી શક્તિશાળી બળવાખોરો હુતી બળવાખોરો છે. અબ્દરબ્બુહ મન્સુર હાદીએ રાષ્ટ્રપતિ નેતૃત્વ પરિષદને સત્તા સોંપી. આ કાઉન્સિલ સાઉદી અરેબિયાથી કામ કરે છે. આને યમનની સત્તાવાર સરકાર માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે હુથી બળવાખોરો યમન પર શાસન કરે છે. તેઓ ઉત્તર યમનમાં કર વસૂલ કરે છે. તેમની પાસે પોતાનું ચલણ પણ છે.

પંજાબ પોલીસે 3 મહિના પછી શંભુ-ખનૌરી બોર્ડર ખાલી કરાવી

નવી દિલ્હી: પંજાબ પોલીસે 13 મહિના બાદ હરિયાણા-પંજાબની શંભુ અને ખનૌરી બોર્ડર ખાલી કરાવી દીધી છે. અહીં વિરોધ કરી રહેલા ખેડૂતોને હટાવવામાં આવ્યા છે. આ દરમિયાન 200 ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતો દ્વારા બનાવેલા શેડને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા. પંજાબ પોલીસની કાર્યવાહી બાદ આવતીકાલે હરિયાણા પોલીસ પણ બંને બોર્ડર પર પહોંચશે. ત્યાર બાદ સિમેન્ટના બેરિકેડ દૂર કરવામાં આવશે. આ પછી શંભુ બોર્ડરથી જીટી રોડ વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે.

આ પહેલા, બુધવારે શંભુ અને ખનૌરી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 7મા રાઉન્ડની વાતચીત અનિર્ણિત રહી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પીયૂષ ગોયલ અને પ્રહલાદ જોશી સહિત ખેડૂત નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. આમાં, પંજાબ સરકારે ખેડૂતોને સરહદ ખાલી કરવા કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડી દીધી. આ પછી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન મજૂર મોરચા (KMM)ના કન્વીનર સરવન પંઢેર અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના જગજીત ડલ્લેવાલને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

ખેડૂતો 13 ફેબ્રુઆરીથી શંભુ અને ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી જતા હતા ત્યારે હરિયાણા પોલીસે તેમને ત્યાં બેરિકેડિંગ કરીને રોક્યા હતા. તેઓ MSPની ગેરંટી આપતો કાયદો બનાવવાની માગ કરી રહ્યા છે. અગાઉ, તેમણે ચાર વખત દિલ્હી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને શંભુ બોર્ડરથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

સુવિચાર – ૨૦ માર્ચ ૨૦૨૫

૨૦ માર્ચ ૨૦૨૫

કબીરવાણી: શિષ્યે, સાધકે કે મુમુક્ષે શ્રદ્ધા અને નમ્રતાના ગુણો કેળવવા જોઈએ

 

સાધુ મિલે યહ સબ ટલે,  કાલ-જાલ-જમ ચોટ,

શીશ નવાવત ઢહિ પરે, અદ્ય પાપન કે પોટ.

 

માનવીના જીવનમાં જન્મ-રાગ-વૃદ્ધાવસ્થા અને મરણની ઘટમાળ નિશ્ચિત છે. જીવનમાં સુખ અને દુઃખ અતૂટ રીતે જોડાયેલ છે. સંઘર્ષ, પુરુષાર્થ અને અરસપરસના સહયોગ વિના માનવ- જીવનનું અસ્તિત્વ કલ્પી શકાતું નથી.

આવાં સ્પષ્ટ સત્યોને નજરમાં રાખી કબીરજી કહે છે કે, સારા સાધુ દ્વારા મૂળભૂત વસ્તુનું જ્ઞાન-સમજ પ્રાપ્ત થાય તો કાળ, માયાના આવરણની જાળ અને મૃત્યુ એમ ત્રણ દ્વારા થતી ગ્લાનિ ટાળી શકાય છે.

કાળની ગતિ અવિરત છે. રોજબરોજના જીવનમાં આસક્તિ હોવી તે સહજ છે. મૃત્યુનો ડર પણ હોય છે. સત્સંગથી અભય, અનાસક્તિ અને વૈરાગ્ય કેળવાય છે. દિનચર્યામાં થતાં દોષો અને સંચિત કર્મનાં નકારાત્મક પાસાઓ સંતના આશિષ પ્રાપ્ત થતાં દૂર થાય છે.

શિષ્યે, સાધકે કે મુમુક્ષે આ માટે શ્રદ્ધા અને નમ્રતાના ગુણો કેળવવા જોઈએ. આપણી સંસ્કૃતિમાં પ્રણામ-નમન પાછળ ઉચ્ચ ભાવનાઓ રહેલી છે. દરેક વ્યક્તિમાં બિરાજમાન ઈશ્વરને વંદન કરી આપણે સામી વ્યક્તિ માટે આદર વ્યક્ત કરીએ છીએ. આથી સંબંધો અને વાતાવરણ શુદ્ધ બને છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

પંચાંગ 20/03/2025

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન

મહારાષ્ટ્ર શાસનના સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વાર્ષિક પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક અને સાહિત્ય ક્ષેત્રે ફાળો આપનાર કલાકારોનું સન્માન કરવામમાં આવશે.

ભાગ્યેશ જહા, નિરંજન મહેતા, પ્રફુલ્લ પંડ્યા તથા લક્ષ્મીકાંત તાંબોળી

મુંબઈના રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, દાદર ખાતે 21 માર્ચે વાર્ષિક પારિતોષિક અર્પણ સમારંભ યોજાયેલ છે. અકાદમી દ્વારા વિવિધ પારિતોષિકો જાહેર કરવામાં આવ્યા છે. જેની યાદી પર એક નજર કરીએ તો ગુજરાતી અને મરાઠી સાહિત્યકારોને અપાતું કવિ નર્મદ પારિતોષિક અનુક્રમે ભાગ્યેશ જહા તથા લક્ષ્મીકાંત તાંબોળીને એનાયત કરવામાં આવશે. મહારાષ્ટ્રસ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે પ્રફુલ્લ પંડ્યા, કલા ક્ષેત્રે નિરંજન મહેતા, પત્રકારત્વ ક્ષેત્રે રમેશ દવે તથા સંસ્થાઓમાં ગુજરાતી વિભાગ- એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠની પસંદગી કરવામાં આવી છે.

સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ અને વાર્તા વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે.કવિતા વિભાગમાં રાજેશ રાજગોરના `શ્રીકૃષ્ણ ચરિતમ્ (ગઝલ સ્વરૂપે)’ કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળેલ છે. નવલકથા વિભાગમાં પ્રથમ ઈનામ દેવયાની દવેની `આવકાર’ તથા દ્વિતીય ઈનામ ઊર્મિલા પાલેજાની `ત્રીજો ભવ’ નવલકથાને અપાશે. લલિત નિબંધમાં ડૉ. સરોજિની જિતેન્દ્રના `જાત સાથે વાત’ પુસ્તકને પ્રથમ તથા નિરંજના જોશીના ‘છીપ મોતી શંખ’ પુસ્તકને દ્વિતીય ઈનામ મળશે.

વાર્તા વિભાગની વાત કરીએ તો કામિની મહેતાના ‘ઉડાન’તથા નીલા સંઘવીના ‘નીલા સંઘવીની નવી વાર્તાઓ’ વાર્તાસંગ્રહને દ્વિતીય ઈનામ સંયુક્તપણે જાહેર કરવામાં આવશે. પ્રકીર્ણ વિભાગમાં પ્રથમ ઈનામ મેધા ગોપાલભાઈ ત્રિવેદીના `મણિબહેન વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન’ પુસ્તકને અપાશે. સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના અધ્યક્ષ માન.ઍડ. આશિષ શેલાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર દ્વારા પારિતોષિકો એનાયત કરવામાં આવશે. જીવનગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં રૂ. 1,00,000/-ની રાશિ જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઈનામમાં રૂ. 30,000/- અને દ્વિતીય ઈનામમાં રૂ. 2૦.૦૦૦/ની રાશિ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે. પારિતોષિકની પસંદગીમાં અકાદમીના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શનમાં નિર્ણાયક સમિતિએ સેવા આપી હતી.

 

અંધજન મંડળ દ્વારા 82 વિકલાંગ લોકોને રોજગાર માટે સાધનોનું વિતરણ

અમદાવાદ: અંધજન મંડળે 19 માર્ચના રોજ એક મહત્વપૂર્ણ પ્રકલ્પ હેઠળ 82 વિકલાંગ લોકોને 70 સીવણ મશીનો અને 12 બ્યુટી પાર્લર કીટો વિતરીત કરી. આ અનોખી પહેલ ઇક્લિનિકલ વર્ક્સના CSR ફંડના સહયોગથી સંપન્ન થઈ, જેનાથી આ લોકોને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની તક મળી.

વિકલાંગ લોકો માટે નવી આશા

આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ વિકલાંગ લોકોને સ્વરોજગારના સંસાધનોથી સજ્જ કરી, સમાજમાં તેમની સ્વીકૃતિ વધારવાનો છે. આ મશીનો અને બ્યુટી પાર્લર કીટોથી તેઓ પોતાનો ઉદ્યોગ શરુ કરી શકશે અને પરિવારના આર્થિક સહયોગી બની શકશે. આથી, આ લોકો હવે માત્ર સહાનુભૂતિના હકદાર નહીં, પણ સમાજના સક્રિય હિસ્સેદાર બની શકે.

ઇક્લિનિકલ વર્ક્સનો મહત્વપૂર્ણ ફાળો

આ પ્રકલ્પ માટે ઇક્લિનિકલ વર્ક્સે મોટી રકમનું દાન આપી, પોતાના CSR ફંડ દ્વારા વિકલાંગ લોકો માટે રોજગારના નવા રસ્તા ખોલ્યા છે. આ સહાયથી અનેક લોકો સ્વરોજગારી બની શકશે અને આત્મનિર્ભર જીવન જીવવાની પ્રેરણા મળશે.

વિશ્વાસ અને વિકાસ તરફ એક પગલું

આ યોજનાને લીધે વિકલાંગ લોકો માટે રોજગારીના દરવાજા ખુલી રહ્યા છે, જેનાથી તેઓ આત્મવિશ્વાસ અને સ્વાભિમાન સાથે જીવન જીવી શકે. અંધજન મંડળ દ્વારા આવા વધુ પ્રોજેક્ટની આશા છે, જે સમાજના અન્ય વિકલાંગ વ્યક્તિઓ માટે પણ નવી આશાની કિરણ બની શકે.