કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે અનેક સ્થળોએ ગેરરીતિ અને હિંસાની ફરિયાદો સામે આવી છે. મતદાન દરમિયાન ભાજપે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે ડાયમંડ હાર્બરની ફાલ્ટા બેઠકના કેટલાક પોલિંગ બૂથોમાં EVM મશીન પર ભાજપના ચિહ્ન સામે ટેપ ચોંટાડવામાં આવી હતી, જેથી કોઈ મતદાર એ બટન દબાવી ન શકે. આ આરોપોને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યાં-જ્યાં EVM પર કાળી કે સફેદ ટેપ જોવા મળશે, ત્યાં ફરીથી મતદાન કરાવવામાં આવશે. જો કોઈ વિધાનસભા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં બૂથોમાં આવી ઘટના સામે આવશે, તો સમગ્ર ક્ષેત્રમાં ફરી મતદાન કરાશે.
અમિત માલવીયે કર્યું ટ્વીટ
મમતા બેનર્જીએ જહાંગીર ખાનનો બચાવ કરતાં આવું કહ્યું હતું. જહાંગીર ખાન ડાયમંડ હાર્બરની ફાલ્ટા બેઠક પરથી TMCના ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે. અનેક મતદાન કેન્દ્રોમાં ભાજપને મત આપવાનો વિકલ્પ ટેપથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી મતદારો પોતાની પસંદગીનો મત આપી શકે નહીં. આ જ કહેવાતું “ડાયમંડ હાર્બર મોડલ” છે, જે મોડલે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને લોકસભા બેઠક જીતવામાં મદદ કરી હતી.
અમે ફાલ્ટાના તે તમામ પ્રભાવિત બૂથોમાં તાત્કાલિક પુનઃમતદાનની માગ કરીએ છીએ, જ્યાં આવી ઘટનાઓ બની છે. કેટલાક બૂથોની વિગતો અને પુરાવા નીચે મુજબ છે:
ફાલ્ટા 144
ભાગ 170
રૂમ નંબર 2 – હરિંદાંગા હાઈ સ્કૂલ
બૂથ નંબર 189 પણ આ જ રીતે પ્રભાવિત થયો છે, તેમ જ અન્ય ઘણા બૂથોમાં પણ આવી ઘટના બની છે.
This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.
In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86
TMCએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે અમિત શાહની કેન્દ્રીય દળો હવે ધોળેદહાડે મહિલાઓ પર બેરહેમીથી હુમલો કરી રહી છે અને તેમને માર મારી રહી છે. આ જ ભયાનક શીતલકુચી આતંકનું મોડલ છે, જે આખા બંગાળમાં ફરીથી દોહરાવવામાં આવી રહ્યું છે, જ્યાં નિર્દોષ મતદારોને, ખાસ કરીને મહિલાઓને, માર મારવામાં આવી રહ્યો છે, ડરાવવામાં આવી રહ્યા છે અને આતંકિત કરવામાં આવી રહ્યા છે.
તેમણે અમારી માતાઓ અને બહેનો પર જેટલો વધુ હુમલો કરશે, અમારો વિરોધ એટલો જ વધુ મજબૂત બનશે. બંગાળની મહિલાઓના દરેક અપમાન, દરેક લાઠીચાર્જ અને દરેક આંસુ માટે ભાજપને ભારે કિંમત ચૂકવવી પડશે. ચોથી મેએ બંગાળ ન્યાય આપશે.
ગાંધીનગ: ગુજરાત દિવસના અવસરે દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને નવી તકોનો મહાસંગમ સર્જાવા જઈ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની ત્રીજી આવૃત્તિ 1 અને 2 મેેના રોજ સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે યોજાશે. આ પરિષદમાં સુરત સહિત ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓના ઔદ્યોગિક શક્તિ અને સંભાવનાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે.
કોન્ફ્રન્સની સાથે 1 મેના રોજ સાંજે સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી પણ યોજાશે. Y-જંકશનથી શરૂ થતી પરેડ ડુમસ સી-ફ્રન્ટ સુધી પહોંચશે. જેમાં વિવિધ સરકારી વિભાગોના આકર્ષક ટેબ્લો રજૂ થશે. ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ક્યુરેટ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આ ઉજવણીને વધુ રંગીન બનાવશે.
VGRC દક્ષિણ ગુજરાતનું પ્રારંભ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE)ના ઉદ્ઘાટનથી થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય સંબોધન કરશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદ્ઘાટન ભાષણ અને પ્રસ્તુતિ આપશે. ભાગીદાર દેશોના રાજદૂતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ખાસ હાજર કરશે. આ વર્ષે VGRC માટે જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાયા છે. સાથે જ JETRO, USISPF, AMCHAM, KOTRA અને રશિયન ટ્રેડ પ્રતિનિધિત્વ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગીદાર સંગઠનો તરીકે જોડાશે. જે ગુજરાતના વૈશ્વિક વેપાર અને રોકાણ માટેના અવસરને વધુ મજબૂત બનાવશે.
મુખ્ય હાઇલાઇટ્સ
* મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સુરત કટ ડાયમંડ – GI ટેગ’ પર એક ખાસ કવર પ્રકાશિત કરશે.
* ભારતમાં રવાન્ડાના ઉચ્ચ કમિશનર જેક્લીન મુકાંગીરા સહિત વિદેશી રાજદ્વારીઓની હાજરી; ભારતમાં યુક્રેનના રાજદૂત અને પૂર્ણાધિકારી મહામહિમ ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુક; ભારતમાં સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગ; અને ભારતમાં જાપાનના રાજદૂત કેઇચી ઓનો ખાસ હાજર રહેશે.
* રાજ્ય સરકાર દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં નવી અને સ્માર્ટ GIDC એસ્ટેટની પણ જાહેરાત કરશે.
* VGRC MoU અને વ્યૂહાત્મક ભાગીદારીનું પણ વિનિમય કરશે.
બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન, સેમિનાર, પેનલ ચર્ચાઓ અને રાઉન્ડ ટેબલની શ્રેણીનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ ક્ષેત્રો અને ઉભરતી તકોને આવરી લેવામાં આવશે. દિવસ-1માં કૃષિ અને બાગાયત, કાપડ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, સ્ટાર્ટઅપ્સ, પરમાણુ ઉર્જા, ખાતર, કુદરતી ગેસ વગેરે જેવા ક્ષેત્રો પર સેમિનાર યોજાશે. જે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિકાસશીલ છે. વધુમાં, જાપાન અને યુક્રેન દ્વારા મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર દેશ સેમિનાર તેમજ દેશ સેમિનાર યોજવામાં આવશે.
બીજા દિવસે, પ્રાદેશિક MSME કોન્ક્લેવનું આયોજન કરવામાં આવશે. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી, સર્કુલર ઇકોનોમી, કૌશલ્ય વિકાસ, એરોસ્પેસ અને સંરક્ષણ, મત્સ્યઉદ્યોગ અને સહકારી, ગ્રીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન, ઇકોટુરિઝમ, શહેર આર્થિક ક્ષેત્ર વિકાસ વગેરે પર ક્ષેત્રીય સેમિનાર યોજાશે.
કોન્ફરન્સની સાથે, 1 થી 5 મે દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું પણ આ જ સ્થળે આયોજન કરવામાં આવશે. તેમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ રિવર્સ બાયર-સેલર મીટ (RBSM) અને ઉદ્યોગી મેળા જેવા સમાંતર કાર્યક્રમોનો સમાવેશ થશે. આ એક્ઝિબિશન દક્ષિણ ગુજરાત જિલ્લાઓ ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડના ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ્સ અને સરકારી વિભાગો માટે એક ઉન્નત પ્લેટફોર્મ પ્રદાન કરશે.
રાજ્ય સરકારનો મુખ્ય હેતુ દક્ષિણ ગુજરાતમાં સમાન અને ટકાઉ ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. વ્યૂહાત્મક ભાગીદારી અને રોકાણકારોની સક્રિય ભાગીદારી દ્વારા આ પરિષદ પ્રદેશના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડશે. VGRCની અગાઉની આવૃત્તિઓ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સફળતાપૂર્વક યોજાઈ હતી, જેના પરિણામે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને વિકાસના નવા દ્વાર ખુલ્યા હતા.
‘વિકસિત ભારત@2047’ ના વિઝન સાથે સુસંગત VGRC પરિષદો રાજ્યના પ્રાદેશિક અર્થતંત્રોને સશક્ત બનાવીને, નવીનતાને પ્રોત્સાહન આપીને અને વૈશ્વિક જોડાણોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. VGRC 2026 દક્ષિણ ગુજરાત માટે વિકાસની નવી દિશા નિર્ધારિત કરશે.
સુરત: ૬૬મા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સુરત શહેરમાં થવાની છે. જેના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા ૧લી મે સુધી અઠવાલાઇન્સના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. તેમણે શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને નિહાળ્યા હતા.આ પ્રદર્શન ૧ મે સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ચાલવાનું છે. આ શસ્ત્ર પ્રદર્શનમાં સમાજના પ્રત્યેક નાગરિક જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતા વિવિધ સ્ટોલ્સ નિહાળી શકશે. સવારના ૧૦.૩૦ થી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી લોકો આ પ્રદર્શનની મુલાકાત લઈ શકશે.
આ શસ્ત્ર પ્રદર્શનમાં પોલીસની કામગીરીમાં ઉપયોગી એવા આધુનિક હથિયારો અને પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાઓના ઉકેલ માટે કરવામાં આવતી કામગીરીને રજૂ કરતા સ્ટોલ્સ છે. જેમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે ખડેપગે નિ:સ્વાર્થ ભાવે કાર્યરત દેશની સુરક્ષા એજન્સીઓ, ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શી-ટીમ, એલસીબી, એસ.ઓ.જી, સાયબર સુરક્ષા, એસ.ડી.આર.એફ, મરીન ટાસ્ક ફોર્સ, એટીએસ, બીડીડીએસ, એફ.એસ.એલ. ટ્રાફિકના જવાનોની ટુકડીઓની સેવા અને કામગીરી દર્શાવવામાં આવી છે.
પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે સુરત શહેર પોલીસ અધિકારી-કર્મચારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
દુબઈઃ સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEએ લગભગ 60 વર્ષ બાદ ઓઇલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC (ઓપેક)માંથી બહાર નીકળવાનો મોટો નિર્ણય લીધો છે. UAEના આ નિર્ણયને માત્ર ઓઇલ સાથે જોડાયેલો નહીં, પરંતુ રાજકીય રીતે પણ મોટો ખેલ માનવામાં આવી રહ્યો છે. આથી માત્ર આ ઓઇલ સંગઠન અને તેના સૌથી મોટા નેતા ગણાતા સાઉદી આરબને જ ઝટકો લાગી શકે છે એવું નહીં, પરંતુ સાઉદી આરબના સંરક્ષણ ભાગીદાર પાકિસ્તાન પર પણ તેની અસર પડી શકે છે.
હકીકતમાં UAE અને સાઉદી આરબ વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હતો. જોકે ઈરાનના હુમલાઓને કારણે બંને દેશો એક મંચ પર દેખાવા લાગ્યા હતા. યુરેશિયા ગ્રુપના મિડલ ઈસ્ટ વિભાગના પ્રમુખ ફિરાસ મક્સદે જણાવ્યું હતું કે UAE ખુશ નહોતું કે તેને પોતાની ઓઇલ ઉત્પાદનની મર્યાદામાં બંધાઈને રહેવું પડે, ખાસ કરીને ત્યારે જ્યારે તે વધુ ઓઇલ કાઢવા માગતું હતું અને સાઉદી આરબ ઓછું ઉત્પાદન ઇચ્છતું હતું.
UAE પાકિસ્તાનથી પણ નારાજ રહ્યું છે. તેનું કારણ પાકિસ્તાનના સાઉદી આરબ સાથે વધતા સંબંધો અને અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થ તરીકેની ભૂમિકા છે. UAEને લાગે છે કે પાકિસ્તાને ખાડી દેશો પર થયેલા હુમલાઓ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું નથી. ચેથમ હાઉસના નિષ્ણાત નીલ ક્વિલિયમએ કહ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થ ભૂમિકાથી UAE અસંતોષમાં હતો. તેમણે કહ્યું હતું તે UAEના દ્રષ્ટિકોણથી અહીં કોઈ તટસ્થ સ્થાન નથી. જો તમે વચ્ચે છો, તો તમે કોઈ એક તરફ નથી, અને આ UAEને સ્વીકાર્ય નથી.
OPEC છોડવાથી UAEને શું ફાયદો?
UAE OPECનું ત્રીજો સૌથી મોટો ઓઇલ ઉત્પાદક દેશ છે અને 1967માં તેમાં જોડાયું હતું. પરંતુ OPECમાં સામેલ દેશો માટે ઓઇલ ઉત્પાદન મર્યાદા સાઉદી આરબ નક્કી કરતું રહ્યું છે, જેને કારણે UAE વધુ ઓઇલ નિકાસ કરી શકતું નહોતું. હવે OPEC છોડ્યા પછી UAEને બજાર મુજબ ઝડપથી નિર્ણય લેવાની અને વધુ નફો કમાવાની સ્વતંત્રતા મળશે.
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન અનેક સ્થળોએથી હિંસક અથડામણના અહેવાલો સામે આવ્યા છે. ભાજપના ઉમેદવારના વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ટીએમસી અને આઈએસએફ સમર્થકો વચ્ચે પણ અથડામણ થઈ હતી. આ બાબતે આઈએસએફના વડાએ શું કહ્યું તે જાણો.
Photo: IANS
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન શરૂ થતાં જ નાદિયા, હાવડા અને દક્ષિણ 24 પરગણા સહિત અનેક વિસ્તારોમાં હિંસક અથડામણો ફાટી નીકળી હતી. દક્ષિણ 24 પરગણાના બસંતી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર વિકાસ સરદાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે પાનિહાટીમાં ભાજપ અને ટીએમસી સમર્થકો વચ્ચે ઝપાઝપીના અહેવાલો છે.
ભાજપના ઉમેદવાર પર હુમલો
અહેવાલ મુજબ, બસંતીમાં ભાજપના ઉમેદવારના વાહન પર તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બૂથ નંબર 76 પર બની હતી, જ્યાં ભાજપના ઉમેદવાર વિકાસ સરદાર પર બૂથની મુલાકાત લેતી વખતે કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ઉમેદવાર મતદાન મથકનું નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.
ટીએમસી અને આઈએસએફ સમર્થકો વચ્ચે અથડામણ
હુગલી જિલ્લાના રામચંદ્રપુરમાં બૂથ નંબર 147 પર ટીએમસી અને આઈએસએફ સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. નકલી મતદાન એજન્ટોની નિમણૂકના આરોપોને લઈને તણાવ વધ્યો હતો. ભાંગરના પ્રાણગંજમાં બૂથ નંબર 233 અને 234 પર પણ તણાવ વધ્યો હતો, જેના કારણે ટીએમસી સમર્થકો અને આઈએસએફ નેતા નૌશાદ સિદ્દીકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
આઈએસએફ નેતાએ શું કહ્યું?
આઈએસએફ નેતા નૌશાદ સિદ્દીકીએ કહ્યું, “મતદાન મથકથી માત્ર 100 મીટર દૂર ટીએમસી કાર્યકરો મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં ત્યાં હાજર કેન્દ્રીય દળના કર્મચારીઓને આ બાબતની તપાસ કરવા વિનંતી કરી. જ્યારે હું મારી કારમાં બેઠો હતો, ત્યારે ટીએમસી કાર્યકરોએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો. કેન્દ્રીય દળોએ તેમને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. તેમણે મારા પર હુમલો કર્યો ન હતો. મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. ટીએમસી સંપૂર્ણપણે ગભરાઈ ગઈ છે. લોકો 2023ની પંચાયત ચૂંટણીમાં કે 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શક્યા નહીં. હવે જ્યારે લોકો આખરે મતદાન કરી રહ્યા છે, ત્યારે તેઓ ટીએમસી વિરુદ્ધ અને અમારી તરફેણમાં મતદાન કરશે.”
વિસ્તારમાં તણાવ વધ્યો
આ ઘટના દરમિયાન, તેમના વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તેમના સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયારો છીનવી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે કેન્દ્રીય દળોની હાજરી હોવા છતાં, સુરક્ષા કર્મચારીઓએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અથવા બચાવ કામગીરીમાં મદદ કરવા માટે હસ્તક્ષેપ કર્યો ન હતો. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ વધુ વધ્યો છે.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આજે ઉત્તર પ્રદેશના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્સપ્રેસવે શરૂ થતાં પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ હવે 594 કિમી લાંબા ગંગા એક્સપ્રેસવે દ્વારા જોડાઈ ગયા છે. ઉત્તર પ્રદેશના વિકાસના માર્ગમાં આ એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થશે. ગંગા એક્સપ્રેસવે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠને પૂર્વી યુપીના પ્રયાગરાજ સાથે જોડવા માટે બનાવવામાં આવ્યો છે. આજે તેના ઉદ્ઘાટન બાદ આજ રાતથી જ લોકો આ માર્ગ પર સફર કરી શકશે. હાલમાં મેરઠથી પ્રયાગરાજ જવામાં 12 કલાક સુધીનો સમય લાગે છે, જ્યારે ગંગા એક્સપ્રેસવે દ્વારા આ અંતર માત્ર છ કલાકમાં પૂર્ણ થશે.
નવા અવસરોનો ગેટવે છે ગંગા એક્સપ્રેસવે
આ ઉદ્ઘાટન પ્રસંગે PM મોદીએ એક જાહેર સભાને પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની ચૂંટણી અને ત્યાં ચાલી રહેલા બીજા તબક્કાના મતદાન અંગે પણ વાત કરી હતી, પરંતુ ગંગા એક્સપ્રેસવેને તેમણે નવા અવસરોનો ગેટવે ગણાવ્યો હતો. હરદોઈમાં ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડિસેમ્બર, 2021માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ એક્સપ્રેસવેનું શિલાન્યાસ કર્યું હતું. એ સમયે પીએમ મોદીએ રાજ્યને આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાનું વિઝન આપ્યું હતું. આજે આપણે દેશમાં નવા ભારતનું વિઝન જોઈ રહ્યા છીએ. આ વિઝનને કારણે અમારી મુસાફરી સરળ બની છે અને સાથે અમારા અર્થતંત્રને પણ નવી ઊંચાઈ મળી છે.
VIDEO | Hardoi, Uttar Pradesh: PM Modi (@narendramodi) inaugurates Ganga Expressway, says, “I thank the great people of Bengal that they are aware of their rights and are casting their vote in large numbers.”
ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સાથે જ યુપીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઈતિહાસમાં આજે એક નવું સુવર્ણ અધ્યાય જોડાઈ ગયું છે. મેરઠથી પ્રયાગરાજ સુધી ફેલાયેલો આ મેગા એક્સપ્રેસવે કોરિડોર માત્ર યુપીના 12 જિલ્લાઓ વચ્ચેનું અંતર ઘટાડશે નહીં, પરંતુ રાજ્યના અર્થતંત્રને નવી ગતિ આપતાં ઔદ્યોગિક રોકાણ અને રોજગારીના માર્ગો પણ ખૂલશે.
આ 12 જિલ્લાઓને મળી નવી કનેક્ટિવિટી
ગંગા એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સાથે મેરઠ, હાપુડ, બુલંદશહેર, અમરોહા, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજને સીધી કનેક્ટિવિટી મળી ગઈ છે. આ એક્સપ્રેસવે પર વાહનો 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.
આજે એટલે બુધવારે સવારે સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ પર ભારે ગતિએ વાહન ચલાવવાથી ગોઝારો અકસ્માત થયો. દુ:ખદ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા અને ચાર ઘાયલ થયા. આ અકસ્માત સાબરકાંઠા જિલ્લામાં હાઇવે પર થયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં કાળમુખી ઘટના ઘટી. હિંમતનગર નજીક જસવંતગઢ પાટિયા પાસે એક પુરપાટ ઝડપે આવતી ખાનગી બસે કારને પાછળથી ટક્કર મારતા ભીષણ અકસ્માત થયો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.
આ દુર્ઘટના શામળાજીથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે પર સર્જાઈ હતી. આ ભીષણ અકસ્માતમાં અન્ય 6 લોકોને ગંભીર ઈજા થઈ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, અકસ્માત એટલો પ્રચંડ હતો કે, કારનો પાછળનો અને ઉપરનો ભાગ બિલકુલ દબાઈ ગયો હતો. કારમાં સવાર મુસાફરો પણ લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાયેલા હતાં.
ગાંભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે વાનમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘાયલ થયા હતા. અકસ્માત બાદ, તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કે ઝડપી ગતિએ આવતી બસે પાછળથી વાનને કેમ ટક્કર મારી.
સુરત: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં MSME, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે ૧ અને ૨ મેના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ (VGRC)ની ત્રીજી આવૃત્તિ શહેરમાં યોજાવાની છે. VGRCની યજમાની કરવાની તક રાજ્યના આર્થિક પાટનગર સમા સુરત શહેરને મળવાની છે. વ્યાવસાયિક સુઝબુઝ અને સાહસવૃત્તિથી દેશવિદેશમાં આ શહેરે ખ્યાતિ મેળવી છે. હીરા અને કાપડ વ્યવસાયમાં વિશ્વ વિખ્યાત સુરતનો ‘જરી ઉદ્યોગ’ આ શહેરની સાહસિકતા, પ્રાચીન ગૌરવને ઉજાગર કરે છે.શહેરના બેગમપુરા, વાડીફળિયા, ખટોદરા, ભાટેના અને નવાપુરા જેવા વિસ્તારો એક સદી પહેલા સુરતમાં વિકાસ પામેલા જરી ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો રહ્યા છે. મૂળ સુરતના ગોલા-કણબી, ખત્રી, રાણા અને પટેલ જ્ઞાતિના કુટુંબો અંદાજે ૧૨૦ વર્ષ જૂની વંશપરંપરાગત કલાને પેઢી દર પેઢી જીવંત રાખી રહ્યા છે. સુરતની ભૌગોલિક પરિસ્થતિ, અહીંની ભેજવાળી હવા જરીના તારના વણાટ અને ખેંચાણ માટે અત્યંત અનુકૂળ છે. આ જ કારણથી અહીં ઉત્પાદિત જરીની ગુણવત્તા સર્વોત્તમ રહે છે.વર્તમાન સમયમાં સુરતનો જરી ઉદ્યોગ આધુનિકતા સાથે કદમ મિલાવી રહ્યો છે. આજે સુરતમાં ૮૦ ટકા જેટલું ઉત્પાદન સસ્તી અને ટકાઉ મેટાલિક યાર્ન જરીનું થાય છે, જ્યારે ૨૦ ટકા સાચી જરીનું ઉત્પાદન જળવાઈ રહ્યું છે. વરાછા, કતારગામ, પુણા વિસ્તારમાં આજે પણ હજારો ખટારા ઘરોમાં ચાલે છે. તેમજ હાલ સુરત ભારતનું ૭૦% જરીનું ઉત્પાદન કરનારું શહેર છે. જરી ઉદ્યોગ માટે જરૂરી મશીનરીનું ઉત્પાદન પણ સુરતમાં જ થાય છે.
આ વિષે વધુ વિગત આપતા સુરત જરી મેન્યુફેક્ચરિંગ એસોશિયેશનના પ્રમુખ બંકીમચંદ્ર જરીવાલાએ કહ્યું કે, વર્ષોથી અસલ સોના-ચાંદીમાં તૈયાર કરાતી જરી ધીરે-ધીરે તાંબા અને કાંસામાં બનતી થઇ અને રિઅલ જરીના વધતા ભાવને કારણે છેલ્લા ૧૦-૧૫ વર્ષથી હવે પ્લાસ્ટિકના તારમાંથી પણ મેટાલિક યાર્ન જરીનું ઉત્પાદન શરૂ થયું છે. હાલ સુરતમાં જરી ઉદ્યોગના ૮૦૦ જેટલા યુનિટ નોંધાયેલા છે. જેનું વર્ષે અંદાજે ૮૦૦ થી ૯૦૦ કરોડનું ટર્નઓવર છે. આ ઐતિહાસિક ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશરે ૨.૫૦ લાખ લોકો જોડાયેલા છે અને આજે પણ ‘જરી’ તેમની આજીવિકાનો મૂળ સ્ત્રોત છે.જરીનો ઉપયોગ મુખ્યત્વે કિંમતી સાડીઓમાં તેમજ ભરતકામમાં કિંમતી પોષાક તૈયાર કરવામાં થાય છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હાથવણાંટના કુશળ કારીગરો દ્વારા જરીમાંથી બનાવેલી કાંજીવરમ, કોચંપલ, ધર્મવરમ, બેંગ્લોરી કે બનારસી સિલ્કની સાડીઓ પ્રખ્યાત છે.
ઈતિહાસ
‘જરી’ ઉદ્યોગના તાર ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. ઋગ્વેદ, રામાયણ અને મહાભારત જેવા આપણા પૌરાણિક ગ્રંથોમાં સોના-ચાંદીના તારમાંથી ગૂંથાયેલા વસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. રામ-સીતા અને કૃષ્ણના ‘જરકસી જામા’ તથા ‘પીળા-પીતાંબર’ જેવા વસ્ત્રો સુરતની આ પરંપરાગત કલાની પ્રાચીનતાના સાક્ષી છે.
મેગેસ્થનીસ જેવા ગ્રીક વિદ્વાનોના લખાણોમાં પણ સોના-ચાંદીના તારથી બનેલા કાપડનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને મુઘલ શાસનનો સમયગાળો જરી ઉદ્યોગનો ‘સુવર્ણકાળ’ હતો. તે સમયે સુરત બંદર હોવાને કારણે અહીંની જરી અને તેમાંથી બનેલા ‘કિનખાબ’ કાપડની નિકાસ આરબ અને યુરોપિયન દેશોમાં થતી હતી. ઇજિપ્ત, અફઘાનિસ્તાન, ઈટાલી, જર્મની અને તુર્કીમાં વિશાળ બજાર મળ્યું હતું. સુરતના ચાવીરૂપ ભૌગોલિક સ્થાનના કારણે મળતા લાભોને ધ્યાનમાં લઈ ફ્રેંચ, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝોએ પણ સુરતમાં જરીની ફેક્ટરીઓ સ્થાપી હતી.
સુરત હજ યાત્રા માટેનું પણ મહત્વનું કેન્દ્ર હતું. હજે જતા-આવતા યાત્રિકો સુરતમાં રોકાઈને જરી, કિનખાબ, બ્રોકેડ, તનછોઈ, સોનાની કિનાર અને ભરતકામ ખરીદતા. હાજી, શેખ અને મુઘલ બાદશાહોના આશ્રયને લીધે કારીગરોએ ચાંદી-સોનાના તારથી સુંદર બ્રોકેડ, કિનાર અને ભરતકામ બનાવ્યું.
જરીની બનાવટ અને પ્રકાર
સૌ પ્રથમ ચાંદીના સળિયા પર સોનાની પત્તી વીંટાળી તેને ભઠ્ઠીમાં એકરસ થાય ત્યાં સુધી ગરમ કરી સોનામિશ્રિત સળિયો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ‘તાણિયા’ યંત્ર દ્વારા તેમાંથી વાળ જેવા બારીક તાર ખેંચી, પાણીમાં ઠંડા પાડી તેને વિવિધ નવ પ્રક્રિયાઓ દ્વારા વધુ સુંવાળા બનાવી લોખંડના બોબિન પર વીંટવામાં આવે છે. આ પ્રક્રિયાથી એક તોલા ચાંદીમાંથી આશરે ૧૦૦૦ મીટર લાંબો બારીક તાર તૈયાર થાય છે. જેને અંતે પોલિશ કરી સૂક્ષ્મ છિદ્રોમાંથી પસાર કરીને ‘ધડા’ પર લપેટવામાં આવે છે, અને અસલી જરી બને છે. જરી-કસબમાં કાચામાલ તરીકે સોનુ, ચાંદી, તાંબુ, રેશમ, સૂતર, આર્ટ-સિલ્ક, રંગો, પોટેશિયમ સાઈનાઈડ વગેરે વપરાય છે.જરીના મુખ્ય બે પ્રકાર છે: ‘અસલી’ (રિયલ જરી) જેમાં ચાંદીના તારનો ઉપયોગ થાય છે અને તેના પર સોનાનું પાણી ચડાવવામાં આવે છે. ‘હાફ ફાઇન જરી’, કે જેમાં તાંબા કે કાંસાના તાર પર ચાંદીનું ઈલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. મેટાલિક જરી, કે જે પોલિએસ્ટર ફિલ્મ પર મેટાલિક કોટિંગથી બને છે. જે વજનમાં હલકી અને કિંમતમાં ઓછી હોય છે. આજે ૯૦% સાડીઓમાં આ જ વપરાય છે.
સુરતના જરી ઉદ્યોગને GI ટેગ
સુરતના જરી ઉદ્યોગને તેની વિશિષ્ટતા અને ગુણવત્તા માટે ભારત સરકાર દ્વારા નવેમ્બર-૨૦૧૦માં સત્તાવાર રીતે GI ટેગ પ્રાપ્ત થયો છે. આ ટેગનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતની અસલી જરીના નામે થતી નકલી જરીના વેચાણને અટકાવવાનો અને સ્થાનિક કારીગરોના હિતોનું રક્ષણ કરવાનો છે.
વૈશ્વિક ઓળખ
GI ટેગ મળ્યા બાદ સુરતની જરીને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ મળી છે અને ‘સુરત જરી ક્રાફ્ટ’ લોગો દ્વારા ગ્રાહકો અસલી ઉત્પાદન ઓળખી શકે છે. વધુમાં કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૫માં જરી બોર્ડર પરનો GST દર ૧૨%થી ઘટાડીને ૫% કર્યો છે, જેનાથી સુરતના કારીગરોને લાભ થયો છે.
રસપ્રદ વાતો
• છત્રપતિ શિવાજી મહારાજે રાજ્યાભિષેક વખતે જે વસ્ત્રો પહેર્યા હતા એ સુરતની જરીના હતા.
• વર્ષ ૧૭૫૦માં સુરતમાં ૧ લાખથી વધુ કારીગરો માત્ર જરી કામ કરતા હતા.
• ઈસ્ટ ઈન્ડિયા કંપની સુરતથી દર વર્ષે ૩૦ લાખ રૂપિયાની જરી એક્સપોર્ટ કરતી હતી
• મુમતાઝના લગ્નનો ઘાઘરો સુરતની જરીથી બન્યો હતો.
ઝરી સાથે જોડાયેલા શબ્દો
કસબ: ચપટી જરીનો તાર
સલમા: વાંકીચૂકી સ્પ્રિંગ જેવી જરી
સિતારા: નાના ટપકાંવાળી જરી
જરદોઝી/જરદોશી: જરી, મોતી, કુંદનથી કરેલું ભારે ભરતકામ
એકઝામિનર જરી ઉદ્યોગ કેન્દ્ર, સુરત: જરી ઉદ્યોગના વિકાસ તથા તેના હિતાર્થે રાજ્ય સરકારે સુરતમાં એક પ્રયોગશાળાની સ્થાપના કરી છે. જેમાં જરી કસબના તમામ આંશિક ભાગો તથા ગોલ્ડ થ્રેડનું પૃથક્કરણ કરવામાં આવે છે.
સુરત જરી વેપારી મહામંડળ: સુરત ખાતે જરી ઉદ્યોગના વિકાસ અર્થે સને ૧૯૪૪માં આ મંડળની સ્થાપના થઈ હતી. આ સંસ્થા જરી ઉત્પાદકો અને વેપારીઓના અધિકારોના રક્ષણ માટે કામ કરે છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન બુધવારે શરૂ થયું. અભિનેતા મિથુન ચક્રવર્તી વહેલી સવારે મતદાન કરવા માટે મતદાન મથક પર જોવા મળ્યા હતા. બંગાળી સિનેમાના અનેક અન્ય સેલિબ્રિટીઓ પણ મતદાનમાં હાજરી આપી.
પશ્ચિમ બંગાળમાં, સામાન્ય નાગરિકોથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી, દરેક જણ લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં ભાગ લેવા માટે મતદાન મથકે ઉમટી રહ્યા છે. અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તી પણ મતદાન કરવા માટે એક મતદાન મથક પર જોવા મળ્યા હતા. તેમણે મતદાન મથક પર મોટી સંખ્યામાં મતદાન પર ખુશી વ્યક્ત કરી.
મિથુન ચક્રવર્તીએ જનતાના ઉત્સાહની પ્રશંસા કરી
મિથુ ન ચક્રવર્તીએ અન્ય નાગરિકોની જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું. બાદમાં, મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું,”આટલા બધા લોકો મતદાન કરવા આવ્યા છે. આ ખૂબ જ સરસ છે.”
નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઓઇલ સપ્લાયમાં આવેલી મુશ્કેલીઓ વચ્ચે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે નવા સ્ત્રોતોની શોધ ઝડપી બનાવી રહ્યું છે. આ પ્રયાસોમાં ભારતને મહત્વપૂર્ણ સફળતા મળી છે. તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડને લિબિયામાં નવા તેલ અને ગેસના ભંડાર મળ્યા છે. ભારતની ઊર્જા સુરક્ષા માટે આ શોધને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા મુજબ આ શોધ લિબિયાના ઘડેમેસ બેસિનના બ્લોક 95/96માં કરવામાં આવી છે. અહીં IOCL અને ઓઇલ ઇન્ડિયા ભારતીય કોન્સોર્શિયમ હેઠળ ઓઇલ અને ગેસની શોધખોળ કરી રહ્યા છે. તેમાં બંને કંપનીઓની 25-25 ટકા ભાગીદારી છે. અહેવાલ મુજબ છઠ્ઠા એક્સપ્લોરેટરી વેલની ડ્રિલિંગ દરમિયાન આ નવો તેલ-ગેસ ભંડાર મળ્યો હતો.
આ કૂવો 8440 ફૂટની ઊંડાઈ સુધી ખોદવામાં આવ્યો હતો, જ્યાં ટેસ્ટિંગ દરમિયાન દરરોજ 13 મિલિયન ક્યુબિક ફૂટ ગેસ અને 327 બેરલ કન્ડેન્સેટનું ઉત્પાદન નોંધાયું હતું. લિબિયાની નેશનલ ઓઇલ કોર્પોરેશન (NOC)એ પણ આ શોધને બ્લોકમાં પાંચમી મોટી શોધ તરીકે માન્યતા આપી છે. આ બ્લોકમાં કુલ આઠ કૂવાઓની ડ્રિલિંગ કરવાની યોજના છે, જેમાંથી પાંચ પહેલેથી પૂર્ણ થઈ ચૂક્યા છે. આ પહેલાં 2012થી 2014 દરમિયાન પણ ચાર કૂવાઓમાં તેલ અને ગેસ મળ્યા હતા. આ વિસ્તાર અંદાજે 6600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.
ભારતની ઊર્જા વ્યૂહરચના માટે મહત્વપૂર્ણ
કંપનીઓના જણાવ્યા મુજબ ઊર્જા ક્ષેત્રમાં આ શોધ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની હાજરીને વધુ મજબૂત બનાવે છે. IOCLએ જણાવ્યું કે આ સિદ્ધિ કંપનીની વૈશ્વિક એક્સપ્લોરેશન વ્યૂહરચનાનો ભાગ છે. જ્યારે ઓઇલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આથી વિદેશી સંપત્તિઓનું મૂલ્ય વધશે અને ભવિષ્યમાં નવા આવક સ્ત્રોતો ઊભા થઈ શકે છે.
મધ્ય પૂર્વમાં સપ્લાયમાં અવરોધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં થતી અસ્થિરતા વચ્ચે આ શોધ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે આવા આંતરરાષ્ટ્રીય સહયોગ દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.