Home Blog Page 110

પશ્ચિમ બંગાળ ચૂંટણી:અભિનેતા મિથુન ચક્રવર્તીએ મતદાન કર્યુ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન બુધવારે શરૂ થયું. અભિનેતા મિથુન ચક્રવર્તી વહેલી સવારે મતદાન કરવા માટે મતદાન મથક પર જોવા મળ્યા હતા. બંગાળી સિનેમાના અનેક અન્ય સેલિબ્રિટીઓ પણ મતદાનમાં હાજરી આપી.

પશ્ચિમ બંગાળમાં, સામાન્ય નાગરિકોથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી, દરેક જણ લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં ભાગ લેવા માટે મતદાન મથકે ઉમટી રહ્યા છે. અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તી પણ મતદાન કરવા માટે એક મતદાન મથક પર જોવા મળ્યા હતા. તેમણે મતદાન મથક પર મોટી સંખ્યામાં મતદાન પર ખુશી વ્યક્ત કરી.

મિથુન ચક્રવર્તીએ જનતાના ઉત્સાહની પ્રશંસા કરી
મિથુ ન ચક્રવર્તીએ અન્ય નાગરિકોની જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું. બાદમાં, મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું,”આટલા બધા લોકો મતદાન કરવા આવ્યા છે. આ ખૂબ જ સરસ છે.”

એનર્જી સંકટ વચ્ચે ભારતને લિબિયામાં મળ્યો ઓઇલ-ગેસનો ભંડાર

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઓઇલ સપ્લાયમાં આવેલી મુશ્કેલીઓ વચ્ચે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે નવા સ્ત્રોતોની શોધ ઝડપી બનાવી રહ્યું છે. આ પ્રયાસોમાં ભારતને મહત્વપૂર્ણ સફળતા મળી છે. તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડને લિબિયામાં નવા તેલ અને ગેસના ભંડાર મળ્યા છે. ભારતની ઊર્જા સુરક્ષા માટે આ શોધને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા મુજબ આ શોધ લિબિયાના ઘડેમેસ બેસિનના બ્લોક 95/96માં કરવામાં આવી છે. અહીં IOCL અને ઓઇલ ઇન્ડિયા ભારતીય કોન્સોર્શિયમ હેઠળ ઓઇલ અને ગેસની શોધખોળ કરી રહ્યા છે. તેમાં બંને કંપનીઓની 25-25 ટકા ભાગીદારી છે. અહેવાલ મુજબ છઠ્ઠા એક્સપ્લોરેટરી વેલની ડ્રિલિંગ દરમિયાન આ નવો તેલ-ગેસ ભંડાર મળ્યો હતો.

આ કૂવો 8440 ફૂટની ઊંડાઈ સુધી ખોદવામાં આવ્યો હતો, જ્યાં ટેસ્ટિંગ દરમિયાન દરરોજ 13 મિલિયન ક્યુબિક ફૂટ ગેસ અને 327 બેરલ કન્ડેન્સેટનું ઉત્પાદન નોંધાયું હતું. લિબિયાની નેશનલ ઓઇલ કોર્પોરેશન (NOC)એ પણ આ શોધને બ્લોકમાં પાંચમી મોટી શોધ તરીકે માન્યતા આપી છે. આ બ્લોકમાં કુલ આઠ કૂવાઓની ડ્રિલિંગ કરવાની યોજના છે, જેમાંથી પાંચ પહેલેથી પૂર્ણ થઈ ચૂક્યા છે. આ પહેલાં 2012થી 2014 દરમિયાન પણ ચાર કૂવાઓમાં તેલ અને ગેસ મળ્યા હતા. આ વિસ્તાર અંદાજે 6600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.

ભારતની ઊર્જા વ્યૂહરચના માટે મહત્વપૂર્ણ

કંપનીઓના જણાવ્યા મુજબ ઊર્જા ક્ષેત્રમાં આ શોધ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની હાજરીને વધુ મજબૂત બનાવે છે. IOCLએ જણાવ્યું કે આ સિદ્ધિ કંપનીની વૈશ્વિક એક્સપ્લોરેશન વ્યૂહરચનાનો ભાગ છે. જ્યારે ઓઇલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આથી વિદેશી સંપત્તિઓનું મૂલ્ય વધશે અને ભવિષ્યમાં નવા આવક સ્ત્રોતો ઊભા થઈ શકે છે.

મધ્ય પૂર્વમાં સપ્લાયમાં અવરોધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં થતી અસ્થિરતા વચ્ચે આ શોધ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે આવા આંતરરાષ્ટ્રીય સહયોગ દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.

શું બંગાળમાં CM મમતાને હારનો ડર સતાવી રહ્યો છે?

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કામાં 142 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને ભાવાનીપુર વિધાનસભા બેઠક પરથી TMC ઉમેદવાર મમતા બેનર્જીએ ચૂંટણી દરમિયાન ગેરરીતિના ગંભીર આરોપ ભાજપ પર લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે બહારથી આવેલા નિરીક્ષકો (ઓબ્ઝર્વર) અને સુરક્ષા દળો નિષ્પક્ષ નથી અને વાતાવરણને પ્રભાવિત કરવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીનાં પોસ્ટરો હટાવવામાં આવી રહ્યાં છે અને કાર્યકરો સાથે મારપીટની ઘટનાઓ સામે આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ રીતે ચૂંટણી યોજાય છે? તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મત તો જનતા આપશે, પોલીસ કે સુરક્ષા દળો નહીં.

આ ઉપરાંત ભવાનીપુરમાં એક પોલિંગ સ્ટેશનની બહાર CM મમતા બેનર્જી સામાન્ય કાર્યકરની જેમ બેઠાં રહ્યાં હતાં.

ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે નિરીક્ષકો

ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે બહારથી ઘણા એવા નિરીક્ષકો આવ્યા છે- ભાજપ જે કહે છે, તેઓ એ જ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોને તાજેતરમાં લાવવામાં આવ્યા છે અને તેઓ મનમાની કરી રહ્યા છે. તેઓ આતંક ફેલાવી રહ્યા છે.

મતદાન કર્યા બાદ પોતાના મોબાઇલમાં પત્રકારોને એક ફોટો બતાવતાં તેમણે કહ્યું હતું કે જુઓ, અમારા કાર્યકરને રાત્રે કેવી રીતે મારવામાં આવ્યો. આ અત્યાચાર જુઓ. આ કેવી ગુંડાગીરી ચાલી રહી છે? આ રીતે મતદાન થતું નથી. મતદાન શાંતિથી થવું જોઈએ. આ લોકશાહીની ઉજવણી છે, પરંતુ તેમણે તેને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધી છે. તેમનો મંછા સંપૂર્ણ સ્પષ્ટ છે કે ભાજપ જબરદસ્તી ચૂંટણીમાં ધાંધલી કરવા માગે છે. અમારા કાર્યકરો અને લોકો મરવા માટે તૈયાર છે, પરંતુ તેઓ સ્થાન છોડશે નહીં.

294 સભ્યોની વિધાનસભામાંથી આજે 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે જે હાઈ-પ્રોફાઇલ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તેમાં ભવાનીપુર પણ સામેલ છે. અહીં સીએમ મમતા બેનર્જીનો મુકાબલો વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી સાથે છે. તેઓ નંદીગ્રામથી પણ ચૂંટણી લડી રહ્યા છે, જ્યાંથી તેઓ ભાજપના હાલના ધારાસભ્ય છે.

પંચાંગ 29/04/2026

જયપુરી ચાટ

ગરમીના દિવસોમાં શાક રોટલી ખાવાનું કોઈને ભાવે નહીં. હાં, જરા જુદા પ્રકારની કોઈ ચટપટી ચાટ જો ખાવા મળે તો ગરમીનો તાપ ભૂલાઈ જાય! વળી, આ ચાટ સહેલાઈથી બની પણ જાય છે! (પુરી તેમજ ચટણીઓ અગાઉથી બનાવીને રાખી શકાય છે.)

સામગ્રીઃ ચાટ મસાલો ½ ટી.સ્પૂન, જીરૂ પાઉડર 1 ટી.સ્પૂન, સંચળ (કાળું મીઠું) ¼ ટી.સ્પૂન, સાદું મીઠું ¼ ટી.સ્પૂન, કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, દહીં 1 કપ, દળેલી સાકર ½ ટી.સ્પૂન, બાફેલા બટેટા 2, કાકડી 1, ટામેટાં 2, કાંદા 2, લીલા મરચાં 2, ચણાના લોટની મોળી તેમજ મસાલાવાળી તીખી બુંદી 1-1 કપ, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, કોથમીર-ફુદીનાની તીખી ચટણી 1 કપ, આમલી-ગોળવાળી ખટમીઠી ચટણી 1 કપ, ચણાના લોટની મોળી સેવ 1 કપ,

ચાટ માટેની પુરીઃ મેંદો 1 કપ, જીરૂ ½ ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ઘી 2 ટે.સ્પૂન, તળવા માટે તેલ

રીતઃ મેંદામાં જીરૂ, સ્વાદ મુજબ મીઠું તેમજ મોણ માટેનું ઘી મેળવી દો. ત્યારબાદ થોડું થોડું પાણી મેળવીને ઘટ્ટ લોટ બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો.

ત્યારબાદ તેમાંથી મોટો લૂવો લઈ સહેજ જાડી એવી મોટી રોટલી વણી લો. ત્યારબાદ ફોર્ક વડે આખી રોટલીમાં કાણાં પાડી લો. જેથી કરીને પુરી તળતી વખતે ફુલે નહીં. ત્યારબાદ પુરીની સાઈઝના કોઈ સ્ટીલના ઢાંકણ અથવા નાની વાટકી વડે રોટલીમાંથી પુરી કટ કરીને એક થાળીમાં કાઢી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને ગેસની આંચ ધીમી કરી લો. કઢાઈમાં આવે તેટલી પુરી ઉમેરીને ગેસની ધીમી આંચે પુરી બંને બાજુએથી સોનેરી રંગની તળી લો.

બાફેલા બટેટા લઈ તેના નાના ચોરસ ટુકડા કરીને એક બાઉલમાં કાઢી લો. તે જ રીતે કાકડી, ટામેટાં તેમજ કાંદાને પણ સમારીને અલગ અલગ બાઉલમાં કાઢી લો. લીલા મરચાં ઝીણાં ગોળ સમારીને અલગ વાટકીમાં કાઢી લો.

ચાટ ઉપર છાંટવા માટેનો મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં જીરા પાઉડર, ચાટ મસાલો, મરચાં પાઉડર, કાળું તેમજ સાદું મીઠું ¼ ટી.સ્પૂન-¼ ટી.સ્પૂન મેળવી લો.

એક બાઉલમાં મોળી તેમજ તીખી બુંદી લઈ 2-3 ચમચી જેટલું દહીં, તીખી ચટણી 2 ચમચી, ગળી ચટણી 2 ચમચી મેળવી લો.

ચાટ બનાવવા માટે એક પ્લેટમાં 4-5 પુરીઓ ગોઠવી, તેને હાથેથી પ્રેશ કરીને થોડી તોળી લો. તેની ઉપર દહીં મેળવેલી બુંદી થોડી પાથરી દો. ત્યારબાદ તેની ઉપર અનુક્રમે બટેટાના કટકા, સમારેલા કાંદા, ટામેટાં, કાકડી ભભરાવીને ઉપરથી 2 ચમચી દહીં, 2 ચમચી તીખી તેમજ ગળી ચટણી ફરતે રેડીને તૈયાર કરેલો ચાટ મસાલો ભભરાવીને ઉપર કોરી મોળી અને સાદી બુંદી તેમજ સમારેલાં લીલાં મરચાં ભભરાવીને, સમારેલી કોથમીર તેમજ ચણાના લોટની ઝીણી સેવ ભભરાવીને ચાટ પીરસો.

૨૯ એપ્રિલ ૨૦૨૬

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ PM મોદીએ જનતાનો માન્યો આભાર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને પ્રચંડ વિજય મેળવીને રાજ્યમાં પોતાનો અજેય ગઢ જાળવી રાખ્યો છે. આ ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેનો અતૂટ સંબંધ હવે વધુ ગાઢ બન્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, જનતાએ ફરી એકવાર સુશાસન અને વિકાસની રાજનીતિ પર મહોર મારી છે અને ભાજપના કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમને આશીર્વાદ આપ્યા છે.

આ શાનદાર જીતને વધાવવા માટે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ નેતાઓની હાજરીમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, ગુજરાતના સમજદાર મતદારોએ નકારાત્મકતા ફેલાવનારા તત્વોને સખત જાકારો આપ્યો છે. ભાજપના પક્ષમાં આવેલો આ જંગી જનાદેશ સાબિત કરે છે કે લોકો ડબલ એન્જિન સરકારની કાર્યપદ્ધતિથી સંપૂર્ણ સંતુષ્ટ છે.

ચૂંટણી પરિણામોમાં વિપક્ષની કારમી હાર પર પ્રહાર કરતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ આકરા શબ્દોમાં કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવામાં કોઈ કસર છોડી નહોતી, પરંતુ આજે જનતાએ તેમને બિસ્તરા-પોટલા બાંધીને રવાના કરી દીધા છે. ભાજપના કાર્યકર્તાઓની સંગઠન શક્તિ અને લોકોનો અતૂટ વિશ્વાસ જ આ ભવ્ય જીતનો પાયો છે. આગામી દિવસોમાં આ વિજયી લહેરને ધ્યાનમાં રાખીને ભાજપ રાજ્યના વિકાસ માટે વધુ પ્રતિબદ્ધતા સાથે કામ કરશે તેવી ખાતરી નેતાઓએ આપી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ જશ્નનો માહોલ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ અપેક્ષા મુજબ જ જવલંત સફળતા હાંસલ કરી છે. રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપના ભવ્ય વિજયને પગલે સમગ્ર રાજ્યમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૯૨માંથી ૧૬૦ બેઠકો પર કમળ ખીલતા અને ખેડા જિલ્લાની તમામ પાલિકાઓમાં ક્લીન સ્વીપ થતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ઐતિહાસિક જીતને વધાવવા માટે અમદાવાદના ઐતિહાસિક ખાનપુર કાર્યાલય ખાતે મધ્યરાત્રિ સુધી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશના અન્ય દિગ્ગજ નેતાઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને જીતની ખુશી વહેંચી હતી. નડિયાદ સ્થિત ‘કમલમ’ કાર્યાલય પણ કેસરીયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું, જ્યાં ઢોલ-નગારાના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા. મુખ્યમંત્રીએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિ પર જનતાનો અતૂટ વિશ્વાસ ગણાવ્યો છે.

પરિણામોના ટ્રેન્ડ મુજબ, ભાજપે માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પરંતુ ગ્રામીણ પંથકોમાં પણ વિપક્ષના સૂપડા સાફ કરી દીધા છે. અનેક જગ્યાએ કોંગ્રેસ અને અન્ય પક્ષોના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ભાજપે ગાબડાં પાડીને પોતાની પકડ મજબૂત કરી છે. વિજયી ઉમેદવારોના સરઘસોમાં ‘ભારત માતા કી જય’ અને ‘જય જય ગરવી ગુજરાત’ના નારાઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રચંડ જનમત બાદ હવે આગામી દિવસોમાં વિવિધ પાલિકાઓ અને પંચાયતોમાં પ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ત્રણ તાલુકા પંચાયત બેઠકો પર ફરી મતદાન થશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યની ત્રણ મહત્વની તાલુકા પંચાયત બેઠકો, જ્યાં ઉમેદવારોના અકાળે નિધનને કારણે ચૂંટણી પ્રક્રિયા રદ અથવા મુલતવી રાખવામાં આવી હતી, ત્યાં હવે નવેસરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, આ બેઠકો પર 24 મે 2026ના રોજ મતદાન યોજાશે અને તેનું પરિણામ 26 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ નિર્ણયને પગલે સાબરકાંઠા, સુરત અને અમદાવાદ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે.

જે ત્રણ બેઠકો પર ફરી ચૂંટણી યોજાવાની છે તેમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાની ચિતરીયા બેઠકનો સમાવેશ થાય છે, જ્યાં ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાનું નિધન થયું હતું. બીજી બેઠક સુરત જિલ્લાના બારડોલી તાલુકાની અસ્તાન બેઠક છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડના અવસાનને પગલે પ્રક્રિયા અટકી હતી. ત્રીજી બેઠક અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની દહેગામડા બેઠક છે, જ્યાં ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીનું નિધન થયું હતું. આ ત્રણેય બેઠકો પર હવે નવા ઉમેદવારો મેદાનમાં ઉતરશે અને રાજકીય પક્ષો પોતાની રણનીતિ ફરીથી ઘડશે.

ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, આ પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 મે 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 12 મેના રોજ ફોર્મની ચકાસણી થશે અને 13 મે સુધીમાં ઉમેદવારો પોતાના નામ પાછા ખેંચી શકશે. 24 મેના રોજ રવિવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પેટાચૂંટણીના પરિણામો ભલે નાની સંખ્યામાં હોય, પરંતુ તે જે તે તાલુકા પંચાયતના સત્તાના સમીકરણો નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે, જેના કારણે બંને મુખ્ય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે.

સોનલબેન ડેર, પૂર્વ IPS મનોજ નિનામા અને પાયલ સાકરિયાની હારથી રાજકીય ગરમાવો

ગુજરાતમાં આજે 28 એપ્રિલ, 2026ના રોજ જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ અનેક દિગ્ગજોના ગણિત બગાડી નાખ્યા છે. આ ચૂંટણીમાં કેટલાક એવા ચહેરાઓને હારનો સામનો કરવો પડ્યો છે જેમના પર આખા રાજ્યની નજર હતી. ખાસ કરીને અમરેલી, અરવલ્લી અને સુરતમાં જોવા મળેલા આ ઉલટફેરે રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી માટે આ હાર આંચકા સમાન છે, જ્યારે અમરેલીમાં કોંગ્રેસે મહત્વની બેઠકો પર કબજો જમાવીને પોતાની પકડ મજબૂત કરી છે.

અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રી સોનલબેન ડેરને ભાજપે અહીંથી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેરે તેમને પરાજય આપ્યો છે. પારિવારિક જંગ ગણાતી આ બેઠક પર સોનલબેનની હાર અમરેલી ભાજપ માટે મોટો ઝટકો મનાય છે. તેવી જ રીતે, અરવલ્લી જિલ્લાની ઓડ બેઠક પરથી ચૂંટણી લડનારા પૂર્વ “સિંઘમ” IPS અધિકારી મનોજ નિનામાની પણ હાર થઈ છે. IPS પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા નિનામા પાસેથી પક્ષને મોટી અપેક્ષાઓ હતી, પરંતુ મતદારોએ તેમને જાકારો આપ્યો છે.

સુરત મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ‘આપ’ના યુવા અને આક્રમક નેતા પાયલ સાકરિયા, જેઓ ગત ટર્મમાં સૌથી નાની ઉંમરના કોર્પોરેટર અને વિપક્ષ નેતા રહ્યા હતા, તેમને વોર્ડ નંબર 16માં હારનો સામનો કરવો પડ્યો છે. સુરતમાં AAPના ગઢમાં પડેલા આ ગાબડાંએ પાર્ટીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. આ હાઈ-પ્રોફાઈલ હાર દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોએ પક્ષના ચહેરા કરતા સ્થાનિક પ્રશ્નો અને ગણિતોને વધુ મહત્વ આપ્યું છે. આગામી દિવસોમાં આ પરિણામોની અસર રાજ્યના રાજકારણ પર લાંબા સમય સુધી જોવા મળશે.