Home Blog Page 1113

આણંદમાં નકલી DySP નિશા વ્હોરાનો પર્દાફાશ, પોલીસ ફરિયાદ દાખલ

ગુજરાતમાં અવાર નવાર નકલીનો ખેલ કરનારા સામે આવતા હોય છે. આ વચ્ચે ફરી એક નકલી DySP અંગેનો મોટો ઘટસ્ફોટ થયો છે. આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા વ્હોરા નામની યુવતી પોતે Dysp હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો છે. આ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજ સિહં જાડેજાએ આક્ષેપ લગાવ્યો છે કે નિશા વ્હોરાના તમામ દાવા ખોટા છે. તેમણે GPSCની પરીક્ષા પાસ નથી કરી કે નથી તે કોઈ અધિકારી.  આ મુદ્દે હવે આણંદની સોજીત્રા પોલીસ સ્ટેશન ખાતે નિશા વ્હોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

નિશા વ્હોરા સામે પોતે Dysp ના હોદ્દા પર નહીં હોવા છતાં પોતાને ઉચ્ચ અધિકારી હોવાનો ડોળ કરવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે પોતાના સરકારી અધિકારી હોવાસ બાબતનો પ્રચાર કરવા તેમજ ઈરાદાપૂર્વક જાહેરમાં સન્માન કરાવવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દે આણંદ LCB ની ટીમે તપાસ હાથ ધરી છે. આખી વાત એમ છે કે ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સોશિયલ મીડિયામાં પુરાવા સાથે દાવો કર્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં નિશા વ્હોરા નામની કોઈ યુવતીએ GPSC પાસ કરી નથી, તેમણે પાંચ વર્ષના પરિણામોની પણ તપાસ કરી છે. આ સાથે આવી કોઈ યુવતીની છેલ્લા પાંચ વર્ષમાં Dysp તરીકે કોઈ નિમણૂક પણ નથી થઈ. આ મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઈને નિશા વ્હોરાના વતન એવા આણંદ જિલ્લાના સોજીત્રા શહેર સુધી તપાસ કરી છે.

ઉલ્લેખનીય છે કે નકલી DySP નિશા વ્હોરાએ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેના પણ ફોટા પડાવ્યા હતા અને બહુમાન મેળવ્યું હોવાના ફોટા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણા રાજ ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંદેશ જેવા પ્રશસ્તિ પત્રો મેળવી અને સમાજના કાર્યક્રમોમાં ભરપૂર વાહવાહી પણ લૂંટી છે. મુસ્લિમ સમાજ સહિતના અનેક સામાજીક સંગઠનોમા વિવિધ કાર્યક્રમોમાં તેનું GPSC પાસ કરી Dysp બની હોવા અંગે સન્માન પણ થઈ ચૂક્યું છે. નિશા વ્હોરાની કથિત સફળતા અંગે વિવિધ સમાચાર માધ્યમોમાં ફોટા સાથે અહેવાલો પ્રકાશિત થયા હતા.

ભારતીય સંદર્ભમાં ગુજરાત ફૂટબોલ

અમદાવાદ: ભારતમાં ફૂટબોલ પશ્વિમ બંગાળ, કેરળ, ગોવા અને પૂર્વોત્તર રાજ્યોમાં અત્યંત લોકપ્રિય છે. ત્યાં તે ખેલકૂદ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પરંતુ ગુજરાત, જેમાં મજબૂત રમત-ગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની આવડત અને આર્થિક શક્તિ છે, તે હજુ સુધી રાષ્ટ્રીય ફૂટબોલ પરિદૃશ્યમાં એક મહત્વનું સ્થાન મેળવી શક્યું નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે ભારતીય ફૂટબોલમાં ગુજરાતનું સ્થાન શું છે અને તેને કેવી રીતે ઊંચું લાવી શકાય? અલબત્ત એ વાત અલગ છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં રાજ્યમાં ફૂટબૉલ પ્રત્યેની જાગરુકતા વધી છે અને ફૂટબોલને વ્યવસાય તરીકે અપનાવનારાઓનો એક વર્ગ ઊભો થઈ રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિયેશન (GSFA) પણ એક ફૂટબૉલ સંસ્થા તરીકે પોતાની સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.ગુજરાતમાં ક્રિકેટનું પ્રભુત્વ છે અને તેનો ભારે દબદબો છે અને મજબૂત આધાર પણ છે, જ્યારે ફૂટબોલ તેની સરખામણીમાં ઓછું મહત્વ પામ્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં સ્ટેડિયમ અને એકેડેમીઓ હોવા છતાં, પાયાથી ફૂટબોલ પ્રત્યેનો ઉમંગ અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો છે, કારણ કે અમુક રાજ્યોમાં પરંપરાગત રીતે ફૂટબોલનાં મૂળ ઊંડાં છે.. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) છેલ્લાં થોડાં વર્ષોમાં ઘણું સક્રિય થયું છે, પરંતુ પ્રગતિ હજુ ધીમી છે.

ગુજરાતે સંતોષ ટ્રોફી જેવી રાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે, પરંતુ કોઈ મોટો પડકાર ઉભો કરી શક્યું નથી. ગુજરાતમાંથી કોઇ પણ ક્લબ આજ સુધી ISL અથવા I-લીગમાં ભાગ લેતી નથી, જે ફૂટબોલ માટે એક મજબૂત ઈકોસિસ્ટમની ગેરહાજરી દર્શાવે છે.ગુજરાતમાં ફૂટબોલને લોકો રોજિંદા જીવનનો ભાગ નથી બનાવતા, જ્યારે પશ્ચિમ બંગાળ, કેરળ અને ગોવામાં આ રમત જીવનશૈલીનો હિસ્સો છે. ગુજરાતના ખેલાડીઓ માટે સ્થાનિક લીગ પછી રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે ઓછા અવસરો છે. વિશ્વ સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ હોવા છતાં, ગુજરાતમાં ફૂટબોલ માટે સમર્પિત તાલીમ કેન્દ્રો અને એકેડેમીઓ કે સ્ટેડિયમો નથી. ફૂટબોલને ટેકો કરી સહાય આપતા પ્રાયોજકો અને રોકાણકારો ગુજરાતમાં ઓછા છે, જેના કારણે આ રમત રાજ્યમાં વિકાસ પામી શકતી નથી. જો કે આ પરિદ્રશ્ય પણ ક્રમશ: બદલાઈ રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે જે આવકારદાયક છે.શાળાઓ અને કોલેજોમાં ફૂટબોલને અભ્યાસક્રમમાં સમાવવો જોઈએ અને વધુ ટૂર્નામેન્ટો આયોજિત કરવી જોઈએ. ગુજરાતમાંથી I-લીગ અથવા ISLમાં ભાગ લેનાર ક્લબો ઉભી કરવી જોઈએ, જે રમતના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ફૂટબોલ માટે સમર્પિત સ્ટેડિયમ અને તાલીમ કેન્દ્રો માટે સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો ફૂટબોલ ક્લબો અને ટૂર્નામેન્ટ્સમાં રોકાણ કરી શકે, જેથી રમત વિકાસ પામે. ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ઇવેન્ટ્સનાં આયોજનો થવાં જોઈએ, જેનાથી સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન મળશે.

હાલ જ્યારે ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિયેશન (GSFA) સતત બીજા વર્ષે ગુજરાત સુપર લીગનું આયોજન કરવા કટિબદ્ધ થઈ રહ્યું છે તેવે સમયે ગુજરાત ફૂટબોલ વિષે મનોમંથન કરી કેટલાક વિચારો કાગળ પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે.ટૂંકમા, ગુજરાત પાસે ફૂટબોલ વિકાસ માટે સંસાધનો અને ક્ષમતા છે, પરંતુ તેને રાજ્ય સરકાર, ખેલ સંચાલકો, ખાનગી રોકાણકારો અને સૌથી મહત્વપૂર્ણ – રમતપ્રેમી ગુજરાતીઓની સહાયથી આગળ ધપાવવાની જરૂર છે. યોગ્ય વ્યૂહરચનાથી, ગુજરાત એક સશક્ત ફૂટબોલ રાજ્ય તરીકે ઉભરી શકે અને ભારતીય ફૂટબોલના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે તેવી પ્રબળ અને ઉજ્જવળ સંભાવનાઓ છે.

(પરિમલ નથવાણી -રાજ્ય સભા સાંસદ)

(પરિમલ નથવાણી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ છે તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટરકોર્પોરેટ અફેર્સ છે.)

મણિપુર અને આસામ સહિત પૂર્વોત્તર ભારતમાં ભૂકંપના આંચકા

મણિપુર સહિત સમગ્ર પૂર્વોત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે 5.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે બપોરે 12:20 કલાકે ફરી 4.1ની તીવ્રતાના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર મણિપુરના ઈમ્ફાલ શહેરમાં 10 કિમી ઊંડાણમાં હોવાનું યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)એ જણાવ્યું. ભૂકંપના કારણે મણિપુર, આસામ અને મ્યાંમારમાં પણ ધ્રૂજારી અનુભવાઈ હતી, જેને કારણે લોકો ડરના માર્યા ઘરોમાંથી બહાર દોડી આવ્યા.

અધિકારીઓ અનુસાર, હાલ કોઈ જાનહાની કે નુકસાનની જાણ થઈ નથી, પરંતુ ભૂકંપના કારણે કેટલાક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ છે. મ્યાંમાર-ભારત સરહદ નજીક પણ ભૂકંપ નોંધાયો છે, જેની તીવ્રતા 5.8 હતી. હાલમાં નેપાળ સહિતના પડોશી રાજ્યોમાં પણ ભૂકંપની ગતિવિધિઓ વધી રહી છે. 28 ફેબ્રુઆરીએ નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા બિહાર, સિલીગુડી અને અન્ય પડોશી વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. ગત અઠવાડિયાથી ભૂકંપી ગતિવિધિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે હવામાન અને ભૂગર્ભ વિજ્ઞાન તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.

ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડઃ આરોપી કાર્તિક પટેલનાં રિમાન્ડ મંજૂર 

અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ PMJAY કૌભાંડ  મામલે આરોપી કાર્તિક પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્ત્વનાં 8 મુદ્દે 14 દિવસનાં રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટે આરોપી કાર્તિક પટેલના  11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. નિમેશ ડોડિયા નામના આરોપી સાથે કાર્તિકે મળીને બનાવેલા PMJAY કાર્ડની માહિતી માટે રિમાન્ડની માગ કરવામાં આવ્યા હતી.

ક્રાઇમ બ્રાન્ચે કહ્યું હતું કે કાર્તિક પટેલે અન્ય હોસ્પિટલમાંથી પણ કમિશનની લાલચ આપીને 50થી વધુ વયના દર્દીઓને લાવવા માટે કયા-કયા ડૉક્ટર્સના સંપર્કમાં હતો એ બાબતે તપાસ જરૂરી છે. આરોપી કાર્તિક પટેલ દ્વારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં PMJAY કાર્ડ બનાવવા મામલે સંડોવણી છે કે કેમ? તે અંગે પણ પૂછપરછ જરૂરી છે.

કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે કહ્યું હતું કે PMJAY યોજના સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓ સાથે સંડોવણી છે કે કેમ? તે અંગે આરોપીને હાજર રાખી તપાસ માટે રિમાન્ડ જરૂરી છે. ખ્યાતિકાંડ  એક સિસ્ટમેટિક અને ઇકોનોમિક કૌભાંડ હોવાથી સુનિયોજિત ગુનાની તપાસ માટે આરોપીની તપાસ જરૂરી છે. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી કાર્તિક પટેલના 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો 38મો દીક્ષાંત સમારોહ યોજ્યો

ગાંધીનગર: મેદાનગઢી સ્થિત ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ તેના દિલ્હી મુખ્યાલય અને દેશભરના 39 પ્રાદેશિક કેન્દ્રો પર 38મો દીક્ષાંત સમારોહ યોજ્યો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઓનલાઇન માધ્યમથી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં વૃંદાએ સરસ્વતી વંદના કરી. ત્યારબાદ યુનિવર્સિટીનું રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. પ્રાદેશિક નિયામક ડૉ. અવની ત્રિવેદી ભટ્ટે ખાસ મહેમાન પ્રોફેસર હર્ષદ પટેલ, કુલપતિ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું.ડૉ. ત્રિવેદી ભટ્ટે પ્રાદેશિક કેન્દ્ર, અમદાવાદનો અહેવાલ રજૂ કરતી વખતે આજના સમયમાં ઓપન યુનિવર્સિટીની ભૂમિકા વિશે વિગતવાર જણાવ્યું અને તમામ શીખનારાઓ, સહાય કેન્દ્રો અને તેના સંયોજકોના સમર્થનની પ્રશંસા કરી. ડૉ. ત્રિવેદી ભટ્ટે NEPને અનુરૂપ IGNOUના પ્રયાસો અને નવા શૈક્ષણિક કાર્યક્રમોના પ્રારંભ વિશે વિગતવાર ચર્ચા કરી અને માહિતી આપી.જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નથી તેઓ એક અઠવાડિયા પછી યુનિવર્સિટી દ્વારા નિર્ધારિત ફી ચૂકવીને તેમના ઓળખ કાર્ડ સાથે પ્રાદેશિક કાર્યાલયમાંથી તે મેળવી શકે છે. હર્ષદ પટેલ (કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ પ્રોફેસર) પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ ખાતે મુખ્ય મહેમાન હતા. તેમણે વિવિધ અભ્યાસક્રમોના 50 વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રીતે ડિગ્રી આપીને સન્માનિત કર્યા. સાથે જ તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને જ્ઞાનના મહત્વ વિશે વિગતવાર ચર્ચા કરી.તેમણે કહ્યું કે શિક્ષણ અને અનુભવો દ્વારા જ્ઞાન મેળવી શકાય છે. પરંતુ જ્યારે મેળવેલ જ્ઞાન સમાજને પાછું આપવા માટે રૂપાંતરિત થાય છે, ત્યારે તે ફળદાયી બને છે. તેમણે શિક્ષકની ભૂમિકા પર પણ ભાર મૂક્યો અને આધુનિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય જ્ઞાન પરંપરાને લગતા અભ્યાસક્રમોની ઉપયોગીતા પર વિશેષ ભાર મૂક્યો અને કૌશલ્ય વિકાસ સંબંધિત અભ્યાસક્રમોની પ્રશંસા કરી.સહાયક પ્રાદેશિક નિયામક ડૉ. જયેશ પટેલે તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો.

આ તારીખે ફરીથી રિલીઝ થશે અક્ષય-કેટરિનાની ‘નમસ્તે લંડન’

મુંબઈ: હર્ષવર્ધન રાણે અને માવરા હુસૈનની ફિલ્મ ‘સનમ તેરી કસમ’ ગયા મહિને ફરીથી રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફરીથી રિલીઝ થયા પછી આ ફિલ્મે ₹33 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મની જબરદસ્ત કમાણી જોઈને, ઘણા અન્ય ફિલ્મ નિર્માતાઓ પણ જૂની ફિલ્મો ફરીથી રિલીઝ કરી રહ્યા છે. આ યાદીમાં અક્ષય કુમારની ફિલ્મ ‘નમસ્તે લંડન’નું નામ ઉમેરાયું છે.

નમસ્તે લંડન આ તારીખે ફરીથી રિલીઝ થશે

અક્ષય કુમાર અને કેટરિના કૈફની ફિલ્મ ‘નમસ્તે લંડન’ ફરીથી રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ હોળી પર રિલીઝ થવાની છે. અક્ષયે X પર આ વિશે માહિતી આપી છે. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘નમસ્તે લંડન 14 માર્ચે હોળી પર ફરીથી રિલીઝ થવા જઈ રહી છે. તેના જાદુને ફરી જીવવા માટે તૈયાર થઈ જાઓ. અવિસ્મરણીય ગીતો, પ્રખ્યાત સંવાદો અને કેટરિના કૈફ સાથે લાંબો રોમાંસ. ફિલ્મમાં મળીશું.

‘નમસ્તે લંડન’ પહેલેથી જ હિટ છે
તમને જણાવી દઈએ કે ‘નમસ્તે લંડન’ પહેલાથી જ એક હિટ ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 2007 માં રિલીઝ થઈ હતી. તે સમયે ફિલ્મે 37.39 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો. તાજેતરના વર્ષોમાં ‘હમ આપકે હૈ કૌન’, ‘દિલ તો પાગલ હૈ’, ‘લૈલા મજનૂ’ અને બીજી ઘણી ફિલ્મો ફરીથી રિલીઝ થઈ છે. આમાંથી કેટલીક ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે જ્યારે કેટલીકને નથી મળ્યો.

ફિલ્મની વાર્તા શું છે?
‘નમસ્તે લંડન’ની વાર્તા એક ભારતીય છોકરી વિશે છે જે લંડનમાં મોટી થાય છે. તેના પિતા ઇચ્છે છે કે તે ભારતમાં લગ્ન કરે અને ભારત આવે. તે આમ કરે છે પણ એકવાર તે લંડન જાય છે, તે તેના લગ્ન વિશે ભૂલી જાય છે. પછી ભારતનો એક છોકરો (અક્ષય કુમાર) પોતાની રીતે કેટરિનાને પ્રેમ કરીને ભારત લાવવાનો પ્રયાસ કરે છે.

અમેરિકાનાં 15 લાખ ઘરોમાં વીજપુરવઠો અટકાવી દઈશઃ ડગ ફોર્ડ  

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો હવે ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે, ટ્રમ્પને અમેરિકામાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પ દ્વારા અમેરિકી અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે લેવામાં આવેલા ટેરિફ પગલાની અસર હવે અમેરિકા પર જ પડી રહી છે. અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યી છે. જોકે આ દેશો હજુ પણ એ જ અંદાજમાં જવાબ આપી રહ્યા છે.

ટ્રમ્પે ઊર્જા આયાતને છોડીને કેનેડાથી આવતા માલસામાન પર 25 ટકા ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે. જોકે કેનેડાએ પલટવાર કરતાં 30 અબજ ડોલરના મૂલ્યની અમેરિકી આયાત પર ટેરિફ લગાવી દીધી છે. કેનેડાએ પણ અમેરિકી ઉત્પાદનો પર 25 ટકા વધારાનો સરચાર્જ લગાવી દીધો છે.

કેનેડામાં બીજી બાજુ, ઓન્ટારિયો પ્રાંતના પ્રીમિયર ડગ ફોર્ડે  અમેરિકા પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે અમેરિકાને બત્તી ગૂલ કરવાની ધમકી આપી છે. હાલ ઓન્ટારિયો પ્રાંતમાંથી અમેરિકાનાં ત્રણ રાજ્યોને વીજળી પૂરી પાડવામાં આવે છે. અમેરિકામાં મિનિયાસોટા, મિશિગન અને ન્યુ યોર્કમાં લગભગ 1.5 મિલિયન ઘરોને ઓન્ટારિયોથી વીજળી પૂરી પાડવામાં આવે છે. તેનો અર્થ એ કે કેનેડા અમેરિકાને વીજળીની નિકાસ કરે છે. ઓન્ટારિયો પ્રાંત અમેરિકાની સરહદે છે. આ સિવાય કેનેડાએ પણ નિકલનો સપ્લાય બંધ કરવાની ધમકી આપી છે.

ડગ ફોર્ડે ટેરિફ લાદતાં પહેલાં જ વીજપુરવઠો બંધ કરવાની ધમકી આપી હતી, પરંતુ તેની અમેરિકા પર કોઈ અસર થઈ ન હતી અને મંગળવારથી કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની ધમકી આપ્યા બાદ પ્રીમિયર ડગ ફોર્ડે કહ્યું હતું કે આપણે અમેરિકાનો ઊર્જા પુરવઠો કાપી શકીએ છીએ.  તેમણે ઉમેર્યું હતું કે કેનેડા આર્થિક નુકસાન અટકાવવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરશે.

 

પોરબંદરમાં બાવળના જંગલમાં આગ, ભારે પવનથી આગ બની બેકાબૂ

પોરબંદર: ગુજરાતમાં પાછલા 24 કલાકથી સુંકા પવનો ફુંકાય રહ્યા છે. હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કર્યું હતું. આ વચ્ચે પોરબંદરમાં બુધવારે પાંચ માર્ચે છાયા વિસ્તારમાં બિરલા સ્કૂલની પાછળ બાવળના જંગલમાં આગ લાગવાની ઘટના બની હતી. બપોરે ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ લીધું છે. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતાં તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડનો કાફલો આદ પર કાબુ મેળવવાના પ્રયાસમાં છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગ વધુ વિકરાળ બનતાં સુરક્ષાના ભાગ રૂપે બિરલા સ્કૂલમાંથી તમામ મહત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવાયા હતાં. આ સિવાય આસપાસમાં રહેતાં રહીશોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય તમામ ઘરોમાંથી ગેસ સિલિન્ડર બહાર કાઢી દેવાયા છે. નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાના કારણ વિશે જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા 8 જેટલાં વોટર ટેન્કરથી આગ ઓલવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ સિવાય બુલડોઝર દ્વારા આગ વધુ ન પ્રસરે તે માટે ખાલી કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે. પરંતુ, અંતરયાળ વિસ્તારમાં હજુ સુધી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ છે.

સમાન સિવિલ કોડ અંગે ગાંધીનગરવાસીઓના અભિપ્રાય લેવાયા

ગાંધીનગર: સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે સર્કિટ હાઉસ, ગાંધીનગર ખાતે સમાન સિવિલ કોડ સમિતિની ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCCનો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.

આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર સહિત ગાંધીનગરવાસીઓએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં. આ બેઠકમાં ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ અને જે. એસ. પટેલ, કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જહાં, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડાયરેક્ટર એસ. શાન્તાકુમાર, ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ટી. એસ. જોશી સહિત નિવૃત્ત અધિકારીઓ, જિલ્લાના તબીબો, વકીલો, વેલનેસ કોચ, સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી UCC અંગે પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતાં.

જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓમાં નવા પ્રમુખની જાહેરાત

જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે આજે (5 માર્ચ) પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી ચાલી રહી છે. ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટિલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયાતના પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.

  • જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયાની નિમણૂક થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની પસંદગી કરવામાં આવી છે.
  • આ ઉપરાંત બોટાદ નગર પાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબહેન જોટાણીયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબહેન વરણી કરવામાં આવી છે.
  • ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશ પટેલ ઉપપ્રમુખ સુરેશભાઈ મેરના નામની જાહેરાત કરવામાં આવી છે.
  • મહિસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ડૉ. કીર્તિ પટેલ બાલાસિનોર નગરપાલિકાના પ્રમુખ ગાયત્રીબહેન ત્રિવેદી સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ નિશાબહેન મોદી બન્યા છે.
  • બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષ પટેલ બન્યા છે.
  • કોડીનાર નગરપાલિકાના પ્રમુખ આબીદાબહેન નકવી અને ઉપપ્રમુખ શીવાભાઈ હમીરભાઈ સોલંકી જ્યારે કારોબારી ચેરમેન વિવેક મેરની જાહેરાત કરવામાં આવી છે.
  • ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે બહેનાબહેન ચુડાસમાનું નામ સામે આવ્યું છે.
  • માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ક્રિષ્ણાબહેન થાપલિયા બન્યા છે.
  • માણાવદર નગરપાલિકાના પ્રમુખ જીતુ પનારાને બનાવ્યા છે
  • બાટવા નગરપાલિકાના પ્રમુખ સુનીલ જેઠવાણી
  • વિસાવદર નગરપાલિકાના પ્રમુખ રક્ષાબહેન મહેતા
  • વંથલી નગરપાલિકાના પ્રમુખ રાકેશ ત્રાંબડિયા
  • ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટ
  • ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથા રાઠોડ
  • થાન નગરપાલિકાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા

નગરપાલિકાના પ્રમુખોની યાદી સતત અપડેટ થઈ રહી છે….