Home Blog Page 1119

ધનંજય મુંડેએ મંત્રી પદ છોડ્યું, CM ફડણવીસને રાજીનામું સોંપ્યું

મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં વાલ્મિક કરાડને આરોપી બનાવ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંડેને મંત્રી પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું હતું. રાજીનામાના સમાચાર આવ્યા પછી ફડણવીસે કહ્યું કે મુંડેએ મને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. મેં તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને આગળની કાર્યવાહી માટે રાજ્યપાલને મોકલી આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સોમવારે રાત્રે ફડણવીસને મળ્યા હતા અને દેશમુખ હત્યા કેસ અને અન્ય બે સંબંધિત કેસોમાં ગુના તપાસ વિભાગ (CID) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટના પરિણામ અંગે ચર્ચા કરી હતી જેમાં કરાડને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે.

શું મામલો છે?
બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું ગયા વર્ષે 9 ડિસેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે તેમણે જિલ્લામાં એક વીજ કંપનીને નિશાન બનાવીને ખંડણીના પ્રયાસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેને ત્રાસ આપવામાં આવ્યો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી.

27 ફેબ્રુઆરીના રોજ 1200 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી
રાજ્યના ગુના તપાસ વિભાગ (CID) એ 27 ફેબ્રુઆરીએ દેશમુખની હત્યા અને બે સંબંધિત કેસોમાં બીડ જિલ્લા કોર્ટમાં 1,200 પાનાથી વધુની ચાર્જશીટ દાખલ કરી હતી. બીડના કેજ પોલીસ સ્ટેશનમાં સરપંચની હત્યા, અવડા કંપની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ અને કંપનીના સુરક્ષા ગાર્ડ પર હુમલાના ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે
પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ કેસ નોંધ્યો છે. અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને MCOCA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક આરોપી હજુ પણ ફરાર છે.

ટ્રેડ વોર શરૂ?: કેનેડાએ અમેરિકા પર લગાવ્યો 25 ટકા જવાબી ટેરિફ

નવી દિલ્હીઃ વૈશ્વિક ટ્રેડ વોર શરૂ થવાની આશંકાની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાગુ કરવાની ઘોષણ પછી હવે કેનેડાની સરકારે પલટવાર કર્યો છે. કેનેડાએ પણ બધાં અમેરિકી ઉત્પાદનો પર જવાબી ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે. PM જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે કેનેડા આ આકરા નિર્ણય પર ચૂપ નહીં રહે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સિવાય ફેબ્રુઆરીમાં ચીન પર લગાવવામાં આવેલાં 10 ટકા ટેરિફને વધારીને 20 ટકા કરવાની પણ જાહેરાત કરી છે.ટ્રમ્પની જાહેરાત પર કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ પણ જવાબી કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આગામી 21 દિવસમાં 155 અબજ ડોલરની આયાત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. જેની શરૂઆત મંગળવારથી 30 અબજ ડોલરની આયાત પર ટેરિફથી થશે. ટેરિફની જાહેરાત બાદ અમેરિકાના શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાનો S&P 500 ઇન્ડેક્સ 2 ટકા ઘટી ગયો હતો.

અમેરિકાનો કેનેડા અને મેક્સિકો સાથે મુક્ત વેપાર કરાર છે. આ હેઠળ આ દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની આયાત-નિકાસ પર કોઈ ટેરિફ નથી. ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન મેક્સિકો અને કેનેડા સાથે ઉત્તર અમેરિકન મુક્ત વેપાર કરાર (NAFTA) પર હસ્તાક્ષર કર્યા હતા.

આ ત્રણેય દેશોએ 2023માં અમેરિકા પાસેથી 1 ટ્રિલિયન ડોલર (લગભગ 85 લાખ કરોડ રૂપિયા)થી વધુ કિંમતનો માલ ખરીદ્યો હતો. તે જ સમયે 1.5 ટ્રિલિયન ડોલરથી વધુ મૂલ્યનો માલ વેચાયો હતો. અહેવાલ અનુસાર ટ્રમ્પના ટેરિફ વોરની સૌથી વધુ અસર ઓટો સેક્ટર, કૃષિ, ટેકનોલોજી અને ભાગો પર પડશે. ટેરિફ લાદ્યા પછી આ ચીજવસ્તુઓના ભાવ વધશે.

માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 22,000ની સપાટી નીચે

મુંબઈ: મંગળવારે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઇ છે. વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારો  મંગળવારે લાલ નિશાન પર ખુલ્યા છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 400 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 150 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત બાદ અમેરિકાના બજારો તેમજ એશિયન બજારોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને ભારતીય બજાર પણ આમાંથી બાકાત રહ્યું નથી.વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?

મંગળવારે વૈશ્વિક બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સોમવારે મોટાભાગના યુએસ શેરબજાર ઘટાડા સાથે બંધ થયા હતા. મુખ્ય વોલ સ્ટ્રીટ સૂચકાંકોમાં ઘટાડો થયો, જેમાં S&P 500 1.76 ટકા, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.48 ટકા અને નાસ્ડેક કમ્પોઝિટ 2.64 ટકા ઘટ્યો, જેના કારણે Nvidiaના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો.

કેનેડાએ અમેરિકા પર રિટર્ન ટેરિફની જાહેરાત

મંગળવારથી કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી આજે શેરબજારના સેન્ટિમેન્ટ પર અસર થવાની શક્યતા છે. જવાબમાં, કેનેડાએ પણ તાત્કાલિક અસરથી અમેરિકા પર વળતો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

આ દાદાના લોહીમાં એવું શું હતું? 20 લાખ બાળકોના જીવ બચાવ્યા હતા!

ઓસ્ટ્રેલિયા: વિશ્વના સૌથી મોટા રક્તદાતાઓમાંના એક ગણાતા જેમ્સ હેરિસને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. હેરિસનનું લોહી દુર્લભ રક્ત પ્રકારોમાંનું એક માનવામાં આવે છે, જેણે 2 મિલિયનથી વધુ બાળકોના જીવન બચાવવામાં મદદ કરી હતી. ઓસ્ટ્રેલિયન હેરિસન, તેમના લોહીમાં એક દુર્લભ એન્ટિબોડી એન્ટિ-ડીની હાજરીને કારણે ‘મેન વિથ ધ ગોલ્ડન આર્મ’ તરીકે જાણીતા હતા. સગર્ભા સ્ત્રીઓ માટેની દવા રક્ત પ્લાઝ્મામાં જોવા મળતા એન્ટિ-ડીમાંથી બનાવવામાં આવે છે. આ દવા એવી ગર્ભવતી સ્ત્રીઓને આપવામાં આવે છે જેમના લોહીથી તેમના અજાત બાળક પર હુમલો થવાનું જોખમ હોય છે.જેમ્સ હેરિસનના પરિવારે જણાવ્યું હતું કે હેરિસનનું 17 ફેબ્રુઆરીના રોજ ઊંઘમાં મૃત્યુ થયું હતું. તેઓ ૮૮ વર્ષના હતા. ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસ બ્લડ સર્વિસે જણાવ્યું હતું કે હેરિસન 14 વર્ષની ઉંમરે છાતીની મોટી સર્જરી કરાવી હતી. તેના માટે મોટા પ્રમાણમાં તેમને રક્તદાન આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, તેમના લોહીમાં એક દુર્લભ એન્ટિબોડી મળી આવ્યું, જેના પછી તેમણે રક્તદાન કરવાનું નક્કી કર્યું.

એક અહેવાલ મુજબ, તેમણે 18 વર્ષની ઉંમરે રક્ત પ્લાઝ્માનું દાન કરવાનું શરૂ કર્યું હતું અને 81 વર્ષની ઉંમર સુધી દર બે અઠવાડિયે રક્તદાન કરવાનું ચાલુ રાખ્યું હતું. 2005માં તેમણે સૌથી વધુ રક્તદાન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો જે 2022માં તૂટી ગયો હતો. 2022માં, આ રેકોર્ડ એક અમેરિકન વ્યક્તિના નામે નોંધાયેલો હતો.

હેરિસનની પુત્રી, ટ્રેસી મેલોશિપે કહ્યું કે તેમના પિતાએ લાખો લોકોના જીવ બચાવ્યા હતા અને તે હંમેશા આ વાતથી ખુશ છે. હેરિસનની પુત્રી મેલોશિપને પોતે એન્ટી-ડી દવા આપવામાં આવી હતી. હેરિસનના બે પૌત્રોને પણ એન્ટી-ડી દવાથી બચાવી લેવામાં આવ્યા હતા.

એન્ટી-ડી એન્ટિબોડી શું છે?

એન્ટિ-ડી સપ્લિમેન્ટ્સ નવજાત શિશુઓને હેમોલિટીક રોગ, જેને HDFN તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનાથી રક્ષણ આપે છે. આ એક જીવલેણ રક્ત વિકાર છે જે અત્યંત ખતરનાક છે. આ સ્થિતિ ગર્ભાવસ્થા દરમિયાન થાય છે જ્યારે માતાના લોહીમાં રહેલા લાલ રક્તકણો તેના વધતા ગર્ભના રક્તકણો સાથે મેળ ખાતા નથી.માતાની રોગપ્રતિકારક શક્તિ ગર્ભના લાલ રક્તકણોને ખતરો માને છે અને તેમના પર હુમલો કરવા માટે એન્ટિબોડી મુક્ત કરે છે. આ એન્ટિબોડી ગર્ભ માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે, જેના કારણે અજાત બાળકમાં એનિમિયા, હૃદયની નિષ્ફળતા જેવી મોટી સમસ્યાઓ થઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. આ એન્ટિ-ડી દવા 1960ના દાયકામાં વિકસાવવામાં આવી હતી. અગાઉ, બે શિશુઓમાં HDFN રોગ જોવા મળ્યો હતો, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું.

હેરિસનના લોહીમાં એન્ટિ-ડીનું પ્રમાણ વધુ હોવાનું કારણ શું હતું?

હેરિસનના લોહીમાં એન્ટિ-ડીનું આટલું ઊંચું સ્તર શા માટે હાજર હતું તે જાણી શકાયું નથી. પરંતુ કેટલાક અહેવાલો સૂચવે છે કે 14 વર્ષની ઉંમરે જ્યારે હેરિસનને મોટા પ્રમાણમાં રક્તદાન કરવામાં આવ્યું ત્યારે તેમાં એન્ટિ-ડીની વિપુલતા વિકસાવી હશે.

ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસ બ્લડ સર્વિસ, જેને લાઇફબ્લડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કહે છે કે ઓસ્ટ્રેલિયામાં 200થી ઓછા એન્ટી-ડી દાતાઓ છે. પરંતુ તેઓ દર વર્ષે લગભગ 45,000 માતાઓ અને તેમના અજાત બાળકોના જીવન બચાવે છે.

ટ્રમ્પની જાહેરાત: 2 એપ્રિલથી વિદેશી કૃષિ ઉત્પાદનો પર ટેરિફ લાદવામાં આવશે

અમેરિકા: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (૩ માર્ચ) ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી હતી કે આયાતી કૃષિ ઉત્પાદનો પર નવા ટેરિફ 2 એપ્રિલથી લાગુ થશે. આ સાથે, તેમણે અમેરિકન ખેડૂતોને સ્થાનિક ઉત્પાદન વધારવા વિનંતી કરી. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘અમેરિકાના મહાન ખેડૂતો, દેશમાં વેચવા માટે ઘણા બધા કૃષિ પેદાશોનું ઉત્પાદન શરૂ કરવા માટે તૈયાર થઈ જાઓ.’ વિદેશી કૃષિ પેદાશો પર ટેરિફ 2 એપ્રિલથી અમલમાં આવશે. મજા કરો. અન્ય દેશોમાંથી આયાત થતા કૃષિ ઉત્પાદનો પર પ્રસ્તાવિત ટેરિફથી યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની કિંમતમાં વધારો થવાની ધારણા છે, જેનાથી સ્થાનિક રીતે ઉત્પાદિત પાક અને પશુધનની માંગમાં વધારો થશે અને અમેરિકન ખેડૂતોને સંભવિત ફાયદો થશે.જો કે, ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાના તે દેશો સાથેના વેપાર સંબંધોમાં તણાવની શક્યતા પણ વધી ગઈ છે જે અમેરિકામાં કૃષિ ઉત્પાદનોની નિકાસ કરે છે. ટ્રમ્પની આ જાહેરાત સ્થાનિક કૃષિ ઉત્પાદન વધારવા અને આત્મનિર્ભરતા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે. જોકે, તેમના નિવેદનમાં એ જણાવ્યું ન હતું કે ટેરિફના અમલીકરણથી કયા કૃષિ ઉત્પાદનો પર અસર થશે. આ પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ટેરિફ લાદ્યો હતો. તેઓ ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર, લાકડું અને તાંબુ સહિત વિવિધ ક્ષેત્રો પર વધારાની ડ્યુટી લાદવાની યોજના ધરાવે છે. ટ્રમ્પનો દાવો છે કે આ નિર્ણયો પાછળનો હેતુ અમેરિકન ઉદ્યોગોનું રક્ષણ કરવાનો અને અમેરિકન ઉત્પાદનને મજબૂત બનાવવાનો છે.ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ એવા સમયે શરૂ થયું છે જ્યારે વધતી જતી ફુગાવો યુએસ અર્થતંત્ર માટે એક ગંભીર મુદ્દો છે. આયાતી માલ પર ટેરિફ લાદવાથી તેમની કિંમતો વધશે, જેનાથી ફુગાવો વધુ વધવાની શક્યતા છે. સપ્લાય ચેઇનમાં પણ વિક્ષેપ પડશે. અમેરિકા સાથે વેપાર સંબંધો ધરાવતા દેશો અમેરિકન ઉત્પાદનો પર કર વધારીને ટ્રમ્પના ટેરિફનો જવાબ આપી શકે છે. આના કારણે મોંઘવારી વધુ વધવાની શક્યતા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે ઊંચા ટેરિફથી અમેરિકામાં કિંમતો વધી શકે છે, પરંતુ તેમણે સૂચવ્યું છે કે તેમના નિર્ણયના ફાયદા નુકસાન કરતાં વધુ હશે.

તાજેતરમાં, ટ્રમ્પે ચીન પર વધારાની 10% ટેરિફ તેમજ મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફની જાહેરાત કરી. તેમણે પોતાના નિર્ણય પાછળનું કારણ ફેન્ટાનાઇલ ઉત્પાદન અને ગેરકાયદેસર સ્થળાંતર સામે મજબૂત પગલાં લેવા માટે આ દેશો પર દબાણ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ પાર્ડોએ બદલો લેવાના ટેરિફ લાદવાની ચેતવણી આપી છે. જોકે, કેનેડા અને મેક્સિકો પર પહેલા જાન્યુઆરીમાં અને પછી ફેબ્રુઆરીમાં ટેરિફ લાદવાની અગાઉની સમયમર્યાદા અર્થશાસ્ત્રીઓ અને વ્યવસાયોની ચેતવણીઓ વચ્ચે મુલતવી રાખવામાં આવી હતી.

રિચા શર્માએ ‘રસિયા’ ગીત ત્રણ વખત ગાયું

નિર્દેશક કેતન મહેતાની ફિલ્મ ‘મંગલ પાંડે: ધ રાઈઝીંગ’ (2005) નું એક ગીત ગાયિકા રિચા શર્માએ ત્રણ અવાજમાં અને ત્રણ વખત ગાયું હતું. રેકોર્ડ કરવાનો કિસ્સો અજીબ રહ્યો હતો. સામાન્ય રીતે સંગીતકાર એ. આર. રહેમાન રાત્રે જ ગીતોનું રેકોર્ડિંગ કરતાં હોય છે પણ રીચાને આ વખતે સવારે ‘રસિયા’ ગીત ગાવા માટે બોલાવવામાં આવી હતી. રિચા પહોંચી ત્યારે ત્યાં ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેતા આમિર ખાન હાજર હતા.

જાવેદે રીચાને એ ગીત આપ્યું અને એણે પ્રેક્ટિસ શરૂ કરી પણ એના શબ્દો અજીબ લાગ્યા. રીચાને સમજાતું ન હતું કે આ કેવું ગીત છે? જેનું કોઈ બંધારણ જ નથી. એક શબ્દનો બીજા શબ્દ સાથે મેળ ખાતો ન હતો. ગીતના શબ્દોનો કોઈ અર્થ નીકળતો ન હતો. રીચાને થયું કે જાવેદ સાહેબનું લખેલું ગીત છે છતાં આમ કેમ છે? પણ એ બધા વરિષ્ઠ હોવાથી પોતાની મૂંઝવણ વિશે એમને પૂછી કે કહી શકાય એમ ન હતું.

આ ગીત ફિલ્મના દ્રશ્યની જરૂરિયાત હશે એમ સમજી રિચાએ ગાવા પર ધ્યાન આપ્યું. ગીત ગાયા પછી ખબર પડી કે આ ડમી શબ્દો છે. મતલબ કે અસલ ગીત તૈયાર થયા પછી ફરી ગાવું પડશે. થોડા દિવસો પછી ગીત લખાયું અને ફરી રેકોર્ડ કરવામાં આવ્યું.

આ ગીતમાં ત્રણ અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમણે ફિલ્મમાં આ ગીત જોયું છે એમને ખ્યાલ હશે કે શરૂઆતમાં એક વૃધ્ધ સ્ત્રી ભારે અવાજમાં ગાય છે. અને બીજી બે યુવતીઓ ડાન્સ કરતી હોય છે એમાં એકનો અવાજ સહેજ જાડો અને બીજીનો પાતળો છે. એ બધા માટે રિચાએ જ અવાજ આપ્યો છે. પાછળથી રિચાને ખબર પડી કે એમાં એણે વૃધ્ધ સ્ત્રી માટે ભારે અવાજમાં ગાયું હતું એને બદલીને પુરુષ અવાજમાં કરી દેવામાં આવ્યું છે.

ગીતનું શુટિંગ થઈ ગયા પછી રિચાની વાત એના મેકઅપમેન સાથે થઈ. જે ફિલ્મમાં રાની મુખર્જીનો મેકઅપ કરતો હતો. એણે રિચાને ફોન કરીને કહ્યું કે તમારું ‘મંગલ પાંડે: ધ રાઈઝીંગ’ નું ગીત સાંભળ્યું એ બહુ સરસ ગાયું છે. રિચાએ પૂછ્યું કે એ એક જ અવાજમાં છે કે એમાં પુરુષ સ્વર પણ છે? એણે કહ્યું કે એમાં પુરુષનો પણ અવાજ છે. રિચાને ખ્યાલ આવી ગયો કે એમાં પુરુષ સ્વરને લેવામાં આવ્યો છે.

થોડા સમય પછી રિચાને ફરીથી ‘રસિયા’ ગીત ગાવા માટે બોલાવવામાં આવી. રિચાએ સાંભળ્યું કે એના સંગીતમાં ફેરફાર થયો હતો અને સ્કેલ બદલાયો હતો. તેથી ગાવાનું મુશ્કેલ બન્યું હતું. રિચાએ ફરીથી ગાયું એ પછી જાવેદ અખ્તરે એને પૂછ્યું કે શરૂઆતમાં સ્ત્રીનો ભારે અવાજ રાખવો જોઈએ કે પુરુષનો? ત્યારે રિચાએ કહી દીધું કે એ ઈચ્છે છે કે સ્ત્રીનો અવાજ હોવો જોઈએ. હું એવું શા માટે ઈચ્છું કે મારા બદલે બીજા કોઈનો અને એ પણ પુરુષનો અવાજ આવે! ત્યારે જાવેદ અખ્તરે કહ્યું કે અમે આખું ગીત સ્ત્રી સ્વરમાં જ રાખીશું. કેમકે એ વધારે સારું લાગે છે. અને એ ગીતને ખરેખર વધારે પસંદ કરવામાં આવ્યું હતું.

(હવે પછી જાણીશું રિચા શર્માએ ફિલ્મ ‘ઝુબેદા’ માટે કલાકોમાં ઠુમરી ગીત કેવી રીતે શીખ્યું અને એ ગીત કેવા સંજોગોમાં રેકોર્ડ થયું તેનો રસપ્રદ કિસ્સો.)

ટ્રમ્પનું ટેરિફ વૉર: કેનેડા-મેક્સિકો પર 25% ટેરિફ આજથી અમલમાં આવશે

અમેરિકા: પ્રમુખ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (ત્રીજી માર્ચ) જાહેરાત કરી હતી કે મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર 25% ટેરિફ મંગળવાર (ચોથી માર્ચ)થી લાગુ કરાશે. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી હતી કે આ દેશ પાસે હવે અમેરિકન વેપાર કાર્યવાહીથી બચવા માટે કોઈ રસ્તો બચ્યો નથી. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આયાત પર 25 ટકા અને ચીનથી આવતા માલ પર 10 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જોકે, ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોને રાહત આપતા 30 દિવસ માટે ટેરિફ બંધ કરી દીધા.

ટ્રમ્પના આ નિર્ણય બાદ અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. મેક્સિકો અને કેનેડામાં પણ બજારો સુસ્ત દેખાયા. જોકે, કેનેડાના અર્થશાસ્ત્રીઓ અને લોકોએ ટ્રમ્પના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે અને તેને ગાંડપણ ગણાવ્યું છે.

ટ્રમ્પે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, ‘મેક્સિકો અને કેનેડાથી આપણા દેશમાં ડ્રગ્સ હજુ પણ ખૂબ ઊંચા અને અસ્વીકાર્ય સ્તરે આવી રહ્યું છે.’ આ દવાઓનો મોટો હિસ્સો, જેમાંથી મોટાભાગની ફેન્ટાનાઇલના રૂપમાં છે, તે ચીનમાં બને છે અને ચીન દ્વારા સપ્લાય કરવામાં આવે છે.સત્તામાં આવ્યા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કેનેડાને અમેરિકામાં સમાવવાની વાત કરી રહ્યા છે. તેમણે પ્રસ્તાવ મૂક્યો છે કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બને અને ટ્રુડોને ‘ગવર્નર’ પણ કહ્યા. ટ્રમ્પ કેનેડા પર પણ 25% ટેરિફ લાદવા જઈ રહ્યા છે.

અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતી સૈન્ય સહાય બંધ કરી, હવે ઝેલેન્સકી શું કરશે?

અમેરિકા: વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે વિખવાદ બાદ અમેરિકા એક્શન મોડમાં આવ્યું છે. ટ્રમ્પે યુક્રેનને અપાતી તમામ સૈન્ય મદદ પર તાત્કાલિક રોક લગાવી છે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ટ્રમ્પને ખાતરી થશે કે ઝેલેન્સ્કી પણ શાંતિના પક્ષમાં છે, પછી જ યુક્રેનને કોઈ મદદ કરવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી એક અબજ ડોલરના હથિયાર સંબંધિત મદદ પર સીધી અસર થશે.

બીજી તરફ ઝેલેન્સ્કી યુક્રેનને સુરક્ષાની ગેરંટી માંગી રહ્યા છે. ઝેલેન્સ્કી અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેમને નથી લાગતું કે યુદ્ધ વહેલા સમાપ્ત થશે, જે બાદ ટ્રમ્પે તેમની ટીકા કરી હતી. હવે ટ્રમ્પના મોટા નિર્ણય બાદ યુક્રેનને ઝટકો લાગ્યો છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હવે શું કરશે?

અમેરિકા દ્વારા યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાથી રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મોટો ઝટકો લાગ્યો છે. આવી સ્થિતિમાં, તેમની આશા હવે સંપૂર્ણપણે યુરોપ પર ટકેલી છે. યુરોપે યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. લંડનમાં બ્રિટનના નેતૃત્વમાં યોજાયેલી યુરોપિયન દેશોની કટોકટીની બેઠકમાં યુક્રેનને મદદ કરવાની સર્વસંમતિથી વાત કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તાજેતરમાં અમેરિકા પહોંચ્યા હતા. પરંતુ વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ઝેલેન્સકી સાથે ગરમાગરમ ચર્ચા પછી, તેઓ અમેરિકાથી સીધા બ્રિટન ગયા, જ્યાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે તેમનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. યુક્રેનના સમર્થનમાં બ્રિટનમાં યુરોપિયન નેતાઓની એક કટોકટી બેઠક યોજાઈ હતી.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે રવિવારે લંડનમાં યુરોપિયન નેતાઓની એક મહત્વપૂર્ણ સમિટનું આયોજન કર્યું હતું. યુરોપિયન નેતાઓના આ સમિટમાં, સ્ટાર્મરે યુરોપની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને યુક્રેનને સમર્થન આપવાની ખાતરી આપી. આ પરિષદનો ઉદ્દેશ્ય રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ગરમાગરમ ચર્ચાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો ઉકેલ શોધવાનો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

પંચાંગ 04/03/2025