રાજકોટ: મોરબી એક એવું શહેર છે જે જળ હોનારત, ભૂકંપ જેવી અનેક કુદરતી આફતોમાં મોટી ખુવારી વેઠ્યા બાદ ફરી ખુમારીથી બેઠું થયું છે. આ ધરતીના લોકો વિનાશ જોયા બાદ હિંમત હાર્યા વિના કંઈક નવું કરીને દુનિયાને પોતાની તાકાતનો પરિચય આપે છે. એક સમયે મોરબી જિલ્લાના ખેડૂતો કપાસ, ઘઉં, ચણા જેવા પરંપરાગત પાક જ લેતા હતા. હળવદ પંથકની જમીન તો એક સમયે ઉજ્જડ હતી. સિંચાઈની પૂરતી સુવિધાના અભાવે કેટલાંક ખેડૂતો પાક લઈ શકતા નહોતા. પરંતુ છેલ્લાં થોડાં સમયથી નર્મદાનું પાણી મળતું થયું અને પ્રગતિશીલ ખેડૂતોએ આધુનિક પદ્ધતિથી બાગાયતી ખેતી શરૂ કરીને ક્રાંતિ કરી છે. આજે દાડમની ખેતીમાં મોરબી જિલ્લાએ સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે.
ગુજરાતનો ખેડૂત ખેતીમાં સતત પરિવર્તન લાવીને પોતાની આવક વધારવા મહેનત કરી રહ્યો છે. ગુજરાત સરકાર પણ આધુનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ખાસ કરીને બાગાયતી ખેતીના વિકાસમાં સરકાર વધુ રસ લઈ રહી છે. કૃષિ મંત્રાલયે ૧૯૯૧થી અલગ બાગાયતી વિભાગની રચના પણ કરી છે, જે અંતર્ગત અનેક યોજના જાહેર કરવામાં આવી છે.
આજે ગુજરાતમાં આશરે 23 લાખ હેક્ટર જમીનમાં બાગાયતી પાક લેવાય છે. ફળો અને શાકભાજીનાં વાવેતર હેઠળનો વિસ્તાર સતત વધે એ માટે ખેડૂતોને તાલીમ પણ અપાય છે. વાવેતરથી લઈને બજારમાં વેચવા લાવવા સુધીની વ્યવસ્થા માટેના ખર્ચમાં સબસિડી રૂપે આર્થિક સહાય અપાય છે, જેનું સારું પરિણામ પણ મળી રહ્યું છે.
મોરબી અલગ જિલ્લો બન્યો ત્યારથી 4500 હેક્ટરમાં દાડમની ખેતી થાય છે. હળવદ તાલુકામાં 3800 હેક્ટરમાં દાડમનો પાક લેવામાં આવે છે. વાર્ષિક આશરે 50 હજાર ટન દાડમ મોરબી જિલ્લામાં પાકે છે. કચ્છ અને બનાસકાંઠા બાદ મોરબી જિલ્લો દાડમના ઉત્પાદનમાં ત્રીજો છે. કચ્છ અને બનાસકાંઠાની જેમ હળવદ પંથકનું સૂકું હવામાન દાડમના પાકને અનુકૂળ છે. રાજકોટ, જામનગર જિલ્લામાં પણ દાડમની ખેતી છૂટીછવાયી થાય છે, પણ હળવદ જિલ્લો એક પોકેટ તરીકે ઊભરી રહ્યો છે. અહીં ઈશ્વરનગર, જૂના દેવળિયા, રણમલપુર, ધણાદ સહિતનાં ગામોના ખેડૂતોએ દાડમની ખેતી અપનાવીને આવકને બમણી કરી છે.
કોઈ પણ નવા પાકમાં ઉત્પાદન મળે પછી એના વેચાણની સમસ્યા મોટી હોય છે, પરંતુ મોરબી જિલ્લામાં દાડમનો પાક તૈયાર થાય એટલે મોટા વેપારીઓ સીધા ખેતરે આવીને ભાવ નક્કી કરીને માલ લઈ જાય છે. કેટલાંક ખેડૂતો માલનું સોર્ટિંગ અને પૅકિંગ પણ વાડીએ જ કરે છે. એટલું જ નહીં, હળવદ આસપાસ પાંચ ખાનગી માર્કેટ યાર્ડ ઊભાં કરવામાં આવ્યાં છે. ખેડૂતો આ યાર્ડમાં જઈને સરળતાથી દાડમ સહિતના પાકો વેચે છે. જાણીને નવાઈ લાગશે કે મોરબી જિલ્લામાંથી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, લખનઉ સહિતનાં શહેરોમાં દાડમ જાય છે. જ્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE), મલયેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં મોરબી પંથકનાં દાડમની નિકાસ કરવામાં આવી રહી છે.
ઈશ્વરનગર ગામના યુવા ખેડૂત ભરત માકાસણાએ એમ.બી.એ.નો અભ્યાસ છોડીને વતનમાં દાડમની ખેતી શરૂ કરી છે. એ ચિત્રલેખાને કહે છે, “અમારા વડીલો કપાસ, મગફળી, ચણા, ઘઉં જેવા પરંપરાગત પાક લેતા હતા. પણ હવે નવા વિચારો સાથે આધુનિક ખેતી કરવામાં આવે તો ખૂબ સારાં પરિણામ મળે છે. મેં એક દસકા પહેલાં 16 વીઘાં જમીનમાં દાડમની ખેતી ચાલુ કરી હતી, આજે 65 વીઘાંમાં દાડમ છે. દાડમના રોપા આણંદથી લાવીને રોપ્યા છે. વાર્ષિક 150 ટન જેટલું ઉત્પાદન મળે છે. હાલ ભાવ પણ સારા એટલે કે કિલોના 100થી 120 રૂપિયા મળે છે.’
આ યુવા ખેડૂત ઉમેરે છે કે દાડમની ખેતી થકી વર્ષે અંદાજે 60 લાખ રૂપિયાની ઊપજ થાય છે. રોપણીના વર્ષે છોડ નાનો હોય ત્યારે મિશ્ર પાક તરીકે કપાસ કે મગફળી લઈ શકાય છે. જેથી ખેડૂતને એક વર્ષ માટે ડબલ ફાયદો મળે છે. ગુજરાત સરકાર બાગાયતી ખેતીમાં રોપા, ડ્રીપ ઈરિગેશન અને મિનિ ટ્રૅક્ટર ખરીદવા સબસિડી આપે છે. હળવદ પંથકના વધુ ને વધુ ખેડૂતો દાડમ તરફ વળી રહ્યા છે. નર્મદાનું પાણી મળ્યા બાદ દાડમની ખેતીએ આ વિસ્તારની આર્થિક સિકલ બદલી નાખી છે.
આ જ ગામના અન્ય ખેડૂત પ્રફુલ્લભાઈ રાજપરા ચિત્રલેખાને કહે છે: ‘મારી 90 વીઘાં જમીનમાંથી 45 વીઘાંમાં દાડમની ખેતી કરું છું. થોડાં વર્ષ અગાઉ સ્થાનિક બાગાયતી અધિકારી અમને મુંબઈમાં બાગાયત કૃષિના એક સેમિનારમાં ભાગ લેવા લઈ ગયા હતા. ત્યાં દાડમની ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાડમની ખેતી માટે અનુકૂળ હવામાન હોવાથી અમે એ તરફ વળ્યા. આજે એનાં ખૂબ સારાં પરિણામો મળ્યાં છે. સારું ચોમાસું અને વાતાવરણ અનુકૂળ રહે તો વર્ષે મને 70 થી 80 લાખ રૂપિયાની આવક થાય છે. અહીંના દાડમની ગુણવત્તા સારી હોવાથી બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં નિકાસ થાય છે. સ્થાનિક મજૂરોને પણ સારી રોજગારી મળી રહી છે.’
બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર અમુક યોજના હેઠળ ખેડૂતોને મદદ કરી રહી છે. કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ કહે છે: ‘ગુજરાતનો ખેડૂત આજે અનેક ફળફળાદી-શાકભાજીનો પાક લેતો થયો છે. ગુજરાતમાં ગુણકારી દાડમના પાકનું વાવેતર સતત વધી રહ્યું છે. દાડમના પાકમાં સામાન્ય કૅટેગરી, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતને એના ખર્ચના પંચાવન ટકાથી 75 ટકા લેખે પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય ત્રણ વર્ષમાં તબક્કાવાર ચૂકવવામાં આવે છે. વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં પ્રતિ લાભાર્થીને સહાય ચૂકવવામાં આવે છે. આ સહાયને કારણે ખેડૂતો વધુ આવક મેળવે એવો હેતુ છે.’
મોરબી જિલ્લાના મદદનીશ બાગાયતી અધિકારી બ્રિજેશ જેઠલોજા કહે છે, ‘દાડમને ગોરાડું અને મધ્યમ કાંપની જમીન તથા સૂકું હવામાન અનુકૂળ આવે છે, જે મોરબી જિલ્લામાં હળવદ અને આસપાસના પંથકમાં છે. ખેડૂતોને દાડમની ખેતીમાં એક હેક્ટરદીઠ એક લાખનો અંદાજિત ખર્ચ ગણીને એમને સબસિડી રૂપે સરકાર ચુકવણું કરે છે. એ ઉપરાંત, ખેડૂતોને તાલીમ અને રોપા મેળવવા માટે વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.’
(દેવેન્દ્ર જાની – રાજકોટ)






આ વિજેતાઓની જાહેરાત યુનિવર્સિટી દ્વારા નિયુક્ત કરાયેલ એક પ્રતિષ્ઠિત જ્યુરી પેનલ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના આધારે કરવામાં આવે છે. આ વર્ષે, જ્યુરી પેનલમાં સ્ટીવન સ્મિથ (ડિરેક્ટર, અર્બન નેરેટિવ), સુરંજના સતવાલેકર (સ્થાપક, સતવાલેકર ડિઝાઇન સ્ટુડિયો), પંકજ ગુપ્તા અને અપૂર્વ પરીખ (ડિરેક્ટર, મલ્ટી મીડિયા કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ)નો સમાવેશ થાય છે. આ જ્યૂરી પેનેલે ખૂબ જ કાળજીપૂર્વક સૌથી ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ્સ પસંદ કર્યા છે. પ્રદર્શનમાં 9 વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ અને બે સ્ટુડિયો પ્રોજેક્ટ્સ છે. જેમને મોનસૂન સેમેસ્ટર 2024 દરમિયાન તેમના ઉત્તમ કાર્ય માટે માન્યતા આપવામાં આવી છે.
પસંદ કરાયેલા વિદ્યાર્થી પ્રોજેક્ટ્સમાંથી, સમીક્ષા પેનલે CEPT ગુજરાલ ફાઉન્ડેશન એક્સેલન્સ એવોર્ડ્સના વિજેતા તરીકે જશ ભદ્રેશ્વર (FA UG ’21), અમાન લોખંડવાલા (FA UG ’20) અને આર્કિટેક્ચર ફેકલ્ટીમાં એક્સચેન્જ વિદ્યાર્થી લિયોની સિંગરને પસંદ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મોનસૂન સેમેસ્ટર ’24 દરમિયાન બનાવવામાં આવેલા સ્ટુડિયો કાર્યમાં શ્રેષ્ઠતાની ઓળખ સમાન છે. દરેક વિજેતાને 1 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે.



લોસ એન્જલસના એકેડેમી મ્યુઝિયમમાં ‘મંથન’ સહિત ૧૨ આઇકોનિક ફિલ્મોની ગ્રાઉન્ડબ્રેકિંગ શ્રેણીનું ક્યુરેટિંગ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સ્થાપક ડિરેક્ટર શિવેન્દ્ર સિંહ ડુંગરપુર દ્વારા કરવામાં આવ્યું છે, જે ભારતના સિનેમેટિક વારસાને સાચવવા માટે સમર્પિત એક બિન-લાભકારી સંસ્થા છે.
GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,“ ‘મંથન’ ભારતની શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનની દૂધ સહકારી ચળવળથી પ્રેરિત છે. આ ફિલ્મનો ડેરી સહકારી ચળવળ પર ખૂબ જ પ્રભાવ પડ્યો છે. તેણે દેશભરના લાખો ખેડૂતોને સ્થાનિક ડેરી સહકારી મંડળીઓ બનાવવા માટે એક મંચ પર આવવા પ્રેરણા આપી અને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા તરફ ભારતની સફરમાં મોટું યોગદાન આપ્યું છે. ભારત વર્ષ ૧૯૯૮માં વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો અને ત્યારથી તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે. વર્ષ ૧૯૭૬માં ‘મંથન’ ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ (ઓસ્કાર) માટે ભારત તરફથી એકેડેમી એવોર્ડ માટે રજૂ કરવામાં આવેલ હતી અને વર્ષ ૨૦૨૫માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષમાં આ ફિલ્મ પ્રદર્શિત થતા અમે ગર્વ અનુભવી રહ્યા છીએ.”
10 લાખ રૂપિયાના બજેટમાં બનેલી, મંથન પહેલી ક્રાઉડફંડેડ ભારતીય ફિલ્મ પણ હતી. જેમાં GCMMFના 5 લાખ પશુ પાલકોએ ફિલ્મના નિર્માણ ખર્ચને ભંડોળ પૂરું પાડવા માટે પ્રતિ પશુપાલક ₹ 2નું યોગદાન આપ્યું હતું. આ ફિલ્મ સમુદાય-સંચાલિત પહેલની પરિવર્તનશીલ સંભાવના દર્શાવે છે અને ભારતીય સિનેમાના સામાજિક રીતે સંબંધિત વાર્તાઓમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ દર્શાવે છે. મંથનને વર્ષ ૧૯૭૭માં હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને વિજય તેંડુલકરને શ્રેષ્ઠ પટકથા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
લોકો વર્ષમાં એકવાર પ્રેમનો તહેવાર ઉજવે છે પરંતુ પ્રેમ તો પ્રતિપળની સાધના છે. દુનિયામાં જો સૌથી મોટો કોઈ દુકાળ હોય તો તે છે પ્રેમનો. દરેક વ્યક્તિ પ્રેમનો તરસ્યો છે પણ એ તરસ ક્યારેય છીપાતી નથી. આ બૌદ્ધિક યુગમાં, જ્યાં અહંકાર અકડી ને ઊભો છે, ત્યાં પ્રેમ માટેનું વાતાવરણ ઊભું કરવું પડશે. એવુ વાતાવરણ કે જેમાં પ્રેમીઓને તિરસ્કારની નજરે જોવામાં ન આવે.
બીજુ, સ્ત્રી અને પુરુષ એક જ અસ્તિત્વના બે પાસાં છે પરંતુ તેમનો સ્વભાવ સંપૂર્ણપણે અલગ-અલગ છે. તેથી, લડાઈ-ઝઘડા માં સમય બગાડવાને બદલે, એકબીજાને સમજવાનો પ્રયાસ કરો. સ્ત્રી હૃદયમાં જીવે છે, પૂરૂષ મસ્તિષ્કમાં. પ્રેમનું ગણિત ઘણું અલગ છે, અહીં બે વત્તા બે હંમેશા ચાર નથી થતાં, બે અને બે એક બની શકે છે અથવા તેઓ ક્યારેય મળતા જ નથી.
માટે પ્રેમની સાથે ધ્યાનની જાગૃતિ પણ જરૂરી હૈં જો ધ્યાન ની જાગૃતિ અને સંતુલન પ્રેમ માં આવે તો પ્રેમનો વિકાસ થઈ શકે છે. આજે વિશ્વને દરેક સ્તરે પ્રેમની ખૂબ જ જરૂર છે. પ્રેમ અને ધ્યાન એ બે પાંખો છે જેની મદદથી વ્યક્તિ આકાશમાં ઉડી શકે છે. ત્યારબાદ તમે જાણી શકશો કે પ્રેમ માટે વેલેન્ટાઈન ડે નું બંધન જરૂરી નથી. પ્રેમનો છોડ દરરોજ વિકસતો રહેશે.