Home Blog Page 114

ઈરાને હોર્મુઝ જળસંધિને ફરીથી ખોલવા અમેરિકાને આપ્યો નવો પ્રસ્તાવ

નવી દિલ્હીઃ ઈરાને પાકિસ્તાની મધ્યસ્થી મારફતે અમેરિકાને હોર્મુઝ જળસંધિને ફરીથી ખોલવા અને યુદ્ધ સમાપ્ત કરવા માટે નવો પ્રસ્તાવ આપ્યો છે, એમ અમેરિકી અધિકારી અને મામલાની જાણકારી ધરાવતા બે સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી હતી. જોકે પરમાણુ ચર્ચાઓને પછી માટે મુલતવી રાખવાની શરત સાથે આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. અહેવાલમાં એ પણ જણાવાયું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટોચની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ ટીમ સાથે ઈરાન મુદ્દે સિચ્યુએશન રૂમ બેઠક કરશે, જેમાં આગળની કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવશે.

ટ્રમ્પનું નિવેદન

ઈરાને એવું પણ કહ્યું છે કે ઈરાનની સંપત્તિઓ પર લાગેલા પ્રતિબંધો અમેરિકા દૂર કરે. ટ્રમ્પે રવિવારે અગાઉ જ સંકેત આપ્યો હતો કે ઈરાની સરકાર સાથે સંપૂર્ણ સોદો ન થાય ત્યાં સુધી તેઓ આ પ્રતિબંધો યથાવત રાખવા મગે છે.

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીની તાજેતરની ઇસ્લામાબાદ મુલાકાત દરમિયાન ઈરાને પાકિસ્તાનને મધ્યસ્થ બનાવી અમેરિકન પક્ષને લેખિત સંદેશાઓ મોકલ્યા હતા. તેમાં પ્રાદેશિક પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી અને દેશની કેટલીક વિશેષ મર્યાદાઓ દર્શાવવામાં આવી હતી. તેમાં પરમાણુ મુદ્દો અને હોર્મુઝ જેવા મુદ્દાઓ સામેલ હતા.

રેવોલ્યુશનરી ગાર્ડ્સની ચેતવણી

હોર્મુઝ જળમાર્ગ બંધ રહેવાને કારણે યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ તેજ બન્યું છે. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સે કહ્યું હતું કે તેમનો નાકાબંધી હટાવવાનો કોઈ ઇરાદો નથી. જેને કારણે ભારે અસ્થિરતા ફેલાઈ છે. ગાર્ડ્સે પોતાના સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર કહ્યું હતું કે હોર્મુઝ જળમાર્ગ પર નિયંત્રણ રાખવું અને તેના પ્રભાવોની છાયા પ્રદેશમાં અમેરિકા તથા વ્હાઇટ હાઉસના સમર્થકો પર જાળવી રાખવું એ ઇસ્લામિક ઈરાનની નિર્ણાયક વ્યૂહરચના છે.

જાપાનમાં વહેલી સવારે ભૂકંપના ઝટકા: 6.2ની તીવ્રતાથી ધરા ધ્રુજી

જાપાન:  હોકાઈડો ક્ષેત્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 નોંધાઈ. વહેલી સવારે ગાઢ નિદ્રામાં રહેલા લોકો ભૂકંપને કારણે ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા મુજબ, ભૂકંપ સોમવારે વહેલી સવારે 5:24 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 01:54 વાગ્યે) આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા મધ્ય ટોકાચી ક્ષેત્રમાં જાપાનીઝ સ્કેલ પર ‘5+’ નોંધાઈ હતી. રાહતની વાત એ છે કે, ભૂકંપ બાદ અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તેમજ કોઈ મોટી જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલો મળ્યા નથી.

હવામાન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને આગામી થોડા દિવસો સુધી સંભવિત ‘આફ્ટરશોક્સ’ માટે સતર્ક રહેવાની સલાહ આપી છે. આપને જણાવી દઈએ કે, 20 એપ્રિલના રોજ ઉત્તરી જાપાનમાં 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ ઈવાતે પ્રાંતના કુજી બંદર પર 80 સેમી ઊંચા સુનામીના મોજા જોવા મળ્યા હતા. જાપાન ભૂકંપના ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત હોવાથી અહીં અવારનવાર આવી કુદરતી આપત્તિઓ સર્જાતી રહે છે.

રાજકોટમાં ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ

રાજકોટ: કાલાવડ રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમઝોનમાં 26 એપ્રિલના રોજ અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રવિવારની રજા હોવાથી અને વેકેશનનો સમય હોવાને કારણે ગેમઝોનમાં મોટી સંખ્યામાં બાળકો સાથે પરિવારો મનોરંજન માટે ઉમટી પડ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. દુર્ઘટનાને પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ અંદર રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે લોકો બહાર તરફ દોડ્યા હતા.

કોઈ જાનહાનિ નહીં, તમામનું રેસ્ક્યુ કરાયું

આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે. જોકે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે ખૂબ જ રાહતની વાત છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદ-ગોધરા વચ્ચે 120 કિ.મી. સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનશે

નવી દિલ્હી: અમદાવાદને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. અમદાવાદ-ગોધરા વચ્ચે સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનાવવામાં આવશે. જેના માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડી.પી.આર. (ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરાઈ રહ્યો છે.

નેશનલ હાઈવે ઓથોરિટીની કવાયત

અમદાવાદથી ગોધરા સુધી આશરે 120 કિલોમીટરની લંબાઈનો ગ્રીન ફિલ્ડ હાઈવે બનાવવામાં આવશે. જેના માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 60 મીટર પહોળાઈના રાઈટ ઓફ વે સાથેના હાઈવેનું આયોજન થઈ રહ્યું છે. જેથી ભવિષ્યમાં ટ્રાફિક વધે તો આ હાઈવેને 8 લેન સુધી વિસ્તારી શકાય.

હાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા વાહન ચાલકોએ ગોધરાથી અમદાવાદ તરફ આવવા માટે વડોદરા સુધી લાંબા થવું પડે છે. જ્યાંથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર જવું પડે છે. તેના બદલે આ નવા સૂચિત હાઈવે દ્વારા ગોધરાથી વાહન ચાલકો સીધા જ અમદાવાદ આવી શકશે.

ગ્રીન ફિલ્ડ હાઈવે એટલે શું?

સામાન્ય રીતે જૂના રસ્તાને પહોળા કરીને નવા હાઈવે બનાવવામાં આવતા હોય છે. પરંતુ ગ્રીન ફિલ્ડ હાઈવે એટલે ખાલી જમીન પર સંપૂર્ણ નવો રસ્તો બનાવવો. 120 કિમી સુધીની ઝડપે વાહનો દોડાવી શકાય તેવી રીતે ગ્રીન ફિલ્ડ હાઈવે ડિઝાઈન થાય છે. ગામો અને શહેરોને બાયપાસ કરીને રસ્તો તૈયાર થાય છે. જેથી મુસાફરી દરમિયાન વાહનચાલકોએ કોઈ અવરોધનો સામનો કરવો પડે નહીં.

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, કંડલા 45.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

અમદાવાદ: રાજયમાં ઉનાળો દિવસેને દિવસે વધુ આકરો થતો જઈ રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રવિવારે રાજ્યના 13 જેટલા જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો હતો. કચ્છનું કંડલા 45.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ ગરમીના પારામાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. પરિણામે અનેક શહેરોમાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.
રવિવારે રાજ્યના મુખ્ય શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં તાપમાન 44.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3.2 ડિગ્રી વધુ છે. આ સાથે જ અમદાવાદમાં એપ્રિલ માસનું આ ત્રીજું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં 44.5 ડિગ્રી, રાજકોટમાં 44.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાતા રસ્તાઓ બપોરના સમયે સુમસામ બન્યા હતા. પાટનગર ગાંધીનગરમાં પણ પારો 44.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે વડોદરા અને સુરતમાં અનુક્રમે 43 ડિગ્રી અને 41.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં 42.8 ડિગ્રી અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં 41.6 ડિગ્રી તાપમાનથી લોકો અકળાયા હતા.

હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, ગરમ અને સૂકાં પવનો ફૂંકાવાને કારણે હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ હીટસ્ટ્રોકથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા અને બાળકો તેમજ વૃદ્ધોની વિશેષ કાળજી રાખવા એડવાઈઝરી બહાર પાડી છે. વધતી ગરમીને જોતા મહાનગરપાલિકાઓ દ્વારા જાહેર સ્થળોએ પીવાના પાણીની પરબો અને ઠંડા આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગરમીના આ પ્રકોપ વચ્ચે વીજ માંગમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

પંચાંગ 27/04/2026

૨૭ એપ્રિલ ૨૦૨૬

IPL 2026 : રોમાંચક સુપર ઓવરમાં લખનૌ સામે KKR ની જીત

લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સુપર ઓવરમાં વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા KKR એ રિંકુ સિંહના 83 રનની મદદથી 155 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમે પણ 155 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી. સુપર ઓવરમાં સુનિલ નરેને માત્ર 1 રન આપીને 2 વિકેટ ઝડપી લખનૌને પસ્ત કર્યું હતું, ત્યારબાદ રિંકુ સિંહે પ્રથમ બોલે ચોકો ફટકારી KKR ને જીત અપાવી હતી. મોહસીન ખાને LSG તરફથી 5 વિકેટ ઝડપી હોવા છતાં ટીમ હારી ગઈ હતી.

મેચની શરૂઆત લખનૌ સુપર જાયન્ટ્સના પક્ષમાં રહી હતી. કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેકેઆરની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી, જેમાં ઓપનર અજિંક્ય રહાણે 10 રન અને ટિમ શિફર્ટ શૂન્ય રને આઉટ થયા હતા. અંગક્રિશ રઘુવંશી કમનસીબ રીતે ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’ નિયમ હેઠળ 9 રને આઉટ થયો હતો. એક સમયે કેકેઆરની ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે કેમેરોન ગ્રીને 34 રન બનાવી થોડો ટેકો આપ્યો હતો, પરંતુ તે પણ મોહસીન ખાનનો શિકાર બન્યો હતો. રોવમેન પોવેલ પણ માત્ર 1 રન બનાવી શક્યો હતો.

આ કપરા સમયે રિંકુ સિંહે ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી હતી. તેણે જવાબદારીપૂર્વક બેટિંગ કરતા 51 બોલમાં 7 ચોકા અને 5 છગ્ગાની મદદથી શાનદાર 83 રન ફટકાર્યા હતા. રિંકુનો સ્ટ્રાઈક રેટ 162.74 નો રહ્યો હતો, જેની મદદથી KKR નિર્ધારિત 20 ઓવરમાં 155/7 ના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. લખનૌ તરફથી મોહસીન ખાને તેના આઈપીએલ કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્પેલ ફેંક્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 23 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જેમાં એક મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે.

156 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમની શરૂઆત પણ નબળી રહી હતી. મિશેલ માર્શ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ એડન માર્કરામ અને કેપ્ટન ઋષભ પંત વચ્ચે 57 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. માર્કરામ આઉટ થયા બાદ પંતે 38 બોલમાં 42 રન બનાવ્યા હતા, પરંતુ તે સુનિલ નરેનનો શિકાર બન્યો હતો. નિકોલસ પૂરન (9) અને આયુષ બદોની (24) મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. અંતિમ ઓવરમાં જીતવા માટે 7 રનની જરૂર હતી ત્યારે મોહમ્મદ શમીએ છેલ્લા બોલે છગ્ગો ફટકારી સ્કોર લેવલ કર્યો હતો અને મેચ સુપર ઓવરમાં ગઈ હતી.

સુપર ઓવરમાં કોલકાતા તરફથી સુનિલ નરેને બોલિંગની કમાન સંભાળી હતી. નરેને તેના જાદુઈ સ્પિનથી પ્રથમ બોલે જ નિકોલસ પૂરનને ક્લીન બોલ્ડ કર્યો હતો. બીજી બાજુ પંતે એક રન લીધો હતો, પરંતુ ત્રીજા બોલે માર્કરામ આઉટ થઈ જતા લખનૌની સુપર ઓવર માત્ર 1 રને સમાપ્ત થઈ હતી. કેકેઆરને જીતવા માટે માત્ર 2 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રિંકુ સિંહે સુપર ઓવરના પ્રથમ જ બોલ પર શાનદાર ચોકો ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને ઐતિહાસિક જીત અપાવી હતી. રિંકુ સિંહને તેની મેચ વિનિંગ ઇનિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.

Why You Must Understand Your Relationship with Money – Personal Finance Consultant Viral Bhatt

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો મહાકુંભ અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં પૂર્ણ થયો છે. રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત સુધીના વિવિધ સ્તરે યોજાયેલા આ ચૂંટણી જંગમાં કુલ 25,000 થી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (EVM) મશીનમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્રના મતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ક્યાંય કોઈ મોટી અપ્રિય ઘટના બની નથી અને લોકોએ લોકશાહીના આ પર્વમાં હોંશેહોંશે ભાગ લીધો છે.

આ ચૂંટણીમાં મતદાનના આંકડાઓ પર નજર કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં શહેરોની સરખામણીએ વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યની 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 62.38 ટકા જેટલું બમ્પર મતદાન નોંધાયું છે, જ્યાં 14,198 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. તેવી જ રીતે, 34 જિલ્લા પંચાયતોમાં પણ 61.69 ટકા મતદાન સાથે મતદારોએ જાગૃતિ બતાવી છે. 84 નગરપાલિકાઓની વાત કરીએ તો ત્યાં સરેરાશ 59.50 ટકા મતદાન નોંધાયું છે, જે દર્શાવે છે કે નાના શહેરો અને ગ્રામ્ય સ્તરે લોકો પોતાના પ્રતિનિધિ પસંદ કરવા માટે વધુ સક્રિય રહ્યા છે.

બીજી તરફ, રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મતદાનની ટકાવારી સરેરાશ 49.02 ટકા નોંધાઈ છે. આ મનપાઓની 1001 બેઠકો પર 3145 ઉમેદવારો લડી રહ્યા છે. જોકે, ગત ચૂંટણીની સરખામણીએ કેટલાક મોટા શહેરોમાં મતદાનના જૂના રેકોર્ડ તૂટ્યા છે, જે રાજકીય પક્ષો માટે ચિંતા અને આશા બંનેના સંકેત આપી રહ્યા છે. હવે તમામ પક્ષો અને ઉમેદવારોની નજર આગામી મંગળવારે થનારી મતગણતરી પર ટકેલી છે. શનિવાર અને રવિવારની રજાઓ બાદ સોમવારે રાજકીય પંડિતો જીત-હારના ગણિત માંડશે અને મંગળવારે સ્પષ્ટ થશે કે જનતાએ કોના શિરે સત્તાનો તાજ પહેરાવ્યો છે.