Home Blog Page 1141

રાજકોટની ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર ‘તોફાની રાધા’એ જીવન ટૂંકાવ્યું

રાજકોટ: ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા) એ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. શહેરમાં માતા-પિતાથી અલગ રહેતી અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ બનેલી તોફાની રાધા એટલે કે રાધિકા ધામેચા (ઉ.વ.26) ગઈકાલે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, આપઘાત કરતા પહેલા એટલે કે ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘પના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’ ડાયલોગ સાથે સ્ટેટ્સ મૂક્યું હતું અને પિતાને પણ ફોન કરી હું જાઉં છું કહી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. જો કે, આપઘાતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ શહેરના રૈયા રોડ પર એકલી રહેતી રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.26) જે ઇન્સ્ટાગ્રામમાં તોફાની રાધા નામથી પોતાના કોન્ટેન્ટથી ફેમસ બની હતી. યુવતીએ ગઈકાલે રાત્રિના ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા રાધિકાએ તેના પિતાને ફોન કરી હું જાઉં છું કહ્યું હતું જેથી પિતાને અજુક્તું લાગતા તેઓ તુરંત રાધિકા જ્યાં રહેતી હતી ત્યાં પહોંચ્યા હતા. જો કે, ત્યાં પહોંચતા રાધિકા ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેને નીચે ઉતારી હોસ્પિટલ ખેસડવામાં આવી હતી, પરંતુ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગેની જાણ યુનિવર્સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોઅમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાધિકાના ઇન્સ્ટાગ્રામમાં 42,800થી વધુ ફોલોઅર્સ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે 7 વાગ્યે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજમાં એક સ્ટેટ્સ મૂક્યું હતું. જેમાં ફિલ્મ અભિનેતા દ્વારા ડાયલોગ બોલવામાં આવે છે કે ‘હર એક કી ઝીંદગી મેં એક સમય આતા હૈ, જબ ઉસે ફેંસલા કરના પડતા હૈ કી પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હે’.

નાનાની ‘ક્રાંતિવીર’ માટેની દિલીપકુમારની વાત સાચી પડી   

નિર્દેશક મેહુલકુમારે ફિલ્મ ‘ક્રાંતિવીર’ (૧૯૯૪) સાથે જોડાયેલી બે રસપ્રદ વાતો કરી હતી. ફિલ્મમાં ઇન્ટરવલ પછી એક દ્રશ્ય ઉમેર્યું હતું જેની નાના પાટેકરને પણ ખબર ન હતી. અને નાના બીમાર હોવા છતાં એના ક્લાઇમેક્સનું શુટિંગ કર્યું હતું. ફિલ્મ તૈયાર થઈ ગઈ અને એની પહેલી નકલ બહાર આવી ત્યારે મેહુલકુમારે ટ્રાયલ જોઈ અને થયું કે હિન્દુ- મુસલમાનનું લોહી એક જ રંગનું છે એ સૌથી મહત્વનું દ્રશ્ય ઇન્ટરવલ પછી તરત જ આવી જાય છે. મેહુલકુમારને થયું કે ઇન્ટરવલમાં નાસ્તો કરવા કે ધૂમ્રપાન માટે જતાં લોકો મોડા આવે છે અને તેઓ એને જોઈ શકશે નહીં. એટલે ઇન્ટરવલ પછી એક નવું દ્રશ્ય ઉમેરવાનું વિચાર્યું. એમને એક લારીવાળા સાથેની મુલાકાતનો પ્રસંગ યાદ આવી ગયો અને એક લારી લઈ ધંધો કરતાં ગરીબ વૃધ્ધનું દ્રશ્ય ઉમેરવાનું નક્કી કર્યું.

મરાઠી નાટકોના નિર્દેશક કોઈ ફી લીધા વગર એ દ્રશ્ય કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જેમાં એ કહે છે કે તમે હિન્દુ હોય તો મને મુસલમાન સમજીને મારી નાખો અને મુસલમાન હોય તો હિન્દુ સમજીને મારી નાખો. આ દ્રશ્યને લાંબુ કરવા એને દૂરથી લારી લઈને આવતો બતાવ્યો હતો એટલું જ નહીં કેટલાક ક્લોઝઅપ દ્રશ્યો પણ લીધા હતા. જ્યારે નાનાએ અંતિમ ટ્રાયલ જોઈ ત્યારે આ દ્રશ્ય માટે નવાઈ લાગી હતી. એ દ્રશ્ય એમને બહુ ગમ્યું હતું અને ફિલ્મની હાઇલાઇટમાંનું એક બની ગયું હતું. ‘ક્રાંતિવીર’ ના ક્લાઇમેક્સના શુટિંગનું આયોજન થઈ ગયું હતું ત્યારે નાના પાટેકર બીમાર થઈ ગયા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેહુલકુમાર નાનાને મળવા ગયા હતા અને કહ્યું હતું કે તારી તબિયત સારી નથી એટલે ક્લાઇમેક્સનું શુટિંગ રદ કરી દઈએ. ત્યારે નાનાએ પોતાના અંદાજમાં કહ્યું કે મને છાતીમાં દુ:ખાવાની તકલીફ છે.

હું મરી જઈશ તો તારી ફિલ્મ અધૂરી રહી જશે. તું વિશ્વાસ રાખ મને કશું થશે નહીં. શુટિંગ માટે સેંકડો જુનીયર કલાકારો બોલાવ્યા છે એમને એમ જ ફી આપી દેવી પડશે. નાનાએ બીજા દિવસે કોઈપણ રીતે શુટિંગ કરવાનો નિર્ણય કર્યો. મેહુલકુમારે કહ્યું કે સ્ટેજ પરનું મુખ્ય દ્રશ્ય એક જ શોટમાં હું ચાર કેમેરા લગાવીને પૂરું કરી લઇશ. પછીથી ડેનીને મારવાનું દ્રશ્ય પણ લઈ લઈશું. તારે સંવાદ યાદ કરી લેવા પડશે. નાના તૈયાર થઈ ગયા અને બીજા દિવસે ડૉક્ટર સાથે એમ્બ્યુલન્સમાં શુટિંગ પર આવી ગયા. મેહુલકુમારે શુટિંગની તૈયારી થાય ત્યાં સુધી નાનાને સંવાદ યાદ કરી લેવા કહ્યું અને વચ્ચે જરૂર લાગે તો બીજા શબ્દો પણ ઉમેરવાની છૂટ આપી.

નાનાએ ખરેખર એક જ શોટમાં શુટિંગ કર્યું અને એમાં એ ફાંસીનો ફંદો ગળામાં નાખવા જતી વખતે બોલે છે એ સંવાદ જાતે જ ઉમેર્યો હતો. અભિનેતા દિલીપકુમારને ‘ક્રાંતીવીર’ વિશે ખબર પડી ત્યારે એમણે પોતાના માટે એક ખાસ ટ્રાયલ શૉ રાખવા મેહુલકુમારને કહ્યું હતું. સુનીલ દત્તના અજંટા થિયેટરમાં ફિલ્મ જોયા પછી દિલીપકુમારે બહાર આવી ક્લાઇમેક્સના વખાણ કરી ત્યાં નરગીસનો મોટો ફોટો હતો એ બતાવી મેહુલકુમારને કહ્યું કે ‘મધર ઈન્ડિયા’ ની ટ્રાયલ પછી મેં નરગીસને કહ્યું હતું કે તું ગમે એટલી ફિલ્મો કરીશ પણ તારા પર ‘મધર ઈન્ડિયા’ નું ટાઇટલ કાયમ માટે રહેશે. હવે તું નાનાને કહી દે કે એ ગમે એટલી ફિલ્મો કરશે પણ ‘ક્રાંતિવીર’ નું લેબલ એના પર કાયમ રહેશે. અને એમ જ બન્યું. એક યોગાનુયોગ એ રહ્યો કે ‘ક્રાંતિવીર’ માટે નાના પાટેકરને ફિલ્મફેરનો એવોર્ડ દિલીપકુમારના હસ્તે જ મળ્યો હતો.

ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, ટોચના લશ્કરી અધિકારીઓને બરતરફ કર્યા

ટ્રમ્પ સરકાર સત્તા પર આવતાની સાથે દેશ અને દુનિયામાં ઘણી ઉથલ પાથલ જોવા મળી રહી છે. ટ્રમ્પના અનેક નિર્ણય દુનિયા માટે પડકાર સાબિત થયા છે. આ સાથે ફરી એક વખત શુક્રવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક દેશના ટોતના લશ્કરી અધિકારીને હાટવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ યુએસ આર્મીના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન સીક્યુ બ્રાઉન જુનિયર સહિત રક્ષા વિભાગના છ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. સીક્યુ અમેરિકન લશ્કરી ઇતિહાસમાં આ પદ પર પહોંચનારા બીજા અશ્વેત અધિકારી હતા. તે 4 સ્ટાર ફાઇટર છે. તેમના સ્થાને, નિવૃત્ત 3-સ્ટાર વાયુસેના જનરલ ડેન કેનને આ જવાબદારી સોંપવામાં આવી છે

જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ અમેરિકામાં સૌથી વરિષ્ઠ અધિકારી છે. કાયદા મુજબ, તેઓ રાષ્ટ્રપતિના મુખ્ય લશ્કરી સલાહકાર છે. સામાન્ય રીતે ચેરમેનનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે પરંતુ CQ ફક્ત 16 મહિના માટે જ પદ પર રહી શક્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં બ્રાઉનના સ્થાને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડેન રાઇઝિન કેઈનના નામાંકનની જાહેરાત કરી. કેન ભૂતપૂર્વ F-16 ફાઇટર પાઇલટ છે અને તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) ખાતે લશ્કરી બાબતોના સહ-નિર્દેશક તરીકે સેવા આપી છે.

સી ક્યૂએ 2020માં એક અશ્વેત વ્યક્તિ જોર્જ ફ્લોયડની હત્યા બાદ શરૂ થયેલાં બ્લેક લાઇવ્સ મેટર આંદોલનનું સાર્વજનિક રીતે સમર્થન કર્યું હતું. ત્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિના પદ પર હતા. ટ્રમ્પ 2020ની ચૂંટણી હારી ગયા હતા જેની પાછળ આ આંદોલનની મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. CQ ઉપરાંત પેન્ટાગોનના 5 વધુ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. આમાં નૌકાદળનો હવાલો સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી એડમિરલ લિસા ફ્રેન્ચેટ્ટી, વાયુસેનાના ડેપ્યુટી ચીફ જેમ્સ સ્લાઇફ ઉપરાંત આર્મી, વાયુસેના અને નૌકાદળના ત્રણ ટોચના અધિકારીઓનો સમાવેશ થાય છે. હાલમાં તેમના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

‘તેઓ અમારા પર ટેરિફ લગાવે છે, અમે તેમના પર લગાવીશું…’: ટ્રમ્પ

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ અમારા પર ટેરિફ લાદે છે, અમે તેમના પર ટેરિફ લાદીશું. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા પણ ભારત પર એ જ ટેરિફ લાદશે જેવો ભારત અમેરિકન માલ પર લાદે છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાની ટેરિફ નીતિમાં આમૂલ ફેરફારો કરી રહ્યા છે. આક્રમક વેપાર નીતિ અપનાવતા, ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે તેઓ કોઈ પણ દેશ પર એ જ ટેરિફ લાદશે જેવો તે દેશ અમેરિકન માલ પર લાદે છે. ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદ્યા હતા. પરંતુ તેમણે મેક્સિકો અને કેનેડાને એક મહિનાનો સમય આપ્યો હતો. આ એક મહિનાનો સમયગાળો પૂરો થવાનો છે.

આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા. ત્યારબાદ ટ્રમ્પ અને પી.એમ. મોદી વચ્ચે ટેરિફ અંગે ચર્ચા થઈ. ભારતે અમેરિકાથી આયાત થતી અમેરિકન વ્હિસ્કી જેવી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડી દીધો હતો. ભારતે સુપર અમેરિકન બાઇક હાર્લી ડેવિડસન પર પણ ટેરિફ ઘટાડ્યો હતો. પછી એવું લાગતું હતું કે ટ્રમ્પની કડક ટેરિફ નીતિથી ભારતને રાહત મળશે. પણ આવું થતું હોય તેવું લાગતું નથી. ટ્રમ્પે ફરી એકવાર ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો છે.

એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “આપણે ટૂંક સમયમાં પારસ્પરિક ટેરિફ લગાવવાના છીએ – તેઓ અમારી પાસેથી ચાર્જ વસૂલ કરે છે, અમે તેમની પાસેથી ચાર્જ વસૂલ કરીશું. પછી ભલે તે કંપની હોય કે દેશ, જેમ કે ચીન અને ભારત. અમે ન્યાયી બનવા માંગીએ છીએ, તેથી યુનાઇટેડ સ્ટેટ્સ પણ એ જ ટેરિફ લાદશે જે ભારત અને ચીન જેવા અન્ય દેશો અમેરિકન માલ પર લાદે છે.”

અમેરિકન રાષ્ટ્રપતિએ એ પણ ખુલાસો કર્યો કે તેઓ તેમના પહેલા કાર્યકાળ દરમિયાન જ ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવા માંગતા હતા, પરંતુ ત્યાં સુધીમાં કોરોના રોગચાળો આવી ગયો. તેમણે કહ્યું, “અમે ક્યારેય આવું કર્યું નથી. કોવિડ રોગચાળો આવે તે પહેલાં અમે આ કરવાની તૈયારી કરી રહ્યા હતા.” તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે ભારતમાં ટેરિફ માળખું સૌથી વધુ છે અને આ દેશમાં વ્યવસાય કરવો મુશ્કેલ છે.ટ્રમ્પે ત્યારે કહ્યું હતું કે, “પરંપરાગત રીતે, ભારત આ યાદીમાં ટોચ પર છે. કેટલાક નાના દેશો છે જે ખરેખર ઊંચા ટેરિફ લાદે છે, પરંતુ ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે. મને યાદ છે જ્યારે હાર્લી ડેવિડસન ભારતમાં તેની મોટરસાયકલ વેચી શક્યું ન હતું કારણ કે ટેક્સ ખૂબ ઊંચા હતા, ત્યારે ટેરિફ ખૂબ ઊંચા હતા અને હાર્લીને ત્યાં ઉત્પાદન કરવાની ફરજ પડી હતી.”

તમને જણાવી દઈએ કે ભારત અમેરિકામાં સ્ટીલ, એલ્યુમિનિયમ, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, રત્નો અને ઝવેરાત અને ઓટો પાર્ટ્સ જેવા ઉત્પાદનોનો મોટો નિકાસકાર છે. જો અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર ઊંચા ટેરિફ લાદે છે, તો અમેરિકાના બજારમાં આ ઉત્પાદનોની કિંમત વધશે, જેના કારણે તેમની માંગ ઘટી શકે છે.

નાણાકીય વર્ષ 2023-24માં અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર હતું, જે કુલ નિકાસના લગભગ 17.7% જેટલું હતું. ટેરિફ વધારાને કારણે ભારતીય નિકાસમાં 3-3.5%નો ઘટાડો થવાનો અંદાજ છે. આનાથી ખાસ કરીને યુએસ બજાર પર નિર્ભર નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) ને નુકસાન થઈ શકે છે.

કોણ છે પૂર્ણિમા દેવી ? ટાઈમ મેગેઝીનમાં મળ્યું સ્થાન

આસામ: ભારતીય બાયોલોજિસ્ટ અને વન્યજીવ સંરક્ષક પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝિનના વિમેન ઓફ ધ યર-૨૦૨૫ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં અસાધારણ મહિલા નેતાઓની કામગીરીને બિરદાવવામાં આવી છે. ટાઈમ મેગેઝિનની વિમેન ઓફ ધ યર ૨૦૨૫ની લિસ્ટમાં સ્થાન પામનાર ૪૫ વર્ષીય પૂર્ણિમા દેવી બર્મન એકમાત્ર ભારતીય મહિલા છે. આ જાહેરાત દરમિયાન બર્મનની ૨૦૦૭ની કામગીરીને ખાસ યાદ કરવામાં આવી હતી. જ્યારે, અસમમાં દુર્લભ પક્ષી- ગ્રેટર એડજુટન્ટ સ્ટોર્ક્સ (ઢોંક) નો માળો ધરાવતા વૃક્ષને કાપવામાં આવી રહ્યું હતું. ત્યારે, તેમણે અનેક વિરોધ વચ્ચે પણ તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. 

પૂર્ણિમા દેવી બર્મન કોણ છે?

૧. આસામના કામરૂપ ક્ષેત્રમાં જન્મેલી પૂર્ણિમા દેવી બર્મને ગૌહાટી યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં ઇકોલોજી અને વાઇલ્ડલાઇફ બાયોલોજીમાં વિશેષતા સાથે માસ્ટર ડિગ્રી મેળવી હતી. ૨૦૦૭માં પી.એચ.ડી. માટે સંશોધન કરતી વખતે, શ્રીમતી બર્મને ૨૦૦૭માં એક ઝાડના માલિકને મોટા સહાયક માળો ધરાવતો માળો કાપતા જોયો. સ્ટોર્કને તેના દેખાવ અને સફાઈ કરવાની આદતો માટે નાપસંદ કરવામાં આવે છે તે સમજીને, તેમણે સ્થાનિક લોકોને તેના પર્યાવરણીય મહત્વ વિશે શિક્ષિત કરવા માટે પી.એચ.ડી.નો અભ્યાસ થોભાવ્યો.

૨. અનેક સંરક્ષણ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે જાણીતા પૂર્ણિમા દેવી બર્મને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા સાથે વન્યજીવન સંરક્ષણને પાયાના સ્તરે ચળવળમાં ફેરવવા માટે “હરગીલા આર્મી”, મહિલાઓના સમર્પિત જૂથની સ્થાપના કરી. તેમણે આરણ્યક ખાતે સિનિયર વાઇલ્ડલાઇફ બાયોલોજિસ્ટ તરીકે પણ કામ કર્યું છે, તેમણે મોટા સહાયક સંરક્ષણ પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું છે. તે WiNN (વુમન ઇન નેચર નેટવર્ક) ઇન્ડિયાના ડિરેક્ટર અને IUCN સ્ટોર્ક, આઇબિસ અને સ્પૂનબિલ સ્પેશિયાલિસ્ટ ગ્રુપના સભ્ય પણ છે.

૩. સ્ટોર્કને બચાવવા માટે, પૂર્ણિમા દેવી બર્મને પક્ષી પ્રત્યે લોકોના વિચારો બદલવાની શરૂઆત કરી. તેના સંરક્ષણ માટે કામ શરૂ કર્યાના સોળ વર્ષ પછી, તેમની પાસે આશરે 10,000 મહિલાઓની એક ટીમ છે – “હરગીલા આર્મી” – જે પક્ષીઓના માળાના સ્થળોનું રક્ષણ કરે છે, ઘાયલ સ્ટોર્કનું પુનઃર્વસન કરે છે અને નવજાત શિશુઓના આગમનની ઉજવણી “બેબી શાવર” સાથે પણ કરે છે.૪. તેમના પ્રયાસોને કારણે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના વર્ગીકરણ હેઠળ સ્ટોર્કને ભયંકર સ્થિતિમાંથી લગભગ જોખમમાં મૂકવામાં આવ્યું હતું. પૂર્ણિમા દેવી બર્મનનું કાર્ય ફક્ત સ્ટોર્કના સંરક્ષણ સુધી મર્યાદિત રહ્યું નથી. તેમના પ્રયાસોએ મહિલાઓને ઉદ્યોગ સાહસિક પણ બનાવી છે, તેમને લૂમ અને યાર્ન વણાટ કરવાની ઓફર કરી છે જેથી તેઓ હરગીલાના મોટિફ્સથી શણગારેલા કાપડ બનાવી અને વેચી શકે.

૫. પૂર્ણિમા દેવી બર્મનને 2017માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી ભારતીય મહિલાઓ માટેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ‘નારી શક્તિ પુરસ્કાર’ મળ્યો હતો. તે જ વર્ષે, તેમને યુનાઇટેડ કિંગડમની રાજકુમારી રોયલ એન દ્વારા રજૂ કરાયેલ વ્હીટલી એવોર્ડ, જે ગ્રીન ઓસ્કાર તરીકે ઓળખાય છે, એનાયત કરવામાં આવ્યો હતો. તેમને નેશનલ જિયોગ્રાફિક ઈન્ડિયા દ્વારા પણ દર્શાવવામાં આવી હતી.

ટાઈમ મેગેઝિનની આ લિસ્ટમાં 13 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોલીવૂડ અભિનેત્રી નિકોલ કિડમેન અને ફ્રાન્સની ગિસેલ પેલિકોટ પણ આ યાદીમાં સામેલ છે. ગિસેલના પતિએ તેને ડ્રગ્સ આપીને 70થી વધુ પુરુષો દ્વારા તેનો બળાત્કાર કરાવ્યો હતો. તે સેક્સ્યુઅલ હિંસા વિરૂદ્ધના અભિયાનમાં વૈશ્વિક પ્રતીક બનીને ઊભરી આવ્યા છે.

આ ખાસ ચોખા હૃદય રોગનું જોખમ ઘટાડશે, ચીને વિકસાવી નવી જાત!

ચીન: વૈજ્ઞાનિકોએ એક નવા પ્રકારના ચોખા ઉગાડવામાં સફળતા મેળવી છે જે હૃદય રોગનું જોખમ ઘટાડશે. ચોખામાં એક ખાસ પ્રકારનો એન્ટીઑકિસડન્ટ Coenzyme Q10 (CoQ10) હોય છે જેનું નિયમિત સેવન માનવ હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખશે. કોએનઝાઇમ Q10 આપણા શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે પરંતુ જેમ જેમ આપણી ઉમર વધે છે તેમ-તેમ તેનું સ્તર ઘટતું જાય છે. આ એન્ટીઑકિસડન્ટનો ઉપયોગ આપણા કોષોમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે થાય છે.હૃદય રોગ ધરાવતા લોકોમાં Coenzyme Q10નું નીચું સ્તર જોવા મળ્યું છે. આ એન્ટીઑકિસડન્ટ હૃદય રોગો માટે પૂરક તરીકે લેવામાં આવે છે. કોએનઝાઇમ Q10 કુદરતી રીતે માછલી, માંસ અને બદામમાં જોવા મળે છે. ચોખા, બ્રેડ અને ઓટ્સમાં બીજા પ્રકારનો કોએનઝાઇમ હાજર હોય છે, જેને CoQ9 કહેવામાં આવે છે. જો કે, તે શરીર માટે Coenzyme Q10 જેટલું ફાયદાકારક નથી.

આ ચોખા તમને હૃદય રોગથી બચાવશે

13 ફેબ્રુઆરીના રોજ સેલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન પત્રમાં, ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સિસ (CAS) એ જણાવ્યું હતું કે, ‘પાકમાં CoQ10નું ઉત્પાદન માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.’હૃદય રોગ અટકાવતા ચોખાનું ઉત્પાદન કરવા માટે, સંશોધકોએ સૌપ્રથમ 67 વિવિધ વનસ્પતિ પ્રજાતિઓમાંથી 134 છોડના નમૂનાઓનો અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન, તેઓએ જાણવાનો પ્રયાસ કર્યો કે જે છોડ વધુ CoQ9 ઉત્પન્ન કરે છે તેમના જનીનોમાં કયા પ્રકારના ફેરફારો થાય છે. આ અભ્યાસમાંથી મળેલી માહિતીનો ઉપયોગ કરીને, તેઓએ ચોખા અને ઘઉંના છોડના જનીનોમાં ફેરફાર કર્યો. જેથી તેઓ વધુ કોએનઝાઇમ Q10 ઉત્પન્ન કરે.

“જીન-એડિટેડ ચોખા અથવા ઘઉંમાં CoQ10નું પ્રમાણ ટામેટાં જેવા અન્ય વનસ્પતિ ખોરાક જેટલું જ છે,” CAS સેન્ટર ફોર એક્સેલન્સ ઇન મોલેક્યુલર પ્લાન્ટ સાયન્સ (CEMPS)ના સંશોધક અને સંશોધન પત્રના સહ-લેખક ઝુ જિંગજિંગે જણાવ્યું હતું. જો કે, તેમાં માંસ અને માછલી જેટલું CoQ10 નથી. ભવિષ્યમાં, અમે અન્ય છોડના જનીનોમાં પણ ફેરફાર કરવાનો પ્રયાસ કરીશું.વિશ્વભરમાં વપરાતી કુલ કેલરીના પચાસ ટકા ચોખા, ઘઉં અને મકાઈમાંથી આવે છે. આમ છતાં, આ ત્રણ ખોરાક CoQ10ની આપણી દૈનિક જરૂરિયાત પૂરી કરી શકતા નથી. એક માનવી દરરોજ ૩-૬ મિલિગ્રામ CoQ10 લે છે, જો કે, 2022માં જર્નલ ઓફ ન્યુટ્રિશનલ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે માનવ શરીરને દરરોજ 500 મિલિગ્રામ CoQ10ની જરૂર હોય છે.

એલોન મસ્ક કેમ અંતરિક્ષ યાત્રી એન્ડ્રીયાસ મોગેનસેન પર ભડક્યા?

અમેરિકા: આઠ મહિનાથી અંતરિક્ષમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોરના પાછા લાવવા મુદ્દે ડેનિશ અંતરિક્ષયાત્રી એન્ડ્રીયાસ મોગેનસેન પર ઈલોન મસ્ક ભડક્યા હતા. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ શરુ થઈ ગઈ છે.

શું છે મામલો જાણો 

અવકાશયાત્રી એન્ડ્રેસે એલોન મસ્કના દાવાને નકારી કાઢ્યો છે કે બાઈડન સરકારે જાણી જોઈને સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશમાં છોડી દીધા હતા. આ દાવાને ખોટો ગણાવતા, એન્ડ્રેસે કહ્યું કે આ કેટલું જૂઠાણું છે. અને આ એ જ વ્યક્તિ કહી રહી છે જે મુખ્ય પ્રવાહના મીડિયામાં પ્રામાણિકતાના અભાવ પર બૂમો પાડે છે.

જેના જવાબમાં એલોન મસ્કે પોસ્ટ લખી અને તેમાં જવાબ આપતા સમયે ગુસ્સે પણ થયા. તેમણે લખ્યું છે કે તું સાવ પાગલ થઈ ગયો છે. સ્પેસએક્સ તેમને ઘણા મહિનાઓ પહેલા પાછા લાવી શક્યું હોત. મેં આ વાત સીધી બાઈડન વહીવટીતંત્રને પણ ઓફર કરી હતી પરંતુ તેમણે ના પાડી દીધી. રાજકીય કારણોસર આવું થવા દેવામાં આવ્યું નહીં. મૂર્ખ…

ચર્ચા અહીં અટકી નહીં. એન્ડ્રીયાસે જવાબ આપ્યો કે એલન, હું ઘણા સમયથી તમારો ચાહક છું. તમે શું પ્રાપ્ત કર્યું છે, ખાસ કરીને સ્પેસએક્સ અને ટેસ્લા સાથે. તમે જાણો છો અને હું સારી રીતે જાણું છું કે તમે તેમને પાછા લાવવા માટે બચાવ જહાજ પણ મોકલી રહ્યા નથી.

તમને જણાવી દઈએ કે પદ સંભાળ્યા પછી, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાની જવાબદારી સોંપી હતી. તેમણે મસ્કને બંને અવકાશયાત્રીઓને શક્ય તેટલી વહેલી તકે પૃથ્વી પર પાછા લાવવા કહ્યું હતું. ટ્રમ્પના નિવેદન પછી, નાસાએ બંને અવકાશયાત્રીઓને પાછા લાવવાના પ્રયાસો તેજ કર્યા છે.

સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે 5 જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ગયા હતા. તેઓ એક અઠવાડિયા પછી પરત પરત ફરવાના હતા, પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં સમસ્યાને કારણે, તે ત્યાં જ aઅટવાઈ ગયા છે. બંને અવકાશયાત્રીઓ બોઇંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા.

કાશ પટેલે FBI ડિરેક્ટર તરીકે ભગવદ ગીતા પર હાથ રાખી શપથ લીધા

અમેરિકા: ભારતીય મૂળના અને ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર કાશ પટેલે શનિવારે યુ.એસ. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર તરીકે શપથ લીધા. તેમણે ગીતા પર હાથ મૂકીને આ પદની જવાબદારી સંભાળી. કાશ પટેલ FBIનું નેતૃત્વ કરનારા નવમા વ્યક્તિ બન્યા છે. શપથ ગ્રહણ સમારોહ વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઇટ હાઉસ સંકુલમાં આઇઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં યોજાયો હતો. યુ.એસ. એટર્ની જનરલ પામ બોન્ડીએ તેમને પદના શપથ લેવડાવ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની નિમણૂકની પ્રશંસા કરી અને તેનું કારણ FBI એજન્ટોમાં તેમની લોકપ્રિયતા ગણાવી. ટ્રમ્પે કહ્યું કે, મને કાશ પટેલ ગમે છે અને હું તેમને આ પદ પર નિયુક્ત કરવા માગુ છું કારણ કે એજન્સીના એજન્ટો તેમનો આદર કરે છે. તેમણે કહ્યું કે તેઓ આ પદ સંભાળવા માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ વ્યક્તિ સાબિત થશે. તેમની નિમણૂક ખૂબ જ સરળ હતી. તે મજબૂત અને દૃઢ નિશ્ચયી છે. ટ્રે ગૌડીએ પણ તેમની પ્રશંસા કરી અને કહ્યું કે લોકો પટેલની ક્ષમતાઓને સમજી શકતા નથી.

સેનેટમાં 51-49 મતથી મંજૂર

કાશ પટેલની નિમણૂકને યુ.એસ. સેનેટ દ્વારા 51-49 મતોના માર્જિનથી મંજૂરી આપવામાં આવી હતી. જો કે, બે રિપબ્લિકન સેનેટર – સુસાન કોલિન્સ (મેઈન) અને લિસા મુર્કોવસ્કી (અલાસ્કા) ​​- એ ડેમોક્રેટ્સનો પક્ષ લેતા, તેમની વિરુદ્ધ મતદાન કર્યું.ડેમોક્રેટ્સે ચિંતા વ્યક્ત કરી

ભૂતપૂર્વ આતંકવાદ વિરોધી ફરિયાદી અને સંરક્ષણ સચિવના ચીફ ઓફ સ્ટાફ કાશ પટેલ, FBIના ટીકાકાર રહ્યા છે. ડેમોક્રેટ્સે તેમની નિમણૂક અંગે ચિંતા વ્યક્ત કરી છે કે તેમના નેતૃત્વ હેઠળ એજન્સીની સ્વાયત્તતા પ્રભાવિત થઈ શકે છે. કાશ પટેલે ક્રિસ્ટોફર રેનું સ્થાન લીધું, જેમને 2017માં ટ્રમ્પ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેમની સાથે મતભેદ થયા અને રાજીનામું આપ્યું.

FBI ડિરેક્ટરનો કાર્યકાળ 10 વર્ષનો

રાજકીય હસ્તક્ષેપ ટાળવા માટે, FBI ડિરેક્ટરો સામાન્ય રીતે 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે છે. પરંતુ ટ્રમ્પ સાથે કાશ પટેલની નિકટતાને ધ્યાનમાં લેતા, આના પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સેનેટર એડમ શિફે કહ્યું કે એફ.બી.આઈ.એ ડોનાલ્ડ ટ્રમ્પની ખાનગી સેના ન બનવી જોઈએ.

ગુલકંદ – ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫

દહીં કબાબ

વાહ, એકદમ સહેલી રીત અને વાનગી પણ એકદમ સ્વાદિષ્ટ બની જાય! બાળકોને તો આ નાસ્તો બહુ જ પ્રિય થઈ રહેશે!

સામગ્રીઃ

  • દહીં 1 કિલો
  • પનીર 250 ગ્રામ
  • શેકેલો ચણાનો લોટ 2-3 ટે.સ્પૂન
  • બ્રેડ ક્રમ્સ 2 કપ
  • આરા લોટ 3-4 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • શેકેલો જીરૂ પાઉડર ½ ટી.સ્પૂન
  • ખમણેલું આદુ 2 ટે.સ્પૂન
  • લીલા મરચાં 3-4
  • કાંદા 2
  • સમારેલી કોથમીર 3-4 ટે.સ્પૂન

રીતઃ દહીંને સુતરાઉ કપડામાં વીંટીને તેમાંનું પાણી નિતારી લેવું. પનીરને મોટી ખમણીમાં ખમણી લો.

એક મોટા વાસણમાં પાણી નિતારેલું દહીં, ખમણેલું પનીર લો. તેમાં શેકેલો ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, ચાટ મસાલો, શેકેલો જીરૂ પાઉડર, ખમણેલું આદુ, સમારેલી કોથમીર, લીલા મરચાં તેમજ કાંદો ઝીણો સમારીને ઉમેરો. તેમાં આરા લોટ મેળવીને હળવે હાથે આ મિશ્રણને મેળવીને તેના ચપટા ગોળા વાળી લો.

આ દહીં કબાબને બ્રેડ ક્રમ્સમાં રોળવીને એક પ્લેટમાં મૂકો.

કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને હળવેથી દહીં કબાબ તેલમાં ઉમેરો. થોડા થોડા કબાબ ઉમેરવા. જેથી તે ફાટી ન જાય. 2-3 મિનિટ બાદ ઉથલાવીને ફરીથી 1-2 મિનિટ બાદ સોનેરી રંગ થાય એટલે ઉતારી લો.

તૈયાર કબાબ લીલી ચટણી સાથે પીરસો.