Home Blog Page 1166

પરહિત સરિસ ધર્મ નહીં, ભાઈ…

ઈશ્વરરચિત આ સૃષ્ટિમાં વિચાર અને લાગણી એટલે સંવેદનાઓની જુગલબંધી. આવી જુગલબંદી માત્ર મનુષ્યમાં જ દેખાય છે. વિચારો બુદ્ધિની નીપજ છે, જ્યારે સંવેદના હૃદયની. અવનવા, અચરજકારી અને સર્જનાત્મક વિચારોથી એક પ્રભાવ જરૂર ઊભો થાય, પણ તે ક્ષણિક હોય છે, જ્યારે અન્યો માટેની ઉચ્ચ અને ઉમદા ભાવના-સંવેદનાથી સદભાવ જન્મે થાય છે, જે અન્યોનાં હૃદયમાં કાયમી સ્થાન જમાવે છે. મોટા ભાગે બુદ્ધિ અંગત સુખ-સુવિધાનો જ વિચાર કરે છે, જ્યારે હૃદયની સંવેદના અન્યોની વેદના-પીડાને સમજી તેના નિવારણ તરફ આગળ વધે છે.

 

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ કહેતા કે આઈ એમ નોટ અ હેન્ડસમ ગાય, બટ આઈ કેન ગિવ માય ‘હેન્ડ’ ટુ ‘સમ’ વન હુ નીડ્સ હેલ્પ.

બીજાના હિતનું સાતત્ય એ હકીકત જ સંતત્વનો જ પરિચય છે, પરોપકાર એ સંત-હૃદયનો સહજ ધબકાર છે અને તેમાંય, કોઈ પણ અપેક્ષા વિનાનો પરોપકાર તે સંતત્વની શ્રેષ્ઠ ઊંચાઈની ઓળખ આપે છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છેઃ “પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ’ ‘પરનું હિત જેવો બીજો કોઈ ધર્મ નથી. ભારતીય સંતપરંપરામાં આ સિદ્ધાંતો મૂર્તિમાન જોવા મળે છે.

ગુરુ નાનક જ્યારે કિશોરવયના હતા, ત્યારે એક વાર એમણે કેટલાક સાધુ-મહાત્માઓને ભૂખ્યા જોયા. નાનકનું હૃદય ભાવાદ્ર થઈ ગયું. તેમણે એક વરિષ્ઠ સાધુને કહ્યું- ‘મારી પાસે પૈસા છે તે તમને આપું છું. તમે ભોજનની વ્યવસ્થા કરી લેજો.’

તે વરિષ્ઠ સંતે પૂછ્યું કે, “બેટા, આ પૈસા તું ક્યાંથી લાવ્યો?’

ગુરુ નાનકે કહ્યું, પિતાજીએ મોટા શહેરમાં જઈ વેપાર કરવા માટે આપ્યા છે.’

સાધુએ કહ્યું: ‘તો પછી વેપાર માટે જ વાપરને. અમને શું કેમ આપે છે?’

તે સમયે ગુરુ નાનક સહસા જ બોલી ઊઠયા કે, ‘હું પિતાની આજ્ઞા મુજબ જ કરી રહ્યો છું. આપ જેવા સાધુઓને જમાડવા તેના કરતાં વધુ સારો વેપાર કર્યો?’

ખેર, આપણી મહાન સંતપરંપરાએ તો આપણને કેવળ મનુષ્યોની જ નહી, પરંતુ મૂક અબોલ પશુ-પંખીની પણ ચિંતા કરવાનું શીખવ્યું છે. સૌનું હિત કરવાની આ ઊંડી સંવેદના એ વસુધૈવ કુટુમ્બકમની આપણી સનાતન ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે.

1987માં ગુજરાત કારમા દુષ્કાળની ભીંસમાં આવી ગયેલું. તે વખતે પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતનું પશુધન બચાવવા કેટલ કેમ્પ શરૂ કરાવેલા. સાથે સાથે અન્ય પાંજરાપોળ તથા ગૌશાળામાં પણ બનતી મદદ કરવી શરૂ કરી હતી. પશુ કલ્યાણ કેન્દ્રના નામથી આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવેલા આ કેટલ કેમ્પોના સેવાકાર્યને સરકારે પણ ખૂબ નોંધનીય અને ઉલ્લેખનીય બતાવેલું. આ રાહતકાર્યમાં પ્રમુખસ્વામી મહારાજે કોઈપણ નાત-જાત કે ધર્મની ભેદરેખા રાખી નહોતી, જેની નોંધ આજે પણ એ ખેડૂતોના માનસપટ ઉપર શીલાલેખ સમાન કોતરાયેલી છે.

દુષ્કાળના એ દિવસો દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ બોટાદ પાસેના તીર્થધામ સારંગપુર ખાતે રોકાયા હતા. નિત્યક્રમ મુજબ, રોજ સાંજે તેઓ મંદિરની ચીકુવાડીમાં ભ્રમણ માટે પધારતા. એક વાર તેમણે ચીકુવાડીની દેખરેખ રાખનાર સંતને બોલાવીને પૂછ્યું કે “આ વર્ષે ચીકુ ખૂબ આવ્યાં છે. આ ચીકુનું શું કરો છો?’ વાડી સંભાળનાર સંતે કહ્યું, “ઠાકોરજીના થાળ માટે તથા સંતો-ભક્તો માટે જરૂરિયાત પૂરતાં રાખીને બીજાં બજારમાં મોકકલી આપીશું.”

ત્યારે પ્રમુખસ્વામી મહારાજે તે કહ્યું, ‘જુઓ, બધાં ચીકુ ઉતારી લેવાનાં નહીં. દુષ્કાળનું વર્ષ છે. પાણીના અભાવે ખેડૂતોએ વાવેતર કર્યું ન હોય તેથી બિચારાં પક્ષીઓ ખાવા ક્યાં જાય? પક્ષીઓ માટે ચીકુ રાખી મૂકવાં અને પાણી ભરેલાં કૂંડાં પણ રાખવાં, જેથી પક્ષીઓને પાણી પણ મળી રહે.

કોઈ ચિંતકે કહ્યું છે કે, કોઈના ભાણાનું (થાળીનું) પડાવી લઈ ખાવું તે વિકૃતિ, એકલા એકલા ખાવું તે પ્રકૃતિ અને અન્યનો વિચાર કરી ખાવું તે સંસ્કૃતિ. આપણા સનાતન હિંદુ ધર્મના શાસ્ત્રો આપણને આવી સર્વોતકૃષ્ટ ભાવના શીખવે છે.

ઉપનિષદ્ કહે છેઃ બીજા માટે ત્યાગ કરીને ભોગવો (ગ્રહણ કરો). આ આપણી સંસ્કૃતિ છે. આપણાં શાસ્ત્રોમાં સમાયેલી આ વિરલ અને વિશિષ્ટ સંવેદના આપણા મહાન સંતોના જીવનમાં અક્ષરશઃ ચરિતાર્થ છે. તેમની જીવનશૈલી છે. તેમના પગલે પગલે આપણે પણ સંવેદનાના અગાધ સમુદ્રમાં અવગાહન કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

Valentine Day Special: પ્રેમનો માર્ગ છે અતિ મુશ્કેલ…

પ્રેમના ત્રણ અર્થ થાય છે. પ્રથમ અર્થ, જે તમે સામાન્ય રીતે જાણો છો, જેને આપણે કહીએ છીએઃ પ્રેમમાં પડવું, પ્રેમમાં પડી જવું છે. તે પડી જવા જેવું જ છે. વસ્તુત: પડવાનું છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે, ત્યારે તેનો અર્થ શું થાય છે? તેનો અર્થ એ થાય છે કે તેણે તેની પોતાની સ્વાયત્તતા ખોઈ દીધી. તેનું વ્યક્તિત્વ ખોઈ નાખયું, તે અન્યનો ગુલામ બની ગયો. તમે એક સ્ત્રી સાથે તેના પ્રેમમાં પડ્યા, તમે તે સ્ત્રીના ગુલામ બની ગયા અથવા જો તમે કોઈ પૂરૂષના પ્રેમમાં પડયા. તો તમે તે પૂરૂષના ગુલામ બની જાઓ છો.

હવે ગુલામીની એક નવી શ્રેણી શરૂ થઈ જાય છે, જેને તમે ખૂબ જ સુંદર નામ આપ્યું છે: પ્રેમ. હવે તમે એ સ્ત્રી વિના રહી શકતા નથી. હવે એ સ્ત્રી તમારા માટે અનિવાર્ય બની ગઈ, તમારી જરૂરિયાત બની ગઈ. એના વિના તમને મુશ્કેલી થશે, અઘરું લાગશે, જીવવું અર્થહીન લાગશે; તમે એકલા, ખાલીપણું અનુભવશો. તે સ્ત્રીએ તમારી આત્મામાં એક જગ્યા બનાવી લીધી અને નિશ્ચીતપણે તમે તેના ઉપર આશ્રિત બની જશો. તે તમારો સ્વામી બની જશે અને જ્યારે કોઈ તમારો માલિક બની જાય છે, ત્યારે તે પ્રીતીકર નહીં રહે, તે દુઃખદ લાગશે.એટલા માટે પ્રેમના આ બધા સંબંધો દુ:ખ અને વિખવાદ તરફ દોરી જાય છે. કારણ કે કોણ-કોને પોતાનો માલિક બનાવવા માગે છે? ગયા હતા પ્રેમ કરવા અને કંઈક બીજું જ થઇ ગયું. ગયા હતા રામ-ભજન માટે અને વીણવા લાગ્યા કપાસ. વિચાર્યું તો હતું કે પ્રેમમાં વિકસીત થશું અને પ્રેમ સ્વતંત્રતા લાવશે, પરંતુ પ્રેમ બંધન, જેલ અને સાંકળો લાવ્યો. તમે જેના પર નિર્ભર છો, તેને તમે ક્યારેય માફ કરી શકતા નથી. તમને તેના પર ગુસ્સો જ રહેશે. તેથી જ પતિ પત્નીઓ પર ગુસ્સે છે, પત્નીઓ પતિ પર ગુસ્સે છે. તમે કહો કે ન કહો તે પ્રશ્ન નથી પણ અંદર ક્રોધની આગ છે અને કારણ? કારણ ન તો પત્ની છે કે ન પતિ, કારણ છે તમારૂ અવલંબન. પરાધીનતા પ્રત્યે ગુસ્સો ઉત્પન્ન થાય છે. કોઈ પોતાનો આત્મા વેચીને ગુલામ બનવા માંગતો નથી. પણ તમે જેને પ્રેમ કહો છો, તે એવો પ્રેમ છે કે વ્યક્તિએ પોતાનો આત્મા વેચીને ગુલામ બનવું પડે છે અને તમે જેના ગુલામ છો તે તમારો ગુલામ બની રહ્યો છે. તે એક પરસ્પર ગુલામી છે. પતિઓ પત્નીઓને ગુલામ બનાવે છે. પત્નીઓ પતિઓને ગુલામ બનાવે છે. આ ગુલામી એકબીજા પર થોપવામાં આવી રહી છે અને બન્નેની આત્મા મરી જાય છે અને ધીમે-ધીમે બન્ને અપંગ બની જાય છે. અને જ્યારે કોઈ તમારી લાચારીની ક્ષણમાં તમને ઝુકાવે છે, ત્યારે તમે તેની લાચારીની ક્ષણોમાં તેને ઝુકાવો છો. આ એક પ્રકારની દુશ્મની થઈ જાય છે, નહી કે મિત્રતા. આ એક પ્રકારનું શોષણ થયું, પ્રેમ નહોતો. આ તો સામાન્ય પ્રેમ છે જેને તમે જાણો છો. આ પ્રેમે તમારું જીવન નર્ક બનાવી દીધું. રહીમ આ પ્રેમની વાત નથી કરી રહ્યા. પ્રેમનો માર્ગ અતિ મુશ્કેલ છે!આ બિલકુલ મુશ્કેલ નથી, આ ખૂબ જ સરળ છે. વિશ્વમાં દરેક વ્યક્તિ તેને સંચિત કરે છે. આમાં શું મુશ્કેલ હશે? તે દરેક ઘરમાં હોય છે, દરેક કુટુંબમાં હોય છે, દરેક વ્યક્તિમાં હોય છે. આ ખૂબ જ સરળ છે. આનાથી પણ ઊંચો એક પ્રેમ હોય છે. તેને પ્રેમમાં પડવું ન કહી શકાય. અમે તેને કહીશું: પ્રેમમાં હોવું. પ્રેમ જ હોવ એ જુદી વાત છે. તેનો સ્વભાવ મૈત્રીનો છે. સાચા પ્રેમીઓ એકબીજાથી ખૂબ નજીક કે ખૂબ દૂર નથી હોત થોડું અંતર રાખે છે, જેથી એકબીજાની સ્વતંત્રતા જીવંત રહે. જેથી કરીને એકબીજાની સ્વતંત્રતા પર કોઈ ખલેલ કે અતિક્રમણ ન થાય. જેથી એકબીજાની નીજતામાં બિનજરૂરી દખલગીરી ન થાય.

પ્રથમ પ્રેમ: ફોલીન ઇન લવ, પ્રેમમાં પડવું.

બીજો પ્રેમ: બીઈંગ ઇન લવ. પ્રેમમાં રહેવું.

અને ત્રીજું: બીઈંગ લવ. પ્રેમ જ હોવું.આ તો પ્રેમની ચેતન અવસ્થા છે. એ તો અંદરથી ઉદભવે તો પ્રેમ છે, સમગ્ર અસ્તિત્વ તરફ – કોયલ કૂકૂની અવાજ તરફ, પક્ષીઓના અવાજો તરફ, સૂર્યના કિરણો તરફ, વૃક્ષો તરફ, લોકો તરફ – સઅસ્તિત્વ તરફ. સાચું કહું તો તરફનો કોઈ પ્રશ્ન જ નથી. એ પ્રેમ વિશે કોઈને ખ્યાલ જ નથી. જાણે ધો છલકાતો હોય, કે જાણે ફૂલમાંથી સુવાસ ઉદભવતી હોય. તે કોઈ સરનામે નથી જઈ રહી. તે પહેલા પોસ્ટ ઓફિસ નહી જશે. તે કોઈ પોસ્ટમેન પર સવારી નહી કરશે, તે કોઈ પરબિડીયુંમાં સીલ કરવામાં નહ આવે. તે ખુલ્લા આકાશમાં ઉડશે. જેને લેવું હોય તે લઈ લે અને જો તમારે ન લેવું હોય તો ન લો_ દીવામાંથી આવતા પ્રકાશની જેમ. તે માત્ર પ્રગટે છે. તે દીવાનો સ્વભાવ છે.

(ઓશો – “પ્રેમ પંથ એસો કઠીન” પુસ્તકમાંથી. સૌજન્ય ઓશો ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન)

ટ્રમ્પ પહેલા તુલસી ગેબાર્ડ સાથે PM મોદીની મુલાકાત

અમેરિકા: વડાપ્રધાન મોદી બે દિવસ માટે અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેમની મુલાકાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થવાની છે. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં વેપાર, ડિફેન્સ, ઊર્જા સહયોગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. આ ઉપરાંત આતંકવાદ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, ચીન, H1B વિઝા અને ગેંગસ્ટર જેવા મુદ્દે પણ વાતચીત થવાની શક્યતા છે.

તુલસી ગેબાર્ડ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા : PM મોદી

PM મોદીએ કહ્યું કે હુંવોશિંગ્ટનમાં યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડને મળ્યો. આ પદ પર તેમની નિમણૂક બદલ હું તેમને અભિનંદન આપું છું. ભારત-અમેરિકા મિત્રતાના ઘણા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી, જેની તેમણે હંમેશા હિમાયત કરી છે.

PM મોદી પ્રથમ વખત અમેરિકામાં નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરને મળ્યા. આજે રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અહીં તેઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સાથે, પ્રતિનિધિમંડળ સ્તરની અનેક બેઠકો પણ થશે. બધાની નજર ઉદ્યોગપતિઓ સાથેની તેમની મુલાકાત પર પણ રહેશે.

નવું ટેક્સ બિલ થશે રજૂ, 10 મુદ્દામાં સમજો સામાન્ય માણસ માટે શું બદલાવ આવશે?

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આજે સરકાર લોકસભામાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કરવા જઈ રહી છે. જે આવકવેરા કાયદા 1961નું સ્થાન લેશે. ૬૩ વર્ષ પછી રદ કરવામાં આવી રહેલા આ બિલમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની માહિતી બુધવારે રજૂ થતાં પહેલા જારી કરાયેલ ડ્રાફ્ટ કોપીમાં બહાર આવી હતી.

આવકવેરા અધિનિયમ 2025ને પહેલાં કરતા વધુ સરળ, પારદર્શક અને કરદાતા ફ્રેન્ડલી બનાવવાનો દાવો કરવામાં આવે છે. આમાં, કરવેરા પ્રણાલીને ડિજિટાઇઝેશનથી સરળ બનાવવા, કર ચૂકવણીમાં સુધારો કરવાથી લઈને કરચોરી અંગેના નિયમોને વધુ કડક બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ આવકવેરા બિલ 2025 વિશે 10 મુદ્દામાં…

1- બિલમાં પાનાઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે.
નવા આવકવેરા બિલમાં પહેલો અને મોટો ફેરફાર એ છે કે તેને પહેલા કરતાં સામાન્ય લોકો માટે વધુ સંક્ષિપ્ત અને સમજવામાં સરળ બનાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, ૧૯૬૧ના આવકવેરા બિલમાં ૮૮૦ પાના હતા, પરંતુ છ દાયકા પછી, તેમાં પાનાઓની સંખ્યા હવે ઘટીને ૬૨૨ થઈ ગઈ છે. નવા ટેક્સ બિલમાં 536 કલમો અને 23 પ્રકરણો છે.

2- ‘કર વર્ષ’ની વિભાવના
આજે રજૂ થનારા નવા બિલમાં કર વર્ષનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. જે અત્યાર સુધી ઉપયોગમાં લેવાતા આકારણી વર્ષ અને પાછલા વર્ષનું સ્થાન લેશે. સામાન્ય રીતે, એવું જોવામાં આવ્યું છે કે કરદાતાઓ કર ચૂકવતી વખતે આકારણી અને નાણાકીય વર્ષ વિશે મૂંઝવણમાં મુકાતા હતા. પરંતુ હવે આ બધું દૂર કરવામાં આવશે અને ફક્ત કર વર્ષનો ઉપયોગ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, ૧ એપ્રિલ, ૨૦૨૫ થી ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી, કર વર્ષ ૨૦૨૫-૨૬ રહેશે. મતલબ કે, નાણાકીય વર્ષના આખા 12 મહિના હવે કર વર્ષ કહેવાશે.

3- સ્ટાન્ડર્ડ ડિડક્શન જેમ છે તેમ રહે છે
નવા ટેક્સ બિલ હેઠળ, જો તમે પગારદાર વ્યક્તિ છો, તો તમને જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું રહેશે. પરંતુ જો તમે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરો છો, તો આ ડિડક્શન તમને 75,000 રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે. આ સાથે, નવી કર વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થશે નહીં અને બજેટમાં જાહેર કરાયેલા દરો એ જ રહેશે.

4 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી

4 લાખ રૂપિયા                                   1 થી 8 લાખ રૂપિયા સુધી ૫% ટેક્સ
8 લાખથી ૧૨ લાખ રૂપિયા સુધી               10% ટેક્સ
12લાખ (1 રૂપિયાથી 16 લાખ રૂપિયા)     15% ટેક્સ
16 લાખથી 20 લાખ રૂપિયા સુધી            20% ટેક્સ

4- સીબીડીટીએ આ સાચું કર્યું
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની તુલનામાં નવા કર બિલમાં આગામી મોટો ફેરફાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે CBDT સાથે સંબંધિત છે. બિલ મુજબ, અગાઉ આવકવેરા વિભાગને વિવિધ કર યોજનાઓ શરૂ કરવા માટે સંસદનો સંપર્ક કરવો પડતો હતો. પરંતુ નવા કર કાયદા 2025 મુજબ, હવે CBDTને આવી યોજનાઓ સ્વતંત્ર રીતે શરૂ કરવાની સત્તા આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય અમલદારશાહી વિલંબની સમસ્યાને દૂર કરવાનો છે.

5- મૂડી લાભ દર યથાવત રહ્યા
ડ્રાફ્ટમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કલમ 101(b) હેઠળ, 12 મહિના સુધીના સમયગાળાને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે. આ ઉપરાંત, તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે. ટૂંકા ગાળાના મૂડી લાભ કર 20 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે લાંબા ગાળાના મૂડી લાભ કર 12.5 ટકા પર લાગુ થશે.

6- પેન્શન, NPS અને વીમા પર પણ ડિસ્કાઉન્ટ
નવા આવકવેરા બિલ હેઠળ, પેન્શન, NPS યોગદાન અને વીમા પર કર કપાત ચાલુ રહેશે. નિવૃત્તિ ભંડોળ, ગ્રેચ્યુઇટી અને PF યોગદાનને પણ કર મુક્તિ હેઠળ રાખવામાં આવ્યા છે. ELSS મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર પણ કર રાહત આપવામાં આવશે.

7- કરચોરી પર દંડ
નવા કરવેરા બિલમાં કરચોરો પર વધુ કડક કાર્યવાહી અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે લોકો જાણી જોઈને કરચોરી કરે છે તેમના પર કાર્યવાહી થઈ શકે છે. કર ન ભરવા પર વધુ વ્યાજ અને દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાની આવક છુપાવવાનો પ્રયાસ કરે છે, તો તેનું ખાતું જપ્ત થઈ શકે છે. આ ઉપરાંત, ખોટી કે અધૂરી માહિતી આપવા બદલ ભારે દંડ લાદવામાં આવશે.

8- કર ચુકવણી પારદર્શક બનાવવા માટે E-KYC ફરજિયાત
કેન્દ્ર સરકાર નવા ટેક્સ બિલ દ્વારા હાલની ટેક્સ સિસ્ટમને ડિજિટલ અને વધુ પારદર્શક બનાવવાનો હેતુ ધરાવે છે. આ માટે, ઈ-કે.વાય.સી. અને ઓનલાઈન ટેક્સ ચુકવણી ફરજિયાત બનાવવામાં આવી રહી છે. ઈ-ફાઇલિંગ ફરજિયાત બનાવવાથી કર ચુકવણીમાં પારદર્શિતા વધશે.

9- કૃષિ આવક પર કર મુક્તિ
નવા કર બિલમાં, કૃષિ આવકને અમુક શરતો હેઠળ કરમુક્ત રાખવામાં આવી છે. ધાર્મિક ટ્રસ્ટો, સંસ્થાઓ અને દાનમાં આપવામાં આવેલા નાણાં પર કરમુક્તિ ઉપલબ્ધ રહેશે. આ સાથે, ચૂંટણી ટ્રસ્ટને પણ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.

10- આ ફેરફારો કર સંબંધિત વિવાદો ઘટાડવા માટે છે.
૧૯૬૧ના ટેક્સ બિલમાં ઘણી અસ્પષ્ટ જોગવાઈઓને કારણે કરદાતાઓ અને સરકાર વચ્ચે વિવાદો થયા છે અને મુકદ્દમામાં સતત વધારો થયો છે. નવું કર બિલ સ્પષ્ટ નિયમો અને સરળ શબ્દો સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે, જે તેને સમજવામાં સરળ બનાવશે અને વિવાદોની સંખ્યામાં પણ ઘટાડો કરશે.

મોદી-મસ્કની થઈ શકે છે મુલાકાત, ભારતમાં સ્ટારલિંક વિશે ચર્ચાની સંભાવના

અમેરિકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી તેમની મુલાકાત દરમિયાન ટ્રમ્પ સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા એલોન મસ્કને પણ મળી શકે છે. દક્ષિણ એશિયાઈ બજારમાં સ્ટારલિંકના પ્રવેશ અંગે મોદી અને મસ્ક વચ્ચે ચર્ચા થઈ શકે છે. ભારત સરકારને આશા છે કે સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની યોજના કરી શકે છે.

સ્ટારલિંક ભારતમાં કામગીરી શરૂ કરવા માંગે છે
સ્ટારલિંક ભારતમાં કામગીરી શરૂ કરવા માંગે છે. ભારત સરકારે મસ્કના આ વિચારને ટેકો આપ્યો છે કે સ્પેક્ટ્રમની હરાજી કરવાને બદલે ફાળવણી થવી જોઈએ. જો કે, સ્ટારલિંકની લાઇસન્સ અરજીની હજુ પણ સમીક્ષા ચાલી રહી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘મસ્ક ભારતની સુરક્ષા ચિંતાઓ પર ખાતરી આપવા સંમત થયા છે, જેમાં ભારતમાં ડેટા સ્ટોર કરવાનો પણ સમાવેશ થાય છે.’ એક રિપોર્ટ અનુસાર, ડિસેમ્બરમાં અધિકારીઓએ બે સ્ટારલિંક ડિવાઇસ જપ્ત કર્યા બાદ મસ્કે ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટને નિષ્ક્રિય કરવાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ કંપનીના બે ઉપકરણો જપ્ત કર્યા હતા, એક સશસ્ત્ર સંઘર્ષ ક્ષેત્રમાંથી અને બીજું ડ્રગ હેરફેરના કેસમાં.પીએમ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે

પ્રધાનમંત્રી મોદીએ તેમના પ્રસ્થાન નિવેદનમાં કહ્યું હતું કે, ‘જાન્યુઆરીમાં તેમની ઐતિહાસિક ચૂંટણી જીત અને શપથ ગ્રહણ પછી આ અમારી પહેલી મુલાકાત હશે, પરંતુ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના નિર્માણમાં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન સાથે કામ કરવાની અમારી ખૂબ જ મીઠી યાદો છે.’

તેમણે કહ્યું, ‘આ મુલાકાત તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન સહયોગની સફળતાઓને આગળ વધારવા અને ટેકનોલોજી, વેપાર, સંરક્ષણ, ઉર્જા અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતાના ક્ષેત્રો સહિત આપણી ભાગીદારીને વધુ આગળ વધારવા અને ગાઢ બનાવવા માટે એક એજન્ડા વિકસાવવાની તક હશે.’ આપણે બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે સાથે મળીને કામ કરીશું અને વિશ્વ માટે વધુ સારું ભવિષ્ય બનાવીશું.

PM મોદી અને ટ્રમ્પની આજે વ્હાઇટ હાઉસમાં થશે વાતચીત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

અમેરિકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા છે. તેઓ ગુરુવારે વહેલી સવારે વોશિંગ્ટન પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આજે રાત્રે PM મોદી વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળશે. બંને સાથે ડિનર પણ કરશે.પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસમાં રોકાયા છે. વ્હાઇટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ બેઠકમાં બંને નેતાઓ વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ અને ઇમિગ્રેશન પર ચર્ચા કરશે. પીએમ મોદીના પ્રતિનિધિમંડળની કુલ 6 બેઠકો થશે. PM મોદીની અમેરિકા મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકામાં ભારે ઠંડી પડી રહી છે. પરંતુ હિમવર્ષા છતાં, ભારતીય સમુદાય પીએમ મોદીની મુલાકાતને લઈને ઉત્સાહિત છે.

વોશિંગ્ટન પહોંચતા PM મોદીએ કહ્યું કે કડકડતી ઠંડીમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું. ઠંડી હોવા છતાં, વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાય દ્વારા મારું ખાસ સ્વાગત કરવામાં આવ્યું. હું તેમનો આભારી છું.

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે. પીએમ મોદી ટ્રમ્પને મળનારા ચોથા વિદેશી નેતા છે. આ પહેલા, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, જાપાની વડાપ્રધાન અને જોર્ડનના રાજાએ અમેરિકી રાષ્ટ્રપતિને મળ્યા છે.

વોશિંગ્ટન પહોંચતા જ PM મોદીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા માટે આતુર છે અને ભારત-અમેરિકાની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને લઈને પણ ઉત્સાહિત છે. આપણે આપણા લોકોના કલ્યાણ અને આપણા દેશના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. PM મોદી આજે ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ ઉપરાંત, તેઓ ઘણા ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.

ટ્રમ્પ સાથે પીએમ મોદીનું ખાનગી રાત્રિભોજન

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસ ખાતે એક ખાનગી રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM મોદી ભાગ લેશે. બેઠક પહેલા અને પછી, બંને નેતાઓ ઓવલ ઓફિસમાં મીડિયાને સંબોધિત કરશે. બધાંની નજર PM મોદીની એલોન મસ્ક સહિત અમેરિકન ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાતો પર પણ રહેશે. PM મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે અમેરિકાએ તાજેતરમાં 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા હતા.

સુવિચાર – ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫

૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫

કબીરના મતે ભક્તિમાર્ગનો પાયો એટલે સતત હરિસ્મરણ

બરસ બરસ નહિ કરી શકે, તાકો લાગે દોષ,

કહૈ કબીર વા જીવસો, કબહુ ન પાવો મોષ.

 

કબીરજી સાધુનાં દર્શનનો મહિમા ભાવથી ગાય છે. નિત્ય વારંવાર દર્શનનો પ્રભાવ જણાવવાની સાથે સાથે અનેક વિકલ્પો દર્શાવે છે. ઘડી ઘડી નહીં તો દિવસમાં એક વખત, તે શક્ય ન હોય તો એકાંતરે અને તેમાં પણ તકલીફ જણાય તો અઠવાડિયે, પખવાડિયે, મહિને કે છ મહિને સાધુદર્શન માટે આગ્રહ કરે છે. કબીરજી જાણે છે કે, માણસને રોજબરોજની પળોજણ એટલી હોય છે કે સત્સંગમાં ધ્યાન આપી શકતા નથી.

પ્રમુખસ્વામીએ પરદેશમાં વસતા હરિભક્તોને સંકલ્પ કરાવ્યો કે, ભલે કરોડોનું નુકસાન થાય પણ સાપ્તાહિક સત્સંગ ન ચૂકવો. તેનો લાભ અમૂલ્ય માનવો. કબીરજી કહે છે કે, જો વર્ષોવર્ષ જીવ સાધુના પ્રભાવની બહાર રહે છે તો કદી મોક્ષ પામી શકે નહીં. ભક્તિમાર્ગનો પાયો જ એ છે કે, સતત હરિસ્મરણ વિના માણસ દુનિયાની માયામાં લપેટાઈ જાય છે. આનો અર્થ આળસ કે નિષ્ક્રિયતા નથી કરવાનો પણ કરતાં જઈએ આપણું કામ અને લેતાં જઈએ હરિનું નામ આ જ સાથે આવશે મુક્તિધામ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

INDvsENG : શુભમન ગિલે ફટકારી શાનદાર સદી, અનેક રેકોર્ડ તોડ્યા

ભારતે અમદાવાદ વનડેમાં પણ ઇંગ્લેન્ડને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 142 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ સાથે, ભારતીય ટીમે વનડે શ્રેણીમાં ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કર્યું. તેણે નાગપુર અને કટક વનડેમાં પણ ઇંગ્લેન્ડને એકતરફી હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે 14 વર્ષ પછી ભારતે ઇંગ્લેન્ડને ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે.

ગિલ-ઐયરે જીતનો પાયો નાખ્યો

ટીમ ઈન્ડિયાની જીતનો હીરો શુભમન ગિલ હતો, જેણે પોતાની ODI કારકિર્દીની 7મી સદી ફટકારી હતી. ગિલે પોતાની ઇનિંગમાં 112 રન બનાવ્યા અને 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ગિલ ઉપરાંત શ્રેયસ ઐયરે 78 રનની ઇનિંગ રમી, જ્યારે વિરાટ કોહલીએ પણ 52 રન બનાવ્યા. વિરાટ કોહલીએ 451 દિવસ પછી ODI ક્રિકેટમાં અડધી સદી ફટકારી.

ભારતના દરેક બોલરને સફળતા મળી

ભારતીય ટીમ માટે બધા બોલરોએ સફળતા મેળવી. અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી.

ઇંગ્લેન્ડના બેટ્સમેન ફ્લોપ

ઇંગ્લેન્ડની હારનું મુખ્ય કારણ તેના બેટ્સમેન હતા. ફિલ સોલ્ટ, બેન ડકેટ, ટોમ બેન્ટન, જો રૂટ, હેરી બ્રુક બધાએ સારી શરૂઆત કરી હતી પરંતુ તેમાંથી કોઈ પણ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યું નહીં. ટોચના પાંચ બેટ્સમેનોમાં બેન્ટને સૌથી વધુ રન બનાવ્યા. તેના બેટમાંથી 38 રન આવ્યા. ડકેટે ૩૪, સોલ્ટે 23 અને રૂટે 24 રન બનાવ્યા. હેરી બ્રુકે 19 રન બનાવ્યા. કેપ્ટન બટલર ફક્ત 6 રન બનાવી શક્યા અને લિવિંગસ્ટોને 23 બોલમાં ફક્ત 9 રન બનાવ્યા. તેની બેટિંગને કારણે ઇંગ્લેન્ડની ટીમ T20 શ્રેણી પણ હારી ગઈ.

ભારતીય ટીમે છેલ્લા 11 વર્ષમાં ઈંગ્લેન્ડ સામે સૌથી મોટી ODI જીત મેળવી છે. રનની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ સામે આ બીજી સૌથી મોટી જીત છે. ટીમ ઈન્ડિયાએ 2008માં રાજકોટ વનડેમાં ઈંગ્લેન્ડને 158 રનથી હરાવ્યું હતું અને હવે અમદાવાદમાં 142 રનથી જીત મેળવી છે. એટલું જ નહીં, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ચોથી વખત દ્વિપક્ષીય શ્રેણીમાં ક્લીન સ્વીપ હાંસલ કર્યો છે. તેણે ધોની અને વિરાટને પાછળ છોડી દીધા છે, જેમણે આ સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી હતી.