Home Blog Page 1171

રાજકોટ મનપાનું ₹3118.28 કરોડનું બજેટ મંજૂર, જાણો મહત્વના મુદ્દા

રાજકોટ: મહાનગર પાલિકાનું વર્ષ 2025-26 માટેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી મેજૂર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે 3118.28 કરોડનું રાજકોટ મહાનગર પાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો રૂ. 150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દેવામાં આવ્યો છે. બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું. પરંતુ, તે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે.

મકાનવેરા અને ફાયર ટેક્સેને કમિટીએ ફગાવ્યા 

રાજકોટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ઝીકવામાં આવ્યો હતો. મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરી 11 ના બદલે 15 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જે વધારો સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી જૂનો દર યથાવત રાખ્યો છે. રાજકોટમાં ફાયર ટેક્સ વસુલવાની શરૂઆત કરવા સૂચન કરાયું હતું. જેમાં રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયા તથા બિન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 25 રૂપિયા વસૂલવા સૂચન કરાયું હતું. જે પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.

રોડ-રસ્તાને બજેટ શું થઈ છે જોગવાઈ

રાજય સરકારના સહયોગથી રૂ.167.25 કરોડના ખર્ચે કાલાવડ રોડ, કટારિયા ચોકડી પર રાજકોટના પ્રથમ આધુનિક બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫ – ૨૬માં વોર્ડ નં.૧ માં રૈયા રોડ પર સ્માર્ટ સિટીને જોડતા રસ્તા પર રૂ. ૧૫.૧૯ કરોડનાં ખર્ચે ફોર લેન બ્રિજની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાગી વિકાસ માટે રસ્તાના મૂળભુત માળખાકિય કામો માટે સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન તથા ઇસ્ટ ઝોનના જુદા- જુદા વિસ્તારોમાં મેટલિંગ રસ્તા, કાર્પેટ, રીકાર્પેટ, ડિઝાઈન રસ્તા, સિમેન્ટ કોકીટ રસ્તા, માટે SJMMSVY માંથી બજેટ જોગવાઈ રાખવામાં આવેલ છે.

કોમ્યુનિટી હોલની મળશે સુવિધા

લોકોની સુખાકારી અને સારા માઠા પ્રસંગોએ કોમ્યુનિટી હોલ અને એ પણ આધુનિક સરકારી કોમ્યુનિટી હોલની ભરમાર એ હવે રાજકોટ મહાનગરપાલિકાનાં વિકાસ અને પ્રજાભોગ્ય વહીવટની ઓળખ બની રહી છે. જેનાં ભાગરૂપે પાછલા ટુંક સમયમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 1માં સંતોષી પાર્ક મેઇન રોડ પર કોમ્યુનિટી હોલનું કામ ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તથા વોર્ડ નં. ૩માં રેલનગર વિસ્તારમાં નવા આધુનિક કોમ્યુનિટી હોલનું બાંધકામ ચાલુ છે તથા તથા વોર્ડ નં. ૧૭માં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલને ડિસ્મેન્ટલ કરી નવા આધુનિક કોમ્યુનિટી હોલનું બાંધકામ ચાલુ છે.

સ્પોર્ટસને મળશે પ્રોત્સાહન

રાજકોટ શહેરનાં યુવાનોને રમત-ગમતની સુવિધાઓ ધ્યાને લઇ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. 12માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું 12૦૦ લોકોની ક્ષમતાવાળા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. 17માં પારડી રોડ પર પણ સ્પોર્ટસ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ. ટુંક સમયમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર રાજકોટના શહેરીજનોને ઇન્ડોર ગેમ્સ માટે સુવિધા મળી રહે તે માટે શ્રી રામ બ્રિજ નીચે પાર્કિંગ એરિયામાં પીકલ બોલ, બોક્સ ક્રિકેટ તથા મલ્ટી ઇન્ડોર ગેમનું આયોજન કરવામાં આવેલ છે. હાલ આ કામ પ્રગતિમાં છે.

100 CNG 34 ઈલેક્ટિરક બસની મળશે ભેટ

જાહેર પરિવહન મજબૂત કરી પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 100 નવી CNG બસ અને 34 ઇલેક્ટ્રિક બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. નવી 100 બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવર ખાતે અંદાજીત રૂ.7.92 કરોડ ના ખર્ચે ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલ છે. એટલું જ નહિ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બસ સેવા શરૂ કરવામાં આવશે અને તેમાં AI સિસ્ટમ નો ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી છે જેમાં મુસાફર દ્વારા પોતાની ટિકિટ બોર્ડિંગ સ્કેન કરી એપીકેશનમાં અપલોડ કરવામાં આવશે તો નજીકમાં તેમને ચોક્કસ સમય આપી પીકપ માટે સેવા કાર્યરત કરવામાં આવી શકે છે.

સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં નવી 20 યોજના ઉમેરી

  • રાહદારીઓ સહેલાઈથી રસ્તો ઓળંગી શકે તે માટે શહેરમાં આવેલા જાહેર સ્થળો પૈકી ત્રિકોણબાગ વિસ્તાર પાસે, કાલાવડ રોડ-આત્મીય યુનિવર્સિટી પાસે, ક્રિષ્ના પાર્ક હોટલ-ગોંડલ રોડ ચોકડી પાસે વિ. સ્થળોએ રસ્તા ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જે માટે બજેટમાં રૂ.૧૦૦૬ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાજકોટ શહેરની હદ શરૂ થાય તે પ્રવેશમાર્ગો પર શહેરની આગવી ઓળખ સ્વરૂપે થીમ-બેઇઝડ મોડલ પ્રવેશદ્વારો બનાવી, બ્યુટીફીકેશન કરવામાં આવશે, જે માટે બજેટમાં રૂ.૫૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરના રાજમાર્ગ કાલાવડ રોડ પર અવધ રોડ પાસે આવેલ ટી.પી. પ્લોટમાં મોડર્ન એલિવેશન અને એસ્કેલેટર તેમજ રેસ્ટોરન્ટની સુવિધા સાથે ‘સ્કાય વોક’ તેમજ થીમ બેઇઝડ ઑક્સિજન પાર્ક બનાવવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરની વધતી જતી વસતિ અને વિસ્તારને ધ્યાને લઇ, શહેરમાં વધુ ત્રણ નવી શાક માર્કેટ બનાવવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૩૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • અદ્યતન સુવિધાઓ ધ્યાને લઇ, જ્યુબિલી શાકમાર્કેટ તથા કનકનગર શાક માર્કેટનું નવીનીકરણ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૬૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામનાથ મહાદેવ મંદિર પરિસરની સ્વચ્છતાની જાળવણી માટે ‘રામનાથ કોરીડોર ડેવલપમેન્ટ’ થકી મંદિર પરિસરનું બ્યુટીફીકેશન કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૨૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરના વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં નવી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ચપળતા. શારીરિક સૌષ્ઠવની સાથોસાથ ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુથી હાઇસ્કૂલના પરિસરમાં રમતગમતની સુવિધા ઊભી કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • વોર્ડમાં ડ્રેનેજનું કામ બાકી રહેલ હોય તેવા તમામ ટી.પી. રોડ પર ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ પૂર્ણ કરી, મેટલીંગ કામ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૭૧ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • ૮૦ ફૂટ રોડને નેશનલ હાઇવે સુધી ડેવલપ કરવામાં આવશે, જે માટે બજેટમાં રૂ.૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ માલઢોરના ચેકઅપ, રોગોના નિદાન, સારવાર તથા વેક્સીનેશન માટે એનિમલ હોસ્ટેલ ખાતે સૌપ્રથમ વખત સુવિધાસભર પશુ દવાખાનુ બનાવી, તેમા નિષ્ણાંત પશુ ચિકિત્સકની માનદ્ સેવાઓ હંગામી ધોરણે લેવામાં આવશે. આ સુવિધાને લીધે વધુ ને વધુ માલધારીઓ પોતાના માલઢોરને એનિમલ હોસ્ટેલમાં રાખવા માટે પ્રોત્સાહિત થશે. સાથોસાથ શહેરીજનો પણ પોતાના પાલતુ પ્રાણીઓની સારવાર માટે પશુ દવાખાનાનો લાભ લઈ શકશે. જે માટે બજેટમાં રૂ.૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • ‘કેન્સરને કરીએ કેન્સલ’ અંતર્ગત બે યોજના બનાવવામાં આવી છે. જેમાં પહેલી છે. વિદ્યાર્થિનીઓને સર્વાઈકલ કેન્સરની વિનામૂલ્યે વેકસીન આપવામાં આવશે. જેના માટે 15 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજી છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત કોઠારિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મેમોગ્રાફી ચેકઅપ માટે નવું મેમોગ્રાફી મશીન મુકવામાં આવશે. જેનાથી મહિલાઓ બ્રેસ્ટ કેન્સર જેવા રોગનું નિદાન – સારવાર લઇ શકશે. જે માટે બજેટમાં રૂ.૧૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકોને પ્રોત્સાહિત કરવા માટે તેઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી પર્યાવરણના જતનની સાથોસાથ શહેરીજનોમાં દિવ્યાંગજનો પ્રત્યે સંવેદનશીલતા તેમજ આર્મીમેન પ્રત્યેના આદરમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણીને પ્રોત્સાહન મળે તે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૬૨૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • શહેરના વોર્ડ નં.૧૨માં ટી.પી.૨૧/પ્લોટ નં.૩૯/એ થી બાપા સીતારામ ચોક પાસે રામેશ્વર પાર્ક વિસ્તારમાં સી.સી. રોડ પર બગીચા હેતુના અનામત પ્લોટમાં વૃક્ષો, ફૂલછોડ, લોન, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા સાથે નવા બગીચાનું નિર્માણ કરવામાં આવશે. જેનાથી આ વિસ્તારના શહેરીજનોની સુવિધામાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૪૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરની આગવી ઓળખ સમાન રેસકોર્ષ રિંગ રોડની રોનક વધારવા, કાયમી સુશોભન માટે LED ડેકોરેટિવ લાઇટીંગ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્સ સંકુલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, પ્લેનેટેરિયમ તથા કોમ્યુટર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. જેનું નિર્માણ વર્ષ ૧૯૯૩માં કરવામાં આવેલ. વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાને લઈ, લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ કરી, તેને અદ્યતન કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરીજનોની સુવિધા માટે આ શાકમાર્કેટમાં નવી ફ્રૂટ માર્કેટ તથા નવા હોકર્સ ઝોનની ભેટ આપવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૩૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરના વોર્ડ નં.૦૩ માધાપર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં દર માસે સેંકડો દર્દીઓ રોગ નિદાન – સારવારનો લાભ લે છે. જે ધ્યાને લઈ, આ આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ કરી, અદ્યતન સુવિધા તથા અદ્યતન સાધનો ફાળવવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૨૫૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • શહેરીજનો પોતાના કૌટુંબિક પ્રસંગો વ્યાજબી ખર્ચે, ઉલ્લાસભેર માણી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ-વિસ્તારોમાં અદ્યતન સુવિધાયુક્ત કોમ્યુનિટી હોલ ઉપલબ્ધ કરેલ છે. જે સુવિધાના ભાગરૂપે શહેરના વોર્ડ નં.૧૪ માં બોલબાલા રોડ, ગાયત્રીનગર પાસે અદ્યતન સુવિધાયુક્ત નવા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ આશરે ૧૦૦ વર્ષ જેટલા જૂના એક રોડને ‘હેરીટેજ સિટી બ્યુટીફીકેશન હેઠળ ડેવલપ કરી, તેનું બ્યુટીફીકેશન(ફૂટપાથ, ઇલેક્ટ્રિક પોલ, પેવીંગ બ્લોક વિ.) કરવામાં આવશે. જે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં DROO લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

સંતાનોના ઉછેરની જવાબદારી માત્ર માતાની જ છે?

સાક્ષી આજે ઉતાવળમાં હતી. ઓફિસમાં મહત્વનું પ્રેઝન્ટેશન હોવાથી એને વહેલા જવાનું હતું. દીકરી માયરાને સ્કૂલે મૂકવાની જવાબદારી પતિ દેવાંગે સંભાળી. જ્યારે એ માયરાને સ્કૂલે મુકવા નીકળ્યો, ત્યારે જ ઘરમાં તોફાન ઊભું થયું. સાસુ સુશીલાબહેન ગુસ્સાથી બોલી ઉઠ્યાં, માયરાને રોજ તું સ્કૂલે મુકવા જાય છે, તો આજે દેવાંગને કેમ વહેલો ઊઠાડ્યો? એ મોડી રાત સુધી કામ કરે અને સવારે તારા માટે ફરી વહેલો ઊઠે! મા બની છે તો જવાબદારી પણ તારી જ છે. આમ મારા દીકરાને હેરાન ન કરીશ!”

સાક્ષી હચમચી ગઈ. પણ એ કંઈ બોલે એ પહેલાં જ દેવાંગે માતાને સમજાવવાનો પ્રયાસ કર્યો, “મમ્મી, એમાં શું છે? સાક્ષીને આજે ઓફિસે વહેલા જવાનું છે. રોજ તો માયરાને સ્કૂલે મૂકવી, ક્લાસિસ, હોમવર્ક આ બધું એ જ કરે છે. આજે એક દિવસ માટે મેં જવાબદારી લીધી તો શું થયું?”

સુશીલાબહેનને આ જવાબ ગળે નહોતો ઊતરતો. “બૈરીને માથે ન ચડાવ! અમે તો પાંચ-પાંચ બાળકો મોટાં કર્યા. કોઈ’દી તારા બાપે અમને મદદ કરી નથી. બાળકો ઉછેરવા તો માતાની જ ફરજ હોય! પિતાનું વળી એમાં શું કામ?” દેવાંગ એક ક્ષણ માટે શાંત રહ્યો, પછી સ્થિર અવાજે બોલ્યો, “પણ મમ્મી, તું તો ઘરે જ રહેતી. તારે ઓફિસની જવાબદારી નહોતી. સાક્ષી ઘર અને નોકરી બંને સંભાળે છે. આજે એક દિવસ હું મદદ કરી તો એમાં ખોટું શું?” સુશીલાબહેન મનમાં જ બબડતા રહ્યા, “મારો દીકરો બૈરી ઘેલો થઈ ગયો છે! આજની વહુઓને તો કશું કહેવા જેવું જ નથી.”

વિચારવા જેવી વાત છે, શું ખરેખર બાળકના ઉછેરની જવાબદારી માત્ર માતાની જ છે? કે પિતાની પણ એમાં સમાન ભૂમિકા હોવી જોઈએ?

સંસ્કારનું બીજ માતા રોપે, શિસ્તનું વૃક્ષ પિતા ઉભું કરે!

આજની સ્ત્રીઓ માત્ર માતાની ભૂમિકા ભજવી રહી નથી. એ ઘરના કામકાજ ઉપરાંત પોતાની કારકિર્દી બનાવી રહી છે, ઓફિસ જાય છે અને બહારની દૂનિયામાં પણ સરખી જવાબદારી સંભાળે છે. આવા સંજોગોમાં બાળકની સંભાળની જવાબદારી માત્ર માતાની જ નથી હોતી, પિતાની પણ સમાન હિસ્સદારી હોવી જોઈએ. હાલની પ્રજ્ઞાસંપન્ન દંપતીઓ વચ્ચે સમજૂતીનો અભાવ નહીં હોય, પરંતુ અમુક પરિવારો હજુ પણ પિતાને માત્ર આવક કરનાર અને માતાને સંતાનો ઉછેરનારી તરીકે જ જુએ છે. આવા વિચારો પેઢીઓથી ચાલે છે.

એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કોર્ડિનેટર તરીકે કામ કરતા પિંકલબહેન દેસાઈ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “બાળક માટે પિતા ડાળખી, માતા છાંયો – બંનેના સહકારથી જીવન વિકાસ પામે! બાળકનો ઉછેર માત્ર માતાની કે પિતાની એકલી જવાબદારી નથી, પરંતુ એ બંનેની સમાન ભાગીદારી છે. માતા સંસ્કાર અને લાગણીઓનું બીજ રોપે છે, તો પિતા શિસ્ત અને જીવનનાં મૂલ્યો સમજાવે છે. માતા પ્રેમથી બાળકની સંવેદનાઓને ઉછેરે છે, જ્યારે પિતા એ ભાવનાઓને શક્તિશાળી બનાવે છે.”

વધુમાં એ કહે છે “સમયની સાથે પરિવારના પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન આવ્યો છે. માતા હવે માત્ર ગૃહિણી નહીં, પણ વ્યવસાયિક સ્તરે પણ યોગદાન આપે છે. એ રીતે પિતાએ પણ ઉછેરમાં સક્રિય ભાગ ભજવવો જરૂરી બન્યો છે. માતા અને પિતા બંનેનું સમતોલ સ્નેહ અને સંસ્કાર બાળકને ભવિષ્યમાં એક જવાબદાર નાગરિક બનાવી શકે. સાંપ્રત યુગમાં, માતા-પિતા સમાન રીતે બાળકો સાથે સમય વિતાવે, તેમને સમજવા પ્રયત્ન કરે અને તેમની સાથે જીવનની દરેક પડકારમાં સાથી બની રહે છે. આમ, સંતાન ઉછેર માત્ર એક વ્યક્તિની નહીં, પણ એક સંયુક્ત જવાબદારી છે. સંસ્કારનું બીજ માતા રોપે, શિસ્તનું વૃક્ષ પિતા ઉભું કરે!”

સંતાન ઉછેરવાની ફરજને સમાન રીતે વહેંચવી જરૂરી

જો સમાજમાં પરિવર્તન લાવવું હોય, તો માતાપિતાને બાળક ઉછેરવાની જવાબદારી સમાન રીતે વહેંચવાની જરૂર છે. માતા અને પિતા બંને સાથે મળીને કામ કરશે, ત્યારે જ સંતાનનો સર્વાંગી વિકાસ થઈ શકે. બાળક માટે માતા જેટલાં જ પિતા પણ મહત્વના છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજીક કાર્યકર ચંદનબહેન પરમાર કહે છે કે, સત્ય એ છે કે બાળકને માતા સાથે વધુ લાગણીશીલ જોડાણ હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે એને પિતાના પ્રેમ અને સુરક્ષાની જરૂર નથી. આજના સમયમાં મોટાભાગના લોકો માનવા લાગ્યા છે કે બાળક ઉછેરવાની જવાબદારી માતા અને પિતા બંનેની સમાન હોવી જોઈએ. એક સમય હતો જ્યારે માન્યતા એ હતી કે માતા ઘરમાં રહીને સંતાનનું લાલન-પાલન કરે અને પિતા ફક્ત નાણાકીય જવાબદારી સંભાળે. પણ હવે સમય બદલાયો છે. વધતી મોંઘવારી અને આર્થિક સ્વતંત્રતાના યુગમાં મહિલાઓ પણ પોતાની કારકિર્દી બનાવી રહી છે. આ બદલાતા દૃશ્યપટને જોતા, માતા અને પિતા બંનેએ સંતાન ઉછેરવાની ફરજને સમાન રીતે વહેંચવી જરૂરી બની ગયું છે. કારણ કે માતાની મમતા અને પિતાનું પ્રોટેક્શન, બંને મળીને જ બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે!

માનસિક-શારીરિક મજબૂતી

એક સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે એનું જીવન બદલાઈ જાય છે. બાળક એની પ્રાથમિક જરૂરિયાત બની જાય છે, એનું ધ્યાન હંમેશાં સંતાનની આસપાસ રહે છે. ઘણીવાર બાળકને ઊંઘાડતાં ઊંઘાડતાં માતા પોતે જ ઊંઘી જાય છે. નાનું બાળક રાત્રે ઘણીવાર ઊઠે છે, ત્યારે માતાને પણ ઉજાગરા થાય છે. આવા સમયે પતિએ પણ પત્ની સાથે ઊંઘની કુરબાની આપવી પડે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષિકા જીનલબહેન પંચાલ કહે છે, “આજના પેરેન્ટ્સ પોતાના બાળકના ઉછેરમાં વધુ ધ્યાન આપે છે, જે એક સારી વાત છે. પરંતુ સાથે સાથે એ જરૂરી છે કે તેઓ બાળકનું બાળપણ ભરપૂર આનંદ સાથે માણે, કારણ કે નાની ઉંમરમાં બાળકની દરેક પળ રોમાંચક અને યાદગાર હોય છે. હાલના સમયમાં પતિ-પત્ની બંને કામકાજી હોય છે, સામાન્ય રીતે એક કે બે જ સંતાન હોય છે. આવા સંજોગોમાં પિતાએ પણ માતા સાથે સંતાનના ઉછેર, ઘરના કામકાજ અને રોજિંદી જવાબદારીઓમાં સહયોગ આપવો જોઈએ. આથી, પત્ની પરનો તણાવ ઓછો થશે, સંતાનને સ્વસ્થ અને આનંદમય વાતાવરણ મળશે. અને મહિલાને માનસિક-શારીરિક મજબૂતી મળશે.

બોલીવુડ સ્ટારની વાત કરીએ તો..

માતા બન્યા પછી દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે એને પતિનો પુરતો સહયોગ મળે. જો સાથે સાથે પરિવારનો પણ સહકાર મળે તો એ પોતાની જવાબદારી બખૂબી નીભાવી શકે છે. બોલીવુડ સ્ટારની વાત કરીએ તો એક ઇન્ટરવ્યુમાં જેનેલિયા ડિસૂઝા દેશમુખે કહ્યું હતું કે એ પોતાના સંતાનનું જેટલું ધ્યાન રાખે છે એટલી જ કેર રિતેશ દેશમુખ પણ કરે છે. બાળકનું ડાયપર બદલવું, બોટલથી દૂધ પિવડાવવું, કપડા બદલવાં, બહાર ફરવા લઈ જવાથી લઈને નવડાવવા જેવી જવાબદારી પણ ઉઠાવે છે. એ જ રીતે સૈફ અલીખાને પણ વાત કરી હતી કે કરિના કપૂર અને એ બંને સાથે મળીને બાળકની જવાબદારી નિભાવે છે, વિરાટ કોહલી જ્યારે પણ ઘરે હોય અનુષ્કા શર્માને હંમેશા બાળકોના કામમાં મદદ કરે છે, એવી જ રીતે આલિયા-રણબીર, દિપીકા-રણવીર જેવા અનેક સુપર સ્ટાર છે જે પોતાના બાળકોની જવાબદારી સાથે મળીને નીભાવે છે.

એક સર્વે પ્રમાણે, અમેરિકામાં એક તૃતિયાંશ પુરુષો પોતાના સંતાન સાથે એટલો જ સમય વિતાવે છે, જેટલો સમય માતા પસાર કરે છે. ત્યાંની  સરકાર  સંતાન ઉછેરમાં પિતાની ભૂમિકા મહત્વપૂર્ણ માને છે અને એમને  સંતાન સંભાળવાની તાલીમ પણ આપે છે. એજ રીતે લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાં માતા-પિતાની જવાબદારી સંતાન ઉછેરમાં સમાન છે. પરંતુ  આપણા ત્યાં હજુ પણ  સંતાન ઉછેરની મુખ્ય જવાબદારી મહિલાઓ પર હોય છે. પરંપરાગત વિચારસરણી મુજબ, મહિલાઓ ઘર અને બાળક સંભાળે છે અને પુરુષો મોટાભાગે કામકાજમાં વ્યસ્ત રહે છે. માટે પિતાની  સંતાન ઉછેરમાં ભાગીદારી ઓછી જોવા મળે છે.

જો આપણે સંતાન ઉછેરને માતા અને પિતા બંનેની સંયુક્ત જવાબદારી માનીએ, તો સંતાનને વધુ સંસ્કારી, આત્મવિશ્વાસી અને સંતુલિત ઉછેર મળી શકે. સમય બદલાઈ રહ્યો છે, અને સાથે સાથે સંતાન ઉછેરની પરિભાષા પણ બદલાવી જોઈએ, જ્યાં માતા અને પિતા બંને સંતાનની ઉન્નતિ માટે સમાન જવાબદારી વહેંચી લે.

હેતલ રાવ

શશી થરૂરે મુંબઈ અને પઠાણકોટ હુમલાને ગણાવ્યો આત્મઘાતી

કોંગ્રેસ નેતા શશિ થરૂરે સોમવારે 26/11 ના મુંબઈ અને પઠાણકોટ આતંકવાદી હુમલાઓને વિશ્વાસઘાત ગણાવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે અવિરત વાતચીત હવે શક્ય નથી. તેમણે કહ્યું કે આવા સંવેદનશીલ સમયે વાતચીત ચાલુ રાખવી મુશ્કેલ હતી કારણ કે હુમલા પછી, કોઈ તેને અવગણી શકે નહીં. જોકે, તેમણે લોકો વચ્ચે પરસ્પર સંબંધોને પ્રોત્સાહન આપવાની પણ હિમાયત કરી.

(Photo: IANS/Pawan Sharma)

થરૂરે ફોરેન કોરસપોન્ડન્ટ્સ ક્લબ (FCC) ખાતે આયોજિત એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું કે તેમણે તેમના મોટાભાગના જીવન દરમિયાન શાંતિની હિમાયત કરી હતી, પરંતુ વાસ્તવિકતાએ તેમને દગો આપ્યો છે. જોકે, થરૂરે એમ પણ કહ્યું કે વાત ન કરવી એ પણ નીતિ નથી.

પાકિસ્તાન સાથે સંબંધો બનાવવા માટે સલાહ
કોંગ્રેસ નેતા શશિ થરૂરે થોડા વર્ષો પહેલા વિદેશ બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષપદ દરમિયાન રજૂ કરેલા એક જૂના અહેવાલનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જો આપણે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માંગતા હોઈએ તો એક ઉકેલ એ હોઈ શકે છે કે વધુ વિઝા આપવામાં આવે.

થરૂરે તે સમયે સમિતિની ભલામણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં જે અવિશ્વાસ હતો તે પાછલા વર્ષોની ઘટનાઓ દ્વારા સંપૂર્ણપણે વાજબી હતો. પરંતુ આ હોવા છતાં તેમણે લોકો-થી-લોકોના સંબંધો સુધારવા માટે વિઝા ખોલવાની હિમાયત કરી હતી.

પાછલા અહેવાલનો તર્ક
થરૂરે એમ પણ કહ્યું કે આ પગલું પાકિસ્તાનમાં શાંતિ સ્થાપવામાં ભારતના વ્યૂહાત્મક હિત માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમણે હજુ સુધી કોઈ પાકિસ્તાની એવું સાંભળ્યું નથી જે ભારત આવ્યો હોય અને આપણા દેશને પ્રેમ ન કરતો હોય, જોકે તેમણે એમ પણ કહ્યું કે કેટલાક લોકો સત્તાવાર રીતે તેને નફરત કરે છે. થરૂરે એ પણ સ્વીકાર્યું કે સામાન્ય પાકિસ્તાની પ્રવાસીઓ, ગાયકો, સંગીતકારો અને રમતવીરો ભારતને ખૂબ પ્રેમ કરે છે અને પાછા આવવા માંગે છે.

વિદેશ મંત્રી સાથે સંમત
આ સાથે, થરૂર વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદન સાથે સંમત થયા, જેમાં જયશંકરે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે અવિરત વાતચીતનો યુગ સમાપ્ત થઈ ગયો છે, પરંતુ ભારત હંમેશા જવાબ આપવા માટે તૈયાર છે. થરૂરે સંમતિ દર્શાવતા કહ્યું કે પાકિસ્તાનના પગલાંથી ભારતને કડક વલણ અપનાવવાની ફરજ પડી છે.

કેન્દ્ર સરકારનું શું વલણ છે..?
જોકે, વર્તમાન કેન્દ્ર સરકાર કહે છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. 26/11નો મુંબઈ હુમલો 2008માં થયો હતો, જ્યારે પઠાણકોટ આતંકવાદી હુમલો 2016માં થયો હતો, અને સરકારના મતે આ હુમલાઓ પછી પાકિસ્તાન સાથે વાતચીત આગળ વધારવી મુશ્કેલ છે.

સુરતમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં અનેક ફિલ્મી સ્ટાર ક્રિકેટ રમશે

સુરત: 11 વર્ષથી ચાહકોનું મનોરંજન કરતી લોકપ્રિય સેલિબ્રિટી ક્રિકેટ લીગ સુરત આવી રહી છે. આગામી 22 અને 23 ફેબ્રુઆરીએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં કુલ ચાર મેચ રમાશે. આ લીગમાં 7 અલગ-અલગ ફિલ્મ ઉદ્યોગોના કુલ 150થી વધુ સેલિબ્રિટી સુરત આવશે.‘પંજાબ દે શેર’ ટીમમાં હાર્ડી સંધુ, નવરાજ હંસ, અપારશક્તિ ખુરાના, મનમીત (મીટ બ્રધર્સ), જસ્સી ગિલ, નીન્જા અને બબ્બલ રાય જેવા જાણીતા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ‘મુંબઈ હીરોઝ’ ટીમમાં સોહેલ ખાન, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, સાકિબ સલીમ, શરદ કેલકર અને શબ્બીર આહલુવાલિયા જેવા બોલિવૂડના ચહેરાઓ શામેલ છે.અન્ય 5 ટીમોના મુખ્ય ખેલાડીઓમાં કિચ્ચા સુદીપ, ગોલ્ડનસ્ટાર ગણેશ, મનોજ તિવારી, દિનેશ લાલ યાદવ, પ્રવેશ લાલ યાદવ, અખિલ અક્કીનેની, થમન, નિખિલ સિદ્ધાર્થ, જીશુ સેનગુપ્તા, સૌરવ દાસ, બોની સેનગુપ્તા, આર્ય, જીવા, વિક્રાંતનો સમાવેશ થાય છે.

સુરતમાં 22 ફેબ્રુઆરીએ પંજાબ દે શેર કર્ણાટક બુલડોઝર્સ સામે ટકરાશે અને ભોજપુરી દબંગ ચેન્નાઈ રાઈનોઝ સામે ટકરાશે. 23 ફેબ્રુઆરીએ મુંબઈ હીરોઝ પંજાબ દે શેર સામે ટકરાશે. એ જ દિવસે બંગાળ ટાઈગર્સ તેલુગુ વોરિયર્સ સામે ટકરાશે.સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષ દેસાઈ જણાવે છે કે સુરતમાં પ્રથમ વખત સેલિબ્રિટી ક્રિકેટ લીગની મેચ થઇ રહી છે. સુરતની ક્રિકેટ પ્રેમી તેમજ ફિલ્મ રસિક જનતાને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર તેમના માનીતા સ્ટાર્સને જોવાની તેમજ માણવાની મજા આવશે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકાનું મોટું નિવેદન

વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પહેલા ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી એક એવું નિવેદન આવ્યું છે જે ભારત માટે માથાનો દુખાવો વધારશે. ટ્રમ્પ વહીવટીતંત્રના આર્થિક સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે ભારત દ્વારા ખૂબ ઊંચા ટેરિફ લાદવાથી આયાતમાં અવરોધો ઉભા થાય છે. તેમણે વધુમાં કહ્યું કે ટૂંક સમયમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પને મળશે અને બંને નેતાઓ વચ્ચે આ બાબતે ચર્ચા કરવામાં આવશે.

કેવિન હેસેટે વધુમાં કહ્યું કે અમેરિકાએ અમેરિકન માલ પર એ જ કર લાદવો જોઈએ જેવો અન્ય દેશો લાદી રહ્યા છે. તેમણે કહ્યું કે જો કોઈ દેશ અમેરિકા પર વધારે ટેરિફ લાદે છે, તો ઓછામાં ઓછું અમેરિકાએ પણ તેના પર સમાન ટેરિફ લાદવો જોઈએ.

કેવિન હેસેટે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાના મોટાભાગના વેપારી ભાગીદારો ઊંચા કર લાદે છે. તેમણે કહ્યું કે કેનેડા, મેક્સિકો અને બ્રિટન જેવા દેશો અમેરિકન માલ પર અમેરિકા જેટલા જ કર લાદે છે, જ્યારે ભારત અને તાઇવાન જેવા દેશો તેમના કરતા પણ વધુ કર લાદે છે.

જોકે, આ પહેલી વાર નથી જ્યારે અમેરિકા તરફથી ભારત અંગે આ પ્રકારનું નિવેદન આવ્યું હોય. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીના સમયથી જ કહેતા આવ્યા છે કે જે દેશો અમેરિકા પર ઊંચા કરવેરા લાદે છે તેઓ તેમની સાથે પણ એવું જ કરશે. ટ્રમ્પ સતત ચીન અને ભારતનું નામ લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આ દેશો અમેરિકન માલ પર વધુ ટેરિફ લાદે છે. જ્યારે અમેરિકા બદલામાં કંઈ કરતું નથી.

શું મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત દરમિયાન ટેરિફ પર કોઈ ચર્ચા થશે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં પેરિસની મુલાકાતે છે. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી સીધા અમેરિકા પહોંચશે. તેમની અમેરિકા મુલાકાત બે દિવસની રહેશે, જ્યાં તેઓ ૧૨ થી ૧૪ ફેબ્રુઆરી સુધી રહેશે. આ સમય દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેઓ અનેક ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે.

જો સૂત્રોનું માનીએ તો, બંને નેતાઓ વચ્ચે ટેરિફ અને ચાબહાર બંદર સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે. જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફના મુદ્દા પર સતત કડક વલણ અપનાવી રહ્યા છે, તે જોતાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પછી કેટલાક સકારાત્મક સંકેતો જોવા મળી શકે છે.

ગુજરાતના નિવૃત્ત ડીજીપી કુલદીપ શર્માને 3 મહિનાની જેલ, 41 વર્ષ પછી ચુકાદો

ગુજરાતની એક કોર્ટે સોમવારે રાજ્યના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) કુલદીપ શર્માને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. ૪૧ વર્ષ પહેલાં જ્યારે તેઓ કચ્છના પોલીસ અધિક્ષક (એસપી) હતા ત્યારે કોંગ્રેસના નેતા પર હુમલો કરવા અને ખોટી રીતે બંધક બનાવવા બદલ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ભુજના અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ બી.એમ. પ્રજાપતિની કોર્ટે આ કેસમાં ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર ગિરીશ વસાવડાને પણ દોષિત ઠેરવ્યા હતા અને તેમને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી.

ફરિયાદી પક્ષના વકીલ આર.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, કુલદીપ શર્મા અને વસાવડા બંનેને આજે આઈપીસીની કલમ ૩૪૨ (ખોટી રીતે બંધક) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ત્રણ મહિનાની કેદ અને 1000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ કેસ 1984નો છે, જ્યારે કોંગ્રેસના નેતા ઇબ્રાહિમ મંધરા, જે ઇભાલા સેઠ તરીકે જાણીતા હતા, તેમના પર કુલદીપ શર્મા અને કેટલાક અન્ય પોલીસ અધિકારીઓએ એસપી ઓફિસમાં હુમલો કર્યો હતો. ઇબ્રાહિમ મંધરાનું હવે અવસાન થયું છે.

શંકર જોશી નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, કચ્છના નલિયા શહેરના ફરિયાદી ઇબ્રાહિમ અને સ્થાનિક ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ 6 મે, 1984 ના રોજ શહેરમાં નોંધાયેલા કેસની ચર્ચા કરવા માટે ભુજ સ્થિત એસપી ઓફિસમાં શર્માને મળવા ગયા હતા. ગઢવીએ જણાવ્યું હતું કે તેઓ નલિયામાં પોલીસ ઓપરેશનના સંદર્ભમાં (તત્કાલીન) એસપી કુલદીપ શર્માને મળ્યા હતા અને તેમને નિર્દોષ લોકો સામે નહીં પણ ગુનેગારો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.આ દરમિયાન, ઉગ્ર દલીલ પછી, કુલદીપ શર્મા ઇબ્રાહિમને બીજા રૂમમાં લઈ ગયો અને તેના સાથી અધિકારીઓ સાથે મળીને તેના પર હુમલો કર્યો.

પેરિસમાં PM મોદીએ કહ્યું કે, માનવતા માટે કોડ લખી રહ્યું છે AI

PM મોદીએ મંગળવારે બપોરે પેરિસમાં AI એક્શન સમિટમાં ઉદ્ઘાટન ભાષણ આપ્યું. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે AI માનવતા માટે મદદરૂપ છે અને આ સદીમાં માનવતા માટે કોડ લખી રહ્યું છે. આ કાર્યક્રમમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉરુસુલા વોન ડેર લેયેન અને સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે પીએમ મોદી ફ્રાન્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પેરિસથી, મોદી તેમના બે દેશોના પ્રવાસના બીજા તબક્કામાં અમેરિકાની પણ મુલાકાત લેશે.

ભારત પોતાના અનુભવો શેર કરવા તૈયાર છે: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે ભારત પોતાના અનુભવ અને કુશળતા શેર કરવા તૈયાર છે જેથી ખાતરી કરી શકાય કે AIનું ભવિષ્ય આપણા બધા માટે સારું છે.

આપણી પાસે દુનિયાની સૌથી મોટી પ્રતિભા છે: પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ AI સમિટને સંબોધતા કહ્યું કે AI આજે સમયની જરૂરિયાત બની ગયું છે. આપણી પાસે દુનિયાની સૌથી મોટી પ્રતિભા છે. અમે ડેટા સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરી છે. અમે સરકારી અને ખાનગી ક્ષેત્રોની મદદથી આગળ વધ્યા છીએ અને સતત આગળ વધી રહ્યા છીએ. AI નું ભવિષ્ય ઉજ્જવળ છે અને દરેકનું કલ્યાણ તેની સાથે જોડાયેલું છે. કેટલાક લોકો મશીનોની વધતી શક્તિથી ચિંતિત છે. પણ આમાં ચિંતા કરવાની કોઈ વાત નથી.

AI નવી રોજગારીની તકો ઉભી કરશે: પીએમ મોદી

પ્રધાનમંત્રી મોદીએ AI સમિટને સંબોધિત કરતા કહ્યું કે આ સદીમાં AI ‘માનવતા માટેનો કોડ’ લખી રહ્યું છે. AI લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. સમય સાથે, રોજગારનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. AI ને કારણે રોજગાર સંકટનો સામનો કરવાની જરૂર છે. ઇતિહાસ બતાવે છે કે ટેકનોલોજી નોકરીઓ છીનવી લેતી નથી. AI નવી નોકરીઓની તકો ઉભી કરશે.

માનવતા માટે AI મહત્વપૂર્ણ છે: પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં AI સમિટને સંબોધિત કરતા કહ્યું કે AI આપણા સમાજ, અર્થતંત્ર અને સુરક્ષાને સકારાત્મક રીતે બદલી રહ્યું છે. આ અન્ય તકનીકોથી સંપૂર્ણપણે અલગ છે. આ માનવતા માટે મદદરૂપ છે. AI સંબંધિત જોખમો અને સુરક્ષાની ચર્ચા કરતી વખતે તેમણે કહ્યું કે તે સમાજ અને સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે આ વિશે ઊંડાણપૂર્વક વિચારવું પડશે અને તેની ચર્ચા કરવી પડશે.

VIDEO: માયાભાઈ આહિરની ચાલુ ડાયરામાં તબિયત બગડી

ડાયરાના કલાકાર માયાભાઈ આહિરની કડીના ઝુલાસણ ગામમાં ચાલું ડાયરામાં અચાનક તબિયત ખરાબ થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. અહીં ઉલ્લેખનિય છે કે માયાભાઈ આહિરને પ્રોગ્રામ દરમ્યાન અચાનક તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા ડાયરાના કાર્યક્રમને પડતો મુકી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટર્સની દેખરેખ હેઠળ તેમને રાખવામાં આવ્યા હતા.

જો કે હવે માયાભાઈ આહિરની હેલ્થ અપડેટને લઈને સારા સમાચાર મળી રહ્યા છે. માયાભાઈ આહિર એક વીડિયો મેસેજમાં તેમના ચાહકોને જણાવી રહ્યા છે કે કોઈ ચિંતા કરવા જેવી નથી, આપણે એકદમ રેડી છીએ. આ વીડિયો જોયા બાદ ગુજરાતના ડાયરાના ચાહકો અને ખાસ માયાભાઈ આહિરને પ્રેમ કરતી જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

અહીં ઉલ્લેખનિય છે કે માયાભાઈ આહિર તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. ચર્ચામાં રહેવા પાછળનું કારણ માયાભાઈ આહિરના નાના દીકરા જયરાજના લગ્ન છે. જયરાજના લગ્નમાં માયાભાઈ આહિરે મનમુકીને ખર્ચો કર્યો અને ખૂબ શાનદાર રીતે લગ્ન કર્યા હતા. માયાભાઈના પુત્રના લગ્નમાં કેટલીય મોટી હસ્તીઓ, નેતાઓ, કલાકારો સહિતના હજારો લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

વિવાદ પર કાર્યવાહી, રણવીર અલ્હાબાદિયાના ઘરે પહોંચી પોલીસની ટીમ

મુંબઈ: રણવીર અલ્હાબાદિયા પોતાની વાંધાજનક ટિપ્પણીઓને કારણે વિવાદમાં છે. તેમણે રામય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. યુટ્યુબરે માતા-પિતા અને પરિવાર વિશે અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ યુટ્યુબર રણવીર, કોમેડિયન સમય રૈના અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા અને શોના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે મુંબઈ પોલીસની ટીમ રણવીરના ઘરે પહોંચી ગઈ છે.

ટીમ યુટ્યુબર રણવીરના ઘરે પહોંચી

સમાચાર એજન્સી ANI અનુસાર, મુંબઈ પોલીસની એક ટીમ આજે મંગળવારે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના ઘરે પહોંચી છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં રણવીરની અશ્લીલ ટિપ્પણીઓ પર થયેલા હોબાળા વચ્ચે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ માહિતી આવવાની બાકી છે.

કડક કાર્યવાહીની માંગ

રણવીર અલ્હાબાદિયા એક પ્રખ્યાત યુટ્યુબર છે. તેમના યુટ્યુબ પોડકાસ્ટમાં તેઓ ફિલ્મ હસ્તીઓ અને વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો સાથે ચર્ચા કરતા જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામથી લઈને ટ્વિટર સુધી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની મજબૂત ફેન ફોલોઇંગ છે. પરંતુ, સમય રૈનાના શોમાં તેમણે તાજેતરમાં જે પ્રકારની ટિપ્પણીઓ કરી છે તેનાથી યુઝર્સ ગુસ્સે થયા છે. રણવીર અને સમય રૈના સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. ફિલ્મ ઉદ્યોગ અને રાજકીય વર્તુળોના સેલિબ્રિટીઓએ પણ રણવીરની ટિપ્પણીની ટીકા કરી છે.

વિવાદિત વિડિઓ દૂર કર્યો
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ બાબતે યુટ્યુબને નોટિસ જારી કરી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુન્ગોએ પણ વીડિયો દૂર કરવાની માંગ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુટ્યુબે આના પર કાર્યવાહી કરી છે અને તે વીડિયો હટાવી દીધો છે જેમાં આવી અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

આવકવેરા દરોડામાં દેવ ગ્રુપે 150 કરોડના બિનહિસાબી વ્યવહારોની કરી કબૂલાત

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા ગત શુક્રવારથી દેવ ગ્રુપના 15 સ્થળ પર દરોડા પાડ્યા છે. આ તપાસમાં અંતે દેવ ગ્રુપે સ્વીકાર્યું કે કંપનીએ 150 કરોડના બિનહિસાબી વ્યવહાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 3.5 કરોડની રોકડ મળી આવી છે. તેમજ રૂ. 2.45 કરોડનું 3 કિલો સોનું ઝડપાયું છે. આ ઉપરાંત 50 લાખ રોકડા અને રૂ. 50 લાખના દાગીના મળીને એક કરોડનો મુદ્દા માલ થોડા કલાકોમાં જ મળી આવ્યો છે. આવકવેરા અધિકારીઓ અંદાજે 16 લૉકર સીલ કર્યા છે. કંપનીએ કરેલા રૂ. 150 કરોડ સુધીના રોકાણની વિગતો પણ બહાર આવી છે.

અમદાવાદ, જામનગર, માળીયા અને મિયાણાના મળીને દેવ ગ્રુપની કંપની દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ, મૈત્રેયી ડેવલપર્સ, ડી.કે.એન્ટરપ્રાઈસ, અરિહંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ, વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૃપલ કિરણ વ્યાસના ઘર અને ઓફિસને આવરે લેવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટી લેવામાં આવી છે. કંપનીએ તેના હિસાબોમાં અંદાજે 25થી 30 કરોડના ખોટા ખર્ચાઓ બતાવીને પણ આવકવેરાની ચોરી કરી હોવાના દસ્તાવેજો પુરાવાઓ દરોડા પાડનારા અધિકારીઓએ શોધી કાઢ્યા છે.

દેવ ગ્રુપ નજીવી કિંમત ચૂકવીને 30 વર્ષે કે તેનાથી વધુ વર્ષના ભાડાં પટ્ટે જમીન લે છે. પરંતુ બે ચાર વરસે લાખો રૂયિયાના ભાવ વસૂલીને લીઝ પર લીધેલી જમીન વેચીને પણ મોટી આવક કરતી હોવાનું આાવકવેરાના દરોડામાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કંપનીઓ વેરો બચાવવા માટે કરોડોના મૂલ્યના વગર બિલના વેચાણ કર્યા હોવાનું પણ ઈન્કમટેક્સ દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે. કંપનીએ સોલ્યમાંથી લિક્વિડ બ્રોમાઈન બનાવીને ઔદ્યોગિક વપરાશકારોને વગર બિલે વેચાણ કર્યું હોવાનું પણ બહાર આવી રહ્યું છે. રોકડની આવકો અને રોકડના ખર્ચ મોટે પાયે કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે. દેવ ગ્રુપના પ્રમોટર્સ બિલ વિના કરવામાં આવતા સોલ્ટના વેપારના નાણાં હોસ્પિટાલિટીના તથા અન્ય બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.