Home Blog Page 1209

જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પહેલાં સેન્સેક્સ, નિફ્ટીમાં તેજી

અમદાવાદઃ ઘરેલુ શેરબજારોમાં સતત બીજા દિવસે તેજી થઈ હતી. US ફેડરલ રિઝર્વના વ્યાજદરના નિર્ણય પહેલાં અને કેન્દ્રીય બજેટ પહેલાં શેરોમાં તેજી થઈ હતી. IT અને ફાઇનાન્શિયલ શેરોની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડનો વધારો થયો હતો.

સ્થાનિક બજારમાં જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પહેલાં તેજી થઈ હતી, જેથી સેન્સેક્સ 631.55 પોઇન્ટ વધીને 76,532.96એ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 205.85 પોઇન્ટની તેજી સાથે 23,163.10ના મથાળે બંધ થયો હતો. આ સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. જોકે FMCG શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી.

સ્થાનિક બજારમાં નિફ્ટીના 50માંથી 27 શેરોમાં તેજી થઈ હતી. સેન્સેક્સના 30માંથી 21 શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી બેન્કમાં 12માંથી આઠ શેરોમાં ઘટાડો થયો હતો. ડોલરની તુલનાએ રૂપિયો 26 પૈસા મજબૂત થઈને 86.32ના સ્તરે બંધ થયો હતો. સ્થાનિક બજારમાં રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં કાપ મૂકાવાનો આશાવાદ પ્રવર્તતો હતો. આ સાથે અગ્રણી કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક આવતાં શેરોમાં તેજી થઈ હતી.

આ સાથે US ફેડરલની 28-29 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં બેન્ક દર  અંગે શો નિર્ણય કરે છે એના પર બજારની શક્યતા છે, એમ નિષ્ણાતોનું માનવું છે. આ ઉપરાંત વિશ્વના બજારો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ પર બાજ નજર રાખી રહ્યા છે.

BSE એક્સચેન્જ પર કુલ 4082 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2979 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1009 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 94 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 52 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 149 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

દોરીની આડમાં ડ્રગ્સ! ભારતથી અમેરિકામાં દોરીના જથ્થામાં 70 હજાર નશીલી દવાઓ મળી

ભારત અમેરિકા વચ્ચે દવા દોરી સહિત કેટલીક એવી જેની અવર જવર થતી હોય છે. હાલમાં દોરીની આડમાં 70 હજાર નસીલી દાવાઓ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દવાની કિંમત 33,000 અમેરિકન ડોલર હોવાનું કહેવાય છે. અમેરિકાના કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગે આ માહિતી આપી છે. વિભાગનું કહેવું છે કે  દોરીનાં કન્સાઇનમેન્ટમાંથી આ દવા મળી આવી છે. જે કેલિફોર્નિયાના બ્યુના પાર્કમાં એક સરનામે મોકલવાની હતી. અમેરિકામાં આ દવાના ઉપયોગ પર પ્રતિબંધ છે અને તબીબી સલાહ વિના તેને ખરીદવા કે તેનું સેવન કરવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં આ ડ્રગ્સની તસ્કરીનો મામલો પણ હોઈ શકે છે. દોરીના માલમાં આવી દવા મળવી ચિંતાનો વિષય છે.

ઝોલ્પીડેમ ટર્ટ્રેટ નામની આ દવા ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિયંત્રિત પદાર્થોની યાદીમાં સામેલ છે. આ માદક દ્રવ્યોમાં આવે છે અને ક્યારેક લોકો તેનો ઉપયોગ ઊંઘ માટે પણ કરે છે. ડ્રગ્સની લત ધરાવતા લોકો પણ આ દવા ખરીદે છે. આ દવા ડોકટરો દર્દીઓને અનિદ્રાની સારવાર માટે સૂચવે છે. પરંતુ ઘણીવાર તેમના દુરુપયોગ અંગે પણ ફરિયાદો મળે છે. આ કારણે તેમના વેચાણને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. 17મી ડિસેમ્બર 2024ના રોજ વોશિંગ્ટન ડલ્સ એરપોર્ટ નજીક એક એર કાર્ગો વેરહાઉસમાં CBP અધિકારીઓએ દોરીનાં 96 રોલ્સના શિપમેન્ટની તપાસ કરી. અહેવાલો અનુસાર, દોરીનાં 96 સ્પૂલમાંથી દરેકમાં છુપાયેલી કુલ  69,813 દવા મળી આવી હતી. આ યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટી માત્રામાં પ્રિસ્ક્રિપ્શન દવાઓની દાણચોરી કરવાનો પ્રયાસ હતો પરંતુ તમામ પ્રયાસો છતાં, યુએસ અધિકારીઓ પાસેથી દવાને બચાવી શકાઈ નથી.નોંધનિય છે કે,રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ડ્રગ્સની તસ્કરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ મામલે ચીન, મેક્સિકો અને કેનેડા પર નિશાન સાધ્યું હતું.

રાજસ્થાનમાંથી રૂ. 2000 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ

જયપુરઃ રાજસ્થાનમાં રૂ. 2000 કરોડથી વધુની સાયબર છેતરપિંડીમાં સામેલ એક ગેન્ગનો પર્દાફાશ કર્યો છે. આ ગેન્ગના મુખ્ય આરોપીની શ્રીગંગાનગરથી ધરપકડ કરી લેવામાં આવી છે. દેશમાં આરોપીઓની વિરુદ્ધ સાયબર છેતરપિંડીની અનેક ફરિયાદો મળી હતી. કર્ણાટકથી મોટી સંખ્યામાં ફરિયાદો મળી હતી.

રાજસ્થાનમાંથી પોલીસે મુખ્ય આરોપી અજય આર્યની ધરપકડ કરવામાં આવી છે, જે કેપ્મોરેફસ કંપનીના ડિરેક્ટર અને સાયબર ગેન્ગનો સરગણા છે. પોલીસના જણાવ્યાનુસાર દેશભરમાંથી આરોપીઓ વિરુદ્ધ સાયબર છેતરપિંડીની અનેક ફરિયાદો મળી છે.

ગંગાનગર જિલ્લા પોલીસ સુપરિટેન્ડેટ ગૌરવ યાદવે જણાવ્યું હતું કે કર્ણાટકનિવાસી કંટપ્પા બાબુ ચવ્હાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અજય આર્ય અને તેના સાથીઓએ કર્ણાટકની કેપમોરએફએક્સ કંપનીમાં લાખ્ખો રૂપિયાનું મૂડીરોકાણ કરીને હજ્જારો લોકોથી આશરે રૂ. 2000 કરોડની સાયબર છેતરપિંડી કરી હતી. ત્યાર બાદ તે શ્રીગંગાનગર આવી ગયો હતો.

પોલીસ ટીમે આર્યના ઘરે દરોડા પાડીને તેની ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન રૂ. 10 લાખ રોકડ, ત્રણ CPU, છ મોબાઇલ, આઠ ATM કાર્ડ, ત્રણ પેન કાર્ડ અને આશરે રૂ. 85 લાખની કિંમતની લક્ઝરી કાર અને સાયબર છેતરપિંડીથી જોડાયેલા અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા હતા. પોલીસે અજય આર્ય, દીપક આર્ય, સૌરભ ચાવલા, તેની પત્ની સલોની ચાવલા, કરમજિત સિંહ, બલજિત સિંહ અને રાજેન્દ્ર સિંહની વિરુદ્ધ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ચારૂસેટ કેમ્પસનો 25મો સ્થાપના દિન, રજત જયંતિ પર્વની ભવ્ય ઉજવણી

ચાંગા: ચારુસેટ કેમ્પસ છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે માર્ગદર્શક અને ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે ગુજરાતભરમાં અગ્રેસર છે. વર્ષ 2000 થી કેળવણીની કંડારેલી કેડી આજે રાજપથ બની છે અને દુનિયાભરમાં ‘A+’ grade ચારુસેટ યુનિવર્સિટી તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે. શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચારુસેટ કેમ્પસના રજત જયંતી પર્વ નિમિત્તે 25મો સ્થાપના દિન 28 જાન્યુઆરી, મંગળવારે ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ પદે SERB-સાયન્સ એન્ડ એન્જિનીયરીંગ રિસર્ચ બોર્ડના પ્રતિષ્ઠિત ફેલો અને INSA  -ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વિજ્ઞાની પ્રો.ટી.પી.સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળ, માતૃસંસ્થા, અને CHRFના મંત્રી ડો.એમ.સી.પટેલ, માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખ નગીનભાઈ પટેલ, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ સી.એ.પટેલ, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ અશોક પટેલ, કેળવણી મંડળના વાઈસ પ્રેસિડન્ટ કિરણભાઈ પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી મઘુબેન પટેલ, જોઈન્ટ સેક્રેટરી  અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી ધીરુભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી ગીરીશભાઈ બી. પટેલ, કેળવણી મંડળના ટ્રેઝરર ગીરીશભાઈ સી. પટેલ, ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલ, પ્રિ.આર.વી.પટેલ, દાતા કનુભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો.આર.વી.ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો.અતુલ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળના પદાધિકારીઓ, હોદ્દેદારો, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, કોલેજોના પ્રિન્સિપાલ, વિભાગોના વડાઓ, સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.

શરૂઆતમાં ચારૂસેટના પ્રોવોસ્ટ ડો.આર.વી.ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન અને મુખ્ય મહેમાન પ્રો.ટી.પી.સિંગનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ તેમણે ચારૂસેટની 25 વર્ષની વિકાસગાથા અને ઉપલબ્ધીઓ વર્ણવી હતી. ત્યાર બાદ વિવિધ 6 કેટેગરીના એવોર્ડ્સ યાદી અંતર્ગત ચારૂસેટ રિસર્ચ પેપર એવોર્ડ 150, ચારૂસેટ પેટન્ટ એવોર્ડ 1, એપ્રીશિએશન ટુ ધ ટોપ 2% સાયન્ટીસ્ટસ 3, એન્ડ્યુરિંગ કમિટમેન્ટ એવોર્ડ 8, એપ્રીશિએશન ફોર રીસર્ચ પ્રોજેકટસ 9, એલમની એપ્રીશિએશન એવોર્ડસ 9 એનાયત કરવામાં આવ્યા હતા. પ્રોવોસ્ટ ડો.આર.વી.ઉપાધ્યાયે ઈસરોના રૂ. 16 કરોડના પ્રોજેક્ટમાં કો-ઇન્વેસ્ટીગેટર તરીકે ડો.તૃષિત ઉપાધ્યાયની નિમણુક અને  ડી એસ. ટી દ્વારા રૂ. 8.27 કરોડની પર્સગ્રાન્ટ પ્રાપ્ત કરનાર ચારુસેટની સિધ્ધિને બિરદાવી હતી. આ પ્રસંગે રોબોફેસ્ટમાં નેશનલ લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રૂ. 10 લાખનું ઇનામ જીતનાર 3 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્ય અતિથિ પ્રો.ટી.પી.સિંહે 25 વર્ષની સિદ્ધિ બદલ ચારૂસેટને અને રિસર્ચ ફેકલ્ટીને એવોર્ડ પ્રાપ્ત કરવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે વિવિધ રિસર્ચ અને ઇનોવેશન થકી સમાજમાં અને દેશમાં ક્રાંતિ આવે છે. દેશના વિકાસમાં સંશોધકોનું માતબર પ્રદાન છે ત્યારે ભવિષ્યમાં વધુ રિસર્ચ માટે સતત કાર્યરત રહેવા, અન્યોને રિસર્ચ માટે પ્રેરણા આપવા તેમજ વૈશ્વિક કક્ષાએ ચારૂસેટનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અગાઉ આ સ્થળે વગડો હતો આજે ગ્રીન કેમ્પસ છે જેના પાયામાં સુત્રધારો છોટાકાકા, ડો.કે.સી.કાકા, હોદ્દેદારો, દેશવિદેશના દાતાઓનો સાથ સહકાર અને અમુલ્ય પ્રદાન છે. સંશોધન થકી જ કોઈ યુનિવર્સિટી શ્રેષ્ઠ બની શકે છે એમ કહી તેમણે સંશોધકોને અભિનંદન આપ્યા હતા તેમજ સૌને શ્રેષ્ઠ યોગદાન આપી ચારૂસેટને સફળતાનાં શિખરે લઈ જવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચારૂસેટ કેમ્પસની કલ્પના કરવામાં આવી હતી. આ કલ્પનાને સાકાર કરતા વર્ષ 2000 ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ચાંગાની સ્થાપના કરવામાં આવી અને આજે ચારૂસેટ કેમ્પસ 25 વર્ષના ટૂંકા સમયગાળામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત છે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ  તેમજ ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ પ્રાપ્ત કરવા ઉપરાંત  નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) અને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ  ફ્રેમવર્ક (GSIRF) દ્વારા જેની ગણના ગુજરાતની શ્રેષ્ઠ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં થાય છે તે ચારૂસેટ રાષ્ટીય કક્ષાએ પ્રથમ હરોળની 20 યુનિવર્સીટીમાં સ્થાન પામવાની તેમજ વૈશ્વિક યુનિવર્સીટી બનવાની નેમ સેવે છે.  હાલમાં રૂ. 150 કરોડના ખર્ચે નિર્મિત ચારુસેટના 125 એકરના કેમ્પસમાં 7 ફેકલ્ટી અને 9 કોલેજો છે  જેમાં 10000થી  વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.  ચારુસેટ 72 યુ.જી. પી.જી. ડોક્ટરેટ પ્રોગ્રામ ઓફર કરે છે.

ICC T20 રેન્કિંગમાં વરુણ ચક્રવર્તીનો ટોપ-5 બોલરમાં સામેલ

નવી દિલ્હી: બુધવારે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા જાહેર કરાયેલ નવીનતમ રેન્કિંગમાં ભારતના સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. તેણે 25 સ્થાનનો મોટો ઉછાળો નોંધાવીને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં નંબર 5 બોલર બન્યો છે. તે જ સમયે, ઇંગ્લેન્ડના નિષ્ણાત લેગ સ્પિનર ​​આદિલ રશીદે ફરી એકવાર નંબર 1 બોલરના સિંહાસન પર કબજો જમાવ્યો છે. જ્યારે ભારતના તિલક વર્મા નંબર 2 બેટ્સમેન છે. તેની પાસે ટ્રેવિસ હેડને પાછળ છોડી દેવાની તક છે. તિલક બાબર આઝમનો રેકોર્ડ પણ તોડી શકે છે. ઇંગ્લેન્ડના સ્પિનર ​​આદિલ રશીદને ICC T20 બોલિંગ રેન્કિંગમાં તેના તાજેતરના પ્રભાવશાળી ફોર્મ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. રશીદ 2023ના અંતમાં પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય બોલરોના રેન્કિંગમાં નંબર 1 બન્યો. ગયા વર્ષના મોટાભાગના સમય સુધી તે ટોચ પર રહ્યો. જો કે હમણા નાતાલ પહેલાં અકીલ હુસૈને તેને પાછળ છોડી દીધો.

સરકારી શાળાના શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

પોરબંદરઃ શહેરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દુષ્કર્મ બાદ વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરતાં મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોહેલ વિપુલ નામના શિક્ષકે માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. શિક્ષણજગતને શરમજનક ઘટના બનતાં ચારેકોર ચકચાર મચી ગઈ છે.

મંડેર ગામે સરકારી શાળામાં ફરજ બજાવતા વિપુલ ગોહેલ નામના શિક્ષકે વિદ્યાર્થિનીને અડપલાં કર્યાં હોવાની જાણ પરિવારને કરવામાં આવતાં આ મામલો માધવપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ શિક્ષકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યાં માધવપુર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પર દુષ્કર્મ બનાવને બનતાં ગામમાં હંગામો થયો હતો અને લોકોમાં રોષ ભભૂકતો હતો. પોલીસનું કહેવું છે કે ફરિયાદ બાદ વધુ માહિતી બહાર આવશે તેવી ભીતિ વર્તાઈ રહી છે. મંડેર ગામની શાળામાં વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યાની વાત બહાર આવતાં માધવપુર પોલીસે શિક્ષક સામે 64 (2)I.F.M.,351(3) POCSO 4.6.8 હેઠળ ગુનો દાખલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ISPL 2: માઝી મુંબઈએ બીજી મેચમાં ફાલ્કન રાઇઝર્સને છ વિકેટે હરાવ્યું

મુંબઈ: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) સીઝન-2માં માઝી મુંબઈએ પોતાનું દમદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. માઝી મુંબઈએ પોતાની બીજી મેચમાં ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટથી હરાવ્યું છે. થાણેના દાદોજી કોંડાદેવ સ્ટેડિયમ ખાતે 28મી જાન્યુઆરી એ મેચ રમાય હતી. 66 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરતા, મુંબઈએ ફક્ત 7.3 ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.મુંબઈ માટે ઇનિંગ્સની શરૂઆત સારી રહી, ઓપનર મોહમ્મદ નદીમ અને રજત મુંધેએ પ્રથમ બે ઓવરમાં 24 રનની ભાગીદારી નોંધાવી.જો કે, ફાલ્કન્સે શાનદાર પેસ બોલિંગ દ્વારા વળતો પ્રહાર કર્યો, રજત મુંધે અને કરણ મોરને આઉટ કરીને તેઓ રમતમાં પાછા ફર્યા. હૈદરાબાદના ઝડપી બોલર પરવીન કુમારે છઠ્ઠી ઓવરમાં મહેન્દ્ર ચંદન અને મોહમ્મદ નદીમની વિકેટો મેળવીને મુંબઈના બેટ્સમેન પર દબાણ વધાર્યું. જો કે, અમિત નાઈક અને અભિષેક કુમાર દાલહોરે મુંબઈ માટે દમદાર હિટિંગ કરીને ટીમને મજબૂત બનાવી, 50-50 ચેલેન્જ ઓવરમાં બંન્નેની જોડીએ ભાગીદારી કરીને 14 રન બનાવ્યા હતા. જેનાથી મુંબઈની જીત પર અસર પડી. મુંબઈ માટે નદીમ સૌથી વધુ રન બનાવનાર બોલર હતો, તેણે ૧૮ બોલમાં ૨૫ રનનું યોગદાન આપ્યું, જ્યારે હૈદરાબાદ માટે પરવીન કુમારે ૨/૩ના આંકડા સાથે પ્રભાવિત કર્યા.હૈદરાબાદની ટીમ શરૂઆતમાં મુશ્કેલીમાં મુકાઈ હતી. તેમણે ઘણી વિકેટો ગુમાવી. ઓપનર પદ્મેશ મ્હાત્રે ફક્ત બે બોલ રમીને ફાસ્ટ બોલર રાજેન્દ્ર સિંહની ઓવરમાં મોટો ફટકો મારવા ગયો, પરંતુ વિજય પાવલે મિડ-ઓફ પર તેનો શાનદાર કેચ પકડી લીધો હતો. મન્સૂર કે.એલ. અને બીજા ઓપનર, કિસન સતપુતે, થોડા સમય પછી ફોલોઅપ બોલિંગ કરી, અનુક્રમે બીજી અને ત્રીજી ઓવરમાં તેમની પણ વિકેટ પડી ગઈ. જેના કારણે ફાલ્કન્સ ત્રણ ઓવર પછી 8/3 પર સંઘર્ષ કરી રહ્યું હતું.હૈદરાબાદની બાકીની બેટિંગ લાઇનઅપ પણ સારી બેટિંગ કરવામાં નિષ્ફળ ગઈ કારણ કે મુંબઈ નિયમિત અંતરાલે વિકેટ લેવાનું ચાલુ રાખ્યું. શ્રેયશ કદમ એકમાત્ર બેટ્સમેન હતો જેણે લડાઈ લડી હતી, તેણે માત્ર 13 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી અભિષેક કુમાર દાલ્હોર શાનદાર બોલિંગ કરી હતી. તેણે 25 રન આપીને 3 વિકેટ લીધી હતી અને તેના પ્રયાસો માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

GPSCનો સંભવિત ભરતી કાર્યક્રમ જાહેર, અલગ-અલગ વિભાગમાં 1751 જગ્યા માટે કરશે ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી વર્ષોમાં થનારી ભરતીને લઈ જાહેરાતનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો છે. GPSC દ્વારા આગામી વર્ષોમાં અલગ અલગ વિભાગોની 1751 જગ્યા પર ભરતી કરશે. જેની જાહેરાત આ વર્ષ દરમિયાન આવશે.

આયોગે ગુજરાત વહીવટી સેવા ક્લાસ-1, ગુજરાત મુલ્કી સેવા ક્લાસ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, ક્લાસ-2 માટે 100 જગ્યા, નાયબ સેક્શન અિધકારી અને નાયબ મામલતદાર (Dyso)ક્લાસ-૩ માટે 160 જગ્યા, અને રાજ્ય વેરા નિરીક્ષક (STI) ક્લાસ-૩ માટે 323 જગ્યાઓ, ગુજરાત શિક્ષણ સેવા, ક્લાસ-2 (વહીવટી શાખા) માટે 300 આ સિવાય મેડીકલ અને ઈજનેરી સેવાની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

ઓડિશા બિઝનેસ કોન્કલેવમાં આવશે રૂ. ત્રણ લાખ કરોડના રોકાણના પ્રસ્તાવ

નવી દિલ્હીઃ ઓડિશા સરકાર આજે ઉત્કર્ષ ઓડિશા, મેક ઇન ઓડિશા કોન્કલેવના બીજા દિને આશરે રૂ. 3 લાખ કરોડના મૂડીરોકાણ માટે કમસે કમ 30 સજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. રિન્યુએબલ એનર્જી, ઊર્જા, ફૂડ પ્રોસેસિંગ, પર્યટન અને કૃષિ જેવાં ક્ષેત્રોમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે, એમ તેમણે કહ્યું હતું.

ઉદ્યોગ વિભાગના એડિશનલ સચિવ (ACS) હેમંત શર્માએ કહ્યું હતું કે CMની મંજૂરી પછી બીજા સેશનમાં કેટલીક અન્ય કંપનીઓની સાથે સમજૂતી કરાર થવાની શક્યતા છે. વેપાર શિખર સંમેલનના પહેલા દિવસે સરકાર વિવધ કંપનીઓની સાથે 54 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કંપનીઓએ રાજ્યમાં રૂ. 4.50 લાખ કરોડના મૂડીરોકાણનો સંકલ્પ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અક્ષય ઊર્જા કંપની અવાડા ગ્રુપે ફ્લોટિંગ સોલર અને પમ્પ સ્ટોરેજ સહિત અક્ષય ઊર્જા પ્રોજેક્ટમાં રૂ. 20,700 કરોડના મૂડીરોકાણ માટે રાજ્યમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

અદાણી ગ્રુપની રૂ. 2.3 લાખ કરોડના રોકાણની જાહેરાત

ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્કલેવમાં અદાણી ગ્રુપે ઓડિશામાં વીજળી, સિમેન્ટ, ઓદ્યૌગિક પાર્ક, એલ્યુમિનિયમ અને શહેર ગેસ વિસ્તરણમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 2.3 લાખ કરોડના મૂડીરોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

PM મોદી ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા -મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ઓડિશા સરકાર દ્વારા આયોજિત આ મુખ્ય વૈશ્વિક રોકાણ સમિટનો હેતુ રાજ્યને પૂર્વોદય વિઝનના કેન્દ્ર તરીકે તેમ જ ભારતમાં મૂડીરોકાણના મુખ્ય સ્થળ અને ઔદ્યોગિક હબ તરીકે સ્થાન આપવાનો છે. આ ઉપરાંત વડા પ્રધાને મેક ઇન ઓડિશા પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

પરિણીતીને નેતા પતિ પર ઉભરાયો પ્રેમ, કરી આવી રીતે પ્રશંસા

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ઘણીવાર તેના પતિ રાઘવ ચઢ્ઢાના વખાણ કરતી જોવા મળે છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા રાજકારણમાં સતત ચર્ચામાં રહે છે. હવે પરિણીતીએ ગઈકાલે તેના પતિ રાઘવના વખાણ કરતી એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે રાઘવના ખૂબ વખાણ કર્યા છે. હકીકતમાં, રાઘવ ચઢ્ઢાએ ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલા શિયાળુ સત્ર દરમિયાન એરપોર્ટ પર ખાદ્યપદાર્થોના ઊંચા ભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો. જેમાં તેમણે મુસાફરોને ઊંચા ભાવે ખોરાક ખરીદવા માટે મજબૂર કરવાની વાત કરી હતી. રાઘવે આ મુદ્દા પર પોતાના મંતવ્યો મજબૂત રીતે વ્યક્ત કર્યા હતા. હવે તાજેતરમાં કોલકાતા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે શરૂ કરવામાં આવ્યું છે.

ચા અને કોફી ઓછી કિંમતે ઉપલબ્ધ

આ કાફેમાં ખાવા-પીવાના ભાવ પ્રવાસીઓ માટે ઘણા ઓછા રાખવામાં આવ્યા છે. પરિણીતી ચોપરાએ હવે આ શરૂઆત અંગે એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે રાઘવના ખૂબ વખાણ પણ કર્યા છે. એક વીડિયો શેર કરતા પરિણીતીએ લખ્યું,’મને તારા પર ખૂબ ગર્વ છે. તમે લોકોના સાચા નેતા છો અને વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા સક્ષમ છો. એરપોર્ટ પર મળતા મોંઘા ખોરાક અને પીણાંના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમારા અવાજે આ આખા મુદ્દાને જન્મ આપ્યો અને હવે પરિસ્થિતિ બદલાવા લાગી છે. એરપોર્ટ પર સસ્તા ખોરાક અને પીણાં પણ ઉપલબ્ધ છે.’

હવે એરપોર્ટ પર 10 રૂપિયામાં ચા મળે છે

તમને જણાવી દઈએ કે ગત વર્ષે ડિસેમ્બરમાં શિયાળુ સત્ર દરમિયાન રાઘવ ચઢ્ઢાએ એરપોર્ટ પર વેચાતી મોંઘી વસ્તુઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. હવે કોલકાતા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે નામનું રેસ્ટોરન્ટ શરૂ થયું છે. આ કાફેમાં 10 રૂપિયામાં ચા, 10 રૂપિયામાં પાણીની બોટલ અને 20 રૂપિયામાં સમોસા અને કોફી પીરસવાનું શરૂ થયું છે. એરપોર્ટ પર ઉપલબ્ધ ખાવા-પીવાના આ સૌથી ઓછા દર છે. ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુ કિંજરાપુએ પણ આ અંગે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે,’જ્યારથી મેં પદ સંભાળ્યું છે, ત્યારથી મારો ઉદ્દેશ્ય સામાન્ય માણસ માટે હવાઈ મુસાફરી સુલભ બનાવવાનો રહ્યો છે. હવે કોલકાતા એરપોર્ટથી સસ્તા ભાવે ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા શરૂ થઈ રહી છે.’