Home Blog Page 1213

ધોળકામાં 50 કરોડના ડ્રગ્સ ગોડાઉનનો પર્દાફાશ

અમદાવાદ: ગુજરાતમાં નસીલા પદાર્થનો ઝડપાવાના અવાર નવાર કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ થયો છે. પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ATS એ દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા. આશરે 50 કરોડની રકમનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખંભાતમાંથી સામે આવેલી ડ્રગ્સની ફેક્ટરીના તપાસનો રેલો ધોળકા પહોંચ્યો છે. ગુજરાત ATSએ ખંભાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. રો-મટિરિયલ ધોળકાના ગોડાઉનમાં હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું. આરોપીઓની બાતમીને આધારે ATSએ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ પણ મધ દરિયાથી માંડી મધ્ય ગુજરાતમાંથી અલગ અલગ જગ્યા કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાય ગયું છે. પોલીસની સમય સુચકતાને લઈ ડ્રગ્સના દુષણને ડામ માટે ગુજરાત પોલસી મહદઅંશે સફળ પણ રહ્યુ છે. ધોળકામાંથી પણ 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. આ પહેલા ખંભાતમાંથી પણ 100 કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું, જો કે, અત્યારે ATS સઘન તપાસ કરી રહ્યું છે. જેના કારણે ગનેગારોમાં પણ ભયનો માહોલ છવાયો છે. અત્યારે ATSએ દેવમ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યાં હતાં, જ્યાં પુલેન ચોકડી વિસ્તારમાંથી આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. રણજિત ડાભી નામના આરોપીનાં ગોડાઉનમાંથી ડ્રગ્સ મળી આવ્યું હોવાની માહિતી છે.

ત્યારે બીજી બાજું ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર રવિવાર બપોર બાદ એક દારૂ ભરેલી ગાડી અચાનક પલટી મારી ગઇ હતી.જેના કારણે ગાડીમાં રહેલી દારૂની બોટલો રોડ પર વેરાઈ ગઈ હતી.જેથી નજીક રહેતા લોકોનાં ટોળાંએ દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી. આસપાસ ઉભેલા કેટલાક સ્થાનિક લોકોએ વીડિયો ઉતારી ”બિયર ઉપાડો, મોજ કરો”ની બુમો પાડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભાભર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે રોડ પરથી દારૂની બોટલો કબજે લીધી અને ટ્રેક્ટરની મદદથી અકસ્માતગ્રસ્ત ગાડીને રોડની સાઈડમાં ખસેડી હતી. પોલીસે રૂપિયા 69,540 ની કિંમતની 514 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. ગાડી સહિત રૂપિયા 5,69,540 નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થયેલા ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

લગ્નમાં અવિશ્વાસની દરખાસ્ત ‘પ્રિનઅપ એગ્રીમેન્ટ’

દર્શિતા, તું પાગલ થઈ ગઈ છે કે શું? તને ખબર છે ને તારા લગ્નને હવે એક મહિનો જ બાકી છે? તો પણ આવા નખરા કરે છે. જીજ્ઞાબહેન દીકરી પર ગુસ્સો કરતા બોલ્યા, પણ મમ્મી તું સમજ, દીદીએ જો મારા જેમ સમજદારીનું કામ કર્યું હોત તો જીજુ એને હેરાન ન કરતા અને આજે એ પોતાના ઘરે હોત. અરે ગાંડી છોકરી તારુ મગજ બંધ થઈ ગયું છે. તારા પપ્પાને ખબર પડશે તો તને મારી નાખશે… એટલું બોલતાં જીજ્ઞાબહેનનો અવાજ ભારે થઈ ગયો.

પણ દર્શિતા પોતાનો જ આલાપ ગાઈ રહી હતી. મમ્મી આજનો જમાનો અલગ છે, હવે તો પ્રિનઅપ એગ્રીમેન્ટ કરીને લગ્ન કરવાનું એક ચલણ છે. એનાથી લગ્નજીવન વધારે સારું બને. તમે ન સમજી શકો. પ્લીઝ આ મારી જીંદગી છે. તમે બધા એને ખરાબ ન કરો.

હવે જીજ્ઞાબહેનના મગજનો પારો ગયો. સોફા પરથી ઉભા થઇને દીકરીનો હાથ પકડતાં બોલ્યા કે, નિયમ અમારી પસંદ છે? તું એને પ્રેમ કરતી હતી, અમને છોકરો, પરિવાર બધું સારું લાગ્યું તો અમે તારા પ્રેમલગ્ન માટે તૈયાર થઈ ગયા. હવે જ્યારે બધું બરાબર છે, તો એમાં તારા આ એગ્રીમેન્ટને વચ્ચે નાખે છે, શરમ છે કે નહીં તારામાં? લગ્ન છે કોઈ સોદો નથી કે શર્તો પર સહી કરવાની હોય. તે વિચાર્યુ છે કે તારા આ એગ્રીમેન્ટની વાતની જાણ નિયમ અને એના પરિવારને થશે ત્યારે એ લોકોને કેટલું દુઃખ થશે. જેને પ્રેમ કર્યો એના પર જ જો તને વિશ્વાસ નથી તો પછી લગ્ન જ ન કરીશ, મમ્મીના શબ્દો સાંભળી દર્શિતા એકદમ સ્તબ્ધ થઈ ગઈ.

દર્શિતાને પોતાની ભૂલ સમજાઈ અને એને એગ્રીમેન્ટના કાગળ ફાડી નાંખ્યા. પણ સવાલ એ થાય કે શું ખરેખર લગ્ન જેવા સાંસ્કૃતિક સંસ્કાર પણ શરતોને આધિન બની ગયા છે. લગ્ન સંબંધ હવે પ્રિનપશલ કરાર એટલે પ્રિનઅપ એગ્રીમેન્ટ આધારિત બની ગયા છે.

શું છે પ્રિનઅપ એગ્રીમેન્ટ ?

‘કોઈ શરત હોતી નહીં પ્યાર મેં મગર પ્યાર શરતો સે તુમને કિયા.’ આ વાતને જો થોડી જુદી રીતે લખીએ તો, લગ્ન કોઈ શરત આધારિત એગ્રીમેન્ટ નથી. પણ હવે લગ્નમાં પણ શરતોનો  દાવ લાગે છે. લગ્ન પહેલાં લાખોના ખર્ચે ડેસ્ટિનેશન પ્રિ-વેડિંગ કરતા કપલને જોઇ કોઈને જરાય ખ્યાલ ન આવે કે આ કપલ જે થોડા દિવસોમાં એકબીજાના લાઈફ પાર્ટનર બનવાના છે. એમને એક-બીજા પર વિશ્વાસ જ નથી. જેના કારણે એમણે લગ્ન પહેલા જ પ્રિનઅપ એગ્રીમેન્ટ કર્યો છે.

પ્રિનઅપ કરાર વિશે ડીટેલમાં વાત કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે આખરે આ કરાર છે શું ?

જયારે કોઈ યુગલ કે જે લગ્ન કરવા જઈ રહ્યા છે એ  લગ્નની જવાબદારી અંગે કોઈ કરાર કરે છે ત્યારે એને ચોક્કસ કરાર, પ્રિન્યુપ્શિયલ એગ્રીમેન્ટ અથવા પ્રિનઅપ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે

કાયદો શું કહે છે?

ભારતીય કાનૂની પ્રણાલી અનુસાર, આ કરાર ન તો સંપૂર્ણપણે માન્ય છે કે ન તો કાયદામાં રદબાતલ છે. ભારતીય સંસ્કૃતિની વિભાવના મુજબ, પ્રિનઅપ એગ્રીમેન્ટનો ખ્યાલ યુગલો માટે ખૂબ જ નવો છે. ભારતમાં  લગ્ન કરતા પહેલા બે વ્યક્તિઓ માટે લગ્ન પૂર્વેનો કરાર કરવો ખૂબ જ દુર્લભ છે, પરંતુ પશ્ચિમી દેશોમાં પ્રિનઅપ એગ્રીમેન્ટનો આ વિચાર સાવ સામાન્ય છે અને ત્યાં લગભગ દરેક જણ આ કરાર કરે છે.

ભારતમાં લગ્ન એ કોઈ એક પ્રકારનો કરાર નથી,  જેથી હિન્દુ મેરેજ એક્ટ 1955 પ્રમાણે પ્રિનઅપ એગ્રીમેન્ટ માન્ય હોઈ શકે, પરંતુ એ ભારતીય કરાર અધિનિયમ 1872ના દાયરામાં આવે છે કારણ કે પ્રિનઅપ એ બે પક્ષો વચ્ચે એક પ્રકારનો કરાર છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદ ફેમિલી કોર્ટના વકીલ પૂજા પ્રજાપતિ કહે છે, “સામાન્ય વાતોના કરાર તો ઠીક, પરંતુ હવે યુવાનો લગ્ન પહેલાં કન્ડિશન કરાર કરતા હોય છે. જેમ કે વીકમાં એક વખત હું ડ્રિન્ક કરીશ કે પાર્ટી કરીને આવીશ તો તું દખલગીરી નહીં કરે, યુવતીઓ પોતાની કિટી પાર્ટી, મિત્ર વર્તુળને મળવા પર રોકટોક નહીં લાગે એવો કરાર કરાવે છે. એકબીજાના ફોન ચેક નહીં કરવાનો કે ઉપાડવાના નહીં, લગ્નજીવન સારું ન ચાલે તો સમજૂતીથી છૂટાછેડા લઈશું, આ સમય દરમિયાન બાળક આવે તો ખર્ચ અડધો અડધો ભોગવીશું, જેઠાણી કામ નહીં બતાવે, ટૂંકમાં એવી દરેક બાબતોનો કરાર કરે છે, જેમાં બંધાવવાનું પણ નહીં અને જવાબદારી પણ ન આવે. લગ્ન પછી પોતાની જવાબદારી માંથી છૂટા થવા માટેનો યુવાનો આ વે અપનાવી રહ્યા છે.”

આ કારણે પણ થાય છે એગ્રીમેન્ટ

ઘણીવાર સારા પ્રોફેશન સાથે જોડાયેલા અને સમાજમાં સમજદાર ઘણાતા લોકો પણ લગ્ન પહેલા પ્રિનઅપ એગ્રીમેન્ટ કરે છે. આવા જ એક કિસ્સાની ચર્ચા કરતા એડવોકેટ પૂજાબહેન કહે છે, “અમારી સાથે જ એક વકીલ ભાઈ છે એમણે લગ્ન પહેલા પ્રિનઅપ એગ્રીમેન્ટ કરવાનું નક્કી કર્યું છે. એમને એવો ડર છે કે લગ્ન પછી પત્ની મને અલગ રહેવાનું કહેશે તો, અથવા મારી સાથે ખોટી માથાકૂટ કરી છુટાછેડાનો કેસ ફાઇલ કરી ખોટી રીતે ખાધાખોરાકી માગશે તો..આવા ખોટા ડરના કારણે એ વકીલભાઈએ નક્કી કર્યુ છે કે લગ્ન કરવા તો પ્રિનઅપ એગ્રીમેન્ટ સાથે જ.”

વીરમગામના એક પરિવારની તો વાત જ જુદી છે. આ કિસ્સામાં જે રીતે પ્રિનઅપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે એ રીતે તો ભાગ્યે જ કોઈ જગ્યાએ થયો હશે. વાત જાણે એમ હતી કે રમીલાબહેન ઠાકોર અને એમના પતિ નિલેશભાઈ ઠાકોર(નામ બદલ્યા છે) લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહેતા. રોજબરોજ નાની મોટી માથાકૂટ થયા કરતી. પરંતુ આ બંનેના લગ્નની ગાડી પાટા પર ચાલી જતી. એમાં એક દિવસ ખબર પડી કે ગીતાબહેન પ્રેગનેન્ટ છે. ઘરમાં તો ખુશીની લહેર આવી ગઈ. જોતજોતામાં નવ મહિના પુરા થયા અને બાળક આવ્યું. થોડો સમય બધું ઠીક રહ્યું પણ ફરી પાછા ઘર કંકાસ શરૂ થયા. મહિલા સાસરીયા વિરુદ્ધ 498ની કલમ અને 125 ભરણપોષણની કલમ લગાવી. કેસ કોર્ટમાં ચાલવા લાગ્યો, મુદત પડી, એ દરમિયાન પતિ-પત્નીને  એકબીજા સાથે ફરી પ્રેમ થયો અને નક્કી કર્યુ કે હવે આપણે સાથે જ રહીશું. આ કિસ્સામાં વકીલની સલાહ લઈને બંને પ્રિનઅપ એગ્રીમેન્ટ કર્યો.

આ બાબતોનો કરવામાં આવે છે ઉલ્લેખ..

પ્રિન્યુપશિયલ એગ્રીમેન્ટમાં સામાન્ય રીતે એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. જેમાં બંને પક્ષની મંજૂરી હોય. જેમ કે સંપત્તિ અને જવાબદારીની સરખી વહેંચણી, જવાબદારી પ્રમાણે સરખો વ્યવહાર કરવો, જ્યારે બાળક આવે તો એની દેખરેખ બંને જણાની પ્રાથમિક્તા, લગ્ન પહેલા કોઈ લોન લીધી હોય તો એની ચોખવટ,  સંયુક્ત મિલકત ખરીદી કરવામાં આવે તો એની સ્પષ્ટતા, વ્યક્તિગત મિલકતમાં હક દાવો નહીં, જો બંને નોકરી કરતા હોય તો ઘરનો કુલ ખર્ચ બે ભાગમાં વહેંચાશે, આ ઉપરાંત લગ્ન પહેલા બંને પક્ષની નાણાકીય સ્થિતિ દર્શાવતી બાબતો પણ લખવામાં આવે છે.

સામાન્ય રીતે પ્રિનઅપ એગ્રીમેન્ટ 300 રૂપિયાના સ્ટેમ્પ પર કરવામાં આવે છે. જેમાં બંને પક્ષની સહી કરવામાં આવે છે. જો કે એક વાત એ પણ છે. કે પ્રિનઅપ એગ્રીમેન્ટ કાયદાકીય રીતે માન્ય નથી ગણાતો. પરંતુ હા લગ્ન પછી જો કોઈ કારણોસર વાત ડિવોર્સ સુધી પહોંચે  તો આ એગ્રીમેન્ટને એક પુરાવા તરીકે જોઈ શકાય છે. ટૂંકમાં પ્રિનઅપ એગ્રીમેન્ટનું મૂલ્ય સમજૂતીના મેમોરેન્ડમ જેટલું જ છે.

કરાર આધારિત લગ્નોમાં એક પ્રકારનો ડર છુપાયેલો છે

યુવાનો પ્રિનઅપ એગ્રીમેન્ટને લઈને હવે ગંભીર બની રહ્યાં છે, જેની પાછળનું એક કારણ છુટાછેટા પણ છે. છેલ્લા પાંચ વર્ષમાં ડિવોર્સના કેસમાં લગભગ 40 ટકા વધારો થયો છે. છૂટાછેડાના દરમાં ભારે વધારાના કારણે પ્રિનઅપ કરાર લગ્ન માટે આદરપૂર્ણ કલ્પના માનવામાં આવે છે. વિદેશની વાત કરીએ તો માત્ર ઑસ્ટ્રેલિયામાં, 60% લગ્ન પહેલા પ્રિનઅપ કરાર કરે છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં છૂટાછેડાના 63% વકીલો માને છે કે બે વર્ષમાં લગ્ન પહેલાના કરારમાં વધારો થયો છે.

સામાજીક કાર્યકર અને એડવોકેટ વૈદેહી મોદી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, “પ્રિનઅપ એગ્રીમેન્ટ આમ તો આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને લગ્નના પવિત્ર બંધનને બદનામ કરતો એગ્રીમેન્ટ છે. છતાં આજે અનેક લોકો આવા કરાર કરવામાં શાન સમજે છે. યુવાનો આ એગ્રીમેન્ટમાં અનેક શરતો રાખે છે, જેમ બંને જણા બહારગામ નોકરી કરતા હોય તો એક વીકએન્ડ સાસરીમાં અને એક વીકએન્ડ પીયરમાં રહેવાનું, પત્નીના માતા-પિતા સાથે કમસેકમ મહિનામાં બે વખત ટેલીફોનિક વાતચીત કરવાની જ. બંને જણાને એકબીજાના પારિવારીક પ્રસંગોમાં સાથે જવાનું, એક બીજાનું સમ્માન જાળવવું એક બીજાના પૈસા પર હક નહીં કરવાનો, જેવા અનેક નિયમો કાગળ પર ઉતારે છે. જો કે મારું અંગત માનવું છે કે આવા કરાર આધારિત લગ્નોમાં એક પ્રકારનો ડર છુપાયેલો હોય છે. ક્યારેક કરારના કારણે જ છુટા પડવાનો પણ વારો આવે છે.”

સંતાનોની ખુશી માટે પરિવાર માને છે

જ્યારે ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ તો વધ્યું છે છતાં એને સામાજિક કલંક માનવામાં આવે છે. તદુપરાંત, આવા કરારો વ્યવસાયિક સોદા જેવા લાગે છે અને પરિવારો આવા કરારોમાં પ્રવેશવામાં અસ્વસ્થતા અનુભવે છે.બીજી બાજુ મોટા ભાગના લોકો માને છે કે આવી પ્રણાલીઓ ફક્ત શ્રીમંત લોકો માટે જ છે.

સુરતના વિવાહ મેરેજ બ્યુરોના ઓનર ચાંદની દલાલ ચિત્રલેખા.કોમને કહે છે, “આજકાલની યુવા પેઢીને લગ્ન જેવા પવિત્ર બંધન પર જાણે કે વિશ્વાસ જ નથી રહ્યો. અમારા ત્યાં ઉચ્ચ જ્ઞાતિ અને સારા પરિવારના બાયોડેટા આવે છે. સામાન્ય રજૂઆતો હોવી એક વાત છે અને તમારી વાતોને પેપર પર લખી શરતો મુકવી બીજી વાત. પરંતુ મારે કહેવું પડશે કે હા અમારે ત્યાં આવતા ઘણા લોકો પ્રિનઅપ એગ્રીમેન્ટ, લગ્ન પહેલા મેડિકલ ચેકઅપ જેવી અનેક શરતો રાખે છે. પરિવાર આવી વાતોમાં રાજી નથી હોતા. પરંતુ સંતાનોની ખુશી માટે આવા કરાર પર મહોર મારે છે.

વિદેશના એક યુવકના બાયોડેટા મારી પાસે આવ્યા હતા, એને આવા કરાર વિશે વાત કરી હતી, એને ડર હતો કે લગ્ન પછી કદાચ ખોટી રીતે પત્ની હેરાન કરી મિલકત પર હક કરે તો. અને આવા કિસ્સા સમાજમાં જોવા પણ મળે છે. હકીકતમાં મહિલાઓના રક્ષણ માટે બનાવેલા કાયદાનો ઘણી મહિલાઓ ખોટો ઉપયોગ કરે છે. માટે ઘણા યુવકો લગ્ન પહેલા આવા કરાર કરવાનું વિચારે છે.”

હેતલ રાવ

ભારતમાં લાઈવ કોન્સર્ટ માટે ઘણી તકો છે : PM મોદી

PM મોદી મંગળવારે ઓડિશા પહોંચ્યા, જ્યાં તેમણે ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ તાજેતરમાં મુંબઈ અને અમદાવાદમાં આયોજિત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટની સફળતા અંગે પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે, કોલ્ડપ્લે કોન્સર્ટની સફળતા દર્શાવે છે કે ભારતમાં લાઇવ કોન્સર્ટ માટે ઘણી તકો છે.

ઓડિશામાં કોન્ક્લેવને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, છેલ્લા કેટલાક દિવસોમાં તમે મુંબઈ અને અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની અદ્ભુત તસવીરો જોઈ હશે. આ ભારતમાં લાઈવ કોન્સર્ટ માટે કેટલો અવકાશ છે તેનો પુરાવો છે.

પ્રધાનમંત્રીએ કોન્સર્ટ ઇકોનોમીના ફાયદાઓ ગણાવ્યા

પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના મહાન કલાકારો પણ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યા છે. કોન્સર્ટ અર્થતંત્ર પણ પ્રવાસનને વેગ આપે છે અને મોટી સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન કરે છે. હું રાજ્યો અને ખાનગી ક્ષેત્રને એક સુસંગઠિત અર્થતંત્ર માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે ભારતનો સાંસ્કૃતિક વારસો, મોટી યુવા વસ્તી અને દેશમાં લાઇવ ઇવેન્ટ્સની માંગ ભારતને લાઇવ કોન્સર્ટ માટે વધુ સારું સ્થળ બનાવે છે. તાજેતરના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો મોટી સંખ્યામાં વેચાઈ હતી, જે ભારતમાં લાઈવ કોન્સર્ટની સંભાવનાને ઉજાગર કરે છે.

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાયો

કોલ્ડપ્લે એક પ્રખ્યાત બ્રિટિશ મ્યુઝિક બેન્ડ છે. જે આ દિવસોમાં ભારતમાં લાઈવ કોન્સર્ટ કરી રહ્યા છે. કોલ્ડપ્લેનો ક્રેઝ આખા ભારતમાં જોવા મળે છે. બેન્ડે પહેલા મુંબઈમાં અને પછી અમદાવાદમાં કોન્સર્ટ કર્યા. 26 જાન્યુઆરીના રોજ, બેન્ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક કોન્સર્ટ રજૂ કર્યો, જેમાં ચાહકોની મોટી ભીડ હાજર રહી. કોન્સર્ટની ટિકિટો તરત જ વેચાઈ ગઈ.

કોન્સર્ટમાં લોકોનો ક્રેઝ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો અને માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અન્ય શહેરોમાંથી પણ લોકો બેન્ડને સાંભળવા માટે એકઠા થયા હતા. આ બેન્ડે ગયા વર્ષે તેના ભારત પ્રવાસની જાહેરાત કરી હતી અને ત્યારથી લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમદાવાદ પહેલા, બેન્ડે મુંબઈમાં 3 કોન્સર્ટ કર્યા હતા અને ત્રણેય કોન્સર્ટમાં ભારે ભીડ જોવા મળી હતી. આ પહેલા, કોલ્ડપ્લે બેન્ડ 2016 માં ભારત આવ્યું હતું.

AIMIM નેતા તાહિર હુસૈનને ચૂંટણીપ્રચાર માટે શરતી જામીન મંજૂર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે AIMIM નેતા અને મુસ્તફાબાદ સીટથી ઉમેદવાર તાહિર હુસૈનને 29 જાન્યુઆરીથી ત્રીજી ફેબ્રુઆરી સુધી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે કસ્ટડી પેરોલ આપ્યા છે. તાહિર હુસૈન દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં બંધ છે.  

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે  હુસૈનને 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી દિવસના સમયે (જેલ મેન્યુઅલ મુજબ 12 કલાક માટે) ચૂંટણીપ્રચાર માટે મુક્ત કરવામાં આવશે. કોર્ટે હુસૈનને રૂ. 2.07 લાખ રૂપિયાની એડવાન્સ રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ બે દિવસનો પોલીસ સુરક્ષા ખર્ચ છે.

કોર્ટે તાહિરને આ કેસ પર ટિપ્પણી ન કરવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે તાહિર તેના ઘરે ​​​​​​(અહેવાલ મુજબ જ્યાં રમખાણો થયાં હતાં) નહીં જાય, જે મુસ્તફાબાદ મતવિસ્તારની નજીક છે. હુસૈન અને અધિકારીઓ એક હોટેલમાં જ રોકાશે.

સુપ્રીમ કોર્ટે તાહિર હુસૈનના વકીલને પૂછ્યું કે આ સિવાય બીજા કેટલા કેસ છે, જેમાં જામીન મળ્યા નથી. તેણે કહ્યું કે બે કેસમાં જામીન માટેની તેની અરજી ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ છે. જો કોર્ટ વચગાળાના જામીન આપશે તો તે ઘરે નહીં જાય, પરંતુ હોટેલમાં રહેશે.તાહિર હુસૈન દિલ્હી રમખાણોના આરોપમાં 4 વર્ષ 9 મહિનાથી જેલમાં છે. 22 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટની બે જજની બેંચ તાહિરની જામીન અરજી પર સર્વસંમતિ પર પહોંચી શકી ન હતી. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા તાહિરને જામીન આપવાની તરફેણમાં હતા, જ્યારે જસ્ટિસ પંકજ મિત્તલે અરજી ફગાવી દીધી હતી.

શ્રીલંકાના નૌકાદળે ભારતીય માછીમારો પર કર્યો ગોળીબાર

મંગળવારે સવારે શ્રીલંકાના નૌકાદળે ડેલ્ફ્ટ ટાપુ નજીક ગોળીબાર કર્યો અને 13 માછીમારોની અટકાયત કરી. માછીમારોને અટકાયતમાં લેતી વખતે શ્રીલંકાના નૌકાદળે પણ ગોળીબાર કર્યો, જેમાં પાંચ માછીમારો ઘાયલ થયા. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે અને શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવીને આ કાર્યવાહી સામે ઔપચારિક વિરોધ વ્યક્ત કર્યો છે.

આ કાર્યવાહીને અસ્વીકાર્ય ગણાવતા, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક 13 ભારતીય માછીમારોને પકડી લેતી વખતે શ્રીલંકાના નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર વિશે તેમને જાણ કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, માછીમારી બોટમાં સવાર 13 માછીમારોમાંથી બેને ગંભીર ઈજાઓ થઈ છે અને હાલમાં તેઓ જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ગુજરાતમાં મગફળી-સોયાબીનની ટેકાના ભાવે રેકોર્ડબ્રેક ખરીદી

ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે. પરિણામે આ ખરીફ સીઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે.

સારા વરસાદના પગલે આ વર્ષે રાજ્યમાં મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું. ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂપિયા 6783 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કર્યો હતો. જેથી મગફળી પાકના વેચાણ માટે રાજ્યના 3.72 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા 197 ખરીદ કેન્દ્રો ખાતેથી 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 6700 કરોડથી વધુના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 2.32 લાખ ખેડૂતોને રૂપિયા 5172 કરોડથી વધુનું ચૂકવણું પણ સીધુ તેમના બેંક ખાતામાં કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ ઉપરાંત ભારત સરકારે સોયાબીન માટે રૂપિયા 4892 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જેના પરિણામે ટેકાના ભાવે સોયાબીનના વેચાણ માટે રાજ્યના કુલ 24800થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં કુલ 88 ખરીદ કેન્દ્રો પરથી આશરે 20500 થી વધુ ખેડૂતો પાસેથી રૂ. 252 કરોડથી વધુના મૂલ્યની કુલ 51400 મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 17000 જેટલા ખેડૂતોને રૂ. 210 કરોડથી વધુનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે, બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂરવેગે ચાલી રહી છે.

આદિત્ય બિરલાનો ઓપરેટિંગ નફો 42 ટકા વધીને ર. 2.6 કરોડ થયો

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ AMC લિ. (ABSLAMC)એ 31 ડિસેમ્બર, 2024એ પૂરા થતા નવ મહિનાનાં ત્રિમાસિક અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યાં હતાં. કંપનીની કામગીરી થકી વાર્ષિક ધોરણે આવક 30 ટકા વધીને રૂ. 4.5 કરોડ નોંધાવી છે.

ચાલુ નાણાકીય વર્ષ (FY25)ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 42 ટકા વધીને રૂ. 2.6 કરોડ થયો છે. કંપનો કરવેરા પહેલાંનો નફો 14 ટકા વધીને રૂ. ત્રણ કરોડ થયો છે. જોકે કંપનીની નવ મહિનાની કામગીરી થકી આવક વાર્ષિક ધોરણે 27 ટકા વધીને 12.6 કરોડ થઈ છે. કંપનીએ નવ મહિના દરમ્યાન ઓપરેટિંગ નફો 35 ટકા વધીને રૂ. 7.1 કરોડ નોંધાવ્યો છે, જ્યારે કંપનીનો નવ મહિના દરમ્યાન કરવેરા પહેલાંનો નફો 27 ટકા વધીને રૂ. 7.4 કરોડ થયો હતો.

  • કંપનીની QAAUM ઓવરઓલ વૈકલ્પિક અસ્કયામતો વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 4009 કરોડ થઈ હતી,જ્યારે કંપનીના મ્યુચ્યુઅલ ફંડની QAAUM વાર્ષિક ધોરણે રૂ. 3839 કરોડ થઈ હતી.
  • કંપનીના ઇક્વિટી મ્યુચ્યુલઅલની QAAUM વાર્ષિક ધોરણે ત્રિમાસિક ગાળામાં 32 ટકા વધીને રૂ. 1795 કરોડ થઈ હતી, જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મિક્સની QAAUM 44 ટકાથી વધીને 47 ટકા વધીને થઈ હતી
  •  ડિસેમ્બર, 2024ના અંતે ઇન્ડિવિડ્યુઅલ મન્થલી AAUM 19 ટકા વધીને રૂ. 1973 થઈ હતી, જ્યારે ટોટલ મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડિયવિડ્યુઅલ મિક્સની AUM 52 ટકા છે.
  • ડિસેમ્બર, 2024ને અંતે B-30 મન્થલી AAUM વાર્ષિક ધોરણે 24 ટકા વધીને રૂ. 690 કરોડે થઈ હતી, જ્યારે B-30 મિક્સના મ્યુચ્યુઅલ ફંડની AUM 18 ટકાએ છે.
  • ડિસેમ્બર, 2024ને અંતે કંપનીની પેસિવ AUM રૂ. 316 કરોડના સ્તરે છે.
  • 31 ડિસેમ્બર,સુધી કંપનીએ 1.5 કરોડ ફોલિયોને સર્વિસ આપી છે.
  • કંપની પાસે મન્થલી સિસ્ટેમિક રોકડપ્રવાહ (STP સહિત)માં વાર્ષિક ધોરણે 38 ટકાનો વધારો થયો હતો, જે રૂ. 13.82 કરોડે પહોંચ્યો છે. કંપની પાસે ડિસેમ્બર, 2024ના અંત સુધીમાં 4.35 કરોડ એકાઉન્ટ્સ હતા.
  • ડિસેમ્બર, 2024એ પૂરા થતા ત્રિમાસિક ગાળાને અંતે આશરે 6,70,000 નવા SIP (STP સહિત) નોંધાયા હતા, જેમાં વાર્ષિક ધોરણે 185 ટકાનો વધારો થયો હતો.

હવે AI માર્કેટમાં DeepSeek ની ધૂમ, બીજા બધા ચેટબોટ્સથી કેટલું અલગ ?

છેલ્લા બે-ત્રણ વર્ષ AI ના નામે રહ્યા છે. ચેટજીપીટી લોન્ચ થયા પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં એક અલગ જ ઉથલપાથલ જોવા મળી છે. હવે એક નવો ચેટબોટ દાખલ થયો છે. તે ચીન દ્વારા બનાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે AI મોડેલ વિકસાવવાનો ખર્ચ ખૂબ ઓછો છે, જેના કારણે તે સમગ્ર વિશ્વમાં મફત ઉપયોગ માટે ઉપલબ્ધ છે. હવે પ્રશ્ન એ છે કે ડીપસીક એઆઈમાં એવું શું ખાસ છે જે અન્ય ચેટબોટ્સ ન કરી શક્યા. તે ચીનની એક સંશોધન પ્રયોગશાળા દ્વારા બનાવવામાં આવ્યું છે. તે ChatGPT, Gemini, Cloud AI અને Meta AI જેવા પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરી રહ્યું છે.

તે અન્ય AI મોડેલોથી કેવી રીતે અલગ છે?

સોમવાર, 27 જાન્યુઆરી સુધીમાં DeepSeek V3 યુએસમાં Apple સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ્લિકેશન બની ગઈ. આ એપ ખાસ છે કે આ એપ ચીનની એક રિસર્ચ લેબ દ્વારા બનાવવામાં આવી છે. ડીપસીક v3 એ 671 અબજ પેરામીટર નિષ્ણાતોનું મિશ્રણ છે અને ‘એડવાન્સ્ડ રિઝનિંગ મોડેલ’નો ઉપયોગ કરે છે, જે તેને ઓપનએઆઈના 01 કરતા શ્રેષ્ઠ બનાવે છે. ડીપસીક ઓપનએઆઈના 01 મોડેલ કરતાં 20 થી 50 ગણું વધુ ખર્ચ-અસરકારક અને સારું હોવાનું કહેવાય છે. તે ChatGPT અને Cloud AI કરતાં સાત થી 14 ટકા વધુ સારું પ્રદર્શન કરે છે.

OpenAI નું 01 પ્રતિ મિલિયન ઇનપુટ ટોકન માટે $15 ચાર્જ કરે છે. ડીપસીકનું R1 પ્રતિ મિલિયન ઇનપુટ ટોકન માટે $0.55 ચાર્જ કરે છે, જે તેને બાકીના કરતા અલગ બનાવે છે. તે એકદમ સસ્તું છે. તેની પરવડે તેવી ક્ષમતા પણ AI મોડેલને અલગ બનાવે છે.

ChatGPT કરતા વધારે સ્કોર

સોફ્ટવેર ડેવલપર્સ માટે લોકપ્રિય ઓનલાઈન કોમ્યુનિટી, Dev.to એ જણાવ્યું હતું કે મુશ્કેલ કાર્યો પૂર્ણ કરવામાં તેણે 92 ટકા સ્કોર કર્યો છે, જ્યારે GPT 4 એ 78 ટકા સ્કોર કર્યો છે. તેને મેટા એઆઈ અને જેમિની કરતાં પણ વધુ સારું માનવામાં આવે છે.

ટેક જાયન્ટ્સ પ્રતિક્રિયા આપે છે

ચીનના AI મોડેલ ડીપસીક પર ટેક જાયન્ટ્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે મને લાગે છે કે આપણે ચીનના વિકાસને ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ. તે જ સમયે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીનના AI મોડેલ સાથે સ્પર્ધા કરવા માટે આપણે ઝડપથી કામ કરવું પડશે. તે જ સમયે, સેમ ઓલ્ટમેને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ટ્રમ્પે ભારત અને ચીનનું નામ લઈને ધમકી આપી!

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફરી એકવાર યુએસના હિત પર ટેરિફ લાદવા અંગે મોટું નિવેદન આપ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સરકાર કોઈપણ દેશ પર ટેરિફ લાદશે જે અમેરિકાને નુકસાન પહોંચાડશે. ભારત, ચીન અને બ્રાઝિલનું નામ લેતા તેમણે કહ્યું કે આ દેશો અમેરિકા પર સૌથી વધુ ટેરિફ લાદે છે. ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે એવા દેશો પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ જે અમને નુકસાન પહોંચાડશે. ભલે આ દેશો પોતાના માટે સારું કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ આનાથી નુકસાન થઈ શકે છે.

આ કાર્યક્રમમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમે વિદેશી દેશો અને એવા લોકો પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છીએ જે ખરેખર આપણને નુકસાન પહોંચાડવા માંગે છે. તેઓ આપણને નુકસાન પહોંચાડવા માંગે છે, પરંતુ તેઓ મૂળભૂત રીતે તેમના દેશને સારો બનાવવા માંગે છે. ચીન એક જબરદસ્ત ટેરિફ ઉત્પાદક છે.. આ યાદીમાં ભારત, બ્રાઝિલ અને બીજા ઘણા દેશો છે. પરંતુ અમે હવે એવું થવા દેવાના નથી કારણ કે અમે અમેરિકાને પ્રથમ સ્થાન આપવાના છીએ. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. આ ઉપરાંત, બંને નેતાઓ વચ્ચે ફેબ્રુઆરીમાં મુલાકાત પણ થઈ શકે છે.

અમેરિકાને સમૃદ્ધ બનાવવાની પોતાની યોજના જણાવી

ટ્રમ્પે અમેરિકાને ખૂબ જ ઝડપથી વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે ખૂબ જ ન્યાયી વ્યવસ્થા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, “અન્ય દેશોને સમૃદ્ધ બનાવવા માટે આપણા નાગરિકો પર કર લાદવાને બદલે, આપણે આપણા નાગરિકોને સમૃદ્ધ બનાવવા માટે વિદેશી દેશો પર કર લાદવો જોઈએ.” અમે ફરજો લાદીશું અને દેશો પર કર.” તેમણે વધુમાં કહ્યું, “જો ભારત, ચીન કે બ્રાઝિલની કંપનીઓ ઊંચા ટેરિફથી બચવા માંગતી હોય, તો તેમણે અમેરિકામાં પોતાના પ્લાન્ટ સ્થાપવા પડશે.”

ગુજરાતમાં બેવડી ઋતુથી રોગચાળો વધ્યો, જામનગરમાં 5 વર્ષ બાદ કોંગો ફીવરનો કેસ

ગુજરતભરમાં બેવડી ઋતુને કારણે રોગચાળામાં વધારો થતો નોંધાય રહ્યો છે. થોડા દિવસ સવારે શિયાળો અને બપોરે ઉનાળોની અનુભવ થાય છે, તો ઘણી વખત ભર શિયાળે કમોસમી વરસાદનો નોંધાય રહ્યો છે. ત્યારે આ બદતી ઋતુ વચ્ચે રોગચાળામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં ફરી કોંગો રોગોનો વાયરસ દેખાતા નાગરીકોમાં ભયનો માહોલ જોવા ણળી રહ્યો છે. શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા 50 વર્ષિય એક આઘેડનું કોંગો ફીવરને કારણે મૃત્યુ થતાં આરોગ્યતંત્રમાં દોડદામ વ્યાપી ગઈ હતી.

સરકારી આંકડાઓ પ્રમાણે પંચેશ્વર ટાવરના ભરવાડ પાડામાં રહેતા મોહનભાઈ મેરૂભાઈ કટોરિયા નામના 50 વર્ષીય આઘેડને તાવ આવતાં તેમને જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમનું સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું. તેમના વિવિધ રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં. જેમાં કોંગો ફીવર પોઝીટીવ હોવાનું જણાઈ આવ્યું હતું. જે કોંગો ફીવર રિપોર્ટ બાદ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ આજે હરકતમાં આવ્યું હતું અને સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી. કોંગો વાયરસના હોવાના મુખ્ય લક્ષણ એ છે કે આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને ચકકર આવવા. આ ઉપરાંત સંક્રમણના 2 થી 4 દિવસ પછી ઉંઘ ન આવવી, ડિપ્રેશન અને પેટના દુ:ખાવાની ફરિયાદ થવી આ સાથે મોં, ગળા અને સ્કીન પર ફોલ્લીઓ થવી.

તો આ તકફ રાજકોટ શહેરમા પણ પાણી જન્ય રોગચાળોમાં નોંધ પાત્ર વધારો થયો છે. બેવડી ઋતુના કારણે રોગચાળો વકરતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટમાં મચ્છરજન્ય ,પાણીજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે. એક સપ્તાહમાં માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોમાં મચ્છરજન્ય રોગચાળાને પગલે હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસમાં પણ વધારો નોંધાયો છે. એક સપ્તાહમાં ઝાડા-ઉલટી, તાવના 1937 કેસ નોંધાયા છે. સપ્તાહમાં તાવના અધધ 829 કેસ નોંધ્યા છે. રાજકોટમાં દિવસેને દિવસે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બેવડી ઋતુમાં સિવિલ હોસ્પિટલમાં ઓન દર્દીઓની પણ ભીડ જોવા મળી રહી છે.