Home Blog Page 1221

આઠમા પગાર પંચમાં કર્મચારીઓની બેઝિક સેલરીમાં 30 ટકાનો વધારો થશે?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આઠમું પગર પંચ લાગુ થયા પછી કર્મચારીઓની લઘુતમ સેલરી કેટલી હશે? એ સાથે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થવાની શક્યતા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.6થી માંડીને 2.85 સુધી રહે એવી શક્યતા છે. જેનાથી કર્મચારીઓની લઘુતમ બેઝિક સેલરી25-30 ટકા વધારો થવાની શક્યતા છે. હાલ એ સેલરી રૂ. 18,000 પ્રતિ માહ છે, પણ ફિટમેન્ટ ફેક્ટર 2.85 રાખવામાં આવશે તો એ વધીને રૂ. 40,000થી રૂ. 45,000 પ્રતિ માહ થાય એવી શક્યતા છે.

કર્મચારીઓ માટેના ફિટમેન્ટ ફેક્ટર એ હોય છે, જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓની સેલરી અને પેન્શનની ગણતરીમાં કરવામાં આવે છે. આ ફેક્ટર ફુગાવો, કર્મચારીઓની આર્થિક આવશ્યકતા અને સરકારની નાણાકીય સ્થિતિ જેવા ફેક્ટરોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ મુજબ તેમના પગારમાં 186 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે. આઠમું પગાર પંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે.

પગાર કેટલો વધશે?

આઠમું પગારપંચ લાગુ થવાથી લઘુતમ પગાર 34,560 રૂપિયા, પેન્શન રૂ. 17,280 + DR મળવાની અપેક્ષા છે. આનો સ્પષ્ટ અર્થ છે કે લઘુતમ વેતન લગભગ 186 ટકા ટકા વધવાની શક્યતા છે. પ્રમોશન અને પગાર વધારાને કારણે પેન્શન પણ વધી શકે છે.

 

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, સવારે ઠંડી બપોરે ગરમી

જાન્યુઆરી માસના છેલ્લા અઠવાડિયામાં ઠંડીમાંથી લોકોએ રાહત અનુભવી રહ્યા હતા. ત્યારે આજેથી એટલે કે 24 જાન્યુઆરીથી ફરી ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાવાથી ઠંડીના પ્રમાણમાં વધારો થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી 10થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. તેજ પવનના કારણે અમદાવાદ સહિતનાં શહેરોમાં ટૂ-વ્હીલર પર નીકળેલા લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. ઠંડા પવનની સાથે રાજ્યમાં આજથી ઠંડીનું જોર પણ વધ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં ઉત્તર પશ્ચિમ ભારત પર એક એન્ટી સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય છે, જેને કારણે રાજ્યમાં પવનની ગતિ વધી છે. તદુપરાંત હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનું પ્રમાણ ઘટ્યું છે, તેનું મુખ્ય કારણ છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો ઉપર ઉત્તર દિશા તરફથી સીધા પવન આવી રહ્યા છે. જ્યારે ગુજરાત પ્રદેશ પર ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી ગુજરાત પ્રદેશના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન યથાવત્ રહ્યું છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારને સંભાવના નહિવત છે. અમદાવાદ શહેરમાં આજે લઘુતમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. આવતીકાલે પણ પવન 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની શક્યતાઓ છે. હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે તો બપોરના સમયે ગરમી અનુભવાય રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, ગુજરાતની આસપાસ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં રાજસ્થાન પર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું, જેને કારણે પવનની દિશા બદલાઈને ઉત્તર તથા ઉત્તર પૂર્વની થઈ હતી, તેથી ઠંડીનું જોર સાંજે અને સવારે વર્તાઈ રહ્યું છે. ગત રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

શમી પરત ફરશે, તો કોણ થશે બહાર? આવી હોઈ શકે છે બીજી T20 માટે ભારતની પ્લેઇંગ ઇલેવન!

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં સારી શરૂઆત કરી હતી. ભારતે પહેલી મેચ જીતી લીધી હતી. હવે બીજી ટી20 મેચ શનિવારે ચેન્નાઈમાં રમાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ આ મેચના પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. ટીમ ઈન્ડિયા મોહમ્મદ શમીને વાપસીની તક આપી શકે છે. શમીએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ ઈજાને કારણે તે લાંબા સમય સુધી ભારતીય ટીમની બહાર રહ્યો.

શમી ટીમ ઈન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 23 ટી20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 24 વિકેટ લીધી છે. શમીએ ૧૦૧ વનડે મેચમાં ૧૯૫ વિકેટ લીધી છે. તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. શમી અગાઉથી તૈયારી કરી શકતો હતો, તેથી તેને T20 રમવાની પણ તક મળી. તેને પહેલી મેચના પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ બીજી મેચ માટે તક આપી શકાય છે.

જો શમી પાછો ફરે છે તો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી કોણ બહાર રહેશે?

જો શમીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તો રવિ બિશ્નોઈને આરામ આપી શકાય છે. બિશ્નોઈએ પહેલી મેચમાં ઈંગ્લેન્ડ સામે 4 ઓવર ફેંકી હતી. આ સમયગાળા દરમિયાન, 22 રન આપવામાં આવ્યા હતા. પણ એક પણ વિકેટ લઈ શક્યો નહીં. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરી. તેણે 3 વિકેટ લીધી. વરુણ બીજા મેચમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

બીજી ટી20 મેચ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી

મહારાષ્ટ્ર: ઓર્ડિનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, અત્યાર સુધીમાં 8 લોકોના મોત

મહારાષ્ટ્રથી એક અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ભંડારાના જવાહરનગરમાં આવેલી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં એક મોટો વિસ્ફોટ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ ફેક્ટરીના આરકે શાખા વિભાગમાં થયો હતો. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 8 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે.

સીએમ ફડણવીસે શોક વ્યક્ત કર્યો
આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું,”એવા અહેવાલો છે કે ભંડારા જિલ્લામાં એક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે છત તૂટી પડતાં 13 થી 14 કામદારો ફસાયા હતા. તેમાંથી પાંચને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે છે અને શક્ય તેટલી બધી મદદ પૂરી પાડવામાં આવી છે. રાહત પૂરી પાડવામાં આવી રહી છે. બચાવ કામગીરી માટે SDRF અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોને પણ બોલાવવામાં આવી છે અને તેઓ ટૂંક સમયમાં પહોંચી જશે. જિલ્લા વહીવટીતંત્ર સંરક્ષણ દળો સાથે સંકલનમાં રાહત કાર્યમાં ભાગ લઈ રહ્યું છે. તબીબી સહાય માટે સહાય ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. અત્યાર સુધી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, કમનસીબે આ ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના પરિવારના દુઃખમાં સહભાગી છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ ઝડપથી સ્વસ્થ થાય.

નીતિન ગડકરીએ શ્રદ્ધાંજલિ આપી
ભંડારામાં થયેલા વિસ્ફોટ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આમાં 8 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. આ પ્રારંભિક અહેવાલ છે. નીતિન ગડકરી એક કાર્યક્રમમાં હાજર હતા. તેમણે ત્યાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું: “મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ વિશે જાણીને ખૂબ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. બચાવ ટીમો સ્થળ પર તૈનાત છે. તમામ પ્રયાસો ચાલુ છે. અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવા માટે બનાવવામાં આવી રહી છે.”

Budget 2025-26: શું છે આ લોકોની આશા-અપેક્ષા?

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીના વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણ આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ સાથે નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું પૂર્ણ કદનું આ બીજું બજેટ સત્ર છે. આમ તો, બજેટની વાત સાંભળતાની સાથે સામાન્યથી લઈ ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોની આશા બંધાવાની શરૂ થઈ જતી હોય છે. બજેટમાં આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપતી નીતિ, રોજગારીનાં વધુ અવકાશ, અને માળખાકીય સુધારા તરફના સરકારના અભિગમને લઈ મહત્વની જાહેરાતો થતી હોય છે. આમ તો બજેટમાં તમામ લોકોની આશા પૂર્ણ થતી નથી, પરંતુ ઘણા એવા સેક્ટરો હોય છે જેને બજેટમાં પ્રોત્સાહન પણ મળતું હોય છે.

ગુજરાત જેવા ઉદ્યોગપ્રધાન રાજ્ય માટે બજેટ ઘણું મહત્વનું સાબિત થતુ હોય છે. ત્યારે આ વખતે ઓપિનિયનમાં જાણીએ અલગ-અલગ સેક્ટરના લોકો પાસેથી બજેટને લઈ શું છે તેમની અપેક્ષા?

ડો. કેતન કે. શાહ, H.O.D., સ્કૂલ ઓફ કોમર્સ, L.J. યુનિવર્સિટી, અમદાવાદ

દેશના વિકાસના ગ્રોથ માટે ત્રણ મહત્વના પાસા હોય છે. એક ઉપભોગ, બીજું મૂડી રોકાણ અને ત્રીજું સરાકરી ખર્ચ. ભારતના કેસમાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટ મહત્વનું પાસું નથી. પરંતુ આ ત્રણ પાસામાંથી ઉપભોગનો ભાગ 55 ટકા સુધીનો છે. આંકડા પ્રમાણે અર્બન કન્ઝમપશન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. જો એ ઝડપથી આગળ વધશે તો અર્થતંત્રમાં સુધારો આવશે. મારા મત પ્રમાણે સરકાર ઇન્કમટેક્સમાં વધુ રાહત આપે તો લોકો વધુ ખર્ચ કરતા થશે. આ સાથે આ વખતે મૂડી ખર્ચમાં વધારો કરવાનું ચાલુ રાખી શકે છે. મારી દ્રષ્ટિએ મોદી સરકારે પાછલા 10 વર્ષથી કન્ટિન્યૂઇટિ અને કન્સિસ્ટન્સિ જાળવી રાખી છે. રોજગારીને લઈ ડિજિટલ ઈન્ડિયાને લઈ ઘણા એવા વિઝન હતા જેના પર તેમને સતત કામ કર્યું છે. એટલા માટે મને નથી લાગતું કોઈ નવી પોલીસીનો ઉમેરો થશે.

નિશિત સાગોટીયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, નોબલ યુનિવર્સિટી,  જૂનાગઢ

એક સામાન્ય વર્ગના નોકરિયાત તરીકે હું બજેટથી એવી આશા રાખું છું કે મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સરહિત બચત પોલીસીની જોગવાઈ કરવામાં આવે. આ ઉપરાંત ઈન્કમટેક્સના સ્લેબના રેટમાં 8 લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે ટેક્સ ન રાખવામાં આવે. જેમ આપણું રાજ્ય વેપાર વાણિજ્યમાં આગવું નામ ધરાવે છે. તો મારી દ્રષ્ટિએ નાના તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગ સાહસિકો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનરી વસાવા માટે પુરતી નાણાકીય સહાય મળી રહે તેવી નીતિનો અમલ કરવો જોઈએ. આ સહાય મેળવવા માટેની પ્રોસેસ સરળ તેમજ ઝડપી નિકાલ થાય એ રીતે લઘુતમ વ્યાજદર પર મળી શકે તેવી નીતિનું ગઠન થવું જોઈએ.

નૈનેશ પચ્ચીગર, પ્રદેશ પ્રમુખ, IBJA

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) સરકાર પાસે સોના પર લાગેલી આયત ડ્યૂટીમાં ઘટાડવાની આશા રાખી રહ્યું છે. આ સાથે સોનાને વધુ સુલભ બનાવવા અને દાણચોરી ઘટાડવા માટે સોના પરની આયાત જકાત 6% થી ઘટાડીને 3% કરવી જોઈએ. સરકારે કસ્ટમ બોન્ડેડ વેરહાઉસની જેમ સુવિધા ઊભી કરવી જોઈએ. જ્યાં આયાત ડ્યૂટી અગાઉથી ચૂકવવામાં આવે છે, પરંતુ GST સ્થગિત કરવામાં આવે છે. કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ સક્ષમ કરવા ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGR) જારી કરવું જોઈએ. બુલિયનની નિકાસને IIBX દ્વારા મંજૂરી આપવા સાથે સોનાની આયાત IIBX પરથી ફરજિયાત કરવી જોઈએ. ધીમે-ધીમે એવી સિસ્ટમ તરફ આગળ વધવું, જ્યાં 100% બુલિયન વેપાર કોમોડિટી એક્સચેન્જ દ્વારા થાય છે. સોના અને જ્વેલરીના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સ દૂર કરવો જોઈએ.

પુનિત દેવાણી, CA, અમદાવાદ

બજેટથી બધા લોકોને ઘણી અપેક્ષા હોય જ છે. ખાસ કરીને જે પગારદાર વ્યક્તિ હોય તેને વધુ આશા બંધાતી હોય છે કે ટેક્સમાં રાહત આપવામાં આવે. આ ઉપરાંત જો આ વર્ષે બજેટમાં કલમ 80C અંતર્ગત જે રોકાણ મર્યાદા રાખવામાં આવી છે, તે વધારી આપવામાં આવે તો મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે. આ ઉપરાંત સેક્શન 24(b) હેઠળ મકાન લોનના વ્યાજ પર વધારે છૂટ અને ટેક્સ ફાઇલિંગની સરળ પ્રક્રિયા માગે છે. મોંઘવારીના તાણમાંથી રાહત આપવા માટે આવશ્યક વસ્તુઓ પર સબસીડી અથવા ટેક્સ લાભની અપેક્ષા છે. સાથે જ સામાજિક સુરક્ષા પગલાં, જેમ કે EPF લાભમાં વધારો પણ આવકાર્ય છે. કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહન અને અપસ્કિલિંગ કાર્યક્રમો પર ટેક્સ છૂટછાટ મળે તો વધુ સારું છે. ઉપરાંત, વર્તમાન જીવતર ખર્ચને ધ્યાનમાં લઈને HRA અને વાહન ભથ્થું જેવા ભથ્થામાં સુધારો કરવાથી નેટ આવકમાં વધારો થશે અને વધતા આર્થિક પડકારોને પહોંચી વળવામાં મદદ મળશે.

સૌરિનભાઈ પરીખ, અધ્યક્ષ, ટેક્ષટાઇલ્સ એસોસિયેશન, અમદાવાદ

અમને બજેટ 2025ને લઈને ઘણી અપેક્ષાએ છે, કે આ બજેટમાં અમારા વેપારને સારું પ્રોત્સાહન મળે. ગાર્મેન્ટ અને ફેબ્રિક ઈમ્પોર્ટ પર ટેક્સ વધારવાની જરૂર છે. ટેક્સ વધારવાથી ટેક્ષટાઇલ્સ ઈન્ડસ્ટ્રીને વધુ સારી તકો મળે. ઈન્ડિયામાં અત્યારે કોટનનું ઉત્પાદન સારું છે અને તેનું એક્સપોર્ટ પહેલાં જ થઈ જાય છે. જો તેની સામે ગાર્મેન્ટ અને ફેબ્રિક એક્સપોર્ટને પ્રોત્સાહન મળે તો અમારા બિઝનસ વધુ વેગવંતો બને. ‘ભારત ટેક્ષ’ કાર્યક્રમ અત્યારે વર્ષમાં એક વખત થાય છે, તેને વધારી વર્ષમાં બે વખત  કરવાની જરૂર છે. ગાર્મેન્ટ મેન્યુફેક્ચરી પર સારા ફાયદાઓ આપવા જોઈએ.

અલ્પા ચૌહાણ, ગૃહિણી, અમદાવાદ

આ બજેટમાં અમને મહિલા પ્રોફેશનલ્સને ખાસ ટેક્સ છૂટ આપવી જોઈએ. મોદી સરકાર હંમેશા મહિલા સશક્તિકરણ પર ભાર મૂકે છે. તો તેમણે અમને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરવી જોઈએ. મહિલાઓ માટે મફત હેલ્થ ચેકઅપ, સરકારી હોસ્પિટલમાં મફત સારવાર જેવી સુવિધાઓ આપવી જોઈએ. કામના સ્થળો પર મહિલાઓની સંખ્યા વધારવા માટે પણ સરકારે પ્રયત્નો કરવા જોઈએ. મહિલા સ્ટાર્ટસ અપને પ્રોત્સાહન આપવા માટે વધુ પ્રયત્નો કરવા જોઈએ. મહિલાઓને લોનમાં પણ રાહત આપવી જોઈએ.

(તેજસ રાજપરા – અમદાવાદ)

ICC મહિલા ODI ટીમ ઓફ ધ યર 2024 જાહેર, 2 ભારતીય ખેલાડીઓને મળ્યું સ્થાન

ICC દ્વારા 2024 માટે ‘મહિલા વનડે ટીમ ઓફ ધ યર’ જાહેર કરવામાં આવી છે. આ ટીમમાં બે ભારતીય ખેલાડીઓએ જગ્યા બનાવી છે. દક્ષિણ આફ્રિકાના એક ખેલાડીને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. ટીમમાં મહત્તમ ત્રણ ખેલાડીઓ ઇંગ્લેન્ડના છે. ટીમની કમાન દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડને સોંપવામાં આવી છે. સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માને આ ટીમમાં તક મળી છે.

ટીમમાં સૌથી વધુ ખેલાડીઓ ઇંગ્લેન્ડના છે, જેમાં વિકેટકીપર-બેટ્સમેન એમી જોન્સ, કેટ ક્રોસ અને સોફી એક્લેસ્ટોનનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બે-બે ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર અને એનાબેલ સધરલેન્ડનો સમાવેશ થાય છે. બીજી તરફ, આફ્રિકા તરફથી, કેપ્ટન લૌરા વોલ્વાર્ડટ ઉપરાંત, મેરિઝાન કાપને સ્થાન આપવામાં આવ્યું છે.

બાકીની ટીમમાં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના એક-એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકા તરફથી ચમારી અટાપટ્ટુ અને વેસ્ટ ઈન્ડિઝ તરફથી હેલી મેથ્યુઝને સ્થાન મળ્યું છે. આ રીતે, ICC દ્વારા વર્ષની મહિલા ODI ટીમ બનાવવામાં આવી.

2024માં સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માનું પ્રદર્શન

સ્મૃતિ મંધાના: ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાના માટે 2024નું વર્ષ ખૂબ સારું રહ્યું. એમણે ૨૦૨૪માં ૧૩ વનડે મેચ રમી, ૧૩ ઇનિંગ્સમાં બેટિંગ કરતા ૫૭.૪૬ની પ્રભાવશાળી સરેરાશથી ૭૪૭ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, એમણે 4 સદી અને 3 અડધી સદી ફટકારી, જેમાં એનો સર્વોચ્ચ સ્કોર 136 રન હતો.

દીપ્તિ શર્મા: ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું. એમણે બેટ અને બોલ બંનેથી ટીમમાં યોગદાન આપ્યું. ૧૩ વનડે મેચમાં બેટિંગ કરતા, દીપ્તિએ ૩૧.૦૦ની સરેરાશથી ૧૮૬ રન બનાવ્યા, જેમાં એનો સર્વોચ્ચ સ્કોર ૪૧ રન હતો. આ ઉપરાંત, ૧૨ ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે, દીપ્તિએ ૧૯.૮૩ ની પ્રભાવશાળી સરેરાશથી ૨૪ વિકેટ લીધી, જેમાં શ્રેષ્ઠ આંકડો ૬/૩૧ હતો.

કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચી રહી છે કેન્દ્ર સરકાર, ભાજપઃ આપ પાર્ટી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ ભાજપની કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પર પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની હત્યા રચવાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. આપ પાર્ટીએ ચૂંટણી પંચને આગ્રહ કર્યો છે કે પંજાબ પોલીસ દ્વારા તેમને આપવામાં આવેલી સુરક્ષા જે પાછી ખેંચવામાં આવી છે, એને મંજૂરી આપવામાં આવે. આ આરોપના જવાબમાં ભાજપ કે દિલ્હી પોલીસ તરફથી કોઈ તત્કાળ પ્રતિક્રિયા નથી આવી.

 દિલ્હીના CM આતિશી અને પંજાબના CM ભગવંત માને સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતાં કહ્યું હતું કે તેમણે પત્ર લખીને કેજરીવાલને પંજાબ પોલીસ દ્વારા આપવામાં આવેલી સુરક્ષાને મંજૂરી આપવાની અને જીવલેણ હુમલાની તપાસ કરવાની માગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રને આધીન પોલીસે ગૃહ મંત્રી અમિત શાહના આદેશ અનુસાર કેજરીવાલ પર કથિત હુમલા પર આંખ આડા કાન કર્યા છે.

CM આતિશીએ આરોપ લગાવતાં કહ્યું હતું કે કેજરીવાલની હત્યાના કાવતરામાં બે લોકો સામેલ છે, જેમાં ભાજપ અને દિલ્હી પોલીસનો સમાવેશ થાય છે.બીજી બાજુ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર, અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર AAP કાર્યકરોને હેરાન કરવા માટે પોલીસનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.

 

NIFT ગાંધીનગરએ ઉજવ્યો  40મો સ્થાપના દિવસ

NIFT ગાંધીનગરે તેના સમૃદ્ધ ઇતિહાસ, સિદ્ધિઓ અને ફેશન, ડિઝાઇન અને મેનેજમેન્ટમાં યોગદાન દર્શાવતી ભવ્ય ઉજવણી સાથે તેનો 40મો સ્થાપના દિવસ ઉજવ્યો. સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ નોંધાયેલ, NIFT ગાંધીનગર શિક્ષણ, સંશોધન અને નવીનતામાં મોખરે રહ્યું છે.

NIFT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે સંસ્થાની સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક જોડાણ અને ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. તેમણે આ પ્રસંગે કહ્યું, “NIFT ગાંધીનગરનો 40મો સ્થાપના દિવસ ઉજવણી ફક્ત તેની સ્થાપનાની યાદગીરી નથી પરંતુ સર્જનાત્મક પ્રતિભાઓને ઉછેરવા માટેના અમારા અતૂટ મૂલ્યો અને સમર્પણનો પુરાવો છે.” દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી જે સંસ્થાના સિદ્ધાંતો અને જીવંત સમુદાય ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

ઉદઘાટન સમારોહ: દિવસની શરૂઆત ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો દ્વારા હાજરી આપેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી.  મુખ્ય મુદ્દાઓમાં સ્વાગત ભાષણ, પ્રેરણાદાયક ભાષણો, સાંસ્કૃતિક પ્રદર્શન અને કેક કાપવાનો સમારોહ શામેલ હતો, જેનાથી એક જીવંત અને ઉજવણીનું વાતાવરણ સર્જાયું.

NIFT બેન્ડ દ્વારા પ્રદર્શન – ઇમ્બુ: ઇમ્બુના પ્રતિભાશાળી સભ્યો દ્વારા નૃત્ય, સંગીત અને સ્કીટ્સ સહિત પ્રદર્શનોની એક મનમોહક શ્રેણી, તેમજ મંડળી જૂથ દ્વારા એક વિચાર-પ્રેરક શેરી નાટક (નુક્કડ નાટક).

કવિતા સ્પર્ધાઓ (કાવ્યંજલિ): “કાવ્યંજલિ” એ એક ભાવનાત્મક કવિતા સ્પર્ધા છે જે લાગણીઓને શબ્દોમાં ગૂંથવાની કળાની ઉજવણી કરે છે. કાવ્યંજલિ અભિવ્યક્ત વાર્તા કહેવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. સર્જનાત્મકતાને મુખ્ય તરીકે રાખીને, કાવ્યંજલિ એક સમૃદ્ધ અનુભવનું વચન આપે છે જે કવિતાની સુંદરતા દ્વારા આત્માઓને જોડે છે.

પોસ્ટર મેકિંગ સ્પર્ધાઓ (ઉભર્તે રંગ): “ઉભર્તે રંગ” એ એક આકર્ષક પોસ્ટર-મેકિંગ સ્પર્ધા છે જે જીવંત દ્રશ્યો દ્વારા સર્જનાત્મકતા અને સ્વ-અભિવ્યક્તિની ઉજવણી કરે છે.  સહભાગીઓને તેમની કલાત્મક પ્રતિભા, રંગો, ડિઝાઇન અને વિચારોનું મિશ્રણ કરીને આપેલ થીમ પર પ્રભાવશાળી પોસ્ટરો બનાવવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

ફોટોગ્રાફી સ્પર્ધા: નૈત્રે ક્લબે મેમોરીઝ @NIFT40 નામની ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કર્યું છે, જે સંસ્થાની યાત્રાની ઉજવણી કરે છે. અને તેના ભવ્ય ઇતિહાસમાંથી યાદગાર ક્ષણોને કેદ કરે છે. આ કાર્યક્રમમાં સહભાગીઓને એક અનન્ય શીર્ષક અને વર્ણન સાથે ત્રણ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને ફોટો નિબંધ સબમિટ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિજેતા ફોટા એક પ્રદર્શનમાં દર્શાવવામાં આવશે અને પરિણામના દિવસે આકર્ષક ભાવથી પુરસ્કૃત કરવામાં આવશે.

હર્બલ ગાર્ડન પ્લાન્ટેશન: NIFT એ તેની ટકાઉપણું પ્રતિબદ્ધતા સાથે સંરેખિત કરીને કેમ્પસમાં હર્બલ ગાર્ડન સ્થાપિત કરવા માટે એક ખાસ પ્લાન્ટેશન ડ્રાઇવનું આયોજન કર્યું છે. NIFT@40 ના સ્થાપના દિવસની ઉજવણી માટે આયોજિત આ ડ્રાઇવનો હેતુ ઔષધીય અને કાપડ છોડની ખેતી કરવાનો છે, જે પર્યાવરણ અને પૃથ્વી માતા માટે NIFT ના ટકાઉ સંદેશને પ્રોત્સાહન આપે છે.

આમોદ-પ્રમોદ – ફન ગેમ્સ: NIFT@40 ના અવસરે, NIFT ગાંધીનગરના સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 22 જાન્યુઆરી, 2025ના રોજ FC લૉન અને બાસ્કેટબોલ કોર્ટ ખાતે આમોદ-પ્રમોદ નામનો એક મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને 3-લેગ્ડ રેસ, કપ પિરામિડ, ડાર્ટ બલૂન ગેમ અને એરબોલ જેવી પરંપરાગત રમતોમાં ભાગ લઈને જોડાણ અને મિત્રતાને પ્રોત્સાહન આપશે.

વકફ સંશોધન બિલ પર JPCની બેઠકમાં હોબાળો, વિપક્ષના 10 સાંસદો સસ્પેન્ડ

નવી દિલ્હી: વકફ (સંશોધન) બિલ 2024 પર સંયુક્ત સંસદીય કમિટી (JPC)ની બેઠક દિલ્હીમાં યોજાઈ. જે સવારે 11 વાગ્યે શરુ થયા બાદ હોબાળો થયો હતો. વિપક્ષના સભ્યોએ દાવો કર્યો હતો કે તેમને ડ્રાફ્ટમાં સૂચિત ફેરફારો પર રિસર્ચ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી.આ બેઠક સંસદ ભવનના એનેક્સીના મુખ્ય સમિતિ રૂમમાં યોજાઈ હતી. જેમાં JPCના સભ્યોએ મુત્તાહિદા મજલિસ-એ-ઉલેમા, જમ્મુ અને કાશ્મીરના મૌલવી મીરવાઈઝ ઉમર ફારૂકના મંતવ્યો અથવા સૂચનો સાંભળ્યા. મીરવાઈઝને બોલાવતા પહેલા કમિટીના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. વિપક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો કે દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ વક્ફ સંશોધન બિલ પર રિપોર્ટને ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવા પર ભાર આપી રહ્યું છે.બોલાચાલી અને હોબાળાના કારણે બેઠકની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી. આ પછી વિપક્ષના 10 સાંસદોને એક દિવસ માટે બેઠકમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લખનઉમાં આયોજિત બેઠક બાદ પ્રમુખ જગદંબિકા પાલે કહ્યું કે જે.પી.સી.ની છેલ્લી બેઠક 24 જાન્યુઆરીએ યોજાયા પછી 31 જાન્યુઆરીએ યોજાનારા બજેટ સત્ર દરમિયાન સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જગદંબિકા પાલે એમ પણ કહ્યું- છેલ્લા 6 મહિનામાં અમે દિલ્હીમાં 34 બેઠક કરી છે. જે.પી.સી.ની તમામ ચર્ચાઓ સારા વાતાવરણમાં થઈ છે. મને આશા છે કે લોકોને અમારા રિપોર્ટથી ફાયદો થશે.વિપક્ષ તરફથી, લોકસભામાં ડી.એમ.કે.ના એ. રાજાએ 24 અને 25 જાન્યુઆરીની બેઠક સ્થગિત કરવાની માંગ કરી છે. જગદંબિકા પાલને લખેલા પત્રમાં રાજાએ કહ્યું, “એ કહેવાની જરૂર નથી કે પટના, કોલકાતા અને લખનઉની જે.પી.સી.ની મુલાકાતો 21 જાન્યુઆરીએ જ પૂર્ણ થઈ હતી. ગજબની વાત એ છે કે આગામી જે.પી.સી.ની બેઠકની તારીખોની જાહેરાત કર્યા વિના જ ઉતાવળમાં યોજાઈ હતી. જ્યારે જે.પી.સી. પહેલેથી જ પ્રવાસ પર હતી.”

ગુજરાતની હવા બની ઝેરી, AQI 150 પાર

અમદાવાદ: સામાન્ય રીતે ભારતમાં વાયુ પ્રદૂષણનું જીવતું ઉદાહરણ દિલ્હી છે જ્યાં વાયુ પ્રદૂષણમાં ઉચ્ચુ નોંધાતું હોય છે. પણ પાછલા થોડા સમયથી દિલ્હી બાદ ગુજરાતનું નામ પણ વાયુ પ્રદૂષણ મામલે નોંધાય રહ્યુ છે. દિલ્હી બાદ હવે ગુજરાતની હવા પણ ઝેરી બની રહી છે. છેલ્લાં ત્રણેક દિવસથી અમદાવાદ શહેરની હવા અશુદ્ધ બની રહી છે. હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં શ્વાસ-અસ્થમાના દર્દીઓ માટે જોખમી વાતાવરણ બની રહ્યું છે. ગુરુવારે (24 જાન્યુઆરી) વહેલી સવારે વાયુ પ્રદુષણ એટલી હદે બગડ્યું કે, એર કવોલિટી ઇન્ડેક્સનો આંકડો 150ને વટાવી ગયો હતો. નોંધનીય છે કે, બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છેક 173 સુધી પહોંચ્યો હતો.

ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારની સરખામણીમાં અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લાં ત્રણેક દિવસથી એર કવોલિટી ઇન્ડેક્સ 150થી વધુ રહ્યો છે. સામાન્ય રીતે PM 2.5 (Particulate Matter 2.5)ની માત્રા 25થી ઓછી હોવી જોઈએ. ગુરુવારે અમદાવાદમાં PM 2.5ની માત્રા વધીને 60 સુધી પહોંચી ગઈ હતી. આ ઉપરાંત હવામાં PM 10નું પ્રમાણ 50થી ઓછું હોય તો શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ, ગુરુવારે વહેલી સવારે પીએમ 10નું પ્રમાણ 134 સુધી પહોંચ્યું હતું. હવામાં આ ઝેરી રજકણો સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. એર કવોલિટી ઇન્ડેક્સ પણ 50થી ઓછો હોય તો હવા એકદમ શુદ્ધ હોય છે. અમદાવાદમાં કઠવાડા વિસ્તારમાં 159 એર કોલેટી ઈન્ડેક્સ નોંધાયો હતો. આ ઉપરાંત સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં 158, ચાંદખેડા અને સેટેલાઈટ વિસ્તારમાં 157, રામદેવનગર અને સોનીની ચાલી વિસ્તારમાં 155, શાહીબાદ, ગ્યાસપુર અને મણિનગરમાં 154, જ્યારે ઈસરો અને વસંતનગર વિસ્તારમાં 153 અને સાઉથ બોપલમાં 151 એર ક્વોલેટી ઈન્ડેક્સ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાં ઝેરી રકજણોનું પ્રમાણ વધતાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહે છે. આ ઝેરી હવા ફેફસામાં પ્રવેશે તો બ્રોન્કાઇટીસ, ફેફસાનું કેન્સર, બ્રેઇન સ્ટ્રોક, હૃદય રોગ સહિતના રોગો થવાની સંભાવના રહે છે. વાયુ પ્રદૂષણમાં ભારતમાં ટોચના દસ શહેરોમાં દિલ્હી, કોલકત્તા પછી અમદાવાદ ત્રીજા ક્રમે રહ્યું છે. ગુજરાતમાં વાપી, અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારો કરતાં અમદાવાદ મોખરે રહ્યું છે. અમદાવાદમાં ગુરુવારે એર કવોલિટી ઇન્ડેક્સ 150નો આંકડો પાર કરી ગયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, જો 150 AQI હોય તો તે સ્થળ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એટલું જ નહીં, એ સ્થળે શ્વાસ લેવાથી ત્રણ સિગારેટનો ઘુમાડો ફેફસામાં પ્રવેશ છે.