Home Blog Page 1237

સુરતમાં પોલીસે જપ્ત કર્યું 15 કિલો સોનું, બેની ધરપકડ

સુરતઃ રાજ્યની સુરત પોલીસે વાહનોની તપાસ દરમ્યાન એક કારમાંથી 15 કિલો સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત કરોડોમાં છે. પોલીસે આ સંદર્ભે બે જણની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ધરપકડ કરવામાં આવેલા શખસે જણાવ્યું હતું કે તેઓ આ સોનું મહીધરપુરાથી ઉંભેલના એક કારખાનામાં લઈ જઈ રહ્યા હતા. આરોપીઓ આ સોનું કપડાંમાં છુપાવીને લઈ જઈ રહ્યા હતા. જ્યારે પોલીસે ચેકપોસ્ટ પર કાર રોકીને તપાસ કરી, ત્યારે સોનાની આ ખેપ પોલીસને મળી હતી. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આ સોનું ક્યાંનું છે અને એને કારખાના સુધી કેમ લઈ જવામાં આવી રહ્યું છે.

  આઇગોલ્ડી જ્વેલર્સના સંચાલકના પિતા અને એક કર્મચારીને અટકાયતમાં લઇ તેમની પાસેથી સોનાની બિસ્કિટ, ભુક્કો અને ટુકડા સહિત રૂ. 8.58 કરોડની કિંમતનું 14.700 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું. બંને પાસેથી પોલીસને સ્વિસ કંપનીના માર્કાવાળા 100 ગ્રામનાં એવાં 14 સોનાનાં બિસ્કિટ પણ મળી આવતાં મામલો દાણચોરીનો હોવાની પ્રબળ આશંકાઓ છે.  પોલીસે કારની તપાસ કરતાં પાછળ લોખંડના સળિયા પડ્યા હતા. એ મામલો શંકાસ્પદ લાગતાં પાંચેયની તલાશી લેતાં 65 વર્ષીય મગન ધનજી ધામેલિયા અને તેના કર્મચારી હિરેન ભરત ભટ્ટી પાસેથી સોનાના બિસ્કિટ, ટુકડા અને ભુક્કા સ્વરૂપે સોનું મળી આવ્યું હતું.

પોલીસે કાર અટકાવી તેમાંથી પાંચ વ્યક્તિઓ મળી હતી. જે પૈકી બે પાસે સોનું હતું. બંનેએ સોનું આંતરિક વસ્ત્રોમાં છુપાવીને રાખ્યું હતું. સોનું છુપાવવા માટે આરોપીઓએ સ્પેશિયલ બનિયાન બનાવી હતી, જેમાં ગુપ્ત ખિસ્સાં હતાં. આ ખિસ્સામાંથી આશરે 15 કિલોની ઉપરનું સોનું મળતાં પોલીસ પણ આશ્ચર્ય પામી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

GPSC દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટે સંમતિ પત્ર પ્રક્રિયા શરૂ

GPSC દ્વારા લેવામાં આવનારી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની કુલ 18 જગ્યાઓ માટેની પરીક્ષાને લઈ સંમતિ પત્ર ભરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી 19 જાન્યુઆરીના રોજ તેની પ્રાથમિક પરીક્ષા યોજાશે. જે માટે સંમતિ પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. ઉમેદવારો 20 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી આ સંમતિ પત્ર સત્તાવાર વેબસાઇટ પરથી ભરી શકાશે.

આ ભરતી માટેની પ્રાથમિક પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારોએ પહેલા સંમતિ પત્ર ભરવું ફરજિયાત છે. જેના વિના ઉમેદવાર પરીક્ષા નહીં આપી શકે. આ સંમતિ પત્ર ભરવાની સાથે બિન અનામાત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા અને અનામત વર્ગે 400 રૂપિયા ડિપોઝિટ ચુકવવી પડશે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હશે તેમને બાદમાં ડિપોઝિટ પરત મળી જશે. ઉમેદવારો સંમતિ પત્ર https://gpsc-ojas.gujarat.gov.in પરથી ભરી શકાશે. ઉમેદવાર સંમતિ પત્રની ડિપોઝિટ UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ભરી શકશે. આ ઉપરાંત ઉમેદવારોએ જે Payment Source માંથી સંમતિ પત્રની ડિપોઝિટ ભરી છે તેમાંજ રિફન્ડ ચૂકવવામાં આવશે. જો આ સ્રોત બંધ, નિષ્ક્રિય અથવા ડોરમેન્ટ વગેરે હશે તો રિફન્ડ થઈ શકશે નહીં, જે માટે GPSC જવાબદાર નહીં રહે. જેથી ઉમેદવારોએ CONSENT DEPOSIT ચુકવણી માટે સક્રિય પેમેન્ટ મોડનો ઉપયોગ કરવો. પરીક્ષામાં હાજર ઉમેદવારને જ આ રકમ પરત કરવામાં આવશે. ગેરહાજર ઉમેદવારને આ રકમ પરત મળશે નહીં.

સહયોગીઓએ ટેકો પાછો ખેંચતાં ટ્રુડો સરકાર જોખમમાં?

નવી દિલ્હીઃ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં છે, કેમ કે તેમના જૂના સહયોગીએ તેમનો સાથ છોડવાનો નિર્દેશ આપ્યો છે. ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ જાહેરાત કરી છે કે તે સંસદમાં સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે અને મતદાન દ્વારા બહુમત સાબિત કરવાની માગ કરશે. જો આમ થશે તો ટ્રુડો સરકાર પડવા સાથે નવા વર્ષના પ્રારંભે કેનેડામાં સામાન્ય ચૂંટણી પણ થવાની શક્યતા છે.

NDPના નેતા જગમીત સિંહે પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે 27 જાન્યુઆરીએ હાઉસ ઓફ કોમન્સના ચૂંટાયેલા સંસદીય બેઠકમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જો આ અવિશ્વાસ પ્રસ્તાવમાં તેમને અન્ય વિરોધ પક્ષોના સભ્યો મતદાન કરશે તો ટ્રુડોની સરકારે રાજીનામું આપવું પડશે.

જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીની પાસે સંસદમાં બહુમત નથી અને તે અત્યાર સુધી કાયદો પસાર કરવા અને સરકાર ચાલુ રાખવા માટે NDPના મતો પર નિર્ભર છે. જગમિત સિંહ અને ટ્રુડોની સરકારની વચ્ચે એક ઔપચારિક સમજૂતી થઈ હતી, પણ હવે NDP નેતા સપ્ટેમ્બરમાં એ સમજૂતીમાંથી હટી ગયા છે.

ટ્રુડોએ રાજીનામાના અહેવાલો વચ્ચે કહ્યું હતું કે તેઓ PMપદ છોડવાના નથી. તેઓ પોતાની પાર્ટીનું નેતૃત્વ કરીને આગામી ચૂંટણી લડશે. પરંતુ જગમિત સિંહે એમ પણ કહ્યું હતું કે સરકારનો સમય પૂરો થઈ ગયો છે. લિબરલ પાર્ટીનું નેતૃત્વ કોઈ પણ કરે, આ સરકાર હવે ચાલી શકે નહીં. તેથી તેમણે હાઉસ ઓફ કોમન્સમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. બ્લોક ક્વિબેકોઈસ અને કન્ઝર્વેટિવ પાર્ટી સહિતના વિપક્ષી દળોએ પણ આ પ્રસ્તાવ માટે સંમતિ દર્શાવી છે.

 

 

 

 

 

સુરેન્દ્રનગરમાં ચાઇનીઝ દોરી વેચતા બે શખ્સને LCBએ ઝડપ્યા

ગુજરાતમાં ઉત્તરાયણ નજીક આવતાની સાથે ચાઈનીઝ દોરી વેપારમાં ઉત્તરોતર વધારો થતો હોય છે. પાછલા ઘણા વર્ષોથી કાર્યવાહી કડક સૂચન બાદ પર ગેરકાયદે ચાઈનીઝ દોરીનો વેપાર યથાવત્ જોવા મળતો હોય છે. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાઇનીઝ દોરીથી ગળુ કપાઈને લોકોના મોત થયા છે. તેને રોકવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. તેવામાં સુરેન્દ્રનગરના આદરીયાણા ગામ પાસેથી ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સોની LCBએ ઝડપી પાડ્યા છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે આદરીયાણા ગામ પાસેથી ચાઇનીઝ દોરી સાથે બેને LCBએ ઝડપી પાડયા છે. આ શખ્સો પાસેથી  192 ચાઇનીઝ દોરી સાથે બેની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરમાં હજુ પણ અલગ અલગ ટીમો બનાવી ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચાઇનીઝ દોરીના કારણે અનેક વખત અકસ્માત સર્જાયા છે લોકોના મોત પણ નીપજ્યાં છે. જેને લઇ જિલ્લા પોલીસ વડાએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જનતાને અપીલ કરી છે. ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદનના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ ધાર્મિક લાગણી દૂભાય તેવા લખાણો પતંગ પર ના લખવા માટે સૂચના આપવામાં આવી છે.

બાપુનગરના અસમાજિક તત્વોના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવ્યું

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બેફામ બનેલા અસાજિક તત્વો પર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. વાત એમ છે કે 18મી ડિસેમ્બરના રાત્રે પોલીસનું નામ ખરાબ કરનારનું વરઘોડો કાઠીને તેના ઘર પર બુલડોઝર ફેરવવાના તંત્રે કડક આદેશ આપ્યા હતા. પોલીસને હથિયારો બતાવી ધમકાવી ગાડીમાં બેસાડી ભગાડી દેનારા ફઝલ અને આફતાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર મકાનો બનાવ્યા હોવાથી તેને તોડી પાડવામાં આવી રહ્યા છે.

બાપુનગરમાં પોલીસ પર જાહેરમાં હુમલો કરીને સિસ્ટમને પડકારનાર શખસ ફઝલ અને આફતાબ શેખે મ્યુનિસિપલ કોર્પોરેશનની પચાવી પાડેલી જગ્યામાં ગેરકાયદે પાકા મકાનો બનાવી લીધા હોવાના આક્ષેપ લાગ્યા હતા. અકબરનગરના છાપરા વિસ્તારમાં આ બંને ભાઈઓના ગેરકાયદે મકાન છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બંને મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આંતક મચાવનારા અસામાજિક તત્ત્વોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ઝડપાયેલા આરોપી સમીર શેખ, આફતાબ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ તમામનો ઘટના સ્થળે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમાં જનતા સમક્ષ માફી પણ મંગાવી હતી.

એક સમયે બિસ્કીટ ખાઈને ગુજરાન ચલાવતો, હવે છે બોલિવૂડનો રાજકુમાર

મુંબઈ: 2010માં પોતાના કરિયરની શરૂઆત કરનાર આ અભિનેતાએ હવે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. આ સ્ટાર એક બહારનો વ્યક્તિ છે જેણે ઘણી વખત આર્થિક સંકટનો સામનો કર્યો છે. તેણે ગરીબી એટલી હદે જોઈ છે કે તે પોતાની ભણતરની ફી પણ ભરી શકતો નથી. તેની 14 વર્ષની લાંબી કારકિર્દીમાં તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી કેટલીક હિટ રહી છે જ્યારે કેટલીક બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેણે ઘણી સહાયક ભૂમિકાઓમાં અને પછી મુખ્ય અભિનેતા તરીકે પોતાનું સ્થાન બનાવ્યું. અહીં વાત થઈ રહી છે અભિનેતા રાજકુમાર રાવની. અભિનેતા માટે 2024 ખૂબ જ ખાસ રહ્યું કારણ કે તેની ‘સ્ત્રી 2’, ‘શ્રીકાંત’ અને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ જેવી ફિલ્મો હિટ સાબિત થઈ.

 (Photo: IANS)

બાળપણ ગરીબીમાં વીત્યું

જો કે, આ બધી ચમક અને ગ્લેમર રાજકુમાર રાવ માટે ખાસ હતું કારણ કે તેણે આ સફળતા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. રાજ શમાણીના પોડકાસ્ટમાં રાજકુમારે તેમના શરૂઆતના દિવસોમાં જે સંઘર્ષોનો સામનો કર્યો હતો તેના વિશે કેટલીક અકથિત વાર્તાઓ શેર કરી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે તેની શાળાના ટીચરે ત્રણ વર્ષ માટે તેને અને તેના ભાઈ-બહેનોને ઘરમાં આર્થિક મુશ્કેલીઓને કારણે તેમની ફી ચૂકવવામાં મદદ કરી હતી. તેણે કહ્યું કે તેની માતા કેટલીકવાર શાળાના પુસ્તકો અને ટ્યુશન માટે સંબંધીઓ પાસેથી મદદ માંગતી હતી.

વધુમાં ‘સ્ત્રી 2’ એક્ટર રાજકુમાર રાવે કહ્યું કે, તેણે સ્કૂલ પછી એક્ટર બનવાની તૈયારી કેવી રીતે શરૂ કરી. 18 વર્ષની ઉંમરે તેણે દિલ્હીના શ્રી રામ સેન્ટર ખાતેની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધું. તેણે કહ્યું કે એક મિત્રએ તેને બસ પાસ ખરીદીને કોલેજ જવાની સલાહ આપી હતી. તેણે કહ્યું, ‘આ બધું મેળવતા પહેલા હું મારી એક્ટિંગ સ્કૂલ જવા માટે 70 કિલોમીટર સાઇકલ ચલાવતો હતો.’ મુંબઈમાં તેના શરૂઆતના દિવસો વિશે વાત કરતી વખતે ખુલાસો કર્યો કે એક સમયે તેના બેંક ખાતામાં માત્ર 18 રૂપિયા હતા. તે મુશ્કેલ સમયમાં પારલે જી બિસ્કિટ અને ફ્રુટી પર જીવી ગયો. તેણે આગળ કહ્યું,’મને યાદ છે કે મુંબઈમાં મારા ખાતામાં માત્ર 18 રૂપિયા જ બચ્યા હતા અને અમે ત્રણ લોકો એક ફ્લેટમાં રહેતા હતા. હું લંચ નહોતો કરતો અને માત્ર એક પાર્લે જી બિસ્કિટ અને ફ્રુટી પર 4 રૂપિયામાં ચલાવી લેતો હતો.

પોડકાસ્ટમાં રાજકુમાર રાવે શેર કર્યું કે તેનું પહેલું કામ સાત વર્ષના બાળકને ડાન્સ શીખવવાનું હતું, જેના માટે તેને 300 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે જ્યારે તેણે આ બધું શરૂ કર્યું ત્યારે તે હાઈસ્કૂલમાં હતો અને તેણે કહ્યું કે તેના પરિવારની મુશ્કેલ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યારે તેને આ પૈસા મળ્યા ત્યારે તે ખૂબ જ ખુશ હતો. રાજકુમારે જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાના પ્રથમ પગારથી ઘર માટે કરિયાણાનો સામાન ખરીદ્યો. તેણે જણાવ્યું કે તેને જરૂરી દરેક વસ્તુ ખરીદ્યા પછી તેની પાસે થોડા પૈસા બચ્યા હતા, જેનો ઉપયોગ તે દેશી ઘી ખરીદવામાં કરતો હતો.

કામની વાત કરીએ તો રાજકુમાર રાવ હવે પુલકિત દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘માલિક’માં જોવા મળશે. આ એક્શન-થ્રિલર ફિલ્મમાં અભિનેતા ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે

PM મોદી કુવૈત પહોંચ્યા, ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની બે દિવસીય મુલાકાતે છે. 43 વર્ષ બાદ પ્રથમ વખત ભારતના વડાપ્રધાન કુવૈતની મુલાકાતે આવ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ સપ્ટેમ્બરમાં કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાનની મુલાકાત પહેલાં વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે વડા પ્રધાન મોદી કુવૈતના અમીર હિઝ હાઇનેસ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાતે છે.

વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું છે કે આ મુલાકાતથી ભારત અને કુવૈત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની અપેક્ષા છે. MEA અનુસાર, આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે.

શનિવાર, ડિસેમ્બર 21, 2024

> ગલ્ફ સ્પાઇક લેબર કેમ્પની મુલાકાત
> શેખ સાદ અલ અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સામુદાયિક કાર્યક્રમો
> ગલ્ફ કપ (ફૂટબોલ) ઓપનિંગ સેરેમની

રવિવાર, 22 ડિસેમ્બર 2024

> બયાન પેલેસ ખાતે ગાર્ડ ઓફ ઓનર
> કુવૈતના અમીર સાથે મુલાકાત
> કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત
> કુવૈતના વડાપ્રધાન સાથે મુલાકાત અને ત્યારબાદ એમઓયુ પર હસ્તાક્ષર
> પ્રેસ બ્રીફિંગ.
> દિલ્હી માટે પ્રસ્થાન
> એરફોર્સ સ્ટેશન પાલમ, દિલ્હી ખાતે આગમન.

GST બેઠકઃ આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર કોઈ રાહત નહીં

GST કાઉન્સિલની બેઠકમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના જેસલમેરમાં ચાલી રહેલી આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો નથી. મંત્રીઓના જૂથે આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર GST ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે વિચારણા કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે GST કાઉન્સિલની 55મી બેઠકમાં આ મહત્વપૂર્ણ મુદ્દા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કારણ કે તેના પર વધુ સ્પષ્ટતાની જરૂર છે. કાઉન્સિલે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ને તેના રિપોર્ટને વધુ વ્યાપક બનાવવા માટે વધારાની માહિતી સામેલ કરવા કહ્યું છે. આ સમાચાર સામાન્ય લોકો માટે એક મોટો આંચકો છે, જેઓ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમમાં ઘટાડો થવાની અપેક્ષા રાખતા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં હેલ્થ ઈન્સ્યોરન્સ, ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ અને યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન 18% GST દર હેઠળ આવે છે.

આ બેઠકમાં પોપકોર્ન પર જીએસટીના નવા દરો પર સહમતિ બની છે. મીઠું અને મસાલા સાથે મિશ્રિત તૈયાર પોપકોર્ન (પેક્ડ નહીં) પર 5% GST લાદવામાં આવ્યો છે. જ્યારે પ્રી-પેકેજ અને લેબલવાળા પોપકોર્ન પર 12% GST લાગશે. એ જ રીતે કારમેલ પોપકોર્નને 18% GST હેઠળ આવરી લેવામાં આવશે. તે જ સમયે, જૂની નાની પેટ્રોલ-ઇલેક્ટ્રિક કાર (EV) ના વેચાણ પર GST 12% થી વધારીને 18% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

LGએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની EDને આપી મંજૂરી

નવી દિલ્હી: ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી લિકર કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવા માટે EDને મંજૂરી આપી દીધી છે. EDએ આ કેસમાં તત્કાલીન CM અરવિંદ કેજરીવાલને અને મનીષ સિસોદિયાને માસ્ટરમાઇન્ડ ગણાવતાં 21 માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને મે મહિનામાં તેમની, પાર્ટી અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

લેફ્ટનન્ટ ગવર્નર ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની સાથે-સાથે મનીષ સિસોદિયાએ સાઉથ લોબીની મદદ માટે લિકર પોલિસી 2021-22માં ફેરફાર કર્યો હતો, જેમાં રૂ. 100 કરોડની લાંચ આપવામાં આવી હતી. જેમાંથી રૂ. 45 કરોડ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણીની વિદાનસભાના ચૂંટણીપ્રચારમાં વાપર્યા હતા. જેથી પાંચ ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી.

આ મહિનાની શરૂઆતમાં EDએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની પરવાનગી માગી હતી. કેન્દ્રીય એજન્સીએ લિકરની નીતિની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. EDએ 17 મેએ રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલે ‘સાઉથ ગ્રુપ’ના સભ્યો સાથે મળીને 100 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. જોકે આમ આદમી પાર્ટીએ EDના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. પાર્ટીનું કહેવું છે કે કથિત દારૂ કૌભાંડની તપાસ છેલ્લાં બે વર્ષથી ચાલી રહી છે, જેમાં 500 લોકોને પરેશાન કરવામાં આવ્યા છે. તેમજ 50,000 પાનાંના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે અને 250 થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ આ કાર્યવાહીમાં એક પણ પૈસો વસૂલવામાં આવ્યો નથી. AAPએ એ પણ કહ્યું હતું આ કેસમાં ઘણી ખામીઓ સામે આવી છે. પાર્ટીનું માનવું છે કે ભાજપનો વાસ્તવિક ઉદ્દેશ AAP અને અરવિંદ કેજરીવાલને પરેશાન કરવાનો છે.

U19 Women’s Asia Cup 2024: શ્રીલંકાને હરાવી ભારતીય ટીમ ફાઇનલમાં

કુઆલાલંપુર: ભારતીય ટીમે અંડર-19 મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 20 ડિસેમ્બરના રોજ બ્યુમાસ ઓવલ ખાતે રમાયેલી સુપર-4ની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 99 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે તેણે 31 બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેદાન પર જ રવિવારે 22મી ડિસેમ્બરના રોજ ફાઇનલ રમાશે.

ભારત માટે ગોંગડી ત્રિશાએ 22 બોલમાં સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. કમલિનીએ 26 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. કમલિનીએ પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. મિથિલા વિનોદ 4 ચોગ્ગાની મદદથી 17 રન બનાવીને અણનમ રહી હતી. શ્રીલંકા તરફથી પ્રબોદાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે કેપ્ટન મનુડી નાનાયક્કારાએ 30 બોલમાં સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. જેમાં બે સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. જ્યારે વિકેટકીપર સુમુદુ નિસાંસલાએ 21 રનનું યોગદાન આપ્યું હતું.શ્રીલંકાના બાકીના બેટ્સમેનો બે અંક સુધી પહોંચી શક્યા ન હતા. ભારત તરફથી ડાબોડી સ્પિનર ​​આયુષી શુક્લાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે લેફ્ટ આર્મ સ્પિન બોલર પારુણિકા સિસોદિયાએ બે સફળતા હાંસલ કરી હતી. શબનમ શકીલ અને દૃતિ કેસરીને પણ એક-એક વિકેટ મળી હતી.