Home Blog Page 124

સિસ્ટમનો દુરુપયોગઃ 410 કરોડ રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ

બેંગલુરુઃ શહેરમાંથી એક મોટો ટેક્સ ફ્રોડ કેસ સામે આવ્યો છે, જ્યાં કોમર્શિયલ ટેક્સ વિભાગે 410 કરોડ રૂપિયાના ફેક ઇન્વોઇસ કૌભાંડનો ખુલાસો કર્યો છે. આ મામલો GST સિસ્ટમના દુરુપયોગ સાથે જોડાયેલો હોવાનું જણાવાયું છે, જેમાં નકલી કંપનીઓ બનાવી મોટા પાયે ખોટાx બિલો જારી કરવામાં આવ્યાં હતાં.

અધિકારીઓને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ 102.5 કરોડ રૂપિયાનો નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કર્યું હતું. ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે વેપારીઓ ખરીદી પર ચૂકવેલા ટેક્સ સામે જે સમાયોજન મેળવી શકે તે રકમ, પરંતુ આ કેસમાં કોઈ વાસ્તવિક વેપાર કર્યા વગર ટેક્સનો લાભ લેવા પ્રયાસ થયો હતો.અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓએ નકલી સરનામાનો ઉપયોગ કર્યો હતો. એ સાથે-સાથે નકલી ભાડા કરાર અને લીઝ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી કાગળ પર કંપનીઓ સાચી લાગે. આ દસ્તાવેજોને આધારે GST નંબર મેળવવામાં આવ્યા હતા.

તપાસમાં એ પણ સામે આવ્યું કે અનેક શેલ ફર્મ્સ બનાવવામાં આવી હતી. તેમાં કેટલીક કંપનીઓ સોલ પ્રોપ્રાયટરશિપ તરીકે હતી, જ્યારે કેટલીક લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) તરીકે રજિસ્ટર કરવામાં આવી હતી. આ ફર્મ્સનો હેતુ માત્ર ફેક બિલ બનાવવાનો અને ટેક્સ સિસ્ટમનો ગેરલાભ લેવાનો હતો. આ રેકેટ ચલાવવા માટે અલગ-અલગ નામોથી ઘણાં બેંક ખાતાઓ પણ ખોલવામાં આવ્યાં હતાં. ચોંકાવનારી વાત એ રહી કે કેટલાંક ખાતાંઓમાં અન્ય લોકોના મોબાઇલ નંબર અને આધાર વિગતોનો ઉપયોગ થયો હતો. તેથી તપાસ એજન્સીઓને ઓળખ છુપાવવાનો પ્રયાસ થયાની શંકા છે.

આ ફેક વ્યવસાયમાં આયર્ન સ્ક્રેપ, સિમેન્ટ, સ્ટીલ રોડ, ઝિંક શીટ્સ અને પાઇપ જેવા માલ દર્શાવવામાં આવ્યા હતા. એટલે કે કાગળ પર ભારે ટ્રેડિંગ બતાવવામાં આવ્યું, પરંતુ હકીકતમાં માલ સપ્લાય થયો કે નહીં, તે તપાસનો વિષય છે.

અધિકારીઓએ જણાવ્યું કે નોટિસ જારી થતાં જ ઘણી કંપનીઓ બંધ કરી દેવામાં આવી હતી, જેને કારણે શંકા વધુ ગાઢ બની છે કે આખું નેટવર્ક પહેલેથી જ આયોજનબદ્ધ રીતે બનાવવામાં આવ્યું હતું.

 

410 કરોડના ફેક બિલ કૌભાંડ કેવી રીતે ચલાવવામાં આવ્યું?

  • નકલી સરનામા પર કંપનીઓ રજિસ્ટર કરવામાં આવી
  • નકલી ભાડા અને લીઝ કરારો જમા કરાયા
  • GST નંબર મેળવવામાં આવ્યા
  • ફેક ઇન્વોઇસ જારી કરાયા
  • 102.5 કરોડનો ટેક્સ ક્રેડિટ ક્લેમ કરાયો
  • નોટિસ આવતાં જ કંપનીઓ બંધ કરી દેવામાં આવી

FASTag યુઝર્સ સાવધાન! વાર્ષિક પાસના નામે ખાલી થઈ શકે છે બેંક ખાતું

NHAI એ FASTag એન્યુઅલ પાસ સાથે જોડાયેલા મોટા કૌભાંડ અંગે લોકોને એલર્ટ કર્યા છે. ઠગ લોકો નકલી વેબસાઇટ્સ બનાવીને અને ગૂગલ પર પેઇડ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા ટોપ રિઝલ્ટમાં આવીને યુઝર્સને છેતરી રહ્યા છે. આ વેબસાઇટ્સ પર યુઝર્સ પાસેથી મોબાઈલ નંબર અને વાહનની વિગતો લઈને પેમેન્ટ કરાવાય છે, પરંતુ હકીકતમાં આ પૈસા સ્કેમર્સના ખાતામાં જાય છે. NHAI એ માત્ર ‘Rajmargyatra’ એપ અથવા સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરવાની સલાહ આપી છે અને કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવા તાકીદ કરી છે.

આ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી વિશે વિગતે વાત કરીએ તો, સાયબર ગુનેગારો એવી વેબસાઇટ્સ તૈયાર કરે છે જે દેખાવમાં બિલકુલ NHAI કે સત્તાવાર FASTag પોર્ટલ જેવી જ લાગે છે. જ્યારે કોઈ યુઝર ગૂગલ પર ‘FASTag Annual Pass’ સર્ચ કરે છે, ત્યારે આ નકલી વેબસાઇટ્સ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO) અને પેઇડ જાહેરાતોના કારણે સૌથી ઉપર દેખાય છે. યુઝર જ્યારે આ લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેની પાસેથી વાહનનો રજીસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર અને પેમેન્ટની વિગતો માંગવામાં આવે છે. પેમેન્ટ કર્યા પછી યુઝરને કોઈ કન્ફર્મેશન મળતું નથી અથવા તો નકલી રસીદ આપી દેવામાં આવે છે, જેના કારણે ટોલ પ્લાઝા પર પહોંચતી વખતે ખબર પડે છે કે તેમનો પાસ માન્ય નથી.

ગૃહ મંત્રાલયના ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે પણ આ બાબતે ગંભીરતા દાખવી છે. અધિકારીઓનું કહેવું છે કે ડિજિટલ પ્લેટફોર્મનો ગેરઉપયોગ કરીને હાઈવે યુઝર્સને નિશાન બનાવવાની આ રીત ખૂબ જ જોખમી છે. ઠગ લોકો યુઝર્સનો વિશ્વાસ જીતવા માટે પ્રોફેશનલ દેખાતા ઈન્ટરફેસનો ઉપયોગ કરે છે. ઘણીવાર યુઝર્સને આકર્ષક ઓફર્સ કે ડિસ્કાઉન્ટની લાલચ આપીને નકલી પોર્ટલ પર પેમેન્ટ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. એક નાની ભૂલ રોકાણકારો કે વાહનચાલકોને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

NHAI એ આ સ્કેમથી બચવા માટે કેટલીક પાયાની સૂચનાઓ આપી છે. સૌથી મહત્વની વાત એ છે કે FASTag સંબંધિત કોઈપણ સેવાનો લાભ લેવા માટે હંમેશા ‘Rajmargyatra’ જેવી સત્તાવાર એપનો જ ઉપયોગ કરવો જોઈએ. ઓનલાઈન સર્ચ કરતી વખતે ‘Sponsored’ લખેલી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ, કારણ કે મોટાભાગે ઠગ લોકો આ રીતે પોતાની નકલી વેબસાઇટને પ્રમોટ કરતા હોય છે. કોઈપણ પેમેન્ટ કરતા પહેલા વેબસાઈટના URL ની ચોકસાઈપૂર્વક તપાસ કરવી જોઈએ. જો URL માં કોઈ સ્પેલિંગ ભૂલ હોય કે તે અજુગતું લાગે, તો તરત જ સાવધ થઈ જવું જોઈએ.

વધુમાં, સુરક્ષા એજન્સીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ સંજોગોમાં તમારો OTP, કાર્ડની વિગતો કે લોગિન ક્રિડેન્શિયલ્સ કોઈની પણ સાથે શેર કરવા જોઈએ નહીં. જો કોઈ વેબસાઈટ બિનજરૂરી પરમિશન માંગે અથવા શંકાસ્પદ લાગે, તો તરત જ તે ટેબ બંધ કરી દેવી જોઈએ. સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો જોઈએ અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ. જાગૃતિ એ જ આ પ્રકારની ડિજિટલ લૂંટથી બચવાનો એકમાત્ર રસ્તો છે.

 

વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની શક્યતા

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાની શક્યતા છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોને કારણે રિફાઇનરી કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે. જેને કારણે ઇંધણના ભાવમાં પ્રતિ લિટર રૂ. 25થી રૂ. 28 સુધીનો વધારો થવાની શક્યતા છે. એવો સંકેત ઘરેલુ બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સિસ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે આપ્યો છે. કોટેકે ક્રૂડ ઓઇલના વાયદા બજાર (ફ્યુચર્સ) અને હાજર બજાર (ફિઝિકલ માર્કેટ) વચ્ચે વધતા અંતરને પણ દર્શાવ્યો છે. આ અંતર ઓઇલની સપ્લાયમાં સતત અછત અને નજીકના ભવિષ્યમાં રાહત મળવાની મર્યાદિત શક્યતા બતાવે છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળાને કારણે દેશનું આયાત બિલ નોંધપાત્ર રીતે વધ્યું છે. આ વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન ભારત દ્વારા ક્રૂડ ઓઇલની આયાતની માત્રામાં 13થી 15 ટકા ઘટાડો નોંધાયો છે. છતાં ક્રૂડ ઓઇલના આયાત બિલમાં અંદાજે દરરોજ 19થી 21 કરોડ ડોલરનો વધારો થયો છે.

રિપોર્ટ મુજબ કોટકનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો છતાં દેશમાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કોટકના જણાવ્યા મુજબ  આ પરિસ્થિતિને કારણે રિફાઇનરો પર આર્થિક બોજ વધ્યો છે, જેની અંદાજિત વધારાની અસર દર મહિને લગભગ રૂ. 270 અબજ જેટલો છે. જોકે સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર રૂ. 10નો કાપ મૂક્યો છે અને નિકાસ પર ‘વિન્ડફોલ ટેક્સ’ ફરી લાગુ કર્યો છે, પરંતુ આ પગલાં માત્ર આંશિક રાહત પૂરું પાડે છે. ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો શક્ય

કોટકે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાના પક્ષમાં દલીલો ખૂબ મજબૂત છે. પરંતુ વધારો ક્યારે થશે, તે સંપૂર્ણપણે રાજકીય પરિસ્થિતિઓ અને વિચારણાઓ પર આધારિત રહેશે. અંતિમ તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. તેથી ભાવોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ચૂંટણી પૂર્ણ થયા બાદ જ થવાની શક્યતા છે.

૨3 એપ્રિલ ૨૦૨૬

પંચાંગ 23/04/2026

આજે મહાસંગ્રામ : બંગાળમાં 152 અને તમિલનાડુની તમામ બેઠકો પર મતદાન

આજે 23 April ના રોજ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો માટે CAPF ની 2407 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાં અંદાજે 2.5 લાખ જવાનો સુરક્ષા આપશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર પણ 1.47 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત છે. બંગાળમાં નંદીગ્રામ અને ભવાનીપુર જેવી બેઠકો પર હાઈ-પ્રોફાઈલ જંગ જામ્યો છે. ચૂંટણી પંચે સુરક્ષા માટે બખ્તરબંધ ગાડીઓ ઉતારી છે, જેનો ટીએમસી વિરોધ કરી રહી છે જ્યારે ભાજપ તેને જરૂરી ગણાવી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, જે ચૂંટણીના પરિણામો માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. આ તબક્કામાં દાર્જિલિંગ, કલિમપોંગ, મુર્શિદાબાદ અને માલદા જેવી મહત્વની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ખાસ કરીને નંદીગ્રામ અને ભવાનીપુર બેઠકો પર સૌની નજર છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર છે. અગાઉના વર્ષોમાં થયેલી હિંસાને જોતા ચૂંટણી પંચે આ વખતે કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે. બંગાળમાં અંદાજે 3.4 કરોડ મતદારોના ભાવિનો ફેંસલો કરવા માટે 2.5 લાખ જેટલા અર્ધસૈનિક દળોના જવાનો ખડેપગે છે. એટલે કે, દર 100 થી 130 મતદારો પર એક જવાન સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો છે.

સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો, કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના CRPF, BSF, CISF અને ITBP જેવા દળોની 2407 કંપનીઓ બંગાળમાં ઉતારવામાં આવી છે. રસ્તાઓ પર ફરતી CRPF ની બખ્તરબંધ ગાડીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ગાડીઓ પથ્થરમારો કે પેટ્રોલ બોમ્બ ફેંકવાની સ્થિતિમાં જવાનો માટે રક્ષણાત્મક કવચનું કામ કરે છે. ટીએમસીએ આટલી મોટી સંખ્યામાં દળોની તૈનાતી સામે સવાલ ઉઠાવ્યા છે અને તેને મતદારોને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો છે, જ્યારે ભાજપનું કહેવું છે કે ટીએમસીના ગુંડાઓથી મુક્ત અને નિષ્પક્ષ મતદાન કરાવવા માટે આ વ્યવસ્થા અનિવાર્ય છે.

તમિલનાડુમાં પણ આજે લોકશાહીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જ્યાં 5.73 કરોડ મતદારો 4,618 ઉમેદવારોનું નસીબ ઈવીએમમાં કેદ કરશે. રાજ્યમાં 75,032 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 5,938 મથકોને ‘સંવેદનશીલ’ જાહેર કરવામાં આવ્યા છે. અહીં અંદાજે 1.47 લાખ સુરક્ષાકર્મીઓ ફરજ પર છે, જેમાં પોલીસ, હોમગાર્ડ અને નિવૃત્ત સૈનિકોનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાં મુખ્ય સ્પર્ધા DMK અને AIADMK વચ્ચે છે, જેમાં એમ.કે. સ્ટાલિન જેવી મોટી હસ્તીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. 514 વાહનોમાં વિશેષ દળો સતત ગશ્ત કરી રહ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તુરંત કાર્યવાહી કરી શકાય.

બંગાળમાં ચૂંટણી હિંસાનો ઈતિહાસ અત્યંત ડરામણો રહ્યો છે. 2021 ની ચૂંટણી દરમિયાન અને પરિણામો બાદ થયેલી હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ જ કારણ છે કે આ વખતે ચૂંટણી પંચે મતદાન પૂર્ણ થયા બાદ પણ સુરક્ષા દળોની 500 કંપનીઓને આગામી 6 મહિના સુધી બંગાળમાં તૈનાત રાખવાનો નિર્ણય કર્યો છે. કોલકાતા, હાવડા અને બેરકપુર જેવા વિસ્તારોમાં સૌથી વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વેબકાસ્ટિંગ દ્વારા દરેક મતદાન મથક પર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ ગેરરીતિની શક્યતા ન રહે.

મિશન બંગાળ માટે અમિત શાહની 4 કલાકની મેરેથોન બેઠક

પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાન પહેલા અમિત શાહે કોલકાતામાં મોરચો સંભાળ્યો છે. તેમણે ૪ કલાક લાંબી બેઠક યોજીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પશ્ચિમ બર્ધમાનની રેલીમાં તેમણે ટીએમસી પર આકરા પ્રહારો કરતા યુસીસી લાગુ કરવાનું, ઘૂસણખોરી રોકવાનું અને દર વર્ષે ૧ લાખ નોકરીઓ આપવાનું વચન આપ્યું છે. બંગાળમાં પ્રથમ તબક્કામાં ૧૫૨ બેઠકો પર ૨૩ એપ્રિલે અને બીજા તબક્કામાં ૨૯ એપ્રિલે મતદાન થશે, જેના પરિણામો ૪ મે ના રોજ જાહેર થશે.

ચૂંટણી પ્રચારના ભાગરૂપે મંગળવારે અમિત શાહે પશ્ચિમ બર્ધમાનના કુલટીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મમતા બેનર્જીની સરકાર પર ભ્રષ્ટાચાર, કથળતી કાયદો અને વ્યવસ્થા તથા ઘૂસણખોરી જેવા મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. શાહે જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો રાજ્યને ઘૂસણખોરોથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે બંગાળમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત રાજ્યમાં ૪ લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી.

રોજગારના મુદ્દે યુવાનોને આકર્ષતા અમિત શાહે વચન આપ્યું હતું કે ભાજપ સત્તા પર આવતા જ દર વર્ષે લાયકાતના આધારે ૧ લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે. તેમણે કુલટી વિસ્તારની જૂની ઓળખ યાદ અપાવતા કહ્યું કે આ પ્રદેશ દેશના લોખંડ ઉત્પાદનનું કેન્દ્ર હતો, પરંતુ ટીએમસી સરકારની નીતિઓને કારણે તે બદહાલ થઈ ગયો છે. ભાજપ આ લોખંડ નગરીની જૂની ઓળખ પુનઃસ્થાપિત કરશે, ગેરકાયદેસર ખનન અટકાવશે અને પ્રદૂષણ ફેલાવતા એકમો પર પ્રતિબંધ મૂકીને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે.

નેપાળમાં 26 દિવસમાં જ ગૃહમંત્રી સુદાન ગુરુંગનું રાજીનામું

નેપાળની નવી સરકારમાં ગૃહમંત્રી તરીકે નિયુક્ત થયેલા સુદાન ગુરુંગે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ રાજીનામું આપ્યું છે. વિવાદાસ્પદ કારોબારી દીપક ભટ્ટની કંપનીઓ સાથે નાણાકીય સાંઠગાંઠ હોવાના અહેવાલો બાદ નેપાળની રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો. ગુરુંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તપાસ નિષ્પક્ષ રહે તે હેતુથી તેઓ પદ છોડી રહ્યા છે. નોંધનીય છે કે ગૃહમંત્રી બન્યા બાદ તેમણે પૂર્વ પીએમ કેપી ઓલી અને રમેશ લેખકની ધરપકડ કરાવીને સનસનાટી મચાવી હતી.

સુદાન ગુરુંગ પર લાગેલા આરોપો અત્યંત ચોંકાવનારા છે. નેપાળી અખબાર ઈ-કાંતિપુરના અહેવાલ અનુસાર, રાજકારણમાં પ્રવેશતા પહેલા ગુરુંગ ‘હામી નેપાળ’ નામના સામાજિક સંગઠનના વડા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ સંગઠનને ફેબ્રુઆરી 2025 માં વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે સંકળાયેલી કંપનીઓના ખાતામાંથી આશરે 5 કરોડ રૂપિયા મળ્યા હતા. દીપક ભટ્ટ હાલમાં મની લોન્ડરિંગના ગંભીર કેસોમાં તપાસના ઘેરામાં છે. જ્યારે આ માહિતી સાર્વજનિક થઈ, ત્યારે પરિવર્તન અને સ્વચ્છ રાજનીતિના નામે સત્તામાં આવેલી ગુરુંગની પાર્ટી પર ભારે દબાણ આવ્યું હતું.

ગુરુંગે તેમના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, ‘હિતોનો સંઘર્ષ’ (Conflict of Interest) ટાળવા માટે તેઓ પદ છોડી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો તેઓ ગૃહમંત્રીના પદ પર રહેશે તો તપાસ પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તપાસના અંતિમ પરિણામ બાદ જ તેઓ પોતાના રાજકીય ભવિષ્ય અંગે કોઈ નિર્ણય લેશે. બે દિવસ સુધી ચાલેલા પક્ષના આંતરિક વિખવાદ અને વધતા જતા જાહેર આક્રોશ બાદ આખરે ગુરુંગે આ આકરો નિર્ણય લેવો પડ્યો હતો.

આસ્થાને નામે છેતરપિંડીઃ વૈષ્ણોદેવીમાં ચઢાવવામાં આવેલી 95 ટકા ચાંદી નકલી!

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને માતાજીને ચાંદી ચઢાવે છે. પરંતુ હવે બહાર આવ્યું છે કે અનેક શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. કારણ કે સરકારી ટંકસાળે તાજેતરમાં મંદિરમાં ચઢાવવામાં આવેલી અનેક ટન ચાંદીની તપાસ કરી, ત્યારે  જાણવા મળ્યું હતું કે આ ચાંદીની વસ્તુઓમાં માત્ર 5-6  ટકા જ ચાંદી છે, જ્યારે બાકીમાં કેડમિયમ અને લોખંડ છે. ચાંદીની સરખામણીએ આ ધાતુઓની કિંમત બહુ ઓછી હોય છે. અહેવાલોમાં એ દાવો ટંકસાળના વરિષ્ઠ અધિકારીઓના હવાલાથી કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ વૈષ્ણો દેવી માર્ગ આસપાસના જ્વેલર્સ પર શંકા વ્યક્ત થઈ રહી છે કે તેઓ યાત્રાળુઓને ચાંદીને નામે ભેળસેળવાળી વસ્તુઓ વેચી રહ્યા છે.

 ચાંદીને નામે કરોડોની છેતરપિંડી

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે લગભગ 20 ટન ચાંદી સ્ટાન્ડર્ડ મેલ્ટિંગ અને સંગ્રહ માટે સરકારી ટંકસાળમાં મોકલી હતી. બોર્ડને બજાર ભાવ મુજબ આશરે રૂ. 500થી રૂ. 550 કરોડની ચાંદી મળવાની આશા હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમાં માત્ર રૂ. 30 કરોડ જેટલી જ અસલી ચાંદી હોવાની શક્યતા છે.

હાલમાં એક કિલો ચાંદીનો ભાવ આશરે રૂ. 2.75 લાખ છે, જ્યારે ચાંદી જેવી દેખાતી કેડમિયમ માત્ર રૂ. 400થી રૂ. 500 પ્રતિ કિલોના ભાવે મળે છે. કેડમિયમને સગી આંખે જોતાં ચાંદી જેવી જ લાગે છે. આવી ભેળસેળવાળી વસ્તુઓ આરોગ્ય માટે પણ જોખમી છે, કારણ કે તેને ગરમ કે ઓગાળવામાં આવે ત્યારે કેન્સરકારક ઝેરી વાયુ બહાર પડે છે. તેથી ભારતીય માનક બ્યુરોએ સામાન્ય વપરાશની વસ્તુઓમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

શું કાર્યવાહી થઈ?

સરકારી ટંકસાળે છેલ્લા એક વર્ષમાં આ મુદ્દો અનેક વખત સત્તાવાર રીતે ઉઠાવ્યો છે. ટંકસાળે જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ અને માતા વૈષ્ણોદેવી મંદિર બોર્ડને પત્રો પણ લખ્યા છે, પરંતુ બંને તરફથી હજુ સુધી કોઈ લેખિત કાર્યવાહી થઈ નથી. ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને મોકલાયેલા પત્રમાં ટંકસાળે ચાંદીની વસ્તુઓમાં કેડમિયમ ભેળસેળ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

માલેગાંવ બોમ્બ વિસ્ફોટઃ ચાર આરોપીઓને હાઇકોર્ટ દ્વારા છોડી મુકાયા

મુંબઈઃ માલેગાંવમાં વર્ષ 2006માં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં હાઇકોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઇકોર્ટે આરોપી લોકેશ શર્મા, ધનસિંહ, રાજેન્દ્ર ચૌધરી અને મનોહર નરવરિયાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. મસ્જિદ પાસે થયેલા સિરિયલ વિસ્ફોટોમાં 37 લોકોનાં મોત થયાં હતાં.

NIA કોર્ટે પણ કર્યા હતા બરી

આ પહેલાં વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ સાત આરોપીઓમાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી (જેઓ શંકરાચાર્યને નામે પણ ઓળખાય છે) અને સમીર કુલકર્ણીનો સમાવેશ થતો હતો. કોર્ટે પૂરતા પુરાવાના અભાવને કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA), શસ્ત્ર અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળના તમામ આરોપો હટાવ્યા હતા.

માલેગાંવમાં વિસ્ફોટ ક્યારે થયો હતો

આ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર, 2008એ થયો હતો, જ્યારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં ભિક્કુ ચોક મસ્જિદ પાસે એક મોટરસાઇકલમાં મૂકવામાં આવેલો બોમ્બ ફાટ્યો હતો. આ ઘટના રમજાનના પવિત્ર મહિના દરમિયાન અને હિંદુ તહેવાર નવરાત્રિ પહેલાં બની હતી. સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ ગણાતા આ શહેરમાં થયેલી આ ઘટનામાં અનેક લોકોનાં મોત થયાં હતાં અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ કેસની સુનાવણી દરમિયાન અભિયોજન પક્ષે 323 સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે તેમાંના 34 સાક્ષીઓ પોતાના નિવેદનમાંથી ફરી ગયા હતા, જેને કારણે અભિયોજન પક્ષનો કેસ ઘણો નબળો પડી ગયો.

આ કેસની શરૂઆતની તપાસ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી દળ (ATS) દ્વારા કરવામાં આવી હતી, જેણે આરોપીઓને ધરપકડ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. વર્ષ 2011માં તપાસ NIAને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ 2016માં NIAએ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કડક આતંકવાદવિરોધી કાયદા હેઠળ પૂરતા પુરાવા ન હોવાનો ઉલ્લેખ કરી સાધ્વી પ્રજ્ઞા સહિત કેટલાક આરોપીઓ સામેના આરોપો દૂર કરવામાં આવ્યા હતા.