Home Blog Page 1247

ગોધરામાં ATSનું સર્ચ ઓપરેશન, 25 દિવસ પાકિસ્તાનમાં રોકાયેલા શખ્સોની પૂછપરછ

પંચમહાલના ગોધરાના કેટલાક શખ્સો 25 દિવસ પાકિસ્તાનથી રોકાઈને ગુજરાત પરત ફર્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ ગોધરામાં સ્થાનિક પોલીસ અને ATS દ્વારા સહિયારુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ગોધરામાંથી શંકાસ્પદ શખ્સોને ATSએ દબોચીને એસપી કચેરી ખાતે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરામાં એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ગોધરામાં સર્ચ હાથ ધર્યું હતું. જેમાં ગોધરાના લધુમતી વિસ્તારમાંથી શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી. જે બાદ ગોધરાની એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ ત્રણેય શખ્સો 25 દિવસ પાકિસ્તાનમાં રોકાઈને પરત આવ્યા હતા. જ્યાં શંકાસ્પદ શખ્સોની પાંચ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછના અંતે ત્રણેય શંકાસ્પદ શખ્સોને ATSની ટીમ દ્વારા અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા છે. જ્યાં ચોકાવનારા ખુલાસાઓ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

પંચમહાલના ગોધરા શહેરમાં વહેલી સવારથી ગુજરાત એટીએસની ટીમે ધામા નાખ્યા હતા. જેમાં પોલીસે માજ ઉસ્માની, અબ્દુલ ઉસ્માની અને મહમદ હનીફની અટકાયત કરી ગોધરા એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નાઝ ઉસ્માની, અબ્દુલ ઉસ્માની બંને ભાઈઓની અગાઉ પણ એટીએસની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત એટીએસની ટીમે આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછ માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદને અડીને આવેલા સાણંદમાં 6 દિવસ પહેલાં મદરેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બાદમાં આદિલને છોડી મૂકવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને તેના પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.

વર્ષ 2024માં બોક્સ ઓફિસ પર ફિલ્મોએ કરી અધધધ કમાણી

નવી દિલ્હીઃ વર્ષ 2024 પૂરું થવામાં છે. આ વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણું સારું રહ્યું હતું. એવી ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ હતી, જેણે ફિલ્મમેકર્સ પર પૈસાનો વરસાદ કર્યો હતો. ‘કલ્કિ 2898 AD’થી માંડીને ‘પુષ્પા 2’ સુધી ફિલ્મોએ બોક્સઓફિસ પર અધધધ કમાણી કરી હતી.

આ વર્ષે બોક્સ ઓફિસ પર કુલ વર્લ્ડવાઇડ કલેક્શન રૂ. 9273,27 કરોડ રહ્યું હતું. ફિલ્મોએ હિન્દી ભાષામાં ચોખ્ખો રૂ. 3699.29 કરોડનો બિઝનેસ કર્યો હતો અને ગ્રોસ રૂ. 4534.67 કરોડની કમાણી કરી હતી. કુલ દરિયાપાર ફિલ્મોએ રૂ. 1111.05 કરોડની કમાણી કરી હતી.

વર્ષ 2024 હોરર કોમેડી ફિલ્મોને નામ રહ્યું હતું. નાના બજેટની ફિલ્મ ‘મુંજ્યા’એ ફેન્સને હસાવી-હસાવીને એટલા ડરાવ્યા કે ફિલ્મે રૂ. 126 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું હતું. આ સાથે ‘શૈતાને’ રૂ. 213.79 કરોડ, ‘ભુલભુલૈયા-3’એ રૂ. 389.26 કરોડ અને ‘સ્ત્રી-2’એ રૂ. 857.15 કરોડ વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું હતું.

આ સિવાય ટોચની ફિલ્મોની યાદીમાં ફીમેલ લીડ ફિલ્મ ‘ક્રૂ’નું નામ પણ સામેલ છે. આ ફિલ્મમાં કરીના કપૂર, કૃતિ સેનન અને તબુ લીડ રોડમાં હતા. આ ફિલ્મે રૂ. 151.63 કરોડની કમાણી કરી હતી.

આ સાથે શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોમાં ઉલજા જિયા’એ રૂ. 139 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે ઋત્વિક રોશનની ‘ફાઇટરે’ પણ રૂ. 358.89 કરોડની કમાણી કરી હતી. ‘સિંઘમ અગેને’ વિશ્વમાં રૂ. 372.41 કરોડનો બિઝનેસ કર્યો હતો.

આ સાથે પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ 2898 AD’એ અત્યાર સુધી રૂ. 1336.2 કરોડ એકત્ર કર્યા હતા. આ સિવાય વિશ્વમાં ‘હનુમાને’ રૂ. 295.29 કરોડ, ‘આર્ટિકલ 370’એ રૂ. 105.15 કરોડ, ‘શ્રીકાંતે’ રૂ. 60.59 કરોડ, ‘ચંદુ ચેમ્પિયને’ રૂ. 89.24 કરોડ, ‘બેડ ન્યૂઝે’ રૂ. 113.77 કરોડ અને ‘અમરને’ રૂ. 333.47 કરોડની કમાણી કરી હતી.

કરુણાના વર્ષની ઉજવણીના ભાગરૂપે અંધજનોને 700 સ્વેટરનું દાન

અમદાવાદ: અંધજન મંડળની નજીક તિબેટીયન રેફ્યુજીઝ સ્વેટર સેલર્સ બજારની મુલાકાત લો છો, ત્યારે તમે મુખ્યત્વે તિબેટીયન શરણાર્થીઓને મદદ કરવા માટે અમુક સોદાબાજી પછી ઉત્પાદનો ખરીદો છો. આ શરણાર્થીઓ કે જેઓ તેમની આજીવિકા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ હવે “ઉદાર દાતા” તરીકે ઉભરી આવ્યા છે. સેરિંગ એનગોડુપ દ્વારા પ્રેરિત, જેઓ પોતે સાંભળવાની ક્ષતિ ધરાવતા વ્યક્તિ છે, તેઓ અંધજન મંડળના કેમ્પસમાં વિશેષ જરૂરિયાતો ધરાવતી દરેક વ્યક્તિને જેકેટ અને સ્વેટર દાન કરવાનું નક્કી કરે છે. તેઓએ આવા લોકોને 700 નંગ શિયાળાના વસ્ત્રો દાનમાં આપ્યા જેથી તેઓ શિયાળાથી પોતાને સુરક્ષિત કરી શકે.

તિબેટીયન રેફ્યુજીસ સ્વેટર સેલર્સ વેલ્ફેટ એસોસિએશનના પ્રમુખ, તેનઝિંગ ગ્વાલ્ટસેને ગર્વ અનુભવ્યો કે તેઓ કરુણાના વર્ષની ઉજવણીના ભાગરૂપે આ શિયાળાના વસ્ત્રો દાનમાં આપી રહ્યા છે. તિબેટીયન એસોસિએશને વર્ષભરની ઉજવણીને “કરુણાના વર્ષ” તરીકે 6 જુલાઈથી શરૂ થતા પરમ પવિત્ર 14મા દવાઈ લામાના 90માં જન્મદિવસની જાહેરાત કરી છે. આ મહાન પ્રસંગની ઉજવણી કરવાના વિચારથી ઉત્સાહિત, એસોસિએશને કરુણા દર્શાવતા તેમની પહેલ તરીકે આ વસ્તુઓનું વિતરણ કરવાનું નક્કી કર્યું તેઓ એચ.એચ.દલાઈ લામાના ઉપદેશને અનુસરી રહ્યા છે. જેમ કે તેમના દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો હતો. “માત્ર કરુણા અને અન્યો પ્રત્યેની સમજણનો વિકાસ જ આપણને શાંતિ અને સુખ લાવી શકે છે જે આપણે બધા શોધીએ છીએ.

જુનાગઢ બાદ સતાધારની જગ્યાના વિવાદમાં ઝુકાવનાર પૂર્વ સાંસદ મહેશગિરી કોણ છે?

રાજકોટ: માત્ર સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતભરમાં છેલ્લાં થોડાં દિવસોથી જુનાગઢના ભવનાથ મંદિરની ગાદી અને સેવાની ધૂણી એવા સતાધારની જગ્યાનો વિવાદ ચર્ચામાં છે. આ વિવાદની સાથે એક સાધુ પણ ચર્ચામાં આવ્યા છે અને તે છે જુનાગઢના ભૂતનાથ મહાદેવની જગ્યાના મહંત મહેશગિરી. સૌરાષ્ટ્રમાં ધાર્મિક જગ્યાના વિવાદો અગાઉ પણ બહાર આવ્યા છે. પરંતુ આ વખતે વિવાદની સાથે મહેશગિરીનું નામ પહેલીવાર સાધુ – સંતો જ નહીં ભાવિકોમાં કેન્દ્ર સ્થાને આવ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે મહેશગિરી દિલ્હી પૂર્વની બેઠક ઉપર લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેઓ ફરી જુનાગઢ આવીને હળ સાધુ જીવન વિતાવે છે. આવો જાણીએ મહેશગિરીની આધ્યાત્મિક અને રાજકીય – સામાજિક જીવન સફરને.નાસિકમાં જન્મ, ૧૭ વર્ષની વયે ગિરનાર આવ્યા

સાધુ–સન્યાસી રાજકારણમાં આવીને ધારાસભ્ય કે સાંસદ બન્યા હોય એ કોઈ નવી વાત નથી. પરંતુ રાષ્ટ્રીય રાજધાનીની દિલ્હી–પૂર્વની બેઠક ઉપર વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનીને એક સાધુએ રાજમોહન ગાંધીને 1.90 લાખ જેટલા ભારે મતોની લીડ સાથે હરાવ્યા હોય તે નેતા રાજકીય ક્ષેત્રમાં નિષ્ક્રિય બનીને ફરી સાધુ જીવનમાં પરત ફરે એ વાત નવાઈ જરૂર પમાડે છે. બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા મહંત મહેશગિરીના વર્તમાન વિશે જાણીએ એ પહેલા તેમના ભૂતકાળ પર નજર કરીએ. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિકમાં થયો અને માત્ર ૧૭ વર્ષની વયે તેઓ ગિરનાર આવ્યા અને સાધુ જીવન શરૂ કર્યું. ગિરનારની કમંડ્ળ કુંડની જગ્યાના અમૃતગિરી બાપુ પાસે દીક્ષા લીધી. સાતેક વર્ષ સુધી ગિરનારમાં રહ્યા એ સમયે તેઓ આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકરજીના પણ સંપર્કમાં આવ્યા અને વર્ષ ૨૦૦૭માં તેઓ દિલ્હી ગયા.ચિત્રલેખા. કોમ સાથેની એક વાતચીતમાં જૂનાગઢ ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરીએ જણાવ્યું હતું કે ‘હું જુનાગઢ-ગિરનાર વર્ષો સુધી રહ્યો. ત્યારે ધાર્મિક જગ્યાઓ અને વનવિભાગ ઉપરાંત સરકારના જુદા-જુદા વિભાગો સાથે સતત વિવિધ પ્રશ્નોને લઈને સંઘર્ષ થતો હતો અને તેનું નિરાકરણ દિલ્હીથી થતું હતું. આથી મેં દિલ્હી જવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2007માં દિલ્હી ગયો અને અનેક સામાજિક આંદોલનમાં ભાગ લીધો સ્થાનિક પ્રશ્નો ઉઠાવ્યા. ગિરનારના પ્રશ્નો હોય કે સનાતનની જગ્યાનો મુદો હોય જયાં અન્યાય કે સનાતન વિરુદ્ધની વાત થતી હશે તેનો હું વિરોધ કરતો રહ્યો છું અને કરતો રહીશ’

સ્વચ્છ દિલ્હી અભિયાન છેડ્યું

દિલ્હીમાં મહેશગિરીએ 2009માં ભ્રષ્ટાચાર અને આતંકવાદમુક્ત આંદોલન છેડ્યું હતું. બાદમાં આર્ટ ઓફ લિવિંગના વડા શ્રી શ્રી રવિશંકરના સંપર્કમાં આવ્યા. આ સંસ્થામાં તેઓ ઇન્ટનેશનલ નિર્દેશક પણ બન્યા. વર્ષ 2010માં ‘મેરી દિલ્હી, મેરી યમુના’ યમુના નદીને સ્વચ્છ બનાવવાનું અભિયાન છેડ્યું. દિલ્હીની ઝુંપડપટ્ટીમાં મેડિકલ કેમ્પો શરૂ કર્યા. આમ તેઓ એક સામાજિક આગેવાન તરીકે ઊભરી રહ્યા હતા એ સમયમાં અરવિંદ કેજરીવાલના ‘ઈન્ડિયા અગેઇન્સ કરપ્શન’ મૂવમેન્ટમાં સક્રિય ભાગ લીધો. એ વખતે કેજરીવાલની રાજકીય સફર શરૂ થઈ ન હતી.

દિલ્હીની લોકસભા બેઠકમાં રાજમોહન ગાંધીને હરાવ્યા 

અરવિંદ કેજરીવાલ સાથે કેટલાંક મુદાઓ ઉપર તેમને મતભેદો થયા એટલે સાથ છોડી દીધો. દરમિયાન વર્ષ 2014માં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. એક–એક સીટ પર પાર્ટીની નજર હતી. દિલ્હી પૂર્વની બેઠક ઉપર ભાજપે મહેશગિરીને ઉમેદવાર બનાવ્યા. આમ આદમી પાર્ટીએ તેમની સામે રાજ મોહન ગાંધીને અને કોંગ્રેસે સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા હતા. હાઇ પ્રોફાઇલ જંગમાં પરિણામ એ આવ્યું કે મહેશગિરી આશરે 1.90 લાખની લીડથી ચૂંટણી જીતી ગયા. આમ હવે ભાજપ સાથે મહેશગિરીની એક સાંસદના રૂપમાં સફર શરૂ થઈ. સાંસદ બન્યા બાદ મહેશગિરી સાધુના વેશમાં ફરતા ન હતા પણ પેન્ટ–શર્ટ નોર્મલ ડ્રેસમાં જોવા મળતા હતા.

દિલ્હીની પૂર્વ બેઠકની વર્ષ ૨૦૧૯માં ચૂંટણી આવી ત્યારે ભાજપે ક્રિકેટર ગૌતમ ગંભીરને ટિકિટ આપી અને ત્યાર બાદ વર્ષ 2020માં મહેશગિરી ફરી જુનાગઢ આવી ગયા. રાજકારણ છોડી ફરી સાધુ જીવનમાં કેમ પરત ફર્યા? આ સવાલના જવાબમાં મહેશગિરી કહે છે “બન્યું એવું કે 2020માં કોરોના સમયે મેં ગિરનારની જગ્યા જે શિષ્ય મુક્તાનંદને ગાદી સોંપી હતી, તેમનું અવસાન થયું. જગ્યામાં એક 80 વર્ષની વયના સાધુ જ રહ્યા હતા. જગ્યા સંભાળે તેવું કોઈ રહ્યું ન હતું એટલે મારે દિલ્હીથી પરત જુનાગઢ આવવું પડ્યું.”જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગિરીના નિધન બાદ ભવનાથ મંદિરના ગાદીપતિનો વિવાદ ઊભો થયો. આ મંદિર ગુરુ-શિષ્ય પરંપરામાં અંબાજી મંદિર સાથે જોડાયેલું છે. ભવનાથ મંદિરના વિવાદમાં હરિગીરી અને મહેશગિરીએ સામ-સામે આક્ષેપો કર્યા છે. હાલ આ મંદિરમાં કલેકટરે મામલતદારને વહીવટ સોંપ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ સતાધારની જગ્યામાં મહંત વિજય બાપુ સામે તેમના જ પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ ચાવડાએ નાણાંકીય ગેરરીતિ અને સતાધારમાં એક મહિલાનો કબજો હોવા અંગે આક્ષેપો કરતાં આ મંદિરનો પણ વિવાદ ઊભો થયો છે. સતાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં મહેશગિરી આવ્યા છે અને તેમણે ધર્મસભા બોલાવવા માગણી કરી છે. આમ પૂર્વ સાંસદ મહેશગિરી જુનાગઢ મંડળમાં એક સાધુ તરીકે વર્ચસ્વ ઊભું કરી રહ્યા છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાંત્રિક વિધિનો વીડિયો વાયરલ, અંધશ્રદ્ધા કે બેદરકારી?

આધુનિક જમાનામાં અંધશ્રદ્ધા લોકોનો પીછો છોડતી નથી. લોકો ડોક્ટરે કરેલી દવાથી નહીં પરંતુ ભૂવાએ કરેલી તાંત્રિક વિધિથી સાજો થયાનો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના આઈસીયુ બેડ ઉપર દાખલ એક દર્દીની ભૂવાએ તાંત્રિક વિધિ કરતાં સાજો થયો હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દર્દીના પરિવારજનો એવું કહે છે કે, વેન્ટિલેટર પર રહેલો દર્દી ડોક્ટરની દવાથી નહીં પરંતુ તેમના મુકેશ ભુવાજીએ કરેલી વિધિથી સાજો થયો છે.

સિવિલ હોસ્પિટલમાં ભૂવાનો વિધિ કરતો વીડિયો વાયરલ થતાં ચારેબાજુથી લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક બાજુ વેન્ટિલેટર પરના દર્દી છે અને ભૂવાએ તેના પર વિધિ કરી હતી. સિવિલ હોસ્પિટલના તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. એટલું જ નહીં, ભુવાની વિધિ કર્યા બાદ દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની બેદરકારી છે કે પરિવારજનોની અંધશ્રદ્ધા આવા અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં વાત કરીએ અમદાવાદની તો સિવિલ હોસ્પિટલના ICU વોર્ડ સુધી ભૂવો તાંત્રિક વિધિ કરવા પહોંચી જાય છે. જડબેસલાક સિક્યોરિટી વચ્ચે ભૂવો અહીં સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ એક સવાલ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના વાયરલ વીડિયો અંગે સુપ્રીટેન્ડ્ન્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા આ વ્યક્તિ દર્દીના સગા બનીને હોસ્પિટલમાં ગયા હોવાનું માલુમ પડ્યું છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. આઇ.સી.યુ.માં દાખલ દર્દીની સંપૂર્ણપણે સિક્યુરીટી અને ઇન્ફેક્શન ન લાગે તે પ્રમાણે કર્ટેન્સ સાથે ગોપનીયતા રાખવામાં આવે છે. તેનો દૂર ઉપયોગ કરીને આ વ્યક્તિ દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હોવાનું માનવું છે. વધુમાં આ વીડિયોમાં જે દર્દી બતાવવામાં આવ્યું છે તે ઓલરેડી વેન્ટીલેટર પર છે પરંતુ તે વેન્ટરલેટરની ટ્રીટમેન્ટમાં સ્ટેપડાઉન થઇ રહ્યું છે એટલે કે સાજું થઇ રહ્યું છે. એટલે ભુવા કે અન્ય કોઇ વિધિ, માન્યતા દ્વારા આ દર્દી સંપૂર્ણપણે સાજુ થયું છે તે કહેવું અંધશ્રધ્ધાથી ભરેલું છે. દર્દીઓની સારવાર, સુરક્ષા તેમની જીંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે. અને તેનું સંપૂર્ણપણે ધ્યાન સિક્યુરીટી દ્વારા પણ રાખવામાં આવે છે. પરંતુ હવે દર્દીના સગા બનીન એ કોટ (ખાટલા) સુધી આ વ્યક્તિ પહોંચ્યું છે તો તેવા કિસ્સામાં પણ હવે આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઇપણ હોસ્પિટલમાં ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે. આ ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લઇ તપાસ કરવામાં આવશે.

સંભલમાં મસ્જિદ, મદરેસા અને અનેક ઘરોમાંથી વીજચોરી પકડાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ઘર, મસ્જિદ અને મદરેસાઓમાં ગેરકાયદે રીતે વીજચોરી થતી હતી. લોકો એક ફદિયું પણ વીજ બિલ નહોતા જમા કરતા. આ ઘરોમાં ગેરકાયદે રીતે વીજપુરવઠો પણ થઈ રહ્યો હતો. વહીવટી તંત્રને આની જાણ થતાં જિલ્લાધિકારી અને પોલીસ અધિકારીએ કાર્યવાહી માટે ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર બાદ વીજ ચોરીના 176 લોકો દોષી માલૂમ પડ્યા હતા. એમાં ચાર મસ્જિદ અને એક મદરેસા પણ સામેલ છે. કુલ રૂ. 3.45 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વીજ વિભાગની ટીમની સાથે વહીવટી અધિકારી અને પોલીસ ટીમની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દીપા સરાય મહોલ્લા, મિયાં સરાય, રાયસત્તી અને હિન્દુખેડામાં કરવામાં આવ્યા હતા, જેમાં મોટા પાયે વીજ ચોર પકડવામાં આવ્યા હતા. વહીવટી તંત્રએ વીજ ચોરી કેસમાં દંડ વસૂલવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

એક મસ્જિદમાં ચોરીની વીજ સાથે આશરે 150 ઘરોમાં એ વીજ પુરવઠો પહોંચાડાતો હતો. મસ્જિદને એક રીતે વીજ ઘર બનાવી દેવામાં આવ્યું હતું, કેમ કે મસ્જિદની ઉપર વાયરોનો ગુચ્છો મળ્યો હતો. જોકે કાર્યવાહીની સૂચના મળતાં લોકોએ ઘર કે થાંભલા પરથી કેબલ કનેક્શનને કાપી નાખ્યાં હતાં. આ ઉપરાંત વિવિધ સ્થાનોએ કેબલ કાપવાનાં નિશાન મળ્યાં હતાં, જેનાથી અંદાજ છે કે આશરે 300 ઘરોમાં વીજ ચોરી કરવામાં આવતી હતી. વીજ વિભાગના અધિયારીઓએ SP સાંસદ જિયાઉર્રહેમાન બર્કના વિસ્તારમાં વીજ ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી, જેમાં મોટા પાયે વીજ ચોરી પકડવામાં આવી હતી.

ચેર્નોબિલનું સુપર જંતુ, જેના પર ખતરનાક રેડિયેશનની નથી થઈ અસર!

યુક્રેન: ચેર્નોબિલ એ વિશ્વનો સૌથી ખતરનાક કિરણોત્સર્ગી વિસ્તાર છે. જ્યાં માનવી રહી શકતો નથી. વર્ષ 1986માં અહીં બનેલી ભયાનક ઘટનામાં કિરણોત્સર્ગથી હજારો પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા. જે જીવીત બચ્યા તે કેન્સર જેવી ખતરનાક બીમારીથી પીડિત બની ગયા. આ વિનાશક ઘટના બાદ બે વસ્તુઓ થઈ. કેટલાંક પ્રાણીઓએ રેડિયેશન પછી પોતાને બદલી નાખ્યા. જેમ કે કેટલાક કૂતરાઓ. બીજી તરફ અન્ય કેટલાંક પ્રાણીઓ એવાં પણ હતા કે જેમના પર રેડિયેશનની કોઈ અસર જોવા મળી ન હતી.તે જીવો ખાસ છે જેમના પર આવા ખતરનાક અકસ્માતની કોઈ વિપરીત અસર થઈ નથી. આ શોધથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. ચેર્નોબિલ એક્સક્લુઝન ઝોન (CEZ)માં કેટલાક માઇક્રોસ્કોપિક જંતુઓ મળી આવ્યા છે. એટલે કે નેમાટોડ્સ. તેમના શરીર પર રેડિયેશનની કોઈ અસર થતી નથી. જો કોઈ વ્યક્તિ આ કુદરતી ટેકનિક અપનાવે તો તેને પણ રેડિયેશનની અસર નહીં થાય. હવે વૈજ્ઞાનિકો આ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે.વૈજ્ઞાનિકોએ ચેર્નોબિલની આસપાસમાંથી એકત્ર કરેલા નેમાટોડ્સ તેમના શરીર પર રેડિયેશનની કોઈ અસર દર્શાવતા ન હતા. આ જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે આ સંપૂર્ણપણે અશક્ય બાબત હતી. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે CEZ અન્ય જીવો માટે સુરક્ષિત નથી, પરંતુ આ જંતુઓ અહીં સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ નેમાટોડ્સે ચાર્નોબિલના વાતાવરણને તેમના પર પ્રભુત્વ જમાવવા દીધું ન હતું. ન્યુયોર્ક યુનિવર્સિટીના જીવવિજ્ઞાની સોફિયા ટિંટોરીએ જણાવ્યું હતું કે આ નેમાટોડ્સનો અભ્યાસ કરીને આપણે તેમના ડી.એન.એ. રિપેર મિકેનિઝમને સમજી શકીએ છીએ. જેથી ભવિષ્યમાં રેડિયેશન પીડિતો અને કેન્સરના દર્દીઓ માટે તેમની મદદથી દવાઓ બનાવી શકાય.એપ્રિલ 1986માં પરમાણુ વિસ્ફોટ બાદ ચાર્નોબિલ નજીક આવેલું શહેર પ્રિપિયત હજુ પણ ખાલી છે. અહીં જવા માટે સરકારની પરવાનગી લેવી પડે છે. અહીં, વૃક્ષો, છોડ અને પ્રાણીઓ બધા વિસ્ફોટ પછી ફેલાયેલા રેડિયેશનની પકડમાં આવી ગયા છે. જેના કારણે મ્યુટેશન, કેન્સર અને મૃત્યુ જેવી ઘટનાઓ જોવા મળી હતી.

આ વિસ્તારને માનવી માટે રહેવા યોગ્ય બનતા હજારો વર્ષ લાગશે. પરંતુ જ્યાં સુધી પ્રાણીઓનો સંબંધ છે, તેઓ આવા વિસ્તારથી દૂર જવાના પ્રતિબંધને સમજતા નથી. જ્યારે તેઓને એવું લાગશે કે આ વિસ્તાર તેમના માટે યોગ્ય નથી, ત્યારે જ તેઓ આ વિસ્તાર છોડી દેશે. વિસ્ફોટ બાદ CEZનો 2600 ચોરસ કિલોમીટર વિસ્તાર પ્રાણીઓ માટે અભયારણ્ય બની ગયો છે. આ વિસ્તારમાં રહેતા જીવો પર રેડિયેશનની વિવિધ અસરો જોવા મળી છે. દરેક જાતિઓ માટે આ અસર અલગ-અલગ છે.સોફિયાએ કહ્યું કે ચેર્નોબિલ અકસ્માતની સરખામણી કરી શકાય નહીં. તેની સ્થાનિક વસ્તી પર નોંધપાત્ર અસર પડી છે. વસ્તી માત્ર માણસોની નથી પણ પ્રાણીઓની પણ છે. અહીં કિરણોત્સર્ગી પ્રકૃતિએ તેની સાથે રહેવા માટે યોગ્ય જીવોની પસંદગી કરી છે. તેમને રહેવા યોગ્ય બનાવવા માટે તેમના પર્યાવરણમાં ફેરફાર કરવાની ફરજ પાડવામાં આવી છે. જેમ કે કેટલાક કૂતરાઓના જનીનો પરિવર્તિત થઈ ગયા. તેઓને રેડિયેશનની અસર થઈ હતી.

જ્યાં સુધી આ નેમાટોડ્સનો સંબંધ હતો, ત્યાં સુધી તેમના પર રેડિયેશનની કોઈ અસર નહોતી. આ રાઉન્ડવોર્મ્સ છે, જેમ કે વરસાદમાં જોવા મળતા અળસિયા. તેઓ વિવિધ પ્રકારના રહેઠાણોમાં રહે છે. તેઓ અન્ય જીવોના શરીરમાં પણ રહે છે. તેઓ એટલા સખત હોય છે કે હજારો વર્ષો સુધી પર્માફ્રોસ્ટ એટલે કે બરફમાં દટાયા પછી તેઓ ફરી જીવતા થાય છે. તેમના જીનોમ સરળ છે. તેઓ ખૂબ જ ટૂંકું જીવન જીવે છે. મતલબ કે તેમની ઘણી પેઢીઓ ટૂંકા ગાળામાં બદલાઈ જાય છે.

સોફિયા અને તેના સાથીદારોને ચેર્નોબિલ નજીક ઓશિઅસ ટિપુલા પ્રજાતિના નેમાટોડ્સ મળ્યા છે જે જમીનમાં રહે છે. સોફિયાએ સડેલા ફળો, પાંદડાં અને માટીમાંથી સેંકડો જંતુઓના નમૂના એકત્ર કર્યા છે. તેઓ ગીગર કાઉન્ટર્સ સાથે રેડિયેશન માટે પરીક્ષણ કરવામાં આવ્યા હતા. ત્યાંથી એકત્ર કરાયેલા 300 જંતુઓનું લેબમાં સંવર્ધન કરવામાં આવ્યું હતું. 15 નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી. આની ફિલિપાઇન્સ, જર્મની, અમેરિકા, મોરેશિયસ અને ઓસ્ટ્રેલિયાના જંતુઓના જીનોમ સિક્વન્સ સાથે સરખામણી કરવામાં આવી હતી. નવાઈની વાત એ હતી કે તેઓ બધા સરખા હતા. રેડિયેશનની કોઈ અસર નહોતી.

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે લેવાશે કડક પગલાં

રાજ્યમાં સતત વધી રહેલા રોડ અકસ્માતોને રોકવા માટે અને લોકોમાં ટ્રાફિક અવરનેસ આવે તે માટે મંગળવારે  શૉર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિક વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લીધેલા સ્પર્ધકો પૈકી પ્રથમ 10 ક્રમાંકની શોર્ટ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે અનુક્રમે પ્રદીપભાઈ વાઘેલા, શૈલેષ બોઘાની, અને વિપુલ શાહ વિજેતા બન્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ CP અને DGP ને કડક આદેશ કરતાં કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ એફઆઇઆર દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો.

આ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કડક આદેશ આપતાં કહ્યું હતું કે બેફામ ગતિએ વાહન હંકાવનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે એફ.આઇ.આર દાખલ થશે. સિગ્નલનો ભંગ કરનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર દંડ ફટકારશો નહી. ટ્રાફીકના નિયમોનો ભંગ કરનારને ચલણ પકડાવી દેવાના બદલે સીધા જેલ હવાલે કરો અને આવા લોકોને સ્લેટ પકડાવી ફોટા પડાવવા માટે અમદાવાદ CP અને DGP ને વધુ કડક થવા આદેશ કર્યો હતો. એટલે હવેથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનારાઓની ખૈર નથી. જો ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો જેલયાત્રા કરવાનો વારો આવી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી વડોદરામાં રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવતો હોય અને બેફામ પૂરપાટ ઝડપે ગાડીઓ દોડાવવામાં આવી રહી છે. ત્યારે હવે ઓવરસ્પીડ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ મોટી મુશ્કેલીમાં મુકાઇ શકે એમ છે.

આંબેડકર મુદ્દે હોબાળો, સંસદની કાર્યવાહી સ્થગિત

આંબેડકર મુદ્દે વિપક્ષે આજે લોકસભામાં હંગામો કર્યો હતો. જે બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને આંબેડકરનું અપમાન ગણાવ્યું હતું. રાજ્યસભામાં પણ આ મુદ્દે ભારે હોબાળો થયો હતો, ત્યારબાદ રાજ્યસભાને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.


‘કોંગ્રેસના લોકો આંબેડકરનું અપમાન સહન નહીં કરે’

બંધારણ પરની ચર્ચા દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણ પર કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, ‘ડૉ. બીઆર આંબેડકરજી બંધારણના નિર્માતા છે, તેમણે બંધારણ બનાવ્યું છે, આવી સ્થિતિમાં ગૃહમંત્રી અમિત શાહે જે રીતે અપમાનજનક ભાષામાં કહ્યું છે તે અક્ષમ્ય છે. કોંગ્રેસના લોકો ડો. બી.આર. આંબેડકરનું અપમાન સહન નહીં કરે.

શરદ પવાર વડાપ્રધાન મોદીને મળ્યા હતા

NCP (SP)ના નેતા શરદ પવાર બુધવારે ખેડૂતો સાથે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. આ બેઠક સંસદ ભવનમાં થઈ હતી.

ખડગેનો આરોપ – અમિત શાહે બંધારણનું અપમાન કર્યું

બંધારણ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણ પર રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘તેમણે બાબા સાહેબ આંબેડકર અને બંધારણનું અપમાન કર્યું છે. તેમની મનુસ્મૃતિ અને આરએસએસની વિચારધારા સ્પષ્ટ કરે છે કે તેઓ બાબા સાહેબ આંબેડકરના બંધારણનું સન્માન કરવા માંગતા નથી. અમે તેની નિંદા કરીએ છીએ અને તેમના રાજીનામાની માંગ કરીએ છીએ. તેમણે દેશની જનતાની માફી માંગવી જોઈએ… તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

‘કોંગ્રેસનો પર્દાફાશ’

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણ સામે વિપક્ષના વિરોધ પર, ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશની સામે સતત ખુલ્લી પડી રહી છે. ભીમ રાવ આંબેડકર આઝાદી બાદ પ્રથમ વખત સરકારમાં મંત્રી હતા. જ્યારે તેમણે દલિતોની વાત કરી તો જવાહરલાલ નેહરુએ તેમની અવગણના કરી. તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. જ્યારે અમિત શાહે આ બધી વાતો કહી ત્યારે સમગ્ર દેશની સામે કોંગ્રેસનો ચહેરો ખુલ્લો પડી ગયો. આજે તેઓ (કોંગ્રેસ) દેશની જનતાને ગેરમાર્ગે દોરવા માટે રાજીનામું માંગવાની વાત કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેમના જીવનમાં ભીમરાવ આંબેડકરનું કેવી રીતે અપમાન કર્યું તે સામે આવ્યું છે.

રાહુલ-ખડગે વડાપ્રધાન મોદી અને અમિત શાહને મળ્યા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી છે.

 

કોંગ્રેસનો કાળો ઈતિહાસ સંસદમાં ઉજાગર થયો : PM મોદી

બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષના પ્રહારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આંબેડકરનું અપમાન છુપાવી શકે નહીં. બાબાસાહેબ માટે અમારું આદર સર્વોપરી છે. તેણે ટ્વીટ કર્યું, ‘એક મોટી ગેરસમજ છે. ભારતના લોકોએ વારંવાર જોયું છે કે કેવી રીતે એક રાજવંશના નેતૃત્વ હેઠળની પાર્ટીએ ડો. આંબેડકરના વારસાને ભૂંસી નાખવા અને એસસી-એસટી સમુદાયોને અપમાનિત કરવા માટે દરેક સંભવિત ગંદી યુક્તિઓનો ઉપયોગ કર્યો છે.’

પીએમ મોદીએ કોંગ્રેસના પાપોની યાદી ગણાવી

પીએમ મોદીએ આગળ લખ્યું, ‘ડૉ. આંબેડકર પ્રત્યેના કોંગ્રેસના પાપોની યાદીમાં તેમને એક વખત નહીં પરંતુ બે વખત ચૂંટણીમાં હરાવવાનો સમાવેશ થાય છે. પંડિત નેહરુએ તેમની સામે પ્રચાર કર્યો અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો. તેમને ભારત રત્ન આપવાની ના પાડી. સંસદના સેન્ટ્રલ હોલમાં તેમની તસવીરને ગૌરવનું સ્થાન ન આપો.

‘કોંગ્રેસે એસસી અને એસટી માટે કંઈ કર્યું નથી’

તેમણે કહ્યું કે કોંગ્રેસ ગમે તેટલી કોશિશ કરે, તેઓ એ વાતનો ઈન્કાર કરી શકતા નથી કે તેમના શાસન દરમિયાન SC-ST સમુદાયો વિરુદ્ધ સૌથી ભયાનક હત્યાકાંડો થયા છે. તેઓ વર્ષો સુધી સત્તામાં રહ્યા, પરંતુ SC અને ST સમુદાયોને સશક્ત કરવા માટે કશું નક્કર કર્યું નહીં.