Home Blog Page 1263

લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી ચમક

પ્રશ્ન: મારા મૅરેજ ફેબ્રુઆરીમાં છે, મેં બ્યુટી પાર્લરની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી છે. ચહેરા પર નૅચરલ ગ્લો લાવવા તેમ જ આ સમયે સ્ફૂર્તિલાં રહેવા માટે મારે કેવો ડાયેટ લેવો જોઈએ?

ધૃતિ ભટ્ટ (બેંગલુરુ)

ઉત્તર: લગ્ન સમયે ભાગાદોડી વધે એ સાહજિક છે અને એટલે થાક તથા ઉજાગરાને કારણે ચહેરા પર ડલનેસ આવી જાય છે. અત્યારે તો પાર્લરમાં બ્રાઈડલ પૅકેજ હોય છે, જેમાં એકાદ મહિના પહેલાં જ સ્કિન પર ગ્લો લાવવા માટેની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં સારી બ્રાન્ડની પ્રોડક્ટ્સ વપરાય એ ખાસ જરૂરી છે, જેથી કેમિકલની આડઅસરથી બચી શકાય.

બ્યુટી પાર્લરની ટ્રીટમેન્ટ સિવાય ઘરઘથ્થુ પોષણકીય ઉપચાર દ્વારા પણ ત્વચાની રૂક્ષતાથી બચી શકાય. સ્કિન પર ગ્લો લાવવા માટે સૌથી પહેલાં તો ચિંતામુક્ત રહેવું તેમ જ પૂરતી ઊંઘ લેવી. સવારના ઊઠતાંની સાથે હૂંફાળું પાણી લીંબુ તેમ જ મધ નાખીને પીવું. આવા હૂંફાળા પાણી દ્વારા શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોનો નિકાલ થાય છે. લીંબુ તેમ જ મધમાં વિટામિન સી અને ઍન્ટિઑક્સિડન્ટ્સ છે, જે ત્વચાને ચમકીલી બનાવવામાં મદદ કરશે.

મૅરેજના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાં હેલ્ધી ડાયેટની શરૂઆત કરવી, કારણ કે આહાર દ્વારા પરિણામ આવતાં થોડો સમય લાગે છે. જો કે એની અસર પણ લાંબો સમય રહે છે. દિવસ દરમિયાન સ્કિનને હાઈડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું. રોજનું ૧૨થી ૧૪ ગ્લાસ પાણી શરીરને તંદુરસ્ત રાખવા માટે તથા સ્કિનને રૂક્ષ (ડ્રાય) બનતી બચાવવા માટે જરૂરી છે. ફ્રૂટ જ્યુસ, વેજિટેબલ જ્યુસ અથવા તો સૂપનો ભરપૂર ઉપયોગ કરવો. ગાજર, બીટરૂટ, સફરજન, દાડમ, કાકડી, લીંબુ, એલોવેરા, ચેરી, વગેરે વેજિટેબલ્સ તેમ જ ફ્રૂટ્સ સ્કિનને ગ્લો અપાવે છે આથી એનો નિયમિત ઉપયોગ કરો.

સ્કિનને હેલ્ધી રાખવા ઓમેગા-થ્રી ફૅટી ઍસિડવાળાં ફૂડ્સ, જેવાં કે ફ્લેક્સ સીડ્સ, અખરોટ, બદામ, વગેરેનો ઉપયોગ કરી શકાય. વધુપડતા તીખા તેમ જ તળેલા આહાર ન લેવાય એ આ સમયે જરૂરી છે. બને ત્યાં સુધી બહારના અનહેલ્ધી આહાર ટાળવા.

પ્રશ્ન: મારી જૉબમાં મારે ઘણી વખત મહિનાઓ સુધી નાઈટ ડ્યુટી કરવાની રહે છે, જેને કારણે મારો જમવાનો સમય નક્કી રહેતો નથી. એને કારણે મને પેટમાં ગરબડ રહે છે. આવી સ્થિતિમાં મારે હેલ્થી રહેવા શું કરવું જોઈએ?

– હિરેન અઢિયા (વડોદરા)

ઉત્તર: સામાન્ય રીતે આપણી સવારથી સાંજ કામ કરવું અને રાત્રે આરામ કરવો એવી દિનચર્યા હોય છે, જેમાં ફેરફાર થવાને કારણે આહારમાં ધ્યાન રાખી શકાતું નથી, જેથી મેટાબોલિક તેમ જ હોર્મોનલ ફેરફાર જોવા મળે છે, જેની આડઅસર રૂપે વજનમાં ઓચિંતો વધારો, સ્કિન ડ્રાય થવી, આંખ પાસે ડાર્ક સર્કલ્સ થવાં, પિમ્પલ્સ, વાળ સફેદ થવા, કૉન્સ્ટિપેશન, ગૅસ, ઍસિડિટી સહિતની પાચનને લગતી અસર થઈ શકે છે.

સામાન્ય રીતે મોડી રાત સુધી જાગતી વ્યક્તિ રાતે આહાર લેવાનું ટાળે છે, પણ ઊંઘ ન આવે એ માટે ચા, કૉફી, કોલ્ડ ડ્રિન્ક્સ તેમ જ ઑઈલી સ્નૅક્સ લે છે. એને કારણે ડાઈજેશનને લગતી તકલીફ થાય છે. અગર રાતે કામ કરવાનું છે તો એ બાબતનું ચોક્કસ ધ્યાન રહે કે દિવસ દરમિયાન ઓછામાં ઓછી છથી સાત કલાકની ઊંઘ મળી રહે. દિવસના સમયે બને ત્યાં સુધી ભારે લંચ લેવાનું ટાળવું. તમારા કામ પર જવાના સમય પહેલાં થોડું વ્યવસ્થિત ડિનર લઈને કામે જવું, જેમાં ભારે ડિનર ન લેતાં હળવો તેમ જ પેટ ભરાય એવો આહાર લેવો. રાત્રે ચા, કૉફી, કોલ્ડ ડ્રિન્કના ઉપયોગથી પિત્ત તેમ જ ઍસિડિટી થવાના ચાન્સ વધે છે એટલે એ લેવાનું ટાળવું. એને બદલે જ્યુસ, નાળિયેરપાણી, સૂપ, લેમન વૉટર લઈ શકાય.

રાત્રે તળેલા સ્નૅક્સની જગ્યાએ શીંગ, દાળિયા, પૉપકૉર્ન, ખાખરા, મમરા જેવા હળવા સ્નૅક્સ સ્ફૂર્તિદાયક રહેશે. પુષ્કળ પાણી પીવાની આદત રાખવી, જેથી ડાઈજેશનને લગતી તકલીફ ન રહે.

પ્રશ્ન: હું શિયાળામાં મારા ફૅમિલી માટે રોજ સવારે વેજિટેબલ્સના જ્યુસ બનાવું છું, એને પૌષ્ટિક બનાવવા એમાં શું શું ઉમેરી શકાય?

– બીના પટેલ (અમદાવાદ)

ઉત્તર: શિયાળાની સવાર એટલે વેજિટેબલ્સ અને જ્યુસ માટેનો આઈડિયલ સમય. આ સીઝનમાં તાજાં વેજિટેબલ્સ ઘણા વિકલ્પ સાથે મળે છે. તમારી જરૂરત મુજબ તમે વેજિટેબલ્સનો ઉપયોગ કરી શકો. મુખ્યત્વે જ્યુસમાં આંબળાં, ફુદીનો, બીટરૂટ, ગાજર, દૂધી, વગેરેનો ઉપયોગ થતો હોય છે, જે હિમોગ્લોબિનની માત્રા સુધારવા ઉપરાંત પાચન માટે અને હાઈપરટેન્શનની તકલીફવાળી વ્યક્તિ માટે ગુણકારી છે. આવા જ્યુસમાં વધુ ઍન્ટિઑક્સિડન્ટ ઉમેરવા માટે એમાં લીલી હળદર, આદું ઉમેરી શકીએ. સ્વાદ સ્વીકાર્ય બનાવવા એમાં ઑરેન્જ અથવા મોસંબી પણ ઉમેરી શકાય. ડાયાબિટીસ હોય એવા લોકો બીટરૂટ કે ફ્રૂટ ન ઉમેરે એ જરૂરી છે, અન્યથા સુગર વધવાના ચાન્સ રહે છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ વેજિટેબલ્સ જ્યુસમાં મેથી કે કારેલાં ઉમેરી શકે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

પંચાંગ 13/12/2024

18 વર્ષના ડી ગુકેશે રચ્યો ઈતિહાસ, બન્યો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન

સિંગાપોર: વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ચેસ પ્લેયર ડી. ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બની ગયા છે. ડી. ગુકેશએ ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. ભારતના 18 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ગુકેશે 14મી અને અંતિમ ગેમમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આવું કરનાર તે વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેની ઉંમર માત્ર 18 વર્ષની છે. તેઓએ 14મી ગેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને 1-0થી હરાવ્યું. હવે સ્કોર 7.5-6.5 છે. બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની 13મી ગેમમાં ગુકેશને 68 ચાલ બાદ ડ્રો રમવી પડી હતી.ડી. ગુકેશ સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો છે અને ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બન્યો. તેના પહેલા વિશ્વનાથન આનંદ 2012માં ચેસ ચેમ્પિયન બન્યા હતા. ગુકેશે અગાઉ 17 વર્ષની વયે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી. ત્યારબાદ તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો. 138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બે એશિયન ખેલાડીઓ એકબીજાનો સામનો કરી રહ્યા હતા. વિજેતાને રૂ. 20.86 કરોડ (US$2.5 મિલિયન) મળશે.

ડી. ગુકેશનું પૂરું નામ ડોમરાજુ ગુકેશ છે અને તે ચેન્નાઈનો રહેવાસી છે. ગુકેશનો જન્મ 7 મે 2006ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેણે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું છે. તેને શરૂઆતમાં ભાસ્કર નગૈયા દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું. નાગૈયા આંતરરાષ્ટ્રીય સ્તરના ચેસ ખેલાડી રહી ચુક્યા છે અને ચેન્નાઈમાં હોમ ચેસ ટ્યુટર છે. આ પછી વિશ્વનાથન આનંદે ગુકેશને રમત વિશે માહિતી આપવાની સાથે કોચિંગ પણ આપ્યું. ગુકેશના પિતા ડોક્ટર છે અને માતા વ્યવસાયે માઇક્રોબાયોલોજીસ્ટ છે.

“ઓબેસિટી ઇન્ડિયા 2024” કોન્ફરન્સ, સ્થૂળતા સામેની લડત માટેના નવા દ્રષ્ટિકોણ

અમદાવાદઃ ભારતમાં મેદસ્વીતા કે સ્થૂળતાનું પ્રમાણ રોગચાળાના સ્તરે પહોંચી ગયું છે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન તેના પ્રમાણમાં થયેલાં ચિંતાજનક વધારાને પરિણામે તે હવે દેશમાં સૌથી મોટી આરોગ્ય કટોકટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. કેટલાંક અભ્યાસોમાં જણાવ્યાં અનુસાર દેશની લગભગ 5% વસતિ રોગગ્રસ્ત મેદસ્વીપણાથી પ્રભાવિત છે. ઓલ ઇન્ડિયા એસોસિયેશન ફોર એડવાન્સિંગ રિસર્ચ ઇન ઓબેસિટી (એઆઇએઆરઓ) દ્વારા 13થી 15 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં તેની 17મી વાર્ષિક કોન્ફરન્સ “ઓબેસિટી ઇન્ડિયા 2024″નું આયોજન કરવામાં આવ્યું છે.

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા સમર્થિત આ ઇવેન્ટમાં નિષ્ણાતો, સંશોધકો અને પ્રેક્ટિશનર્સને, ભારત અને વિશ્વ માટે સૌથી મહત્વના આરોગ્ય પડકારોમાંના પૈકી એક એવા મેદસ્વીપણા અંગેની ચર્ચા કરવા માટે એક મંચ પર લાવવામાં આવ્યા છે. ઓબેસિટી સર્જન, એન્ડોક્રિનોલોજિસ્ટ્સ, ડાયાબિટોલોજિસ્ટ્સ, ફિઝિશિયન્સ, ન્યુટ્રિશનિસ્ટ્સ અને એજ્યુકેટર્સ જેવા હેલ્થકેર પ્રોફેશનલ્સ સહિત 500થી વધુ પાર્ટિસિપન્ટ્સ સાથે આ કોન્ફરન્સ ઈન્ટરડિસિપ્લિનરી સહયોગની સુવિધા આપશે અને મેદસ્વીપણાની સમજણ અને વ્યવસ્થાપનમાં થયેલી પ્રગતિ અંગે જાણકારીની આપલે કરશે.

એઆઈએએઆરઓ (AIAARO)ના પ્રમુખ અને કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડો.મહેન્દ્ર નરવરિયાએ જણાવ્યું હતું કે, “ઓબેસિટી ઇન્ડિયા 2024ના આયોજન દ્વારા, અમારું લક્ષ્ય લોકોમાં મેદસ્વીતા અંગે જાગૃતિ લાવવાનું, તેની સાથે સંકળાયેલી હિન ભાવના ઘટાડવાનું અને આ રોગચાળાને દૂર કરવા માટે પુરાવા-આધારિત ઉકેલોને પ્રોત્સાહન આપવાનું છે. અમે સ્થૂળતા અંગેના શિક્ષણને શાળા/મેડિકલ કોલેજના અભ્યાસક્રમો અને જાહેર આરોગ્યની પહેલોમાં સંકલિત કરવા માટે માત્ર તબીબી સમુદાય સાથે જ નહીં, પરંતુ સમાજ અને નીતિ ઘડવૈયાઓ સાથે પણ જોડાઈશું. આ કોન્ફરન્સમાં એશિયા ઓસનિયા એસોસિયેશન ફોર ધ સ્ટડી ઓફ ઓબેસિટીના પ્રમુખ ગી હ્યુન કાંગ સહિતના જાણીતા વક્તાઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ ફિલિપ શેરર દ્વારા ઓનલાઇન મુખ્ય સંબોધન કરવામાં આવશે.”

એઆઇએએઆરઓ (AIAARO)ના પૂર્વ અધ્યક્ષ અને પ્રોગ્રામ ચેર ડો.બંશી સાબુએ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં બીજી વખત ઓબેસિટી ઇન્ડિયા કોન્ફરન્સ યોજાઇ રહી છે. તેમાં અત્યાધુનિક સંશોધન પ્રસ્તુતિઓ, ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને નિષ્ણાત પેનલ ચર્ચાઓનું આયોજન કરાશે, જેનો ઉદ્દેશ સ્થૂળતા નિવારણ, વ્યવસ્થાપન અને સારવારની સમજણને આગળ વધારવાનો છે.”

આ સંમેલનમાં ભાગ લેનારા સહભાગીઓ મેદસ્વીતા પાછળના વિજ્ઞાન અંગે પણ ચર્ચા કરવા ઉપરાંત, પેથોફિઝિયોલોજી, લેટેસ્ટ સારવાર અને મૌંજારો અને સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન જેવા નવીન વિષયો પર જાણકારીની આપલે કરશે. મેદસ્વીતા સાથે સંકળાયલી નાનપ કે હિનતાની લાગણીને દૂર કેવી રીતે કરી શકાય તે માટે નિષ્ણાતો જીવનશૈલીમાં ફેરફાર અને નિવારણ માટેના ઉપાયોની પણ ચર્ચા કરશે.

મહારાષ્ટ્રના રાજકારણમાં શું અજિત દાદા, શરદ પવાર ફરી એકસાથે આવશે?

મુંબઈઃ છેલ્લાં પાંચ વર્ષોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણી ઊથલપાથલ થઈ છે.  આજે NCP ચીફ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે કાકા શરદ પવાર સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત એટલા માટે ખાસ છે, કેમ કે આજે શરદ પવારનો જન્મદિન પણ છે.

મહારાષ્ટ્રમાં કેબિનેટની રચનાને લઇને બનેલા સસ્પેન્સ વચ્ચે ડેપ્યુટી CM અજિત પવારે NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી ત્યારે તેમનાં પત્ની સુનેત્રા, NCP નેતા પ્રફુલ પટેલ, છગન ભુજબલ સહિત પાર્ટીના અન્ય નેતા પણ હાજર રહ્યા હતા.

આ તમામ નેતાઓએ શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત પવારના 6 જનપદ આવાસ, દિલ્હીમાં થઇ હતી. તે બાદ અજિત પવારે કહ્યું કે જન્મદિવસના પ્રસંગે તેમને શરદ પવારને શુભેચ્છા પાઠવી છે. શરદ પવાર 85 વર્ષના થઇ ગયા છે. અજિત પવારે કહ્યું કે મુલાકાત દરમિયાન પારિવારિક વાતચીતની સાથે રાજકીય વાતચીત પણ થઇ હતી.

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ હજુ સુધી કેબિનેટની રચના થઇ શકી નથી. મહાયુતિમાં સામેલ શિવસેના, NCP અને ભાજપની નજર મંત્રાલયની વહેંચણી પર છે. બુધવાર રાત્રે દિલ્હીમાં મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ઘરે એક બેઠક કરી હતી.

મહારાષ્ટ્રમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇને કોકડું ઉકેલાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં 20 મંત્રી ભાજપના બનશે. શિંદે જૂથ શિવસેનાના 12 મંત્રી જ્યારે NCP અજિત પવાર જૂથના 10 મંત્રી બનશે. હજુ પણ ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ એકનાથ શિંદે જૂથને મળશે કે કેમ તેને લઇને સસ્પેન્સ યથાવત્ છે. નાણાં મંત્રાલય અજિત પવારને મળે એવી શક્યતા છે.

વિશ્વ કક્ષાનાં ફ્રી નેત્ર સારવાર કેન્દ્રને મોરારિબાપુ ખુલ્લું મુકશે

સુરત: શહેરના સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે સુપા ગુરુકુળ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ આંખની વિશ્વકક્ષાની હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલ કુલ 16 વીઘામાં આકાર પામી રહી છે. જે કુલ 5 લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં રૂપિયા 450 કરોડના ખર્ચે બનશે.આ બાંધકામ વર્ષ 2028 સુધીમાં ત્રણ ફેઝની અંદર પૂર્ણ કરવાનો શક્યતા છે. જેમાં 12,000 સ્ક્વેર ફીટનો પહેલો ફેઝ 30 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે, જેનું લોકાર્પણ 15મી ડિસેમ્બર, રવિવારના રોજ સવારે 9:30 વાગે મોરારિબાપુના હસ્તે કરવામાં આવશે.સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટના ડિરેક્ટર ડોક્ટર ભાવિન પટેલે ચિત્રલેખા.કોમને જણાવ્યું, “મારું આ સપનું હતું કે જે લોકોને આંખની સમસ્યાઓ છે કે નેત્રહીન છે તેઓને ઉત્તમ સારવાર મળે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકોમાં આંખની સમસ્યા વિશે જાગૃતતા આવે અને લોકોને આંખની સમસ્યાનું નિવારણ કરતી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું છે. તેમજ જે લોકો પાસે સર્જરી કરવાનો ખર્ચ નથી તેવા લોકોને નિ:શુલ્ક સારવાર અને અંધત્વ નિવારણ કરવાના લક્ષ્ય સાથે આ હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. બે ફેઝની અંદર આ હોસ્પિટલમાં 21 ઓપરેશન થિયેટર, 64 જેટલા OPD બનશે. તેમજ દર મહિને 10,000 લોકોની સર્જરી થઈ શકે તેવી સુવિધાઓ આપવામાં આવશે. આ હોસ્પિટલ વેસ્ટર્ન ઈન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ સાબિત થશે.”હોસ્પિટલના ત્રીજા ફેઝમાં બ્લાઇન્ડ રિહેબ્લિકેશન સેન્ટર બનાવવામાં આવશે. જેમાં જે લોકો નેત્રહીન થયા છે તેવા લોકોને LOCO MOTOR TRAININGના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે. તેઓને ટ્રાવેલિંગમાં અને રોજગાર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. જેના માટે સ્પેશિયલ ટ્રેનર ટીચર્સને રાખવામાં આવશે. આ હોસ્પિટલની અંદર 100થી વધારે ડોક્ટર તેમજ 700થી વધારે સ્ટાફની નિમણૂક કરવામાં આવશે.

નડિયાદમાં યોજાશે ‘ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024’

ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આગામી 14 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન નેત્રહીન માટે 23મી રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાશે. આ વર્ષે, ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

તમામ રાજ્યોમાંથી સ્પર્ધકો આવશે

ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન (IBSA) દ્વારા વર્ષમાં બે વખત આયોજિત આ ચેમ્પિયનશિપ ત્રણ દિવસ ચાલશે અને 246 પુરસ્કારો દ્વારા દેશના ખેલાડીઓની રમત ભાવનાને સન્માનિત કરશે. આ વર્ષે ચેમ્પિયનશિપ સંસ્થામાં ઐતિહાસિક ફેરફારો લાવી રહી છે. સૌપ્રથમ વખત, આ ઇવેન્ટમાં તમામ રાજ્યોમાંથી સ્પર્ધકો આવશે. આ ચેમ્પિયનશિપ માટે 19 રાજ્યોની સંસ્થાઓએ પસંદગી પ્રક્રિયા દ્વારા શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી છે. ઉપરાંત આ પ્રથમ વખત છે જ્યારે દૃષ્ટિહીન લોકો માટે વાર્ષિક સ્પોર્ટ્સ મીટ દિલ્હીની બહાર આયોજિત કરવામાં આવી રહી છે.

ગુજરાતના 28 ખેલાડીઓનો સમાવેશ

આ ઈવેન્ટમાં ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સ અને રિલે રેસ સહિત રમતગમત જોવા મળશે. 19 રાજ્યોમાંથી 175 દૃષ્ટિહીન પુરુષ અને સ્ત્રી ભાગ લેશે. જેમાં ગુજરાતના 28 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ચેમ્પિયનશિપમાં દૃષ્ટિની ક્ષતિની ત્રણ શ્રેણીઓ પૈકી  T11, T12 અને T13 હેઠળ 53 આંતરરાષ્ટ્રીય અને સ્વદેશી રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેશે.

સ્પર્ધાઓમાં 100-મીટર ડેશ, 200-મીટર ડેશ, રિલે રેસ, લાંબી કૂદ, ​​શોટ પુટ, બરછી ફેંક, ફૂટબોલ, જુડો અને કબડ્ડીનો પણ સમાવેશ થાય છે. આ વિશે વાત કરતા IBSAના જનરલ સેક્રેટરી ડેવિડ એબસાલો કહે છે કે, “આ વર્ષની ચેમ્પિયનશિપ ઘણી મહત્વપૂર્ણ છે કારણ કે, પ્રથમ વખત, આ ઇવેન્ટમાં આનુષંગિકોને બદલે સમગ્ર રાજ્યોની સહભાગિતા દર્શાવવામાં આવશે.” નોંધનીય છે કે  19 રાજ્ય સંસ્થાઓએ ટ્રાયલ હાથ ધર્યા પછી શ્રેષ્ઠ રમતવીરોની પસંદગી કરવામાં આવી  છે.

કાર્યક્રમની રૂપરેખા

13 ડિસેમ્બર, 2024 શુક્રવાર

08:00 am: ખેલાડીઓનું દૃષ્ટિ વર્ગીકરણ

05:00 pm: મેનેટર સાથે ભેટ

 

14 ડિસેમ્બર, 2024 શનિવાર

06:00 pm: અધિકારીઓ માટે NADA વર્કશોપ

11:00 am: ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય

04:00 pm: પ્રમાણપત્ર અને મેડલ સમારોહ

 

15 ડિસેમ્બર, 2024 રવિવાર

09:00 am: રમતગમત

04:00 pm: પ્રમાણપત્ર અને મેડલ સમારોહ

 

16 ડિસેમ્બર, 2024 સોમવાર

09:00 am: ગેમ્સ ફિનાલે

04:00 pm: સમાપન સમારોહ

ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ’નું ઉદ્ઘાટન અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ કરશે. જયારે પેરાલિમ્પિક્સ 2024માં મહિલાઓની 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સિમરન શર્મા અને જુડોમાં ભારતનો પહેલો પેરાલિમ્પિક મેડલ લાવનાર કપિલ પરમાર પણ આ ચેમ્પિયનશિપમાં હાજર રહેશે.

ઉપરાંત પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ કાંતિલાલ પરમાર, પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, પેરાલિમ્પિક્સ કમિટિ ઓફ ઈન્ડિયાના સેક્રેટરી ચંદુલાલ ભાટી અને દીપાલીબેન રાઠી, પ્રમુખ, બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત વગેરે પણ અહીં ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં બોગસ વિઝા-પાસપોર્ટ કૌભાંડ ઝડપાયું

ગુજરાતમાં નકલીનો દોર યથાવાત જોવા મળી રહ્યો છે. ફરી એક નકલીનું સામરાજ્ય ઝડપાયું છે. પહેલા નકલી જજ, કોર્ટ, પોલીસ, ડૉક્ટરની ભરમાર વચ્ચે દ્વારકામાં બોગસ વિઝા-પાસપૉર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં SOGએ તલાટી મંત્રી સહિત 9 આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી.  દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરમાં બોગસ વિઝા-પાસપૉર્ટનું કૌભાંડ ઝડપાયું છે. આરોપીઓ અલગ-અલગ શહેરમાં કામને અંજામ આપતાં હતા. જેમાં નામ અને અટકમાં સુધારા કરીને બનાવટી પાસપૉર્ટ તેયાર કરતા હતા. જ્યારે આરોપીઓ તલાટી પાસેથી ખોટી રીતે જન્મનો દાખલો મેળવી કૌભાંડ આચરતા હતા. સમગ્ર મામલે SOGએ પોરબંદર, વલસાડ, દમણ અને દ્વારકામાંથી તલાટી સહિત 9 શખસોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે આરોપીઓ સરકારી રેકર્ડ સાથે ચેડાં કરીને સાચી એન્ટ્રીઓનો નાશ કરતા હતા અને ખોટા જન્મના પ્રામણપત્રો બનાવતા હતા. આ મામલે જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનને જાણ થતાં, ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા SOGએ કૌભાંડમાં સપડાયેલા તલાટી મંત્રી હાર્દિક રાવલીયાની ધરપકડ કરીને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોરબંદરના એક શખસનો જન્મનો દાખલો કાઢી આપ્યો હોવાના ખુલાસો થયો હતો.

સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ યુકે જવા ઇચ્છતા લોકોની પસંદગી કરતા હતા. આ પછી યુકેમાં રહેતા પૉર્ટુગીઝ નાગરિકતા ધરાવતાં લોકોનો સંપર્ક કરાવીને નાણાકીય લેવડ-દેવડ કરતા હતા અને તેમના ડૉક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં પાસપૉર્ટની ઍપ્લિકેશન કરનારા લોકોના ફર્સ્ટ નેમમાં પોતાનું અને માતા-પિતાના નામમાં પૉર્ટુગીઝને વાલી દર્શાવામાં આવતા હતા. આમ આરોપીઓ જન્મના ખોટા પ્રમાણપત્રો બનાવીને યુકે જવા ઇચ્છાતા લોકોના બોગસ વિઝા તૈયાર કરાતા હતા. વિઝા મેળવવામાં સરળતા રહે તે માટે આરોપીઓ 21 વર્ષથી ઓછી ઉંમરના છે તેમ દાખલામાં દર્શાવાતું હતું. આ પછી આધારકાર્ડમાં નામ, સરનામું સહિતના સુધારા વધારા કરીને વલસાડ, દમણ અને સુરતના એજન્ટો મારફતે કામને પાર પાડીને બનાવટી પાસપૉર્ટ તૈયાર કરવામાં આવતો હતો. સમગ્ર કૌભાંડ મામલે પોલીસે પોરબંદર, સુરત, વલસાડ, દમણ ખાતેથી આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવેમ્બરમાં મોંઘવારી દર ઘટીને 5.48 ટકા થયો

નવી દિલ્હીઃ નવેમ્બરમાં રિટેલ મોંઘવારીનો દર ઘટીને 5.48 ટકા થયો છે, જે આ પહેલાં ઓક્ટોબરમાં 6.21 ટકા હતો. જોકે સતત ત્રીજા મહિને રિટેલ મોંધવારીનો દર પાંચ ટકાની ઉપર રહ્યો છે.

ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતનો રિટેલ ફુગાવો નવેમ્બરમાં માસિક ધોરણે ઘટી 5.48 ટકા નોંધાયો છે. શાકભાજી-ફળોના ભાવોમાં ઘટાડાને કારણે નવેમ્બરમાં મોંઘવારીમાં રાહત મળી હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે. ખાદ્ય ચીજો પર મોંઘવારી દર ઓક્ટોબરમાં 10.9 ટકા સામે ઘટી નવેમ્બરમાં નવ ટકા થયો છે. રિટેલ બજારમાં ખાદ્ય ચીજોના ભાવમાં કોઈ ખાસ મોટો ઘટાડો નોંધાયો નથી.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સત્તાવાર આંકડાઓ અનુસાર દેશનો રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે સ્થિર રહ્યો છે. નવેમ્બર,  2023માં રિટેલ ફુગાવો 5.55 ટકા નોંધાયો હતો. ફુગાવાના ઊંચા દરે મોનિટરી પોલિસીમાં અગિયારમી વખત વ્યાજના દરોને યથાવત્ રાખ્યા હતા. અર્થશાસ્ત્રીઓના મતે જાન્યુઆરીથી મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી શકે છે. જેથી ફેબ્રુઆરીમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દર 0.25 ટકા ઘટવાની શક્યતા છે.

ખાદ્ય ચીજોમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બરમાં 9.04 ટકા નોંધાયો છે. જે ઓક્ટોબરમાં 10.87 ટકા હતો. જોકે વાર્ષિક ધોરણે ખાદ્ય ચીજોનો ફુગાવો હજી પણ વધુ છે. નવેમ્બર, 2023માં તે 8.70 ટકા હતો. NSOમાં જણાવ્યા પ્રમાણે શાકભાજી, કઠોળ-અનાજ, સુગર, ફળો, દૂધ અને દૂધની બનાવટો, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન્સ, મસાલાઓ અને પર્સનલ કેર સહિતની ચીજોના ભાવમાં નોંધનીય ઘટાડો થતાં નવેમ્બર, 2024માં રિટેલ ફુગાવો ઘટ્યો છે.

મેરેથોન વિજેતાને પુરસ્કારમાં મળશે ગાય, માછલી અને મરધી પણ ઈનામમાં સામેલ

ચીન: ઉત્તર-પૂર્વ પ્રાંત જિલિનમાં હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇનામ તરીકે ઘણા અનોખા પુરસ્કારો આપવામાં આવશે. મેરેથોનમાં પ્રથમ આવનારને એક ગાય અને અન્ય દોડવીરોને જંગલી માછલી, હંસ અથવા ચિકન આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય વધુને વધુ સહભાઓને આકર્ષવાનો છે જેથી સ્થાનિક ઉત્પાદનોને પ્રમોટ કરી શકાય.નોંગન તાઇપિંગચી આઇસ અને સ્નો હાફ મેરેથોનનું આયોજન 29 ડિસેમ્બરે કરવામાં આવશે. જેમાં હાફ મેરેથોનના પુરુષ અને મહિલા ચેમ્પિયનને એક ગાય આપવામાં આવશે. જો વિજેતા ગાય લેવા નથી માંગતા તો બદલામાં 6,000 યુઆન (લગભગ 70,000 રૂપિયા) પણ લઈ શકે છે.

બીજા સ્થાને વિજેતાને તાઈપિંગ તળાવમાં ઉછેરવામાં આવતી જંગલી માછલી મળશે. જ્યારે અન્ય ઈનામોમાં તે જ તળાવમાં ઉછેરવામાં આવતા હંસ અને બતકનો સમાવેશ થશે. આ ઉપરાંત, ચિકન પણ આપવામાં આવશે. અન્ય વિજેતાઓને દસ કિલોગ્રામ (22 પાઉન્ડ) ચોખા અને ઘઉં આપવામાં આવશે.

આ સમાચાર ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને મંગળવારના રોજ પ્લેટફોર્મ Weibo પર સૌથી વધુ ચર્ચિત વિષયોમાંના એક હતા. એક યુઝરે વેઇબો પર લખ્યું, “જો પ્રથમ સ્થાને આવનાર વ્યક્તિ વિદેશમાં રહે છે, તો શું તેણે પશુઓ માટે હાઇ સ્પીડ ટ્રેનની ટિકિટ ખરીદવાની જરૂર પડશે?”આ કાર્યક્રમ મુખ્ય કૃષિ ઉત્પાદક જિલિનના નોંગન કાઉન્ટીના વેટલેન્ડ પાર્કમાં યોજાનાર છે. ચાઇનીઝ એથ્લેટિક્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચીનમાં મેરેથોન દોડમાં તાજેતરના વર્ષોમાં ઝડપથી વધારો થયો છે. જેમાં 2023માં દેશભરમાં કુલ 622 મેરેથોન અને હાફ મેરેથોન યોજાવાની છે. દરરોજ સરેરાશ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.