Home Blog Page 1309

ચારુસેટ યુનિવર્સિટીમાં ગુજરાતની પ્રથમ અદ્યતન ડાયાબિટીક ઓટોલેબ શરૂ

ચાંગા: ચારુસેટ યુનીવર્સીટીમાં અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી (ARIP)માં  કોમ્યુનિટી ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા ડાયાબિટીક પગ અને તેને સંબંધિત સમસ્યાઓની તપાસ કરવા માટે રૂ. 4.20 લાખના ખર્ચે ડાયાબિટીક ઓટોલેબ શરુ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની ડાયાબિટીક ઓટોલેબ ધરાવતી એકમાત્ર સંસ્થા ARIP કોલેજ છે જ્યાં આ સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાતમાં સૌપ્રથમ વાર ચારુસેટમાં ડાયાબિટીસના દર્દીઓ માટે અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ, ટ્રેનીંગ અને લર્નિંગના હેતુસર આ લેબ શરુ કરવામાં આવી છે.

આ લેબ વિશે માહિતી આપતા ARIPના પ્રિન્સીપાલ ડો. ધ્રુવ દવે, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. માનસી ભડીયાદ્રા અને ડો. શિપ્રા શાહે જણાવ્યું હતું કે ડાયાબીટીસ સાઈલેન્ટ રોગ છે જેના લક્ષણો તરત દેખાતા નથી. પગની તકલીફ થવી કોમન છે, પણ ડાયાબીટીસ થાય તો પગની ઘણીબધી તકલીફ થાય છે. પગની નસનું સુકાઈ જવું પણ એક તકલીફ છે. ડાયાબીટીસ થાય તો પગની નસ સુકાઈ જાય છે અને પગ કાળો પડી જાય છે અને મોટાભાગના લોકોનું ચેતાતંત્ર પણ ધીમું પડી જાય છે. પગમાં ઘણા લોકોને તકલીફ વધે તો પગનો અંગુઠો કે પગ કપાવવો પડતો હોય છે.  આ બાબતમાં અગાઉથી ચકાસણી કરવી જરૂરી છે જેથી રોગને આગળ વધતો અટકાવી શકાય છે. તેની ચકાસણી આ ડાયાબિટીક ઓટોલેબ દ્વારા થશે. વર્લ્ડ ડાયાબીટીસ ફેડરેશનના જણાવ્યા મુજબ એક અંદાજ પ્રમાણે 4 કરોડ નાગરિકોને ડાયાબીટીસ છે જેમાં 8 થી 10 ટકા ગુજરાતના છે.

આ ડાયાબિટીક ઓટોલેબ વિવિધ પ્રકારના સ્ક્રીનીંગ કરવામાં સક્ષમ છે

(1) એન્કલ બ્રેકિયલ ઇન્ડેક્સ, ટો બ્રેકિયલ ઇન્ડેક્સ, વેલોસીટી વેવફોર્મ એનાલીસીસનો ઉપયોગ કરીને વાસ્ક્યુલર ખામીઓ શોધી કાઢે છે.

(2) વાઇબ્રેશન પર્સેપ્શન થ્રેશોલ્ડ (વીપીટી) – બાયોથેસીયોમેટ્રી 10 ગ્રામ મોનોફિલામેન્ટથી સંવેદન ઉણપ જાણી શકાય છે.

(3) એડવાન્સ ઇલેક્ટ્રોનિક સેન્સર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પગનાં તળિયાંને લગતા દબાણનું સ્ક્રીનીંગ કરે છે.

(4) પગમાં થતી બળતરાના મૂલ્યાંકન માટે પગના તાપમાનનું નોન-કોન્ટેક્ટ મેઝરમેન્ટ લે છે.

તાજેતરમાં અદ્યતન ડાયાબીટિક ઓટોલેબ સિસ્ટમનો ઉપયોગ કરીને ડાયાબિટીસ ધરાવતા સ્ટાફ મેમ્બર્સ માટે સ્પેશીયલ ફૂટ ઇવેલ્યુએશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓની ચકાસણી શરુ કરવામાં આવી છે.

સ્વરા ભાસ્કરે પતિની હાર બાદ EVM પર ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ પ્રચંડ જીતના માર્ગે છે. 288 બેઠકોના આ રાજ્યમાં મહાયુતિ 217 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાવિકાસ અઘાડી (MVA)ને મોટો ઝટકો લાગ્યો છે. MVA 55 બેઠકોથી નીચે સંકોચાઈ રહી હોય તેવું લાગે છે. આ ચોંકાવનારા પરિણામ બાદ EVM પર સવાલો ઉઠવા લાગ્યા છે. શરૂઆતના વલણો સમયે શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા સંજય રાઉતે અનિયમિતતાઓ વિશે વાત કરી હતી. હવે બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે EVM પર શંકા વ્યક્ત કરી છે.

સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ અનુશક્તિ નગર વિધાનસભાથી ચૂંટણી મેદાનમાં છે. એનસીપીએ (શરદ પવાર) તેમને ટિકિટ આપી. ફહાદ અહમદ એનસીપી (અજિત પવાર)ના ઉમેદવાર અને નવાબ મલિકની પુત્રી સના મલિક સામે સ્પર્ધાનો સામનો કરી રહ્યા હતા. પરિણામોમાં પતિની હાર બાદ સ્વરાએ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા અને ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો.

EVM મશીન 99% કેવી રીતે ચાર્જ કરવું

સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું છે કે મતદાનના આખા દિવસ પછી પણ EVM મશીન 99% ચાર્જ કેવી રીતે થઈ શકે? ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ. અનુશક્તિ નગર વિધાનસભામાં 99% ચાર્જ મશીનો ખોલતાની સાથે જ ભાજપ સમર્થિત NCPને વોટ મળવા લાગ્યા, કેવી રીતે આવ્યા? સ્વરા ભાસ્કરની આ પોસ્ટ બાદ અન્ય વિપક્ષી નેતાઓ પણ ચૂંટણી પંચને આવા સવાલો પૂછી શકે છે.

3378 મતોથી હાર

અનુશક્તિ નગરથી NCP શરદ પવારની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી બોલિવૂડ અભિનેત્રીના પતિ ફહાદ અહેમદને NCP શરદ પવારના ઉમેદવાર સના મલિકે 3378 મતોથી હરાવ્યા હતા. આ સીટ પર સનાને 49341 વોટ મળ્યા જ્યારે ફહાદને 45963 વોટ મળ્યા. આ સીટ પર રાજ ઠાકરેની પાર્ટી MNSના ઉમેદવાર આચાર્ય નવીન વિદ્યાદાર 28362 વોટ મેળવીને ત્રીજા ક્રમે છે.

સંજય રાઉતે ગરબડનો ભય વ્યક્ત કર્યો હતો

આ પહેલા સંજય રાઉતે પરિણામમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મહારાષ્ટ્રના લોકોની ઈચ્છા હોઈ શકે નહીં, અમે મહારાષ્ટ્રના લોકો જાણીએ છીએ. આ જનતાનો નિર્ણય નથી. રાઉતે કહ્યું કે એકનાથ શિંદેએ પહેલેથી જ કહ્યું હતું કે અમારો એક પણ ઉમેદવાર હારશે નહીં, અને વલણોમાં પણ તે જ દેખાય છે. આ કેવી રીતે શક્ય બની શકે?

અજય દેવગનની ફિલ્મ ‘નામ’ને પરદા પર આવતા 16 વર્ષ કેમ લાગ્યા?

સુરત:  ડાયરેકટર અનીસ બઝમીની ‘ભૂલભૂલૈયા 3’ અને અજય દેવગનની ‘સિંઘમ અગેન’ વચ્ચેની ટક્કરમાં હવે અજય અને અનીસ બંનેનો સથવારો આ શુક્રવારે સિનેમામાં જોવા મળશે.

દરઅસલ આ શુક્રવારે રિલીઝ થયેલી અજય દેવગન અભિનીત ફિલ્મ નામને અનીસ બઝમીએ ડિરેકટ કરી છે. આમ તો આ ફિલ્મ 16 વર્ષ અગાઉ તૈયાર થઈ ગઈ હતી પણ રિલીઝ હમણાં થઇ રહી છે. કેમ આ ફિલ્મને રિલીઝ માટે 16 વર્ષ લાગી ગયા એની વાત ફિલ્મના પ્રોડ્યુસર પાસેથી જાણીએ.

સુરતના રૂંગટા સિનેમામાં ગત મંગળવારની રાત્રે ઝાકમઝોળ જેવો માહોલ હતો. આવી રહેલા ગેસ્ટની  રેડ કાર્પેટથી એન્ટ્રી થઈ રહી હતી. ‘નામ’ ફિલ્મના અનેક પોસ્ટર અને બેનર શોભી રહ્યા હતા. બેકગ્રાઉન્ડમાં  ફિલ્મનું સંગીત ગુંજી રહ્યું હતું. ખાસ સેલ્ફી ઝોનમાં દર્શકો સેલ્ફી રહ્યા હતા. આ માહોલ ‘નામ’ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગનો હતો.

રૂંગટા ગ્રુપના ચેરમેન અને નામ ફિલ્મના પ્રોડ્યુસર અનિલ રૂંગટા ચિત્રલેખા.કોમ સાથે ફિલ્મી જર્ની શેર કરતા કહે છે, “ અજય દેવગનની પહેલી ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે 1991’માં તારિખ 22 નવેમ્બરે રિલીઝ થઈ હતી. જેના પ્રોડ્યુસર હતા, દિનેશ પટેલ. 2008માં અજય દેવગન સાથે એમની નવી ફિલ્મ ‘નામ’નું શૂટિંગ પૂરું થતાં સમયે એમનુ નિધન થઇ ગયું. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન સહિતનું ઘણું કામ બાકી હતું. ફાયનાન્સ પ્રોબ્લેમને કારણે ફિલ્મ અટકી પડી હતી.

અનિલભાઈ ઉમેરે છે કે, “ દિનેશ પટેલના એક મિત્ર જયેશ શાહ મારા પણ મિત્ર. મારા ફિલ્મી શોખને કારણે એમણે 2019માં મારી સામે આ ફિલ્મ પૂરી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. બાદમાં ત્રણેક વાર ફિલ્મ જોઈ. ‘નામ’ની વાર્તા અને સસ્પેન્સ મને ખૂબ સ્પર્શી ગયાં. આ વાર્તા દર્શકો સુધી પહોંચવી જોઇએ એવું લાગ્યું અને આ પ્રોજેક્ટ પૂરો કરવાનો નિર્ણય કર્યો હતો.

બાદમાં દીનેશભાઇની પત્ની સાથે મુલાકાત થઈ, લીગલી તમામ પ્રોસેસર પતાવી અને અમે ફિલ્મને 2021માં રિલીઝ કરવા ઈચ્છતા હતા પણ કોરોના આવી જતા રિલીઝ ટળી.  હવે આ 22 નવેમ્બરે રિલીઝ થઈ છે. આ દિવસે રિલીઝ કરવાનુ એક ખાસ કારણ એવુ પણ છે કે આજ તારીખે 1991માં દિનેશ પટેલ અને અજય દેવગનની ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ રિલીઝ થઈ હતી. એ રીતે આ ફિલ્મ  દ્વારા દિનેશભાઈને શ્રધ્ધાંજલી આપીશું.”

નોંધનીય છે કે અજય દેવગન, ભૂમિકા ચાવલા, સમીરા રેડ્ડી અભિનીત આ ફિલ્મ ભારત અને મુખ્ય વિદેશી બજારોમાં ૧૨૦૦ સ્ક્રીન્સમાં  રિલીઝ થશે.

(અરવિંદ ગોંડલિયા, સુરત)

UP, બિહારથી માંડીને રાજસ્થાન સુધી NDAનો દબદબો

નવી દિલ્હીઃ દેશમાં મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભા સહિત અન્ય 15 રાજ્યોની 48 વિધાનસભા સીટોની પેટા ચૂંટણી સહિત લોકસભાની બે સીટો પર પેટા ચૂંટણીનાં પરિણામો આજે આવવાનાં છે. આ 48 સીટો પૈકી ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકો પર ભાજપ આગળ છે.

આ સિવાય લોકસભાની વાયનાડ સીટને લઈને ઘણી ઉત્સુકતા છે, જ્યાં પ્રિયંકા ગાંધી વાડરા ચૂંટણી લડી રહ્યાં છે. એ સાથે રાજસ્થાનમાં સાત, પશ્ચિમ બંગાળમાં છ, આસામમાં પાંચ, પંજાબ અને બિહારમાં 4-4 સીટો પર પેટા ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે. આ સાથે કર્ણાટક અને કેરળમાં ત્રણ-ત્રણ સીટો પર ચૂંટણી થઈ છે. આ સિવાય ઉત્તરાખંડની કેદારનાથ સીટ પર સૌની નજર છે.

જયારે સમાજવાદી પાર્ટી એક બેઠક પર આગળ છે. આજે મીરાપુર, કુંડારકી, સિસામાઉ, કટેહારી, ફુલપુર, માઝવાન, ગાઝિયાબાદ, કરહાલ અને ખેર- નવ બેઠકોના પરિણામો આજે મતગણતરી સમાપ્ત થયા પછી જાહેર કરવામાં આવશે.

કેરળની વાયનાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા જંગી બહુમતીથી આગળ રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ બે લાખ મતોથી આગળ છે. તેમણે ભાજપના નવ્યા હરિદાસ અને CPIના સત્યન મોકેરીને ખૂબ પાછળ છોડી દીધા છે.

કર્ણાટકમાં પેટા ચૂંટણીમાં થયેલી ત્રણેય બેઠકો પર વર્તમાન ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ આગળ છે અને એનડીએ પાછળ છે, જ્યારે ઉત્તરાખંડમાં કેદારનાથ પેટા ચૂંટણીમાં ત્રણ રાઉન્ડની મતગણતરી પછી ભાજપે લીડ જાળવી રાખી છે. ત્રણ રાઉન્ડની મતગણતરી બાદ ઉત્તરાખંડની કેદારનાથ પેટાચૂંટણીનાં પરિણામો ભાજપના ઉમેદવાર આશા નૌટિયાલ 1590 મતોની લીડ છે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં તમામ છ બેઠકો પર TMC પ્રારંભિક વલણમાં આગળ છે. પશ્ચિમ બંગાળમાં 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાઈ હતી તે સીતાઈ, મદારીહાટ, નૈહાટી, હરોઆ, મેદિનીપુર અને તાલડાંગરામાં છ બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ આગળ છે, જયારે ભાજપ પાછળ છે.

મુંબઈમાં દિલજીતના કોન્સર્ટની તારીખ જાહેર થતાં અમુક સેકન્ડોમાં જ વેચાઈ ગઈ ટિકિટ

મુંબઈ: દિલજીત દોસાંઝે 26 ઓક્ટોબરે દિલ્હીથી તેની ‘દિલ લ્યુમિનાટી ટૂર ઈન્ડિયા’ની શરૂઆત કરી હતી. અત્યાર સુધી દિલજીતે દિલ્હીની સાથે જયપુર, અમદાવાદમાં પણ પોતાના કોન્સર્ટમાં ધૂમ મચાવી છે. હવે દિલજીતના આગામી કોન્સર્ટની પણ જાહેરાત થઈ ગઈ છે. દિલજીનો આગામી કોન્સર્ટ મુંબઈમાં થવાનો છે. જે 19મી ડિસેમ્બરે યોજાશે.

મુંબઈ કોન્સર્ટની જાહેરાત થતાં જ તેના ચાહકોમાં ટિકીટનો ઉસ્તાહ વધી ગયો હતો. તાજેતરમાં આ કોન્સર્ટની ટિકિટનું લાઈવ વેચાણ શરૂ થયું હતું. આ વેચાણ શરૂ થતાંની સાથે જ અમુક સેગમેન્ટની તમામ ટિકિટો થોડીવારમાં વેચાઈ ગઈ હતી. ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ અનુસાર, દિલજીત દોસાંજના કોન્સર્ટની સિલ્વર ટિકિટ, જેની કિંમત 4,999 રૂપિયા હતી, તે માત્ર 50 સેકન્ડમાં જ વેચાઈ ગઈ હતી. આ સાથે ગોલ્ડ કેટેગરીની ટિકિટો પણ થોડીવારમાં વેચાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ ટિકિટોનું વેચાણ ગઈકાલે 22 નવેમ્બરે Zomato Live પર શરૂ થયું હતું.

હવે માત્ર 2 કેટેગરીની ટિકિટ બાકી છે
રિપોર્ટ અનુસાર, હવે દિલજીતના કોન્સર્ટ માટે સિલ્વર અને ગોલ્ડની કોઈ ટિકિટ બચી નથી. હવે માત્ર 2 શ્રેણીની ટિકિટ બાકી છે. આમાંની પ્રથમ શ્રેણી ઓનલી ફેન પીટ ટિકિટ છે, જેની કિંમત 21,999 રૂપિયા છે. આ સાથે MIP લાઉન્જ ટિકિટ બાકી છે, જેની કિંમત પ્રતિ વ્યક્તિ 60 હજાર રૂપિયા છે. દિલજીત અહીં 19મી ડિસેમ્બરે પરફોર્મ કરવા જઈ રહ્યો છે. હવે દિલજીતની હિટ ટૂરનું આગામી ડેસ્ટિનેશન મુંબઈ બનવાનું છે. આ અંગે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ પહેલા પણ કોન્સર્ટની ટિકિટ ઝડપથી વેચાઈ ગઈ હતી.

દિલજીતની ઓલ ઈન્ડિયા ટૂર સુપરહિટ રહી છે
દિલજીત દોસાંઝ હવે બોલિવૂડ સહિત દુનિયાભરમાં તેના ગીતો માટે જાણીતો છે. સિંગરમાંથી એક્ટર બનેલા દિલજીતે પોતાના અવાજનો પાવર આખી દુનિયામાં બતાવ્યો છે. હવે દિલજીત આ દિવસોમાં તેની ‘દિલ લ્યુમિનાટી ટૂર ઈન્ડિયા’ પર છે. આ પ્રવાસની શરૂઆત ગયા મહિને દિલ્હીથી કરવામાં આવી હતી. દિલ્હીના આ કોન્સર્ટમાં હજારો ચાહકો પણ પહોંચ્યા હતા. દિલજીતના પ્રારંભિક કોન્સર્ટ બાદ જયપુર અને અમદાવાદમાં દિલજીતનો કોન્સર્ટ પણ હિટ રહ્યો છે. હવે દિલજીત મુંબઈમાં ચાહકોને મોજ કરાવવા માટે તૈયાર છે.

ગેનીબેનના ગઢમાં ગાબડું, વાવ વિધાનસભા પર લહેરાયો ભગવો

દેશભરની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ટકેલી છે. આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠાના વાવ વિધાનસભાની બેઠક પર પણ પેટા ચૂંટણીનો માહોલ જામ્યો હતો. ત્યારે લગભગ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. વાવ વિધાસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપના સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતની લીડથી જીત થઇ છે. 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી. આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી છે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 % ટકા મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારોએ પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મત આપ્યો હતો. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાભરના મીઠા વિસ્તારના EVM ખુલતાં જ ભાજપ જીત તરફ, કોંગ્રેસની સાઇડ કાપી સ્વરુપજી 200 મતથી આગળ છે કોંગ્રેસને 86,736 મત અને ભાજપને 86,929 મત મળ્યા છે. આમ ભાજપ કોંગ્રેસની સાઇડ કાપીને143 મતે આગળ છે.

મહારાષ્ટ્ર: જીત પર દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની પ્રતિક્રિયા આવી સામે

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોની સ્થિતિ લગભગ સ્પષ્ટ છે. મહાયુતિ 220થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે અને મહાવિકાસ અઘાડી માત્ર 58 બેઠકો પર જ છે. આ આંકડો બદલાઈ શકે છે પરંતુ એ નિશ્ચિત છે કે રાજ્યમાં મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે. મહાયુતિ બહુમતીના આંકને પાર કરી ગઈ છે. આ દરમિયાન એવા પણ સમાચાર છે કે દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવી શકે છે. ભાજપ અધ્યક્ષ પણ તેમને મળવા પહોંચ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેવેન્દ્ર ફડણવીસે પોતાની ખુશી વ્યક્ત કરી છે, ‘એક તો સેફ હૈ! મોદી હૈ તો મુમકિન હૈ!’. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તેમાં બીજેપીની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન 288માંથી 221 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી એટલે કે MVA 56 સીટો સુધી સીમિત જણાય છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે ‘ બટેંગે તો કટેંગે’ અને ‘એક તો સેફ હૈ’ જેવા નારા આપ્યા હતા.

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ તમામ મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે આ એક વિશાળ જીત છે. શિંદેએ કહ્યું કે અમને તમામ વર્ગોના મત મળ્યા છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મહાયુતિના તમામ કાર્યકર્તાઓ ખંતથી કામ કરી રહ્યા છે. સીએમ શિંદેએ કહ્યું કે તેમણે અમને એવી જીત અપાવી છે જે પહેલાં ક્યારેય થઈ નથી – ન તો ભૂતકાળ અને ન તો ભવિષ્ય. શિંદેએ કહ્યું કે વિકાસ ત્યારે થાય છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે છે. કેન્દ્ર સરકારે હંમેશા અમારા રાજ્યને મદદ કરી છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું કે જેમની પાસે વધુ સીટો હોય તેને સીએમ પદ આપવામાં આવે એવી કોઈ સ્પષ્ટતા થઈ નથી. હવે અંતિમ પરિણામો આવવા દો. આ પછી ત્રણેય પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે. પીએમ મોદી છે, જેપી નડ્ડા છે, આપણે બધા સાથે મળીને નિર્ણય કરીશું. એકનાથ શિંદેએ કહ્યું કે જે રીતે મહાયુતિએ એક થઈને ચૂંટણી લડી છે, તે જ રીતે બધા સાથે બેસીને સીએમ પદનો નિર્ણય કરશે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં JMM ગઠબંધનની સરકાર  

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ છે. રાજ્યની તમામ 81 બેઠકો પર આજે મતગણતરી થઈ રહી છે. ઝારખંડમાં JMM ગઠબંધન ફરી એક વાર બહુમતનો આંકડો પાર કરી ગયો છે. ભાજપ ગઠબંધન અહીં 30 સીટો પર આગળ છે. જ્યારે JMM ગઠબંધન 50 સીટો પર આગળ છે.

ઝારખંડમાં ભાજપની આગેવાની હેઠળનું NDA ગઠબંધન આગળ હતું, પરંતુ ત્યાર બાદ JMM ગઠબંધને આગેકૂચ કરી હતી. હાલમાં NDA અહીં 30 બેઠકો પર આગળ છે, જયારે JMM ગઠબંધન 50 બેઠકો પર આગળ છે, જયારે અન્ય એક બેઠકો પર આગળ છે. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 બેઠકો છે. ઝારખંડની રાજધાની રાંચીથી JMMના ઉમેદવાર મહુઆ માજી પાછળ રહી રહ્યા છે. અહીંથી ભાજપના સીપી સિંહ 2905 મતોથી આગળ છે.

જોકે ચૂંટણી પંચના વલણો અનુસાર JMMની આગેવાની હેઠળનું મહાગઠબંધન રાજ્યમાં બહુમતીના આંકને પાર કરી ગયું છે, જે હાલમાં 81માંથી 51 બેઠકો પર આગળ છે. રાજ્યના કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીર, રાજ્યના પક્ષના નિરીક્ષકો તારિક અનવર, મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા અને કૃષ્ણા અલ્લાવુરુ અને ભૂતપૂર્વ રાજ્ય કોંગ્રેસના વડા રાજેશ ઠાકુરે રાંચીમાં બેઠક યોજી હતી, જ્યારે મત ગણતરી ચાલુ હતી.

ઝારખંડની જે બેઠકો પર દેશની નજર છે તેમાં CM હેમંત સોરેનની બારહેત, તેમની પત્ની કલ્પના સોરેનની ગાંડે, ભાજપ નેતા અમર કુમાર બૌરી (ભાજપ)ની ચંદનકિયારી વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય અગ્રણી ઉમેદવારોમાં ધનવરમાં બાબુલાલ મરાંડી અને નાલામાં JMMના રવીન્દ્ર નાથ મહતોનો સમાવેશ થાય છે.

 

લોકો દેશદ્રોહીઓને કેવી રીતે જીતાડી શકે?: સંજય રાઉત

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનને બમ્પર બહુમતી મળી છે. ગઠબંધન 200 બેઠકોનો આંકડો પાર કરી ગયો છે. જ્યારે મહા વિકાસ આઘાડી માત્ર 68 સીટો સુધી જ સીમિત છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પ્રારંભિક વલણો પછી પ્રતિક્રિયા આપી છે.

સંજય રાઉતે મહાયુતિ ગઠબંધન પર નિશાન સાધ્યું છે. શિવસેના (યુબીટી)ના નેતાએ શિવસેનાના શિંદે જૂથની જીત પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે એકનાથ શિંદેના તમામ ધારાસભ્યો કેવી રીતે જીતી શકે? લોકો દેશદ્રોહીઓને કેવી રીતે જીતાડી શકે? તાજેતરમાં અદાણી ગ્રૂપ સામેના આરોપો પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે મહાયુતિની જીત માટે અદાણી વિવાદને જવાબદાર ગણાવ્યો હતો. સંજય રાઉતે આ પરિણામ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

પ્રારંભિક વલણો પછી, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરી. “આ મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય ન હોઈ શકે. અમે જાણીએ છીએ કે મહારાષ્ટ્રના લોકો શું ઈચ્છે છે. આવા પરિણામનો અમલ થઈ શકે નહીં” તેવું તેમણે કહ્યું.

શરૂઆતના વલણો પર નજર કરીએ તો મહાયુતિ ગઠબંધન 220 સીટો પર આગળ છે જ્યારે મહાવિકાસ અઘાડી 55 સીટો પર આગળ છે. મહાગઠબંધનમાં ભાજપ 123, શિવસેના 57 અને એનસીપી 36 બેઠકો પર આગળ છે. જ્યારે મહાવિકાસ અઘાડી કોંગ્રેસ 21 બેઠકો પર, શિવસેના (UBT) 19 બેઠકો પર, NCP (SP) 11 બેઠકો પર આગળ છે.

ગુજરાતમાં જામ્યો શિયાળો, મોટાભાગના શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે

ગુજરાતમાં આખરે શિયાળાએ જમાવટ લીધી છે. મોટાભાગના શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 6 દિવસમાં જ નલિયાના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. એવામાં ગુરૂવારે અમદાવાદમાં તો લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.6 ડિગ્રી વધારે હતું.

નલિયા ઉપરાંત પણ ઘણી જગ્યાએ તાપમાન 16 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. જેમાં છોટા ઉદેપુર, અમરેલી, વડોદરા, રાજકોટ, પોરબંદર, વલસાડ, જામનગર, ગાંધીનગર, ડાંગનો સમાવેશ થાય છે. જોકે, આગામી 25 તારીખ સુધી અમદાવાદમાં તાપમાન ગગડવાની સંભાવના નવિત છે. પરંતુ, ત્યારબાદ 27 નવેમ્બરથી તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થઈ શકે છે. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રી ઘટીને 30 ડિગ્રી નોંધાયું હતું.  હવમાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે. પરંતુ, સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે. હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન નીચે જવાનો ટ્રેન્ડ ચાલે છે. આ સાથે ઉત્તર-પૂર્વથી પવનો ફૂંકાવાના કારણે તાપમાન નીચું જઈ રહ્યું છે.