
ઈમ્પોસ્ટર સિન્ડ્રોમઃ સફળતાની લગોલગ પહોંચવા છતાં ડગમગાવતો ભય
જયારે કારકિર્દી કે વ્યવસાયમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હોય, સફળતા તમારાથી ફક્ત એક કદમ જ દૂર હોય ત્યારે
કોઈને કોઈ છૂપો ભય કે શંકા તમારું બધું જ કામ બગાડી શકે એવું પણ બને. મોટાભાગના લોકો, આપણામાંના 70% લોકો કામકાજના સ્થળે કે કારકિર્દીમાં એક કે એકથી વધારે વખત આ પરિસ્થિતિનો ભોગ બને જ છે, જેમાં તેઓ એવો અનુભવ કરે છે કે તેઓએ જે કંઈ મેળવ્યું છે તેને તે લાયક નથી અથવા તેઓ ખોટી જગ્યાએ છે. આ પ્રકારની ભાવના કે એક છૂપો ડર તેમને સતત હેરાન કરે છે.
આ મનોસ્થિતિને ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ કહેવાય છે. હાલ એજ્યુકેશન અને કોર્પોરેટ વર્લ્ડમાં કાંઇક અંશે આ શબ્દ બઝવર્ડ બની ગયો છે એટલે કે ગણગણાટમાં છે.
શું છે આ ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ?
યાદ રહે, આ કોઈ બીમારી નથી કે નથી કોઈ ભયાવહ પરિસ્થિતિ. આ માત્ર એક મનોદશા છે, જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવ કરે છે. સાદી ભાષામાં સમજીએ તો જયારે તમે પ્લેનમાં ઉપર જાઓ છો ત્યારે તમે અસ્વસ્થતા અનુભવો છો. એ અસ્વસ્થતા બીજું કંઈ નહિ પણ શરીરમાનાં એક હોર્મોન એડ્રિનાલીનનો વધુ સ્ત્રાવ છે. બસ, આ જ રીતે સફળતાની ટોચ સુધી પહોંચતા લોકોનો પોતાના પર આત્મવિશ્વાસ ડગમગવા લાગે ત્યારે તેઓ પોતાની જ સિદ્ધિઓ વિશે અતિ શંકાશીલ બની જાય છે. ઘણીવાર પોતાને આ બધા માટે ફ્રોડ માની બેસે છે. નીલ આર્મસ્ટ્રોંગથી લઈને લેડી ગાગા સુધી ઘણી ફેમસ વ્યક્તિઓ પણ આ મનોવ્યથાનો સામનો કરી ચુકી છે. આ લોકો કોઈને કોઈ રીતે પોતાની પાસેથી વધુ પડતી આશા રાખે છે, જે આગળ જતાં એમને માનસિક તણાવમાં ધકેલી દે છે.

ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ એ કોઈ ખાસ લક્ષણો ધરાવતી કે કોઈ ટેસ્ટ દ્વારા નિદાન કરી શકાતી બીમારી નથી, પરંતુ એની અસર ઘણી વખત ઘાતક બની શકે છે. એવું નથી કે તે દરેક માટે અસલામત જ હોય પરંતુ અમુક ફિલ્ડના લોકો માટે ક્યારેક મુશ્કેલ બની જાય છે. જેમ કે, આ પરિસ્થિતિમાં શેરબજાર કે નાણાંકીય વહીવટ સંભાળતા લોકો નિર્ણય લેતી વખતે ઘણી વાર ખોટા નિર્ણયો લઈ શકે છે. વિદ્યાર્થીઓ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વખતે ઈમ્પોસ્ટરનો ભોગ બને તો તેમની કારકિર્દી ખરાબ થઇ શકે છે. તેઓનો ઘટતો કોન્ફિડન્સ લેવલ ઘણું બધુ કામ બગાડી શકે છે.
અહીં મહત્વના 5 ‘p’ સમજવા જેવા છે.
1.પ્રદર્શન
આ લોકો સતત પોતાની જાત પર મોનીટરીંગ કરે છે કે પોતાનું પ્રેઝન્ટેશન કેવું છે. જો તે બરોબર નહીં હોય તો લોકો શું વિચારશે વગેરે. એટલે તેઓ સતત દબાણમાં રહે છે.
2. પરફેકશનિઝમ (સંપૂર્ણતા)
ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ધરાવનાર વ્યક્તિઓ એક બીબામાં ફીટ થવા ઝઝૂમે છે. ચોક્કસાઈની આ ટેવ જ એમની સફળતાનું કારણ હોય છે, પણ ઘણીવાર અમુક કામોમાં પરિસ્થિતિ અને સમય સાથે બદલાવું પડતું હોય છે. એ સમયે પ્રેક્ટિકલ અભિગમ અપનાવવો એ ચોકસાઈથી વધુ જરૂરી છે. પણ આ પ્રકારના લોકો માટે આટલી સામાન્ય વાત સમજવી પણ અઘરી હોય છે. સરવાળે તેઓ મુશ્કેલીમાં મુકાય છે. તેઓને એમ લાગે છે કે દરેક કામમાં 100% સંપૂર્ણતા હોવી જ જોઈએ, નહીં તો લોકો એમને ખરાબ માનશે. ઉદાહરણ તરીકે, કોઈ વિદ્યાર્થીને 99% માર્ક્સ આવે તો પણ તે દુ:ખી થાય કે 100% કેમ નથી આવ્યા!

3. પીપલ પ્લીઝિંગ (લોકોને ખુશ કરવું)
ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ધરાવનાર વ્યક્તિઓ ઘણીવાર બીજા લોકોના મત વિશે વધુ ચિંતા કરે છે અને એમને ખુશ કરવા માટે પોતાના સિદ્ધાંતોને ગાળે છે. જેમ કે, ઓફિસમાં કોઈને નકારાત્મક વાત કરવી હોય તો તે ન કરે કારણ કે તે લોકોને સારું નહિ લાગે તો એવા વિચારોમાં સાચા નિર્ણય લેતાં અટકે છે.
4. પર્સનલાઇઝેશન (વ્યક્તિગત બનાવવું)
લોકો દરેક નાની નાની નિષ્ફળતાને અંગત રીતે જોવાનું શરૂં કરે છે. જેમ કે, જો પ્રોજેક્ટમાં ભૂલ થઈ જાય તો તેઓ માને છે કે એ તેમની સંપૂર્ણ જવાબદારી છે.

5. પ્રોક્રાષ્ટિનેશન (ટાળવું)
ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ધરાવનાર લોકો ઘણીવાર કામ ટાળતા રહે છે. તેમને ડર હોય છે કે કામ દરમ્યાન તેમની અસલિયત સામે આવી જશે એટલે તેઓ સતત સુધારા કર્યે રાખે છે. દરેક નાની નાની બાબતમાં સુધારો કરવાથી કામમાં આગળ વધી શકતા નથી.
એવું નથી કે આ મનોસ્થિતિ હંમેશા ઘાતક કે નુકસાનકર્તા જ હોય. ઘણીવાર એ દશા જ તમારી સફળતાનો સૌથી મોટો આધાર પણ હોઇ શકે છે. પરંતુ એ પહેલા એ પરિસ્થિતિ આપણા માટે નુકસાનકર્તા નથી એ જાણવું ખૂબ જ જરૂરી છે.
એ જાણી લો કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ પૈકીના એક અને હાલમાં ખૂબ ચર્ચામાં રહેતા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X ના માલિક ઇલોન મસ્ક એક અજીબોગરીબ માનસિક વ્યથા-એસ્પર્જરથી પીડાય છે, જેમાં સહાનુભૂતિ કે સામાજિકતાનો સંપૂર્ણ અભાવ હોય છે. પણ બીજી રીતે જોઇએ તો કદાચ આ જ ખામીને લીધે તેઓ ટેક્નોલોજી જગતમાં ક્રાંતિ સર્જી શક્યા. એ જ ખામીને તેમણે પોતાની તાકાત બનાવી!

આના માટે આપણે આપણી અંદર રહેલા વિવેચકને સમજવો જરૂરી હોય છે. ક્યારે એના નિર્ણયો માનવા અને ક્યારે ના માનવા એનો આધાર આપણા પર હોય છે. અંદર બેઠેલો વિવેચક જયારે જિંદગીના રસ્તા બતાવે તે સંપૂર્ણ ખોટા હોતા નથી. બસ, ત્યાં ચાલવા માટે સાવચેતી જરૂરી હોય છે. આંતરિક દબાણ ભયાનક રૂપ લે એ પહેલા મિત્રો કે નિષ્ણાંતોની મદદ લેવી જરૂરી હોય છે. કોઈ ચોક્કસ દવા કે ઈલાજ ના હોવા છતાં આ પરિસ્થિતિમાંથી બહાર જરૂર નીકળી શકાય છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
Chitralekha Gujarati – 02 December, 2024
મનની શાંતિ માટે નિર્મળ મન હોવું જરુરી
મન એક આધ્યાત્મિક શક્તિ છે. એક સેકન્ડમાં તે વિશ્વના કોઈપણ ખૂણે જઈ શકે છે. આ આધ્યાત્મિક સત્તા છે, અદ્રશ્ય સત્તા છે માટે કોઈપણ સાંસારિક પદાર્થ તેના સુખનો આધાર ન હોઈ શકે. મનને રાજી રાખવાના યોગ રૂપી ઉપાયનું જ્ઞાન ન હોવાના કારણે આજે માનવ ભૌતિક પદાર્થોમાં સુખ શાંતિની શોધ કરે છે પરંતુ સુખ તો ચૈતન્ય સત્તા મનનો વિષય છે.

પદાર્થ તો જડ હોય છે તેમાં સુખ કે દુઃખ જેવી ભાવનાઓ નથી હોતી. કોઈ એક વસ્તુ મનને એટલી બધી પસંદ આવી જાય છે કે તે વ્યક્તિ તેના વગર રહી નથી શકતો. તો કોઈ વ્યક્તિને તે વસ્તુથી એટલી બધી નફરત થઈ જાય છે કે તે તેને જોવા પણ નથી ઈચ્છતો. આમ આકર્ષણ વસ્તુઓમાં નથી હોતું પરંતુ તે મનનો જ એક ભાવ છે. તેનો ઉપયોગ કરતા- કરતા મનુષ્યની ઉપયોગ કરવાની ઇન્દ્રિયો નબળી પડી જાય છે. શરીર વૃદ્ધ થઈ જાય છે અને મનુષ્ય મૃત્યુ પામે છે.
આનાથી એ સ્પષ્ટ થાય છે કે પદાર્થ મનુષ્યની શરીરની તંદુરસ્તી, લાંબુ આયુષ્ય તથા માનસિક શાંતિનો આધાર નથી. પદાર્થ પોતે જ પરિવર્તનશીલ હોવાના કારણે કોઈને કાયમ માટે કોઈને શાંતિ આપી જ કેવી રીતે શકે? મનુષ્ય દ્વારા એકઠા કરવામાં આવેલ પદાર્થો કોઈ કારણથી તેની પાસેથી છીનવી લેવામાં આવે તો તે અસહય દુઃખનું કારણ બની જાય છે. માટે જ સુખ- શાંતિની પ્રાપ્તિ સાધનોનો સંગ્રહ કરવાથી નથી થઈ શકતી.

તેનો અર્થ તે પણ નહીં કે મનુષ્ય પદાર્થોનો ઉપયોગ કરવાનું કે સંગ્રહ કરવાનું છોડી દે. જો રોટી- કપડા-મકાનની યોગ્ય વ્યવસ્થા ન થાય તો મનુષ્ય અશાંત બની જાય છે. આળસ તથા નિષ્ક્રિયતા એ મોટા વિકાર છે જે ખાલી મનમાં શેતાનની જેમ ઘૂસી જાય છે. અહીં અમારું કહેવું એમ છે કે મનની શાંતિ માટે સાધનો સિવાય પવિત્રતા, એકાગ્રતા, શાંતિ બધા સાથે પ્રેમ યુક્ત સંબંધ તથા સકારાત્મક ગુણ પણ જરૂરી છે.

આ પ્રાપ્તિઓ માટે મનનું નિર્મળ હોવું જરૂરી છે. મન નિર્મળ તથા ખરાબ સંસ્કારોથી અપ્રભાવિત રહે તેનો ઉપાય છે રાજયોગ. યોગ અગ્નિ દ્વારા જ મનમાં રહેલ વિકારોના બીજ ભસ્મ થાય છે તથા તે ફરીથી ઉત્પન્ન નથી થતા. રાજયોગ દ્વારા જ પહેલાના પાપ કર્મ પણ મટી જાય છે તથા ફરીથી પાપ કર્મ ન કરવાનું મનોબળ પણ પ્રાપ્ત થાય છે. રાજયોગ થી મનુષ્યનો સંબંધ પરમાત્મા સાથે જોડાઈ જાય છે તથા પરમાત્માની દિવ્ય શક્તિઓ આત્મામાં આવતી જાય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
Agni Trailer: પ્રતીક ગાંધીની ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ફાયરમેનની હિંમત જોવા જેવી
મુંબઈ:’અગ્નિ’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. 2 મિનિટ 43 સેકન્ડના ટ્રેલરમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓના સંઘર્ષની કહાણીને અલગ રીતે દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. પ્રતિક ગાંધી આ ફિલ્મમાં ફાયર બ્રિગેડ કર્મચારીની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે મિર્ઝાપુરની ‘મુન્ના ભૈયા’ એટલે કે દિવ્યેન્દુ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

ફાયર બ્રિગેડની ટીમે હિંમત બતાવી
ટ્રેલરની શરૂઆતમાં જોવા મળે છે કે બાળકોને પૂછવામાં આવે છે કે જ્યારે આગ લાગે છે ત્યારેઆપણે કોને બોલાવીએ છીએ? બાળકો કહે છે ભગવાનને. પછી પૂછવામાં આવે છે કે ધરતી પર કોને બોલાવીએ છીએ? તો બાળકો જવાબમાં કહે છે ફાયર બ્રિગેડને. ફિલ્મના ટ્રેલરમાં ફાયર બ્રિગેડ કર્મચારીઓના જીવનની વાર્તા કહેવામાં આવી રહી છે, જેમાં પ્રતીક ગાંધી મહત્વની ભૂમિકામાં છે.
ટ્રેલરની કહાની આવી કઈંક છે
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક પોલીસકર્મી અને ફાયર બ્રિગેડનો કર્મચારી મિત્રો છે. જો કે, મિત્રતા કામના માર્ગમાં આવતી નથી. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે બિલ્ડિંગમાં આગ લાગી છે, જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે. આમાં તાપમાન એક હજાર ડિગ્રી સુધી પહોંચી જાય છે. બિલ્ડિંગ એટલી નજીક છે કે ફાયર બ્રિગેડનું વાહન પણ ત્યાં પહોંચી શકતું નથી. આગ સતત વધી રહી છે અને અરાજકતાનું વાતાવરણ છે. આગની આ ઘટનાની તપાસ પ્રતીક ગાંધીના પાત્રને સોંપવામાં આવી છે, જ્યાં સરકારની આળસ અને કાર્યશૈલી દેખાઈ રહી છે. આ વાર્તા ફાયર બ્રિગેડ સ્ટાફની ધીરજ અને હિંમત દર્શાવે છે. ટ્રેલરમાં ઘણા દમદાર ડાયલોગ્સ છે. તેમાંથી એક છે,’યે નેતા અભિનેતા કે નામ કા ચૌક બનાતે હૈ. તેરા બેટા પૂછતા હૈ ક્યા તેરે કો’
View this post on Instagram
ફિલ્મના VFX અદ્ભુત છે. ઇમારતોમાં લાગેલી આગમાં સામેલ તમામ VFX એકદમ વાસ્તવિક લાગે છે. આવા VFX હિન્દી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. જ્યાં સામાજિક જવાબદારી અને ચિંતા ફિલ્મમાં બતાવવામાં આવે છે. તે જ સમયે, ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મ બે પરિવારોની પરિસ્થિતિ વિશે પણ જણાવશે, જેઓ તેમના કામ અને પરિવારની પરિસ્થિતિને લઈને પણ ચિંતિત છે. ફિલ્મમાં વહીવટીતંત્ર પર કેટલાક વ્યંગ પણ કરવામાં આવ્યા છે.
આ ફિલ્મ 6 ડિસેમ્બરે OTT પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં સૈયામી ખેર, સાઈ તામ્હંકર, દિવ્યેન્દુની સાથે પ્રતીક ગાંધી, જિતેન્દ્ર જોશી, ઉદિત અરોરા અને કબીર શાહ જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.
વિજય દેવરાકોંડાને મળી ગયો છે તેનો સાચો પ્રેમ, લગ્નનના પ્લાન વિશે કર્યો ખુલાસો
મુંબઈ: રશ્મિકા મંદાન્ના અને વિજય દેવેરાકોંડા ટિન્સેલટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. આ કપલ ઘણીવાર તેમની ડેટિંગની અફવાઓને કારણે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ તેના વિશે ક્યારેય ખુલીને વાત નથી કરતા. જો કે, તેમના ચાહકો તેમની ઓન-સ્ક્રીન અને રિયલ લાઈફ કેમેસ્ટ્રીને પસંદ કરે છે. ઘણા સમયથી એવી અફવા ચાલી રહી છે કે વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના રિલેશનશિપમાં છે. એવામાં હવે અભિનેતા વિજયે પહેલીવાર પ્રેમ, ડેટિંગ અને લગ્ન વિશે ખુલીને વાત કરી છે.

વિજય દેવરાકોંડા રિલેશનશિપમાં છે
વિજય દેવેરાકોંડાએ તાજેતરમાં કર્લી ટેલ્સ સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી હતી કે તે સંબંધમાં છે. જ્યારે શોની હોસ્ટ કામ્યાએ તેને પૂછ્યું કે શું તે સિંગલ છે, તો તે આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ વિજયે કહ્યું કે તે 35 વર્ષનો છે અને હવે સિંગલ નથી. તે સંબંધમાં છે. પછી કામ્યાએ તેને પૂછ્યું કે શું તેને લગ્ન કરવાની ઉતાવળ છે? પોતાના લગ્નના પ્લાન વિશે જણાવતા તેણે મજાકમાં કહ્યું, ‘મારી ઉંમર 35 વર્ષ છે, શું તમને લાગે છે કે હું સિંગલ રહીશ?’ વિજય દેવેરાકોંડાએ આગળ કહ્યું, ‘હું ડેટ્સ પર નથી જતો. હું કોઈને લાંબા સમય સુધી ઓળખ્યા પછી જ તેની સાથે મિત્રતા કરું છું અને તેની સાથે ક્યાંક બહાર જાઉં છું.’
વિજય દેવરાકોંડાના લગ્નની યોજના
લગ્ન વિશે વાત કરતા વિજય દેવરાકોંડાએ કહ્યું કે આ નિર્ણય મહિલાઓ માટે ઘણો મુશ્કેલ છે. તેણે કહ્યું,’લગ્ન કોઈની કારકિર્દીના માર્ગમાં ન આવવું જોઈએ. સ્ત્રીઓ માટે લગ્ન કરવાનું નક્કી કરવું વધુ મુશ્કેલ છે. તે તમે કયા વ્યવસાયમાં છો તેના પર પણ આધાર રાખે છે. હા, મારે લગ્ન કરવા છે, પણ મારા જીવનસાથીની સંમતિ પણ જરૂરી છે.’
વિજય દેવેરાકોંડાની આગામી ફિલ્મ
કામની વાત કરીએ તો વિજયની આગામી ફિલ્મ ‘જર્સી’ ફેમ ગૌતમ તિન્નાનુરી સાથે હશે, જેનું નામ VD12 છે. આમાં વિજય એક ડિટેક્ટીવની ભૂમિકા ભજવશે. રવિ કિરણ કોલા દ્વારા નિર્દેશિત, VD12 માં વિજય એક્શનથી ભરપૂર અવતારમાં જોવા મળશે.
પાકિસ્તાનમાં શિયા મુસલમાનો પર આતંકવાદી હુમલામાં 39નાં મોત
ઇસ્લામાબાદઃ ખૈબર પખ્તૂનખ્વાના નીચલા કુર્રમ વિસ્તારમાં યા6 વેન પર કરવામાં આવેલા હુમલામાં કમસે કમ 39 લોકો માર્યા ગયા છે અને 50થી વધુ ઘાયલ થયા છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જઈ રહેલા વાહનો પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો.
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર બંદૂકથી કરાયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 39 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર મળી રહ્યા છે.
આ, હુમલો કુર્રમના પારાચિનારથી કાફલામાં જઈ રહેલી પેસેન્જર વાનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. પેસેન્જર વાન જ્યારે લોઅર કુર્રમના ઓચુટ કાલી અને મંદુરીની પાસેથી પસાર થઈ ત્યારે પહેલેથી ઘાત લગાવીને બેસેલા આતંકવાદીઓએ વાન પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. પેસેન્જર વાન પારાચિનારથી પેશાવર જઈ રહી હતી. આ હુમલાની પુષ્ટિ ખૈબર પખ્તૂનખ્વાના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કુર્રમ કબાયલી જિલ્લામાં થયેલા આ હુમલામાં મૃતકોમાં મહિલાઓ અને એક બાળક પણ સામેલ છે. આ એક મોટી જાનહાનિ છે અને મૃતકોની સંખ્યા વધવાની પણ સંભાવના છે. અફઘાનિસ્તાનની બોર્ડર પર આવેલા કબાયલી વિસ્તારમાં જમીન વિવાદને લઈને સશસ્ત્ર શિયા અને સુન્ની સમુદાયના મુસ્લિમો વચ્ચે ઘણાં વર્ષોથી તણાવ ચાલી રહ્યો છે.
પાકિસ્તાનમાં થયેલા આ હુમલાને લઈને હજુ સુધી એક પણ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. આ પહેલાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર આતંકી હુમલામાં 12 સુરક્ષા કર્મચારી માર્યા ગયા હતા.
ચારુસેટને નોડલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે માન્યતા, સ્ટાર્ટઅપ્સ માટે નવો અવકાશ
ચાંગા: ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) સંચાલિત ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) -સેક્શન-8 કંપનીને ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા નોડલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત આ પ્રતિષ્ઠિત માન્યતા ઇનોવેટીવ સ્ટાર્ટઅપ્સના વિકાસને સમર્થન અને વેગ આપવાની ચારુસેટની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ઉપલબ્ધિને CIVFના ડીરેકટરો ડો. આર. વી. ઉપાધ્યાય, અશોકભાઈ પટેલ, મધુબેન પટેલ, ગીરીશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ અને ડો. અતુલ પટેલ દ્વારા બિરદાવવામાં આવી છે.

CIVFના સીનીયર એકઝીક્યુટીવ ઓફિસર ડો. સ્વાતિ જોશીએ જણાવ્યું હતું કે “આ માન્યતા પ્રાપ્ત થતા નોડલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે CIVF હવે સ્ટાર્ટઅપ્સને વધુ આર્થિક સહાય આપી શકે છે, જેમાં સ્ટાર્ટઅપ્સને સીડ સપોર્ટ તરીકે રૂપિયા 30 લાખ સુધીની સહાય આપવામાં આવશે. (તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટ છે. આથી કોઈ ચાર્જ લાગુ પડતો નથી અને નાતો તે કંપનીનો હિસ્સો લેશે). સ્ટાર્ટઅપ્સને દર મહિને 20,000 રૂપિયાનું નિર્વાહ ભથ્થું અને મહિલાઓ સંચાલિત સ્ટાર્ટઅપ્સને એક વર્ષના સમયગાળા માટે પ્રતિ મહિને 25,000 રૂપિયા અપાશે. સમાજ પર નોંધપાત્ર અસર પેદા કરતા સ્ટાર્ટઅપ્સ માટે સીડ સપોર્ટ રૂ. 40 લાખ સુધી આપવામાં આવશે.
વળતરના ધોરણે સોફ્ટ સ્કિલ્સમાં તાલીમ મેળવવા માટે સ્ટાર્ટઅપ દીઠ રૂ. 1 લાખ સુધીની સહાય તેમજ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત કાર્યક્રમોમાં નોંધણી અને ભાગ લેવા માટે રૂ. 3 લાખ સુધીની સહાય અપાશે. સ્ટાર્ટઅપ્સના મિડ-લેવલ પ્રી-સિરીઝ A ફંડિંગ માટે ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) અંતર્ગત રૂ. 50 લાખથી રૂ. 3 કરોડ વચ્ચેના સ્મોલ ટિકિટ ફંડિંગ માટે અલગ ફંડ આપવામાં આવશે. MSME ને સહાય માટે યોજનાની જોગવાઈઓ હેઠળ અરજદારોને ટર્મ લોન પર વધારાની 1 ટકા વ્યાજ સબસિડી અને મહત્તમ 9 ટકા સુધી વ્યાજ સબસિડી અપાશે.
આ ઉપલબ્ધિ વાઇબ્રન્ટ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ સર્જવાના ચારુસેટના સતત ચાલતા પ્રયાસોની સાબિતી છે. ચારુસેટ સ્ટાર્ટઅપ્સની ભાવિ યાત્રા માટે અને સ્ટાર્ટઅપ્સના નવતર વિચારોને વાસ્તવિકતામાં ફેરવવામાં તમામ સહાય કરવા સદા તત્પર છે. આ સહાયનો લાભ લેવા માટે કોઈ પણ સ્ટાર્ટઅપ્સે મોબાઈલ નંબર 73834 91911 ઉપર સંપર્ક કરવો.





