Home Blog Page 1319

૨૦ નવેમ્બર ૨૦૨૪

પંચાંગ 20/11/2024

સ્મિત પાછળની વાસ્તવિકતા ‘સ્માઇલિંગ ડિપ્રેશન’

‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છૂપા રહે હો’, કૈફી આઝમીની આ શાયરી એ માત્ર એક શૅર નથી, પરંતુ ઘણાં લોકોનું સત્ય છે. રોજ આપણી આસપાસ એવા કેટલાય ચહેરાઓ જોઈએ છીએ જે હંમેશાં હસતા જોવા મળે છે. જેમને જોઈને એકાદ વાર તો મનમાં આવે કે, ‘વાહ! લાઇફ હો તો ઐસી’ પરંતુ મોટાભાગના લોકો એ સ્મિત પાછળની વાસ્તવિકતા ક્યારેય જાણતા નથી. કારણ કે એ સ્માઇલિંગ ડિપ્રેશનથી પિડાતા હોય છે. આવો જાણીએ શું છે આ સ્માઇલિંગ ડિપ્રેશન?

જાનકી (નામ બદલ્યું છે) એમબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી હતી. રોજની જેમ જ આજે પણ સવારે વહેલા ઊઠી મમ્મી-પપ્પા સાથે ચાની ચૂસકી લેવા બેઠી. વાત વાતમાં પપ્પાને કહ્યું કે, આજે તો મને કૉલેજ જવાનું જરાય મન નથી. જાનકીના પપ્પા નિરવભાઈ (નામ બદલ્યું છે)એ તરત જ કીધું, અરે, ના જવું હોય તો ના જઈશ. ચાલ હું પણ રજા પાડી દઉં, આપણે ત્રણેય ક્યાંક ફરવા ઊપડી જઈએ. આમેય વીકેન્ડ છે તો મજા આવશે. બાપ-દીકરીની વાતમાં વચ્ચે જ ટાપશી પુરાવતાં નિશાબહેન (નામ બદલ્યું છે) બોલ્યાં, હા ચાલો, થોડું ફ્રેશ થવાશે. જાનકરી અને એનાં મમ્મી-પપ્પાએ રિસોર્ટમાં જવાની તૈયારી કરી કાર લઈ નીકળી પડ્યા.

શનિ-રવિ બે દિવસ ખૂબ એન્જોય કર્યું. જાનકીએ પોતાના બધા ફોટા સોશિયલ મીડિયા પર અપલૉડ પણ કર્યા. અરે, છસ્સો સાતસોથી પણ વધારે લાઇક અને કોમેન્ટ આવી. જાનકી હતી જ એવી પ્રેમાળ કે કોઈની પણ સાથે ઝટ દોસ્તી થઈ જાય. માટે જ એના ગ્રૂપના લોકોએ તેનું નામ ઝિંદાદિલ જાનુ પાડ્યું હતું. વીકેન્ડ પછી નિયમિત લાઇફ..નિરવભાઈ ઑફિસ ચાલ્યા ગયા. નિશાબહેન કામમાં જોતરાયાં અને જાનકી એના રૂમમાંથી બહાર ન આવી. નિશાબહેનને એમ કે આજે લેક્ચર મોડા હશે, માટે ચા પીધા પછી વાંચતી હશે, પરંતુ સમય વધારે વીત્યો ત્યારે એમણે જાનકીના રૂમનો દરવાજો ખખડાવ્યો, પણ એણે રૂમ ના ખોલ્યો, નિશાબહેને ગભરાઈ ગયા, તરત જ નિરવભાઈને કૉલ કર્યો. તેઓ દોડીને ઘરે આવ્યા. અવાજ થાવાના કારણે સોસાયટીના લોકો પણ આવી પહોંચ્યા. દરવાજો તોડ્યો તો જાનકીની બૉડી પંખે લટકતી હતી અને નીચે સ્યૂસાઇડ નોટ હતી, જેમાં માત્ર એટલું જ લખ્યું હતું કે, સૉરી મમ્મી..પપ્પા, પણ મને જીવતાં જ નથી આવડતું..માટે તમને છોડીને જઈ રહી છું..આઈ લવ યુ..તમારી જાનકી.

નિરવભાઈ અને નિશાબહેનની તો જાણે એક પળમાં દુનિયા લુટાઈ ગઈ. બધા કહેવા લાગ્યા કે હજુ આજે સવારે તો એણે લાઇવ વીડિયો મૂક્યો છે. કેટલું સુંદર બોલતી હતી, કેટલી પોઝિટિવ વાત કરતી હતી, આમ અચાનક એને શું થયું.. હંમેશાં હસતી રહેતી જાનકી આત્મહત્યા કેવી રીતે કરી શકે..? હકીકતમાં આરવી સ્માઇલિંગ ડિપ્રેશનથી પીડાતી હતી.

શું કહે છે અભ્યાસ

વિશ્વભરની માનસિક સ્વાસ્થ્ય વિશ્લેષણકર્તાઓ અને સંશોધકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં “સ્માઈલીંગ ડિપ્રેશન” પર વિવિધ અભ્યાસો અને અભિપ્રાયો પ્રગટ કર્યા છે, ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા  વધુ જોવા મળે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્ધારા 1 હજાર કરતા પણ વધારે મહિલાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી 58 ટકા મહિલાઓના હસતા ચહેરા પાછળ વેદાનાઓ હતી. જયારે 10 ટકા મહિલા એવી હતી જે પોતાની લાગણી કોઈની સમક્ષ રજૂ ન કરી શકવાના કારણે સતત ચિંતામાં રહેતી હતી, છતા પણ એ મહિલાઓના ચહેરા પર ચિંતાની લકીર જોવા પણ ન મળતી. કારણ કે એ સોશિયલ મીડિયા પર પોતાના એટલા બધા ફોટા અને વિડીયો અપલોડ કરતી કે કોઈ પણ એને જોઈને અંદાજો ન લગાવી શકે કે આ મહિલા હકીકતમાં સ્માઇલિંગ ડિપ્રેશનનો શિકાર છે.

અમદાવાદના મનોચિકિત્સક ડો. પ્રિયલ ચિત્રલેખા.કોમને કહે છે કે, “નોર્મલ ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિના ચહેરા પર સેડનેસ કે ચિંતા દેખાય છે. જ્યારે સ્માઇલિંગ ડિપ્રેશનથી પિડાતી વ્યક્તિના ચહેરાને જોઈને એ ડિપ્રેશનમાં છે એવુ સમજી નથી શકાતુ. કારણ કે એ પોતાની સ્માઈલથી ડિપ્રેશનના બધા લક્ષણો કવર  કરી લેતી હોય છે. પોતે ડિપ્રેશનમાં છે એ સ્વીકાર કરવા તૈયાર ન થતી વ્યક્તિ સ્માઇલિંગ ચહેરા સાથે જ જોવા મળે છે. અન્ય ક વાત એ પણ છે કે પોતાને ખબર હોય કે પોતે ડિપ્રેશનમાં છે પરંતુ અન્ય લોકોને એ બતાવવા ન માંગતી હોય કે મને ડિપ્રેશન છે, માટે પણ એ ચહેરા પર હંમેશા સ્મિત રાખે છે.

ડિપ્રેશન અને સ્માઇલિંગ ડિપ્રેશન વચ્ચેનું અંતર

ડિપ્રેશન અને સ્માઈલિંગ ડિપ્રેશન વચ્ચેના તફાવતની વાત કરીએ તો ડિપ્રેશન સામે લડતી વ્યક્તિમાં ઊર્જા ઓછી હોય છે. એને સવારે પથારીમાંથી ઉઠવું પણ મુશ્કેલ લાગે, અને એના ચહેરા પરથી, વાતો પરથી જ એ નિરાશ છે એવી ખબર પડી જાય છે. જ્યારે હસતાં ડિપ્રેશનમાં એનર્જી લેવલ પર અસર થતી નથી. એ અન્ય લોકોની સામે ખૂબ જ ઉત્સાહથી પોતાનું કામ કરે છે, દરેક વ્યક્તિ સાથે સહજ રીતે મળે છે. પોતાના સંજોગો સાથે એકલા સંઘર્ષ કરે છે. પરંતુ પોતાને ડિપ્રેશનમાં છે એ વાતની જાણ કોઈને થવા નથી દેતી. જો કે આવી સ્થિતિમાં આત્મહત્યાનું જોખમ વધી શકે છે.

મહિલાઓ પોતાની તકલીફ છુપાવવામાં માહિર

સામાજીક કાર્યકર અને વકીલ વૈદેહી મોદી ચિત્રલેખા.કોમને કહે છે, જાહેર જીવન દરમિયાન અનેક મહિલાઓને મળવાનું થાય છે. હા એ વાત બિલકુલ સાચી છે કે મહિલાઓ પોતાની તકલીફ છુપાવવામાં માહિર હોય છે. જેની પાસે દેખાડાની ખોટી ખુશીઓ નથી એ મનમાંને મનમાં દુખી રહે છે. પરંતુ બહારના વિશ્વમાં એ વાતની કોઈને જાણ ન થાય માટે હંમેશા ચહેરા પર હાસ્ય રાખે છે. હકીકતમાં તો આવી મહિલાઓની પાસે હતાશા સિવાયા કશુ જ નથી હોતું. પરંતુ કોઈને ખબર ન પડે એ માટે હસતા ચહેરા પાછળ રુદન સહન કરે છે.

 

વ્યવસાયિક જીવનમાં ખૂબ જ સક્રિય, સમાજ અને પરિવાર સાથે ખૂબ જ ખુશ દેખાતી અને નોકરી કરતી, સુખી અને આશાવાદી વ્યક્તિની જેમ જે સામાન્ય રીતે લોકો માટે ખુશ દેખાય છે.  આવી વ્યક્તિમાં ડિપ્રેશનના લક્ષણો પણ હોઈ શકે છે. આ સમસ્યામાં દર્દી ડિપ્રેશનનો અનુભવ કરે તો પણ એ હસતી જોવા મળે. એ સામાન્ય રીતે એની પરિસ્થિતિ અન્ય લોકો સાથે શેર કરતી નથી કે એના મગજમાં શું ચાલી રહ્યું છે. કોઈ પૂછે તો પણ એ બહાના કરીને ટાળે છે અને પોતાને ખુશ બતાવે છે. આવા વ્યક્તિને લાગે છે કે પોતાની જાતને અસ્વસ્થ બતાવવી એ નબળાઈ છે અને પોતાની પરિસ્થિતિ જણાવીને કોઈને નારાજ કરશે.

સુરતના પ્રિયા દવે ચિત્રલેખા.કોમને કહે છે, મહિલાઓમાં એક પ્રકારની દેખા દેખી હોય છે. પોતાની કોઈ મિત્ર સારી જગ્યાએ ફરવા જાય, પતિ સાથે લંચ પર જાય કે પછી નવા કપડા ખરીદે તો, પોતે પણ એ બધુ કેમ નથી કરી શકતી એમ વિચારીને એ નિરાશ થાય છે. જો કે સમાજમાં એને એ વાતનો કોઈ ફર્ક નથી પડતો, પોતે પણ પરિવાર અને બાળકો સાથે ખુશ છે એવો ખોટો દેખાડો કરવા માટે હંમેશા પ્રફુલ્લીત રહેવા મજબૂર બને છે. કદાચ આ જ એક પ્રકારનું સ્માઈલિંગ ડિપ્રેશન છે. તમે જે છો એ કોઈને બતાવી ન શકો, અને જે નથી એ દર્શાવવાનો પ્રયાસ કરતા રહો છો.

 

..માટે લાગણી કરવાનું ઓછું કરે છે

અન્ય પ્રકારના ડિપ્રેશનની સાથે વ્યક્તિમાં સ્માઇલિંગ  ડિપ્રેશનના લક્ષણો પણ હોઈ શકે છે. અસફળ સંબંધ, નોકરી ગુમાવવી, સામાજિક-પારિવારિક કારણો વ્યક્તિમાં સ્માઇલિંગ ડિસઓર્ડરના લક્ષણોનું કારણ બની શકે છે. સંશોધકો માને છે કે કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિની વિચારસરણી બાહ્ય રીતે લક્ષી હોય છે, અને એ એની આંતરિક ભાવનાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોય છે. આવી વ્યક્તિમાં લક્ષણોના વર્તનને બદલે શારીરિક લક્ષણો દ્વારા શોધી શકાય છે.

સામાન્ય રીતે એવું પણ બને છે કે જ્યારે કોઈ એની સ્થિતિ વિશે નજીકના અને પ્રિયજનોને જણાવવા માંગે છે, તો એની અવગણના કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ ભવિષ્યમાં આ લાગણીઓને વ્યક્ત કરવાનું ઓછું કરે છે. અને હસતા ચહેરા પાછળ પોતાનો તણાવ કાયમ માટે કેદ કરી લે છે.

હેતલ રાવ

જો અભિનેતા ના હોત તો શું હોત શાહરુખ ખાન?

મુંબઈ: શાહરૂખ ખાન એક્ટર ન હોત તો શું હોત? વેલ, તેની અભિનય કૌશલ્ય અને તેના ચાહકોમાં તેનો ક્રેઝ જોતા, આ પ્રશ્ન પૂછવો વિચિત્ર લાગે છે.પરંતુ,આનો જવાબ ખુદ કિંગ ખાને આપ્યો છે. અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા શાહરુખ ખાનની કેટલીક અન્ય યોજનાઓ હતી. વાસ્તવમાં તે વૈજ્ઞાનિક બનવા માટે અભ્યાસ કરી રહ્યો હતો. હાલમાં જ શાહરૂખ ખાને પોતે દુબઈમાં એક સમિટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

 

શું હતો પ્લાન?
શાહરૂખ ખાનનું કહેવું છે કે જો તે ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યો હોત તો તેની કરિયર બિલકુલ અલગ હોત. શાહરૂખ ખાન તેની અભિનય યાત્રા અને તે કેવી રીતે શૈક્ષણિક જગતમાંથી સિલ્વર સ્ક્રીન પર આવ્યો તેની વિશે વાત કરી હતી. શાહરૂખ ખાને કહ્યું,’મેં વૈજ્ઞાનિક બનવા માટે અભ્યાસ કર્યો હતો. હું અર્થશાસ્ત્રી બન્યો અને પછી માસ કોમ્યુનિકેશન શીખ્યો.’

રસપ્રદ વાર્તા શેર કરી
પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆતનું વર્ણન કરતાં તેમણે કહ્યું,’ભારતમાં ત્યારે ટેલિવિઝન હજી જ આવ્યું હતું અને મને 1,500 રૂપિયા મળતા હતા, જે તે સમયે બહુ મોટી રકમ હતી. આ દરમિયાન શાહરૂખ ખાને તે ક્ષણનો ખુલાસો કર્યો જ્યારે તેની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન આવ્યો. શાહરૂખ ખાને કહ્યું, ‘એક દિવસ હું મારા સ્કૂટર પર ઘરે જઈ રહ્યો હતો અને બે મહિલાઓની પાસે રોકાઈ ગયો. તેણીએ મને જોયો અને બૂમો પાડવા લાગી. તેમની ખુશી જોઈને મેં મનમાં કહ્યું, ‘આ તો મારે કરવાનું છે.’ હું લોકોને ખુશ કરવા માંગુ છું. તેથી, હું અભિનેતા બન્યો.’

આગામી ફિલ્મ પર કામ ચાલુ છે
શાહરૂખ ખાને પોતાની સુપરસ્ટાર ઇમેજ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે આ ઈમેજ બનાવવા માટે તેને ઘણી મહેનત કરવી પડી છે. તેણે કહ્યું, ‘હું એકદમ સ્પષ્ટ છું કે હું મારી ઈમેજ માટે સખત મહેનત કરું છું. હું શાહરૂખ ખાનની ઈમેજ માટે કામ કરું છું. શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘કિંગ’ છે. આમાં તેની સાથે પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે.

RBIના ગવર્નર બન્યા ડીપ ફેકનો શિકાર, નાગરિકોને કરાયા એલર્ટ

બેન્કિંગ સેક્ટરના રેગ્યુલેટર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાગરિકોને સોશિયલ મીડિયામાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનો વાયરલ થયેલા વીડિયોને ફેક ગણાવી તેનાથી ભરમાઈ ન જવા અપીલ કરવામાં આવી છે. જેમાં તેઓ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સને લોન્ચ કરતાં અને સપોર્ટ કરતાં જોવા મળ્યા છે. આરબીઆઈના ગવર્નર ડીપ ફેક વીડિયોના શિકાર બનાવાની ઘટના પ્રકાશમાં આવી છે.  ગવર્નરે અને આરબીઆઈએ આ વીડિયોને નકલી ગણાવી તેમાં ભરમાઈ ન જવા સલાહ આપી છે.

આજે એટલે કે 19 નવેમ્બરે નિવેદન જારી કરી આ અંગે જણાવ્યું હતું. જેમાં ગવર્નર નાણાકીય સલાહ આપતા જોવા મળ્યા છે. આરબીઆઈએ નિવેદન જારી કરી રહ્યું છે કે, આરબીઆઈની જાણ મુજબ, ગવર્નર શક્તિકાંત દાસનો ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ અમુક રોકાણ સ્કીમોને લોન્ચ કરતાં અને સપોર્ટ કરતાં જોવા મળ્યા છે. જેમાં લોકોને રોકાણ કરવા અપીલ કરી રહ્યા છે. આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે, તે કે તેના કોઈપણ અધિકારી કોઈપણ પ્રકારની રોકાણ ગતિવિધિ કે સલાહ આપતી નથી. તેમજ રોકાણ સ્કીમને સમર્થન પણ કરતા નથી. આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. આ પ્રકારની કોઈ નાણાકીય રોકાણ સલાહ આપવામાં આવી નથી. નાગરિકોને તેનો ભોગ ન બનવા અપીલ છે. અગાઉ મે મહિનામાં પણ આરબીઆઈના ગવર્નરનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ફોન ગુમ ન થાય તે મામલે સલાહ આપતાં જોવા મળ્યા હતાં.

કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે, વિવિધ કાર્યક્રમમાં આપી હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલી સાબરડેરી દ્વારા સાબરદાણના ઉત્પાદનમાં વધારો કરવા માટે રૂ 210 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવીન કેટલફીડ પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે લોકર્પણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 18 નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 8.30 વાાગ્યે CM ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, ત્યારે આજે 19 નવેમ્બરના અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

હિંમતનગરના હાજીપુર પાસે સાબરડેરી દ્વારા સંચાલિત સાબરદાણનો પ્લાન્ટ આવેલો છે. જ્યાં સાબરદાણનું ઉત્પાદન થાય છે, પરંતુ માગ વધુ હોવાને લઈને રૂ 210 કરોડના ખર્ચે 35,087 સ્ક્વેર મીટરમાં નવીન કેટલફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવી ક્ષમતા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ આહાર પૂરો પાડવા માટે નવીન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેનું આજે લોકાર્પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સંમેલનને સંબોધિક કરતા સાબરડેરના ટ્રસ્ટીનો આભાર માન્યો અને કાર્યક્રમમાં હાજરી આપી આનંદ થાય વાત કરી હતી.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દહેગામની રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન (એઆઈપીએસસી)ની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય પોલીસિંગને આગળ વધારવા માટે પાંચ દાયકાની પ્રતિબદ્ધતાની ઉજવણીમાં પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો (બીપીઆર એન્ડ ડી) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ના સહયોગથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન (એઆઈપીએસસી) 19 અને 20 નવેમ્બર, 2024ના રોજ યોજાઈ રહ્યું છે. જ્યાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષોથી ત્રણ ક્ષેત્રો બહુ ડિસ્ટર્બ માનવામાં આવતા હતા કાશ્મીર, ઉત્તરપૂર્વ અને નક્સલવાદ પીડિત એમ ત્રણેય ક્ષેત્રોમાં અમે સુરક્ષાની સ્થિતિમાં ઘણો સુધારો કર્યો છે. વિગત 10 વર્ષના આંકડા અને અગાઉના 10 વર્ષના આંકડાની તુલના કરીએ તો 70 ટકા હિંસા ઘટાડવામાં અમે સફળ રહ્યા છીએ.

મહાત્મા મંદિર ખાતે ફિલાવિસ્ટા-2024 જિલ્લા સ્તરનું “ફિલાવિસ્ટા-2024” દાંડી કુંટિર મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી. જેનું સવારે સાડા 11 વાગ્યે અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા છે. આ પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જાણકારી લોકોને મળી રહેશે. આ પ્રદર્શન બે દિવસ, 19 અને 20 નવેમ્બર 2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય જનતાના માટે ખુલ્લું રહેશે. ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાના કલેકશનનો વિસ્તૃત કરવાની અનોખી તક સમાન હશે.

અભિષેક બચ્ચને KBCમાં અમિતાભને લઈ કરી એવી વાત કે બિગ બી થઈ ગયા ભાવુક

મુંબઈ: અમિતાભ બચ્ચન ઘણા વર્ષોથી ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરી રહ્યા છે. તેનો શો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. દેશના દરેક ખૂણેથી લોકો તેમની કિસ્મત બદલવાની ઈચ્છા સાથે તેમના શોમાં આવે છે. તે જ સમયે, ઘણા સેલેબ્સ પણ તેમની ફિલ્મના પ્રમોશન માટે અથવા કોઈ ખાસ એપિસોડ માટે બિગ બીના શોમાં પહોંચે છે. આ વખતનો એપિસોડ અમિતાભ બચ્ચન માટે પણ ખૂબ જ ખાસ હતો, કારણ કે આ વખતે શોમાં તેમનો પુત્ર અભિષેક બચ્ચન આવ્યો છે અને તે પણ તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે. અભિષેક તેની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના પ્રમોશન માટે કૌન બનેગા કરોડપતિ 16માં પહોંચ્યો હતો, જેનો પ્રોમો પણ સામે આવ્યો છે. આ પ્રોમોમાં અભિષેક પણ તેના પરિવારના ઘણા રહસ્યો જાહેર કરતો જોવા મળ્યો હતો.

(Photo by – / AFP)

પુત્રની વાત સાંભળીને અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા
આ પ્રોમોમાં અભિષેક તેના પિતાની પ્રશંસામાં કંઈક કહેતો જોવા મળ્યો હતો, જેને સાંભળીને તેના પિતા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા હતા. અભિષેકે શું કહ્યું જેનાથી બિગ બીની આંખોમાં આંસુ આવી ગયા?

શું કહ્યું અભિષેક બચ્ચને?
અભિષેક બચ્ચન કહે છે,’પા, મને ખબર નથી કે આ સાચું છે કે નહીં, મને આશા છે કે લોકો તેને ગેરસમજ નહીં કરે. અમે અહીં બેઠા છીએ અને રાતના 10.30 વાગ્યા છે. મારા પિતા સવારે 6.30 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા, જેથી અમે બધા સવારે 8-9 વાગ્યા સુધી આરામથી જાગી શકીએ. કોઈ એ વિશે વાત નથી કરતું એક પિતા તેના માટે શું શું કરે છે કારણ કે તે હંમેશાં આ બધું ચૂપચાપ કરે છે.’ પુત્ર અભિષેકના મોઢેથી પોતાના વખાણ સાંભળીને બિગ બી ભાવુક થઈ જાય છે અને તેમની આંખો ભીની થઈ જાય છે.

અભિષેકે પારિવારિક રહસ્યો જાહેર કર્યા
આ પછી અભિષેક કેટલાક પારિવારિક રહસ્યો પણ જાહેર કરતો જોવા મળ્યો હતો. શોમાં તે તેના પિતાની જેમ ઘરની વાર્તાઓ સંભળાવતો જોવા મળ્યો હતો. પરિવાર વિશે વાત કરતાં અભિષેકે કહ્યું- ‘તો… અમારા ઘરમાં બધા સાથે મળીને જમીએ છે. આખો પરિવાર સાથે બેસે છે. આ દરમિયાન જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછે છે, ત્યારે ઘરના અમે બધા બાળકો કહીએ છીએ છે કે 7 કરોડ. આ સાંભળીને બિગ બી કહે છે – ‘મેં તેમને બોલાવીને કરીને મોટી ભૂલ કરી છે (હસતાં હસતાં).’

અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ
આ દિવસોમાં અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેનું નામ છે ‘આઈ વોન્ટ ટુ ટોક’. આ ફિલ્મ શૂજિત સરકારના નિર્દેશનમાં બની છે, જેમાં અભિષેક પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. બીજી તરફ, અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવની અફવાઓ હજુ પણ કાબૂમાં નથી આવી.

પાટડીમાં PIના ભાઈના ઘરેથી ઝડપાયું જુગારધામ, 30 લોકો સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના પાટડી ગામમાં PIના ભાઈના ઘરમાં જુગારધામ ધમધમતુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, આ મામલે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 25 પુરૂષો અને 5 મહિલાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, એક ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના રાત્રે 12 વાગ્યાની આસપાસ બાતમી મળેલા ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 30 લોકો રંગેહાથ જુગાર રમતા ઝડપાયા હતાં. દરોડા દરમિયાન જાણ થઈ કે,  ACB (Anti Corruption Bureau)ના PIના ભાઈ કિરણ ઠાકોરના ઘરે જ આ જુગારધામ ધમધમી રહ્યું હતું. સમગ્ર દરોડા દરમિયાન પોલીસે મોબાઈલ, બાઈક અને રોકડ સહિત અંદાજે 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા બાદ પોલીસે તમામ આરોપી સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય તપાસ કરવામાં આવી રહી છે કે, પાટડીમાં આટલુ મોટું જુગારધામ કોની દયા દ્રષ્ટિથી ચાલતું હતું? પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કન્નડ એક્ટરે પૈસાની લેવડ-દેવડને લઈને ડિરેક્ટર પર તાકી બંદૂક

મુંબઈ: કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજકાલ ઘણા વિવાદો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં વધુ એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અભિનેતા તાંડવ રામ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો ફિલ્મ નિર્દેશક ભરત સાથે મોટો વિવાદ થયો હતો, જેના કારણે તેણે અનિચ્છનીય પગલું ભર્યું હતું. લેવડદેવડનો મામલો એટલો વધી ગયો કે તે વિવાદમાં ફેરવાઈ ગયો અને કલાકારો હુમલાખોર બની ગયા. વાકયુદ્ધથી મામલો ગોળીઓ અને બંદૂકો સુધી પહોંચી ગયો હતો. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જેણે હવે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. હાલમાં તાંડવ રામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે.

જાણો સમગ્ર મામલો
વાસ્તવમાં, ફિલ્મ નિર્દેશક ભરત પર ખૂની હુમલા માટે પોલીસે કન્નડ ટીવી સિરિયલના અભિનેતા તાંડવ રામની ધરપકડ કરી હતી. આ ઘટના 18 નવેમ્બરે સાંજે 7 વાગ્યે પશ્ચિમ બેંગલુરુના ચંદ્રા લેઆઉટમાં બની હતી. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તાંડવ રામે ફિલ્મમાં રોકાણ કરવા માટે ડાયરેક્ટર ભરતને 6 લાખ રૂપિયા આપ્યા હતા. થોડા વર્ષો પહેલા શૂટિંગ શરૂ થયું હતું, પરંતુ ફિલ્મ ઠપ થઈ ગઈ અને તાંડવ રામે તેના 6 લાખ રૂપિયા પાછા માંગ્યા. જ્યારે તેને પૈસા ન મળ્યા, ત્યારે બંને વચ્ચે દલીલ શરૂ થઈ અને અભિનેતા તાંડવ રામે તેની લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળીબાર કર્યો. આ ઘટનામાં ડાયરેક્ટર નાસી છૂટ્યા હતા અને ગોળી સીધી છત પર વાગી હતી.

પોલીસે ગુનો નોંધ્યો હતો
હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે બીએનએસની કલમ 109 અને ભારતીય આર્મ્સ એક્ટ હેઠળ અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને અભિનેતા તાંડવ રામની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, તાંડવ રામ કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે ‘નાના ગુરી વોરંટ – ધ મિશન’, ‘અબબબા’, ‘ઓઢ કેટ હેલ્લા’, ‘જોડી હક્કી’માં કામ કર્યું છે.

પેરિસથી દિલ્હી આવતી ફ્લાઈટ જયપુરમાં અટકી, પાયલોટે ડ્યૂટી પૂરી થઈ કહી ફ્લાઈટ છોડી

પેરિસથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટના પાઈલટે તેને જયપુરમાં મુકીને જતો રહ્યો હતો. પાયલોટે કહ્યું કે તેની ડ્યૂટી પૂરી થઈ ગઈ છે. ફ્લાઇટમાં સવાર 180થી વધુ મુસાફરો જયપુર એરપોર્ટ પર 9 કલાક સુધી પરેશાન રહ્યા હતા. આ પછી તેમને રોડ માર્ગે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2022 રવિવારે રાત્રે 10 વાગ્યે પેરિસથી દિલ્હી માટે રવાના થઈ હતી. સોમવારે સવારે 10.35 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું. ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ દિલ્હીમાં લેન્ડ થઈ શકી ન હતી.

એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની સૂચના પર, પાઇલટે 12:10 વાગ્યે જયપુર એરપોર્ટ પર ફ્લાઇટને લેન્ડ કરી. પાઇલોટ્સ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમથી ફ્લાઇટ માટે ક્લિયરન્સની રાહ જોતા હતા. બપોર સુધી મંજુરી મળી ન હતી. પાયલોટે ડ્યુટી ટાઈમ પૂરો થવાનું કારણ આપી પ્લેન છોડી દીધું હતું. જેના કારણે ફ્લાઇટમાં હાજર 180થી વધુ મુસાફરો રાત્રે 9 વાગ્યા સુધી જયપુર એરપોર્ટ પર પરેશાન રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિલંબના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. તેઓ બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા હતા. એરલાઈન્સે તેની માંગ સ્વીકારી નહીં, તેના બદલે તેમને બસથી દિલ્હી મોકલવાનો વિકલ્પ આપ્યો. તેમને ભોજન પૂરું પાડ્યું. બાદમાં કેટલાક મુસાફરો એરલાઇન્સની બસો દ્વારા અને કેટલાક ખાનગી વાહનો દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા.

સોમવારે ખરાબ હવામાનના કારણે 15 ફ્લાઈટને દિલ્હીથી જયપુર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમાં ઈન્દોર, બેંગલુરુ, પુણે, અમદાવાદ, મુંબઈ, વોશિંગ્ટન, ધર્મશાલા, પેરિસ અને વિજયવાડા જેવા શહેરોની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. જો કે, આમાંની મોટાભાગની ફ્લાઇટ્સ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમથી ક્લિયરન્સ મળ્યા પછી થોડા કલાકોમાં જ દિલ્હી માટે રવાના થઈ ગઈ હતી. પેરિસથી ફ્લાઈટને લાંબા સમય સુધી ક્લિયરન્સ મળી શક્યું ન હતું. જેના કારણે જયપુર એરપોર્ટ પર 180થી વધુ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.