Home Blog Page 1343

દિલ્હી ચૂંટણી પહેલા AAPને મોટો ફટકો

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા હરશરણ સિંહ બલ્લી રવિવારે ભાજપમાં જોડાયા છે. આ દરમિયાન તેમના પુત્ર સરદાર ગુરમીત સિંહ ‘રિંકુ’ બલ્લી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તે આમ આદમી પાર્ટીનો યુવા ચહેરો હતા. હરશરણ સિંહ બલ્લી રવિવારે દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને તેમના જૂના સાથી સુભાષ આર્ય અને સુભાષ સચદેવાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હરશરણ સિંહ બલ્લી ચાર વખત હરિનગરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. બલ્લી, જે 1993 થી 2013 સુધી હરિ નગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા, તેમણે દિલ્હીમાં મદન લાલ ખુરાના સરકાર દરમિયાન ઔદ્યોગિક મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

ચાર વર્ષ બાદ ભાજપમાં પરત ફર્યા

નોંધનીય છે કે બલ્લી લગભગ ચાર વર્ષ બાદ ભાજપમાં પરત ફર્યા છે. તેમણે જાન્યુઆરી 2020માં દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તત્કાલિન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ભાજપ છોડી દીધું હતું. તેમણે તત્કાલીન અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે?

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં કુલ 70 વિધાનસભા સીટો છે અને તેના પર ફેબ્રુઆરી 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની દરખાસ્ત છે.

કરતાર સિંહ તંવરે 4 મહિના પહેલા AAP છોડી દીધી હતી

અગાઉ જુલાઈ મહિનામાં છતરપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કરતાર સિંહ તંવર ભાજપમાં જોડાયા હતા. દિલ્હી વિધાનસભા અધ્યક્ષની સૂચના પર કરતાર સિંહ તંવરની વિધાનસભાની સદસ્યતા 10 જુલાઈએ સમાપ્ત કરવામાં આવી હતી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ AAP તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

કેનેડામાં મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ

કેનેડામાં મંદિર હુમલાના કેસમાં ચોથા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ બ્રેમ્પટનના 35 વર્ષીય ઈન્દ્રજીત ગોસલ તરીકે થઈ છે. તે મંદિર હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની નજીક છે. ઇન્દ્રજીતે ગ્રેટર ટોરોન્ટોમાં હિન્દુ મંદિર પર હુમલો કરવાની યોજના તૈયાર કરી હતી. તેની ધરપકડ બાદ તેને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો અને તેને છોડી દેવામાં આવ્યો. અગાઉ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.


ઈન્દ્રજીત ગોસલ શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુના જમણા હાથ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ તે રેફરેન્ડમ સંબંધિત કામ જોઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે, ગોસલની 8 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે અને નિર્ધારિત તારીખે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે 4 નવેમ્બરે ખાલિસ્તાનીઓએ કેનેડામાં ઘણા મંદિરોને નિશાન બનાવ્યા હતા. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાઓની નિંદા કરી અને કેનેડાને કડક સંદેશ આપ્યો. વિશ્વના ઘણા દેશોએ કેનેડામાં હિન્દુઓ પર આ પ્રકારના હુમલાની નિંદા કરી હતી.

ઘટનાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. હુમલાના આરોપીઓને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ દેશના કેટલાક નેતાઓ પર “ઈરાદાપૂર્વક હિંદુઓ અને શીખોને એકબીજા સામે ઉભો કરવાનો” પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડિયન મૂળના હિંદુઓ અને શીખો એક તરફ છે અને બીજી તરફ ખાલિસ્તાનીઓ છે.

મહારાષ્ટ્ર : અમિત શાહે CM ચહેરાને લઈને આપ્યું મોટું નિવેદન

ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મહારાષ્ટ્ર માટે ભાજપના ઠરાવ પત્ર બહાર પાડ્યો. આ પછી અમિત શાહે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે અત્યારે અમારા મુખ્યમંત્રી એકનાથ શિંદે છે, પરંતુ ચૂંટણી પછી અમે બધા બેસીને આ અંગે ચર્ચા કરીશું. આ દરમિયાન તેમણે શરદ પવાર પર પણ નિશાન સાધ્યું છે.

શરદ પવાર પર નિશાન સાધ્યું

આ દરમિયાન અમિત શાહે શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે આ વખતે અમે શરદ પવારને મુખ્યમંત્રી ચૂંટવાની તક નહીં આપીએ. તેમણે કહ્યું કે શરદ પવારને ખોટી વાર્તાઓ બનાવવાની આદત છે. પરંતુ આ વખતે તેની વાર્તાઓ કામ કરશે નહીં.

ઠરાવ પત્ર જારી કર્યો

ભાજપે ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 25 લાખ નવી નોકરીઓનું વચન પણ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કૌશલ્ય કેન્દ્રો ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાજપે વૃદ્ધાવસ્થા પેન્શન વધારીને 2100 રૂપિયા પ્રતિ માસ કરવાનું વચન આપ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે ઠરાવ પત્ર આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તેમણે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી પર જોરદાર નિશાન સાધ્યું. અમિત શાહે કહ્યું, ‘હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું કે શું તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર માટે બે સારા શબ્દો કહેવા માટે કહી શકે છે.’

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ગત ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જો કે ચૂંટણી બાદ શિવસેના એનડીએથી અલગ થઈ ગઈ અને એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા.

ભારતની પરિવહન વ્યવસ્થાના પ્રતીક સમા રેલવે સ્ટેશનો…

ભારતમાં રેલવેની શરૂઆત 1853માં થઈ. આ ઐતિહાસિક શરૂઆતથી ભારતીય પરિવહન વ્યવસ્થામાં નવી ક્રાંતિ ની શરૂઆત થઈ હતી. ભારતીય રેલ્વેએ મધ્યમ વર્ગના લોકો માટે મુસાફરી સરળ બનાવવાની સાથે ભારતમાં વેપારને પણ પ્રોત્સાહન આપ્યું. તો વળી એની સાથે દેશના સૌથી જૂના રેલવે સ્ટેશનોનો ઈતિહાસ પણ શરૂ થયો. આ સ્ટેશનોએ સમય સાથે ઘણા ફેરફારો જોયા છે. તો વળી ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ પણ બની રહ્યા. વર્તમાન સમયમાં તો ભારતીય રેલવેમાં રોજ લાખો મુસાફરો વહન કરે છે. તો આજે જાણીએ ભારતના જૂના અને ઐતિહાસિક રેલવે સ્ટેશન વિશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ

મુંબઈમાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એ ભારતનું સૌથી જૂનું અને ઐતિહાસિક રેલવે સ્ટેશન છે. જે પહેલા બોરીબંદર રેલવે સ્ટેશન તરીકે ઓળખાતુ. જેનું ઉદ્ઘાટન 1853માં કરવામાં આવ્યું હતું. 16 એપ્રિલ 1853માં બોરીબંદરથી થાણેની દેશની પ્રથમ ટ્રેન આ રેલવે સ્ટેશન પરથી ઉપડી હતી. 14 ડબ્બા સાથેની આ ટ્રેન લગભગ 400 યાત્રીઓને લઈને 34 કિલોમીટરની યાત્રા કરી હતી. આ યાત્રા એ ભારતના રેલવે ઇતિહાસની શરૂઆત હતી. 1887માં, બોરીબંદરનું નવું સ્ટેશન બાંધવામાં આવ્યું હતું અને એને વિક્ટોરિયા ટર્મિનસ (VT) નામ આપવામાં આવ્યું, જે બાદમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CST) નામે ઓળખાયું. CST સ્ટેશન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત છે. આ રેલવે સ્ટેશનનું આર્કિટેક્ચર વિક્ટોરિયન ગૉથિક શૈલીમાં છે.

હાવડા જંક્શન, કોલકાતા

હાવડા જંક્શન રેલવે સ્ટેશન  ભારતની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક વારસાનું પ્રતીક છે. ભારતમાં સૌથી જૂના અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું પણ એક છે. આ સ્ટેશન પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકોતામાં સ્થિત છે. 1854માં આ રેલવે સ્ટેશનની સ્થાપના કરવામાં આવી. ભારતમાં સૌથી વધુ 23 પ્લેટફોર્મ ધરાવતું આ સૌથી મોટુ રેલવે સ્ટેશન છે.

અહીંથી પહેલી યાત્રા 24 માઈલ લાંબી હાવડાથી હૂગલી સુધીની હતી.  હાવડા જંક્શનનું બાંધકામ બ્રિટિશ શાસન દરમિયાન થયું હતું. એની ડિઝાઇનમાં ક્લાસિકલ યુરોપિયન આર્કિટેક્ચરનો ટચ જોવા મળે છે. સ્ટેશનની ઇમારત ખૂબ વિશાળ છે. આ સ્ટેશનનું પ્લેટફોર્મ 23 એ ભારતનું સૌથી લાંબું પ્લેટફોર્મ ગણાય છે, જ્યાં 24 કોચની ટ્રેન સરળતાથી ઊભી રહી શકે છે. વિશાળ ઇમારત અને ઐતિહાસિક ડિઝાઇનને કારણે એ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત એશિયાના સૌથી મોટા કેન્ટીલીવર બ્રિજમાંનું એક છે.

રોયાપુરમ રેલવે સ્ટેશન, તમિલનાડુ

રોયાપુરમ રેલવે સ્ટેશન એ ભારતના રેલવે ઇતિહાસનું એક મહત્વનું સ્મારક છે. એના લાંબા ઇતિહાસ અને ઐતિહાસિક બાંધકામને કારણે, એપ્રવાસીઓ અને ઐતિહાસિક સંગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. 28 જૂન 1856ના રોજ, એ સમયના મદ્રાસ પ્રેસિડેન્સીના ગવર્નર લોર્ડ હૅરિસ દ્વારા રોયાપુરમ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. રોયાપુરમથી પહેલી ટ્રેન ચેન્નાઇ (ત્યારે મદ્રાસ) થી આર્કોટ (વેલોર જિલ્લો) સુધી દોડવામાં આવી હતી.તમિલનાડુના સૌથી જૂના રેલવે સ્ટેશનોમાંનું એક છે, સાથે જ દક્ષિણ ભારતમાં રેલ મુસાફરીની શરૂઆત માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.

રોયાપુરમ રેલવે સ્ટેશનની ઇમારતને બ્રિટિશ કોલોનીયલ શૈલીમાં બાંધવામાં આવી હતી. વિશાળ દરવાજા, આર્કડ ઇમારત, અને રોમન કૉલમ જેવા આર્કિટેક્ચરલ એની ઐતિહાસિક ભવ્યતા દર્શાવે છે. 21મી સદીમાં, આ સ્ટેશનનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ એની મૂળ વાસ્તુકળાને જાળવી રાખવામાં આવી છે. જેના કારણે અહીં આવતા મુસાફરો માટે આ સ્ટેશન આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે

આગ્રા ફોર્ટ રેલવે સ્ટેશન, આગ્રા

આગ્રા ફોર્ટ રેલવે સ્ટેશન એ ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં આવેલું એક ઐતિહાસિક રેલવે સ્ટેશન છે. આ સ્ટેશનને એનું નામ આગ્રા ફોર્ટ, એક વિશ્વ પ્રસિદ્ધ સ્મારક, પરથી મેળવ્યું છે. બ્રિટિશ શાસન દરમિયાન 1874માં આ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતુ.

આગ્રા ફોર્ટ સ્ટેશનનો ઉપયોગ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે અને રાજપૂતાના-માલવા રેલવે કંપનીઓ દ્વારા કરવામાં આવતો. આ સ્ટેશન એ બ્રિટિશ શાસનના સમયના ઐતિહાસિક ઇમારતોમાંથી એક છે, એની ડિઝાઇનમાં બ્રિટિશ આર્કિટેક્ચરનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે.  ઇટાલિયન શૈલીના બાંધકામને કારણે એ આજે પણ ઐતિહાસિક ઈમારત ગણાય છે. ઇમારતની ડિઝાઇન અને આર્કિટેક્ચર, તેને આગ્રાના ઐતિહાસિક વારસામાં સામેલ કરે છે. એટલુ જ નહીં આ સ્ટેશનની ઇમારતને ઐતિહાસિક સ્મારક તરીકે માન્યતા આપવામાં આવી છે. જ્યારે બ્રિટિશ શાસન ચાલતું હતું, ત્યારે આ સ્ટેશનનો ઉપયોગ વાઇસરૉય અને બ્રિટિશ અધિકારીઓની ખાસ ટ્રેનો માટે થતો હતો.

વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંકશન, ઝાંસી

વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંકશન, જે અગાઉ ઝાંસી જંકશન રેલવે સ્ટેશન તરીકે ઓળખાતું હતું, એ 1880ના દાયકાના અંત ભાગમાં બનાવવામાં આવ્યું હતું. બુંદેલખંડ ક્ષેત્રનું આ સૌથી જૂનું રેલવે સ્ટેશન છે. આ સ્ટેશનનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે એ ઝાંસી અને એની આસપાસના વિસ્તારોને રેલવે નેટવર્ક સાથે જોડતું મુખ્ય હબ રહ્યું છે.

ઓલ્ડ દિલ્હી રેલવે સ્ટેશન, દિલ્હી

1864માં બનેલું જૂનું દિલ્હી રેલવે સ્ટેશન, દિલ્હીનું સૌથી જૂનું સ્ટેશન છે.  1903માં ફરીથી એનું નવિનીકરણ કરવામાં આવ્યુ હતું, જો કે એની ઐતિહાસિક ઝાંખીને સાચવી રાખવામાં આવી છે. ભારતના વ્યસ્ત સ્ટેશનમાં આ એક મહત્વનું સ્ટેશન ઘણવામાં આવે છે. રોજ અહીંથી લાખો મુસાફરો અહીંથી મુસાફરી કરે છે. ઓલ્ડ દિલ્હી સ્ટેશન એ ચાંદની ચોકમાં આવેલું છે અને ભારતીય સ્વતંત્રતાના પ્રતીક સમા લાલ કિલ્લાની નજીક છે.

હેતલ રાવ

૧૦ નવેમ્બર ૨૦૨૪

અનિશ્ચિતતા કે બદલાવની પ્રક્રિયાથી ડરશો તો નહીં ચાલે

ગીતા મેનેજરને દરેક પરિબળ તેમજ પોતાના સાથીઓ અને સામેવાળાઓને સમજીને એક સુયોજિત વ્યૂહરચના નક્કી કરવાની શીખ આપે છે.

મહાભારતના યુદ્ધનું અવલોકન કરીએ તો એમાં દરેક મહત્ત્વના યોદ્ધાનું પાત્ર, એની ખાસિયતો, એના ક્ષતિઓ અથવા નબળાઈઓ અને એથી પણ આગળ એન્ટીસિપેટ એટલે કે એ કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તશે તેનું સચોટ આકલન એ કોઈ પણ કસોટી પાર કરવા માટેનો પાયો છે. ભગવદ્ ગીતા શીખવે છે કે, પોતાનો અહંકાર અને પોતાના કામને કારણે મળનાર ફળ વગેરેથી પર ન થાવ ત્યાં સુધી અંતિમ વિજય મેળવી શકાતો નથી.

કંપનીના તમે ભાગ છો અને જનરલ મેનેજર હો કે જુનિયર એક્ઝિક્યુટિવ, તમે તમારો રોલ બરાબર ભજવો તે અગત્યનું છે. ઘણી વાર જુનિયર અથવા નાના માણસ પાસે એવો અનુભવ હોય છે કે જે તમને જીતાડી દે પણ એ માટે તમારે તમારા અહંકારને બાજુ પર મૂકવો પડે.

આપણે એક મોટરકારની કલ્પના કરીએ. મેનેજિંગ ડાયરેક્ટર ભલે એનું ચાલકબળ એટલે કે ઍન્જિન હોય પણ યોગ્ય સમયે જો બ્રેક ન મારવામાં આવે તો જીવલેણ અકસ્માત થાય છે. નાના પણ અનુભવી કર્મચારીનું જ્ઞાન આવી બ્રેક ક્યાં મારવી તે સૂચવતી લાલબત્તી ધરીને તમારો જીવલેણ અકસ્માત બચાવી લે છે. તમે વ્યક્તિગત રીતે કોઈ કંપનીની ટીમનો ભાગ છો એટલે ટીમ જીતે એ માટે બધું જ કરવાનું છે એ ભાવના સાથે મેદાનમાં ઉતરવાનું છે. શિખંડીનું જીવનકાર્ય ભીષ્મ પિતામહનો વધ કરવાનું હતું. ધ્યેયસિદ્ધિ માટે ક્યાંક તોપની જરૂર પડે તો ક્યાંક તલવારની, તો ક્યાંક બીજા કશાની… સૌએ પોતપોતાનો રોલ, મેનેજિંગ ડિરેક્ટર જેટલો જ અગત્યનો છે, તેમ સમજીને ભજવવાનો, એમાં ઉપરવાળાએ ક્યારેક નીચે ઉતરવું પડશે કે નીચેવાળાએ હનુમાન કૂદકો મારવો પડશે.

સમજાય છે?

મેનેજર કે કર્મચારી માટે પોતાનો અહંકાર કે પૂર્વગ્રહ અગાઉ પણ ઉલ્લેખ કર્યો તેમ અગત્યનો નથી. એણે વ્યક્તિગત રીતે ફળપ્રાપ્તિની અપેક્ષા રાખ્યા વગર યુદ્ધ જીતવા માટે કાર્યરત કરવાનું છે. ગીતાજ્ઞાન વ્યક્તિને અનિશ્ચિતતા અથવા બદલાવાની પ્રક્રિયાને સાહજિક રીતે અનુકૂળ થવાનું શીખવાડે છે, આજની ગળાકાપ હરીફાઈ જેમાં મોટાભાગના ધંધાઓ ‘માર્કેટ ડ્રીવન’ એટલે બજાર આધારિત થતા ચાલ્યા છે ત્યારે આ પ્રકારની અનિશ્ચિતતાઓ અથવા બદલાવની પ્રક્રિયાથી ગભરાવાને બદલે એને સાહજિકતાથી અનુકૂળ થવાની વાત છે.

પીચ અને હવામાન તેમજ બોલ૨નું ફોર્મ બેટ્સમાનના હાથમાં નથી. એણે કોઈ પણ પરિસ્થિતિ સામે પોતાની જાતને અનુકૂળ કરીને રમવાનું છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 10/11/2024

AICFB નેશનલ ચેસ ચેમ્પિયનશિપ ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડનો પ્રારંભ

અમદાવાદ: ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ દ્વારા અમદાવાદ બ્લાઈન્ડ પીપલ અસોસિએશન ખાતે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી AICFB નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ, 2024નું આયોજન મનપસંદ જીમખાના ક્લબ પ્રા. લિ. દ્વારા કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપમાં 16 રાજ્યની 28 ટીમોએ ભાગ લીધો છે.

આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. જેના ઉદઘાટન સમારોહમાં ઇન્ટરનેશનલ ચેસ માસ્ટર માનુષાએ હાજરી આપી હતી અને ખેલાડીઓને ચેસમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી હતી. સાથે જે તેમણે અંધ ખેલાડીઓને મફત કોચિંગની પણ ઓફર કરી છે.

આ પ્રસંગે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડૉ.ભૂષણ પુનાનીએ  ગુજરાત ચેસ એસોસિએશનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. જ્યારે ગુજરાત ચેસ એસોસિએશનના સેક્રેટરી વિરલ ત્રિવેદીએ એસોસિએશનની 11 વર્ષની કામગીરી અને પ્રગતિ વિશે વાત કરતા કહ્યું કે 11 વર્ષ પહેલાં માત્ર ચાર આંતરરાષ્ટ્રીય ખેલાડી સંસ્થા સાથે જોડાયેલા હતા જ્યારે આજે તેની સંખ્યા વધીને 60 થઈ ગઈ છે.

‘ભાજપનું હિન્દુત્વ નકલી છે, મહારાષ્ટ્રના તમામ ઉદ્યોગો ગુજરાતમાં જઈ રહ્યા છે’

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય નિવેદનબાજી તેજ છે. શિવસેના (UBT)ના નેતા અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ મિલિંદ દેવરા અને રાજ ઠાકરેની MNS પર નિશાન સાધ્યું છે. આદિત્ય ઠાકરેએ મિલિંદ દેવરાને ટાઈમપાસ ઉમેદવાર ગણાવ્યા છે. આદિત્યએ કહ્યું કે મિલિંદ દેવરા વરલી વિધાનસભા ક્ષેત્રમાં માત્ર સમય પસાર કરવા માટે આવ્યા છે. તેઓ ચૂંટણી લડવા માટે ગંભીર નથી. અહીંના લોકોએ તેમને બે વખત સાંસદ હોવાને કારણે નકારી દીધા છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે જો અમે મિલિંદ દેવરાને રાજ્યસભાની ટિકિટ આપી હોત તો તેઓ અમારી વિરુદ્ધ બોલ્યા ન હોત, તેમને મંત્રી અને સાંસદ બનાવનાર પાર્ટી (કોંગ્રેસ)એ તેમને એકલા છોડી દીધા હતા. તેમની (કોંગ્રેસ) સાથે દગો કર્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે વિપક્ષ મારાથી ડરે છે. એટલા માટે મને કોર્નર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

શિંદે સરકારે અઢી વર્ષ સુધી કંઈ કર્યું નથી
વિપક્ષ પર નિશાન સાધતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે કોરોના દરમિયાન બધા ગાયબ હતા. આજે MNS મહારાષ્ટ્રની પ્રજાની નહીં, ગુજરાતની માટીના પુત્રોની વાત કરે છે. સીએમ શિંદે પર બોલતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે તેઓ અઢી વર્ષ સુધી ઘરે બેઠા અને કોઈ કામ ન કર્યું. આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો કે સીએમ શિંદેએ માત્ર ગુજરાત માટે જ કામ કર્યું.

ઠાકરેએ વધુમાં કહ્યું કે તેમની ગંદી રાજનીતિ કોઈને પસંદ નથી. અઢી વર્ષમાં કયો ઉદ્યોગ? મહારાષ્ટ્રમાં કયો ઉદ્યોગ લાવવામાં આવ્યો? એકનાથ શિંદેએ ગુજરાત માટે કામ કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસે કાયદો અને વ્યવસ્થા બગાડવાનું કામ કર્યું છે. મહારાષ્ટ્રમાં ગુંડાગીરી સૌથી વધુ છે.

પીએમ મોદીને હવે મહારાષ્ટ્ર કેમ યાદ આવ્યું?
મહારાષ્ટ્ર ચૂંટણીમાં પીએમ મોદી અને સીએમ યોગીની મુલાકાતને લઈને આદિત્ય ઠાકરેએ મોટો આરોપ લગાવ્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે જેણે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમામાં પણ કૌભાંડ કર્યું છે. જ્યારે મહારાષ્ટ્રના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાતમાં જતા હતા. તો પછી પીએમ મોદી મહારાષ્ટ્ર કેમ ન આવ્યા? પાંચ વર્ષ પછી ચૂંટણી છે. તો પછી તમને મહારાષ્ટ્ર કેમ યાદ આવે છે?

અમે એક થઈશું તો ભાજપથી સુરક્ષિત રહીશું – આદિત્ય ઠાકરે
સીએમ યોગીના નારા જો અમે ભાગલા પાડીશું તો વહેંચાઈશું પર આદિત્ય ઠાકરેએ કહ્યું,’અમારું સૂત્ર છે કે જો આપણે મહારાષ્ટ્રમાં એક રહીશું તો ભાજપથી સુરક્ષિત રહીશું. સીએમ યોગીને બોલવાનો અધિકાર નથી. કોવિડના સમયમાં તેમના રાજ્યમાં ગંગામાં મૃતદેહો વહી રહ્યા હતા. શું તે મહારાષ્ટ્રમાં યુપી મોડલ લાવવા માંગે છે? તમે કયું મોડેલ લાવવા માંગો છો? 300 રૂપિયાનો ચેક આપશો? જો આપણે મહારાષ્ટ્રના લોકો એકજૂટ રહીશું તો ભાજપના લોકોથી સુરક્ષિત રહીશું.

ભાજપનું હિન્દુત્વ નકલી છે
વોટ જેહાદની રાજનીતિ પર આદિત્ય ઠાકરેએ કહ્યું, ‘ભાજપનું હિન્દુત્વ નકલી છે. મુસ્લિમો આપણા દેશના નાગરિક છે. તેમાં શું ખોટું છે? વડાપ્રધાન મોદી પાકિસ્તાન જઈને નવાઝ શરીફને ગળે લગાવે છે. અમે એવું નથી કરતા.

ઠાકરેએ કહ્યું,’મુસ્લિમ, ખ્રિસ્તી અને બૌદ્ધ બધા આપણા દેશના નાગરિક છે. આમાં ખોટું શું છે? આ ભાજપ છે. તે એવી પૂર્વભૂમિકા બાંધે છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. એ જ બાંગ્લાદેશ સાથે ક્રિકેટ રમાય છે. પાકિસ્તાનને આપણો દુશ્મન દેશ કહેવામાં આવે છે. તે જ દેશના વડાપ્રધાન સાથે કેક કાપવા અને બિરયાની ખાવા જાય છે. તેથી જ ભાજપનું હિન્દુત્વ નકલી છે.’

ટ્રમ્પના આવવાથી વેપારમાં ફરક નહીં પડે: તેજિન્દરપાલસિંહ ઓબરોય

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત પોતાના મિત્ર તો કહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ ભારતની નીતિઓ ઉપર પ્રહાર પણ કરતા રહ્યા છે. ટ્રમ્પ એમના ભાષણોમાં અમેરિકાની આર્થિક નીતિઓ ‘અમેરિકા ફર્સ્ટ’ પર કેન્દ્રિત રહેશે એવું હંમેશા કહેતા આવ્યા છે. પ્રથમ કાર્યકાળમાં પણ એમણે અમેરિકન ઉદ્યોગોને રક્ષણ આપવાની નીતિ અપનાવી હતી અને ચીન-ભારત સહિત ઘણા દેશોમાંથી આયાત થતી વસ્તુઓ ઉપર ભારે ટેરિફ લાદ્યા હતા.

સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠે કે, શું ટ્રમ્પ હવે બાઇડનના સમયની ભારત માટેની નીતિઓ બદલી નાખશે? ટ્રમ્પ 2.0 માં ભારત સાથેના અમેરિકાના વેપારી સંબંધો કેવા રહેશે? ચિત્રલેખા.કોમએ ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસના ગુજરાત શાખાના અધ્યક્ષ તેજિન્દરપાલસિંહ ઓબરોય સાથે ‘છોટી સી મુલાકાત’માં વાત કરી.

 

ચિત્રલેખા.કોમ:  ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે ભારત-અમેરિકાના સંબંધો પર કેવી અસર પડશે?

તેજિન્દરપાલસિંહ ઓબરોય: ઓવરઓલ મને એવું લાગે છે ભારત માટે તો ટ્રમ્પના આવવાથી સારો જ સમય રહેશે. ભારતને અત્યારે જે તકો મળે છે તેનાં કરતાં વધુ તકો પણ મળી શકે છે. હા, કેટલીક પોલીસીમાં ફેરફાર આવી શકે છે. અમેરિકા ચીન સાથેના તેનાં સંબંધોને પણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશે. એવામાં ભારત પોતાની બાજી કઈ રીતે રમે છે તેના પર ઘણું બધું નિર્ભર રહેશે. જો કે ઓવરઓલ મને એવું લાગે છે કે માર્કેટ શેરમાં વધારો થશે, નવી તકોમાં વધારો થશે. વિદેશ મંત્રાલય પણ અમેરિકા સાથેના આપણા સંબંધોને વિકસાવવા પર ધ્યાન આપી જ રહ્યું છે તેથી ભારત માટે તો ચોક્કસથી સારો જ સમય રહેશે.

તાજેતરમાં જ ટ્રમ્પે ભારત પર આયાત જકાત વધારવાની વાત કરી હતી તેના પર આપનું શું કહેવું છે?

ટેરિફમાં વધારો થાય તેવી સામાન્ય વાતો બની શકે છે. જો કે આ બધી વાતોમાં પણ એ વાતનું તો ધ્યાન રાખવામાં આવશે જ કે મેનુફેક્ચરિંગ ચાલુ રહે. કારણ કે અમેરિકા પાસે તેની જ જરૂરિયાતોના મેનુફેક્ચરિંગને પહોંચી વળવા માટેનો મેન પાવર નથી. આથી જેટલી તેમની જરૂરિયાતો છે તેટલું તો તેમણે ઇમ્પોર્ટ તો કરવું જ પડશે. જો કે એ જોવું રહ્યું કે એવી કઈ પ્રોડક્ટ છે અથવા તો કઈ જરૂરિયાત છે જેમાં તેઓ ટેરિફ વધારી શકે છે. પરંતુ ઈન જનરલ તો તેમણે ઇમ્પોર્ટ તો કરવું જ પડશે.

સાથે જ જો અમેરિકા ટેરિફ વધારે પણ છે તો તે એકલા ભારત માટે તો નહીં જ હોય. બીજા દેશોને પણ તેની અસર પડી શકે છે. અમેરિકા પોતે પણ મેનુફેક્ચરિંગ કરવા માગે છે પરંતુ તે વેલ્યુ એડડ મેનુફેક્ચરિંગ રહેશે. બીજું તો એમણે બહાર કરાવવું જ પડશે. કારણ કે અમેરિકા પાસે ન તો એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ન તો મેન પાવર છે. સાથે જ તેઓ કોસ્ટ કોમ્પિટિટિવ પણ નથી. ફાઈનલ કન્ઝ્યુમર સુધી પહોંચતા સમયે તો કોસ્ટ જ જોવામાં આવે છે. આથી ઘણી વસ્તુઓ માટે અમેરિકાએ ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચીન જેવા એશિયાઈ દેશો પર નિર્ભર રહેવું પડશે. જો કોઈ નવી સરકાર આવે છે તો થોડી ઘણી તો અનિશ્ચિતતાઓ જોવા મળે છે. આથી નવી કોઈ પાર્ટી સતામાં આવે છે તો થોડાઘણા તો ફેરફારો થવાના જ છે. પણ ભારત-અમેરિકાના વેપાર ઉપર કોઈ મોટી અસર થાય તેવું મને નથી લાગી રહ્યું. અમેરિકા એક હાઈ કન્ઝમ્પશન દેશ છે તો તેમને પૂરતા પ્રમાણમાં પ્રોડક્ટ્સ પણ જોઈએ. આથી તેમને સર્વાઈવ કરવા માટે પણ વિશ્વના સૌથી મોટાં સપ્લાયરમાંના એક એવાં ભારત ઉપર નિર્ભર તો રહેવું જ પડશે. સાથે જ જો તેમને ચીન ઉપરની પોતાની નિર્ભરતા ઓછી કરવી હોય તો ભારત તેમના માટે એક સારો ઓપ્શન છે.

ભારતના ક્યા સેક્ટર્સની વેપાર નીતિ પર અસર થઈ શકે છે?

મને એવું લાગે છે કે ફાર્માસ્યુટિકલ, આઈ.ટી. કે ટેક્સટાઈલ સેક્ટરને જો ટ્રમ્પ સરકાર નવી ઇમ્પોર્ટ ડ્યૂટી નાખે છે તો તેની અસર થઈ શકે છે. બાકી તો મને લાગે છે કે ટેરિફ જો થોડું ઘણું વધે છે તો પણ કરેક્શન તો આવી જ જાય છે. એવો કોઈ મેજર ઈસ્યુ મને હાલમાં તો લાગી રહ્યો નથી. કારણ કે સપ્લાય ચેઈન પણ જોઈએ ને?

હાલમાં ભારત-અમેરિકા વચ્ચે લગભગ 200 અબજ ડોલરનો વેપાર થાય છે. જો ટ્રમ્પ ટેરિફના નવા નિયમો લાગુ કરે છે તો તેની અસર ભારતના GDP પર કેવી પડી શકે છે?

અમેરિકાની જરૂરિયાતો પ્રોડક્ટ્સ માટેની ઘટવાની નથી. જે લોકો વસ્તુઓ ત્યાંના લોકો ખાય છે, પહેરે છે કે વાપરે છે તે સેક્ટર તો તેમના તેમ જ રહેવાના છે. હા, આઇ.ટી. સેક્ટરમાં અસર થઈ શકે છે. કારણ કે આઇ.ટી.માં આપણી પાસે મેન પાવર છે. ટેક્નોલોજી અપગ્રેડ થશે તો એ કામ પણ ચાલુ તો રહેવાનું જ છે. હા, જો અમેરિકા કોઈ વસ્તુની આયાત બંધ પણ કરી દે છે તો પણ એમની પાસે ડિમાન્ડને પહોંચી વળવા માટેની પોતાના દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જો ભારત પાસેથી નહીં લે તો બીજા કોઈ પાસેથી લેશે. પરંતુ તેમને આઉટસોર્સિંગ તો કરવું જ પડશે.

બીજું કે મને નથી લાગતું કે ભારત સરકાર પણ આ બધાં પાસાઓ વિશે વિચાર નહીં કર્યો હોય. સરકાર હાથ ઉપર હાથ રાખીને તો નહીં જ બેસી રહે. તેઓ પણ ભારતીય બજારો પણ કોઈપણ પ્રકારની નેગેટિવ ઈમપેક્ટ ના પડે તે માટે એગ્રેસિવલી એક્શન તો લેશે જ એટલે મને નથી લાગતું કે ભારતના વેપાર કે GDP પર મોટો નકારાત્મક ફરક પડે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)