Home Blog Page 1345

ભારતીય સંગીતકાર સારંગી વાદક રામ નારાયણનું 96 વર્ષની વયે નિધન

મુંબઈ: ભારતીય સંગીતકાર સારંગી વાદક રામ નારાયણનું 96 વર્ષની વયે નિધન થયું છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી સંગીત જગતના વધુ એક સ્ટારનું નિધન થયું તે ખૂબ જ દુઃખદ છે. તેમનું મૃત્યુ ક્યારે અને કયા સમયે થયું તે અંગેની માહિતી બહાર આવી નથી.

રામ નારાયણનો જન્મ
રામ નારાયણનો જન્મ 25 ડિસેમ્બર 1927ના રોજ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઉદયપુર નજીક આમેર ગામમાં થયો હતો. તેમના પરદાદા બગાજી બિયાવત આમેરના ગાયક હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામ નારાયણ અને તેમના પરદાદા સગદ દાનજી બિયાવત ઉદયપુરના મહારાણાના દરબારમાં ગાતા હતા. તેઓ પંડિત તરીકે જાણીતા હતા.

આંતરરાષ્ટ્રીય માન્યતા મળી
રામ નારાયણ એક ભારતીય સંગીતકાર હતા જેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સારંગીને એકલ સંગીતના સાધન તરીકે લોકપ્રિય બનાવ્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ સફળ સારંગી વાદક બન્યા. તેમના દાદા હર લાલજી બિયાવત અને પિતા નાથુજી બિયાવત ખેડૂતો અને ગાયકો હતા, નાથુજી નમતું વાદ્ય દિલરૂબા વગાડતા હતા અને નારાયણની માતા સંગીત પ્રેમી હતી.

સ્વર્ગસ્થ સંગીતકાર રામ નારાયણની પ્રથમ ભાષા રાજસ્થાની હતી અને તેઓ હિન્દી અને પછી અંગ્રેજી શીખ્યા હતા. લગભગ છ વર્ષની ઉંમરે, તેમને પરિવારના ગંગા ગુરુ, વંશાવળીશાસ્ત્રી દ્વારા છોડવામાં આવેલી એક નાની સારંગી પ્રાપ્ત થઈ હતી અને તેમના પિતા ખાસ તકનીક શીખવવામાં આવી હતી.

ઓલ ઈન્ડિયા રેડિયોમાં પણ કામ કર્યું
તેમણે સારંગી વાદકો અને ગાયકો હેઠળ સઘન અભ્યાસ કર્યો અને કિશોરાવસ્થામાં સંગીત શિક્ષક અને સફળ સંગીતકાર તરીકે કામ કર્યું. તેમણે 1944માં ઓલ ઈન્ડિયા રેડિયો, લાહોરમાં ગાયકો માટે સંગીતકાર તરીકે કામ કર્યું. 1947 માં ભારતના ભાગલા પછી તેઓ દિલ્હી ગયા, પરંતુ સંગીતથી આગળ વધવાની ઈચ્છા ધરાવતા અને તેમની સહાયક ભૂમિકાઓથી નિરાશ થઈને, નારાયણ ભારતીય સિનેમામાં કામ કરવા માટે 1949 માં મુંબઈ ગયા.

પદ્મ વિભૂષણથી સન્માનિત
દિવંગત સંગીતકાર 1956માં કોન્સર્ટ સોલો આર્ટિસ્ટ બન્યા હતા અને ત્યારથી તેમણે ભારતમાં ઘણા મોટા સંગીત ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું છે. તેમણે અનેક આલ્બમ્સ રેકોર્ડ કર્યા અને 1964માં તેમના મોટા ભાઈ ચતુર લાલ સાથે અમેરિકા અને યુરોપનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો, જેઓ તબલા વાદક હતા અને 1950માં શંકર સાથે પ્રવાસ કર્યો હતો. નારાયણે ભારતીય અને વિદેશી વિદ્યાર્થીઓને પણ શીખવ્યું હતું અને 2000 ના દાયકામાં ભારતની બહાર વારંવાર પ્રદર્શન કર્યું હતું. તેમને 2005માં ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

શાલિમાર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં હાવડામાં સિંકદરાબાદ શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, એમ દક્ષિણ પૂર્વ રેલવે ડિવિઝને આ માહિતી આપી હતી. નલપુરમાં સિકંદરાબાદ-શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. રેલવે અધિકારીઓને જાણકારી મળતાં જ બચાવ અને રાહત ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી.

આ મામલે રેલવે વિભાગના અધિકારીઓએ પ્રાથમિક આપતાં કહ્યું હતું કે કોઈ મોટું નુકસાન તો થયું નથી પણ અમુક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક એન્જિન અને ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ઘટના વહેલી સવારે સાડાપાંચ વાગ્યાના સુમારે થઇ હતી. આ દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોને અન્ય સ્ટેશનો પર રોકવામાં આવી હતી.

રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને વધારે નુકસાન થયું નથી. માત્ર એકથી બે મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. વાસ્તવમાં, જે સમયે આ અકસ્માત થયો તે સમયે ડાઉન ટ્રેન સિકંદરાબાદ શાલીમાર વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ધીમી ગતિએ હતી. જેના કારણે મોટી રેલવે દુર્ઘટના ટળી હતી

રેલવેએ જણાવ્યું હતું કે આ એક સ્પેશિયલ ટ્રેન હતી. હાવડા-ખડગપુર રુટ પર આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધુ હતી. હાલમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માતની જાણકારી સામે આવતા જ ફરી એક વાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સામે સવાલો ઊઠવા લાગ્યા છે અને તેમના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે.

સૌરભ શુક્લા માટે ‘બેન્ડિટ ક્વીન’ માં નવું પાત્ર રચાયું

રામગોપાલ વર્માની ‘સત્યા’ (૧૯૯૮) ની મોટી સફળતા પછી અભિનેતા ઉપરાંત લેખક અને નિર્દેશક તરીકે પણ ધ્યાન ખેંચનાર સૌરભ શુક્લાની ફિલ્મી કારકિર્દીની ખરી શરૂઆત ‘બેન્ડિટ ક્વીન’ (૧૯૯૪) થી અલગ સંજોગોમાં જ થઈ હતી. એક સમય એવો હતો જ્યારે સૌરભને હોલિવૂડની ‘લિટલ બુધ્ધા’ ઉપરાંત ‘બુધ્ધા’ વિશેના પુસ્તક પરની બીબીસીની એક સિરિયલ પણ મળવાની હતી. ત્યારે સૌરભને દૂરદર્શનની ચાર સિરિયલ લખવાનું કામ મળ્યું હતું. પરંતુ ટૂંકા ગાળામાં ત્રણેય કામ છીનવાઈ ગયા હતા.

નિર્દેશક બર્નારડો બર્ટોલૂચી ભારતમાં ફિલ્મ ‘લિટલ બુધ્ધા’ (૧૯૯૩) માટે ભારતીય કલાકારો પસંદ કરવા આવ્યા હતા અને એ માટે સૌરભે ઓડિશન આપ્યું હતું. એમાં છેલ્લે તૈયાર થયેલી યાદીમાં સૌરભનું નામ હતું. ત્યારે જ ચેનલ 4 ની એક સિરિયલ ‘બુધ્ધા’ માટે ઓડિશન આપ્યું હતું. એમાં પાસ થયા હતા અને એ માટે એક વર્ષ ઈંગ્લેન્ડ આવીને રહેવું પડશે એવી સૂચના મળી હતી. પરંતુ દૂરદર્શન માટે લખેલી ચાર સિરિયલો પસંદ થઈ હોવાથી શું કરવું એની મૂંઝવણમાં હતા. એ સમય પર સૌરભ સીમા વિશ્વાસ સાથે એક નાટક કરતાં હતા. એને જોવા નિર્દેશક શેખર કપૂર આવ્યા હતા. સૌરભ એ નાટકમાં ચાર જુદી જુદી ભૂમિકાઓ નિભાવતા હતા.

નાટક પૂરું થયા પછી શેખર સ્ટેજની પાછળ સૌરભને મળ્યા અને આજકાલ બીજું શું કરે છે એમ પૂછ્યું ત્યારે સૌરભ જેમની સાથે કામ કરતા હતા એ રામગોપાલ બજાજે કહ્યું કે એ તો ભારતમાં રહેવાનો જ નથી. ઈંગ્લેન્ડ જવું કે નહીં એનું વિચારી રહ્યો છે. એની પાસે તો દૂરદર્શનની આટલી બધી સિરિયલો પણ છે. ત્યારે શેખરે કહ્યું કે તે એક ફિલ્મ બનાવી રહ્યા છે. પણ સૌરભ પાસે એટલું કામ હતું કે એના વિષે પૂછવાનું ધ્યાનમાં જ ના આવ્યું.

એ પછી સૌરભને પહેલા સપ્તાહે પત્ર આવ્યો કે ‘લિટલ બુધ્ધા’ માં તમને લઈ શકાયા નથી. બીજા અઠવાડિયે ઈંગ્લેન્ડથી પત્ર આવ્યો કે ‘બુધ્ધા’ માટે બીજા અભિનેતાને લેવામાં આવ્યો છે. અને ત્રીજા અઠવાડિયે ખબર મળ્યા કે દૂરદર્શનમાં કોઈ કાયદાકીય ગૂંચને કારણે બધી જ સિરિયલોનું નિર્માણ બંધ રાખવામાં આવ્યું છે. એકાએક સૌરભ કામ વગરના થઈ ગયા. ત્યારે જાણ્યું કે એમના બધા જ મિત્રો શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’ માં કામ કરી રહ્યા છે. સૌરભને એ સ્થિતિનું દુ:ખ થયું. એ સમય પર શેખર ફરી સીમાનું નાટક જોવા આવ્યા અને અંતમાં સૌરભને માત્ર જોઈને જતાં રહ્યા.

સૌરભે એમના સહાયક રહેલા તિગ્માંશુ ધૂલિયાને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે તારી ધોલપુરની ટિકિટ કઢાવી છે. તું કાલે આવી જજે. સૌરભ જ્યારે શુટિંગ સ્થળ પર પહોંચ્યા ત્યારે ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ માં કૈલાશની ભૂમિકા તૈયાર હતી. પાછળથી સૌરભને જાણવા મળ્યું કે અસલમાં એવું બન્યું હતું કે એ દિવસે નાટકમાં સૌરભનો અભિનય જોઈ શેખરે નક્કી કર્યું હતું કે ‘બેન્ડિટ ક્વીન’ માં આ અભિનેતાને કોઈપણ સંજોગોમાં લેવો છે. પણ કોઈ ભૂમિકા ન હતી. તેથી એમાં બે અલગ ભૂમિકાઓને ભેગી કરીને એક નવું જ પાત્ર તૈયાર કરી સૌરભને કામ આપ્યું હતું. સૌરભના અભિનયનો જ એ કમાલ હતો કે પ્રભાવિત થયેલા શેખર કપૂરે ‘બેન્ડિટ ક્વીન’ માં એમના માટે ફૂલનદેવીના કઝીનનું ખાસ નવું પાત્ર ઊભું કર્યું હતું.

ચીઝ પનીર સમોસા

દિવાળીની રજાઓમાં બાળકો ઘરે હોય એટલે સ્વાદિષ્ટ અવનવી વાનગી ખાવાની જીદ કરતા હોય છે! ત્યારે આ વાનગી તેમની મનપસંદ બની રહે તેવી સ્વાસ્થ્યપ્રદ અને સરળ રીતે બની શકે તેમ છે!

સામગ્રીઃ

  • મેંદો 1½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ મોણ માટે 1 ટી.સ્પૂન
  • મેંદો 4 ટે.સ્પૂન
  • તેલ તળવા માટે

પુરણ માટેઃ

  • ખમણેલું પનીર 1 કપ
  • પ્રોસેસ ચીઝ ½ કપ
  • મોઝરેલા ચીઝ ½ કપ
  • ઝીણું સમારેલું સિમલા મરચું ¼ કપ
  • બાફેલા મકાઈના દાણા ¼ કપ
  • ઝીણી સમારેલી કોથમીર ½ કપ
  • તીખાં મરચાં તેમજ આદુની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • મોળા લીલાં મરચાં 3-4
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • ચીલી ફ્લેક્સ 2 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

રીતઃ મેંદામાં સ્વાદ મુજબ મીઠું લઈ થોડું થોડું પાણી ઉમેરતાં જઈ કડક લોટ બાંધીને તેલનું મોણ લગાડીને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.

10 મિનિટ બાદ લોટના મોટા મોટા છ લૂવા કરી લો. બે લૂવા લઈ તેની નાની પુરી વણીને એક સાઈડ ઉપર તેલ ચોપળીને થોડો મેંદો છાંટી દો. બીજી પુરી પણ આ રીતે તેલ અને મેંદાવાળી કરી દો. પહેલી પુરીના તેલવાળા ભાગ ઉપર બીજી તેલવાળી પુરી ઉંધી વાળીને ચોંટાળી દો. આ પુરીની મોટી પાતળી રોટલી વણી લો. ગેસ ઉપર તવો ગરમ કરીને આ રોટલી બંને સાઈડથી 30 સેકન્ડ માટે કાચી પાકી શેકી લો. તેના બંને પડ કાઢી લઈ ડબ્બામાં મૂકીને રૂમાલ વડે ઢાંકી દો. આ જ રીતે બીજી રોટલી તૈયાર કરી લો.

રોટલીમાંથી 2-3 રોટલી એક ઉપર એક ગોઠવીને બંને સાઈડ કટ કરી લો. આમ બધી રોટલીમાંથી લાંબી સમોસા પટ્ટી કટ કરીને ડબ્બામાં મૂકી દો.

એક વાટકીમાં 3-4 ટે.સ્પૂન મેંદો તેમજ તેટલું જ પાણી લઈ જાડી પેસ્ટ બનાવી લો.

પનીરને ધોઈને કોરું કરીને ખમણવું, જેથી એમાંનું પાણી નિતરી જાય. તે જ રીતે કોથમીરને પણ ધોઈને કપડાં પર સૂકવીને સમારવી.

એક બાઉલમાં ખમણેલાં ચીઝ તેમજ પનીર લો. તેમાં મોઝરેલા ચીઝ ઉમેરીને, લીલાં મરચાંને નાના ગોળ ટુકડામાં સમારીને ઉમેરી દો. હવે તેમાં સમારેલું સિમલા મરચું, બાફેલા મકાઈના દાણા, કાળા મરી પાઉડર, આદુ-મરચાંની પેસ્ટ, સમારેલી કોથમીર, ચીલી ફ્લેક્સ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. ચીઝમાં નમક હોવાથી મીઠું ઉમેરવામાં ધ્યાન રાખવું.

સમોસા પટ્ટીની એક પટ્ટી પાટલા ઉપર લઈ તેને એકબાજુની કોર્નરથી ત્રિકોણાકાર વાળીને એજ રીતે ત્યાંથી જ ફરીથી વાળીને શંકુ આકાર આપીને કોન તૈયાર કરી લો. એક હાથેથી કોન પકડી રાખીને તેમાં ચમચી વડે પુરણ ભરી દો. પટ્ટીના બચેલો છેડા ઉપર મેંદાની પેસ્ટ લગાડીને ફરીથી ફરતે વીંટાળીને ત્રિકોણાકાર સમોસું પેક બંધ કરી લો.

તમે બે પટ્ટીને એક પર એક ક્રોસમાં મૂકીને બંને છેડા વાળીને સમોસાને ચોરસ આકાર પણ આપી શકો છો.

 

આ રીતે બધા સમોસા તૈયાર થાય એટલે ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરીને સમોસા તળી લો.

આ સમોસા તીખી લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

૦૯ નવેમ્બર ૨૦૨૪

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે ગૂંજશે કિલકારી, સુનિલ શેટ્ટી બનશે નાના

મુંબઈ: આથિયા શેટ્ટી અને તેના પતિ કેએલ રાહુલે તેમના ચાહકોને ખુશખબરી આપી છે. તેઓ ટૂંક સમયમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. જાન્યુઆરી 2023માં લગ્ન કરનાર આ ફેમસ કપલે ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે તેઓ 2025માં પેરેન્ટ્સ બનવાના છે. નાનકડા મહેમાનની કિલકારી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરમાં ગુંજશે. સુનીલ શેટ્ટી ટૂંક સમયમાં દાદા બનવાના છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટીએ શુક્રવારે 8 નવેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. અથિયાએ ખુલાસો કર્યો કે તે આવતા વર્ષે તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. જો કે અભિનેત્રીએ એ નથી જણાવ્યું કે તે કયા મહિનામાં આ ખુશખબર આપશે. પોસ્ટમાં લખ્યું હતું,’અમારું સુંદર આશીર્વાદ ટૂંક સમયમાં 2025માં આવી રહ્યું છે’ અને તેમાં બાળકના પગના નિશાન બનાવવામાં આવ્યા છે.

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ પણ તેની પુત્રી આથિયાની આ પોસ્ટ શેર કરી છે અને તેના દાદા બનવાની ખુશી વ્યક્ત કરી છે. આથિયાએ તેના જન્મદિવસના થોડા દિવસો બાદ જ તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. રાહુલ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે જ્યાં તે ભારત A તરફથી ઓસ્ટ્રેલિયા A સામે રમી રહ્યો છે. 2025માં આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના ઘરે ખુશીઓનું આગમન થશે.અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.રાહુલ-આથિયા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.

અથિયા શેટ્ટી-કેએલ રાહુલની લવ સ્ટોરી
બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી 2019માં કેએલ રાહુલને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળી હતી. આ મીટિંગ પછી બંને મિત્રોમાંથી લવબર્ડ્સમાં ફેરવાઈ ગયા અને અંતે તેઓએ 23 જાન્યુઆરી, 2023 ના રોજ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન કર્યા. દંપતીએ તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. લગ્ન પહેલા તેઓ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા.

ત્રણ વર્ષ બાદ ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ગુજરાતી ફિલ્મની થઈ પસંદગી!

અમદાવાદ: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. ભારતની મેઈન સ્ટ્રીમ ફિલ્મો જેવી કે કલ્કી, મન્જુમલ બોય્સ, 12th ફેઈલ, સ્વર્ગારથની સાથે આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ ‘કારખાનું’ એ ડંકો વગાડ્યો છે.ગુજરાતની પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ ‘કારખાનું’નું દિગ્દર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝા વૈધ જેવા અનુભવી કલાકારો સાથે પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપસિંહ જાડેજા, હાર્દિક શાસ્ત્રી, દધીચિ ઠાકર જેવા યુવા કલાકારોએ અભિનય કર્યો છે.

ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો ફિલ્મ જોઈને જ ખ્યાલ આવશે.

કરિશ્મા કપૂર પહેલા આ અભિનેત્રીને ‘રાજા હિંદુસ્તાની’ ફિલ્મ થઈ હતી ઓફર

મુંબઈ: 1996માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ’રાજા હિન્દુસ્તાની’ માટે પહેલી પસંદ કરિશ્મા કપૂર નહીં પણ ઐશ્વર્યા રાય બચ્ચન હતી. પરંતુ આ ફિલ્મ ના કરતા ઐશ્વર્યાએ કદાચ એટલી દુઃખી ન હોય, પરંતુ ફિલ્મના નિર્માતાઓને ઘણું દુઃખ થયું હતું. ખુલાસો કરતી વખતે અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેણે શા માટે આ ફિલ્મનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ નિર્માતાઓએ કરિશ્મા કપૂરને ફિલ્મમાં કાસ્ટ કરી હતી. ઐશ્વર્યા રાયે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 1997માં તમિલ ફિલ્મ ‘ઈરુવર’થી કરી હતી. તે જ વર્ષે તેણે ‘ઔર પ્યાર હો ગયા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જો ઐશ્વર્યા રાયે એક વર્ષ પહેલા આમિર ખાનની ફિલ્મ માટે હા પાડી હોત તો તેણે 1996માં જ બોલિવૂડમાં એન્ટ્રી કરીને ધૂમ મચાવી દીધી હોત.

ઐશ્વર્યા રાયના અસ્વીકાર પછી ફિલ્મ નિર્માતાઓએ કરિશ્મા કપૂરને તક આપી અને આ ફિલ્મે કપૂર પરિવારની પુત્રીને હિન્દી સિનેમાની સુપરસ્ટાર બનાવી. ઐશ્વર્યા રાયને ‘રાજા હિન્દુસ્તાની’ ઓફર કરવામાં આવી હતી. વોગને આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતની મિસ વર્લ્ડે કહ્યું હતું કે,’મને ઘણીવાર કહેવામાં આવે છે કે મિસ વર્લ્ડ બન્યા બાદ મારી કરિયરનો વિકાસ થયો છે, પરંતુ એવું નથી આ પહેલા પણ મને ફિલ્મોની ઑફર્સ મળી હતી. મારી પાસે ઓછામાં ઓછી ચાર ફિલ્મોની ઓફર હતી. વાસ્તવમાં, મેં મિસ ઈન્ડિયામાં ભાગ લેવાનું નક્કી કર્યું અને થોડા સમય માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક પગલું પાછું ખેંચ્યું. જો મેં મિસ ઈન્ડિયામાં ભાગ ન લીધો હોત તો રાજા હિન્દુસ્તાની (1996) મારી પહેલી ફિલ્મ હોત.’

રૂ. 5.75 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 76.34 કરોડની કમાણી કરી અને 1996ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. ‘હમ આપકે હૈ કૌન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘કુછ કુછ હોતા હૈ’ પછી આ ફિલ્મ 1990ના દાયકામાં ભારતમાં ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે કરિશ્મા કપૂર લીડ રોલમાં જોવા મળી હતી અને આ ફિલ્મ બંનેના કરિયર માટે ઘણી સારી સાબિત થઈ હતી.

ગાંધી આશ્રમનો રોડ આવતીકાલથી થશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અમદાવાદના ગાંધી આશ્રમ રોડથી અવરજવર કરતાં લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ગાંધી આશ્રમ રોડ આવતી કાલથી(9 નવેમ્બર) કાયમી માટે બંધ કરવામાં આવશે, તેને લઈને જાણકારી આપી. આ સાથે અન્ય વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમને રીસ્ટોર અને રી-ડેવલપમેન્ટની કામગીરી  ચાલી રહી છે. ત્યારે આ પ્રોજેક્ટના આયોજનના ભાગરૂપે હાલ સુભાષબ્રિજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ રોડ પૈકી બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજિત 800 મીટરના માર્ગમાં કાયમી ધોરણે વાહન વ્યવહારની અવરજવર આવતી કાલથી(9 નવેમ્બર) બંધ કરવામાં આવશે..

વૈકલ્પિક માર્ગ

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની આસપાસ રહેતા સ્થાનિકો અને આશ્રમની મુલાકાતે, પરિવહન કરનારા લોકો સુભાષબ્રિજથી આશ્રમ તરફ અવરજવર કરી શકશે. જેમાં વૈકલ્પિક માર્ગમાં સુભાષબ્રિજથી વાડજ તરફ જવા-આવવા માટે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ સીધા રાણીપ બસ સ્ટેન્ડથી ડાબી બાજુ વળીને નવા બનેલા માર્ગ થઈને કાર્ગો મોટર્સ થઈને સાબરમતી રીવરફ્રન્ટ માર્ગ (પશ્ચિમ) અને વાડજ તરફ અવરજવર કરી શકાશે. જ્યારે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલથી ડાબી બાજુ વળીને પલક ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળીને વાડજ સર્કલ તરફ અવરજવર પરિવહન કરી શકાશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને જે માર્ગ બંધ કરવાનો છે અને વૈકલ્પિક માર્ગ ક્યો રહેશે તેની સંપૂર્ણ જાણકારી આપી છે. આ જાહેરનામાંના આદેશનું ઉલ્લઘંન કરનારા લોકો સામે ભારતીય ન્યાય સંહીતા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામીણ ખપતમાં બે ગણો વધારો

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં FMCG પ્રોડક્ટ્સનો વપરાશનું મૂલ્યની દ્રષ્ટિએ શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં બમણું વધ્યું છે. સપ્ટેમ્બર FMCGમાં આ સેક્ટરનો મૂલ્ય આધારિત ગ્રોથ 5.7 ટકા રહ્યો હતો અને 4.1 ટકા વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો હતો. આ વધારો સતત ત્રીજા ત્રિમાસિકમાં શહેરી બજારોની તુલનામાં ગ્રામીણ માગમાં વધારો થયો હતો.  કંપનીઓએ ભાવમાં સરેરાશ 1.5 ટકાનો વધારો કર્યો હતો.

જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં શહેરી વિસ્તારોમાં FMCG પ્રોડક્ટ્સનો વપરાશ 2.8 ટકા રહ્યો હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ 6 ટકા વધ્યો હતો. શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ ક્ષેત્રે વપરાશ બમણો વધ્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં જૂન ત્રિમાસિકમાં 5.2 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો. આમ ત્રિમાસિક ધોરણે પણ તેમાં વધારો નોંધાયો હતો.

નાની અને મધ્યમ કદની FMCG કંપનીઓએ કેટલાક ત્રિમાસિક ગાળાની નરમાઈ પછી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કમબેક કર્યું છે. તેમણે પ્રમાણમાં વધારે ઝડપી ગ્રોથ કર્યો હતો. ફૂડ સેગમેન્ટમાં નોંધપાત્ર ગ્રોથને કારણે આ કંપનીઓએ વેલ્યુ અને વોલ્યુમ બન્ને દ્રષ્ટિએ મોટી FMCG કંપનીઓ કરતાં વધારે ઝડપી ગ્રોથ દર્શાવ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરનાં પરિણામોમાં આ સેક્ટરની કંપનીઓ HUL, નેસ્લે, ડાબર, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે શહેરી વિસ્તારોમાં માગમાં નરમાઈનો સંકેત આપ્યો હતો.

આ ઉદ્યોગ જાણકારોના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારોમાં FMCGનું 62-65 ટકા વેચાણ થાય છે અને બાકીનું ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. તેમાં પણ ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ વધારે થાય છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફૂડ પ્રોડક્ટ્સનો વપરાશ 3.4 ટકા વધ્યો હતો, જે જૂન ત્રિમાસિકમાં 2.1 ટકા હતો, એમ ડેટા એનલિટિક્સ કંપની NIQનો તાજો રિપોર્ટ કહે છે.