Home Blog Page 1353

ભાઈ.. આ વર્ષે તો ગધેડા ય મોંઘા થઈ ગયા છે..

ધોળકા: દિવાળીના ઉત્સવ પછી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થાય. આ સાથે દરેક પ્રાંત ક્ષેત્રમાં અવનવા મેળા ભરાય. અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલા વૌઠા ગામ નજીક સાત નદીઓનો સંગમ થાય છે. આ નદીના પટ પર જ દિવાળીના પછી તરત જ એક અનોખો મેળો ભરાય છે. એમાં એનું મુખ્ય આકર્ષણ હોય છે..ગદર્ભ એટલે કે ગધેડા. આ વર્ષે અત્યારથી જ વૌઠા ગામની ખુલ્લી જગ્યામાં ઠેર-ઠેર જુદા-જુદા પ્રાંતમાંથી આવેલા ગધેડાની લે વેચ શરૂ થઈ ગઈ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના જુદાં-જુદાં વિસ્તારમાંથી વૌઠામાં ગધેડા લાવવામાં આવે છે. દિવાળી પછી પૂનમ સુધી વૌઠા આખાય ગામમાં મેળાનું જ વાતાવરણ હોય છે. જુદાં-જુદાં પ્રાંતમાંથી આવેલા વિવિધ નસલના ગધેડાના અહીં સોદા થાય છે. હાલારી, દેશી, મારવાડ, ખચ્ચર સહિત અનેક પ્રકારના ગધેડાને ગુલાબી, કેસરી રંગથી સજાવી મેળામાં લે-વેચ માટે લાવવામાં આવે છે. વૌઠાનો મેળો ભરાય છે એ સ્થળે સપ્તસંગમ સાત નદીઓના સંગમ તરીકે ઓળખાય છે. વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે. આ બે નદીઓને એ અગાઉ સાબરમતી, હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માઝમ, શેઢી નદીઓ મળે છે. જેના કારણે અહીં સાત નદીઓનો સંગમ થાય છે. એક માન્યતા અનુસાર ગુજરાતના મધ્યમાં આવેલા આ સ્થળનું મહત્વ પુરાણોમાં દર્શાવાયું છે. મહાભારતનું વિરાટનગર જે અત્યારનું ધોળકામાં છે. જ્યાં પાંડવો તેર વર્ષના લાંબા વનવાસ પછીનો અજ્ઞાતવાસ પસાર કરવા માટે રોકાયા એવી માન્યતા છે. વૌઠામાં આવેલા આ મહાદેવના પ્રાચીન મંદિર વિષે પણ ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે, ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિક સ્વામી જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતા રહે છે. તેઓ કાર્તિક પૂર્ણિમાને દિવસે ભરતા મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે આવતા હોય છે. વૌઠામાં આજે પણ કાર્તિકની ચરણપાદુકાનું પૂજન થાય છે. કાર્તિકી પૂર્ણિમા સપ્તસંગમમાં સ્નાન કરવું ખુબ પવિત્ર મનાય છે અને તે દિવસે સ્નાન કરીને લોકો અધ્યાત્મિક આનંદ અનુભવે છે. વૌઠાના આ મેળામાં અનેક નાની-મોટી દુકાનો, મદારી, જાદુગરો, નટ, ભવૈયા, સર્કસ, ચકડોળ વગેરે મનોરંજનના સાધનો હોય છે. રાત્રે ભજન મંડળી ઉપરાંત તાલુકા પંચાયત ધોળકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ભાલ અને નળકાંઠાના લોકો અહીં પાલ એટલે કે છાવણી નાખી બે-ત્રણ દિવસ માટે રોકાતા હોય છે.જો કે સૌથી મહત્વની વાત મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડાનું બજાર છે. અહી સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે લાવવામાં આવે છે. ગદર્ભની અનોખી માવજત કરતા લોકો અહીં જોવા મળી છે. અહી ચાર હજાર કરતાં પણ વધુ ગધેડાઓને વેચાણ માટે લઈ આવવામાં આવે છે. આધુનિક યુગમાં વૌઠાના મેળે ગદર્ભની સંખ્યા ઓછી થતી જાય છે. ત્યારે આ પંથકના ગધેડા ખરીદવા આવેલા લોકો કહે છે..’ભાઈ આ વર્ષે તો પચ્ચીસ હજારમાંય ગધેડા નહીં મળતા..હવે તો ગધેડા ય મોંઘા થઈ ગયા છે.!

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

‘હવે યુદ્ધ નહીં થાય’, જીત બાદ ટ્રમ્પનો હુંકાર

ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વ્હાઇટ હાઉસની રેસ જીતવા તરફ આગળ વધી રહ્યા છે, દેશના ઇતિહાસમાં સૌથી મોટી રાજકીય પુનરાગમન નોંધાવી રહ્યા છે. તેમણે ચૂંટણીમાં તેમના ડેમોક્રેટિક હરીફ કમલા હેરિસને હરાવ્યા છે. ટ્રમ્પે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં પોતાના સંબોધનમાં કહ્યું, ‘આ અમેરિકાનો સુવર્ણ યુગ હશે… અમેરિકાએ અમને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. આ દરમિયાન ટ્રમ્પે યુદ્ધને લઈને મોટું નિવેદન પણ આપ્યું છે. પોતાના તાજેતરના ભાષણ દરમિયાન ટ્રમ્પે ઈઝરાયેલ અને યુક્રેન વચ્ચેના યુદ્ધ તરફ ઈશારો કર્યો અને કહ્યું કે હું યુદ્ધ રોકવાનો છું, ફરી કોઈ યુદ્ધ નહીં થવા દઈશ. આ સિવાય પોતાના પાછલા કાર્યકાળની યાદ અપાવતા તેમણે કહ્યું કે અમે ચાર વર્ષમાં કોઈ યુદ્ધ નથી લડ્યું. જોકે ISISનો પરાજય થયો હતો.


ત્રીજું વિશ્વ યુદ્ધને થતા અટકાવશે

અમેરિકન સેના અંગે ટ્રમ્પે કહ્યું કે અમે અમારી સેનાને વધુ શક્તિશાળી બનાવીશું અને યુદ્ધનો અંત લાવવા માંગીએ છીએ. તેઓ કહે છે કે રાષ્ટ્રપતિ તરીકે મારા કાર્યકાળ દરમિયાન વિશ્વમાં કોઈ મોટું યુદ્ધ શરૂ થયું નથી. ચૂંટણી પહેલા પણ ટ્રમ્પ યુદ્ધ વિરુદ્ધ બોલતા રહ્યા છે. તેમણે ચૂંટણી પહેલા કહ્યું હતું કે જો હું રાષ્ટ્રપતિ હોત તો યુદ્ધ ક્યારેય શરૂ ન થાત. હમાસ અને ઈઝરાયલને લઈને તેણે એમ પણ કહ્યું કે જો હું ત્યાં હોત તો 7 ઓક્ટોબર જેવી સ્થિતિ સર્જાઈ ન હોત. હું ત્રીજું વિશ્વ યુદ્ધ થતું અટકાવીશ. (7 ઓક્ટોબરે હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જે બાદ ઈઝરાયેલ અત્યાર સુધી જવાબી કાર્યવાહી કરી રહ્યું છે.)

તેમણે કહ્યું, તમને તમારા 47માં અને 45માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાના અસાધારણ સન્માન માટે હું અમેરિકન લોકોનો આભાર માનું છું. ટ્રમ્પે કહ્યું, અમેરિકાએ અમને અભૂતપૂર્વ અને શક્તિશાળી જનાદેશ આપ્યો છે.  તેમના પર થયેલા હુમલા અંગે તેમણે કહ્યું કે ભગવાને એક કારણસર મારો જીવ બચાવ્યો અને તે કારણ છે આપણા દેશને બચાવવા અને અમેરિકાને મહાનતામાં પાછું લાવવાનું. અમે સાથે મળીને તે મિશન પૂર્ણ કરીશું. ટ્રમ્પે વધુમાં કહ્યું કે આપણે ઓછામાં ઓછા થોડા સમય માટે અમેરિકાને પ્રાથમિકતા આપવી પડશે. આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવવું પડશે. હું તમને નિરાશ નહીં કરું. આપણું ભવિષ્ય પહેલા કરતા વધુ સુરક્ષિત અને મજબૂત હશે.

 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દુર્ઘટનામાં ત્રણના મોત, મૃતકોના પરિવારજનોને 20 લાખની સહાય

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ત્રણ શ્રમિકના મોત થયા હતા જ્યારે અન્ય એક શ્રમિક ઘાયલ થયો હતો. હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને મૃતકોને 20 લાખના વળતરની જાહેરાત કરી છે.

રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું હતું. આ સમયે સ્ટ્રકચર ધરાશાયી થતા ચાર શ્રમિકો દટાયા હતા. જેથી ક્રેઈન અને ખોદકામ મશીનોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્રણના મોત થયા હતા. જ્યારે એક કામદાર સારવાર હેઠળ છે. ચાર કલાક સુધી રેસ્કયૂ ઓપરેશનની કામગીરી ચાલી હતી. જે બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટના પાછળ ટેકનિકલ કારણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અને હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને તપાસના આદેશ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના મહી નદી પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે (5 નવેમ્બર) સાંજે ત્રણ મજૂરો મહી નદી પર કોંક્રિટ બ્લોક્સ વચ્ચે ફસાયા હતા. એક મજૂરને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. NHSRCLએ જણાવ્યું હતું કે ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પર 120 મીટર લાંબો પુલ તાજેતરમાં પૂર્ણ થયો હતો. આ સાથે 12 બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતના 352 કિમી અને મહારાષ્ટ્રના 156 કિમી વિસ્તારને આવરી લે છે. જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી જેવા કુલ 12 સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર માત્ર ત્રણ કલાકમાં કાપવામાં આવશે. હાલમાં આ પ્રવાસ છથી આઠ કલાકનો સમય લે છે.

વિદ્યાર્થીઓને મળશે 10 લાખની એજ્યુકેશન લોન

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મીટિંગ વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ને વધુ મજબૂત કરવા માટે તેની ઈક્વિટી મૂડી વધારીને 10,700 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 2004 થી 2014 સુધી ફૂડ સબસિડી રૂ. 5.15 લાખ કરોડ હતી, જે 2014 થી 2024 સુધીમાં વધીને રૂ. 21.56 લાખ કરોડ થઈ છે, જેનાથી ખાદ્ય સુરક્ષા અને વિતરણ વ્યવસ્થામાં સુધારો થશે.

વિદ્યાલક્ષ્મી યોજના પણ મંજૂર

આ સાથે જ કેબિનેટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ 8 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે 3 ટકાના વ્યાજ દરે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન મળશે. આ લોન દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેથી તેઓ આર્થિક સંકટ છતાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. આ યોજના માટે 3,600 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે, જે નાણાકીય વર્ષ 2024-25 થી લાગુ કરવામાં આવશે.

 

ભાજપે મહારાષ્ટ્રમાંથી 40, ઝારખંડમાંથી 30 બળવાખોરને તગેડી મૂક્યા

નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ શિસ્તભંગના આરોપસર મહારાષ્ટ્રમાંથી 40 અને ઝારખંડમાંથી 30 નેતાઓની હકાલપટ્ટી કરી નાખી છે. મહારાષ્ટ્રમાં આ તમામ નેતાઓ 37 વિધાનસભા મતવિસ્તારોમાં પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા હતા. મહાયુતિએ તેનો મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ આ કાર્યવાહી કરી છે. ભાજપમાં બળવાખોરો ઘણી બેઠકો પર પાર્ટી માટે મોટો પડકાર બની ગયા છે. ટિકિટ ન મળવાથી નારાજ બળવાખોર નેતાઓમાં બે પૂર્વ સાંસદો પણ સામેલ હતા. નંદુરબારથી હીના ગાવિત અને જલગાંવથી એ. ટી. પાટીલ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા હતા. હીના ગાવિત 2014 અને 2019માં બે વખત નંદુરબારથી સાંસદ રહી ચૂકી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તે કોંગ્રેસના ગોવાલ પાડવી સામે હારી ગયા હતા. આવી સ્થિતિમાં તે હવે ધારાસભ્ય બનવા માંગતા હતા. પરંતુ ટિકિટ ન મળતાં તે નારાજ થઈ ગઈ હતા. લોકસભા હાર્યા બાદ એ.ટી. પાટીલને પણ પાર્ટી તરફથી વિધાનસભામાં ટિકિટની આશા હતી, પરંતુ પાર્ટીએ બીજા કોઈને પોતાના ઉમેદવાર બનાવ્યા. અત્યાર સુધી ભાજપના બળવાખોરો રાજ્યમાં 30 સીટો પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.ઝારખંડમાં પણ ભાજપે પક્ષના ઉમેદવારો વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરનાર 30 નેતાઓને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. તેની જાણકારી પાર્ટીએ એક નિવેદન દ્વારા આપી. પાર્ટીએ જણાવ્યું કે તમામ બળવાખોર ભાજપ નેતાઓને છ વર્ષ માટે પાર્ટીથી કાઢી મૂકાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીના આદેશ પર મહામંત્રી અને સાંસદ ડો.પ્રદીપ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરીને પાર્ટીની નીતિઓ વિરુદ્ધ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા આવા 30 ભાજપના બળવાખોર નેતાઓને પાર્ટીથી છ વર્ષ માટે હાંકી કઢાયા છે. ઝારખંડની 81 સદસ્યીય વિધાનસભા માટે ચૂંટણી 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.

PM મોદીએ ટ્રમ્પને જીતની શુભેચ્છા આપતાં કહ્યું, મળીને કામ કરીશું

નવી દિલ્હીઃ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવતાં જ વૈશ્વિક નેતાઓએ અભિનંદન પાઠવવાનું શરૂ કર્યું છે. PM મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે મારા મિત્રને હાર્દિક અભિનંદન તમારી ઐતિહાસિક ચૂંટણી જીત પર. જેમ જેમ તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓ પર નિર્માણ કરો છો, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહયોગને આગળ વધારવા માટે ઉત્સુક છું. ચાલો સાથે મળીને આપણા લોકોના ભલા માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરીએ.ટ્રમ્પની જીત પર ઓસ્ટ્રેલિયાના PM એન્ટની અલ્બાનીઝે પણ શુભેચ્છાઓ આપી હતી.

ટ્રમ્પે ચૂંટણી જીત્યા પછી આપેલા ભાષણમાં કહ્યું હતું કે મેં આવો જશ્ન પહેલાં નથી જોયો. તેઓ દેશને સુરક્ષિત કરવા માટે બધું કરશે. તેમણે મેક અમેરિકા ગ્રેટ અગેનનું સૂત્ર આપતાં કહ્યું હતું કે હું દરેક ક્ષણ અમેરિકા માટે કામ કરીશ. મારું બધું અમેરિકા માટે સમર્પિત છે. હું દરેક નાગરિક, તમારા માટે તમારા પરિવાર માટે અને તમારા ભવિષ્ય માટે લડીશ.

PM નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સારા મિત્રો છે. દુનિયાએ તેમની મિત્રતાની કેમેસ્ટ્રી ઘણી વખત જોઈ છે. PM મોદી વર્ષ 2020માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકા ગયા હતા. આ દરમિયાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ટ્રમ્પને મત આપવાની અપીલ કરી હતી. જોકે તે ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો.

 

 

 

 

 

 

 

ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીને મોટો ફટકો

ભારતીય સીનિયર બેટ્સમેન વિરાટ કોહલીને બુધવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારે નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શનને કારણે કોહલી બેટિંગ રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર થઈ ગયો છે. 2014 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર ગયો છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 70 રનના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે માત્ર 93 રન બનાવ્યા હતા અને હવે તે ટેસ્ટ ફોર્મેટમાં પુરુષોના બેટ્સમેનોની ICC રેન્કિંગમાં 22મા ક્રમે છે.

ભારતના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં ફ્લોપ રહ્યા હતા અને સ્પિનરો સામે સસ્તામાં વિકેટ ગુમાવી રહ્યા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ પહેલી ટીમ હતી જેણે ભારતને તેના હોમગ્રાઉન્ડ પર 3-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાના બેટથી રન બનાવ્યા ન હતા. તેને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે 26માં સ્થાને છે.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે, તેણે પાકિસ્તાન પ્રવાસ પર બેવડી સદી ફટકારી હતી. રૂટ પછી કેન વિલિયમસન અને હેરી બ્રુકનો નંબર આવે છે. ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પણ એક સ્થાનનું નુકસાન થયું છે અને તે ચોથા સ્થાને સરકી ગયો છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને પાંચ સ્થાનનો ફાયદો થયો છે અને તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. શુભમન ગિલ 16મા સ્થાને છે.

ભારતનો અનુભવી સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા તાજેતરની રેન્કિંગમાં બે સ્થાન ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિન પાંચમા સ્થાને છે. જાડેજાએ ન્યૂઝીલેન્ડ સામે 10 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ બોલરોની સમાન યાદીમાં વોશિંગ્ટન સુંદર સાત સ્થાન આગળ વધીને 46મા ક્રમે છે, જ્યારે એજાઝ પટેલ (12 સ્થાન ઉપરથી 22મા ક્રમે) અને ઈશ સોઢી ત્રણ સ્થાન આગળ વધીને 70મા ક્રમે છે.

તહેવારો દરમિયાન RTOમાં 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન થયું

અમદાવાદ: તહેવારોની સિઝન પૂર્ણ થઈ છે. અને હવે લગ્ન સિઝન શરૂ થવાની છે. ત્યારે તહેવારો દરમિયાન નવુ વસ્તુ, વાહન કે મકાન લેવાનું શુભ માનવામાં આવે છે. આ વર્ષ પણ તહેવારો દરમિયાન વાહનોની ધૂમ ખરીદી જોવા મળી હતી. એજ કારણોસર અમદાવાદ RTOમાં નવરાત્રી અને દિવાળીના તહેવારને પગલે વાહન રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. નોંધનીય છે કે એક મહિનામાં 16,824 ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું છે. જ્યારે 438 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઈલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું છે.

આંકડાઓનુ માનીએ તો, અમદાવાદ RTOમાં વાહન રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ RTOમાં છેલ્લા એક મહિનામાં 24856 વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા એક મહિનામાં 16824 ટુ વહીલરનું રજીસ્ટ્રેશન થયું છે. તો બીજીતરફ ગતવર્ષ કરતા ચાલુ વર્ષે તહેવારમાં ઇલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું છે. ઇલેક્ટ્રિક 438 વાહનનો રજીસ્ટ્રેશન થયું છે. જો 2023ની વાત થાયતો ગત વર્ષ દશેરાથી દિવાળી સુધીમાં 22,474 વાહનોની ખરીદી થઈ હતી. જેમાં 1299 ઈલેક્ટ્રીક વાહોનો હતો. જે આંકડો આ વર્ષે ઘટીના 438 સુધી પહોંચી ગયો છે. એટલે કે ઈલેક્ટ્રીક વાહોની ખરીદી ગત વર્ષની સરખામણીમાં 50%થી વધુનો ઘટાડો નોંધાયો છે.

લોધિકા વિદ્યાર્થી આપઘાત કેસમાં આચાર્ય સહિત બે શિક્ષક સસ્પેન્ડ

રાજકોટ: લોધિકામાં મોટાવડા સરકારી શાળાનાં વિદ્યાર્થીનાં આપઘાત કેસમાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. વિદ્યાર્થીને આપઘાત માટે મજબૂર કરનારા શાળાના આચાર્ય સહિત બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ DEOએ આચાર્ય અને શિક્ષિકાને નોટિસ ફટકારી હતી. ઘટના અંગે વાત કરીએ તો લોધીકા તાલુકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને જીવન ટૂકાવ્યું હતું. વિદ્યાર્થીએ આપઘાત પહેલા વીડિયો ઉતારીને શિક્ષકોના દબાણના કારણે આ પ્રકારનું પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે એક સુસાઈડ નોટ પણ લખી હતી. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્ય સચિન વ્યાસ, શિક્ષક મોસમી શાહ અને વિભૂતિ જોષીને સસ્પેન્ડ કર્યા છે.

સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?

આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા… મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક ન હતો. તોય મારી ટીચરે મારી સાથે…. મેં સાબિત કરીને બતાવ્યું કે પેપર મેં નથી લખ્યું તો પણ તેણે પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા અને આવું પહેલીવાર નથી કર્યું. કાલે મેં તેના હાથમાં પેપર આપ્યું હતું તો પણ તેણે મને પોલીસની ધમકી આપી. B.A.ના પેપરમાં બધું સાચું લખ્યું હતું તો પણ કોઈની સાથે ન કર્યું અને મારી સાથે જ આવું કર્યું. મારે 25માંથી 23 માર્ક આવ્યાં હતા તો પણ મારી સાથે તેણે આવું કર્યું.મમ્મી મેં આજે આ પગલું ભર્યું ન હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. એટલે મેં આ પગલું ભર્યું છે. જો મમ્મી હું સાચું કહું છું, તારા સમ ખાઈને કહું છું કે પેપર મેં નથી લખ્યું. મેં સરને ખુબ સમજાવ્યાં, પણ તેમણે મારા પર પોલીસ કેસ કરવાનો છે એમ કહ્યું તેથી મેં આ પગલું ભર્યું છે.

મમ્મી મારા ભાઈબંધ સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું. પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. મમ્મી (નામ અવાચ્ય) મારા ભાઈ જેવો છે, માટે તું તેને તારો દીકરો માની લેજે. આઈ લવ યુ મોમ એન્ડ પાપા એન્ડ ધવલ માય પરિવાર… બધા ખુશ રહેજો. તારો દિકરો ધ્રુવિલ… મારા ગુરુ સોલંકી સર છે, તેમણે મારો સાથ આપ્યો હતો.

‘વાત વાતમાં’થી વાત લગ્ન સુધી પહોંચી જ ગઈ, મલ્હાર અને પૂજા કરશે લગ્ન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને સુંદર, સોહામણી અભિનેત્રી પૂજા જોષી બંને લગ્ન કરવાના છે એવી છેલ્લા કેટલાક દિવસોથી અફવા ચાલી રહી હતી. આખરે હવે હકીકત સામે આવી ગઈ છે. અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. આ ખુશખબરી ખુદ મલ્હાર અને પૂજાએ આપી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઢોલીવૂડ (Dhollywood)માં અફવા ઉડી રહી હતી. જોકે આ દરમિયાન મીડિયા દ્વારા મલ્હાર ઠાકર અને પૂજા જોશીનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. પરંતુ બંનેએ જવાબ આપવાનું ટાળ્યું હતું. ચિત્રલેખા ડૉટ કૉમે જ્યારે પૂજા જોષી સંપર્ક કર્યો ત્યારે તેણીએ કહ્યું હતું કે ” હું હાલમાં કોઈ જ ટિપ્પણી કરવા માંગતી નથી. હું બસ એટલું જ કહીશ થોડી રાહ જુઓ”. આખરે આ આતુરતાનો અંત આવ્યો અને ઈન્સ્ટાગ્રામ પર બંને સ્ટાર્સે સત્તાવાર રીતે પોતાના સંબંધની અને લગ્નના સમાચાર ચાહકો સાથે શેર કર્યા. ‘વાત વાતમાં’થી વાત લગ્ન સુધી પહોંચી જ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Puja Joshi (@pujajoshi_official)

મલ્હાર અને પૂજાએ એક સુંદર તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, તમામ અફવાઓનો અંત લાવીએ છીએ. રીલથી રિયલ સુધી…તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે એક નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છીએ. કાઉન્ટડાઉન શરૂ!

નોંધનીય છે કે મલ્હાર ઠાકર અને પૂજા જોષી બંનેએ સ્ક્રીન પર સાથે કામ કર્યું છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે.તેમણે વેબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કેમેસ્ટ્રીની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ સાથે કરી હતી. જેમાં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ ફિલ્મ ‘લગ્ન સ્પેશ્યલ’માં સાથે જોવા મળ્યા હતાં. આ ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થઈ હતી.