Home Blog Page 1361

ગાયિકા રીચા શર્માનો ‘તાલ’થી મેળ પડ્યો!

માહી વે, તૌબા તૌબા, છલકા છલકા રે, બિલો રાની જેવા ધમાલ મચાવતા અલગ પ્રકારના ગીતો ગાવા માટે જાણીતી રીચા શર્માને ફિલ્મ ‘તાલ’ થી પાર્શ્વ ગાયનમાં સાચી ઓળખ મળી શકી હતી. રીચા ૯ વર્ષની હતી ત્યારથી માતાના જાગરણના ધાર્મિક કાર્યક્રમમાં ગીતો ગાઈને શરૂઆત કરી ચૂકી હતી. ઉંમર વધી એટલે સંગીતમાં રીચાનો રસ વધ્યો અને દિલ્હીની સંગીત કોલેજમાં પાયાની તાલીમ લેવાનું શરૂ કર્યું. રીચાને ફિલ્મોમાં ગાવું હતું પરંતુ કોઈ સંપર્ક ન હતો.

1994 માં એક વખત મુંબઈમાં જાહેર ધાર્મિક કાર્યક્રમ માતાની ચોકીમાં ગાતી હતી ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો હાજર હતા એમાં નિર્માતા-નિર્દેશક સાવનકુમારને એનો અલગ અવાજ પસંદ આવ્યો હતો. એમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે જ્યારે પણ મને ફિલ્મમાં જરૂર પડશે ત્યારે રીચાને હું તક આપીશ. બરાબર એક વર્ષ પછી સાવનકુમારે રીચાને ફિલ્મ ‘સલમા પે દિલ આ ગયા’ (1997) માં ‘મોહબ્બત ઐસી મેંહદી હૈ’ ગીત ગાવાની તક આપી અને એ ‘પાર્શ્વ ગાયિકા’ તરીકે કોઈને પોતાની ઓળખ આપી શકે એટલું કામ થયું. રીચાએ ફરીદાબાદથી સપ્તાહમાં ત્રણ દિવસ મુંબઇ રહીને સંઘર્ષ કરવાનું શરૂ કર્યું. તે ગણ્યા ગણાય નહીં એટલા નિર્માતા- નિર્દેશકો અને સંગીતકારોને મળી.

ભાગ્યે જ કોઈ એવા સંગીતકાર હશે જેને ત્યાં પોતાના અવાજમાં રેકોર્ડ કરેલા ગીતોની ઓડિયો કેસેટ મૂકી નહીં હોય. ઘણી વખત કલાકો બેસી રહેતી પણ સંગીતકારો સાથે મુલાકાત થતી ન હતી. બે વર્ષના સંઘર્ષમાં બે-ચાર ગીતો મળ્યા અને જાણીતા થયા પણ ગાયિકાની ઓળખ ઊભી થઈ શકી નહી. દરમ્યાનમાં રીચાએ ફિલ્મ ‘બોમ્બે’ ની ઓડિયો કેસેટ પર સૌથી યુવાન સંગીતકાર તરીકે એ. આર. રહેમાનનું નામ જોયું અને 14 ઓગસ્ટ, 1997 ના રોજ પોતાના ચાર-પાંચ ગીતો રેકોર્ડ કરી એની કેસેટ એમના મદ્રાસ સ્ટુડિયોના સરનામે મોકલવા બપોરે વિષ્ણુ નામના છોકરા સાથે કુરિયર મોકલ્યું. એ કેસેટ હજુ રહેમાન પાસે પહોંચે એ પહેલાં જ એમના તરફથી રાત્રે જ સંદેશ આવી ગયો. નિર્દેશક સુભાષ ઘઈ ફિલ્મ ‘તાલ’ બનાવી રહ્યા હતા અને એમાં રહેમાનનું સંગીત હતું.

ગાયક સુખવિંદર સિંહ ‘તાલ’ માટે ગાઈ રહ્યા હતા અને ઘઈએ એમને એક અલગ અવાજવાળી મહિલા ગાયિકા વિષે પૂછ્યું ત્યારે એમણે રીચાનું નામ આપ્યું. રાત્રે બાર વાગે સુખવિંદરનો ફોન આવ્યો અને એને કહ્યું કે એક ફિલ્મ માટે ગીત ગાવાનું છે. રાત્રે ગાઈ શકીશ? રીચાએ હા પાડીને કહ્યું કે હું રાત્રિના જ કાર્યક્રમો વધારે કરું છું. રીચા જ્યારે સ્ટુડિયો પર પહોંચી ત્યારે રહેમાનને જોઈને જાણે એનું સપનું પૂરું થતું લાગ્યું.

રીચાએ એ ગીતનો અનુભવ જણાવતા એક મુલાકાતમાં કહ્યું હતું કે કોઈપણ સંગીત વગર રહેમાને એની પાસે ‘તાલ’ (1999) નું ‘ની મેં સમજ ગઈ’ ગીત ગવડાવ્યું હતું. શરૂઆતના શબ્દો ‘સજના વે, સોનિયા વે, રાંઝણા વે’ ના ગાયનની સ્ટાઇલમાં અનેક વખત ફેરફાર કરાવ્યો હતો. પાંચ કલાક બાદ ગીતનું ફાઇનલ રેકોર્ડિંગ કર્યું હતું. એ ગીતમાં વાદ્યો ઉપરાંત રહેમાને સળીવાળી ઝાડુ અને ચાવીના ઝૂમખામાંથી પણ સંગીત ઉત્પન્ન કર્યું હોવાનું રીચાએ જોયું હતું. ‘તાલ’ના ‘ની મેં સમજ ગઈ’ ગીતથી રીચા શર્માની પાર્શ્વગાયિકા તરીકેની કારકિર્દીનો મેળ પડી ગયો હતો અને કામ મળવા લાગ્યું હતું.

પંચાંગ 02/11/2024

ત્રીજી ટેસ્ટ મેચઃ NZ 235 રનમાં ઓલઆઉટ, ભારત 86એ ચાર વિકેટ 

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટમાં ન્યુ ઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી કિવી ટીમ 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રવીન્દ્ર જાડેજાને પાંચ વિકેટ મળી હતી. એ પછી ટીમ ઇન્ડિયાએ 86 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલ 31 રન સાથે અને રિષભ પંચ એક રન સાથે દાવમાં છે.

ન્યુ ઝીલેન્ડ વતી ડેરિલ મિશેલે 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 82 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય વિલ યંગે 71 રન બનાવ્યા હતા.  ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી જ્યારે વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. બાકીની એક વિકેટ આકાશ દીપે લીધી હતી.જોકે એ પછી ભારતનો પણ ધબડકો થયો હતો. પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો પ્રથમ દાવનો સ્કોર ચાર વિકેટે 86 રન હતો. કિવીઓથી ભારતીય ટીમ હજી 149 રનથી પાછળ હતી.

મેચના પ્રથમ દિવસે  સ્પિનર્સ રવીન્દ્ર જાડેજા (65 રનમાં પાંચ વિકેટ) તથા વોશિંગ્ટન સુંદર (81 રનમાં ચાર વિકેટ) ખૂબ સફળ રહ્યા હતા તો ભારતની ઇનિંગ્સમાં કિવી સ્પિનર એજાઝ પટેલ (33 રનમાં બે વિકેટ) સૌથી સફળ હતો.

કેપ્ટન રોહિત શર્માએ 18 રન)એ ફરી અસંખ્ય ચાહકોને નિરાશ કર્યા હતા. તે પાછો સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલ  તથા ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ ભારતની 18મી ઓવરમાં સ્પિનર ઍજાઝ પટેલે યશસ્વીને ક્લીન બોલ્ડ કરીને પાર્ટનરશિપ તોડી હતી.ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ભારતીય બોલર હોવાનો ખિતાબ અનિલ કુંબલે પાસે છે, જેમણે પોતાની શાનદાર કારકિર્દીમાં કુલ 619 વિકેટ લીધી હતી અને 600 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર એકમાત્ર ભારતીય બોલર છે.

 

 

 

 

 

 

ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મીઓનું બેસતું વર્ષ કેવું હોય છે?

અમદાવાદ: દિવાળીનો તહેવાર એટલે પ્રકાશનું પર્વ જેની ઉજવણી સમગ્ર દુનિયાભરમાં કરવામાં આવે છે. આપણા ત્યાં દિવાળીનું પર્વ પાંચ દિવસ સુધી ચાલે છે. દિવાળીના બીજા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ પણ હોય છે. પરંતુ કેટલાંક એવાં પણ લોકો હોય છે જેમને આ મોટા પર્વમાં રજાઓ મળતી નથી. ઇમરજન્સી સેવાઓમાં કામ કરતાં કર્મચારીઓ કેટલાંક વેપાર કે સેવા એવી હોય છે કે જેના વગર ચાલે જ નહીં તો તેની સાથે સંકળાયેલા લોકોએ દિવાળીના તહેવાર દરમિયાન પણ કામ કરવું પડે છે. જેમ કે, ડોક્ટર, નર્સ, ફાયરબ્રિગેડના જવાનો, એસ.ટી. બસ કે સીટી બસના કર્મચારીઓ, દૂધની વેન ચલાવતા ડ્રાઈવર, દૂધની ડેરીમાં અથવા તો પાર્લરમાં કામ કરતાં કર્મચારીઓ. આ બધાં જો રજા પર ઉતરી જાય તો આપણા જીવનની ગાડી અટકી જાય. ચિત્રલેખા.કોમએ આવાં જ કેટલાંક કર્મીઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમની નવા વર્ષની ઉજવણી કેવી હોય છે.

જસવંત પ્રજાપતિ- CEO, 108 ઇમર્જન્સી સેવા 

દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના તહેવાર નિમિત્તે 108 ઇમરજન્સી સર્વિસમાં કોલ્સની સંખ્યામાં વધારો થાય છે. આથી અમારા ત્યાં કાર્યરત અમારા બધાં જ કર્મીઓ તેમાં પણ ખાસ કરીને અમારા એમ્બ્યુલન્સ ચલાવતા પાયલટસ, EMT જે દર્દીની પ્રાથમિક સારવાર કરે છે, કોલ સેન્ટરમાં કાર્યરત કર્મીઓ જેમાં EROS, ડોક્ટર અને ટીમ લીડ હોય છે. જેઓ વધારાના કોલ્સને પહોંચી વળવા માટે રજાઓ હોવા છતાં વધારાનો સ્ટાફ લોકોની સેવામાં ઉપલબ્ધ રહે તે માટે અમે અગાઉથી જ પ્લાનિંગ કરીને રજાઓનું મેનેજમેન્ટ કરીએ છીએ. જેના કારણે વધનારી ઇમરજન્સીમાં લોકોને યોગ્ય રિસ્પોન્સ મળી રહે. અમારી એમ્બ્યુલન્સનું રિપેરિંગ પણ અમે અગાઉથી કરી લઈએ છીએ. જેથી તહેવાર દરમિયાન ગેરેજીસ કે વર્કશોપ બંધ હોય તો એમ્બ્યુલન્સ ખોરવાય નહીં. અમારી એમ્બ્યુલન્સમાં વપરાતી દવાઓ અને ઈક્વિપમેન્ટ પણ અમે અગાઉથી ચેક કરી લઈએ છીએ. જેથી તહેવારમાં આવતા વધારાના કોલ્સને પણ અમે યોગ્ય રીતે હેન્ડલ કરી શકીએ. ગર્વમેન્ટ હોસ્પિટલ્સમાં પણ કોર્ડિનેશન કરીને રાખીએ છીએ. અમારા સમગ્ર સ્ટાફનો એક જ ગોલ છે તહેવારની ઉજવણી પરિવાર સાથે ન થાય તો કંઈ નહીં પરંતુ કામ યોગ્ય રીતે કરીને સમગ્ર ગુજરાતને એક સ્વચ્છ અને સફળ દિવાળી, નવું વર્ષ આપવું છે.

વર્ષા પરમાર – નર્સ, સયાજી હોસ્પિટલ, વડોદરા

ઇમરજન્સી સેવામાં જ્યારે અમે લોકો કાર્યરત હોઈએ ત્યારે અમને ખબર જ છે કે તહેવાર દરમિયાન બધાંને રજા ન મળે. કોઈકે તો ડ્યૂટી કરવી જ પડે. આથી માનસિક રીતે તો અમે તૈયાર જ હોઈએ છીએ. જો રજા મળે તો પરિવાર સાથે અને ન મળે તો હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓ સાથે દિવાળી અને બેસતું વર્ષ ઉજવીએ છીએ. તહેવારોમાં ખાસ કરીને કેટલાંક અકસ્માત અને બર્નના કેસ આવતા હોય છે. બિમારી કોઈ દિવસ તહેવાર જોઈને આવતી નથી. બીજી વાત એ કે ખાસ કરીને મોટાં તહેવારો દરમિયાન પ્રાઈવેટ હોસ્પિટલોમાં સ્ટાફ ઓછો હોય અથવા તો હોસ્પિટલ બંધ હોય છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જાય છે. આથી રજા ન મળે તો પણ એ વાતનો સંતોષ હોય છે કે અમે કોઈને મદદરૂપ બન્યા છીએ. બીજું કે અમે લોકો દિવાળી અને બેસતા વર્ષના દિવસે હોસ્પિટલમાં પણ દર્દીઓને સારું લાગે એ માટે રંગોળી કરીએ છીએ, અમારા વોર્ડનું ડેકોરેશન કરીએ છીએ, ફટાકડાં ફોડીએ છીએ અને દર્દીઓ તથા તેમના સગાઓનું મોં પણ મીઠું કરાવીએ છીએ. આ રીતે પણ અમે અમારું નવું વર્ષ યાદગાર બનાવીએ છીએ.

ઉપેન્દ્ર શ્રીમાળી – એસ.ટી. બસ ડ્રાઈવર, ખંભાત

હું છેલ્લાં 10 વર્ષથી પાલનપુર-ખંભાત રૂટ પર એસ.ટી. બસના ડ્રાઈવર તરીકે કાર્યરત છું. દિવાળી હોય કે બેસતું વર્ષ હું તો દર વર્ષે ઘરથી દૂર એસ.ટી. નિગમની સેવામાં કાર્યરત હોઉ છું. નોકરી પર લાગ્યા પછી ક્યારેય દિવાળી માળી નથી. કારણ કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો મોટાં શહેરોમાંથી પોતાના વતન તરફ પાછા આવે છે. આવા સમયે મુસાફરોનો ઘસારો વધી જાય છે. જેને ધ્યાને રાખીને વધારાની બસો દોડાવવામાં આવે છે. આથી રજા મળવાનો તો સવાલ જ ઉભો થતો નથી. વર્ષના લગભગ મોટાં ભાગના તહેવારો દરમિયાન અમારે ડ્યૂટી પર હાજર જ રહેવાનું હોય છે. આથી દર વર્ષે અમે લોકો દિવાળી અને બેસતું વર્ષ તો અમારા મુસાફરો સાથે જ ઉજવીએ છીએ.

(હેતલ રાવ અને રાધિકા રાઓલ, અમદાવાદ)

ગાંધીનગરમાં 75 વર્ષના વૃદ્ધમાં શંકાસ્પદ ઝીકા કેસ, આરોગ્ય વિભાગ સતર્ક

ગાંધીનગર શહેરમાં શંકાસ્પદ ઝીકા વાયરસના કેસના પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સેકટર 5 ના એક 75 વર્ષીય વૃદ્ધમાં ઝીકા વાઇરસના લક્ષણો જણાતા એન્ટી લારવા, ફોગીંગ અને ફીવર સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દર્દીની હાલત સ્થિર હોવાથી તેમને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. જોકે અન્ય કોઈ દર્દીઓમાં આવા પ્રકારના લક્ષણોની ચકાસણી માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગાંધીનગરના સેકટર 5,6,13,4 સહિતના સેક્ટરોમાં આરોગ્ય વિભાગની ટીમ કામગીરી કરી રહી છે. આ ઉપરાંત દર્દીના સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં તપાસથી મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ઝીકા વાયરસ અંગે સ્પષ્ટતા થઈ શકશે. દિવાળીના તહેવારોમાં ડેન્ગ્યુ સહિતના દર્દીઓનું ફોલો અને સર્વેની કામગીરી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ અલગ સેક્ટરોમાં કરવામાં આવી રહી છે.

ઝીકા વાયરસ શું હોય છે

ઝીકા વાયરસ મચ્છરોથી ફેલાતી એક બીમારી છે. આ બીમારી એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર દિવસના સમયે વધારે એક્ટિવ હોય છે. આ વાયરસથી થનારું સંક્રમણ ખતરનાક હોય છે. એડીઝ એલ્બોપિક્ટ્સ અને એડીઝ ઈજિપ્ટીથી ઝીકા વાયરસ ફેલાવવાનો ખતરો વધે છે. ઝીકા વાયરસથી સંક્રમિત થવા પર તાવ અને મલેરિયાના લક્ષણો સાથે જોવા મળે છે. આ વાયરસ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. એવામાં સંક્રમિત વ્યક્તિથી લગભગ 3 અઠવાડિયા સુધીનું અંતર રાખવું જરૂરી છે.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં 26 સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે, પરંતુ સદનસીબે તેમાંથી મોટાભાગની મહિલાઓ તંદુરસ્ત છે અને આ વર્ષે 20 જૂને શહેરમાં ઝિકા વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. 46 વર્ષીય ડૉક્ટરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદતેમની 15 વર્ષની પુત્રીમાં પણ ચેપની પુષ્ટિ થઈ હતી.

સંસદનું શિયાળ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવાની શક્યતા

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવાની શક્યતા છે. આગામી સત્ર તોફાની રહેવાની સંભાવના છે. આ સત્રમાં વન નેશન- વન ઇલેક્શનનો રિપોર્ટ અને સંબંધિત બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વકફ બિલ પર પણ હંગામો થવાની શક્યતા છે.  આ શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરે લોકસભા અને રાજ્યસભા બંનેનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવી શકે છે.

બંધારણનાં 75 વર્ષ પૂરા થવાના અવસર પર 26 નવેમ્બરે સંયુક્ત સત્ર બોલાવાય એવી શક્યતા છે. આ સ્પેશિયલ સંયુક્ત બેઠક વ્યવસ્થા જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવે એવી ધારણા છે, કેમ કે આ સ્થળે 26 નવેમ્બર 1949એ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. તેથી 26 નવેમ્બરને હવે બંધારણ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

આ પહેલાં 26 નવેમ્બરનો દિવસ રાષ્ટ્રીય કાનૂન દિવસ તરીકે ઊજવાતો હતો, પરંતુ 2015માં નરેન્દ્ર મોદી સરકારે તેને બંધારણ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે સત્તાધારી NDA અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન બંને ખુદને બંધારણના રક્ષક ગણાવે છે. બંને પક્ષો એકબીજાને બંધારણના દુશ્મન તરીકે પ્રચાર કરવામાં કોઈ કરકસર છોડતા નથી. આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સહિત વિપક્ષો જો મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે તો બંધારણ ખતરામાં પડી જશે તેવો પ્રચારનો મારો ચલાવ્યો હતો. મોદી સરકાર ત્રીજી વખત સત્તા મેળવવામાં સફળ રહી અને કટોકટીના દિવસો યાદ કરીને 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી.

 

 

દિવાળી પછી ગુજરાતમાં ફટાકડાથી પ્રદૂષણમાં ઉછાળો

ગુજરાતમાં દિવાળી નિમિત્તે ભવ્ય ઉજવણી જોવા મળી હતી. લોકો ભારે ઉત્સાહ અને આનંદ સાથે ફટાકડા ફોડવાનો આનંદ માળ્યો હતો. ત્યારે આગામી બે દિવસ સુધી ગુજરાતમાં ઉજવણીનો માહોલ જોવા મળશે. આજે (પહેલી નવેમ્બર) બપોર સુધી દિવાળીની ઉજવણીનો ઉત્સાહભર્યો માહોલ અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળ્યો. લોકોએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું આજે પણ આયોજન કર્યું હતું. જ્યાર બાદ લોકોએ મોટીમાત્રામાં ફટાકડા ફોડ્યા. મોટી સંખ્યામાં ફટાકડા ફૂટવાના કારણે રાજ્યના મોટાભાગના શહેરોની હવામાં પ્રદૂષણ પણ વધ્યું.

સૂત્રો પ્રમાણે દિવાળીના અવસર પર અમદાવાદ શહેરમાં મોડી રાત સુધી ફટાકડા ફૂડ્યા હતા. જેના કારણે અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 171 નોંધાયો. સૌથી વધુ પ્રદુષિત મણીનગરમાં 199 એક્યૂઆઈ નોંધાયો છે. રાયખડમાં 193 એક્યૂઆઈ નોંધાયો છે. આ ઉપરાંત ચાંદખેડા અને બોપલમાં 185 એક્યૂઆઈ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના ગીફ્ટ સિફ્ટમાં 197 એક્યૂઆઈ નોંધાયો છે. દિવાળીના તહેવાર નિમિત્તે અમદાવાદ માત્ર નહીં મોટા ભાગના મહાનગરોમાં પ્રદૂષણના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સુરત શહેરમાં એક્યૂઆઈ 169 હતો જે દિવાળીની ઉજવણી બાદ 239 એક્યૂઆઈ થયો છે. રાજકોટ શહેરમાં 96 એક્યૂઆઈ નોંધાયો છે. વડોદરા શહેરમાં દિવાળીને દિવસે 124 એક્યૂઆઈ હતો જે પહેલી નવેમ્બરે 134 એક્યૂઆઈ નોંધાયો છે. જ્યારે ભાવનગર શહેરમાં 105 એક્યૂઆઈ નોંધાય છે.  ઉલ્લેખનીય છે કે, શ્વાસને લગતી બીમારીથી પીડિત લોકો માટે અત્યારે ગુજરાતમાં હવા ઝેરી બની છે. વાયુ પ્રદૂષણ તમામ ઉંમરના લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ ઉપરાંત તે શરીરના તમામ અંગો માટે પણ હાનિકારક છે. પ્રદૂષિત વાતાવરણની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોવા મળે છે.

દિવાળીના દિવસે 108 દોડતી જ રહી, દાઝવાના 38 અને અકસ્માતના 921 કોલ મળ્યા

દિવાળીના પર્વ પર લોકોએ પોતાના ઘરે પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી પણ લોકો માટે ‘સંજીવની’ ગણાતી 108 દિવસ-રાત દોડતી રહી હતી. 108ના સ્ટાફે એક જ દિવસમાં 4889 કોલ એટેન્ડ કર્યા હતા. સામાન્ય દિવસો કરતાં દિવાળીના દિવસે 108ને 8.50% ટકા વધુ કોલ મળ્યા હતા. જેમાં દાઝવાના 38 જ્યારે અકસ્માતના 921 કોલ મળ્યા હતા. સૌથી સારી વાત એ છે કે, અમદાવાદ જિલ્લામાં સામાન્ય દિવસો કરતાં દિવાળીએ ટોટલ ઈમર્જન્સી કોલમાં ઘટાડો નોંધાયો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં એક જ દિવસમાં ઈમર્જન્સી કોલમાં 8.50 ટકાનો વધારો નોંધાયો હતો. રાજ્યમાં 108 સેવાને સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 4504 ઈમર્જન્સી કોલ મળતા હોય છે. તેના બદલે દિવાળીના દિવસે 4889 ઈમર્જન્સી કોલ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સામાન્ય રીતે મારામારી દરરોજના 144 કેસ મળતા હોય છે. દિવાળીના દિવસે મારામારીના 323 કેસ મળ્યા હતા. જે સામાન્ય દિવસો કરતાં 124 ટકા વધુ હતા. દિવાળીના દિવસે રાજ્યમાં સામાન્ય દિવસો કરતાં ઈમર્જન્સી કેસમાં વધારો નોંધાતો હોય છે. પરંતુ, અમદાવાદ જિલ્લામાં કુલ કેસમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, માર્ગ અકસ્માતના બનાવમાં સામાન્ય દિવસો કરતાં 45.56 ટકા વધારો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ, મહીસાગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, વલસાડ જિલ્લામાં સૌથી વધુ ઈમર્જન્સી કોલ મળ્યા હતા.

દિવાળીના તહેવારમાં અમરેલી અને તાલાલા ગીર પંથકની ધરા ધ્રુજી

ગુજરાતભર જ્યારે તહેવારની ઉજવણીમાં અમરેલી અને તાલાલા ગીર પંથકના પેટાળમાં મોટી હીલચાલ નોંધાઈ હતી. દિવાળીની ઉજવણી દરમિયાન ધરતી ધણધણી ઉઠ્તા ચકચાર મચી જવા પામ્યો હતો. સૂત્રો પ્રમાણે તાલાલા વિસ્તારમાં 1.4 થી 2.4ની તીવ્રતા ધરાવતા સાત આંચકા આવ્યા હતા. તાલાલા ગીરથી અહેવાલ મૂજબ આ ભૂકંપોની અસર તાલાલા શહેર અને આજુબાજુના વિસ્તારમાં જોવા મળી હતી. કેન્દ્રબિંદુ તાલાલાથી ૩ કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએ નોંધાયું હતું અને જમીનથી માત્ર 4 કિ.મી.ની ઉંડાઈએ કંપન ઉદ્ભવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પંદર દિવસ પહેલા 14 ઓક્ટોબરના રોજ તાલાલા ગીર પાસે પશ્ચિમ-પશ્ચિમ ઉત્તર દિશાએ હીરણ નદીની સામે કાંઠે તલાલાથી 2 કિ.મી.ના અંતરે ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપ પણ જમીનથી માત્ર 3 કિ.મી.ની ઉંડાઈ આવ્યો હતો. આ પહેલા તજજ્ઞોના જણાવ્યા મૂજબ તાલાલા પંથકમાં કચ્છ જેવી કોઈ મોટી ફોલ્ટલાઈન નથી પરંતુ, જમીનના પોપડાંમાં ફ્રેક્ચર્સ, નાના નાના ફોલ્ટ્સ રચાતા હોય જેના કારણએ આવા આંચકાનો અનુભવ થતો રહે છે. આ આંચકા મોટાભાગે ઓછી તીવ્રતાના અને જમીનમાં બહુ ઉંડાઈએ હોતા નથી.  આપને જણાવી દઈએ કે, આજે ઉપરાઉપરી આંચકા આવ્યા તે જ દિશામાં તાલાલાથી 13 કિ.મી.ના અંતરે ચિત્રોડ અને સાસણગીર વચ્ચે 4.0ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ તા.2-5-2022 ના નોંધાયો હતો. તાલાલા ઉપરાંત અમરેલી પંથકમાં પણ વારંવાર હળવા ભૂકંપો આવતા રહ્યા છે અને આઈ.એસ.આર.ના વૈજ્ઞાનિકોએ ત્યાં અભ્યાસ પણ કર્યો છે. તાજેતરમાં ચાર દિવસ પહેલા જ તા.27ના અમરેલી પંથકમાં જીરા અને માધુપુર ગામ વચ્ચે રિચર સ્કેલ પર 3.7 તીવ્ર ભૂકંપ નોંધાયો હતો.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે પૂરા થતા ઓક્ટોબર- 2024માં ગુજરાતમાં કૂલ 7 ભૂકંપો નોંધાયા છે જેમાં 1 તાલાલા, 1 અમરેલી તથા કચ્છના દુધઈ, ખાવડા અને ભચાઉમાં 3 અને ગુજરાતની સરહદે મહારાષ્ટ્રના પાલઘર પંથકમાં ૨ ભૂકંપ સમાવિષ્ટ છે. તંત્ર દ્વારા માત્ર 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની માહિતી જ ઓનલાઈન જાહેર કરાતી રહે છે. આમ, આ ઉપરાંત નાના આંચકા અસંખ્ય આવી રહ્યા છે.

એટલી જ ગેરંટી આપો, જેટલી એ પૂરી થઈ શકેઃ ખડગે

નવી દિલ્હીઃ કર્ણાટક સરકાર હાલ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટી નેતાઓ અને સરકારને ચેતવણી આપી હતી કે માત્ર એટલી જ ગેરંટીનું વચન આપો, જેટલી એ પૂરી થઈ શકે. નહીંતર સરકાર નાદારી તરફ જતી રહેશે.

તેમણે  કહ્યું હતું કે કર્ણાટકમાં પાંચ ગેરંટીનું વચન આપવામાં આવ્યું હતું. એને જોઈને અમે મહારાષ્ટ્રમાં પાંચ ગેરંટીનું વચન આપ્યું છે. હાલમાં એવા અહેવાલ હતા કે કર્ણાટક સરકાર હવે એક ગેરન્ટીને રદ કરવાની યોજના બનાવી રહી છે. જેથી તેમણે જણાવ્યું હતું કે તમે એક ગેરંટી રદ કરી દેશો. એવું લાગે છે કે તમે બધાં ન્યૂઝ પેપર નથી વાંચતા. પરંતુ મેં વાંચ્યું, એટલે કહી રહ્યો છું. મેં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતાઓને કહ્યું હતું કે પાંચ, છ, સાત કે આઠ ગેરંટીના વચન ન આપો. તેના બદલે એવા વચન આપો જે તમારા બજેટ પ્રમાણે હોય.

ખડગેએ પાર્ટી નેતાઓને ચેતવ્યા અને કહ્યું, જો તમે બજેટ પર વિચાર કર્યા વિના વચન આપતા રહેશો તો નાદારી તરફ જતા રહેશો. રસ્તા પર રેતી નાખવાના પૈસા નહીં હોય. જો આ સરકાર અસફળ રહી તો તેની અસર આવનારી પેઢીઓ પર પડશે. આનાથી બદનામી થશે અને સરકારને આવનાર દસ વર્ષો સુધી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે, તેથી બજેટ પર સાવધાનીથી વિચાર કરવાની જરૂર છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આપણે બજેટના આધારે મહારાષ્ટ્રમાં ગેરંટીની જાહેરાત કરીશું. ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો. 15 દિવસની ચર્ચા બાદ હવે મહારાષ્ટ્રમાં ચૂંટણીની ગેરંટીએ આકાર લીધો છે. અમે તેની જાહેરાત નાગપુર અને મુંબઈમાં કરીશું.કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસના લોકોની સામે પાંચ મોટી ગેરંટી આપવામાં આવી હતી. તેમાં ગૃહ લક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને દર બે મહિને 2 હજાર રૂપિયા, યુવા નિધિ હેઠળ બેરોજગાર ગ્રેજ્યુએટ્સને બે વર્ષ સુધી ત્રણ હજાર રૂપિયા, ડિપ્લોમાધારકોને 1500 રૂપિયા, અન્ન ભાગ્ય યોજનામાં ગરીબી રેખા નીચે દરેક પરિવારને દર મહિને પ્રતિ વ્યક્તિ 10 કિલો ચોખા, સખી કાર્યક્રમ હેઠળ મહિલાઓ માટે સરકારી બસોમાં મફત યાત્રા અને ગૃહ જ્યોતિ યોજના હેઠળ દરેક ઘરને 200 યુનિટ વીજળી આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

હવે જો કોંગ્રેસ પાંચેય ગેરંટીને પૂરી કરે છે તો તેનાથી કર્ણાટકની આવક ખાધ 60 હજાર કરોડ રૂપિયાથી વધીને 1 લાખ 14 હજાર કરોડ રૂપિયા થઈ જશે અને રાજ્યના કુલ બજેટના લગભગ 21 ટકા ભાગ છે. કર્ણાટક પર પહેલાંથી જ પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. એવામાં આ દેવામાં વધારો થઈ શકે છે.