Home Blog Page 1365

ટ્રાફિક નિયમ ભંગ કરનારને મેમો નહિ, ગુલાબનું ફૂલ આપશે અમદાવાદ પોલીસ

અમદાવાદ: દિવાળી તહેવાર માથે છે. ગુજરાતમાં તહેવારની ધૂમધામ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત પોલીસે દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને મેમો આપવાને બદલે ટ્રાફિર અવેરનેસ પેમ્ફલેટ અને ગુલાબનું ફુલ આપીને સમજણ આપશે. જેમાં  30 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી પોલીસને ટ્રાફિકના નિયમાનો ભંગ કરનાર સામે કાર્યવાહી ન કરવા માટે સુચના આપી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાહનચાલકોમાં ટ્રાફિકને પુરતી અવેરનેસ ન હોવાને કારણે પોલીસ દ્વારા તહેવારોમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હેલ્મેટ નહી પહેરનાર, સીટ બેલ્ટ નહી બાંધનાર,  ઓવર સ્પીડ, રોંગ સાઇડ ડઇવીંગ અને લેન ભંગના ગુનામાં મેમો નહી અપાઇ. રાજ્યના ગૃહવિભાગ અને ગુજરાત પોલીસે રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર  લોકોમાં જાગૃતિ આવે તે માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ ૩૦મી  ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન ટ્રાફિરના નિયમોનો ભંગ કરનારને મેમો નહી પણ ગુલાબનું ફુલ તેમજ જાગૃતિ માટેની પત્રિકા આપશે.  સાથેસાથે તેમને ટ્રાફિકના નિયમોના ભંગથી થતા કાયદાકીય, પારિવારીક નુકશાન અંગે પણ સમજાવવામાં આવશે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ટ્રાફિકના પ્રશ્નો લોકોમાં  ધાર્યા મુજબની સમજણ નથી અને અનેક લોકો જાણી જોઇને નિયમોનો ભંગ કરે છે. જેના કારણે અનેક કિસ્સામાં પરિવારજનોને પણ ભોગવવાનું આવે છે. જેથી લોકોને  ટફિકના નિયમોનો ભંગ કરનારને  ટ્રાફિક અવેરનેસના પ્રોજેક્ટથી સમજાવવામાં આવશે.

ગુજરાતમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી 11 નવેમ્બરથી શરૂ થશે

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તારીખ 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી 11 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂપિયા 7645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂપિયા 450 કરોડના મૂલ્યની 92000 મેટ્રિક ટન સોયાબીન, રૂપિયા 370 કરોડના મૂલ્યની 50970 મેટ્રિક ટન અડદ અને રૂપિયા 70 કરોડના મૂલ્યની 8000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂપિયા 8474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂપિયા 6783 પ્રતિ ક્વિન્ટલ, મગનો ટેકાનો ભાવ રૂપિયા 8682 પ્રતિ ક્વિન્ટલ, અડદનો ટેકાનો ભાવ રૂપિયા 7400 પ્રતિ ક્વિન્ટલ તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂપિયા 4892 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે

SBI બેંકમાંથી ચોરોએ રૂ. 13 કરોડનાં આભૂષણો, CCTV ચોર્યાં

બેંગલુરુઃ કર્ણાટકમાં દાવણગેરે જિલ્લાના નયામતિમાં ચોરોએ SBI બેંકમાં લોકરમાંથી આશરે રૂ. 13 કરોડ રૂપિયાનાં સોનાનાં આભૂષણો ચોરી ગયા હતા. આ ઘટના ગયા શનિવાર અને રવિવારે બની હતી. બેંકમાં ત્રણ લોકર હતાં. ચોર તેમની સાથે CCTV અને હાર્ડ ડિસ્ક પણ લેતા ગયા હતા. ચોરો બારીમાંથી કૂદીને બેંકમાં ઘૂસ્યા હતા.

પ્રાપ્ત માહિતી તપાસ ટીમે જણાવ્યું હતું કે બેંકનું અલાર્મ પહેલેથી જ ખરાબ હતું. આ કારણે તે વાગ્યો નહોતો. ચોર પ્રોફેશનલ ગુનેગાર હતા. ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કરી લોકર તોડીને તેમાંથી રૂ. 12.95 કરોડની કિંમતનાં સોનાનાં ઘરેણાં ચોર્યાં હતાં. ચોરોએ સ્નિફર ડોગને ભ્રમિત કરવા માટે મરચાંનો પાઉડર બેંકમાં ફેંક્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. FIRમાં જણાવ્યા મુજબ ચોરોએ અન્ય બે લોકર તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા. બંને લોકરમાં મળી 30 લાખ કેશ અને સોનાનાં આભૂષણ હતાં.

પોલીસે જણાવ્યું હતું કે સોનાનાં આભૂષણો ઉપરાંત ચોરોએ બેંકમાં લાગેલા CCTV કેમેરા અને DVR પણ લઈ ગયા હતા. ગયા શનિવાર-રવિવારે બેંકમાં બે દિવસની રજા હતી, ત્યારે ચોરોએ વીકએન્ડમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. બેંકમાં ચોરી કરતાં પહેલાં ચોરોએ CCTV અને સાયરનને ડિસ્કનેક્ટ કરી દીધા હતા. આ ઉપરાંત અન્ય બે લોકરોને કાપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં આશરે 30 લાખ રૂપિયા કેશ અને સોનાનાં આભૂષણો હતાં.

Opinion: દિવાળી પર ફટાકડા ફોડવા કેટલા યોગ્ય?

ગુજરાત સહિત દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં તો દિવાળી પછી બીજા દિવસે નવા વર્ષના પ્રારંભ નિમિત્તે આ તહેવારનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. સામાન્ય રીતે દિવાળીનો તહેવાર પ્રકાશનો તહેવાર છે, જેમાં નવા રંગ, નવા ઉમંગ સાથે ગુજરાતી લોકો નવા વર્ષનો મંગળ પ્રારંભ કરે છે. ઘરમાં રંગોળી કરે, નવી લાઈટોથી ઘરને શણગારવામાં આવે, ફટાકડા ફોડવામાં આવે.

પરંતુ આ ઉજવણીમાં મગ્ન થતી વખતે આપણે દિવાળીમાં ફોડાતા ફટાકડાઓથી થતા સંભવિત નુકસાનનો ખ્યાલ રાખીએ છીએ ખરા? ફટાકડાના અવાજથી થતું ધ્વનિ પ્રદુષણ અને એના ધૂમાડાથી થતા વાયુ પ્રદુષણ પ્રત્યે આપણે એટલા ગંભીર છીએ ખરા?

ના, તહેવારોની ઉજવણી ન જ કરવી જોઇએ એવું કહેવાનો અહીં આશય નથી. ફટાકડા ન જ ફોડવા જોઇએ એવું પણ નથી, પરંતુ એનો ઉપાય શું?

દિવાળી સમયે ફટાકડાં ફોડવા જોઇએ કે નહીં એ મુદ્દે લાંબા સમયથી આપણે ત્યાં ચર્ચા થતી આવે છે અને આ બાબતે અલગ અલગ મત પ્રવર્તે છે ત્યારે આ વખતે ઓપિનિયન વિભાગમાં જાણીએ કે લોકો પોતે આ મુદ્દે શું માને છે?

મહેશ પંડ્યા, ડાયરેક્ટર, પર્યાવરણ મિત્ર, અમદાવાદ

મારા મત અનુસાર દિવાળીનો તહેવાર દીપોત્સવનો છે, ફટાકડા તો ફોડવા જોઈએ. દિવાળીના દિવસે ફટાકડા ફોડવાનું કારણે એ છે કે, આ સમયે ચોમાસુ પૂર્ણ થયું હોય અને આ સમયમાં મચ્છરનો ઉપદ્રવ હોય, એટલા માટે એવા ફટાકડા ફોડવામાં આવતા જેનાથી રોગચાળો ફેલાવતા જીવજંતુનો નાશ થાય. પણ આજે એટલા મોટા અવાજ, પ્રકાશ અને ઝેરીલા રસાયણોના ફટાકડા ફૂટે છે. જેનાથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેનાથી વૃધ્ધો, નવજાત શિશુ, ગર્ભવતી મહિલાઓ અને પશુ-પ્રાણીને નુકસાન પહોંચે છે. એટલા માટે ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જેમાં ફટાકડા ફોડવાના સમય સાથે કેવા ફટાકડા ફોડવા તેના પણ સૂચનો કર્યા છે. દિવાળીનો તહેવાર છે, ફટાકડા ફોડવાની એક પરંપરા બની ગઈ છે, તો ફટાકડા ફોડાય પણ એક લિમિટ સાથે અને પર્યાવરણને ઓછુ નુકસાન કરે તેવા ફટાકડા ફોડાય.

રોહિત પ્રજાપતિ, પર્યાવરણ પ્રેમી, વડોદરા

આનંદ અને મજા કરવાને અવાજ અને લાઈટો સાથે કોઈ લેવાદેવા નથી. કેમ આપણે કોઈને પરેશાન કર્યા વગર તહેવાર માણી ન શકીએ? આવું કરવા પાછળ ક્યાંકને ક્યાંક દેખાદેખી પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તહેવાર કોઈ પણ હોય, આપણે તે તહેવારની ગરિમા જાળવવી જોઈએ. કોઈ કરે તેવું કરવા કરતા સારુ છે કે, કોઈને ખુશી આપી ખુશી માણવી જોઈએ. જ્યારે ફટાકડાથી જે થાય છે એ ઘોંઘાટ છે, સંગીત અને ઘોંઘાટ વચ્ચે મોટો અંતર છે. તહેવારના સમયે લાઈટો અને ફટાકડા જેવી વસ્તુ વિષે ઘરમાં ચર્ચા થવી જોઈએ. કેમકે આપણા પર અમુક વસ્તુ થોપવામાં આવી છે, જે આપણે જ નથી જાણતા કે આપણી મજા માટે કરીએ છીએ કે લોકોને દેખાડવા માટે. ફટાકડા અને લાઇટ જેવી વસ્તુને ટાળવાથી ઉત્સાહ અને આનંદમાં ઘટાડો થાય એવું મને નથી લાગતુ. ગ્રીન ફટાકડા માત્રને માત્ર ફટાકડાને જીવતા રાખવાની વાત છે, એ પણ એટલા જ હાનિકારક હોય છે.

શૈલેષ રાઠોડ, સામાજિક રાજનૈતિક વિશ્લેષક, અમદાવાદ

કોરોના બાદ સમયમાં અસ્થમા, ગાળાને લગતી બીમારી અને શ્વાસને લગતી બીમારીમાં વધારો થયો છે. જ્યાં સુધી આવી બીમારીનો વ્યાપ ન હતો, ત્યાં સુધી ફટાકડા યોગ્ય હતા. ડોક્ટરોના મત અનુસાર પણ આ ધૂમાડાથી બીમારીઓ વધી રહી છે. ખાસ કરીને વૃધ્ધોને આ ધુમાડાની અસર થાય છે. ફટાકડા ફોડવા તો યોગ્ય જ છે, પણ તેમાથી થતું પ્રદૂષણ નુકસાન કારક છે. તહેવારની ઉજવણી બરાબર છે, પણ જો હવે ઉજવણીના પ્રકાર બદલાય તો વધુ સારું. આપણા દ્વારા કરેલી ઉજવણીથી પ્રદૂષણમાં વધારો થશે, જે ફરીને આપણી હેલ્થ પર આવી શકે છે. દિવાળી પ્રકાશ ઉત્સવ છે, જેના પર ચાઈનીઝ માર્કેટે કબ્જો કર્યો છે. આપણે દિવાળી પર દીવા પ્રગટાવી, એકબીજાને આવકારીને પણ આ તહેવાર મનાવી શકીએ. મારુ માનવુ એવુ છે કે દિવાળી ફટાકડાના ઉત્સવની જગ્યા પર પ્રેમનો ઉત્સવ બને અજવાળું પ્રગટે.

ગીરાબહેન કૌશલભાઈ બ્રહ્મભટ્ટ, ગૃહિણી, વડોદરા

દિવાળી પ્રકાશનો પર્વ છે, પરંતુ આજકાલના લોકોએ દિવાળીને દેખાદેખીનો તહેવાર બનાવી રાખી દીધો છે. ‘તેને આટલા રૂપિયાના ફટાકડા ફોડ્યા મારે પણ આટલા રૂપિયાના ફોડવા જોઈએ’. ફટાકડા ફોડવામાં કોઈ પણ જાતની રોક નથી. તહેવાર ઉજવવા માટે ફોડવામાં આવતા ફટાકડા અને ઘોંઘાટમાં ફેર હોય છે. સામાન્ય રીતે ફટાકડા ચોમાસામાં જે જીવજંતુનો ઉપદ્રવ થયો તે ડામવા માટે ફોડવામાં આવે છે. પણ એટલા ફટાકડા ન ફોડવા જોઈએ, જેનાથી શુદ્ધ હવા પ્રદૂષિત થાય. તંત્રએ પણ ફટાકડા માટે જાહેરાત કરી છે ગ્રીન ફટાકડા ફોડવા, મોડી રાત્રે ફટાકડા ન ફોડવા, તો આપણે એ નિયમો અનુસરીને ફટાકડા ફોડવા જોઈએ. આપણે તહેવારની ઉજવણી કરીએ તેમાં પશુ પ્રાણીઓનો શુ વાંક? એ તો ફટાકડાના અવાજથી ડરી જતા હોય, કેટલીક વખત અજાણી રીતે દાઝી જતા હોય છે. અને આજકાલ મનફાવે તેમ ફટાકડા ફોડવામાં આવે છે તેનાથી દુર્ઘટના થવાનો પણ ભય વધી જાય છે.

(તેજસ રાજપરા – અમદાવાદ) 

ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી વચ્ચે તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં નંબર-1 બોલરના તાજથી વંચિત રહી ગયો છે. ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી, જેના કારણે દક્ષિણ આફ્રિકાના એક બોલરે તેને પાછળ છોડી દીધો છે. આ આફ્રિકન બોલરે તાજેતરમાં બાંગ્લાદેશ સામે શાનદાર રમત બતાવી હતી.

બુમરાહ પાસેથી નંબર 1 તાજ છીનવી લીધો

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં એક પણ વિકેટ મળી ન હતી, જેના કારણે તેને લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન સહન કરવું પડ્યું છે. હવે તે નંબર વનમાંથી ત્રીજા નંબરે પહોંચી ગયો છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડા હવે ટેસ્ટનો નવો નંબર-1 બોલર બની ગયો છે. કાગિસો રબાડા તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બોલના સંદર્ભમાં 300 વિકેટ લેનારો સૌથી ઝડપી બોલર બન્યો હતો, હવે તેને આઈસીસી તરફથી ટેસ્ટ રેન્કિંગમાં તેનો ઈનામ મળ્યો છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે આ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. આ જીતનો હીરો કાગીસો રબાડા હતો. કાગિસો રબાડાએ આ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. તેણે મેચની પ્રથમ ઇનિંગમાં કુલ 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા અને પછી બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી.

યશસ્વી જયસ્વાલે લાભ લીધો હતો

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને લેટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે હવે ટેસ્ટમાં નંબર-3 બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ ઋષભ પંતને 5 સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 11મા નંબર પર પહોંચી ગયો છે. વિરાટ કોહલી પણ 6 સ્થાન નીચે 14મા સ્થાને આવી ગયો છે. રોહિત શર્માને ફરી એકવાર મોટું નુકસાન થયું છે. તે 9 સ્થાનનો સામનો કર્યા બાદ હવે 24માં નંબર પર આવી ગયો છે. આ સિવાય શુભમન ગિલ પણ 19મા સ્થાનેથી 20મા સ્થાને પહોંચી ગયો છે.

USમાં આ વર્ષે ઐતિહાસિક હશે દિવાળીની ઉજવણી

ન્યુ યોર્કઃ અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ વર્ષે દિવાળી ઐતિહાસિક થવાની છે. ઇતિહાસમાં સૌપ્રથમ વાર દિવાળીના તહેવારે ન્યુ યોર્કની સ્કૂલોમાં સત્તાવાર રજાની જાહેરાત કરવામાં આવી છે. અહીંની સ્કૂલોમાં દિવાળી ઊજવવા માટે પહેલી નવેમ્બરે બંધ રહેશે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડને 28 ઓક્ટોબરે વ્હાઇટ હાઉસમાં દિવાળી સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં દેશભરના સાંસદો, અધિકારીઓ અને કોર્પોરેટ જગતના દિગ્ગજો સહિત 600થી વધુ પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકી સામેલ થયા હતા. દિવાળી તહેવારથી પહેલાં અમેરિકામાં સૌથી ઊંચી બિલ્ડિંગ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ચમકતા રંગોથી શણગારવામાં આવ્યું છે, જે પ્રકાશના તહેવારની ઉજવણીને દર્શાવે છે. એક વિડિયોમાં વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં નારંગી, પીળા અને બ્લુ કલરના પ્રકાશથી એને પ્રકાશિત કરવામાં આવ્યું છે.

અમેરિકન રાજ્ય મિનેસોટામાં પ્રથમ વખત દિવાળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝ અને લેફ્ટનન્ટ ગવર્નર પેગી ફ્લાનિગને પણ આ દિવાળીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

બીજી બાજુ, અમેરિકામાં પ્રવાસી ભારતીયોના સંગઠન એસોસિયેશન ઓફ ઈન્ડિયન્સ ઈન અમેરિકા (AIA)ના સહયોગથી આયોજિત દિવાળી કાર્યક્રમની શરૂઆત શાંતિ મંત્રોથી થઈ હતી. પરંતુ ખાસ વાત એ હતી કે આ મંત્રોનો અંગ્રેજીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્યપાલને ગણેશજીની મૂર્તિ પણ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે લેફ્ટનન્ટ ગવર્નરને ભગવદ ગીતાની નકલ અર્પણ કરવામાં આવી હતી. મિનેસોટામાં રહેતા ભારતીયોની સંખ્યા અંદાજે 40,000 છે. અહીં ભારતીય અમેરિકન નાગરિકોના યોગદાનની પ્રશંસા કરતાં ગવર્નર ટિમ વાલ્ઝે કહ્યું કે મિનેસોટામાં ઐતિહાસિક રીતે સૌપ્રથમ વાર દિવાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. તે વિવિધતામાં એકતાનું પ્રતીક છે, જેમાં અમેરિકામાં રહેતા NRI મહત્વની ભૂમિકા ભજવે છે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં 150થી વધુ બળવાખોરો ઊભા રહેવાની આશંકા

મુંબઈઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ના મળવાથી મહાયુતિ અને વિરોધ પક્ષોના મહા વિકાસ આઘાડી (MVA) માટે 150થી વધુ બળવાખોરો શિરદર્દ બને એવી શક્યતા છે. 20 નવેમ્બરે થનારી ચૂંટણીમાં નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર હતી અને ઉમેદવારોના નામાંકન પત્રની તપાસ 30 ઓક્ટોબરે કરવામાં આવશે. ચૂંટણી જંગની નામ પરત લેવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર છે. ત્યાર બાદ મેદાનમાં બચેલા બળવાખોરોની સંખ્યા સ્પષ્ટ થશે.

અત્યાર સુધી મળેલા આંકડાઓ અનુસાર 286 MVA ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમાંથી 103 કોંગ્રેસના, 96 ઉદ્ધવ સેના અને 87 ઉમેદવારો NCP-શરદ પવારના છે. હવે મહાયુતિ તરફથી કુલ 284 ઉમેદવારીપત્રો ભરાયા છે. બંને પાર્ટીઓ પાંચ સીટો પર સામસામે છે. આ સિવાય બે બેઠકો માટે ઉમેદવારો આપી શકાયા નથી. જેને કારણે ભાજપને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગોપાલ શેટ્ટી બોરીવલી જેવી સીટ પર બળવાખોર તરીકે લડી રહ્યા છે, જ્યારે પાર્ટીએ સંજય ઉપાધ્યાયને મેદાનમાં ઉતાર્યા છે. એ જ રીતે છગન ભુજબળના ભત્રીજા સમીરે નંદગાંવ બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

બંને ગઠબંધનના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે બળવાખોરોને હરાવવા એક પડકાર બની રહેશે. તેમ છતાં બંને તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે બળવાખોરોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નવાબ મલિકે પણ શિવાજીનગર બેઠક પરથી રાજીનામું આપી દીધું છે, આ પણ એક સમસ્યા છે. આ ઉપરાંત સોલાપુર પશ્ચિમ સહિત ઘણી બેઠકો પર ઉદ્ધવ સેના અને કોંગ્રેસના ઉમેદવારો પણ સામસામે છે.

 

વાવ પેટાચૂંટણીમાં પક્ષપલટાની રાજકીય રમત, ભુરાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ખરાખરીનો રાજકીય ખેલ જામવા જઈ રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે. નોંધનિય છે કે સાંસદ ગેનીબેન ઠાકોરના કાકાએ ભાજપને સમર્થન આપ્યું છે. અપક્ષમાંથી જે ફોર્મ ભર્યુ હતુ તે આજે પરત ખેચ્યું છે. ભુરાજી ઠાકોરે ભાજપને સમર્થનની જાહેરાત કરી છે.

બનાસકાંઠાના વાવની પેટાચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ત્યારે ભાજપ કોંગ્રેસ પોતાના ઉમેદવારોની જાહેર કરી ચૂક્યા છે. અને આજે પેટાચૂંટણીને લઇ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. અને અપક્ષથી ચૂંટણી ફોર્મ ભેરલા ઉમેદવાદ ભૂરાભાઈ ઠાકોર આજે સુઈગામ ખાતે ઉમેદવારી પરત ખેંચવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભૂરાભાઈ ઠાકોરે પોતાના સમર્થન ભાજપને આપ્યુ છે અને પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે તેમના જ કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા પછી ઠાકોર સમાજમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે કારણ કે, કોંગ્રેસ અને ગેનીબેનનો ગઢ કહેવાતી વાવ બેઠક પરથી ગેનીબેનના પરિવારના સભ્યે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આપને જણાવી દઈએ કે વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 310681 મતદારો નોંધાયા છે. જેમાં 161293 પુરુષ તથા 149387 સ્ત્રી મતદારો અને 01 અન્ય મતદારનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરના રોજ મતદાન યોજાશે.

ગુજરાતની ઐતિહાસિક ધરોહર ‘રાણકી વાવ’

ગુજરાતના ઐતિહાસિક વારસા અને બેનમુન કારીગરી, સ્થાપત્યનો નમુનો એટલે રાણકી વાવ. ગુજરાતમાં ઐતિહાસિક સ્થળોની વાત આવે ત્યારે પાટણ શહેરમાં આવેલી આ  રાણકી વાવનો ઉલ્લેખ થાય જ.

અણહિલવાડ પાટણના સોલંકી વંશના મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચૂડાસમા વંશના રાજા રા’ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીની આસપાસ  પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ કારણે એ રાણીની વાવ તરીકે પણ ઓળખાય છે.

વર્ષો પહેલાં સરસ્વતી નદીમાં આવેલા  પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૮૬માં વાવમાં ભરાઇ ગયેલી માટીને બહાર કાઢી ઉત્ખનન કાર્યવાહી કરી. ભારે જહેમત અને માવજત બાદ ઘણા વર્ષો પછી લોકોથી અલિપ્ત રહેલી આ વાવ એના મૂળ સ્વરૂપમાં જાણે ફરી જીવંત થઇ.

રાણકી વાવનું મુખ પૂર્વ દિશા તરફનું છે. એ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. એટલે કે આ વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવીદેવતાઓની સાથે અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

વાવનો  એક નાનો દરવાજો છે, જે સિધ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબા એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે, પણ ઇતિહાસવિદોના મતે આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે. યુનેસ્કોએ આ વાવને વિશ્વની ધરોહરની ઉપાધિ આપી છે.

જગત આખાયમાં પ્રસિદ્ધ થયેલી ગુજરાતની આ ઐતિહાસિક વાવને એના સ્થાપત્ય માટે અનેક અકરામો મળ્યા છે. દર વર્ષે અનેક પ્રવાસીઓ રાણકી વાવની મુલાકાત લઇ રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સલમાન ખાનને ફરી અપાઈ ધમકીઃ રૂ. બે કરોડની ખંડણીની માગ

મુંબઈઃ બોલિવુડ એક્ટર સલમાન ખાનના જીવનું જોખમ છે. તેને ફરી એક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે અજાણ્યા ફોન કરનારે કરોડો રૂપિયાની પણ માગ કરી હતી. જોકે પોલીસે સલમાનને ધમકી આપનાર 20 વર્ષના યુવકની ધરપકડ કરી છે.

Salman Khan.મુંબઈ ટ્રાફિક પોલીસને મેસેજ મળ્યો હતો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો રૂ. બે કરોડનું પેમેન્ટ નહીં કરવામાં આવે તો એક્ટરને મારી નાખવામાં આવશે. પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે એક દિવસ પહેલાં સલમાનને ધમકી આપનાર વ્યક્તિની નોઈડાથી ધરપકડ કરવામાં આવી હતી.

સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. આ પહેલી વાર નથી જ્યારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. 18 ઓક્ટોબરે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં આરોપીઓએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નામે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.

મુંબઈ પોલીસે તપાસ કરી ત્યારે તેઓએ જમશેદપુરના એક શાકભાજી વેચનારની ધરપકડ કરી જે સ્માર્ટ બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રારંભિક ધમકીભર્યા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો સલમાન ખંડણીની રકમ નહીં ચૂકવે તો તેનો જીવ જોખમમાં છે

વર્ષ 2022માં પણ સલમાનને તેના ઘરની નજીકની બેંચ પર ધમકીભર્યો પત્ર મળ્યો હતો. માર્ચ, 2023માં સલમાનને કથિત રીતે ગોલ્ડી બ્રાર દ્વારા મોકલવામાં આવેલો ઈમેલ પણ મળ્યો હતો. 2024માં બે અજાણ્યા લોકોએ નકલી ઓળખનો ઉપયોગ કરીને પનવેલમાં તેના ફાર્મહાઉસમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય તેમના ઘરની બહાર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ એક્ટરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.