Home Blog Page 1381

સુરતમાંથી 33 કિલો ગાંજો ઝડપાયો, 2 મહિલા સહિત 5 લોકોની ધરપકડ

સુરત: ગુજરાતના દરિયાકાંઠે અવાર નવાર નસીલા પદાર્થ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે હવે ગુજરાતના મોટા શહેરોમાંથી પણ નસીલા પદાર્થો મળી આવવાની ઘટના બની રહી છે. ત્યારે ફરી એકવાર સુરતમાં અલગ જ મોડસ ઓપરેન્ડિથી ચાલતા ગાંજાના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાંડેસરાના બાટલી બોય પાસેથી 33 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 33 કિલો ગાંજો સાથે બે મહિલા સહિત કુલ પાંચ લોકોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી બાઈકથી પાયલોટિંગ કરતો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીઓ ઓડિશાથી ગાંજાનો જથ્થો લાવ્યા હતાં. સેકન્ડ એસીમાં બેસીને આરોપીઓ સુરત રેલવે મારફતે આવ્યા હતાં. નસીલા પદાર્થોની હેરાફેર કરવા માટે આરોપીઓએ પરિવારને પોતાનો હાથિયાર બનાવ્યું હતું. આ વખતે આરોપીઓ બાળકોને પણ સાથે લઈને નીકળ્યા હતાં. જેથી કોઈને શંકા ન જાય. સાથે જ ઓટો રિક્ષાની આગળ પાયલોટિંગ માટે એક બાઈક પણ ચાલી રહ્યું હતું. આરોપીઓએ ગાંજાની સ્મેલ ન આવે તે માટે ગાંજાને કપડામાં બાંધીને તેની ઉપર પ્લાસ્ટિકનું કવર લગાવી બેગમાં પેક કરતા હતાં. તે ઉપરાંત પોલીસને શંકા ન જાય તે માટે બે કપલ દ્વારા આ ગાંજો સુરત લાવામાં લાવવામાં આવતો હતો. છેલ્લા છ મહિનામાં ત્રણ વખત આ રીતે ઓડીશાથી સુરત ટ્રેન મારફતે ગાંજાનો લાવામાં આવતો હતો. એક વખતે 10 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. બીજી વખતે 15 કિલોનો ગાંજો લાવવામાં આવ્યો હતો. ત્રીજી વખત 20 કિલોનો ગાંજો લાવવામાં આવ્યો હતો. પોલીસે હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ કરી છે.

અજિત પવાર જૂથની પાસે જ NCPનું ચિહ્ન ‘ઘડિયાળ’ રહેશે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં 20 નવેમ્બરે મતદાન કરવામાં આવશે, પણ એ પહેલાં શરદ પવારને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં અજિત પવારને ઘડિયાળના ચૂંટણી ચિહનનો ઉપયોગ કરવાથી રોકવાની માગને ફગાવી દીધી છે. NCP (શરદ પવાર જૂથ) એ બીજી ઓક્ટોબરે  કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી ચિહન ઘડિયાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.

ચૂંટણી પંચે અજિત પવારની NCPને અસલી બતાવીને પાર્ટીનું ચિહ્ન (ઘડિયાળ)નો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો હતો.કોર્ટે અજિત પવાર પાસેથી શપથ લેવા કહ્યું અને તેમને તેમાં લખવા કહ્યું હતું કે તેઓ ઘડિયાળના પ્રતીક સાથે કોર્ટમાં પેન્ડિંગ ડિસ્ક્લેમર મૂકવાના આદેશનું પાલન કરશે.

ચૂંટણી પંચે અજિત પવારની NCPને અસલી જાહેર કરી હતી અને તેને પક્ષના ચિહ્ન (ઘડિયાળ)નો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો હતો. કોર્ટમાં દલીલો દરમિયાન શરદ પવારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે માર્ચમાં થયેલી સુનાવણીમાં કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે અમને પણ ટ્રમ્પેટનું ચિહ્ન ફાળવવામાં આવે. અજિત પવારને કહેવામાં આવ્યું હતું કે ઘડિયાળના પ્રતીકની સાથે આ લખો કે મામલો હજી કોર્ટમાં પેન્ડિંગ છે, તેમણે શરદ પવારના ઘડિયાળના પ્રતીકને યોગ્ય રીતે અનુસર્યું નથી.”

આના પર અજિત પવારના વકીલ બલબીર સિંહે કહ્યું હતું કે તેમણે (શરદ પવાર જૂથ)એ લોકસભા ચૂંટણી વખતે પણ આ જ વાત કહી હતી. કોર્ટે ઘડિયાળનું પ્રતીક અમારી પાસે રહેવા દીધું છે. હવે અમારે આ સાંભળવું જોઈએ નહીં.

 

તહેવારો નિમિત્તે દેવભૂમિ દ્વારકામાં દર્શનના સમયમાં થયો ફેરફાર

દ્વારકા: નવા વર્ષના પાવન પર્વ પર હજારો અને લાખોની સંખ્યામાં દેવ સ્થાનના દર્શન કરી ધન્યતા અનુભવના હોય છે. ત્યારે યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રિકો જગત મંદિર દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં 30મી ઑક્ટોબરથી ત્રીજી નવેમ્બર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

દેવભૂમિ દ્વારકામાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે તહેવારના સમયમાં દ્વારકા નગરીમાં આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળશે. દ્વારકામાં બુધવારે (30મી ઑક્ટોબર) ધનતેરસના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. એજ રીતે ગુરૂવારે (31મી ઑક્ટેબર) રૂપ ચૌદસ અને દિવાળીના દિવસે  સવારે 5:30 કલાકે મંગલા આરતી અને 1:00 અનુસાર બંધ થશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00 ખુલશે. હાટડી દર્શન સાંજે 08:00 વાગ્યે અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. તો શુક્રવાર (પહેલી નવેમ્બર) અન્નકુટ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. અન્નકુટ દર્શન 5:00થી 07:00 વાગ્યા સુધી અને રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. શનિવાર (બીજી નવેમ્બર) નૂતન વર્ષના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. રવિવાર (ત્રીજી નવેમ્બર) ભાઈ બીજ ઉત્સવના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે. જ્યારે બપોરે 01:00થી 05:00 સુધી મંદિર બંધ રહેશે. ઉત્થાપન દર્શન સાંજે 05:00થી રાત્રે 09:45 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.

પુષ્પા 2 ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ અગાઉ 6 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ અલ્લુ અર્જુને પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. અલ્લુ અર્જુને થોડા સમય પહેલા પુષ્પા 2નું પોસ્ટર શેર કરીને નવી તારીખનો ખુલાસો કર્યો છે. આ પોસ્ટરમાં અલ્લુ અર્જુન મોંમાં સિગાર અને હાથમાં પિસ્તોલ લઈને ઉભો જોવા મળી રહ્યો છે. પોસ્ટના કેપ્શનમાં અભિનેતાએ હેશટેગના ઉપયોગ સાથે લખ્યું છે, “પુષ્પા 2 ધ રૂલ 5 ડિસેમ્બરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

અગાઉ આ તારીખે રિલીઝ થવાની હતી

તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં આવેલી પુષ્પા ફ્રેન્ચાઈઝીનો બીજો ભાગ અગાઉ 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થવાનો હતો. જો કે, હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તે નિર્ધારિત રિલીઝ તારીખના 1 દિવસ પહેલા એટલે કે 5મી ડિસેમ્બરે રિલીઝ થશે.

નિર્માતાઓના આ નિર્ણયથી ફિલ્મને ફાયદો થઈ શકે છે કારણ કે જો ફિલ્મ 6 તારીખે રિલીઝ થઈ હોત તો તેને વીકએન્ડના એક દિવસ પહેલા જ મળી હોત, પરંતુ ફિલ્મ શુક્રવારને બદલે 5 ડિસેમ્બરે ગુરુવારે રિલીઝ થશે. જેના કારણે ફિલ્મને વીકએન્ડના 2 દિવસ પહેલા એટલે કે વીકેન્ડ સુનામીના 2 દિવસ પહેલા તોફાન શરૂ થઈ ગયું હશે.

10 મહિનામાં સોનું 15 હજાર રૂપિયા મોંઘુ થયું

દેશમાં મોંઘવારી માજા મુકી રહી છે. એકબાજુ તહેવારીની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ સોના ચાંદીના ભાવ તેની ઐતિહાસિક સપાટીએ પહોંચી રહ્યા છે. ઓક્ટોબર મહિનો પૂરો થવામાં માંડ એક સપ્તાહ બાકી છે. આ સમગ્ર મહિનામાં સેન્સેક્સમાં 4.98%નો ઘટાડો થયો છે. નિફ્ટીની પણ આવી જ સ્થિતિ છે. તે પણ 5.4% નીચે છે. કોરોના સમયગાળા પછી એક મહિનામાં બજારમાં આ સૌથી મોટો ઘટાડો છે. આ બધાની વચ્ચે એક મોટો ફેરફાર જોવા મળ્યો છે, જે કદાચ તમે નોંધ્યો નહીં હોય અને તે છે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો. સોનાએ 80 હજારનો આંકડો પાર કર્યો છે. છેલ્લા 10 મહિનામાં 15 હજાર રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

શેરબજારમાં ઘટાડા વચ્ચે સોનાની કિંમત દેશના ભૌતિક બજારથી લઈને વાયદા બજાર એટલે કે MCX સુધી રૂ. 1 લાખને પાર કરી ગઈ છે. બીજી તરફ ફિઝિકલ માર્કેટમાં સોનાની કિંમત પણ રૂ.81 હજારને પાર છે. જ્યારે વાયદા બજારમાં સોનાની કિંમત માત્ર રૂ.80 હજારની આસપાસ છે. 23 ઓક્ટોબરે MCX પર સોનાની કિંમત 78,919 રૂપિયા પ્રતિ દસ ગ્રામની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. હવે રોકાણકારો સોનાની કિંમત 1 લાખ રૂપિયા સુધી પહોંચવાની રાહ જોઈ રહ્યા છે.

જો વર્તમાન સ્તરથી આગામી એક વર્ષમાં સોનું રૂ. 1 લાખના સ્તરે પહોંચવું હોય તો તેણે ઓછામાં ઓછો 27 થી 28 ટકાનો ઉછાળો લેવો પડશે. તો જ સોનાના ભાવ એક લાખ રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો લગભગ એક વર્ષમાં વાયદા બજારમાં સોનાની કિંમતમાં 30 ટકાનો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ ભૌગોલિક રાજકીય તણાવ છે. આગામી એક વર્ષમાં તે બંધ થવાના કોઈ સંકેત નથી.

યુદ્ધ તેજીનું મુખ્ય કારણ બન્યું

યુદ્ધ કોઈ પણ દેશ માટે સારું નથી. યુદ્ધ કોણ જીતે તે મહત્વનું નથી, બંને દેશોને નુકસાન થાય છે. યુદ્ધ લડવા માટે તે દેશના અર્થતંત્રને પણ ભારે કિંમત ચૂકવવી પડે છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ આકાશને સ્પર્શવા લાગે છે.  સોનાને હંમેશા કટોકટીનો સાથી માનવામાં આવે છે. આવું જ કંઈક ફરી એકવાર જોવા મળી રહ્યું છે. અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો. હવે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે સોનાના ભાવમાં વધારો કર્યો છે.

જો આવનારા સમયમાં સોનાના ભાવમાં આવનારા ફેરફારની વાત કરીએ તો તે ઘણી બાબતો પર નિર્ભર રહેશે. આગામી એક વર્ષમાં કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં ઘટાડાનું ચક્ર વધુ તીવ્ર બનશે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં વધુ વધારો જોવા મળશે. આનો અર્થ એ થયો કે આગામી એક વર્ષમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. જો નિષ્ણાતોનું માનીએ તો આગામી વર્ષમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. મતલબ કે આગામી એક વર્ષમાં સોનાની કિંમત એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો સોનું 2024ની જેમ 2025માં પણ પ્રદર્શન કરે છે તો સોનું 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

જમ્મુ-કાશ્મીરને જલ્દી મળી શકે છે રાજ્યનો દરજ્જો

જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થઈ શકે છે. સમાચાર છે કે કેન્દ્ર તરફથી ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. બુધવારે સાંજે દિલ્હીમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે મોટી બેઠક યોજાઈ હતી. સરકાર બનાવ્યા પછી પહેલી જ બેઠકમાં એનસી સરકારે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.

એક અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘અડધો કલાક સુધી ચાલેલી બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રહી હતી. ગૃહમંત્રીએ નવી સરકારને જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી આપી છે.

અબ્દુલ્લાએ પાછળથી કહ્યું કે આ એક સૌજન્ય મુલાકાત હતી, જે દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાનને જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. જમ્મુ અને કાશ્મીર 2019 માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું ત્યારથી, પોલીસ દળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન મુખ્યમંત્રી અબ્દુલ્લા અનેક કેન્દ્રીય મંત્રીઓને મળશે અને એવી સંભાવના છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે. 90 બેઠકો ધરાવતી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં એનસીએ 42 બેઠકો જીતી હતી.

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અબ્દુલ્લાની કેબિનેટે તે પ્રસ્તાવને મંજૂરી આપી છે જેમાં કેન્દ્ર સરકારને રાજ્યની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરવામાં આવી છે. પીટીઆઈ અનુસાર, એક સત્તાવાર પ્રવક્તાએ કહ્યું, ‘રાજ્યની મૂળ સ્થિતિને પુનઃસ્થાપિત કરવાના પ્રસ્તાવને ગુરુવારે અબ્દુલ્લાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી.’

પ્રવક્તાએ કહ્યું કે કેબિનેટે 4 નવેમ્બરે શ્રીનગરમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો પણ નિર્ણય કર્યો છે અને લેફ્ટનન્ટ ગવર્નરને સત્ર બોલાવવા અને સંબોધિત કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરના પ્રથમ સત્ર માટે વિધાનસભાને સંબોધનનો ડ્રાફ્ટ પણ મંત્રી પરિષદ સમક્ષ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ મંત્રી પરિષદે નિર્ણય લીધો હતો કે તેના પર વિચાર કરવામાં આવશે.

 

બિનકાશ્મીરી નાગરિક પર આતંકવાદી હુમલોઃ મજૂરોનું પલાયન

શ્રીનગરઃજમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ આતંકવાદી હુમલામાં કાશ્મીરી ડોક્ટર સહિત આઠ બિનકાશ્મીરી લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સતત આવી આતંકવાદી ઘટનાઓથી કાશ્મીરમાં કામ કરતા બિનકાશ્મીરી લોકો ડરને કારણે કાશ્મીરથી પલાયન કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી લોકો પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મીરના તરાલમાં ઉત્તર પ્રદેશના બિજનૌરના રહેવાસી શુભમ કુમાર પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે, પરંતુ પોલીસે આ ઘટનાનો ઇનકાર કર્યો છે કે શુભમ કુમાર હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

શુભમના જમણા હાથ પર ગોળી વાગી છે. સંબંધિત પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સવારે છ વાગ્યાની આસપાસ બની હતી.આ પહેલા ગયા રવિવારે આતંકવાદીઓએ પરપ્રાંતીય મજૂરોના કેમ્પને પોતાનું નિશાન બનાવ્યું હતું. જેમાં આઠ લોકોનાં મોત થયાં હતાં. આતંકવાદીઓએ અહીં અંધાધૂંધ ગોળીબારમાં સાત કામદારો અને એક ડોક્ટરને ઠાર માર્યા હતા.

મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સુરંગ બનાવી રહેલા મજૂરોના કેમ્પ પર આતંકીઓએ આ હુમલો કર્યો હતો. આ પછી કેન્દ્રીય મંત્રી અમિત શાહ, CM ઉમર અબદુલ્લા સહિત તમામ નેતાઓએ આ હુમલાની નિંદા કરી હતી. આ આતંકવાદી હુમલા બાદ NIAની ટીમ તપાસ માટે ગગનગીર પહોંચી હતી. હવે હુમલાના ત્રણ દિવસ બાદ પોલીસને આતંકવાદીઓના ફોટો મળ્યા છે.

એક સીસીટીવી ફૂટેજમાં કેમ્પમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો લોકોને નિશાન બનાવ્યા હતા. જોકે પોલીસે આ અંગે હજુ સ્પષ્ટતા કંઈ કરી નથી. આ તસવીરોમાં દેખાતા બંને આતંકવાદીઓ પાકિસ્તાની હોવાની આશંકા છે. આ આતંકવાદીઓએ ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કર્યો હતો. આ સમયે શ્રાણિક ભોજન લેવા વાસણ પાસે આવ્યો હતો. વાસણ અને આખો કેમ્પ ગાઢ જંગલોમાં આવેલો હતો. જેનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

OMG! એક સાથે 85 વિમાનોને ઉડાવી દેવાની ધમકીથી હડકંપ

વિમાનોને ઉડાવી દેવાની ધમકી સાથે જોડાયેલા કિસ્સાઓ અટકી રહ્યા નથી. હવે 85 વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં એર ઈન્ડિયાના 20 વિમાન સામેલ છે. જે વિમાનોને ધમકીઓ મળી છે તેમાં 20 ઈન્ડિગો, 20 વિસ્તારા અને 25 આકાસા ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.


ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ પહેલા દિલ્હી પોલીસે 90 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંબંધમાં છેલ્લા આઠ દિવસમાં આઠ અલગ-અલગ FIR નોંધી છે. જે ફ્લાઈટને ધમકીઓ મળી છે તેમાં અકાસા, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે. આ ફ્લાઇટ્સ દિલ્હીથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ઓપરેટ થાય છે. પોલીસનું કહેવું છે કે આ મામલામાં તપાસ ચાલી રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, X પર ધમકીભર્યા સંદેશા મળ્યા હતા જેને પછી સત્તાવાળાઓએ નકારી કાઢ્યા હતા. પહેલો કેસ 16 ઓક્ટોબરના રોજ બેંગલુરુ જતી અકાસા ફ્લાઈટને નિશાન બનાવવાનો હતો. એસએમએસ દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પ્લેનમાં 180થી વધુ મુસાફરો સવાર હતા. વિમાને દિલ્હી પરત ફરવું પડ્યું. બીજા દિવસે, પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને એક પત્ર લખીને ધમકીભર્યા સંદેશાઓ પોસ્ટ કરતા એકાઉન્ટની વિગતો માંગી હતી.

દિલ્હી પોલીસના સાયબર સેલની વિવિધ ટીમો એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્લાઈટ્સ પર ચાલી રહેલા જોખમોને લઈને ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં 170થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે. દરમિયાન, સરકાર એરલાઇન્સને બોમ્બની ધમકીઓને પહોંચી વળવા માટે કાયદાકીય પગલાંની યોજના બનાવી રહી છે, જેમાં ગુનેગારોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાનો સમાવેશ થાય છે.

ભારતને તેવર બતાવવા ટ્રુડોને ભારે પડ્યા, સાંસદોએ માંગ્યું રાજીનામું

એક તરફ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ભારત સાથે ગડબડ કરીને ભારે મુશ્કેલીમાં છે અને દરેક જગ્યાએ શરમનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે ભારત સાથેના વિવાદ વચ્ચે તેમની પાર્ટીએ પણ તેમની તરફ મોં ફેરવી લીધું છે જસ્ટિન ટ્રુડોએ તેમની જ પાર્ટીના સાંસદોએ અલ્ટીમેટમ આપ્યું છે. પોતાના નવ વર્ષના કાર્યકાળના સૌથી ગંભીર રાજકીય પડકારોનો સામનો કરી રહેલા ટ્રુડોને હવે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. બુધવારે બંધ બારણે બેઠક દરમિયાન લિબરલ પાર્ટીના નારાજ સભ્યોએ તેમની નિરાશા વ્યક્ત કરી હતી. રિપોર્ટ અનુસાર, 24 સાંસદોએ 28 ઓક્ટોબર સુધીમાં ટ્રુડોના રાજીનામાની માંગ કરતા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

ટ્રુડોની નજીકના લોકોએ શું કહ્યું?

તેમની પાર્ટીના સાંસદોએ ટ્રુડોના નેતૃત્વ પ્રત્યે અસંતોષ અને પાર્ટીના નબળા મતદાન પરિણામોને તેમની રાજીનામાની માંગ પાછળનું કારણ ગણાવ્યું હતું. જોકે, ત્રણ કલાકની આ બેઠક બાદ ટ્રુડો હસતાં હસતાં બહાર આવ્યા અને કહ્યું કે લિબરલ પાર્ટી મજબૂત અને એકજૂથ છે. તેમણે આગામી ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરવાના તેમના ઈરાદાને વધુ સમર્થન આપ્યું હતું. ટ્રુડોના નજીકના સાથી ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું, ત્યાં શું થઈ રહ્યું હતું… ખરેખર સાંસદોએ વડા પ્રધાનને સત્ય કહેતા હતા, પછી ભલેને તેમને તે સાંભળવું ગમતું હોય કે ન હોય.

શા માટે ટ્રુડોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે

જૂન અને સપ્ટેમ્બરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં લિબરલ પાર્ટીએ તેની બે સૌથી સુરક્ષિત સંસદીય બેઠકો ગુમાવી હતી, જે બાદ ટ્રુડોના રાજીનામાની માંગ જોર પકડી રહી છે. ઘણા સાંસદો આગામી ચૂંટણીની તૈયારીના અભાવને લઈને પણ ચિંતિત છે. ખાસ કરીને જ્યારે વોટિંગ ડેટા દર્શાવે છે કે લિબરલ્સ કન્ઝર્વેટિવ્સથી પાછળ છે. 15 ઓક્ટોબરે હાથ ધરાયેલા નેનોસ રિસર્ચ પોલમાં કન્ઝર્વેટિવને 39% વોટ, લિબરલ્સને 23% વોટ અને ન્યૂ ડેમોક્રેટ્સને 21% વોટ મળ્યા હતા.

વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી, 700 કિલો શંકાસ્પદ મરચું જપ્ત

વડોદરા: તહેવારોની સીઝન આવતાની સાથે બજારના ખાદ્યપદાર્થોની માગમાં ઉછાડો થાય છે. આ વચ્ચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના બનાવો પ્રકાસમાં આવતા હોય છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોરાક શાખા દ્વારા આજે હાથીખાના વિસ્તારમાં મુખવાસ અંગે ચેકિંગમાં નીકળેલી ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમને શંકાસ્પદ મરચાનો 700 કિલોનો જથ્થો મળી આવ્યો છે. જે તાત્કાલિક અસરથી જપ્ત કરી જ્યાં સુધી નમુનાનો રિપોર્ટ મોકલવમાં આવ્યા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદની સૂચનાથી આજે કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ હાથીખાના જથ્થાબંધ અનાજ કરિયાણાના બજારમાં ચેકિંગ માટે ગઈ હતી. જેમાં કલરવાળો મુખવાસ વેચાણ થઈ રહ્યો હોય તેનું ચેકિંગ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી અને હાથીખાનામાં આવેલા ચાર વેપારી જય અંબે સ્ટોર પૂર્વી સ્ટોર, મધુવન અને ક્રિષ્ના સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કલર મુખવાસના બદલે 700 કિલો મરચું હલકી કક્ષાનો જથ્થો હોવાનું જણાવતા તાત્કાલિક અસરથી તે જપ્ત કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વેપારી વેચાણ કરી શકશે નહીં તે રીતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મરચાની કિંમત રૂ.1,83,000 થાય છે તેમ ફૂડ ઇન્સ્પેક્ટર મંગુભાઈ રાઠવાએ જણાવ્યું હતું.

તો બીજી બાજુ ડીસામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બુધવારે વધુ એક શંકાસ્પદ ઘી નું ગોડાઉન ઝડપી લીધું હતું. અને મોટી માત્રામાં શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરી સેમ્પલ લઇ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. ડીસામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અગાઉ ઘીનું ગોડાઉન તેમજ કોલ્ડ સ્ટોરેજમાંથી મોટી માત્રામાં ગળ્યો માવો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ખાદ્ય તેલ, ઘી, મરચા, હળદર, આટો બનાવતા ફેક્ટરીઓ તેમજ મીઠાઈની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, દૂધના માવાના ભઠ્ઠા સહિતની અનેક જગ્યાએ તપાસ કરી સેમ્પલ લઈ શંકાસ્પદ જથ્થો જપ્ત કરેલો છે.