Home Blog Page 1385

વડોદરામાં PM મોદી અને PM પેડ્રો સાંચેઝના આગમનની પુરજોશમાં તૈયારીઓ શરૂ

વડોદરા: આગામી 28 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાચેઝ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. બંને મહાનુભાવોના આગમનને ધ્યાનમાં લઇને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ડિવાઇડર્સ, ફૂટપાથ અને જાહેર સ્થળોની સાફસફાઈ કરવામાં આવી રહી છે. તેમજ રોડ-રસ્તાઓના સમારકામની કામગીરી પણ તેજ ગતિએ ચાલી રહી છે. શહેરના જાહેર માર્ગોને શોભાયમાન બનાવવા માટે રંગરોગાન અને વૃક્ષારોપણ જેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકો પણ બંને નેતાઓના આગમનની રાહ જોઈ રહ્યા છે. PM મોદી અને સ્પેન PM વડોદરાના મહેમાન બને તે પહેલા વડોદરા શહેરની આગવી ઓળખ એવી એમ.એસ. યુનિવર્સિટી, કીર્તિ મંદિર, ન્યાય મંદિર અને લક્ષ્મીવિલાસ પેલેસને આકર્ષક અને વિશિષ્ટ લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી વડોદરા ખાતે મહત્વાકાંક્ષી એરબસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. આ એક ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ છે, જે સ્વદેશી વિમાનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને બે વર્ષ પહેલા, 30 ઓક્ટોબર, 2022ના રોજ વડોદરા ખાતે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે બરાબર બે વર્ષ પછી તેઓ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે. વડોદરા ખાતેનો ટાટા એરબસ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના માટે પરિવહન વિમાનોનું ઉત્પાદન કરશે અને સંરક્ષણ ક્ષેત્રે નવી ઉડાનનું નિમિત્ત બનશે.

દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વના પ્રોજેક્ટ માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ વડોદરા આવી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વ ભારત અને સ્પેનના મૈત્રીપૂર્ણ સંબંધોનું સાક્ષી બનશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને સ્પેન, બંને દેશોની અત્યંત મહત્વની દ્વિપક્ષીય બેઠક બંને વડાપ્રધાનો વચ્ચે વડોદરામાં યોજાઈ રહી છે, જેના ઉપર સમગ્ર વિશ્વની નજર હશે. તેથી જ શહેરમાં સુરક્ષાની પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસકર્મીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા શહેરના દરેક મુખ્ય વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો છે.

ગેંગસ્ટર છોટા રાજનને મોટી રાહત, જયા શેટ્ટી હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા

મુંબઈ 2001ના જયા શેટ્ટી હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને જામીન આપ્યા છે. તેને આ વર્ષની શરૂઆતમાં આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેન્ચે તેમને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે.

છોટા રાજન તિહાર જેલમાં બંધ છે
છોટા રાજન વિરુદ્ધ ખંડણી અને સંબંધિત ગુનાઓ માટે ઘણા કેસ નોંધાયેલા છે, તેથી હોટેલિયરની હત્યા કેસમાં તેની અને અન્ય આરોપીઓ સામે MCOCA હેઠળ આરોપો પણ ઉમેરવામાં આવ્યા હતા. અગાઉના બે અલગ-અલગ ટ્રાયલમાં અન્ય ત્રણ આરોપીઓને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એકને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. રાજન 2011માં પત્રકાર જે ડેની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને હાલમાં તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

કેવી રીતે તેની ધરપકડ કરવામાં આવી?
દરેક વખતે કોઈને કોઈ યુક્તિ કરીને છટકી જતો છોટા રાજન પણ ફોન કોલના કારણે ફસાઈ ગયો. છોટા રાજન હંમેશા VOIP નંબર દ્વારા ફોન કરતો હતો, પરંતુ તે દિવસે તેણે તેના એક નજીકના વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે વોટ્સએપ દ્વારા ફોન કર્યો હતો. સુરક્ષા એજન્સીઓએ આ કોલ ટેપ કર્યો અને એલર્ટ થઈ ગયા. રાજને ફોન પર કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયામાં સુરક્ષિત નથી, તેથી જ તે જલ્દીથી અહીંથી નીકળી જશે. આ પછી એજન્સીઓએ ઈન્ટરપોલનો સંપર્ક કર્યો જે પછી તેઓ પણ એલર્ટ થઈ ગયા.

25 ઓક્ટોબર 2015ના રોજ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસને ખબર પડી કે એક ભારતીય વ્યક્તિ બાલી જઈ રહ્યો છે, ફેડરલ પોલીસે ઈન્ટરપોલ દ્વારા બાલી ઈમિગ્રેશન વિભાગને જાણ કરી અને છોટા રાજનનું પ્લેન બાલી પહોંચતા જ તેને પકડી લેવામાં આવ્યો. ત્યારબાદ તેને ભારત લાવવામાં આવ્યો હતો. ધરપકડ સમયે રાજન ખૂબ જ ડરી ગયો હતો, તેણે પોતાના જીવ પરના ખતરા વિશે જણાવ્યું હતું, તેણે કહ્યું હતું કે ડી કંપની તેના જીવની પાછળ છે. આ પછી રાજનને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

વડોદરામાં 4 બિલ્ડર ગ્રુપ પર આવકવેરાના દરોડા

વડોદરા: દિવાળીના ચોપડા પૂજન પહેલા જૂના ચોપડા પર આવકવેરાની નજર પડી છે. વડોદરા શહેરના આવકવેરા વિભાગ મોટા દરોડા પાડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે 150થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે 20થી વધુ સ્થળે સામૂહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના હાઇવે બાયપાસની આજુબાજુમાં સ્કીમો કરનાર બે બિલ્ડર ગ્રૂપને ત્યાં પણ હાલમાં આવકવેરાની કામગીરી ચાલુ હોવાની પ્રાથમિક અહેવાલ છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે નિર્માણ પામી રહેલી રત્નમ ગ્રૂપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસ્થાન તેમજ ઓફિસોમાં પણ આજે સવારથી જ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રત્નમ ગ્રૂપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાઈનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા છે. આવકવેરા વિભાગે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં આવકવેરા વિભાગના અધિકારીઓની 150થી વધુ ટીમ એકસાથે  અમદાવાદ, સુરત અને વડોદરામાં વિવિધ સ્થળે કાર્યરત રહી છે. આ દરોડામાં આવકવેરા વિભાગની ટીમોએ બેનામી નાણાકીય વ્યવહારો અને જમીનોની લે-વેચની માહિતી મેળવી છે. આ સાથે મહત્ત્વના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. એટલું જ નહીં, કમ્પ્યુટરો તેમજ અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સામૂહિક દરોડાની કામગીરી મોડી રાત સુધી ચાલશે તેમ જાણવા મળે છે.

‘મેં કાળિયારને માર્યુ નથી’, સલમાન ખાનનો વીડિયો વાયરલ

મુંબઈ: છેલ્લા 6 વર્ષથી એક કેસ સલમાન ખાનનો પીછો નથી છોડી રહ્યો. 1998માં, સલમાન ખાન અને તેના ‘હમ સાથ સાથ હૈ’ના સહ કલાકારો સૈફ અલી ખાન, તબ્બુ અને સોનાલી બેન્દ્રે પર રાજસ્થાનના એક ગામમાં કાળિયારનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન મળી ગયા હતા. ત્યારપછી જ્યારે કેસની સુનાવણી ચાલી ત્યારે ભાઈજાનને દોષિત ઠેરવવામાં આવ્યા અને ફરીથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા. આ ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સુપરસ્ટારના જીવની દુશ્મન બની ગઈ છે. તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન કહી રહ્યો છે કે તેણે કાળિયારનો શિકાર નથી કર્યો.

હાલમાં જ સલમાન ખાનના પિતા અને દિગ્ગજ લેખક સલીમ ખાને પોતાના પુત્ર વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે જો તે વંદો ન મારી શકે તો કાળા હરણને કેવી રીતે મારી શકે. તેણે કહ્યું હતું કે જ્યારે કોઈ ગુનો થયો નથી ત્યારે શા માટે માફી માંગવી. હવે સલમાન ખાનનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે તેણે કાળા હરણને માર્યું નથી.

વાસ્તવમાં, વર્ષ 2008માં સલમાન ખાનનો એક ઈન્ટરવ્યુ ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને Reddit પર શેર કરવામાં આવ્યો છે. આ ક્લિપમાં અભિનેતા કાળા હરણને મારવાનો ઇનકાર કરતો જોવા મળે છે. ઈન્ટરવ્યુમાં ઈન્ટરવ્યુ લેનાર સલમાનને ‘અજ્ઞાનતાનો શિકાર’ કહે છે અને કહે છે કે તેને નથી લાગતું કે સલમાને જાણીજોઈને આ લુપ્તપ્રાય પ્રાણીની હત્યા કરી હશે. સલમાન આના પર થોડો સમય વિચારે છે અને પછી જવાબ આપે છે, ‘તે એક લાંબી વાર્તા છે અને… મેં કાળા હરણને માર્યું નથી.’

કેવો રહ્યો સલમાનનો જેલનો અનુભવ?

જ્યારે પત્રકારે કહ્યું કે તેણે ક્યારેય કોઈ અન્ય પર આરોપ નથી લગાવ્યો ત્યારે સલમાને કહ્યું,’તેનો કોઈ અર્થ નથી.’ જ્યારે સલમાનને તેના જેલના અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મજાકમાં કહ્યું,’બહુ મજા આવી.’

સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા શરૂ થઈ

આ જૂનો વીડિયો ફરી સામે આવ્યા બાદ નેટીઝન્સે Reddit પર કાળા હરણ કેસમાં સલમાનની સંડોવણી વિશે સત્ય વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું છે. તેના ઘણા ચાહકોએ અભિનેતાનો બચાવ કર્યો છે અને તેને નિર્દોષ ગણાવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સલમાનને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો જેમાં વિવાદ ઉકેલવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે, મુંબઈ પોલીસને પાછળથી તે જ પ્રેષક તરફથી બીજો સંદેશ મળ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે ધમકી ભૂલથી મોકલવામાં આવી હતી.

ધમકીઓ વચ્ચે ભાઈજાન કામમાં વ્યસ્ત છે

આ ધમકીઓ છતાં ભાઈજાન પોતાના કામમાંથી પાછળ હટી રહ્યા નથી. આ દિવસોમાં તે બિગ બોસ 18 હોસ્ટ કરવામાં વ્યસ્ત છે અને તેની આગામી ઈદની રિલીઝ ‘સિકંદર’ની તૈયારીમાં છે, જેમાં રશ્મિકા મંદાના પણ છે.

બાબા સિદ્દીકી મર્ડર કેસ, લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલના સંપર્કમાં હતા શૂટર

મુંબઈ:બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે, શૂટરો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોન બિશ્નોઈના સીધા સંપર્કમાં હતા. અધિકારીઓને ખાતરી છે કે બાબા સિદ્દીકીની હત્યા પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ છે, જોકે હત્યાનું કારણ જાણી શકાયું નથી.મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકી મર્ડર કેસની તપાસ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને પહેલીવાર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની શૂટર્સ સાથે સીધી કડી મળી છે. હત્યાના શંકાસ્પદ ત્રણ શૂટરોએ હત્યા પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે  વાતચીત કરી હતી. અનમોલ બિશ્નોઈ શૂટર અને કાવતરાખોર પ્રવીણ લોંકરના સંપર્કમાં પણ હતો. અનમોલ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો. આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધીમાં 10 ધરપકડ કરી છે. જેમાં બે શૂટર્સ અને એક હથિયાર સપ્લાયરનો સમાવેશ થાય છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં શૂટર શિવકુમાર ગૌતમ અને ફરાર આરોપી સ્નેપચેટ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને સૂચના મળ્યા બાદ તરત જ મેસેજ ડિલીટ કરી દેતા હતા. એ જ રીતે, જ્યારે ધરપકડ કરાયેલા આરોપીઓની સ્નેપચેટ્સની ઝીણવટભરી તપાસ કર

એસ.ટી. નિગમને દિવાળી ફળી, એડવાન્સ બુકિંગથી 10 કરોડથી વધુની કમાણી

અમદાવાદ: દિવાળી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ટ્રેનોમાં વેઇટિંગ, એરફેર આસમાને જઇ રહ્યું છે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી.)ની 150 જેટલી બસમાં અત્યારથી  હાઉસફૂલ થઇ ગઇ છે. કેટલીક બસો માટે તો ટ્રેનની જેમ  લાંબુ ‘વેઇટિંગ’ છે. માહિતી અનુસાર અમદાવાદથી ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, દ્વારકા, જામનગર, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ જતી એસટી બસ માટે સૌથી વધુ ધસારો છે.

શનિવારથી સ્કૂલ-કોલેજમાં દિવાળી વેકેશન શરૂ થાય છે અને ત્યારથી જ મોટાભાગની બસ પેક છે. ખાસ કરીને દિવાળીના અગાઉના દિવસે એટલે કે બુધવારે અમદાવાદના ગીતા મંદિરથી જુનાગઢ સુધીની કુલ 59માંથી 30 જેટલી બસ અત્યારથી જ હાઉસફૂલ છે.દિવાળીના તહેવારો નિમિત્તે એસટી દ્વારા 8,340 એક્સ્ટ્રા બસ દોડાવવાની જાહેરાત કરાઇ છે.જેમાં  માત્ર સુરત ખાતેથી 2સ200 બસો, દક્ષિણ- મઘ્ય ગુજરાતમાંથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2,150 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1,090  બસોની એક્સ્ટ્રા ટ્રીપનો સમાવેશ થાય છે. દિવાળીના તહેવાર અગાઉ એડવાન્સ બુકિંગથી જ એસટીને રૂપિયા 10 કરોડથી વધુની આવક થઇ ગઇ છે.

એક બીજા માટે કાળજી લેવાની ભાવના વિકસાવો

એક સંશોધન અનુસાર એક બાળક દિવસમાં 400 વાર હસે છે, તરુણ 17 વાર અને પુખ્ત તો હસતા જ નથી! વ્યક્તિ જેટલી સફળ થાય છે તેટલી તે વધારે અક્કડ અને કઠોર થઈ જાય છે. શું કઠોરતા એ સફળતાની નિશાની છે? શું તનાવમાં રહેવું એ સમૃધ્ધિ,વિકાસ કે મહત્તાની નિશાની છે? હું નથી માનતો કે અર્થોપાર્જનમાં અડધું સ્વાસ્થ્ય ગુમાવી દેવું અને પછી અડધી સંપત્તિ એ સ્વાસ્થ્ય પાછું મેળવવા ખર્ચવી એ સફળ અર્થશાસ્ત્ર છે!

તમારે વધારે હસતા રહેવું જોઈએ. દરરોજ સવારે જ્યારે તમે જાગી જાવ ત્યારે અરીસામાં જુઓ અને પોતાને એક સરસ સ્મિત આપો. જ્યારે તમે સ્મિત કરો છો ત્યારે તમારા ચહેરાના બધા સ્નાયુઓ હળવા થાય છે. તમારા મગજમાં નસોને વિશ્રામ મળે છે અને તમને જીવનમાં આગળ વધવા માટે આત્મવિશ્વાસ, હિંમત અને તાકાત મળે છે.

જીવન હંમેશા સરળ નથી હોતું. કંઈક સારું હોય છે; સારા નરસા બનાવો બને છે; જુદી જુદી પરિસ્થિતિઓ ઉદ્દભવે છે. આપણને જીવનના ચઢાવ ઉતારમાંથી પસાર થવા તાકાત, ઉત્સાહ અને હિંમતની જરૂર પડે છે. જે આપણે પોતે જ મેળવવાના હોય છે.

આપણે ચિંતન કરવાની જરૂર છે કે એવું શું છે જે માનવજાતના નૈસર્ગિક ઉપહારો–સ્મિત, મૈત્રીભાવ, કરુણા અને વિશાળ વિચારસરણી છીનવી લે છે. આ મુલ્યોને જે રૂંધી રહ્યું છે તે હકીકતમાં તણાવ છે. જ્યારે તમે ચિંતાતુર હોવ છો ત્યારે તમારી સમજશક્તિ, અવલોકન અને અભિવ્યક્તિને પ્રતિકૂળ અસર થાય છે. અને ચિંતાથી મુક્ત થવા તમારી પાસે બે વિકલ્પ છે: તમારો કાર્યભાર ઘટાડો અથવા તમારી ઊર્જાનું સ્તર વધારો. આજના જમાનામાં કાર્યભાર ઘટાડવો શક્ય નથી. તે ઉત્તરોત્તર વધતો જશે. તો વિકલ્પ એ છે કે આપણી ઊર્જામાં વધારો કરવો. આ માટે હું સામાન્ય રીતે ઊર્જાના વિવિધ સ્રોતને ધ્યાનમાં લેવા સુચવું છું. ખોરાક ઊર્જા મેળવવા માટેનો પ્રાથમિક સ્રોત છે. યોગ્ય આહાર અને તેનું યોગ્ય પ્રમાણ:બહુ વધારે કે બહુ ઓછો નહીં. બીજો સ્રોત છે યોગ્ય પ્રમાણમાં નિંદ્રા. ત્રીજો સ્રોત સૌથી અગત્યનો છે  શ્વાસ, જેને આપણે અવગણીએ છીએ અથવા તેની અગત્યતા વિસરી જઈએ છીએ.

શરીરમાંથી 90% અશુધ્ધિઓ શ્વાસ દ્વારા બહાર નીકળે છે કારણ કે આપણે 24 કલાક શ્વાસ લઈએ છીએ. પરંતુ આપણે આપણા ફેફસાની માત્ર 30% ક્ષમતાનો ઉપયોગ કરીએ છીએ. આપણે પૂરતા શ્વાસ નથી લેતા. આપણે એક મીનીટમાં 16-17 શ્વાસ લઈએ છીએ. જો તમે વ્યગ્ર છો તો શ્વાસ 20 સુધી જઈ શકે છે, જો તમે સખત ચિંતા કે ગુસ્સામાં છો તો મીનીટમાં 24 શ્વાસ હોઈ શકે છે. જો તમે એકદમ સ્વસ્થ અને ખુશ હોવ તો એક મીનીટમાં 10 શ્વાસ અને ધ્યાનમાં હોવ તો 2-3 શ્વાસ લો છો. ગહન ધ્યાન તમારા શ્વાસની સંખ્યા ઘટાડી શકે છે.

આપણા દરેક ઉચ્છવાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, શરીરમાંથી વિષ દ્રવ્યો (અશુધ્ધિઓ) બહાર ફેંકાય છે અને રક્તનું શુધ્ધિકરણ થાય છે. ઊર્જાના સ્રોત તરીકે શ્વાસ ખૂબ અગત્યનો છે પરંતુ આપણે તેના વિશે જાણવા અને સમજવા માટે પૂરતા પ્રયાસ કર્યા નથી. શ્વાસ શરીર અને મન વચ્ચે સેતુ છે. મન એક પતંગ જેવું છે અને શ્વાસ દોરી જેવો. મનને શાંત કરવા માટે લાંબા શ્વાસ જરૂરી છે. જો તમે શ્વાસ પર ધ્યાન આપો છો તો તમારે ‘પ્રોઝેક’ લેવાની જરૂર નહીં પડે.

તમે સર્જનાત્મક અને ફલદાયક હોઈ શકો છો,પરંતુ તેની સાથે સાથે જે માયાળુપણા સાથે આપણે સૌ જન્મ્યા છીએ તેને ગુમાવો નહીં.હકીકતમાં માત્ર ભૌતિક વસ્તુઓ કે અનુકૂળતા વ્યક્તિ માટે આરામદાયક નથી હોતા. માણસ પાસે સૂઈ જવા માટે સરસ પથારી હોઈ શકે છે,પરંતુ તે અનિંદ્રા કે ચિંતાને કારણે સૂઈ શકતો નથી. તેણે પોતાની જાત અને પોતાની પ્રાથમિકતાઓ વિશે વ્યાપક જાણકારી મેળવવી જોઈએ. માનસિક સ્પષ્ટતા બાબતોને ઘણી સરળ બનાવી દે છે. માણસની મૂળભૂત લાગણીઓ, જેમ કે, પ્રેમ વિશેની સમજ, પોતાની આસપાસના લોકો સાથેનું આદાનપ્રદાન, પોતાના અહંકાર વિશે તથા પોતાની બુદ્ધિ અને મન પોતાને શું કહી રહ્યા છે તેની સમજ તથા આત્મનિરીક્ષણ, વ્યક્તિને થોડી મીનીટોનો વિશ્રામ આપે છે જે અતિ આવશ્યક છે.

આ માટે આપણી જાત વિશેનું, આપણા મન વિશેનું, આપણી ચેતના અને વિકૃતિઓના ઉદ્ભવ સ્થાન વિશેનું થોડું જ્ઞાન સહાયરૂપ થશે. માટે,આપણા શ્વાસ વિશે થોડી જાણકારી મેળવવી ખૂબ અગત્યની છે. આપણો શ્વાસ આપણને એક અગત્યનો પાઠ ભણાવે છે જે આપણે ભૂલી ગયા છીએ. મનની દરેક લયને અનુરૂપ શ્વાસની પણ લય હોય છે;શ્વાસની દરેક લયને અનુરૂપ લાગણી હોય છે. માટે, જ્યારે તમે તમારા મનને પ્રત્યક્ષ રીતે નિયંત્રિત નથી કરી શકતા ત્યારે તમે શ્વાસ દ્વારા તેમ કરી શકો છો.

આમ, સૌથી અગત્યનું જે છે તે પોતાના જીવન અને તેની ગુણવત્તા કેવી રીતે વધારી શકાય તે બાબતે આત્મનિરીક્ષણ કરવાનું છે. આ માટેની આતુરતા જ તમારા માટે,તમારી જાત માટે બહેતર અનુભવ કરવા,ઘણા દ્વાર ખોલશે. એક બીજા માટે કાળજી લેવાની ભાવના વિકસાવો અને વધારે હસતા રહો!

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

ધાબા સ્ટાઈલ દમ આલૂ

ધાબા સ્ટાઈલ દમ આલૂ દહીંમાં મસાલા મેળવીને બનાવવામાં આવે તો તે એકદમ સ્વાદિષ્ટ બને છે. વળી, એમાં ઉમેરાતી સામગ્રી ઘરમાં જ ઉપલબ્ધ હોય છે!

સામગ્રીઃ

  • નાની સાઈઝના બટેટા 10-15
  • કાંદા 2
  • લસણની કળી 7-8
  • આખા લાલ મરચાં 2-3
  • કાજુ 8-10
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • ટામેટાં 3
  • તેલ તળવા માટે
  • લીલાં મરચાં 2-3,
  • કોથમીર સમારેલી ½ કપ

વઘાર માટેઃ

  • મોટી એલચી 1
  • લીલી એલચી 2-3
  • લવિંગ 2-3
  • કાળા મરી 4
  • તેજ પત્તા 2
  • તજનો ટુકડો 1 ઈંચ
  • જીરુ 1 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન

દહીં માટે મસાલાઃ

  • દહીં 2 કપ
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • સૂંઠ પાઉડર ½ ટી.સ્પૂન
  • વરિયાળી પાઉડર 1 ટી.સ્પૂન
  • મલાઈ 2 ટે.સ્પૂન

રીતઃ બટેટાનો છોલીને ધોઈ લો. બટેટામાં ફોર્કની મદદથી કાણાં પાડી લો. બટેટાને થોડા કોરા કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને એક-એક કરીને બટેટા તેમાં તળવા માટે હળવેથી ઉમેરી દો. ગેસની આંચ મધ્યમ-ધીમી કરીને બટેટા સોનેરી રંગના તળીને એક થાળીમાં કાઢી લો.

ગેસ બંધ કરીને કઢાઈનું તેલ હળવેથી કોઈ વાસણમાં થોડું કાઢી લો. 2 ટે.સ્પૂન જેટલું તેલ કઢાઈમાં રહેવા દો. કાંદા તેમજ ટામેટાંને લાંબી સ્લાઈસમાં અલગ અલગ સમારી લો. આદુના નાના ટુકડા કરી રાખો. ગેસ ચાલુ કરીને કઢાઈના તેલમાં પહેલાં લસણની કળી ગુલાબી રંગની તળી લો. ત્યારબાદ કાંદા ઉમેરીને તે પણ સોનેરી રંગના તળી લો. હવે તેમાં આખા લાલ મરચાં, આદુના ટુકડા અને કાજુ ઉમેરીને ટામેટાં તેમજ થોડું મીઠું મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની ધીમી-મધ્યમ આંચે ટામેટાં ચઢવા દો. ટામેટાં નરમ થાય એટલે 2 મિનિટ બાદ ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડું થયા બાદ મિક્સીમાં તેની બારીક પેસ્ટ વાટી દો.

ખાલી થયેલી કઢાઈમાં ફરીથી તળેલા તેલમાંથી વઘાર માટેનું તેલ ગરમ કરી તેમાં જીરૂ તતડાવી લો. ત્યારબાદ મોટી એલચી, લીલી એલચી, લવિંગ, કાળા મરી, તેજ પત્તા, તજનો ટુકડો ઉમેરીને 1 મિનિટ બાદ તેમાં હળદર તેમજ કાશ્મીરી મરચાં પાઉડર મેળવીને તરત વાટેલી પેસ્ટ મિક્સ કરી દો. 2 મિનિટ સાંતળી લીધા બાદ ગેસની ધીમી આંચ કરીને કઢાઈ ઢાંકી દો.

એક બાઉલમાં દહીંને ફેંટી લો. તેમાં ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, સૂંઠ પાઉડર, વરિયાળી પાઉડર તેમજ મલાઈ મેળવી દો.  કઢાઈમાં કાંદા-ટામેટાંની પેસ્ટમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે દહીંનું મસાલાવાળું મિશ્રણ મેળવીને તળેલા બટેટા પણ મેળવી દો. હવે તેમાં 2 કપ પાણી મેળવીને ઉપર ઉભા કટ કરેલા લીલાં મરચાં તેમજ કોથમીર પણ ભભરાવી દો. કઢાઈને ફરતે ચારે તરફથી સિલ્વર ફોઈલથી ઢાંકીને પેક કરો. ઉપર કઢાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની આંચ એકદમ ધીમી કરી દો. 15 મિનિટ સુધી દમ આલૂને દમ પર થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને ફોઈલ પેપર કાઢી લો. ગરમા ગરમ દમ આલૂ રોટલી કે પરોઠા સાથે પીરસો.

૨૩ ઓક્ટોબર ૨૦૨૪

નોટ આઉટ @ 84 : સાકળચંદભાઈ જેસંગભાઈ પટેલ

રાષ્ટ્રપતિ કલામ દ્વારા જેમનું બાળલેખક તરીકે 26-01-2007ના રોજ સન્માન થયું અને જેમણે 230 પુસ્તકો (બાળસાહિત્ય, પંજાબી-ગુજરાતી અનુવાદ, પ્રૌઢસાહિત્ય) ગુજરાતી-સાહિત્યને આપ્યાં તેવા સાકળચંદભાઈ પટેલની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

જન્મ, બાળપણ અને પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ વાગોસણા ગામમાં. પિતાને થોડી ખેતી, બે ભાઈ, બે બહેનનું કુટુંબ, સ્થિતિ નબળી, ફી ભરવાની શક્તિ નહીં, 13 વર્ષની ઉંમરે બહેન સાથે અમદાવાદ આવી કરિયાણાની દુકાનમાં નોકરી કરી. દોઢ-વર્ષ પછી પિતાની તબિયત બગાડતાં ગામ પાછા આવ્યા. ગાયકવાડી-રાજનું ગામ એટલે ગામમાં સરસ પુસ્તકાલય. પુસ્તકાલયનાં ત્રણ કબાટમાંથી બે કબાટ ભરેલાં પુસ્તકો તેમણે વાંચી નાખ્યાં. તેમની પહેલી વાર્તા 1961માં ચાંદનીમાં છપાઈ હતી, બે રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો! પાછું ભણવાનું ચાલુ કર્યું. 6-7-8 ધોરણ ભણ્યા, ફાઇનલની પરીક્ષા આપી. નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે  પ્રાથમિક-શિક્ષકની નોકરી મળી. પુષ્કળ વાંચન કર્યું, હિન્દી-સ્નાતકની પરીક્ષા અને એસએસસી એક્સટર્નલ ચાલુ નોકરીએ પાસ કરી. 23-24 વર્ષે હાઈસ્કૂલમાં નોકરી મળી. મહેસાણા પાસે ડાંગરવા ગામમાં એન.બી.પંચાલ હાઈસ્કૂલમાં 28 વર્ષ કામ કર્યું. શ્વાસની તકલીફ થતાં છ વર્ષ વહેલી નોકરી છોડી.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

લેખનમાં વધુ સક્રિય થયા. ચાર વાગ્યે ઊઠે, જાતે ચા બનાવે, આઠ વાગ્યા સુધી લેખન કાર્ય ચાલે. પછી ચા-નાસ્તો-છાપુ-મુલાકાત ચાલે. પત્રો લખે, બહારનું  કામકાજ કરે. જમ્યા પછી અનુવાદનું કામ કરે. સાંજે વાંચન-વિચારવાનું-પત્રો લખવાના, થોડું ફરવાનું અને ચાલવાનું. તેમણે 30-35 પુસ્તકો પંજાબી-ગુજરાતી અનુવાદનાં કર્યાં છે. બરનાલામાં પંજાબી પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ માટે તેમનું સન્માન થયું હતું! તેમની હાઈસ્કૂલની પાછળ એક ફૌજીભાઈ રહેવા આવ્યા. તેમને બે બાળકો, બંને તેમની શાળામાં દાખલ થયાં. નાની દીકરી ગુજરાતી શીખી ગઈ અને તેમને પંજાબી શીખવી ગઈ!

શોખના વિષયો : 

લેખન-વાંચનનો ઘણો શોખ. એમાં બધો સમય જાય! સ્કૂલની નોકરી દરમ્યાન ચેસ રમવાનો ભારે ચસકો લાગ્યો. રિસેસમાં પણ સ્ટાફ સાથે ચેસ રમે! સારું પ્રભુત્વ મેળવ્યું  હતું. ભાઈબંધ અમદાવાદ પણ ચેસ રમવા આવતા!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

એકવડો-બાંધો અને માપસરનું વજન. બાળપણથી તબિયત નબળી, શ્વાસની તકલીફ. બે આશ્ચર્ય: તેઓ અત્યાર સુધી જીવ્યા! બાળપણમાં કમળો, 32 વર્ષે ટીબી, શરીર બીમારીનું ઘર! બીજું આશ્ચર્ય: તેઓ લેખક થયા અને આટલાં બધાં પુસ્તકો લખ્યાં! પરિવારમાં કોઈએ પેન પકડી નથી!

યાદગાર પ્રસંગ: 

તેઓ ત્રીજા ધોરણમાં હતા, ઘરની સ્થિતિ નબળી, પુસ્તક લાવી શકે નહીં. શાળામાં દોસ્તારનું પુસ્તક વાપરે. શિક્ષક રોજ કાન આમળે અને ગાળ દે! વાર્ષિક-પરીક્ષામાં સાકળચંદભાઈનો પહેલો નંબર આવ્યો. શિક્ષકના હાથે ઇનામ મળ્યું, આગલા વર્ષનાં પુસ્તકો! એક બળેવે બ્રાહ્મણ અનાજ લેવા આવ્યા, તેમને રાખડી બાંધી પણ ઘરમાં અનાજ નહીં. તેમણે બ્રાહ્મણને કહ્યું: આવતા વર્ષે આવજો! બીજા-વર્ષે ઘણું અનાજ પાક્યું અને બ્રાહ્મણને સુપડે-સૂપડા ભરીને અનાજ આપ્યું! તેઓ આઠમા ધોરણમાં હતા ત્યારે એક જાણીતા લેખકે જાણીતા સાપ્તાહિકમાં વાર્તા લખી, નીચે નોંધ મૂકી:  વાર્તામાં જોડણીની ભૂલ કાઢશે તેને એક ભૂલનો એક આનો આપવામાં આવશે! સાકળચંદભાઈ તો મંડી પડ્યા! તેમણે લગભગ 100 ભૂલો કાઢી સાપ્તાહિકની ઓફિસે મોકલી આપી. સુધારેલી આવૃત્તિની એક કોપી સાકળચંદભાઈને મળી પણ એકે પૈસો આપ્યો નહીં!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

તેઓ રિટાયર થયા ત્યારે કોમ્પ્યુટર હતાં નહીં, એટલે તેઓ બધું જાતે લખતા. હજુ પણ તેમનું લેખન કાર્ય હાથે જ કરે છે. તેમનું માનવું છે કે કોમ્પ્યુટર અને નવી ટેકનોલોજીની જરૂરિયાત છે ખરી પણ વધુ પડતો ઉપયોગ સારો નહીં.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાના જમાનામાં સ્વાર્થ ઓછો હતો, પ્રામાણિકતા વધુ હતી. તેઓ શાળાએથી ઘેર જતા ત્યારે વચ્ચે ખેતરોમાં છોડ-ઝાડ પર ફળો અને શાકભાજી લટકતાં હોય, પણ બીજાના ખેતરમાંથી ચોરીને ખવાય નહીં તેવી માવતરની સલાહ. આજનો માણસ સ્વાર્થી અને સ્વ-કેન્દ્રિત થઈ ગયો છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને 2 દીકરા, 2 દીકરી, 7 પૌત્ર-પૌત્રી અને 3 પ્રપૌત્ર-પ્રપ્રૌત્રી છે. પત્ની પૂરીબહેન તેમને પૂરેપૂરો સહકાર આપે છે. તેઓ નવા-જૂના લેખકોમાં ભેદ રાખતા નથી. નવા લેખકોને પ્રોત્સાહન આપે છે અને ચોપડીઓ માટે પ્રસ્તાવના લખી આપે છે.

સંદેશો :  

હસતાંહસતાં કહે છે: બીજું બધું ભલે થજો, લેખક ન થશો! લેખન કરતાં પ્રુફ-રીડિંગમાં વધુ પૈસા મળે છે! લખવું હોય તો બાળકોને અને સમાજને ઉપયોગી પુસ્તકો લખો, વાચકોને નવી દૃષ્ટિ મળે તેવું લખો, નકલ કરશો નહીં.