Home Blog Page 1387

કંપનીઓનાં Q3નાં નિરાશાજનક પરિણામોએ સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ મોટા ભાગની કંપનીઓનાં સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પ્રતિકૂળ આવતાં ઘરેલુ શેરબજારમાં વેચવાલી થઈ હતી. આ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીએ બળતામાં ઘી હોમ્યું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા હતા.  સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટીને 80,220 અને નિફ્ટી 24,500ની નીચે સરક્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી ચાલુ રહી હતી. રોકાણકારોના રૂ. 9 લાખ કરોડ ડૂબ્યા હતા.

સ્થાનિક બજારમાં સેન્સેક્સ અન્ નિફ્ટી એક ટકાથી વધુ તૂટ્યા હતા.  BSEના બધા ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા. નિફ્ટી 19 ઓગસ્ટનું નીચલું સ્તર તોડ્યું હતું. વિદેશી રોકાણકારો છેલ્લા ઘણા સમયથી ઘરેલુ શેરબજારમાં વેચવાલ રહ્યા છે. તેમણે આ મહિને અત્યાર સુધી રૂ. એક લાખ કરોડથી વધુની વેચવાલી કરી છે. તેમના તરફથી એક મહિનામાં કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી વેચવાલી છે.

દેશની બીજા ક્રમની સૌથી મોટી ઓટો કંપની હ્યુન્ડાઇ લિ.ના શેરો ડિસ્ટાઉન્ટમાં લિસ્ટિંગ થયા હતા. ઇન્ટ્રા-ડે દરમ્યાન કંપનીના શેરોમાં 1.38 કરોડ શેરોનાં કામકાજ થયાં હતાં. કંપનીના શેર રૂ. 1931 પર લિસ્ટ થયા હતા. ત્યાર બાદ ટ્રેડિંગ સેશનના અંતે ત્રણ ટકા તૂટીને બંધ રહ્યા હતા. કંપનીના નિરાશાજનક લિસ્ટિંગથી રોકાણકારો નિરાશ થયા હતા. રોકાણકારોએ બે સેશનમાં રૂ. 13 લાખ કરોડ ગુમાવ્યા હતા.

BSE એક્સચેન્જ પર કુલ 4198 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1906 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2308 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 152 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 223 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 238 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

હૃતિક રોશનની WAR 2માં વધુ એક સુપરસ્ટારની એન્ટ્રી

યશરાજ બેનર હેઠળ બનેલી સ્પાય થ્રિલર વોર વર્ષ 2019માં દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. નજીકના ભવિષ્યમાં આ રિતિક રોશન સ્ટારર ફિલ્મની સિક્વલ આવશે, જેનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. વોર 2 માં તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરની હાજરીને કારણે, ચાહકોની ઉત્તેજના આ ફિલ્મ માટે પહેલેથી જ ચરમસીમા પર છે. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે જાણીને આ ઉત્સુકતા ચોક્કસપણે બમણી થઈ જશે.

એવા સમાચાર છે કે 90ના દાયકાના એક પીઢ સુપરસ્ટાર ડિરેક્ટર અયાન મુખર્જીની વૉર 2માં એન્ટ્રી કરી રહ્યાં છે. જે ફિલ્મમાં પોતાની વિસ્ફોટક એક્શનથી દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે. ખાસ વાત એ છે કે આ અભિનેતાની પાસે એક નહીં પરંતુ બે ફિલ્મો છે જેમાં 500 કરોડથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન છે.

આજના જમાનામાં સિનેમા જગતમાં કેમિયોનું ચલણ ખૂબ જ વધી ગયું છે. જે આગામી સમયમાં યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ વોર 2 માં ચાલુ રહેશે. અહેવાલના આધારે, અભિનેતા શાહરૂખ ખાન હૃતિક રોશનની વોર 2 માં કેમિયો કરી શકે છે. આ ફિલ્મમાં શાહરૂખ પઠાણના અવતારમાં જોવા મળશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વોર 2 ના પોસ્ટ ક્રેડિટ્સમાં તેની ઝલક સ્ક્રીન પર જોવા મળશે. આ સમાચાર સામે આવ્યા બાદ સિનેપ્રેમીઓનો ઉત્સાહ ઘણો વધી ગયો છે. ગયા વર્ષની શરૂઆતમાં શાહરૂખ ખાન સલમાન ખાનની સ્પાય થ્રિલર ટાઇગર 3 માં પઠાણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે શાહરૂખની પઠાણ અને જવાને બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.

જો કે હજુ સુધી આ બાબતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ તેની પુષ્ટિ કરી શકાય છે કારણ કે શાહરૂખ ખાન સિવાય, ટાઇગર 3 માં WARના કબીર અવતારમાં રિતિક રોશનનો પોસ્ટ ક્રેડિટ કેમિયો સીન પણ જોવા મળ્યો હતો.

આ ફિલ્મમાં હૃતિક રોશન ઉપરાંત અભિનેત્રી કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. વોર 2ની રિલીઝ ડેટ પર નજર કરીએ તો એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ વર્ષ 2025માં મોટા પડદા પર ધૂમ મચાવતી જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે અભિનેતા ટાઈગર શ્રોફ યુદ્ધના પહેલા ભાગમાં રિતિક સાથે જોવા મળ્યો હતો.

દેશની અનેક CRPF શાળાઓને મળી બોમ્બની ધમકી

દેશમાં CRPF દ્વારા સંચાલિત ઘણી શાળાઓને બોમ્બની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ પોલીસ ફોર્સ એલર્ટ પર છે અને ધમકીઓની તપાસ કરવામાં આવી રહી છે. જે શાળાઓને ધમકીઓ મળી છે તેમાં બે દિલ્હીમાં અને એક હૈદરાબાદમાં છે. ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં દેશની વિવિધ એરલાઈન્સને પણ બોમ્બની ધમકીઓ મળી રહી છે. જેના કારણે વિવિધ એરલાઈન્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પોલીસે જણાવ્યું કે સ્કૂલ મેનેજમેન્ટને ઈમેલ દ્વારા બોમ્બની આ ધમકીઓ મળી હતી. નોંધનીય છે કે આ ધમકીઓ દિલ્હીના રોહિણી સ્થિત CRPF સ્કૂલની દિવાલ પાસે બોમ્બ વિસ્ફોટના એક દિવસ બાદ મળી હતી. બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આસપાસની દુકાનો અને વાહનોના કાચ તૂટી ગયા હતા. પોલીસ આ બોમ્બની ધમકીઓની તપાસ કરી રહી છે અને હાઈ એલર્ટ પર છે.

દિલ્હી બ્લાસ્ટની તપાસ ખાલિસ્તાન એંગલથી કરવામાં આવી રહી છે

દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટની દિલ્હી પોલીસ ખાલિસ્તાન એંગલથી તપાસ કરી રહી છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર શેર કરાયેલ એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે CRPF સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ ભારતીય એજન્ટો દ્વારા ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસને એક શકમંદ પણ મળી આવ્યો છે, જેની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

૨૪ ઓક્ટોબરે સરકારી કચેરીઓમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસની ઉજવણી

ગાંધીનગર: દર વર્ષે ૨૪મી ઓકટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતમાં ૨૪મી ઓકટોબરે સરકારી કચેરીઓ ઉપર ભારતના રાષ્ટ્રધ્વજની સાથે ધ્વજ સંહિતાની સૂચનાઓ અનુસાર રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવીને ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવ્યાં અનુસાર રાજભવન, ગુજરાત વિધાનસભા અને ગુજરાત હાઇકોર્ટ સિવાય જે પણ સરકારી કચેરીઓ પાસે સંયુક્ત રાષ્ટ્રધ્વજ હોય તે કચેરીઓએ ૨૪મી ઓક્ટોબર ગુરુવારે ભારતના રાષ્ટ્રધ્વજની સાથે તે કચેરી ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો રહેશે.

રાજ્ય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂા.7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 17,700 થી વધુ કર્મચારીઓને લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.

કર્મચારીઓને આ મહિનાનો પગાર પણ વહેલો મળશે

ઉલ્લેખનીય છે કે, આ વખતે દિવાળીના તહેવારો મહિનાના અંતમાં જ આવતા હોય અને કર્મચારીઓ તથા અધિકારીઓના પગાર તા.1 થી 7 વચ્ચે થતાં હોય જેના કારણે કેટલાક કર્મચારીઓ દિવાળીની ખરીદી કરી શકે તેવા શુભ હેતુસર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઓક્ટોબર મહિનાનો પગાર વહેલો ચુકવવા આદેશ આપ્યો હતો.

મહુવા માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશનની જાહેરાત

ભાવનગર: મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. નોંધનીય છે કે 30ઓક્ટોબર થી 05નવેમ્બરના મંગળવાર સુધી તમામ કામકાજ બંધ રહેશે. દિવાળી વેકેશન બાદ 06 નવેમ્બરથી રાબેતા મુજબ તમામ કામગીરી શરૂ કરવામાં આવશે. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી, કપાસ, ચણા, તુવેર, તલ કાળા તેમજ સફેદ જેવી વિવિધ જણસીની આવક નોંધાઈ રહી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી.પી. પંચાણીએ જણાવ્યું હતું કે, “આગામી તારીખ.30/10/2024 ને બુધવાર ધનતેરસથી તારીખ 05/11/2024 મંગળવાર સુધી દિવાળીના તહેવારોને નિમિત્તે મહુવા માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. જેનું ખેડૂત મિત્રોએ તેમજ કમિશન એજન્ટ મિત્રોએ નોંધ લેવા વિનંતી છે. તેમજ આગામી તારીખ 06/11/2024 બુધવાર લાભ પાંચમથી માર્કેટિંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.” આ સાથે જ જણસીની નવી આવકોને તારીખ 05/11/2024 મંગળવારના રોજ સાંજના 4 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ તારીખ 06/11/2024 લાભ પાંચમના દિવસે સવારે 9:30 કલાકે નૂતન વર્ષનું સ્નેહમિલન રાખવામાં આવેલ છે અને તેમાં ખેડૂત ભાઈઓ, વેપારીઓ, મહેતાજી, મજૂરોને ઉપસ્થિત રહેવા માટે પણ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગૌતમ અદાણીએ બિરલા ગ્રુપની સિમેન્ટ કંપની હસ્તગત કરી

અમદાવાદઃ અદાણી ગ્રુપની માલિકીની સિમેન્ટ્સ કંપની અંબુજા સિમેન્ટ્સે રૂ. 8100 કરોડના ઇક્વિટી મૂલ્ય પર ઓરિયેન્ટ સિમેન્ટનું હસ્તાંતરણ કરશે. આ કંપની CK બિરલા ગ્રુપની છે. આ સોદાનું મૂલ્ય પ્રતિ શેર રૂ. 395.4 નિર્ધારિત કરવામાં આવ્યું છે.  

આ હસંતાંતરણ પછી અદાણી સિમેન્ટની કુલ કાર્યકારી ક્ષમતા વાર્ષિક 97.4 MTPA ટન થશે અને માર્ચ 2025 સુધીમાં કંપની તેની ઉત્પાદન ક્ષમતા વધારીને 100 મિલિયન ટન કરશે.

અંબુજા સિમેન્ટે જણાવ્યું હતું કે ઓરિએન્ટ સિમેન્ટના અધિગ્રહણથી અંબુજા સિમેન્ટને દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 8.5 મિલિયન ટન સુધી વધારવામાં મદદ મળશે તેમ જ અદાણી સિમેન્ટનો માર્કેટ શેર બે ટકા વધશે, એમ કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે.

અંબુજા સિમેન્ટ્સે જણાવ્યું હતું કે 2 તબક્કામાં આ હસ્તગત કરશે. અંબુજા સિમેન્ટ OCLના પ્રમોટર્સ પાસેથી 37.9% અને અમુક પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી 8.9% હિસ્સો મેળવશે. આ પછી કંપની 26% હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર શરૂ કરશે. ઓરિએન્ટ સિમેન્ટ સીકે ​​બિરલા ગ્રુપની કંપની છે. આ ડીલ 395.4 રૂપિયા પ્રતિ શેરના ભાવે કરવામાં આવી છે.

સી કે બિરલા ગ્રુપની સિમેન્ટ કંપની ઓરિયેન્ટ સિમેન્ટનું અધિગ્રહણ અંબુજા સિમેન્ટની હાલની હાજરીને વધુ મજબૂત કરશે. આ સોદા પછી ઓપરેશન કોસ્ટ ઘટીને 58 ડોલર પ્રતિ ટન થઈ જશે. જે ગ્રીનફિલ્ડ સેટ-અપ ખર્ચ 110-120 ડોલર પ્રતિ ટન કરતાં ઓછી છે. એક્વિઝિશન ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે, એમ કંપનીએ જણાવ્યું હતું.

 

કૃષ્ણ ભજન, ભારતીય નૃત્ય… રશિયામાં PM મોદીનું શાનદાર સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. પીએમ મોદી રશિયાના કઝાનમાં આયોજિત 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા પહોંચ્યા છે. કઝાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, રશિયન નાગરિકોએ તેમના સન્માનમાં કૃષ્ણ ભજન ગાયું. ઉપરાંત, તાતારસ્તાનના વડા રૂસ્તમ મિન્નીખાનોવે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદી ભારતીય પ્રવાસીઓને મળ્યા, દરેક જગ્યાએ લોકોના હાથમાં ત્રિરંગો જોવા મળ્યો અને પીએમની એક ઝલક જોવા માટે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત હતા. પીએમ મોદીએ અનેક લોકો સાથે હાથ મિલાવ્યા અને બાળકોને આશીર્વાદ આપ્યા. ઘણા લોકો સાથે ફોટોગ્રાફ પણ લીધા. લગભગ 62 હજાર ભારતીય ઇમિગ્રન્ટ્સ રશિયામાં રહે છે.

ભારતીય સંસ્કૃતિ રજૂ કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં કઝાનની હોટેલ કોર્સ્ટન ખાતે ભારતીય સંસ્કૃતિ રજૂ કરવામાં આવી હતી. રશિયન કોમ્યુનિટીના કલાકારોએ ભારતીય વસ્ત્રો પહેરીને નૃત્ય રજૂ કર્યું હતું અને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આજે ભારતની સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પહોંચી રહી છે.

રશિયન નાગરિકોએ ભારતીય કપડાં પહેર્યા

સમગ્ર વિશ્વ ભારતની સંસ્કૃતિને જાણવા અને સમજવા માંગે છે. ભારતીય સંસ્કૃતિના આદરનું એક ખૂબ જ સુંદર ચિત્ર રશિયામાં દેખાયું. રશિયન નાગરિકોએ ભારતીય કપડાં પહેર્યા હતા જ્યારે મહિલાઓ સાડીમાં જોવા મળી હતી. જ્યારે, પુરુષો ખાદીના કુર્તા અને ધોતી પહેરતા હતા. આ તમામ રશિયન નાગરિકોએ કૃષ્ણ ભજન ગાઈને પીએમ મોદીનું દેશમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

BRICS સમિટ શા માટે મહત્વપૂર્ણ છે?

મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના નેતા શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. એવી પણ અપેક્ષા છે કે તેઓ પુતિન અને શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી શકે છે. BRICS ની શરૂઆત બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દ્વારા કરવામાં આવી હતી. આ પછી ઈરાન, ઈજીપ્ત, ઈથોપિયા અને યુએઈ પણ તેમાં જોડાયા.

વિશ્વની આર્થિક નીતિઓ પર અમેરિકાના પ્રભાવને ઘટાડવા માટે ભારત, રશિયા અને ચીને મળીને BRICSની પહેલ કરી. બ્રિક્સના ક્રમશઃ વિસ્તરણને કારણે, એવું માનવામાં આવે છે કે રશિયા અને ચીન બ્રિક્સ દ્વારા એક જોડાણ કરવા માંગે છે જે નાટો અને જી7 સાથે સ્પર્ધા કરી શકે. આ જોડાણનો સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય રાજકીય અને આર્થિક સુરક્ષા છે.

વકફ સુધારા બિલ પર JPC બેઠકમાં ભારે હોબાળો

વકફ સુધારા બિલ પર જેપીસીની બેઠકમાં ફરી હોબાળો થયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કલ્યાણ બેનર્જી અને ભાજપના અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ આક્રમક બન્યા હતા. બોલાચાલી અને અથડામણ વચ્ચે કલ્યાણ બેનર્જીના ટેબલ પર રાખેલી કાચની બોટલ પડી હતી. કલ્યાના બેનર્જીને પણ હાથમાં ઈજા થઈ હતી. જ્યારે સંપૂર્ણ હંગામો થયો ત્યારે ઓડિશાના એક સંગઠનના સભ્યો તેમના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તે સમયે વાસ્તવિકતા, કટક, ઓડિશા અને પંચસખા પ્રચાર બાની મંડળી, કટક, ઓડિશામાં ન્યાયની રજૂઆત ચાલી રહી હતી. કલ્યાણ બેનર્જી ટર્ન લીધા વિના પોતાના વિચારો વ્યક્ત કરવા માંગતા હતા. તેની સાથે ત્રણ વખત વાત થઈ ચૂકી છે અને તે પ્રેઝન્ટેશન દરમિયાન બીજી તક મેળવવા માંગતો હતો. ભાજપના સાંસદ અભિજીત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે કલ્યાણ બેનર્જીએ અભિજિત ગંગોપાધ્યાય વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ બંને પક્ષોએ દાવો કર્યો છે કે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કલ્યાણ બેનર્જીએ ત્યાં રાખેલી કાચની પાણીની બોટલ ઉપાડી ટેબલ પર ફેંકી દીધી અને પોતાને ઈજા પહોંચાડી. ભાજપના સભ્યોનો આરોપ છે કે ત્યાર બાદ કલ્યાણ બેનર્જીએ તૂટેલી બોટલ અધ્યક્ષ તરફ ફેંકી હતી. આ ઘટનાને કારણે થોડીવાર માટે સભા સ્થગિત કરવી પડી હતી.

8 દિવસમાં 120થી વધુ વિમાનોને મળી બોમ્બ હુમલાની ધમકી

નવી દિલ્હી: છેલ્લા 8 દિવસમાં અત્યાર સુધીમાં 120થી વધુ વિમાનોને બોમ્બ હુમલાની ધમકી મળી ચૂકી છે. દેશભરની એરલાઈન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બ હોવાની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત ભારતીય વિમાનોને બોમ્બની ધમકી મળી છે. સોમવારે રાત્રે ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની 30 ફ્લાઈટને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ક્યાંક મુસાફરોને ઉતારવા પડ્યા તો ક્યાંક ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી. આ મામલા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, જેને બોમ્બની ધમકી મળી છે તેમાં ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ સામેલ છે.

વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે પુષ્ટિ કરીએ છીએ કે, 21 ઓક્ટોબર 2024ના રોજ ઓપરેટ થનારી વિસ્તારાની કેટલીક ફ્લાઈટ્સને સોશિયલ મીડિયા પર સુરક્ષા સબંધિત ધમકીઓ મળી છે. અમે તરત જ સંબંધિત અધિકારીઓને એલર્ટ કરી દીધા છે અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી તમામ સલામતી પ્રક્રિયાઓનું પાલન કરી રહ્યા છીએ. વિસ્તારામાં અમારા પેસેન્જર્સ, ક્રૂ અને એરક્રાફ્ટની સલામતી સર્વોચ્ચ મહત્વની છે.