Home Blog Page 1420

વહેલી સવાર સુધી ચાલતા ગરબામાં બે જૂથ વચ્ચે બબાલ, હવામાં ફાયરિંગની ચર્ચા

અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિની ધૂમ ધામ ચાલી રહી છે. ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગરબા દરમિયાન નાના-મોટી બોલાચાલીના પણ સમાચાર સામે આવતા હોય છે. પરંતુ અમદાવાદમાં ગઈકાલે ગરબા દરમિયાન ફાયરિંગ કરવાની ઘટના સામે આવી હતી. સાતમા નોરતે અમદાવાદ શહેરના ગોતા પાસે આવેલા મંડળી ગરબામાં ચાલુ ગરબે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોડી રાત્રિના ગરબા દરમિયાન અચાનક કોઈ બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ થયા બાદ હાજર સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ કરનાર શખ્સને ઘટનાસ્થળેથી રવાના કરી દીધો હતો. આ ઘટના બાદ મંડળી ગરબાને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાં હાજર ગરબા રસિકો ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા હતા.  અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીએ આખી રાત ગરબા રમવાની છૂટ આપી છે, જેથી વહેલી સવાર સુધી ગરબાનું આયોજન થઇ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે 6:15 વાગે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગની ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ શખ્સ બંદૂક લઇને ગરબામાં કેવી રીતે પહોંચ્યો હતો. આ બંદૂક લાઇસન્સવાળી હતી કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થાય છે. હવે જોવાનું એ રહ્યું છે આ ઘટનાને લઇને પોલીસ આયોજન વિરૂદ્ધ કેવા પગલાં લે છે.

હાઈકોર્ટે સરકાર અને પોલીસની કરી ટીકા, FIR પહેલાં તપાસ કેવી રીતે થઈ શકે?

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ સરકાર અને પોલીસનો ઉધડો લીધો છે. વાત એમ છે કે ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની કથિત ફરિયાદ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ બાદ ધારાસભ્યને કલીનચિટ્ આપવામાં આવી હતી. જે બાદ પીડિતા મહિલા તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે જસ્ટિસ નિરલ આર.મહેતાએ ધારાસભ્યને બચાવવાના પોલીસ અને સરકારના થઇ રહેલા પ્રયાસની ભારોભાર ટીકા કરી હતી. આપને જણાવી દઈએ કે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂધ્ધ દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો કરતી અરજી વર્ષ 2021માં ગાંધીનગર પોલીસમથકમાં આપી એફઆઇઆર દાખલ કરવા પોલીસને વિનંતી કરી હતી.

હાઈકોર્ટે પોલીસ સહિત સરકારનો ઉધડો લેતા જણાવ્યું કે, મહિલા બ્લેકમેઇલ કરી રહી હોવાના બહાને તમે ધારાસભ્યનો બચાવ કરો છો..? વળી, દુષ્કર્મના આક્ષેપોનો આ ગંભીર કેસ છે છતાં પોલીસે કેમ ફરિયાદ નોંધી નથી..? અને ફરિયાદ પહેલા તપાસ કેવી રીતે થઈ શકે..? દુષ્કર્મના ગંભીર કેસમાં પોલીસે સૌપ્રથમ તો એફઆઈઆર જ દાખલ કરવી પડે. તેમ કરવાને બદલે પોલીસે ઉલ્ટાનું એફઆઈઆર પહેલાં તપાસ કરી ઇન્કવાયરી બાદ ધારાસભ્યને કલીનચિટ્ પણ આપી દીધી. ધારાસભ્યને બચાવવા માટે એફઆઇઆર પહેલાં તપાસ કેવી રીતે થઈ શકે…? હાઇકોર્ટે આ સમગ્ર મામલે સોમવારે જવાબ રજૂ કરવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો. છેતરપીંડી અને વિશ્વાસઘાતના બનાવમાં પોલીસ પહેલા તપાસ કરે એ સમજી શકાય. પરંતુ પોલીસે આ કેસમાં ગુનાની તપાસ કરવાના બદલે મહિલાના અંગત જીવનની તપાસ કરી છે.

સરકાર પક્ષના વકિલે દલીલ કરતા જણાવ્યું કે, મહિલાને તપાસના કામે નિવેદન માટે ચાર વખત બોલાવાઈ હતી પરંતુ સમાધાનની વાતો ચાલતી હોવાથી તે પોલીસ સમક્ષ હાજર થઈ નહોતી. એ પછી મહિલાએ એફિડેવીટ આપી હતી કે, તેને આ કેસમાં સમાધાન થઇ ગયુ છે અને આગળ વધવુ નથી. જો કે, એક વર્ષ બાદ હવે તે ફરિયાદ કરવાનું કહે છે. મહિલા દ્વારા બ્લેકમેઇલીંગનો આ ત્રીજો પ્રયાસ છે.

CM આતિશીનો બંગલો કેમ સીલ કરાયો?

નવી દિલ્હીઃ દિલ્હીમાં આતિશીના CM બનવા સાથે જ વિવાદ થઈ ગયો છે. તેમના બંગલાને લઈને વિજિલન્સ તરફથી અધિકારીઓને નોટિસ આપવામાં આવી. ત્યાર બાદ PWDના અધિકારીઓએ દિલ્હી CM નિવાસસ્થાનને સીલ કરી દીધું. PDWનો દાવો છે કે ભૂતપૂર્વ CM કેજરીવાલ અને LGની વચ્ચે તકરાર વધી ગઈ છે. PWDનો દાવો છે કે ભૂતપૂર્વ CM કેજરીવાલે બંગલો ખાલી ક્ર્યા પછી ચાવીઓ એને નહોતી સોંપવામાં આવી.

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ઉપરાજ્યપાલ વીકે સકસેનાના આદેશ પર CM આતિશીનો સામાન તેમના સરકારી નિવાસ્થાન- છ ફ્લેગસ્ટાફ રોડથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે.પાર્ટીએ એ પણ દાવો કર્યો છે કે આ પગલું CMના સરકારી નિવાસ્થાને કબજો કરવાની ભાજપની યોજનાનો એક ભાગ છે. દિલ્હી CMOએ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સિવિલ લાઇન્સમાં છ, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત દિલ્હીના CM નિવાસસ્થાનને ભાજપના ઇશારે જબરદસ્તી ખાલી કરાવવામાં આવ્યો, કારણ કે LG વીકે સકસેના એને ભગવા પાર્ટીના કોઈ નેતાને ફાળવવા ઇચ્છતા હતા.

શું છે મામલો?

CM આતિશી પાછલા દિવસોમાં છ, ફ્લેગ સ્ટાફ રોડ બંગલામાં શિફ્ટ થઈ છે. આ બંગલો પહેલાં  CM કેજરીવાલને ફાળવાયો હતો. તેમણે CM પદથી રાજીનામું આપ્યા પછી સરકારી બંગલો ખાલી કરી દીધો છે અને નવા ઘરમાં શિફ્ટ થયા છે. ત્યાર બાદ CM આતિશી એ બંગલામાં રહેવા ચાલ્યાં ગયાં હતાં. દિલ્હીમાં CM સહિત વિધાનસભ્યોને નિવાસ્થાન PWD ફાળવે છે. આવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘર ખાલી કર્યા પછી PWDએ કબજો નહોતો આપ્યો.

CM આતિશીને 17 AB મથુરા રોડ નિવાસ્થાન પહેલાં જ ફાળવાયો હતો. આવામાં તેઓ બે ઘરો પર એકસાથે કબજો ના લઈ શકે. LG ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ તરફથી PWDને ચાવી સોંપ્યા પછી એને કોઈ અન્યને વિધિવત્ ફાળવી શકાય છે. CM આતિશી આ બંગલામાં રહી શકે છે, પરંતુ જરૂરી ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી.

ભાજપે CM નિવાસ્થાનના રિનોવેશનમાં ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં એ તપાસના દાયરામાં છે.

૧૦ ઓક્ટોબર ૨૦૨૪

જંગલ સફારીમાં વાઘ જ્યારે તમારી જીપ થી માત્ર 2ફૂટ દૂર થી પસાર થાય ત્યારે…

મધ્ય ભારતના કાન્હા, બાંધવગઢ, પેંચ કે તાડોબા વગેરે જેવા ટાઈગર રિઝર્વમાં સફારીની મજા જ અલગ છે. હા આ જંગલ સફારીમાં ઘણીવાર વાઘ જોવા ન પણ મળે. તો પણ સફારીમાં જંગલ માણવાનો લહાવો અનેરો હોય છે.

સફારીમાં વાઘ રસ્તા પર ચાલતો જોવા મળે ત્યારે તેને જોવાનો અનુભવ પણ અદભૂત હોય છે. આ જ રસ્તા પર ચાલતો વાઘ સફારી જીપથી 2 ફૂટ દૂરથી પસાર થાય અને ખુલ્લી જીપમાં બેઠેલા પ્રવાસી સામે એક ત્રાંસી નજરથી જોવે ત્યારે રોમાંચ અને ડરનો મિશ્રીત અનુભવ ઘણો જ અદભૂત અને યાદગાર હોય છે.

આવો જ અનુભવ અમે 4 વર્ષ પહેલા ઉનાળામાં કાન્હા નેશનલ પાર્કમાં કર્યો હતો. મુક્કી ઝોનમાં એક નર વાઘ પાણીના એક ખાડામાંથી ઉભો થઈ રોડ પર અમારી જીપ તરફ ચાલીને આવતો હતો. અમે જીપ રિવર્સ કરવા રહ્યા પણ એક જગ્યાએ રસ્તાના વણાંકમાં અમારા સફારી ડ્રાઈવર જીપ રિવર્સ લઈ શક્યા નહીં. આ નર વાઘ અમારી જીપની બાજુમાંથી જ પસાર થયો અને એક બે સેકન્ડ માટે અમારી સામે જોઈને આગળ વઘી ગયો. એ બે સેકન્ડનો રોમાંચ અવિસ્મરણીય હતો.

 

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન

ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાનું બુધવારે નિધન થયું. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે સોમવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમની હાલત ગંભીર હોવાના સમાચાર સામે આવ્યા હતા. બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં, તેમની તબિયત અચાનક બગડતાં, તેમને સઘન સંભાળ એકમ (ICU) માં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી

7 ઓક્ટોબરના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેણે સ્વાસ્થ્યની ચિંતાઓને ‘અફવાઓ’ તરીકે ફગાવી દીધી હતી અને તેના અનુયાયીઓ અને ચાહકોને કહ્યું હતું કે ચિંતા કરવા જેવું કંઈ નથી અને તે વય-સંબંધિત તબીબી પરિસ્થિતિઓ માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યો છે.

 

મારી વય-સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે હું હાલમાં તબીબી તપાસ કરાવી રહ્યો છું. તેણે તેના છેલ્લા ભૂતપૂર્વ પરની પોસ્ટમાં જણાવ્યું હતું. તેણે કહ્યું, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હું સારા મૂડમાં છું. તેમણે જનતા અને મીડિયાને ખોટી માહિતી ફેલાવવા ટાળવા વિનંતી કરી.

રતન ટાટા કયા રોગથી પીડિત હતા?

અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે રતન ટાટાનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે 1991માં ટાટા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને 2012માં તેમની નિવૃત્તિ સુધી ટાટા જૂથનું નેતૃત્વ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન, પીઢ ઉદ્યોગપતિએ 1996માં ટાટા ટેલિસર્વિસિસની સ્થાપના કરી, જેના કારણે જૂથનું ટેલિકોમ્યુનિકેશન્સમાં વિસ્તરણ થયું.

પંચાંગ 10/10/2024

PM મોદીથી લઈને રાહુલ ગાંધી સુધી બધાએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી

ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થયું. તેમણે ભારતની કોર્પોરેટ લેન્ડસ્કેપને બદલી નાખનાર અવિશ્વસનીય વારસો પાછળ છોડી દીધો. તેમના મૃત્યુના સમાચાર ફેલાતા ઉદ્યોગ, રાજકારણ અને રમતગમતના નેતાઓએ દેશ અને વિશ્વ પર તેમની અસાધારણ અસરની ઉજવણી કરીને શ્રદ્ધાંજલિ આપી.

 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સુધારવા માટેની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકોમાં તેમનું સ્થાન મેળવ્યું.

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સુધી તમામે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ તેમને યાદ કર્યા હતા.

રાજનાથ સિંહે શું કહ્યું?

તેમને યાદ કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, રતન ટાટાના નિધનથી હું દુખી છું. તેઓ ભારતીય ઉદ્યોગના દિગ્ગજ હતા જેઓ આપણા અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે રતન ટાટા દૂરંદેશી વ્યક્તિ હતા. તેમણે બિઝનેસ અને પરોપકાર બંને પર અમીટ છાપ છોડી છે. તેમના પરિવાર અને ટાટા સમુદાય પ્રત્યે મારી સંવેદના.

અંબાલાલ પટેલે કરી આગાહી, નવરાત્રિમાં પડી શકે છે વરસાદ

સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો માહોલ બરાબર જામ્યો છે. ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝૂમી રહ્યા છે. ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જો વરસાદ પડશે તો ખેલૈયાની મજા બગડશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 12 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી.

હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. તો બીજી બાજુ ભારે વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં પવનો શરૂ થઈ ગયા છે જેના કારણે થોડીક ઠંડકનો અનુભવ થઈ શકે છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.

વધુમાં અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, 12 ઓક્ટોબર સુધી હવામાનમાં મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થશે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. તો જો આ આગાહી સાચી પડે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની શક્યતા નકારી ન શકાય.

મુન્દ્રા પોર્ટની 25 વર્ષની સ્મૃતિમાં સ્પેશિયલ સ્ટેમ્પ ટિકિટ

અમદાવાદ: અદાણી ઉદ્યોગ સમૂહનું મુખ્ય બંદર અને ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર એવા મુંદ્રા પોર્ટને તેની કામગીરીના સિલ્વર જ્યુબિલી વર્ષના ઉપલક્ષમાં ખાસ પોસ્ટલ સ્ટેમ્પથી સન્માનિત કરવામાં આવ્યું છે. વિશ્વ પોસ્ટ દિવસ નિમિત્તે બહાર પાડવામાં આવેલ આ સ્મૃતિ સ્ટેમ્પ મુન્દ્રા પોર્ટના સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન અને છેલ્લાં 25 વર્ષમાં વૈશ્વિક મેરીટાઇમ પાવરહાઉસમાં તેણે પ્રસ્થાપિત કરેલા પરિવર્તનનના દબદબાને ઉજવે છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણી, અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી, ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર, પ્રાદેશિક મુખ્ય મથકના જનરલ મેનેજર ક્રિષ્ણકુમાર યાદવ અને અન્ય અધિકારીઓની હાજરીમાં સ્ટેમ્પનું વિમોચન કર્યું હતું.ગૌતમ અદાણીએ એક સમયે ઉજ્જડ અને વેરાન ભાસતાં મુન્દ્રા બંદરને પોતાની આગવી કોઠા સુઝથી વિકસાવીને નિર્માણ કરવા સાથે તેને સતત વિસ્તારતા રહ્યા. પરિણામે મુન્દ્રા પોર્ટ આજે ઝડપથી મુખ્ય વ્યાપારી હબ અને ભારત માટે મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. દ્વારા સંચાલિત મુન્દ્રા બંદરની એક જ જેટીથી શરુ થયેલી વિકાસ યાત્રાના પરિણામ સ્વરુપ આજે તે વૈશ્વિક શિપિંગ હબમાં વિકસિત થવા સાથે ભારતને વિશ્વ સાથે જોડવા ઉપરાંત દેશના અંતરિયાળ વિસ્તારના નોંધપાત્ર ભાગને પણ બંદરીય સેવા આપે છે.

ગુજરાત અને ભારત બંને માટે આર્થિક વિકાસનું મહત્ત્વપૂર્ણ પ્રેરક બની રહેલું મુન્દ્રા પોર્ટે 1998ના વર્ષથી રાજ્ય અને રાષ્ટ્રીય તિજોરીમાં રુ. 2.25 લાખ કરોડથી વધુની માતબર રકમનું યોગદાન આપ્યું છે, આ પોર્ટે અત્યાર સુધીમાં 7.5 કરોડથી વધુ માનવ-દિન રોજગારીનું સર્જન કરવા સાથે રુ.70,000 કરોડથી વધુનું રોકાણ આકર્ષિત કર્યું છે. મુંદ્રા પોર્ટ હાલમાં ભારતના દરિયાઈ કાર્ગોના લગભગ 11% અને દેશના કન્ટેનર ટ્રાફિકના 33%નું સંચાલન કરે છે. જ્યારે સામાજિક ક્ષેત્રમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પોર્ટની સામુદાયિક સહાયતાની કરવામાં આવેલ પહેલ 61 ગામો સુધી પહોંચી છે જેનો લાભ સાડા ત્રણ લાખથી વધુ લોકોને મળ્યો છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) ના મેનેજીંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “આ સ્મૃતિ ટપાલ ટિકિટ માત્ર મુન્દ્રા પોર્ટના વારસાને જ નહીં, પરંતુ ગુજરાતના લોકો સાથેની વિશ્વાસની અમારી ભાગીદારી અને રાજ્ય સરકારની સહાયક પ્રોત્સાહક નીતિઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.”

ઈન્ડિયા પોસ્ટ દ્વારા જારી કરાયેલ સ્મૃતિ ટપાલ ટિકિટનું શીર્ષક “25 વર્ષ પ્રગતિ – મુન્દ્રા પોર્ટ” છે અને તેમાં મુન્દ્રા પોર્ટના પરિવર્તનનું વિઝ્યુઅલ વર્ણન છે. 12 સ્ટેમ્પને સમાવતી સ્ટેમ્પ શીટ ઈન્ડિયા પોસ્ટ દ્વારા APSEZની સાથે મળીને તૈયાર કરવામાં આવી હતી. હૈદરાબાદમાં સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસમાં કુલ 60,000 સ્ટેમ્પ સાથે 5,000 સ્ટેમ્પ શીટ્સ છાપવામાં આવી છે. આ સ્ટેમ્પ ઈન્ડિયા પોસ્ટના ઈપોર્ટલ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.

મુંદ્રા પોર્ટ સ્મૃતિ ટીકીટ ઉપરાંત ઈન્ડિયા પોસ્ટે ખાસ કવર અને સ્ટેમ્પ રદ કરવાની પ્રક્રિયા પણ પ્રસ્તુત કરી છે. નવી દિલ્હીના નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમમાં સ્ટેમ્પ શીટની નકલ પણ કાયમી ધોરણે પ્રદર્શિત કરવામાં આવશે.