Home Blog Page 1428

ગુજરાતના ટ્રાફિક જવાનો ઉતર્યા હડતાલ પર

અમદાવાદ: ગુજરાતમાં ફરજ બજાવતા ટીઆરબી ટ્રાફિક જવાનો આજથી હડતાળ પર ઉતરી ગયા છે. વેતનમાં વધારો કરવાની માંગ સાથે જવાનો હડતાળ પર ઉતરી જતા શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. અમદાવાદના વાડજ તેમજ આરટીઓ સહિતના માર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા લોકોને હેરાનગતિ થઈ રહી છે.

અમદાવાદમાં પાછલા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. શહેરના ગાંધી આશ્રમ રોડ પર વાહનોની અવર-જવર રહેતી હોય છે. જ્યારે ટ્રાફિક જવાનો હડતાલ પર ઉતરતા ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. ઓફિસ જવાના સમયે ટ્રાફિક વધતા શહેરીજનો હેરાન થઈ ગયા છે. ગુજરાતભરમાં ટીઆરબી જવાનો હડતાળ પર ઉતર્યા છે,આ ટીઆરબી જવાનોની માગ પગાર વધારાની છે. હાલમાં તેઓને રૂપિયા 300નું રોજ લેખે વેતન આપવામાં આવે છે. પરંતુ તેમની માગ છે કે 500 રૂપિયા વેતન આપવામાં આવે જેને લઈ હડતાળ પર ઉતરી ગયા છે. જેને કારણે રાજ્યની ટ્રાફિક વ્યવસ્થા પર મોટા પાયે અસર થઈ છે. શહેરની ટ્રાફિક પોલીસ આ વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે જેના કારણે ટ્રાફિક સમસ્યાનું સર્જન થયું છે.

આ હડતાળમાં રાજ્યભરના 6000થી વધુ ટીઆરબી જવાનો હડતાળમાં જોડાયા છે. જેમાં અમદાવાદના 1600 જેટલા જવાનો પણ સામેલ છે. નોંધનીય વાત એ છે કે, ટીઆરબી જવાનોએ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવવી બંધ કરીને, હડતાળ તરીકે રાજ્યના વિવિધ સ્થળોએ ભેગા થવાનું નક્કી કર્યું છે. હડતાળના ભાગરૂપે અમદાવાદમાં ટીઆરબી જવાનો કલેક્ટર કચેરીએ મોરચો કાઢશે અને આવેદનપત્ર પણ આપી શકે છે.

કરાચી એરપોર્ટની બહાર ધડાકોઃ બે ચાઇનીઝ નાગરિકોનાં મોત

કરાચીઃ પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર રવિવારે મોડી રાત્રે થયેલા બ્લાસ્ટમાં બે લોકોનાં મોત થયા છે અને ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મોત અને ઘાયલોની સંખ્યા વધવાની આશંકા છે. પોલીસ અને પ્રાંતીય સરકારના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટની બહાર એક ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો.

ચીની એમ્બેસીએ જણાવ્યું હતું કે અનેક પાકિસ્તાની કર્મચારીઓ માર્યા ગયા છે. કુલ મોતની સંખ્યા હજી  બહાર નથી આવી. આ વિસ્ફોટ સિંધ પ્રાંતમાં વીજ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા ચાઇનીઝ એન્જિનિયરોના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. અલગાવવાદી ઉગ્રવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA)એ આ હુમલાની જવાદારી લીધી હતી.

પ્રાંતીય ગૃહ મંત્રી ઝિયા ઉલ હસને જણાવ્યું કે આ હુમલો વિદેશીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે હુમલો ચીની નાગરિકો પર કરવામાં આવ્યો હતો, જેમાંથી એક ઘાયલ થયો હતો. પાકિસ્તાનમાં હજારો ચીની કામદારો છે, જેમાંથી મોટા ભાગના બીજિંગના અબજ ડોલરના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે, જે દક્ષિણ અને મધ્ય એશિયાને ચીનની રાજધાની બીજિંગ સાથે જોડે છે.આ બ્લાસ્ટ બાદ એરપોર્ટની બહારથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઈસ્ટ અઝફર મહેસરે પત્રકારોને જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે તે ઓઈલ ટેન્કર વિસ્ફોટ હતો. તેમણે કહ્યું હતું  કે અમે વિસ્ફોટની પ્રકૃતિ અને કારણ શોધી રહ્યા છીએ.

આ વિસ્ફોટમાં વિદેશી નાગરિકોને લઈ જતી પોલીસ વાહનને પણ નુકસાન થયું હતું. સળગતા વાહનોથી લોકો ભાગવા લાગ્યા હતા. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકનાં વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં 10 વાહનોને નુકસાન થયું હતું, જેમાંથી ચાર વાહનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયાં હતાં.

મુંબઈમાં આજથી અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવાનો શુભારંભ

મુંબઈ: મેટ્રો-3નો પ્રથમ તબક્કો સામાન્ય મુસાફરો માટે સોમવાર એટલે કે આજથી શરૂ થશે. મુંબઈમાં પ્રથમ વખત અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવા ઉપલબ્ધ થઈ છે. તે સામાન્ય મુસાફરો માટે કાર્યરત થવાની છે. મેટ્રોની નિયમિત સેવા સોમવારથી શનિવાર સુધી સવારે 6.30 થી 22.30 સુધી રહેશે. જ્યારે દર રવિવારે આ સેવા સવારે 8.30 થી 22.30 સુધી કાર્યરત રહેશે.

ભાડું અને ટાઈમ ટેબલ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આરે અને BKC વચ્ચે મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. 12.5 કિમીના રૂટ પર મેટ્રો સેવા શરૂ થવાથી આરેથી બીકેસી સુધીની મુસાફરી માત્ર 22.30 મિનિટમાં પૂર્ણ કરવી શક્ય બનશે. હાલમાં આ યાત્રા પૂર્ણ કરવામાં એક કલાક જેટલો સમય લાગે છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 12.5 કિલોમીટરના રૂટ પર 10 સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. સવારે 6.30 થી 10.30 વાગ્યા સુધી મુસાફરો માટે મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. તે દરરોજ 96 ટ્રિપ્સનું સંચાલન કરશે. આરે અને BKC વચ્ચે મુસાફરોએ 10 થી 50 રૂપિયા ખર્ચવા પડશે.

મેટ્રો દરરોજ 96 ટ્રીપ કરશે
મેટ્રો આ રૂટ પર દરરોજ કુલ 96 ટ્રીપ કરશે. MMRCL અધિકારીઓ અપેક્ષા રાખે છે કે આઠ કોચવાળી દરેક ટ્રેન 2,500 મુસાફરોને લઈ જશે, જ્યારે બે મેટ્રો ટ્રેન વચ્ચે મુસાફરીનો સમય 6.40 મિનિટનો રહેશે. મેટ્રો અધિકારીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં મુસાફરોને QR કોડ સાથે પેપર ટિકિટ આપવામાં આવશે, જ્યારે NCMC કાર્ડ્સ ધીમે ધીમે સક્રિય કરવામાં આવશે.

રતન ટાટાની તબિયત લથડી, ICUમાં દાખલ

મુંબઈ: જાણીતા બિઝનેસમેન રતન ટાટાની તબિયત લથડતાં તેમને મુંબઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાની તબિયત લથડી છે અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટા 86 વર્ષના છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

વડોદરા ગેંગરેપ મામલો: 36 કલાક બાદ પોલીસ આરોપીની ઓળખ કરવામાં નિષ્ફળ

વડોદરા: નવરાત્રિના પાવન પર્વ પર  વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બીજા નોરતે એટલે 4 ઓક્ટોબરે એક સગીરા તેના મિત્ર મળવા અવાવરુ જગ્યા પર ગઈ હતી, ત્યારે ત્રણ નરાધર્મોએ પિડીતાના મિત્રને બાથમાં લઈ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાયલી પાસેની અવાવરું જગ્યા પર મિત્ર સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ મોબાઈલ રાત્રે 1:30 વાગ્યા સુધી ચાલુ હતો. જ્યારે ફોનના લોકેશનની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ ફોનનું છેલ્લુ લોકેશન આટલાદરા વિસ્તાર હતું. જ્યારે દીકરી ઘરેના આવતા માતાએ તેના મોબાઈલ પર સતત ફોન કર્યા હતા. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. આખી વાત એમ છે કે, વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે ત્રણ લોકો સામે સામાન્ય બોલાચાલી બાદ ત્રણ માંથી એક યુવકે પીડિતાના મિત્રને બાથમાં ફરી જકડી રાખ્યો હતો. જે બાદ બાકી નરાધમોએ સગીરાના પોતાની હવસનો સિકાર બનાવ્યો હતો. આરોપીઓ સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા.

તાલુકા પોલીસે બનાવની ગંભીરતા જોતા તરત તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો અને પીડિતાનું મેડિકલ ટેસ્ટ કરાવી ઘટના સ્થળે FSL સાથે તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ માટે આ કેસ ખુબ ચેલેન્જિંગ હોય જિલ્લા પોલીસે શહેર પોલીસની પણ મદદ લીધી હતી અને અલગ અલગ ટિમો બનાવી નરાધમોને ઝડપી પાડવા આસપાસના હજારો સીસીટીવી ફૂટેજ ખુંદી નાખ્યા પરંતુ પોલીસના હાથે કોઈ સુરાગ હાથ લાગ્યો ના હતો અને બનાવના 36 કલાક બાદ પણ પોલીસ નરાધમોની ઓળખ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે.

મની લોન્ડરિંગ કેસમાં AAP સાંસદ સંજીવ અરોડાને ત્યાં દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પંજાબના જલંધરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજીવ અરોડાના નિવાસસ્થાને છેતરપિંડીવાળા જમીન લેવડદેવડથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા છે. અરોડા એ ખાનગી વ્યવસાયના માલિક છે, એમ EDનાં સૂત્રોએ જણાવ્યું હતું.

મની લોન્ડરિંગ કેસ (PMLA) હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. તેમનો સંબંધ છેતરપિંડીના એક મામલાથી જોડાયેલો છે. તેમણે છેતરપિંડીના માધ્યમથી કંપનીને જમીન ટ્રાન્સફર કરી હતી. તેમના લુધિયાણા નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. પંજાબના 61 વર્ષીય આપ સાંસદના હરિયાણાના ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાને તપાસ જારી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

EDએ સોમવારે સવારે આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાના ઘરે દરોડા પાડ્યા હતા, એમ AAP નેતા મનીષ સિસોદિયાએ માહિતી આપી હતી.

મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે આજે ફરી મોદીજીએ તેમના પોપટ-મેનાને મુક્ત કરી દીધા છે. આજે સવારથી EDના અધિકારીઓ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોડાના ઘરે દરોડા પાડી રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં તેમણે અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડ્યા, મારા ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા, સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા. ક્યાંય કશું મળ્યું ન હતું, પરંતુ મોદીજીની એજન્સીઓ એક પછી એક ખોટા કેસો બનાવવામાં વ્યસ્ત છે.આ લોકો આમ આદમી પાર્ટીને તોડવા માટે કોઈ પણ હદ સુધી જશે. પરંતુ તેઓ ગમે તેટલી કોશિશ કરે, આમ આદમી પાર્ટીના લોકો ન તો અટકશે, ન તો વેચાઈ જશે, ન ડરશે. આપ સાસંદ સંજય સિંહે પણ દરોડાને લઈને કેન્દ્ર પર હુમલો કર્યો હતો.

 

૦૭ ઓક્ટોબર ૨૦૨૪

પંચાંગ 07/10/2024

ઈરાનનો મેગા પ્લાન, ઈઝરાયેલ તૈયાર, આવતીકાલે નવા જૂનીના એંધાણ

ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલ છોડવી ઈરાન માટે મોંઘી સાબિત થઈ છે. આ હુમલાની ઈઝરાયેલ પર કોઈ અસર થઈ ન હતી, તેઓએ લેબનોન પર તેમના હુમલા ચાલુ રાખ્યા હતા. ઈરાનના હુમલા બાદ પણ ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા કમાન્ડર અને નસરાલ્લાહના પિતરાઈ ભાઈ હાશેમને પણ મારી નાખ્યો હતો. એટલું જ નહીં, હમાસ વિરુદ્ધ સતત ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલ સહેજ પણ પીછેહઠ કરવા તૈયાર નથી.

હુમલા બાદ જ ઈઝરાયેલની સેના ADFએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે તે ચોક્કસ બદલો લેશે, પરંતુ સમય અને તારીખ ઈઝરાયેલ પોતે જ નક્કી કરશે. એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલ 7 ઓક્ટોબરે ઈરાન પર સંપૂર્ણ તાકાત સાથે મોટો હુમલો કરી શકે છે, જેથી ઈરાનને મહત્તમ નુકસાન થઈ શકે. ઈઝરાયેલ પર હુમલાને 5 દિવસ વીતી ગયા છે. દરમિયાન, તે એક મોટો વળતો હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે.

ઈઝરાયેલ મોટા હુમલાની તૈયારી

આના પર નેતન્યાહુએ એક વીડિયો જાહેર કરીને ઈરાનના સર્વોચ્ચ નેતાને ખુલ્લેઆમ ધમકી આપી હતી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે F-35 ફાઈટર જેટ પણ ઈરાન બોર્ડર પાસે જોવા મળ્યા હતા. ઈઝરાયલી દળો ઈરાન પર હુમલો કરવા માટે રેડ ટુ એટેક મોડમાં છે. પર્સિયન ગલ્ફમાં ચાર F-35 ફાઈટર જેટ ઉડતા જોવા મળ્યા હતા. આ હુમલામાં ઈરાનને વધુ નુકસાન પહોંચાડવા માટે ઈઝરાયેલ તેમના તેલના ભંડાર પર જ હુમલો કરી શકે છે. આનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઈરાનની અર્થવ્યવસ્થા પર પણ મોટી અસર પડશે.

7 ઓક્ટોબરે હુમલો કેમ થઈ શકે?

આ હુમલો 7 ઓક્ટોબરે પણ થઈ શકે છે કારણ કે તે જ દિવસે હમાસે પણ ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો અને ઘણા નાગરિકોને બંધક બનાવ્યા હતા. આ દિવસથી જ હમાસ અને ઈઝરાયેલ બંને વચ્ચે ભીષણ યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ઇઝરાયેલ જવાબી કાર્યવાહી કરવા માટે આ દિવસની રાહ જોઈ રહ્યું હતું. આ એક મોટું કારણ છે કે ઈરાનમાં હજુ સુધી કોઈ જવાબી કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ ઈઝરાયેલ સતત ચેતવણીઓ આપી રહ્યું છે.

જો કે, અમેરિકાએ ઈઝરાયેલને ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો ન કરવાનું સૂચન કર્યું છે. જો કે અમેરિકા એ પણ કહે છે કે ઈઝરાયેલ ક્યારે અને ક્યાંથી હુમલો કરશે તે તેઓ જાણતા નથી. જો કે, એવું માનવામાં આવે છે કે જે રીતે ઇઝરાયેલે યમનના હુથીઓ પર હુમલો કર્યો હતો અને તેમના તેલના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા તે જ રીતે ઇઝરાયેલ અહીં પણ ભારે બોમ્બમારો કરવા તૈયાર છે.

રાજ્યના 60 હજારથી વધુ સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં વર્ષ 2005 પહેલાંથી ફરજ બજાવતા 60 હજારથી વધુ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને જૂની પેન્શન યોજનો લાભ આપવામાં આવશે. મંત્રી મંડળની બેઠક બાદ આ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તે સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી, જેના પરિણામે આજે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું આજે સુખદ સમાધાન આવ્યું અને આ મહત્વના નિર્ણયો લેવાયા છે.

નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક મેળવનાર કર્મચારીઓની નિમણૂંક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃતિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં, તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાહેધરી પણ આપી હતી, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેમના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના આવા ૬૦ હજારથી વધુ કર્મચારીઓને આપવાનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.

કોને મળશે લાભ ?

રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૦૫ પછી થઇ હોય અથવા તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. ૦૧/૦૪/૨૦૦૫ પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત ૬૦,૨૪૫ જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વધારાના શું લાભ મળવા પાત્ર રહેશે ?

વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ તેમજ વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝીક પગારના ૫ કે ૧૦ ટકા આપવામાં આવે છે, તેને સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવે, મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વયનિવૃતિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.

વાર્ષિક રૂ.200 કરોડથી વધુનું ભારણ થશે

મુખ્યમંત્રીની આગેવાની હેઠળ કેબીનેટ બેઠકમાં ઉપરોક્ત તમામ માંગણીઓને સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે. જેનો વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. સરકારી કર્મચારીઓના હિતમાં સ્વીકાર કરાયેલા જુની પેમુન્શન યોજના સિવાયના નિર્ણયોમા રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક આશરે રૂ. ૨૦૦ કરોડથી વધુની રકમનું ભારણ પડશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.