નવી દિલ્હીઃ આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવતાં જ રાજકીય નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ અને કડવી ભાષાનો ઉપયોગ વધ્યો છે. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ‘પાગલ’ કહીને નિશાન બનાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના સીએમને ‘કન્ટ્રોલ’ કરે છે એવા રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં સરમાએ કહ્યું હતું કે સરકાર તો દિલ્હીમાથી જ ચાલશે. દિસપુર અને દિલ્હી સાથે જોડાશે ત્યારે જ ડબલ એન્જિનની સરકાર બનશે. તે પાગલ છે. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે આસામમાં જનજાતિઓને સમાન નાગરિક સંહિતા (UCC)ના દાયરાથી બહાર રાખવામાં આવશે.
‘ટ્રમ્પ મોદીને કન્ટ્રોલ કરે છે’ -રાહુલનો આરોપ
જોરહાટમાં ચૂંટણીસભાને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ મોદીને આદેશ આપે છે અને મોદી કંઈ બોલતા નથી. મોદીને ખબર છે કે તેમનું રાજકીય ભવિષ્ય ટ્રમ્પના હાથમાં છે. ટ્રમ્પ મોદીને નિયંત્રિત કરે છે. જો ટ્રમ્પ મોદીને કૂદવા કહે તો મોદી પૂછશે કે કેટલું અંતર કૂદવું અને પછી કૂદવા લાગી જશે, કારણ કે મોદી પર ટ્રમ્પનું નિયંત્રણ છે.
રાજ્યમાં UCC લાગુ થશે — PM મોદી
લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ આરોપ લગાવ્યો હતો કે આસામના સીએમ પર પણ મોદીની અસર છે, કારણ કે સરમાના “ભ્રષ્ટાચાર અને ગુનાઓ” વિશે મોદીને જાણ છે. રાજ્યમાં UCC લાગુ કરવાની બાબતે સરમાએ કહ્યું હતું કે જનજાતિઓને તેમાંથી બહાર રાખવામાં આવશે. ગોગામુખમાં યોજાયેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં UCC લાગુ કરવામાં આવશે અને આસામની ઓળખ જાળવનારી છઠ્ઠી અનુસૂચિ તથા જનજાતીય પરંપરાઓનું સંરક્ષણ કરવામાં આવશે.
સત્તાના વિકેન્દ્રીકરણમાં અમારો વિશ્વાસ — રાહુલ ગાંધી
તાજેતરમાં કાર્બી આંગલોંગ જિલ્લાના બોકાજાનમાં યોજાયેલી ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તાના વિકેન્દ્રીકરણમાં વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું હતું કે આ વિસ્તારનું શાસન સ્થાનિક નેતાઓ દ્વારા થવું જોઈએ, દિલ્હી અથવા ગૌહાટીના અધિકારીઓ દ્વારા નહીં. તેમણે ભાર મૂક્યો હતો કે સાચો બદલાવ તળિયાના સ્તરથી જ આવે છે. એ સાથે જ ભાજપ પર દિલ્હીમાથી રાજ્ય ચલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.










બંગાળમાં મુઘલ કાળ દરમિયાન પ્રશાસન અને સેનામાં ફારસી અને ઉર્દૂ ભાષાનો પ્રભાવ રહ્યો હતો. ભારતના વિભાજન બાદ પૂર્વી પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) અને અન્ય વિસ્તારોમાંથી આવેલા મુસ્લિમ સમુદાયને કારણે વિસ્તારમાં ઉર્દૂનો ઉપયોગ ચાલુ રહ્યો છે.





અમેરિકન ફાઇટર જેટ પડ્યા બાદ ટ્રમ્પે કહ્યું, “અમે યુદ્ધમાં છીએ”
વોશિંગ્ટનઃ મધ્ય-પૂર્વમાં અમેરિકન સૈન્ય વિમાનો સાથે જોડાયેલી બે ઘટનાઓ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે એક અમેરિકન ફાઇટર જેટને મારવામાં આવ્યા છતાં ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર નહીં પડે. આ ઘટનાથી ચર્ચાઓમાં અવરોધ આવશે તેવી આશંકાને નકારી કાઢતાં તેમણે કહ્યું હતું કે ના, બિલકુલ નહીં. નહીં, આ યુદ્ધ છે. અમે યુદ્ધમાં છીએ. યુદ્ધ દરમિયાન અમેરિકન વિમાન નષ્ટ થવાની ઘટનાને લઈને રાષ્ટ્રપતિની આ પ્રથમ જાહેર પ્રતિક્રિયા છે, ત્યારે સૈન્ય કાર્યવાહી અને રાજદ્વારી પ્રયાસો બંને સાથે-સાથે ચાલી રહ્યા છે.
ટ્રમ્પે મામલાની સંવેદનશીલતા બતાવતાં “સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન” અંગે વિગતવાર માહિતી આપવા ઈનકાર કર્યો અને જટિલ અને સક્રિય સૈન્ય અભિયાન અંગે મિડિયા રિપોર્ટિંગ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.
ઈરાનનો દાવો — અમેરિકન વિમાનને માર્યું
આ રાજદ્વારી તણાવ વચ્ચે તહેરાને પોતાના સૈન્ય દાવાઓ વધુ તેજ કર્યા છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ જલડમરુમધ્ય નજીક એક અમેરિકન A-10 વિમાનને પાડી દીધું છે. રિપોર્ટ મુજબ વિમાનને વ્યૂહાત્મક જળમાર્ગના દક્ષિણ અને આસપાસના જળક્ષેત્રમાં નિશાન બનાવવામાં આવ્યું હતું, જોકે આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. A-10 અમેરિકાનું ગ્રાઉન્ડ-એટેક વિમાન છે, જે જમીન પર લડી રહેલા દુશ્મન સામે ક્લોઝ એર સપોર્ટ મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
અન્ય ઘટના — ક્રૂ સભ્યને બચાવવામાં આવ્યો
આ સાથે, ઈરાન ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયેલા અમેરિકન ફાઇટર જેટમાંથી એક ક્રૂ સભ્યને અમેરિકન સેનાએ સફળતાપૂર્વક બચાવી લીધો છે. જણાવવામાં આવે છે કે તે વ્યક્તિ જીવિત છે, અમેરિકન કસ્ટડીમાં છે અને તેની તબીબી સારવાર ચાલી રહી છે.
એક ક્રૂ સભ્યને બચાવવામાં આવ્યો હોવા છતાં, બીજા સભ્યનું શું થયું તે હજી સ્પષ્ટ નથી, કારણ કે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. ટેક્નિકલ માહિતી મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાન F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઇટર જેટ હતું, જેને સામાન્ય રીતે બે લોકોની ટીમ ચલાવે છે.