Home Blog Page 1449

હવે અયોધ્યાના રામલલ્લાના પ્રસાદના નમૂના તપાસ માટે મોકલાયા

અયોધ્યાઃ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં મિલાવટને લઈને દેશમાં વિવાદ થઈ રહ્યો છે, ત્યારે દેશનાં તમામ મોટા મંદિરો છાસ પણ ફૂંકી-ફૂંકીને પી રહ્યા છે. તિરુપતિ પ્રસાદમાં માંસના મિલાવટનો મામલો સામે આવ્યો છે, ત્યારથી લોકો દેશનાં તમમ મંદિરોના પ્રસાદની તપાસની માગ થઈ રહી છે.

અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી રહેલા ઇલાયચીના દાણાના નમૂના તપાસ માટે ઝાંસીની એક સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અયોધ્યા સ્થિત રામ મદિરમાં ભગવાન શ્રીરામને ઇલાયચી દાણાનો પ્રસાદ ધરાવાય છે અને એ પછી એને ભક્તોને વહેંચવામાં આવે છે.

મદદનીશ ફૂડ કમિશનરે માહિતી આપતાં જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવતો ઇલાયચી દાણાના નમૂનાનો પ્રસાદ ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વહીવટી વિભાગ દ્વારા જમા કરાવવામાં આવ્યો છે. એને ટેસ્ટિંગ માટે ઝાંસી મોકલવામાં આવ્યો હતો.

રામ મંદિર ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે સરેરાશ પ્રતિ દિન પ્રસાદ તરીકે ઇલાયચીના દાણાના 80,000 પેકેટ વિતરિત કરવામાં આવે છે. મદદનીશ ખાદ્ય કમિશનર માનિક ચંદ સિંહે કહ્યું હતું કે IGRSના માધ્યમથી નોંદાયેલી ફરિયાદ પછી હૈદરગંજમાંથી નમૂના ખરીદવામાં આવ્યા હતા, જ્યાં ઇલાયચીના દાણાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ નમૂનાના વ્યાપક પરીક્ષણ અને મૂલ્યાંકન માટે ઝાંસી રાજ્યની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે બહારની એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા પ્રસાદ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. તેમણે મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીની શુદ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ પ્રસાદ મંદિરના પૂજારીઓની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે? મુખ્ય ચૂંટણી કમિશનરે કરી જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ જાહેરાત કરી છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા પંચની ટીમ મહારાષ્ટ્રના પ્રવાસે છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 26મી નવેમ્બર સુધીમાં યોજાશે.

Hajipur: An election official marks a voter’s finger with the indelible ink during the 5th Phase of General Elections-2024, Hajipur, Monday, May 20, 2024.(IANS)

ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા કરી હતી
કેન્દ્રીય ચૂંટણી પંચની પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ચૂંટણી પંચની ટીમ ત્રણ દિવસના પ્રવાસ પર છે. આ સમયગાળા દરમિયાન પંચે વિધાનસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને અધિકારીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ આ માંગણી કરી હતી
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ દરમિયાન તેઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા અને તેઓએ અમને દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવા જણાવ્યું હતું. રાજકીય પક્ષોએ અધિકારીઓની બદલીમાં પારદર્શિતાની માંગ કરી હતી અને 17Cની જોગવાઈની પણ માંગ કરી હતી. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 17Cની નકલ પોલિંગ એજન્ટને આપવામાં આવશે. કોઈ ખોટા અને ભ્રામક સમાચાર ન ફેલાવે તે માટે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવાની રહેશે.

કેટલા મતદારો, કેટલા બૂથ?
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે મહારાષ્ટ્રમાં કુલ મતદારો 9.59 કરોડ છે. મતદાન મથકોની કુલ સંખ્યા 1,00,186 (એક લાખ 186) છે. શહેરી વિસ્તારોમાં 42,585 બૂથ છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 57,601 બૂથ છે. જે વરિષ્ઠ નાગરિકો ઘરેથી મતદાન કરવા મતદાન મથક પર ન આવી શકે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવશે. અમારે હેલિકોપ્ટર દ્વારા જવું પડશે તો પણ અમે જઈશું. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે 90 મિનિટમાં સમસ્યાનો ઉકેલ લાવીશું

ફોજદારી કેસોની માહિતી અખબારમાં આપવાની રહેશે
મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે જે ઉમેદવારો સામે અપરાધિક મામલા છે તેઓએ અખબારમાં ત્રણ વખત તે કેસોની માહિતી આપવી પડશે. રાજકીય પક્ષોએ પેપરમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિને ટિકિટ આપવા અંગેની માહિતી પણ આપવી પડશે અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિને ટિકિટ શા માટે આપવામાં આવી રહી છે તે સમજાવવું પડશે. અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ કેમ ન અપાઈ? આ અંગે જનતાને જાણ થવી જોઈએ. તેમણે કહ્યું કે ડ્રગ્સ અને દારૂના સપ્લાય પર ચાંપતી નજર રાખવી પડશે.

તહેવારોને લઈ રેલવે વિભાગ દોડાવશે 6 હજાર ખાસ ટ્રેન

તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. ત્યારે લોકો પોતાના માદરે વતન પરત જવા માટે પડા પડી કરતા હોય છે. ત્યારે ભારતીય રેલવે વિભાગે તહેવારોને ધ્યાને રાખી 6 હજાર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને રેલવે વિભાગે અમદાવાદથી ઉપડનારી ટ્રોનોની યાદી બહાર પાડી છે. અમદાવાદથી બિહાર જવા માટે પશ્ચિમ વિભાગ દ્વારા અઠવાડિયામાં બે ટ્રેનો મુકવામાં આવી છે. જેમાં વિશેષ ભાડા સાથે અમદાવાદ-દાનાપુર-અમદાવાદ અને સાબરમતી-સીતામઢી-અમદાવાદ રૂટની સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે.

સ્પેશયલ ટ્રેનનું ટાઈમ ટેબલ

અમદાવાદ-દાનાપુર 09457 સ્પેશિયલ ટ્રેન આગામી 6 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર રવિવારે સવારે અમદાવાદથી 8:25 વાગ્યે ઉપડશે અને 25 તારીખે બપોરે 3 વાગ્યે દાનાપુર બિહાર ખાસે પહોંચાડશે. જ્યારે દાનાપુરથી રીર્ટન અમદાવાદ આવવા માટે દાનાપુર-અમદાવાદ 09458 સ્પેશિયલ ટ્રેનમાં આવવાનું રહેશે. જે 7 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર સોમવારે સાંજના 6:10 વાગ્યે ઉપડશે અને અમદાવાદમાં ત્રીજા દિવસે બપોરના 3 વાગ્યે પહોંચાડશે. આ ઉપરાંત 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડનારી સાબરમતી-સીતામઢી 09421 સ્પેશિયલ ટ્રેન દર શનિવારે 7:45 વાગ્યાથી સાબરમતીથી ઉપડશે અને ત્રીજા દિવસે સીતામઢી ખાતે 8:30 વાગ્યે પહોંચાડશે. જ્યારે સીતામઢીથી રીટર્ન આવવા માટે સીતામઢી-સાબરમતી 09422 સ્પેશિયલ ટ્રેન 7 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી શરુ રહેશે. આ ટ્રેન સીતામઢીથી દર સોમવારે સાંજના 4 વાગ્યે ઉપડશે અને સાબરમતી ખાતે ત્રીજા દિવસે સવારના 6 વાગ્યે પહોંચાડશે. અમદાવાદ-દાનાપુર ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાઓરા રાજગઢ, રુથિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, સોની, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશને ઉભી રહેશે. સાબરમતી-સીતામઢી ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાનો કિલ્લો, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, સિસ્વા બજાર, નરકટિયાગંજ અને રક્સૌલ સ્ટેશને ઉભી રહેશે. રેવલે વિભાગે તહેવારો દરમિયાન સ્પેશિયલ ટ્રેનો દોડાવાના નિર્ણય કર્યો છે, ત્યારે આ ટ્રેનોનું બુકિંગ 29 સપ્ટેમબરથી શરૂ થશે. જેમાં જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ અને એસી કોચ છે. ટ્રેનની જરૂરી માહિતી રેલવેની ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી શકાશે.

IIFA 2024: સામંથા ‘વુમન ઓફ ધ યર’ થી સન્માનિત, એશ્વર્યા બની બેસ્ટ અભિનેત્રી

દુબઈ: ઈન્ટરનેશનલ ઈન્ડિયન એકેડમી એવોર્ડ 2024 શરૂ થઈ ગયો છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ ત્રણ દિવસ સુધી ચાલશે અને 27મી સપ્ટેમ્બરે પહેલો દિવસ સાઉથ ઈન્ડસ્ટ્રી માટે ખાસ હતો. આઈફા ઉત્સવમ 2024ના પહેલા દિવસે કન્નડથી લઈને તમિલ સિનેમાના સ્ટાર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને ‘વુમન ઓફ ધ યર’થી સન્માનિત કરવામાં આવી.

અબુ ધાબીમાં યોજાયેલા IIFA એવોર્ડ્સનો પ્રથમ દિવસ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સિનેમાને સમર્પિત હતો. શુક્રવારે આયોજિત એવોર્ડ સમારોહમાં તેને તેના સારા અભિનય બદલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી એવોર્ડ મળ્યા હતા. સુપરહિટ ફિલ્મ પોનીયિન સેલવાન 2 એ એવોર્ડ નાઇટમાં સૌથી વધુ ટાઇટલ મેળવ્યા હતા.

આ ફિલ્મે પાંચ-પાંચ એવોર્ડ જીત્યા હતા. પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયને પણ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવી છે.

IIFA ઉત્સવમ 2024 ની સંપૂર્ણ વિજેતાઓની સૂચિ
બેસ્ટ ફિલ્મ (તમિલ) – જેલર
બેસ્ટઅભિનેતા (તમિલ) – વિક્રમ (પોનીયિન સેલવાન 2)
બેસ્ટ અભિનેતા (તેલુગુ) – નાની (દસરા)
બેસ્ટ અભિનેત્રી (તમિલ) – ઐશ્વર્યા રાય (પોનીયિન સેલ્વન 2)
બેસ્ટ દિગ્દર્શક (તમિલ) – મણિરત્નમ (પોનીયિન સેલવાન 2)
બેસ્ટસંગીત નિર્દેશક (તમિલ) – એઆર રહેમાન (પોનીયિન સેલવાન 2)
નેગેટિવ ભૂમિકામાં બેસ્ટ પ્રદર્શન (તમિલ) – એસજે સૂર્યાહ (માર્ક એન્થોની)
નેગેટિવ ભૂમિકામાં બેસ્ટ પ્રદર્શન (તેલુગુ) – શાઇન ટોમ ચાકો (દસરા)
નેગેટિવ ભૂમિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન (મલયાલમ) – અર્જુન રાધાકૃષ્ણન (કન્નુર સ્ક્વોડ)
બેસ્ટ સહાયક અભિનેતા (તમિલ) – જયરામ (પોનીયિન સેલવાન 2)
બેસ્ટ સહાયક અભિનેત્રી (તમિલ) – સહસાર શ્રી (ચિથા)
બેસ્ટ ડેબ્યુ ફીમેલ (કન્નડ) – આરાધના રામ (કટેરા)
આઉટસ્ટેન્ડિંગ એક્સીલેંસ ઈન કન્નડ સિનેમા- ઋષભ શેટ્ટી
આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઈન ઈન્ડિયન સિનેમા- ચિરંજીવી
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન- પ્રિયદર્શન
ભારતીય સિનેમાની વુમન ઓફ ધ યર – સામંથા રૂથ પ્રભુ
ગોલ્ડન લેગસી એવોર્ડ- નંદમુરી બાલકૃષ્ણ

IIFA ઉત્સવનું આયોજન પ્રથમ દિવસે રાણા દગ્ગુબાતી અને તેજા સજ્જા દ્વારા કરવામાં આવ્યું હતું. હવે વધુ બે દિવસ સુધી ચાલનાર આઈફાને શાહરૂખ ખાન અને વિકી કૌશલ હોસ્ટ કરશે. આ એવોર્ડ 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.

300 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટા વૃદ્ધાશ્રમનું નિર્માણ!

અમદાવાદ: રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતનાં સૌથી મોટાં ‘સદભાવના વૃધ્ધાશ્રમ’ના નવા પરિસરનું 30 એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે. વૃધ્ધાશ્રમ બનાવવાનો ખર્ચ અંદાજે રૂ. ૩૦૦ કરોડ છે. જેમાં 11 માળના 7 નવા બિલ્ડિંગમાં 5000 નિરાધાર, પથારીવશ, બીમાર વડીલો માટે 1400 રૂમ તૈયાર કરવામાં આવશે. આ વૃધ્ધાશ્રમનું કામ અંદાજે બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, પુસ્તકાલય, કસરતના સાધનો, યોગ રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ સહિતની અદ્યતન તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે. હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને મહામંત્રી તેમજ શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક પરમાત્માનંદ સરસ્વતીજી છે. તેમણે આ પ્રસંગે જણાવ્યું, વર્તમાન સમયમાં ‘માતૃદેવ ભવ-પિતૃ દેવો ભવ’, ભાવનાનો પણ હ્રાસ થયો છે. જેથી અનાથ, નિરાધાર, જેનું કોઈ નથી એવા વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માગ છે. છેલ્લાં કેટલાક વર્ષોથી “ઓછા બાળ જય ગોપાલ”ની માનસિકતાના લીધે કુટુંબમાં બાળકોની સંખ્યા ઘટી ગઈ છે. તદુપરાંત સંયુક્ત કુટુંબો રહ્યા નથી. આવા કારણોને લીધે સમાજના બધા જ સ્તરના વડીલો માટે વૃધ્ધાવસ્થા બહુ જ પીડાજનક બને છે. સમાજના આવા લોકોની સ્થિતિ જોઈને, તેમના પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને સદભાવના વૃધ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી છે. આજે 650 જેટલા વૃધ્ધોની સેવા અહીં થઈ રહી છે. જેમાં 200થી વધુ વડીલો તો પથારીવશ છે, ‘ડાઈપર’ પર છે. એટલે તેમને તૈયાર કરવા, કપડાં બદલવા, ખવડાવવું, આ બધુ કરવાવાળા કાર્યકર્તાઓ પણ નિષ્ઠાથી કામ કરે છે.” સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાંકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર, 400 ટ્રેક્ટર અને 1600 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે. સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો, ઉછેરવાનો  સંસ્થાનો ધ્યેય છે. સદભાવના વૃદ્ધાશ્રમના સલાહકાર મિત્તલ ખેતાણીએ આ પ્રસંગે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી હતી, “આપના ધ્યાનમાં કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત આવે તા તુરંત સદભાવના ટ્રસ્ટનો સંપર્ક કરશો. સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામ કથામાં બાબા રામદેવ ખાસ હાજરી આપવાના છે. શાંતિકુંજ ગાયત્રી પરિવાર, હરિદ્વારના ડો. ચિન્મયાનંદજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર પણ ખાસ ઉપસ્થિત રહેશે. વૈશ્વિક રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ દેશ-વિદેશના 1 લાખ લોકો વૈશ્વિક રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. આ દરમિયાન ‘થેલેસેમીયા મુકત સમાજ’  માટે કથામાં, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે. નવેમ્બર મહિના દરમ્યાન 25,000 લોકો રક્તદાન કરશે તેવો એક અંદાજ પણ છે.”

અમદાવાદના 20 કોલસેન્ટર પર CBI સિકંજો, 30ની કરી અટકાયત

અમદાવાદ: અમેરિકા નાગરિકોની ફરીયાદને લઈ ભારતમાં નકલી કોલ સેન્ટરો પર તંત્રનું એક્શન જોવા મળી રહ્યું છે. દેશના વિવિધા મહાનગરોમાં CBI દ્વારા દરોડા પડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં દેશના 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદના 20 જેટલા કોલ સેન્ટર પર દરોડા પાડીને 30 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદ સહિત દેશના હૈદરાબાદ, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, બેંગાલુરૂ જેવા મોટા શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઇએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઇએ ટેકનીકલ એનાલીસીસના આધારે કેટલાંક લોકેશન અને વિગતો આપી ગતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા છેલ્લાં એક મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં 350 જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા. અમદાવાદમાં 20થી વધુ  કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ  પાસેના રીંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ  જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઇના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય  કરવામાં આવી છે.

દેશનું કોર્પોરેટ ટ્રાવેલ ક્ષેત્ર 20.8 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ

મુંબઈઃ દેશમાં કોર્પોરેટ ટ્રાવેલ સેક્ટરનું કદ 10.6 અબજ ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2029-30 સુધી વાર્ષિક 10.1 ટકાના ચક્રવૃદ્ધિદરથી વધીને 20.8 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, એમ ડેલોઇટનો એક રિપોર્ટ કહે છે.  ટેક્નોલોજી સક્ષમ, પર્સનલાઈઝ્ડ અને સસ્ટેનેબલ સોલ્યુશન્સને પગલે તેમાં સતત ઝડપી વૃદ્ધિ જોવા મળશે.

ડેલોઈટે 45થી વધુ ટ્રાવેલ મેનેજર્સના ઇન્ટરવ્યુ અને વિવિધ કદના વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના 160 કોર્પોરેટ ટ્રાવેલર્સનો સર્વે કરીને તેને આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર કોર્પોરેટ ટ્રાવેલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને નવા ઊંચા સ્તર પર આવી ગયું છે. કોર્પોરેટ સેક્ટરમાં કામગીરીની પદ્ધતિઓ બદલાતા અને ટેક્નોલોજિકલ ડિસરપ્શન વધ્યું છે તેવા સંજોગોમાં કોર્પોરેટ ટ્રાવેલમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. હાલમાં આ સેક્ટરનું કદ 10.6 અબજ ડોલર છે, જે વાર્ષિક 10.1 ટકા CAGRથી વધી રહ્યું છે. 2029-30 સુધીમાં તેનું કદ બમણાથી વધુ 20.8 અબજ ડોલર થવાનો અંદાજ છે.

ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીઓએ ન્યુ-એજ ટ્રાવેલર્સની જરૂરિયાતને ધ્યાનમાં લઈને સ્ટ્રેટજીમાં ફેરફાર કર્યો છે. આ કંપનીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ચેટબોટ્સ, વોઈસ આસિસ્ટેડ બુકિંગ સિસ્ટમ્સ અને રિયલ-ટાઈમ ડેટા એનલિટિક્સ, વગેરેના ઉપયોગ દ્વારા વધુ સારી અને વધુ ઝડપી સર્વિસ પૂરી પાડી રહી છે. કંપનીઓ બિઝનેસ ટ્રાવેલર્સના અનુભવોને જાણી-સમજીને તેમની જરૂરિયાત મુજબ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.

ટોપ-100 લિસ્ટેડ કંપનીઓનું એનાલિસિસ કરતાં માલૂમ પડ્યું હતું કે એક અગ્રણી IT કંપનીએ 2022-23માં કર્મચારીઓના પ્રવાસ પાછળ રૂ. 2600 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.IT સર્વિસીઝ, BFSI, એન્જિનિયરિંગ, એવિયેશન, ઓઈલ-ગેસ, ફાર્મા, FMCG અને ઓટોમોબાઈલ સેક્ટરની કંપનીઓ કોર્પોરેટ ટ્રાવેલ ખર્ચમાં અગ્રેસર છે. ટોપ-100 લિસ્ટેડ કંપનીઓમાં આટલા સેક્ટરની કંપનીઓએ કુલ ટ્રાવેલ સ્પેન્ડના 86 ટકા ખર્ચ કર્યો હતો, એમ અહેવાલ કહે છે.

IIT ગાંધીનગર ખાતે ‘નવરાત્રી મહિલા હાટ’નું ભવ્ય આયોજન

ગાંધીનગર: NEEV એ IIT ગાંધીનગરનો સામુદાયિક આઉટરિચ પ્રોગ્રામ છે. જેના દ્વારા “નવરાત્રી મહિલા હાટ” નામના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર અને અમદાવાદની કેટલીક સ્થાનિક મહિલાઓએ ભાગ લીધો હતો. ગત 26 સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પરંપરાગત તહેવારો માટેના વસ્ત્રો, હસ્તકલાના અદ્દભૂત નમૂના, ઘરેણાં, સૌંદર્ય પ્રસાધનો વગેરેના વિવિધ સ્ટોલ મૂક્યા હતા. મિલાક્રોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સમર્થિત આ ઈવેન્ટનું ઉદ્ઘાટન ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલ અને હર્ષાબા ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલે સ્ટોલધારક મહિલાઓને કહ્યું, “જ્યાં પણ તમને પ્લેટફોર્મ મળે, તમારા ઘરના કામને બાજુ પર રાખો અને પૂરા દિલથી ભાગ લો. આ કામ તમારા પોતાના માટે કરો.” પૂર્વ વિદ્યાર્થિની તેમજ IIT ગાંધીનગરના મીડિયા અને કોમ્યુનિકેશન ઓફિસના પ્રોગ્રામ સહાયક અભિલાષા હઝારિકાનું કહેવું છે, “તેઓ દર વર્ષે આ હાટની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે, આ પ્રથમ વખત છે કે જ્યારે આ હાટનું ખુબ જ ભવ્ય સ્કેલ આયોજન કરવામાં આવ્યું હતું.” વેચાણ માટે મૂકવામાં આવેલી વસ્તુઓની વિવિધતાના કારણે વિદ્યાર્થીઓએ તેમની નવરાત્રિની ખરીદી પૂર્ણ કરવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ જમાવી હતી. IIT ગાંધીનગરની ફેકલ્ટી, સ્ટાફ અને અન્ય સમુદાયના લોકો પણ મોટાપાયે આ વર્ષે ખરીદી કરવા માટે હાટમાં આવ્યા હતા. સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવું એ NEEVના મુખ્ય ઉદ્દેશ્ય છે. હાટમાં જેમણે ભાગ લીધો હતો તે લોકોના પ્રયાસોને બિરદાવવા માટે તમામ મહિલા સાહસિકોને પ્રશંસા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદના એક બિઝનેસ ઓનર નીતિ દવેએ આભાર વ્યક્ત કરતાં કહ્યું “મેં આવાં ઘણાં પ્રદર્શનો જોયા છે પણ અહીંનો અનુભવ અનોખો હતો. મને લાગ્યું કે અહીંનું મેનેજમેન્ટ અને વાતાવરણ શ્રેષ્ઠ છે. હું મારી માર્કેટિંગ કૌશલ્યમાં પણ સુધારો કરવા માંગુ છું તેથી હું ચોક્કસપણે પ્રયાસ કરીશ અને NEEV અભ્યાસક્રમમાં જોડાઈશ.”

હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસે જારી કર્યો ‘હાથ બદલશે હાલાત’ મેનિફેસ્ટો

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં મતદાનના આશરે એક સપ્તાહ પહેલાં કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કરી દીધું છે, જેમાં જનતા માટે અનેક મોટાં ચૂંટણી વચનો આપવામાં આવ્યાં છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે સાત ગેરેન્ટી બાદ હવે કોંગ્રેસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો  ‘હાથ બદલેગા હાલાત’ જાહેર કર્યો છે.

પાર્ટીએ રાજ્યની જનતાને રૂ. 25 લાખ સુધી નિઃશુલ્ક સારવાર આપવા, સસ્તું શિક્ષણ અને મહિલાઓની સમસ્યાઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવાની વાત કહી છે. આ સાથે વિદ્યાર્થીઓને મફત પિન્ક મીની બસ, અને પિન્ક ઈ-રિક્ષાની સુવિધા આપવામાં આવશે. ખેડૂત પંચની રચના અને MSPના કાનૂની ગેરંટીનું વચન આપવામાં આવ્યું છે. ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારાને શહીદનો દરજ્જો આપવામાં આવશે અને સિંધુ બોર્ડર પર સ્માર બનાવવામાં આવશે. પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે.

આ સાથે વિદેશોમાં નોકરો માટે હરિયાણા વિદેશી રોજગાર બોર્ડ સિનિયર સિટિઝનો, દિવ્યાંગો અને વિધવાઓને રૂ. 6000 માસિક પેન્શન અને ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાના વચન આપવામાં આવ્યાં છે.

ચંદીગઢમાં ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમની સાથે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ  પૂર્વ શિક્ષણ મંત્રી ગીતા ભુક્કલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી ઉદયભાન પણ હાજર રહ્યા છે. આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે SYL કેનાલ વિવાદ ઉકેલવાનો વાયદો કર્યો છે.

 

મહિલાઓના અત્યાચાર પર બોલ્યા શબાના આઝમી, હેમા કમિટી રિપોર્ટ પર કરી વાત

મુંબઈ:’તમારે સમજવું જ જોઇએ કે ભારતમાં મહિલાઓની સદીઓથી પોતાની યાત્રા છે. 16મીથી 21મી સદી સુધી તેઓ આગળ વધ્યા,પરંતુ તેમને દબાવવામાં આવ્યા. સ્ત્રીઓ ભારતમાં પ્રગતિ અને જુલમનો વિરોધાભાસ રહી છે, જેમ ભારત પોતે રહ્યું છે. પીઢ બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીએ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA)માં મીડિયા સાથે વાત કરતા આ વાત કહી.

મલયાલમ સિનેમામાં મહિલા કલાકારોની જાતીય સતામણીનો પર્દાફાશ કરનાર જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટનો ઉલ્લેખ કરતા શબાનાએ સમાજમાં મહિલાઓની સ્થિતિ પર ખુલીને વાત કરી હતી. 2017માં અભિનેત્રી પર થયેલા હુમલાના જવાબમાં વુમન ઇન સિનેમા કલેક્ટિવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ કેરળ સરકાર દ્વારા જસ્ટિસ હેમા કમિટીની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ મલયાલમ સિનેમામાં કામ કરતી મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનું દસ્તાવેજીકરણ કર્યું હતું. આ સમિતિનું નેતૃત્વ કેરળ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ કે હેમાએ કર્યું હતું. તેમાં પીઢ અભિનેત્રી શારદા અને ભારતીય વહીવટી સેવાના નિવૃત્ત અધિકારી કેબી વલસાલા કુમારીનો પણ સભ્યો તરીકે સમાવેશ થાય છે.

જસ્ટિસ હેમા કમિટીના અહેવાલે મલયાલમ ફિલ્મ ઉદ્યોગ તેમજ ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોને તોફાનથી ઘેરી લીધું છે, જેના કારણે મહિલા કલાકારોની સતામણી અને શોષણની તપાસ માટે પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. હેમા કમિટીના રિપોર્ટ બાદ ઘણી મહિલાઓ આગળ આવી અને મલયાલમ સિનેમાની જાણીતી હસ્તીઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. અનન્યા પાંડે, સ્વરા ભાસ્કર, ગુનીત મોંગા, એકતા કપૂર, તનુશ્રી દત્તા, લક્ષ્મી મંચુ, પૃથ્વીરાજ સુકુમારન, ટોવિનો થોમસ અને પાર્વતી થિરુવોથુ સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓએ આ અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે. હવે આ યાદીમાં શબાના પણ જોડાઈ ગઈ છે.

મી-2 પછી આ પ્રકારનો બીજો વિરોધ
તમને જણાવી દઈએ કે ‘મી-2’ મુવમેન્ટ પછી પણ બોલિવૂડ અભિનેત્રીઓ મહિલાઓના સમર્થનમાં બોલી હતી. આ અભિયાન દરમિયાન ઘણી અભિનેત્રીઓ આગળ આવી અને તેમની સાથે થયેલી ગેરરીતિઓ વિશે ખુલ્લેઆમ જણાવ્યું. હવે જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટે પણ આવી જ ચર્ચા જગાવી છે. ફિલ્મ જગતની મહિલાઓ પણ આ મામલે ખુલ્લેઆમ સમર્થન કરી રહી છે.