Home Blog Page 1452

નકલી દવાઓ બનાવતી કંપનીઓ પક્ષોને આપે છે અસલી ફંડ, તો…

નવી દિલ્હીઃ ભેળસેળયુક્ત ઘી પછી મિલાવટી દવાઓના રિપોર્ટમાં માલૂમ પડ્યું છે કે દેશમાં 53 દવાઓમાં ભેળસેળ માલૂમ પડી હતી. આ દવાઓમાં તાવ, એસિડિટી, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની દવાઓ પણ સામેલ છે. આ દવાઓ બનાવતી કંપનીઓમાં મોટી-મોટી બ્રાન્ડેડ કંપનીઓ પણ સામેલ છે.

આ ફાર્મા કંપનીઓ કોંગ્રેસ, ભાજપ સહિત રાજકીય પાર્ટીઓને ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ આપે છે તો પછી આ કંપનીઓ સામે સરકાર પગલાં લેશે એવી આશા ઠગારી છે.

આ ભેળસેળવાળી દવાઓની કંપનીઓમાં ટોરન્ટ ફાર્મા પણ જેની બે દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ખરાબ નીકળી છે. આમાં Shelcal અને Montair LC દવા સામેલ છે. આ ફાર્મા કંપનીએ કુલ 77.50 કરોડનાં ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે, જેમાં કંપનીએ ભાજપને રૂ. 61 કરોડ, કોંગ્રેસને રૂ. પાંચ કરોડ, SPને રૂ. ત્રણ કરોડ અને આપ પાર્ટીનાં ચૂંટણી બોન્ડ ખરીદ્યાં છે.

આવી જ રીતે બીજી ફાર્મા કંપની છે એલ્કેમ હેલ્થ સાયન્સ અને એ કંપની PAN-D દવા બનાવે છે, જેણે ભાજપને રૂ. 15 કરોડનાં ચૂંટણી બોન્ડ આપ્યા છે. આ જ રીતે ત્રીજી ફાર્મા કંપની હેટરો લેબ લિ. છે. આ કંપનીએ તેલંગાણામાં રૂ. 25 કરોડના ચૂંટણી બોન્ડ BRS પાસેથી ખરીદ્યાં છે અને રૂ. પાંચ કરોડના ચૂંટણી બોન્ડ ભાજપ પાસેથી ખરીદ્યાં છે.

હવે જે ફાર્મા કંપનીઓની દવાઓમાં ભેળસેળ છે, એ કંપનીઓએ મોટી-મોટી પાર્ટીઓને ચૂંટણી બોન્ડ ખરીદીને ફંડ આપ્યાં છે, એમની સામે કાર્યવાહી થવાની શક્યતા નહીંવત્ છે. જોકે આ કંપનીઓએ કહ્યું હતું કે આ ભેળસેળયુક્ત દવાઓ પકડાઈ છે, એ દવાઓ નકલી છે. આમ ચલક ચલાણું પેલે ઘેર ભાણું જેવો ઘાટ છે.

 

ચાઈનીઝ લસણ પર શા માટે હોબાળો ? શું છે સમગ્ર મામલો?

ચાઈનીઝ લસણ કે ચાઈનાથી આવતું લસણ બજારોમાં આડેધડ વેચાઈ રહ્યું હોવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના નામાંકિત અધિકારીને સમન્સ પાઠવ્યું અને પૂછ્યું કે પ્રતિબંધિત ‘ચાઈનીઝ લસણ’ હજુ પણ બજારમાં કેવી રીતે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે દેશના જુદા જુદા ભાગોના બજારોમાં ચાઈનીઝ લસણ વેચાઈ રહ્યું હોવાના અહેવાલો છે. મામલો વેગ પકડ્યા પછી કાર્યવાહી શરૂ થઈ અને ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં કેટલાક ક્વિન્ટલ ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું. જાણીએ કે આ લસણ પર આટલો બધો હંગામો શા માટે છે.

ચાઈનીઝ લસણનો મામલો હાઈકોર્ટમાં કેમ પહોંચ્યો?
મોતીલાલ યાદવ નામના વકીલે ચાઈનીઝ લસણને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. વકીલે પોતાની અરજીમાં કહ્યું હતું કે ‘ચાઈનીઝ લસણ’ તેના હાનિકારક પ્રભાવોને કારણે દેશમાં પ્રતિબંધિત છે, તેમ છતાં તે લખનૌ સહિત સમગ્ર દેશમાં સરળતાથી ઉપલબ્ધ છે. અરજીની સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે કેન્દ્રના વકીલને દેશમાં આવા માલના પ્રવેશને રોકવા માટેના ચોક્કસ મિકેનિઝમ વિશે પણ પ્રશ્ન કર્યો અને એ પણ પૂછ્યું કે તેના પ્રવેશના સ્ત્રોતને શોધી કાઢવા માટે શું કરવામાં આવશે આ માટે કોઈ પગલા લેવામમાં આવ્યા છે? અરજદારે કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશો સમક્ષ લગભગ અડધો કિલો ‘ચાઈનીઝ લસણ’ તેમજ સામાન્ય લસણ રજૂ કર્યું હતું.

ચાઈનીઝ લસણ કેમ ખતરનાક માનવામાં આવે છે?
ચાઈનીઝ લસણ વિશે એવું કહેવાય છે કે તેમાં રહેલ ફૂગ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત ચાઈનીઝ લસણમાં પણ જંતુનાશકોનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. જંતુઓથી બચાવવા માટે તેના પર મિથાઈલ બ્રોમાઈડનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે આ લસણ ખાવાથી પેટના રોગો જેવા કે અલ્સર, ઈન્ફેક્શન વગેરેનો ખતરો વધી જાય છે. આ ઝેરી લસણનું સેવન કરવાથી કિડની સંબંધિત બીમારીઓ થાય છે. જો કે, સ્થાનિક લસણ કરતાં ચાઈનીઝ લસણ સસ્તું છે, તેથી પ્રતિબંધ હોવા છતાં વધુ નફો મેળવવા માટે તેને બજારોમાં આડેધડ વેચવામાં આવી રહ્યું છે.

ભારતીય અને ચાઈનીઝ લસણ વચ્ચે શું તફાવત છે?
હવે પ્રશ્ન એ છે કે બે લસણ વચ્ચે કેવી રીતે તફાવત કરવો. તમને જણાવી દઈએ કે જો તમે થોડું ધ્યાન આપો તો ચાઈનીઝ લસણને સરળતાથી ઓળખી શકાય છે. તેનો રંગ, આકાર અને ગંધ સ્થાનિક લસણથી તદ્દન અલગ છે. ચાઈનીઝ લસણનો રંગ આછો સફેદ અને આછો ગુલાબી છે. જ્યારે, જો આપણે સ્થાનિક લસણ વિશે વાત કરીએ તો તે કદમાં નાનું છે અને તેનો રંગ સફેદ અથવા ક્રીમ રંગનો છે. બંનેની ગંધમાં ફરક છે. એક તરફ દેશી લસણની ગંધ તીવ્ર હોય છે જ્યારે ચાઈનીઝ લસણની ગંધ હળવી હોય છે.

Monsoon Update: ગુજરાતમાં 24 કલાક 212 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસાની વિદાય પહેલા ફરી ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 212 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 6.25 ઇંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના પ્રમાણે મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. વહેલી સવારથી શહેરના એસજી હાઇવે, બોપલ, સરખેજ, શિવરંજની અને નવા વાડજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એને કારણે 27 અને 28 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની સંભાવના છે. એને કારણે આ સમયગાળા દરમિયાન માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.

ઈન્સ્પાયર્ડ દીવાનગીનાં ‘કોલ્ડ’ હૉટ કારણ ને કમઠાણ…

અમદાવાદના ઉજ્જવલ શાહને મુંબઈના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલા “એપલ” કંપનીના અદ્યતન સ્ટોરમાં પ્રવેશીને નવા રજૂ થયેલા આઈફોન 16ના પહેલા ગ્રાહક બનવું હતું. આ માટે એ સ્ટોરની બહાર 21 કલાક લાઈનમાં ઊભો રહ્યો. સવારે સ્ટોર ખૂલ્યો ને આઈફોનનો દિલફાડ પ્રેમી ઉજ્જવલકુમાર આઈફોન 16 ખરીદનારો ફર્સ્ટ કસ્ટમર બનીને જ જંપ્યો.

આજથી દસ-બાર વર્ષ પહેલાં ચીનના એક 17વર્ષી યુવાને આઈફોન અને આઈપૅડ ખરીદવા પોતાની કિડની વેચી કાઢેલી. ફોન માટે કિડની વેચવાનું ગાંડપણ શું કામ? એવા સવાલનો જવાબ આપતાં એણે કહ્યું કે “બે કિડનીની મારે શું જરૂર? એક ઈનફ છે.” કમનસીબે ગેરકાયદે કિડની કઢાવીને વેચવામાં એવો લોચો પડી ગયો કે એ હંમેશ માટે પથારીવશ થઈ ગયો.

આજકાલ આઈફોન હસ્તગત કરવા જેવી દીવાનગી “કોલ્ડપ્લે”ની ટિકિટ મેળવવાની જોવા મળી રહી છે. સોશિયલ મિડિયા, આઈટી ઑફિસો, કૉલેજ-કેન્ટીન કે કૉફી શૉપ્સમાં “કોલ્ડપ્લે” “કોલ્ડપ્લે”નાં જ ભજન-કીર્તન થઈ રહ્યાં છે. એ પહેલાં અરજિતિસિંહ, દિલજિત દોસાંજનાં કન્સર્ટ્સ તથા એની ટિકિટના ભાવ છાપે ચડ્યા.

(કોલ્ડપ્લે)

ઓક્કે, જે વાચકો મોડા પડ્યા છે એમને માટે ઝડપી રિરનઃ 2025ના જાન્યુઆરીમાં નવી મુંબઈમાં બ્રિટિશ બૅન્ડ “કોલ્ડપ્લે”ના લાઈવ કન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયાના માત્ર અડધા કલાકમાં વેચાઈ ગઈ. કહે છે કે કન્સર્ટની ટિટિક માટે એક કરોડથી વધુ સંગીતદીવાના (ઑનલાઈન) કતારમાં ઊભા છે. એમના માટે કિંમત કોઈ ઈશ્યુ નથીઃ લાખ-બે લાખ-પાંચ લાખ? તમે ખાલી ભાવ બોલો.

“કોલ્ડપ્લે” એક બ્રિટિશ રૉક બૅન્ડ છે, જેની શરૂઆત લંડનમાં 1997માં થયેલી. આ સંગીતટોળી એના લાઈવ પરફોરમન્સ માટે જાણીતી છે, કારણ કે એ પોતાની કળાથી પૉપ્યુલર કલ્ચર પર જબરદસ્ત અસર કરે છે. બૅન્ડમાં હાલ જૉની બકલૅન્ડ-ક્રિસ માર્ટિન-ગાય્ બેલ્મિન અને વિલ ચૅમ્પિયન છે.

ધોળિયા સંગીતકાર-ગાયકો માટે આપણે ત્યાં આવું ગાંડપણ જોઈને ઈન્ટરનેટ પર એની ઠઠ્ઠા-મશ્કરી ચાલી, જાતજાતનાં મીમ્સ, જોક્સ બન્યાં. પછી સમાચાર આવ્યા કે નવી મુંબઈના જે સ્ટેડિયમમાં આ કન્સર્ટ યોજાયો છે તે વિસ્તારની હોટેલોનાં ભાડાં (કન્સર્ટને દિવસે) પાંચ-દસ ગણા વધી ગયા છે.

(અરિજિતસિંહનો કન્સર્ટ)

આવું ગાંડપણ શીદને? પણ એ પછી- પહેલાં તમે આ વાંચોઃ

થોડા સમય પહેલાં એક જાણીતા ગુજરાતી નાટ્ય-ફિલ્મદિગ્દર્શક સાથે વાત ચાલી રહી હતી. નેશનલ એવૉર્ડથી સમ્માનિત એ ડિરેક્ટરે ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે “કોવિડ પછી ગુજરાતી રંગભૂમિના પ્રેક્ષકો ઘટી રહ્યા છે. ઓર્કેસ્ટ્રામાં પિક્ચરનાં ગીત સાંભળવા હજાર-બે હજાર રૂપિયા ખર્ચનારા નાટકની ટિકિટના પાંચસો-સાતસો કેમ ખર્ચતા નથી? ગીતો, ખરેખર તો, સાંભળવાનાં છે, જ્યારે નાટક જોવા-માણવાનો એક જીવંત અનુભવ છે. ઑનલાઈન (મ્યુઝિક) સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સના યુગમાં લાઈવ કન્સર્ટ્સનું આવું આકર્ષણ શું કામ?”

-કારણ કે સંગીત જલસો માત્ર સંગીત વિશે નથી, પણ એક અનુભવ છેઃ વિરાટ સ્ટેજ, સેટિંગ્સ, અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ અને માહોલ. આજના હડહડતા સોશિયલ મિડિયા યુગમાં લાઈવ કન્સર્ટમાં સહભાગી થવાનું સૌથી મોટું આકર્ષણ છેઃ “આપણે પણ ત્યાં હતા હોં” એવી હોંશિયારી અને “ત્યાં” એટલે કે કન્સર્ટ (કે એવા કોઈ મોટા ઈવેન્ટમાં) હોવાની સાબિતી રૂપે ઈન્સ્ટા, ફેસબુક, સ્નૅપચૅટ પર અપલોડ થતા ફોટા-વિડિયો.

(દિલજિત દોસાંજ ગ્લાસગોમાં)

જેમ કે, પૉપના પાદશાહ મરહૂમ માઈકલ જેક્સનનો ભારતમાં પહેલો ને છેલ્લો, એકમાત્ર કન્સર્ટ 1996માં મુંબઈમાં થયેલો. એમાં સહભાગી થનારા મારા જેવા આશરે પાંત્રીસેક હજાર લોકો એ સંગીતજલસાની લોકકથા આજે પણ સગર્વ કહે છે. “કોલ્ડપ્લે” હોય, અરિજિતસિંહ હોય કે દિલજિત દોસાંજ હોય, લાઈવ કન્સર્ટમાં ચાહકો પોતાના સ્ટાર સાથે લાઈવ સંવાદ સાધી શકે છે. ચાહક માટે આ દિવ્યતાનો અનુભવ હોય છે.

(સ્ટાર માટે ફૅન સાથે કનેક્ટ થવાનો મોકો)

બીજી બાજુ કલાકારો માટે પણ સંગીતજલસા એવી જગ્યા હોઈ શકે, જ્યાં તેઓ ચાહકો સાથે કનેક્ટ થઈ શકે. આ વર્ષના મે મન્થમાં મુંબઈના વિશ્વવિખ્યાત ષણ્મુખાનંદ ઑડિટરિયમમાં “શતાયુ મુકેશ” કાર્યક્રમમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. સુપ્રસિદ્ધ હાસ્યલેખક રતિલાલ બોરીસાગરની પ્રેરણાથી મુંબઈના હરેશ મહેતા અને એમની ખંતીલી ટીમે સ્થાપેલા “શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન” સંચાલિત, સાવરકુંડલામાં નિઃશુલ્ક ઈલાજ કરતા “શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર”ના ફંડ રેઈઝર માટે યોજાયેલા આ કાર્યક્રમના મુખ્ય કલાકાર હતા મુકેશના પુત્ર નીતિન મુકેશ. હકડેઠઠ મેદની મનભરીને મુકેશનાં ગીતો માણી રહી હતી. અને જ્યાં નીતિનજીએ “જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે” રજૂ કર્યું ને 80-85 વર્ષના વડીલોથી લઈને મધ્યવયસ્ક સિનેમાસંગીત-પ્રેમીઓ સ્ટેજ પાસે આવીને નાચવા લાગ્યા. પછી તો નીતિનભાઈએ પપ્પાએ સ્વરબદ્ધ કરેલાં ગુજરાતી ગીતો રજૂ કર્યાં ત્યારે વાતાવરણમાં ઉન્માદ છવાઈ ગયો.

(લાઈવ કન્સર્ટનો ઉન્માદ)

વાત આ જ છેઃ લાઈવ સંગીતજલસાનો સૌથી મોટો યુએસપી એ છે કે એ ફૅન્સને જીવનભરનું સંભારણું સર્જી આપે છે.

હવે આવતા સપ્તાહથી નવ-દસ દિવસ ગુજરાત, મુંબઈમાં ખેલૈયા વિવિધ કલાકારના કંઠે ગવાતા લાઈવ ગરબા, ગુજરાતી-હિંદી ગીતોના તાલે ઝૂમશે.

ભલે. જેને જે ગમે એ એન્જોય કરે, પણ પ્લીઝ પ્લીઝ… ગુજરાતી નાટકો પણ જોવા જાઓ. કોમેડી, પારિવારિક, સસ્પેન્સ, સાઈકોલોજિકલ થ્રિલર જેવાં નાટકનાં મંચન આપણા પ્રતિભાશાળી નાટ્યકારો કરે છે. આ વીકએન્ડમાં જ જાઓ.

સાંભળો, થર્ડ બેલ વાગે છે.

Opinion: શું અર્વાચીન ટ્રેન્ડથી લોકો ભૂલ્યા પરંપરાગત ગરબાનું ભાન?

નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધનાનું પાવન પર્વ. આ તહેવારની ગુજરાત સહિત દેશ વિદેશના લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. નવરાત્રિના નવ દિવસ યુવાનો માતાજીના ગરબાના તાલે જુમીને તો વડીલો માતાજીની પૂજા અર્ચના કરી માતાને રીઝવવાનો પ્રયાસ કરે છે. પહેલાના સમયમાં શેરીના ચોકમાં ગરબાનું આયોજન થતું, જ્યાં દુર્ગા સ્વરૂપા દીકરીઓ ગરબાની રમઝટ બોલાવતી. હવેના સમયમાં મોટા પાર્ટી પ્લોટમાં DJના તાલે ગરબાની જમાવટ થાય છે.

આમ તો પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ ભૂલાતી સંસ્કૃતિ એ ક્યાંનો ન્યાય છે? DJની મહેફીલમાં માતાની આરાધના થાય ખરી? ચાચરના ચોકમાં ગુંજતી તાળી હિન્દી ગીતના હલ્લા ગુલ્લા નીચે દબાઈ જાય છે?

આ વખતેના ઓપિનિયન વિભાગમાં અમે પૂછ્યું કે શું વધતા અર્વાચીન ગરબાના ટ્રે્ન્ડથી લોકો પારંપરિક ગરબાનું મહત્વ ભૂલી રહ્યા છે? આવો જાણીએ, આ મુદ્દે શું લોકોનો મત..

પ્રો.ડૉ.સ્મિતા જોશી, જાણીતા સમાજશાસ્ત્રી

સમય સાથે પરિવર્તન સંસારનો નિયમ છે. ત્યારે બીજા કલ્ચરને અપનાવીને વિચિત્ર ગાયન પર ડાન્સ કરવો એ અમુક અંશે આપણે પરિવર્તનમાની સ્વીકાર પણ કરી શકીએ, પરંતુ એક રિપોર્ટ પ્રમાણે જોવા મળ્યું છે કે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસોમાં ઉછાળો જોવા મળે છે. એટલે કે નવરાત્રિના સમયે દીકરી સાથે છેડતી કરવી અને એમની સાથે અભદ્ર વર્તન કરવા જેવા કિસ્સા પણ જોવા મળે છે. આ ઉપરાંત છોકરીના ખાવામાં નશીલા પદાર્થ નાખી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવું એ ક્યાં માતાજીની આરાધના છે? નવરાત્રિના દિવસો એટલે ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ જ્યારે ખેતરોની માટી ભીની હોય અને ખેડૂતો આરામમાં હોય ત્યારે સાથે મળી માતાજીનો ભક્તિ ભાવથી આરાધના કરવી. પરંતુ હાલના સમયમાં મોંઘા પાસ, ચણીચોલી અને DJના તાલે ગરબા રમવાને ઉત્સવ માને છે પરંતુ આમાં ક્યા માતાજીના આરાધના છે?

નિશીત ભાટી, ગરબા આયોજક અને ગાયક કલાકાર

પારંપરીક ગરબા વચ્ચે અર્વાચિન થીમ પર નાચવું એકદમ અયોગ્ય છે. અત્યારે આપણે આપણી સંસ્કૃતિ ભુલી રહ્યા છીએ. આપણ ગરબા અને સમાજ વચ્ચે વિકૃતિ આવી રહી છે. પહેલાના સમયમાં ગરબાનું આયોજન થતુ, ત્યારે એક ગરબીની ફરતે ગરબા રમાતા અને આ આયોજન શેરી કે ચોકમાં થતું હતું. અને હાલના સમયમાં પાર્ટીપ્લોટમાં ગરબીને ફરતે ગરબા રમતા નથી. લોકોને માતાજીની આરાધના કરતા વધારે DJ સોગ પર નાચવું ગમે છે. ધીમે-ધીમે આ શેર ગરબાનું મહત્વ ઘટી રહ્યું છે. જ્યાં નાની નાની બાળાઓ પ્રાચીન ગરબાની તાલે ગરબા ઘૂમે, પછી આઠમના દિવસે નાની-નાની ગોયણી જમાડવામાં આવે. આ સંસ્કૃતિ ભૂલી લોકો મોંઘા પાસ અને સારા ગાયક કલાકારો પાછળ દોડી રહ્યા છે. આજ કાલના લોકોને ગરબાની જગ્યા પર ફિલ્મી ગીત પર ગરબા રમવા પસંદ આવે છે. આ સંસ્કૃતિને જાળવવા માટે જ અમે દર વર્ષે પારંપરિક ગરબાનું આયોજન કરીએ છીએ.

દિનેશભાઈ, ચેરમેન, પદમાવતી સોસાયટી, અમદાવાદ

સામાન્ય રીતે નવી જનરેશનના લોકો અર્વાચીન ગરબા તરફ વળ્યા છે. પરંતુ જુની રૂઢીના લોકોને તો શેરી ગરબા જ ગમે છે. જ્યારે વાત અર્વાચીન ગરબાની થાય તો જૂની પ્રથા સાથે એક નવો ઉમેરો થયો છે, જેમાં કોઈ વાંધો નથી. અમારી સોસાયટીમાં અમે દર વર્ષે પ્રાચીન ગરબાનું જ આયોજન કરીએ છીએ. જેમાં સૌ પ્રથમ માતાજીની આરતી થાય, જે બાદ લોકો  પારંપરિક ગરબા કરે. જ્યારે ગરબાના અંતે એક નાનો એવો ડાન્સ માટે રાઉન્ડ પણ ગોઠવીએ છીએ. આમ તો પાર્ટીપ્લોટમાં જવાનું ટાળવું જોઈએ. કેમ કે કેટલીક વખત દીકરીઓ સાથે છેડતી અને મારામારી થવાની શક્યતા રહે છે, જેથી પાર્ટી પ્લોટ જવાનું ટાળવું જોઈએ. જ્યારે પાર્ટી પ્લોટના સંચાલક સારો હોય અને આયોજન સારું હોય, ત્યારે આવી ઘટના બનવાની શક્યતા ઓછી રહે છે.

તિક્ષિતા પટેલ, ગરબા પ્રેમી

પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની વચ્ચે જ્યારે પસંદ કરવાની વાત આવે, ત્યારે મને પ્રાચીન ગરબા વધુ પસંદ આવે છે. મને પાર્ટી પ્લોટ કરતા વધુ શેર કે ચોકના નાકા પર થાત સામાન્ય ગરબા રમવા જ ગમે છે. મને શેરી ગરબા ગમે કેમ કે ત્યાં આપણા પરિવાર અને મિત્રો હોય છે. એમાં પણ શેરી ગરબામાં પ્રાચીન ગરબા ગીતો પર રમવાનું હોય એટલે વધુ મજા ત્યારે આવે. આમ તો બંને ગરબામાં મને કોઈ પણ વાંધો લાગતો નથી કેમ કે સમય સાથે તહેવાર ઉજવવાની પ્રથા બદલી છે. હા ફેશન પાછળ કેટલી વિકૃતિને મોકળુ મેદાન મળ્યું છે, પણ આપણી સલામતી આપણા હાથમાં જ હોય છે. જ્યારે પાર્ટી પ્લોટનું આયોજન અને સંચાલન સારું હોય ત્યારે આવી ઘટના બનવાની શક્યતા ઓછી હોય છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

આતંકવાદીઓ હથિયાર છોડે અથવા મરવા તૈયાર રહેઃ ગૃહપ્રધાન

જમ્મુઃ ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને હથિયાર છોડવા અને સરકારથી વાતચીત માટે આગળ આવવા આહવાન કર્યું છે. પાકિસ્તાનની સાથે કોઈ સંવાદ કે સરહદ પાર વેપાર નહીં થાય. આગામી સપ્તાહે થનારા ત્રીજા તબક્કાના મતદાન પહેલાં શાહ અહીં પાંચ સભી સંબોધશે.શાહે અહીં કોંગ્રેસ, નેશનલ કોંગ્રેસ અન્ PDP પર હુમલો કર્યો હતો. આ ત્રણ વંશવાદી પાર્ટીઓ આતંકવાદ માટે જવાબદાર છે, જેને ભાજપે ખતમ કર્યો છે અને રાજ્યમાં ફરીથી એને પરત ફરવા નહીં દેવાય.

ભાજપની સરકાર બનવા પર જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત બનાવવાનું વચન છે અને શાહે આરોપ લગાવતાં કહ્યું હતું કે નેશનલ કોંગ્રેસ- કોંગ્રેસનું ગઠબંધ સત્તામાં આવશે તો પાકિસ્તાનનો એજન્ડા લાગુ કરશે. તેમણે ભાજપના ઉમેદવારોના ટેકામાં ચેનાની અને ઉધમપુર વિધાનસભા વિસ્તારોમાં સભાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે વિશ્વની નજર જમ્મુ-કાશ્મીર ચૂંટણી પર છે. જો બંધારણના આર્ટિકલ 370ની મોટા ભાગની જોગવાઈઓને રદ કર્યા પછી ચૂંટણી પહેલી વાર થઈ રહી છે. સરકારે ભાજપના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીના સપનાને ઓગસ્ટ 2019માં પૂરું કર્યું છે. તેમણે સૂત્ર આપ્યું હતું કે એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ના ચાલે. જેથી આર્ટિકલ 370ને દૂર કરવામાં આવી હતી.

રાજ્યમાં જે પણ આતંક ફેલાવશે, તેમને ફાંસી પર લટકાવવામાં આવશે. જો આતંકવાદીઓ હથિયાર છોડવા અને સરકારથી વાતચીત કરવા તૈયાર રહે. જો તેઓ આવું નહીં કરે તો સુરક્ષા દળોના હાથે મરવા તેઓ તૈયાર રહે, એમ તેમણે કહ્યું હતું.

સિક્યોરિટી ગાર્ડે મહિલાને માર્યો ધક્કો માર્યો, કોન્સર્ટની વચ્ચે અરિજીતે ચાહકની માફી માંગી

અરિજીત સિંહ હાલ યુકેમાં છે. પ્રવાસ પર છે અને તેમના તાજેતરના શોમાંથી એક વિડિયો ઓનલાઈન સામે આવ્યો છે અને ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગાયક તેની મહિલા ફેન્સની માફી માંગતો અને સિક્યોરિટી ગાર્ડથી તેનો બચાવ કરતો જોવા મળે છે. જ્યારે એક મહિલા સ્ટેજની નજીક જવાનો પ્રયાસ કરતી જોવા મળી, ત્યારે ગાર્ડે તેને ગળાથી ધક્કો માર્યો અને પ્રખ્યાત ગાયક અરિજિતે આ બધું જોયું. અરિજીત સિંહના આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા અને બધાનું ધ્યાન ખેંચ્યું.

અરિજીત સિંહે મહિલાની માફી કેમ માંગી?

પર્ફોર્મન્સ અધવચ્ચે જ બંધ કરીને, અરિજિત સિંહે તેની મહિલા ચાહકની માફી માંગી છે કારણ કે તે સમયે તેણીને મદદ કરી શકી ન હતી. જ્યારે ગાયકે સુરક્ષા ગાર્ડને છોકરીને રોકતો જોયો તો તેણે તેને આગળ આવવાનો ઈશારો કર્યો. આ હોવા છતાં, રક્ષકો તેને ગળાથી પકડીને રોકે છે. ગીત બંધ કરતાં અરિજિતે કહ્યું, ‘મૅડમ, હું ખરેખર દુઃખી છું. હું ઈચ્છું છું કે હું તમારી સુરક્ષા માટે ત્યાં હોત, જે થયું તે યોગ્ય ન હતું… હું તમારી માફી માંગુ છું. તાજેતરમાં બ્રિટિશ સિંગર એડ શીરન પણ અરિજિત સિંહ સાથે લંડનમાં તેના એક કોન્સર્ટમાં સામેલ થયો હતો. તેઓએ તેમના સાથેના સમયની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

અરિજીત સિંહ બીજી વખત ફરી ચર્ચામાં આવ્યા

અરિજીત સિંહે વધુમાં કહ્યું કે, ‘કોઈને આ રીતે પકડીને મહિલાની ગરદન તરફ ઈશારો કરવો યોગ્ય નથી.’ તે પછી તે પ્રેક્ષકોને શાંત રહેવા માટે કહે છે. સોશિયલ મીડિયા પર તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને ઘણા લોકો તેને એક શિષ્ટ વ્યક્તિ તરીકે વખાણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘એ વાજબી નથી જ્યારે @arijitsingh એ છોકરીને ગળાથી પકડી રાખવા માટે સુરક્ષા કર્મચારીઓને રોક્યા… #UKConcert.’ આ પહેલા યુ.કે. મ્યુઝિકલ કોન્સર્ટ દરમિયાન જ્યારે અરિજિત ‘એ દિલ હૈ મુશ્કિલ’નું ટાઈટલ સોંગ ગાઈ રહ્યો હતો, ત્યારે તેના એક પ્રશંસકે સ્ટેજ પર ફૂડ મૂક્યું, પછી તેણે ફૂડ ઉપાડ્યું અને કહ્યું, ‘મને માફ કરજો, આ મારું મંદિર છે. તમે અહીં ખોરાક રાખી શકતા નથી.’

IIFA 2024: 150 ડાન્સર્સ સાથે સ્ટેજ પર ઉતરશે રેખા, 22 મિનિટનું આપશે પરફોર્મન્સ

બોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત અને ગ્લેમરસ એવોર્ડ શો IIFA 2024 આજથી શરૂ થયો છે. 3 દિવસ સુધી ચાલનારા આ એવોર્ડ સમારોહમાં ભાગ લેવા માટે બોલિવૂડ સ્ટાર્સ પણ અબુ ધાબી પહોંચ્યા છે. ગત રોજ અહીં શાહરૂખ ખાનની એન્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે રેખા પણ આઈફા 2024માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દિગ્ગજ અભિનેત્રી રેખા 22 મિનિટનું ડાન્સ પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે. આટલું જ નહીં રેખાની પાછળ 150થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સર જોવા મળશે. એવોર્ડ શો 27 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થયો છે અને 29 સુધી ચાલશે. આ ત્રણ દિવસીય એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પોતાની પ્રતિભા દર્શાવતા જોવા મળશે.

રેખા, જે તેના સમયના સુપરસ્ટાર હિરોઈન હતા, તેમણે બોલિવૂડને ઘણી શાનદાર અને સુપરહિટ ફિલ્મો આપી છે. રેખાની ઘણી ફિલ્મોમાં અભિનય આજે પણ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. રેખાના ઘણા પાત્રો આજે પણ લોકો ભૂલી શક્યા નથી. વર્ષ 2018 માં, રેખાએ આઈફા એવોર્ડ્સમાં તેનું સુપરહિટ ગીત ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ રજૂ કર્યું હતું. આ ડાન્સ પરફોર્મન્સે લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉંમરે પણ રેખાનો જુસ્સો ઓછો થયો નથી. હવે રેખા અબુ ધાબીમાં તેના 22 મિનિટના ડાન્સ પરફોર્મન્સથી ફરી એકવાર લોકોના દિલ જીતવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by IIFA Awards (@iifa)

શાહરૂખ ખાન અબુ ધાબી પહોંચ્યા

બૉલિવૂડની મોટા ભાગની હસ્તીઓ અબુ ધાબી પહોંચી છે.શાહરૂખ ખાન પણ અબુ ધાબીમાં પહોંચ્યા છે.એરપોર્ટ પરથી શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન પોતાની સિક્યોરિટી સાથે એન્ટર થયા હતા. શાહરૂખ ખાનને જોઈને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. હવે અબુ ધાબીમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો શરૂ થઈ ગયો છે. બોલિવૂડ સ્ટાર્સ આ એવોર્ડ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. હવે અહીં 3 દિવસ સુધી ખૂબ જ મજા આવશે.

કર્ણાટકમાં CBIને તપાસ કરવા સીધી મંજૂરી નહીં

બેંગલુરુઃ કર્ણાટકમાં પણ CBIને હવે તપાસની સીધી મંજૂરી નહીં મળે. રાજ્યથી મંજૂરી મળ્યા પછી CBI તપાસ કરી શકશે. આ પહેલાં મોટા ભાગનાં બિન ભાજપ શાસિત કેટલાંક રાજ્યો આવી રીતે CBIના આવવા પર તપાસ લગાવી ચૂકી છે. કર્ણાટકના આ નિર્ણય પછી વિવાદ જોવા મળી રહ્યો છે, કેમ કે ટાઇમિંગને લઈને વિવાદની સ્થિતિ છે.

કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે CBIને આપેલr સંમતિ પરત લેવાનો નિર્ણય લીધો છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી રાજ્ય સરકારની પરવાનગી વગર કર્ણાટકમાં પ્રવેશ કરી શકશે નહીં.

CM સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠક પછી કાયદા અને સંસદીય કાર્ય પ્રધાન એચ. કે. પાટીલે જણાવ્યું હતું કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબલિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ હેઠળ કર્ણાટક રાજ્યમાં ગુનાહિત કેસોની તપાસ માટે  CBIને સામાન્ય સંમતિ આપતું નોટિફિકેશન પરત લઇ લેવામાં આવ્યું છે.

આ નોટિફિકેશન એટલા માટે પરત લેવામાં આવ્યું છે, કારણ કે એક બાબત સ્પષ્ટ છે કે CBI અથવા કેન્દ્ર સરકાર પોતાનાં સાધનોનો ઉપયોગ કરતી વખતે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતી નથી. તેથી અમે દરેક કેસની સમીક્ષા કર્યા પછી સંમતિ આપીશું. સામાન્ય સંમતિ પરત લઈ લેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે અમે રાજ્યમાં CBIના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ.

પત્રકારોએ તેમને સવાલ કર્યો કે શું MUDA કેસમાં CM સિદ્ધારમૈયાને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો તેમણે જણાવ્યું હતું કે કોર્ટે આ કેસમાં લોકાયુક્ત પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

એક અન્ય પત્રકારે પૂછ્યું હતું કે શું ભાજપ દ્વારા કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ ફંડમાં હેરાફેરીના કેસની CBI તપાસ કરાવવાની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો તેના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે આ કેસ સાથે આ બાબતને કોઇ લેવા-દેવા નથી, કારણ કે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

 

વાસ્તુ: નવરાત્રીમાં મધ્યરાત્રી પછી ચંદ્રના પ્રકાશથી દુર રહેવું

માણસની ભૂખ જયારે હદ વટાવે ત્યારે સિદ્ધાંતો અને સંસ્કૃતિ બંને નેવે મુકાય. સ્વાર્થ જાગે અને સમાજને નુકશાન થાય. જે સમાજ પોતાના હક માટેની લડાઈ ન લડી શકે તે વિદેશી આક્રમણનો સામનો કરી શકશે? માનસિક રીતે નાપુન્શક થતો સમાજ એ દેશ માટે લાલ બત્તી સમાન ગણાય. જે દેશમાં નિરાકારની પૂજાનો મહિમા છે ત્યાં ઉત્સવના નામે ઘોંઘાટ, અંગ પ્રદર્શન, વ્યભિચાર વિગેરે ફેલાય ત્યારે વિચાર આવે કે ક્યાંક કશુક તો ખોટું થયું. અને આધુનિક થવાની દોડ એક એવી દિશા તરફ વળી ગઈ જ્યાંથી પાછા આવવામાં હવે મોડું થઇ ગયું છે. કડક કાયદા અને કેટલાક નિયમો જ આ દિશા બદલવામાં મદદ કરી શકે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: સવારમાં ઉઠીએ ત્યારથી સાંજ સુધીમાં અનેક રીલ્સ ધર્મ બચાવો વિશે આવે છે. પણ શું એની ભયભીત થવા સિવાય કોઈ અસર છે ખરી? બધા સરકારના ભરોસે બેસી ગયા છે. અંતરિયાળ જગ્યાઓએ શું ચાલે છે એ સરકારને થોડી ખબર પડવાની છે? વળી જે ઘટના બની છે એને રોકી તો નહિ જ શકાય. શું એના માટે સમાજમાં જાગૃતિ લાવવી જરૂરી નથી. અમારી સોસાયટીમાં કોમન પ્લોટમાં કમિટી વાળા પોતાની અંગત તાંત્રિક વિધિઓ કરાવે છે. એ પણ સોસાયટી ફંડ માંથી. આ વરસે ફરજીયાત ફંડ ઉઘરાવે છે. અને જો કોઈ વિરોધ કરે તો ધમકીઓ આપે છે. સોસાયટીની દીવાલો પર જાહેરાતો લગાવવામાં આવે છે. એમાંથી આવેલા પૈસાનો કોઈ હિસાબ નથી. જો એ લોકો ફંડ ભેગું કરે છે તો સોસાયટીનો પ્લોટ વાપરવાનું ભાડું એમણે આપવું જોઈએ. વળી આ પૈસાનો કોઈ હિસાબ એ લોકો આપતા નથી. નવરાત્રીમાં બાર વાગ્યા સુધીનો નિયમ છે પણ એ લોકો પોતાની અંગત ઓળખાણથી મોટા માથાઓને ગરબા કરવા બોલાવીને આખી રાત ઘોંઘાટ કરે છે. અમને વૃદ્ધોને તકલીફ પડે એનો વિચાર નથી કરતા. એક સ્ત્રીએ તો અમે રજૂઆત કરતા અમને એવું પણ કહ્યું હતું કે સરકાર અમારા ખીસામાં છે. મને વિશ્વાસ છે કે એ ખોટું બોલે છે. પણ શું થાય? બધા દબાઈને બેસી ગયા છે.

અમે સ્વતંત્રતા માટે લાઠીઓ ખાધી. અને હવે આવા લોકોનો ત્રાસ સહન કરવો પડે છે. પહેલા આવું નહતું. બીજા રાજ્યના લોકો આપણા રાજ્યમાં વેપાર કરવા આવે છે. એમના હાથમાં સત્તા આવે તો આવું જ થાય. પણ કોરોના સમયમાં ચૂંટણી કરીને એ લોકો ઘુસી ગયા છે. મોટા રાજકારણીઓ અને કમિશ્નરની ધમકીઓ આપે છે. ક્યારેક વિચાર આવે છે કે અંગ્રેજો સારા હતા. એમના સમયમાં અનુશાસન તો હતું. કોઈ પોતાના જ લોકોને રંજાડે એવું નહતું. વળી કયો ધર્મ ઘોંઘાટને પ્રમોટ કરે છે? કયા ધર્મમાં અંગ પ્રદશન અને ઉદ્ધતાઈ વિશે વાત કરવામાં આવી છે? શું ઈશ્વર પણ આવા લોકોની સાથે છે? સાચે જ દુખ થાય છે કે ક્યાં આવા લોકોની વચ્ચે આવી ગયા?

જવાબ: જયારે આકાશવાણી થઇ પછી કંસે દેવકીને જેલમાં પૂરી દીધી. પણ એ સારો માણસ બની ગયો. ભગવાને એનો વધ કરવાનો હતો. તેથી નારદમુની એની પાસે ગયા. એમના હાથમાં કમળનું ફૂલ હતું. એમણે કંસને પૂછ્યું કે આ ફૂલની આઠમી પાંખડી કઈ? કંસે કહ્યું કે એ તો કેવી રીતે ખબર પડે? એટલે નારદ મુનીએ સમજાવ્યું કે કુદરતનું ચક્ર પણ આ જ રીતે કામ કરે છે. કયા જન્મનો આઠમો દીકરો એ વાત ક્યાં થઇ છે? બની શકે કે આગળના જન્મમાં સાત દીકરા જન્મી ચુક્યા હોય. કંસ ગભરાયો. ડર હંમેશા માણસને ખોટું કરવા પ્રેરે છે. કંસ વધારે ખરાબ બની ગયો. એના કુકર્મો વધતા ગયા. અને અંતે એનો પાપનો ઘડો છલકાઈ ગયો. એનો વધ થયો. માનસ જયારે વધારે કુકર્મ કરે ત્યારે જ એનો વિનાશ થાય છે.

તમારી સોસાયટી માટે પણ આ વાત લાગુ પડે છે. જે લોકો અત્યારે તોફાન કરે છે. એમને પોતાના ભવિષ્યની ચિંતા જ નથી. જાહેરમાં તાંત્રિક વિધિ ન જ થઇ શકે. જે લોકો અભાવમાં ઉછર્યા હોય એમને જ અન્યનું છીનવી લેવાની ઈચ્છા થાય. આ લોકો જે રીતે તમને બધાને છેતરી રહ્યા છે એ જ બતાવે છે કે એમનો ઉછેર બરાબર નથી. નાનપણમાં જે વસ્તુઓ નથી મળી એ મેળવવા એ લોકો કોઈ પણ હદ પાર કરી રહ્યા છે. દુ:ખદ બાબત એ છે કે લોકો દબાઈને બેસી ગયા છે. પણ એ હાલત ઘણી બધી જગ્યાએ છે. જે વ્યક્તિ પોતાના હકની લડાઈ ભૂલી જાય છે એ પણ ગુનેહગાર છે.

તમારી પેઢીએ દેશ માટે જે કર્યું એના માટે તમને સાચું સન્માન નથી મળ્યું એ દુ:ખદ બાબત છે. પણ એ વાત સત્ય છે કે જો તમે એ વાત સતત નવી પેઢી સુધી પહોંચાડી હોત તો તમારી ખુમારી વારસામાં સચવાઈ રહી હોત. તમારા બધા સ્વજનો વિદેશમાં છે. જે દેશમાં બાળક જન્મે ત્યારથી માબાપ એની આંખમાં વિદેશના સપના આંજે એ દેશમાં દેશપ્રેમ જગાડવો મુશ્કેલ છે. તમારી આખી વાત વાંચીને મન હચમચી ગયું. તમે એ સોસાયટીના ગુંડાઓ સામે ટકી રહ્યા છો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમણે તમને જે પ્રકારે ધમકીઓ આપી છે અને તમને કોઈ સારો પ્રતિભાવ નથી મળતો એ જોતા લાગે છે કે આવી સોસાયટીમાં ન રહેવાય. તમે જેટલા લોકોને ઓળખો છો એમને સાચી માહિતી આપતા રહો જેથી સોસાયટીમાં કોઈ અન્ય માણસ આવીને ન ફસાય. જે લોકો ત્યાં રહીને સહન કરે છે એમણે પોતાની સજા જાતે જ નક્કી કરી છે. પણ નવા લોકોને ફસાવા ન જ દેવાય.

એ લોકો પૈસા લઈને સોસાયટીમાં અન્ય તોફાની તત્વોને તહેવારોમાં આવવા દે છે. એના માટે તમે ફરિયાદો કરી છે. પણ એ લોકો પૈસા આપીને પતાવી દે છે. પણ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરો. સરકાર આ વખતે આવી બાબતોને રોકવા માંગે છે. કોઈ પણ સોસાયટીમાં ફરજીયાત ફંડ પણ ન હોય અને જે કોઈ પૈસા આપે એને સોસાયટીમાં આવવા પણ ન જ દેવાય. એ લોકો જો સાચે જ સરકારમાં કોઈને ઓળખાતા હશે તો એમનું નામ વટાવવા માટે ઠપકો મળશે. અને જો ખાલી ખાલી નામ વટાવતા હશે તો ખુલ્લા પડી જશે.

આ ઉપરાંત મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન કરો. એમાં ખરેખર ખુબ શક્તિ છે. કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખો. ઈતિહાસ સાક્ષી છે કે આવા લોકોનો અંત ખુબ ભયાનક આવ્યો છે.

સુચન: નવરાત્રી દરમિયાન મધ્યરાત્રી બાદ ચંદ્રના પ્રકાશમાં ન રહેવું જોઈએ. જેમ સવારના સૂર્યની ઉર્જાનું મહત્વ છે. તે જ રીતે ઉગતા ચંદ્રના પ્રકાશનું પણ મહત્વ છે. 12 વાગ્યા પછીનો સૂર્ય પ્રકાશ અને 12 વાગ્યા પછીનો ચંદ્ર પ્રકાશ યોગ્ય ઉર્જા નથી આપતા. તેથી મધ્યરાત્રી પછી ચંદ્રના પ્રકાશથી દુર રહેવું જોઈએ.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)