Home Blog Page 146

ગીર સોમનાથમાં કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને નુકસાન

ગીર સોમનાથ: જિલ્લામાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાએ ખેડૂતની ચિંતામાં વધારો કર્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી પડ્યો. જેના કારણે વિવિધ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ગીરની ઓળખ સમાન કેસર કેરીને… આ કુદરતી આફત તૂટી પડતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવી રહ્યા છે.વેરાવળ તાલુકાના પંડવા ગામ અને તેની આસપાસના વાડી વિસ્તારોમાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. પંડવા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી સીઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
આ વર્ષે આંબા પર સારો મ્હોર અને નાની કેરીઓ (ખાખડી) જોઈને ખેડૂતો તેમજ બગીચા રાખનારા ઈજારદારો સારા નફાની આશા રાખી રહ્યા હતા. પરંતુ, કમોસમી માવઠાએ તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી છે.  ખેડૂતોના જણાવ્યા મુજબ હજુ કેરી નાની અવસ્થામાં હતી, ત્યારે જ પવન અને વરસાદના કારણે તે મોટા પ્રમાણમાં ખરી પડી છે.  વરસાદી પાણી પડવાથી અને ભેજવાળા વાતાવરણને કારણે બાકી રહેલી કેરીઓમાં પણ રોગચાળો આવવાની અથવા ડાઘ પડવાની શક્યતા વધી ગઈ છે.વેરાવળ પંથકમાં માત્ર કેરી જ નહીં, પરંતુ ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક જેવા કે બાજરી અને મગફળીને પણ આ વરસાદી માહોલની માઠી અસર થવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.

વાસ્તુ : નકારાત્મક ઊર્જા અને જીવનના ખોટા નિર્ણયો

જો તમારી બાજુમાં કોણ ઉભું છે એનાથી તમારી કીમત નક્કી થતી હોય, તો તમારી કોઈ કીમત જ નથી એવું સીધે સીધું જ સાબિત થાય છે. આપણે જ્યારે ઉભા હોઈએ અને કોઈ જાણીતા માણસને મળવા આવવાનું મન થાય, ત્યારે આપણી સાચી કીમત ગણાય. કોણ શું કહેશે એ વિચારવામાં જીવનની અદ્ભુત ક્ષણો ખોવાના બદલે મનને ગમતું કરવામાં જ જીવનની સાચી મજા છે. કોઈનું નુકસાન કર્યા વિના સરળ અને સુખી જીવન જીવતો માણસ જ સફળ માણસ ગણાય.

કોઈ યાદ કરે છે તો પણ એ સકારાત્મકતા છે. કોઈ અંગત ક્યારેક ન મળવાની ફરિયાદ કરે તો એ પણ સકારાત્મકતા છે, કારણ કે કોઈ તમને પોતાની અંગત વ્યક્તિ માને છે એનો આ પુરાવો છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સ: અમારી સોસાયટીમાં એક વિચિત્ર માણસ રહે છે. એને કોઈની પડી જ નથી. મારી પત્નીને તો એ દીઠો નથી ગમતો. એક વાર મારી પત્નીથી એની ગાડી ઘસાઈ ગઈ. અમે નક્કી જ કર્યું હતું કે આજે તો લડી જ લેવું છે અને કહી દઈશું કે મોટી ગાડી હોય તો બીજે પાર્ક કરો, અમારી ગાડી ઘસાઈ જાય છે. પણ એ તો કશું બોલ્યા વિના મહિનાઓ સુધી એવી ગાડી લઈને ફરતો અને જે મળે એને કહેતો કે કોઈ નવશીખીયાએ આ ઘસી નાખી છે. બોલો, અમારું કેવું લાગે? પછી અમે ખૂબ મહેનત કરી, પણ એમ થોડા પૈસા આવે? અંતે એક તક મળી અને અમે સોસાયટીની કમિટીને સાધી લીધી. ભાગ નક્કી કરીને બધા કામ અમને મળી ગયા. ત્રણ મોટી ગાડી લઈ લીધી. એ માણસ તો અમારી ગાડીની સામે પણ નથી જોતો. ગુસ્સો આવે છે. શું કરીએ?

જ: લોકો શું કહેશે એ સહુથી મોટી સમસ્યા છે. તમે તમને ગમતું કરો. એ માણસ તો તમને ગણતો જ નથી. એને દેખાડી દેવામાં તમે દેવાળિયા થઈ જશો અને એને ખબર પણ નહીં હોય. એ મસ્તરામ છે. એણે ક્યારેય તમારું નામ નથી લીધું, એનો અર્થ કે એને ખબર નથી કે આ નુકસાન તમે કર્યું હતું. તમારા મનમાં ગુનાહિત લાગણી છે. એમાંથી બહાર આવીને જીવવાનું શરૂ કરો. તમે કારણ વિના એને મનમાં ભરીને ફરો છો.

સ: અમે રાજસ્થાની છીએ, પણ પેઢીઓથી અમે ગુજરાતમાં જ છીએ. આમ તો મારું પિયર ગુજરાતી છે, પણ સાસરિય રાજસ્થાની. ટૂંકમાં લવ મેરેજ છે. ત્રણ વરસ પહેલા મારા પતિ કી ક્લબમાં મેમ્બર થયા. એમાં એવું હોય કે પત્નીઓ ગાડીમાં બેસે, ટેબલ ગોળ ફરે, જેની ઉપર ચાવીઓ પડી હોય. જેની સામે જે ગાડીની ચાવી આવે, એ ગાડી અને એની પત્ની પેલા માણસની એક રાત માટે થઈ જાય. એવું બધાની સાથે થાય. આવી મીટિંગ હોય ત્યારે અમારી ગાડી બીજાના ઘરે હોય અને બીજાની ગાડી અમારા ઘરે. તમે અમારું પાર્કિંગ જોશો તો વારંવાર ગાડીઓ બદલાતી લાગશે.

મારો દેખાવ સુંદર નથી, એટલે મારા પતિને એ ક્લબમાંથી કાઢી મૂકવાની વાત થઈ. મારા પતિએ અમારી જ સોસાયટીમાં ઘર ભાડે રાખીને કેટલીક છોકરીઓ વસાવી લીધી. મીટિંગમાં એ હવે એમને લઈ જાય છે. એ બિલ્ડિંગમાં ઓળખાણથી કેમેરા પણ કાઢાવી નાખ્યા છે.

હવે મારા પતિ આ વાતને વેપાર સુધી લઈ ગયા છે. પોતાનું કામ કાઢાવવા આ છોકરીઓને દારૂ સાથે મોકલે છે, જે ખોટું કહેવાય. કોઈ ઈલાજ આપો ને.

જ: તમે જે વાત કરી એ બંને પ્રવૃત્તિ ખોટી જ કહેવાય. તમારે શરૂઆતથી જ વિરોધ કરવો જોઈએ હતો. વળી દેહવ્યાપારનો વ્યવસાય અત્યંત નકારાત્મક છે. એની નકારાત્મક અસર તમારી આવતી પેઢી સુધી આવી શકે છે. એનો વિરોધ કરો. મોડર્ન દેખાવાની લ્હાયમાં તમે ખોટા રસ્તે ચડી ગયા છો. તમારા પતિને સમજાવો. જરૂર પડે તો સોસાયટીના અન્ય લોકોની મદદ લઈને આ કાર્ય બંધ કરાવો.

સુચન: અગ્નિનો દોષ અતિકામી બનાવે છે.

ટ્રમ્પે કર્યું પેટન્ટ દવાઓ પર 100 ટકા ટેરિફનું એલાન

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ કેટલીક પેટન્ટ દવાઓ પર 100 ટકા સુધી ટેરિફ લગાવવામાં આવે એવી શક્યતા છે. આ ટેરિફ તે કંપનીઓ પર લાગુ થશે જે આવનારા મહિનાઓમાં તેમની સરકાર સાથે સમજૂતી નહીં કરે.

જે કંપનીઓએ “મોસ્ટ ફેવર્ડ નેશન” પ્રાઇસિંગ ડીલ કરી છે અને અમેરિકા ખાતે પેટન્ટ દવાઓ તથા તેના કાચા માલના ઉત્પાદન માટે ફેક્ટરી સ્થાપી રહી છે, તેમને કોઈ ટેરિફ લાગશે નહીં. જ્યારે પ્રાઇસિંગ ડીલ કર્યા વગર અમેરિકામાં ઉત્પાદન શરૂ કરતી કંપનીઓ પર શરૂઆતમાં 20 ટકા ટેરિફ લાગશે, જે ચાર વર્ષમાં વધીને 100 ટકા સુધી પહોંચશે.

રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ લેવામાં આવ્યું પગલું

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીઓ પાસે હજુ ચર્ચા માટે સમય છે. મોટી કંપનીઓને 120 દિવસ અને અન્ય કંપનીઓને 180 દિવસનો સમય આપવામાં આવ્યો છે, ત્યાર બાદ 100 ટકા ટેરિફ લાગુ થઈ શકે છે. અધિકારીએ કઈ કંપનીઓ અથવા કઈ દવાઓ પર ટેરિફ લાગશે તેની માહિતી આપી નથી, પરંતુ જણાવ્યું હતું કે સરકાર પહેલેથી જ મોટી દવા કંપનીઓ સાથે 17 કિંમત સમજૂતીઓ કરી ચૂકી છે, જેમાંથી 13 પર સહી થઈ ગઈ છે.

ફાર્મા ઉદ્યોગે વ્યક્ત કરી ચિંતા

આ નવા નિર્ણયના સંભવિત પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દવા ઉદ્યોગ સંગઠન  ફાર્મા (PHRM)ના CEO સ્ટીફન જે. ઉબલે જણાવ્યું હતું કે અદ્યતન દવાઓ પર ટેક્સ લગાવવાથી ખર્ચ વધશે અને અમેરિકામાં અબજો ડોલરના રોકાણ પર અસર પડી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકામાં પહેલેથી જ બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગનો મોટો આધાર છે અને અન્ય દેશોમાંથી આવતી ઘણી દવાઓ વિશ્વસનીય સહયોગી દેશોમાંથી આવે છે.

ટ્રમ્પના નિર્ણયની મુખ્ય બાબતો

  • અમેરિકા દ્વારા પેટન્ટ દવાઓ પર 100 ટકા સુધી ટેરિફની જાહેરાત
  • સરકાર સાથે કિંમત સમજૂતી ન કરનાર કંપનીઓ પર ટેરિફ લાગશે
  • સમજૂતી + અમેરિકામાં ઉત્પાદન કરતી કંપનીઓ માટે 0% ટેરિફ
  • સમજૂતી વગરની કંપનીઓ માટે પહેલા 20 ટકા, પછી 4 વર્ષમાં 100 ટકા ટેરિફ

ટૂંક સમયમાં ખૂલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ?: ભારતે કહ્યું, ‘ફ્રીડમ ઓફ નેવિગેશન’ જરૂરી

નવી દિલ્હીઃ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાને મુદ્દે 60થી વધુ દેશોની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનું નેતૃત્વ બ્રિટને કર્યું હતું. આ બેઠક દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તાત્કાલિક અસરથી ખોલવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમામ દેશોએ તેને શક્ય તેટલી વહેલી તકે ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. એ સાથે જ ‘ફ્રીડમ ઓફ નેવિગેશન’ (સમુદ્રી અવરજવરનો સ્વતંત્ર અધિકાર) જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું વૈશ્વિક સમૃદ્ધિ માટે મોટો ખતરો છે.

આ બેઠકમાં ભારતે ફ્રીડમ ઓફ નેવિગેશન પર ભાર મૂક્યો અને આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિનો ભારતની ઊર્જા સુરક્ષા પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે.

 ભારતે બેઠકમાં શું કહ્યું?

તેમણે પોતાના નિવેદનમાં એ પણ ચિંતા વ્યક્ત કરી કે આ સંઘર્ષને કારણે ભારતીય નાવિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ગલ્ફ વિસ્તારમાં 18 ભારતીય જહાજો ફસાયેલા છે, જેમાં 485થી વધુ ભારતીય નાવિકો સવાર છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે આ સંકટનો ઉકેલ કૂટનીતિક રીતે ઇચ્છે છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને વહેલી તકે ખોલવાની માગ કરી છે.

 સ્ટ્રેટ ઓફ હોર્મુઝ શું છે અને ક્યાં આવેલું છે?

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંથી એક છે અને તે દુનિયાનું સૌથી મહત્વપૂર્ણ ઓઇલ પરિવહન માર્ગ માનવામાં આવે છે.

આ સમુદ્રી માર્ગ ઈરાનના ઉત્તર ભાગ અને ઓમાન તથા યુનાઇટેડ આરબ અમીરાત (UAE)ના દક્ષિણ ભાગ વચ્ચે આવેલો છે. તેના પ્રવેશ પાસે પહોળાઈ આશરે 50 કિમી (31 માઈલ) છે અને સૌથી સંકુચિત ભાગમાં તે લગભગ 33 કિમી જેટલો રહે છે. આ માર્ગ ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડે છે અને ખાડી પ્રદેશમાંથી વિશ્વના અન્ય ભાગોમાં ઓઇલ અને ગેસ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

૦૩ એપ્રિલ ૨૦૨૬

Chitralekha Gujarati – 13 April, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

માર્ચમાં UPI દ્વારા રેકોર્ડ 22 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન

ભારતમાં ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ અટકવાનું નામ નથી લઈ રહી. માર્ચ 2026ના મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ 22.64 અબજ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસના જણાવ્યા અનુસાર, ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં આ અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે, જે દર્શાવે છે કે સામાન્ય માણસ હવે રોકડ વ્યવહારને બદલે UPI ને વધુ પ્રાધાન્ય આપી રહ્યો છે.

જો આંકડાકીય સરખામણી કરીએ તો, માર્ચ 2025 માં 18.3 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની સરખામણીએ આ વર્ષે 24% નો વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2026 માં આ આંકડો 20.39 અબજ હતો. UPI ની આ સફળતા પાછળ તેની સુરક્ષા અને સરળતા મુખ્ય કારણ છે. RBI ના ટુ-લેયર સિક્યોરિટી ફીચરના કારણે લોકોનો તેના પર વિશ્વાસ વધ્યો છે.

આજે દેશમાં થતા કુલ ડિજિટલ વ્યવહારોમાં UPI નો હિસ્સો 85% સુધી પહોંચી ગયો છે. માત્ર ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ UPI ડંકો વગાડી રહ્યું છે. સિંગાપોર, UAE, ફ્રાન્સ અને મોરેશિયસ જેવા દેશોમાં પણ હવે ભારતીયો UPI દ્વારા પેમેન્ટ કરી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત આ સિસ્ટમ હવે વૈશ્વિક પેમેન્ટ મોડલ બની રહી છે.

31 ડિસેમ્બર સુધી સિમ કાર્ડ વગર પણ ચાલશે WhatsApp અને Telegram

ટેલિકોમ વિભાગે સોશિયલ મીડિયા યુઝર્સને મોટી રાહત આપતા ‘સિમ બાઈન્ડિંગ’ ગાઈડલાઈન્સના અમલીકરણને 31 ડિસેમ્બર 2026 સુધી ટાળી દીધું છે. આનો અર્થ એ છે કે હવે તમારું WhatsApp અને Telegram મેસેન્જર સિમ કાર્ડ વગર પણ કામ કરતું રહેશે અને વેબ વર્ઝન પર વારંવાર ઓટોમેટિક લોગ-આઉટ થવાની સમસ્યા નહીં રહે.

અગાઉ આ નિયમ 30 માર્ચથી લાગુ થવાનો હતો, જે મુજબ જો મોબાઈલમાં એક્ટિવ સિમ કાર્ડ ન હોય તો મેસેજિંગ એપ કામ કરવાનું બંધ કરી દેત. એપલે આ ગાઈડલાઈન સામે ટેકનિકલ કારણોસર વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે સરકારે કંપનીઓને આ નિયમનું પાલન કરવા માટે વર્ષના અંત સુધીનો સમય આપ્યો છે. સિમ બાઈન્ડિંગનો મુખ્ય હેતુ સાયબર છેતરપિંડી રોકવાનો હતો, કારણ કે ઘણા ગુનેગારો સિમ વગરની એપનો ઉપયોગ કરીને ફ્રોડ કરતા હોય છે.

ટેલિકોમ વિભાગના નવા નિર્દેશો મુજબ, ડિજિટલ સિક્યોરિટી વધારવા માટે આ નિયમ ભવિષ્યમાં અનિવાર્ય બનશે, પરંતુ હાલ પૂરતું યુઝર્સ અને કંપનીઓને તૈયારી માટે સમય અપાયો છે. હાલમાં વેબ વર્ઝન પર જે 6 કલાકમાં ઓટોમેટિક લોગ-આઉટ થવાનો નિયમ હતો, તે પણ હાલ પૂરતો મુલતવી રખાયો છે.

ભારતને ટૂંક સમયમાં મળશે ડેન્ગ્યુ માટેની ‘Qdenga’ વેક્સિન

ભારતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ડેન્ગ્યુના હજારો કેસ નોંધાય છે અને અનેક લોકો જીવ ગુમાવે છે. અત્યાર સુધી ડેન્ગ્યુ માટે કોઈ ચોક્કસ વેક્સિન ઉપલબ્ધ નહોતી, પરંતુ હવે ભારતમાં ટૂંક સમયમાં ‘Qdenga’ નામની રસી આવવાની આશા જાગી છે. આ વેક્સિન જાપાનની દવા કંપની તાકેડા (Takeda) દ્વારા વિકસાવવામાં આવી છે અને તેના અંતિમ તબક્કાના ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા છે.

ભારતમાં આ વેક્સિન હૈદરાબાદ સ્થિત બાયોલોજીકલ ઈ (Biological E) સાથેની ભાગીદારીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે આ વેક્સિન ડેન્ગ્યુના કેસોમાં મોટો ઘટાડો લાવશે. Qdenga વેક્સિનને વિશ્વના 40 થી વધુ દેશોમાં મંજૂરી મળી ચૂકી છે અને WHO એ પણ તેને સુરક્ષિત ગણાવી છે. આ રસીની ખાસિયત એ છે કે જે લોકોને અગાઉ ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે તેમના પર પણ તે અસરકારક સાબિત થાય છે.

હાલમાં આ વેક્સિનને ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની મંજૂરી મળવાની બાકી છે. મંજૂરી મળ્યા બાદ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. ડોક્ટરોના મતે, વેક્સિન આવ્યા બાદ પણ મચ્છરોથી બચવા અને સ્વચ્છતા જાળવવી અનિવાર્ય રહેશે, પરંતુ ગંભીર સ્થિતિ અને મૃત્યુદરમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળશે.

આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉપનેતા પદેથી રાઘવ ચઢ્ઢાને હટાવ્યા

આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા તરીકે રાઘવ ચઢ્ઢાને બદલવા માટે અશોક મિત્તલને પત્ર લખ્યો છે. ચઢ્ઢા હાલમાં આ મામલે રાજ્યસભાના મહાસચિવ સાથે મુલાકાત કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી દૂર કર્યા છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને રાઘવના સ્થાને સાંસદ અશોક મિત્તલને ઉપનેતા તરીકે નિયુક્ત કરવા જણાવ્યું છે. અશોક મિત્તલ પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ હવે રાજ્યસભામાં AAPના નવા ઉપનેતા બનશે. તેમણે કહ્યું કે આ એક નિયમિત પ્રક્રિયા છે. તેમના પહેલા એનડી ગુપ્તા પાર્ટીના ઉપનેતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાઘવ ચઢ્ઢા હાલમાં આ મુદ્દે રાજ્યસભાના મહાસચિવને મળવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં સામાન્ય લોકો સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા છે, જેની સતત ચર્ચા થઈ રહી છે.

ગત મહિને, તેમણે રાજ્યસભામાં દૈનિક ડેટા મર્યાદા અને ડેટા રોલઓવરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે જો મોબાઇલ ફોન પ્લાનમાં આપવામાં આવતા દૈનિક ડેટાનો સંપૂર્ણ ઉપયોગ ન થાય, તો પછીથી તેનો ફરીથી ઉપયોગ કરવાની જોગવાઈ હોવી જોઈએ. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે આ ફક્ત ડેટાનો મામલો નથી, પરંતુ ગ્રાહક અધિકારોનો પણ છે. તેમણે એવી પણ માંગ કરી હતી કે રિચાર્જની મુદત પૂરી થયા પછી ઇનકમિંગ કોલ્સની સેવા બંધ થવી જોઈએ નહીં.

ડેટા મધ્યરાત્રિ 12 વાગ્યે સમાપ્ત થવો જોઈએ નહીં
ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવતા,ચઢ્ઢાએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાનો મોબાઇલ ફોન રિચાર્જ કરે છે, ત્યારે તેમને તેમના પ્લાન મુજબ ડેટા મળે છે. આ ડેટા મધ્યરાત્રિ 12 વાગ્યે સમાપ્ત થાય છે. ગ્રાહક પાસેથી પૂરતો ચાર્જ લેવામાં આવે છે, પરંતુ મધ્યરાત્રિ 12 વાગ્યા સુધીનો કોઈપણ બિનઉપયોગી ડેટા દિવસના અંતે સમાપ્ત થાય છે. આ બિનઉપયોગી ડેટા બીજા દિવસે અમને પરત કરવામાં આવતો નથી, ભલે તે અમારી મહેનતના પૈસાથી ખરીદવામાં આવે. વિડંબના એ છે કે, દૈનિક ડેટા મર્યાદા છે, પરંતુ કોઈ માસિક ડેટા મર્યાદા નથી. માસિક ડેટા મર્યાદા હોવાથી, ડેટાનો સંપૂર્ણ ઉપયોગ થવાની સંભાવના વધારે છે, કારણ કે લોકો રજાઓના દિવસોમાં વધુ ડેટાનો ઉપયોગ કરવાનું વલણ ધરાવે છે. જોકે, આવું થતું નથી, અને બાકીનો ડેટા સમાપ્તિ તારીખ પછી સમાપ્ત થઈ જાય છે. રાઘવ ચઢ્ઢાના મતે, આજે ઇન્ટરનેટ દરેક વસ્તુ માટે આવશ્યક બની ગયું છે અને આપણા જીવનનો એક ભાગ બની ગયું છે.

ડેટાને ડિજિટલ સંપત્તિ ગણવો જોઈએ
આપ સાંસદે માંગ કરી હતી કે ન વપરાયેલ ડેટાનો ઉપયોગ પછીથી કરવાની મંજૂરી આપવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે ડેટા સમાપ્તિ તારીખ પછી સમાપ્ત ન થાય. આ ફક્ત ડેટાનો મામલો નથી, પરંતુ ગ્રાહક અધિકારોનો પણ છે. જો મહિનાના અંતે વધારાનો ડેટા રહે છે, તો વપરાશકર્તાઓને તેમના રિચાર્જ પ્લાનમાં આ ડેટાને સમાયોજિત કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે કહ્યું કે ન વપરાયેલ ડેટાને ‘ડિજિટલ સંપત્તિ’ ગણવો જોઈએ અને વપરાશકર્તાઓને તેને ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપવો જોઈએ. તેમણે કહ્યું કે અમે વીજળીનો વપરાશ કરીએ છીએ તેના માટે ચૂકવણી કરીએ છીએ. તેવી જ રીતે, વપરાશકર્તાઓ પાસેથી ફક્ત વપરાયેલ ડેટાની રકમ માટે જ ચાર્જ વસૂલવો જોઈએ.