Home Blog Page 1460

કોઈ પણ સંજોગોમાં ભારતમાં આ ફિલ્મને રિલીઝ નહીં થવા દઈએ: રાજ ઠાકરે

મુંબઈ:પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ ટૂંક સમયમાં ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ચેતવણી આપી છે કે આ ફિલ્મને કોઈ પણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાની કલાકારોની ફિલ્મોને ભારતમાં કેમ રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે છે?

રાજ ઠકારેએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું કે કળાની કોઈ રાષ્ટ્રીય સીમા હોતી નથી, જે અન્ય મામલોમાં ઠીક છે, પરંતુ પાકિસ્તાન માટે આ બિલકુલ કામ નહીં કરે. ભારતથી નફરતના જોરે અલગ થયેલા દેશમાંથી અભિનેતાએને નાચવાં-ગાવાં અને તેમની ફિલ્મને બતાવવા લાવવા માટે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે? સરકારને આ મહારાષ્ટ્ર તો શું દેશના કોઈ પણ રાજ્યમાં રિલીઝ ન થવા દેવી જોઈએ.

થિયેટર માલિકોને રાજ ઠાકરેની ચેતવણી
તેમણે એમ પણ કહ્યું હતું કે, “બાકીના રાજ્યોએ શું કરવું જોઈએ? હાલ તો એ વાત ચોક્કસ છે કે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે. આ પહેલા પણ જ્યારે આવી ઘટનાઓ બની હતી ત્યારે મહારાષ્ટ્રે આપેલો ફટકો બધાને યાદ છે. નવનિર્માણ સેના, હવે થિયેટર માલિકોને નમ્રતાપૂર્વક વિનંતી કરવામાં આવે છે કે તેઓ ફિલ્મોના સ્ક્રીનિંગની દુવિધામાં ન પડે.”

રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ રીલિઝ થવાની આસપાસ નવરાત્રીનો તહેવાર શરૂ થશે. હું મહારાષ્ટ્રમાં કોઈ સંઘર્ષ નથી ઈચ્છતો અને આ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ મહાનિર્દેશકની ઈચ્છા નથી અને અમે ઘર્ષણ ઇચ્છતા પણ નથી, તેથી આપણે સમયસર પગલાં લેવા જોઈએ અને જોવું જોઈએ કે આ ફિલ્મ આપણા દેશમાં રિલીઝ ન થાય.”

તેમણે ઉમેર્યુ કે,”એ ન ભૂલવું જોઈએ કે જો થિયેટર માલિકો, જેઓ મરાઠી ફિલ્મો માટે થિયેટર આપવામાં આનાકાની કરે છે, જો તેઓ પાકિસ્તાની સિનેમાને તેમની ધરતી પર આવવા દે, તો આ ઉદારતા મોંઘી સાબિત થશે. હું ઈચ્છું છું કે કોઈપણ રાજ્ય પાકિસ્તાની માટે થિયેટર ઉપલબ્ધ કરાવે. સિનેમામાં કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ અને મને ખાતરી છે કે સરકાર તેના પર યોગ્ય ધ્યાન આપશે.”

તમને જણાવી દઈએ કે ફવાદ ખાનની ‘લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ પાકિસ્તાન અને અન્ય દેશોમાં રિલીઝ થઈ છે અને પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. હવે ભારતમાં ઝી સ્ટુડિયોએ તેના કોપી રાઈટ્સ ખરીદી લીધા છે, જે તેને 2જી ઓક્ટોબરે રિલીઝ કરી રહ્યાં છે.

માતૃશ્રાદ્ધ માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તીર્થ બિંદુ સરોવર

ભાદરવા મહિનાનો કૃષ્ણપક્ષ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. શ્રાદ્ધ એટલે ‘શ્રદ્ધાયા યાયત્ ક્રિયતે- તત્- શ્રાદ્ધમ્ । શ્રધ્ધાથી ભાવપૂર્ણ રૂપે જે અંજલિ આપવામાં છે, તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. અર્થર્વવેદમાં શ્રાદ્ધનું મહત્વ જોવા મળે છે. જ્યારે સૂર્ય કન્યા રાશીમાં રહે ત્યારે પિતૃઓને તેમની પ્રિય વસ્તુઓને અપર્ણ કરવાથી દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. માતૃશ્રાદ્ધ : દેવી ભાગવતમાં કહેવાયુ છે માં જગ દમ્બા નવમીનાદિવસે પૃથ્વિ ઉપર પ્રગટ થયા હતા આથી નવમી દિવસનું માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે.

ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. દેશના કોઇ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એકમાત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે. કારતક સુદ અગીયારસથી પૂનમ સુધીના ભીષ્મ પંચક પર્વ સમયે લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્ર થઈ સ્નાન-દાન અને પિંડપ્રદાન કરી પિતૃઓને મોક્ષ અપાવવાનો પ્રયત્ન કરે છે.

ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રાચીન સરસ્વતી નદી કિનારે વસેલું ઐતિહાસિક સ્થળ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક નગરી છે. ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર શ્રીસ્થલ તરીકે પણ જાણીતું હતું. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેમના નામ પરથી સિદ્ધપુર તરીકે જાણીતું થયું.

ભગવાન પરશુરામે તેમના માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કરેલું. બિંદુ સરોવરને નાભિસ્થાન પણ ગણવામાં આવે છે, અહીં માત્ર માતૃશ્રદ્ધા જ થાય છે, તેવું વિધાન છે. બિંદુસરોવર ભારતનાં પાંચ શ્રેષ્ઠ ધાર્મિક સરોવરોમાનું એક છે. જ્યા પહેલાં કપિલમુનિનો આશ્રમ હતા. અહીં કદર્પઋષિએ અનેક વરસો સુધી તપશ્ચર્યા કરી હતી. કપિલ મુનિની અતિ તપશ્ચર્યાથી ભગવાન નારાયણ કદર્પૂ ઉપરની કરુણાથી ભગવાનનાં નેત્રોથી અશ્રુઓનાં બિંદુઓ આ સ્થળ ઉપર પડયા. જેથી આને બિંદુસરોવર કહેવામાં આવે છે. આને માતૃમોક્ષ સ્થાન પણ કહેવાય છે.

વર્ષ 2012માં અહીં નવીન કુંડનું નિર્માણ, માતૃશ્રાદ્ધનું મહત્વ સમજાવતું પ્રદર્શન, મ્યૂઝિયમ, પાર્કિંગ, કુંડ, શૌચાલય, શ્રાદ્ધ વિધિ માટે જુદી-જુદી છત્રીઓ હેઠળ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત રુદ્રમહાલયની પ્રતિકૃતિ, ગાર્ડન, સ્નાનાગાર, વી.આઈ.પી રૂમ, ઓફિસ બિલ્ડિંગ, પ્રવેશ દ્વાર, પરિસરની કમ્પાઉન્ડ વોલ, સોલાર સિસ્ટમ વગેરેને વિકસાવવામાં આવ્યા હતા. આ સિવાય સિદ્ધપુરના બિંદુ સરોવર મુકામે આવતા યાત્રાળુઓ માટે પુરતી સ્વચ્છતા, સુરક્ષા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પૂજા-વિધિ હોલ, ચેન્જિંગ રૂમ, ગાર્ડન અને ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ કરવામાં આવી હતી.

MUDA જમીન કૌભાંડઃ ગવર્નરના ઓર્ડર પર સ્ટે આપવાનો HCનો ઇનકાર

બેંગલુરુઃ હાઇકોર્ટે કર્ણાટકના CM સિદ્ધારમૈયાની MUDA લેન્ડ સ્કેમમાં કેસ ચલાવવાના ગર્વનરના નિર્ણયને રદ કરવાની સંબંધિત અરજી રદ થઈ ગઈ છે. હાઇકોર્ટમાં જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની સિંગલ જજ સ્પષ્ટ કહ્યું હતું કે આ મામલે તપાસ જરૂરી છે અને રાજ્યપાલ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. આ કેસમાં હાઇકોર્ટે 12 સપ્ટેમ્બરે કેસની સુનાવણી પૂરી કરીને ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે અરજીમાં દર્શાવવામાં આવેલાં તથ્યોની તપાસ કરવાની જરૂર છે, એમ કહેતાં હાઇકોર્ટે અરજી ફગાવી દીધી છે. આ સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે કેસ ચલાવવાની મંજૂરી આપવા માટે રાજ્યપાલ સક્ષમ છે.વાસ્તવમાં આ કેસ જમીનના એક ટુકડાનો છે, જેનું માપ 3.14 એકર છે. જે સિદ્ધારમૈયાના પત્ની પાર્વતીને નામે છે. ભાજપ આ કેસમાં CM અને તેમની સરકાર પર સતત હુમલા કરી રહ્યો છે અને CM સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે અને તેમના રાજીનામાની માગ કરી રહ્યો છે. આ કેસમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોત, સિદ્ધારમૈયાની વિરુદ્ધ મંજૂરી આપી ચૂક્યા છે.

બીજી તરફ સિદ્ધારમૈયા અત્યાર સુધી આ બધા આરોપેને ફગાવતા આવ્યા છે. તેમણે રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય જણાવ્યો હતો. ત્યાર બાદ તેમણે રાજ્યપાલના નિર્ણયને કાયદા પડકારતા કોર્ટમાં ધા નાખી હતી. CMએ કહ્યું હતું કેરાજ્યપાલ સરકારને સાંખી નથી શકતા અને હટાવવાની પ્રયાસ કરી રહ્યા છે.

શું છે MUDA કૌભાંડ?

વિપક્ષનો આરોપ છે કે CMની પત્નીને વળતર આપવા માટે મોંઘા વિસ્તારમાં જગ્યા ફાળવવામાં આવી હતી. આરોપોનો જવાબ આપતાં CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આ ફાળવણી 2021માં ભાજપના કાર્યકાળ દરમિયાન જ કરવામાં આવી હતી. MUDA એ કર્ણાટકની રાજ્ય સ્તરીય વિકાસ એજન્સી છે, જેની રચના મે, 1988માં થઈ હતી. MUDAનું કાર્ય શહેરી વિકાસને પ્રોત્સાહન આપવાનું, ગુણવત્તાયુક્ત શહેરી માળખાકીય સુવિધા પૂરી પાડવાનું, પોસાય તેવા આવાસ પૂરા પાડવા, આવાસનું નિર્માણ વગેરે કરવાનું છે.

 

 

 

 

 

 

 

સરદાર સરોવરમાંથી 75,000 ક્યુસેક પાણી છોડાયું

રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યુ છે. ત્યારે આ વર્ષ લલનીનોને કારણે મેઘરાજા મન મુકી વરસ્યા હતા. ભારે વરસાદને પગલે રાજ્યના તમામ જળાશયમાં પાણી ધરખમ આવક નોંધાય છે. ત્યારે સરદાર સરોવર સિઝનમાં એક વખત ઓવરફ્લો પણ થઈ ચૂક્યો છે. હાલમાં સરદાર સરોવરની ડેમની સપાટી વધતાં નર્મદા નદીમાં મંગળવારે સવારે 75,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

સરકારી આંકડા પ્રમાણે આજે સવારે સરદાર સરોવર ડેમની સપાટી 138.25 મીટર નોંધાઈ હતી. ડેમની સપાટીમાં વધારો થતા મંગળવારે સવારે 75000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાથી તકેદારી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે. નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તલાટીઓને પણ જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત ત્રણ મહિના પહેલાં 207 ડેમમાંથી 86 ડેમ તળિયાઝાટક હતા, એની સામે 119 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા અને ઉકાઈ ડેમમાં બે વર્ષ ચાલે એટલું પાણી આવી ચૂક્યું છે. હાલ બંને ડેમમાંથી રૂલ લેવલ જાળવવા તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવરમાં હાલ 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. નર્મદા ડેમમાંથી રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે ઉકાઈ ડેમમાં 86.31 ટકાનો જળસંગ્રહ છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં આગામી બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મના નિર્માતાએ નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી

મુંબઈ: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ થિયેટરોમાં સારી કમાલ કરી શકી નહોતી. ફિલ્મની નિષ્ફળતાથી નિર્માતાઓ અને કલાકારો હતાશ હતા. ફિલ્મ રિલીઝ થયાના કેટલાક દિવસો બાદ તે ફરી ચર્ચામાં આવી છે. ‘બડે મિયાં છોટે મિયાં’ના નિર્માતા અને નિર્દેશક વચ્ચે અણબનાવના સમાચારે જોર પકડ્યું છે. બંને વચ્ચે પૈસાનો વિવાદ એટલો વધી ગયો છે કે હવે બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. જ્યારે ડિરેક્ટર અલી અબ્બાસે તેના પર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે હવે એનઆરઆઈ પ્રોડ્યુસર્સ વાશુ અને જેકી ભગનાનીએ પણ અલી અબ્બાસ ઝફર વિરુદ્ધ પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર મામલો
પૂજા એન્ટરટેઈનમેન્ટના માલિકો વાશુ અને જેકી ભગનાનીએ 3 સપ્ટેમ્બરે અલી અબ્બાસ ઝફર પર ફંડની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. વાશુ ભગનાની અને જેકી ભગનાનીએ પણ અલી અબ્બાસ ઝફર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે અલી અબ્બાસ ઝફર પર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગ દરમિયાન અબુ ધાબી સત્તાવાળાઓ પાસેથી મળેલી સબસિડી ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં અલી અબ્બાસ ઝફરની સાથે હિમાંશુ મેહરા અને આક્ષ રાણાદિવેનું નામ પણ સામે આવ્યું છે. એફઆઈઆરની નકલમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો છેતરપિંડી, ચોરી, બ્લેકમેઈલિંગ, ખંડણી, મની લોન્ડરિંગ અને છેતરપિંડીનો છે. નિર્માતાઓનું કહેવું છે કે આ કેસમાં 9.50 કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ છે.

અલી અબ્બાસ ઝફરે પણ આક્ષેપો કર્યા હતા
નોંધનીય છે કે આ પહેલા અલી અબ્બાસ ઝફરે નિર્માતાઓ પર 7.35 કરોડ રૂપિયા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો ગઈકાલથી ચર્ચામાં છે, જ્યારે નિર્માતાઓએ આ જ મામલે 3 સપ્ટેમ્બર 2024ના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નિર્માતાનો દાવો છે કે દિગ્દર્શક પોતાને સાચો સાબિત કરવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યો છે. આ રિપોર્ટ ફરિયાદ પછી શરૂ થયો, ત્યારબાદ હવે બાંદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિરેક્ટરને ટૂંક સમયમાં સમન્સ મોકલવામાં આવી શકે છે. નોંધનીય છે કે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને દર્શકો અને વિવેચકો બંનેએ રિજેક્ટ કરી હતી. તે જ સમયે અલી અબ્બાસ ઝફરે યશરાજ ફિલ્મ્સ પછી કોઈ સફળ ફિલ્મ કરી નથી.

સ્વચ્છતા પખવાડિયું : જાગૃતિ માટે માનવ સાંકળ

અમદાવાદ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે. વડાપ્રધાન બનતાની સાથે જ તેમણે સ્વચ્છ ભારત માટે જુદી-જુદી સંસ્થાઓ, સેલિબ્રિટીઓને સાથે લઈ જબરજસ્ત ઝુંબેશ શરૂ કરી, જેના સારા પરિણામ પણ જોવા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસથી મહાત્મા ગાંધીજીની જયંતી 2જી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું ચાલી રહ્યું છે. સ્વચ્છતા માટેના આ પખવાડિયા માટે અમદાવાદ શહેર કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા એક માનવ સાંકળ તૈયાર કરવામાં આવી હતી.સ્વચ્છતા ઝુંબેશની આ માનવ સાંકળના આયોજક સેનેટરી ઇન્સ્પેક્ટર વિજયભાઈ મકવાણા ચિત્રલેખા.કોમને કહે છે, “આપણો વિસ્તાર, શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ અને સુંદર રહે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.જી.આઈ. કેન્ટોનમેન્ટ સ્કૂલ, ફિરદોશ અમૃત સ્કૂલના વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને નાગરિકોએ સ્વચ્છતા માટેની માનવ સાંકળમાં ભાગ લીધો હતો.”

આ માનવ સાંકળનું કેન્ટોનમેન્ટથી એરપોર્ટ સર્કલ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર રવિન્દ્ર ખટલે ( આઈ.એ.એસ. ), સુદામ મંચલવાર ( ડિફેન્સ એસ્ટેટ ઓફિસર), વિદ્યાર્થીઓ અને નાગરિકોએ સ્વચ્છતા માટે સંદેશ આપ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

ઇઝરાયેલના હુમલાથી લેબેનોનમાં 492નાં મોત

મર્જાયુનઃ લેબેનોનમાં સોમવારે કરવામાં આવેલા ઇઝરાયેલી સેનાના ઘાતક હુમલામાં મૃતકોની સંખ્યા 492એ પહોંચી છે, જેમાં 90થી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે. બાળકોની સંખ્યા 35 છે, જ્યારે 1645 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વર્ષ 2006માં  ઇઝરાયેલ-હિજબુલ્લા યુદ્ધ પછી આ સૌથી ભીષણ હુમલો છે. ઇઝરાયેલી સેનાએ હિજબુલ્લાની વિરુદ્ધ વ્યાપક હવાઈ હુમલા હેઠળ દક્ષિણી અને પૂર્વ લેબેનોનના નિવાસીઓને જગ્યા ખાલી કરવા ચેતવણી આપી હતી. હિજબુલ્લાના લડાકુએ પણ 200 રોકેટનો માર્યો કર્યો હતો.

ઇઝરાયલની સેનાએ લેબનોનમાં લગભગ 1100 જગ્યાઓ પર હુમલા કર્યો છે. આ ઉપરાંત પેજર અને વોકીટોકીમાં થયેલા બ્લાસ્ટનું ષડ્યંત્ર પણ ઇઝરાયલે રચ્યું હોવાના દાવા છે. લેબનોન પણ બદલો લેવા તૈયારી કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલ સરકારે 30 સપ્ટેમ્બર સુધી દેશમાં સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન એટલે કે ઇમરજન્સી જાહેર કરી છે.ઇઝરાયેલ આર્મી (IDF) સોમવાર સવારથી લેબનોનના બેકા વિસ્તારમાં સતત હુમલો કરી રહી છે. હુમલાનો વ્યાપ વધારવાની વાત કરતાં ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે બેકા ખીણને ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ એક વિડિયો સંદેશ જાહેર કરીને લેબનોનમાં રહેતા લોકોને શક્ય તેટલી વહેલી તકે વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ ચેતવણીને ગંભીરતાથી લો. અમારું ઓપરેશન પૂરું થયા પછી, લેબનીઝ લોકો સુરક્ષિત રીતે તેમના ઘરે પરત ફરી શકશે.

હજી થોડા દિવસો પહેલાં લેબનોનમાં પેજર એટેક થયો હતો, ઘણા પેજર અચાનક વિસ્ફોટ થયા હતા, જેના પરિણામે 10થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 4000 લોકો ઘાયલ થયા હતા. તે હુમલામાં ઈઝરાયેલની ભૂમિકા સામે આવી હતી, એવું કહેવાય છે કે તે હુમલો મોસાદે કરાવ્યો હતો.

ગુજરાતમાં ફરી જામી મેઘ મહેર, 98 તાલુકામાં નોંધાયો વરસાદ

અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાનો રાઉન્ડ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં ફરી ચોમાસું જામવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બીજી બાજું આ સર્ક્યુલેશમનની રાજ્યમાં અસર વરતાવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે દિવસ દરમિયાન 18 તાલુકામાં હળવાથી મધ્યમ નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં વલસાડના પારડીમાં ચાર કલાકમાં 4.17 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાપીમાં 1.77 ઈંચ, નવસારીના વાંસદામાં 1 ઈંચ જ્યારે સુરતના પલસાણા-મહુવામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી 5 દિવસ મઘ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં આજે (24મી સપ્ટેમ્બર) જ્યાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઇ છે તેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.  25 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી બાજું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, દક્ષિણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

વિજયતા પંડિતનું ગાયિકા બનવાનું સપનું પૂરું ના થયું

ફિલ્મ ‘લવ સ્ટોરી’ થી અભિનેત્રી તરીકે શરૂઆત કરનાર વિજયતા પંડિતને ગાયિકા તરીકે અનેક વખત તક મળી હતી પણ એમણે ગાયેલા ગીત પાછળથી અન્ય ગાયિકાના સ્વરમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. વર્ષો પછી પણ ગાયિકા બનવાનું સપનું પૂરું થયું ન હતું. વિજયતાની બહેન સુલક્ષણા પંડિત પોતે હીરોઈન હોવાથી અનેક ફિલ્મોમાં ગાવાની તક મેળવી લીધી હતી વિજયતાના ભાઈઓ જતીન-લલિત અને પતિ આદેશ શ્રીવાસ્તવ પણ એક સંગીતકાર હોવા છતાં એમણે ગીતો ડબ કરવાનું જ કામ કરવું પડ્યું હતું.

વિજયતાએ ભારતી પ્રધાન સાથેની એક મુલાકાતમાં પોતે સારું ગાતી હોવા છતાં ગાયિકા તરીકે કેમ આગળ આવી શકી ન હતી એનું રહસ્ય ખોલ્યું હતું. સુલક્ષણા પંડિતને ગાવાની તક મળી રહી હતી તેથી એક ગાયિકા તરીકે નામ થઈ શક્યું હતું. વિજયતાએ બોલીવુડના અનેક હિટ ગીતો ગાયા પણ પછી એને બીજી ગાયિકાઓના અવાજમાં રેકોર્ડ કરવાની નિર્માતા- નિર્દેશકો, સંગીતકારો વગેરની મજબૂરી રહી હતી. એ કારણે એ પોતાને ગાયિકા સાબિત કરી શક્યા ન હતા. વિજયતા નાની હતી ત્યારથી જ ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.

મહેમૂદની ફિલ્મ ‘જીની ઔર જોની’ (૧૯૭૬) માં કિશોરકુમાર સાથે ‘જોની કો મૈંને જાના હૈ આજ’ ગાયું હતું. ભાઈ જતીન-લલિતને જ્યારે પહેલી ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ (૧૯૯૨) માં કામ મળ્યું ત્યારે ‘પેહલા નશા પેહલા ખુમાર’ વિજયતાએ જ ગાયું હતું. એ ગીત નિર્દેશક મંસૂર ખાનને સંભળાવ્યું ત્યારે એમને પસંદ આવ્યું હતું અને વધુ બહેતર કરવા સૂચના આપી હતી. એ પછી ગીતને ફરીથી તૈયાર કરી વિજયતા અને ઉદીત નારાયણ સાથે રેકોર્ડ કરી મંસૂરને સંભળાવવામાં આવ્યું અને એમણે રેકોર્ડ કરવા પરવાનગી આપી દીધી હતી.

જ્યારે ગીતનું ફાઇનલ રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પણ મંસૂર ખાન હાજર હતા અને એમણે બરાબર હોવાનું કહી દીધું હતું. થોડા દિવસ પછી લલિત પંડિતે બહેન વિજયતાને કહ્યું કે તારું ગીત અન્ય ગાયિકાના સ્વરમાં ડબ થઈ રહ્યું છે. ત્યારે વિજયતાને નવાઈ લાગી કે એણે સારું જ ગાયું હતું તો પછી આમ કેમ થઈ રહ્યું છે. લલિતે કહ્યું કે સંગીતકાર કલ્યાણજી- આણંદજીની ભલામણથી એમની સાથેની એક નવી છોકરી સાધના સરગમ પાસે એનું ફરીથી રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. વિજયતાને દુ:ખ થયું. કેમકે આ ગીતથી એનો ગાયિકા તરીકે ઉદય થાય એમ હતો. પણ એમ માનીને મન મનાવ્યું કે સાધનાની પણ ગાયિકા તરીકે પહેલી ફિલ્મ છે. મને તો આગળ બીજી તક મળતી રહેશે.

જતિનને પણ દુ:ખ હતું કે એની બહેન વિજયતાનું ગીત એના હાથમાંથી જતું રહ્યું. એણે કહ્યું કે તેં બહુ સારું ગાયું હતું. સાધનાના અવાજમાં મરાઠી ટોન આવી રહ્યો હોવાથી રેકોર્ડ કરવામાં તકલીફ પડી રહી છે. વિજયતાએ પૂછ્યું કે તો પછી એની પાસે કેમ ડબ કરાવી રહ્યો છે? ત્યારે જતિને કહ્યું કે અમારી પહેલી ફિલ્મ છે અને તેઓ સાધના સરગમ પાસે રેકોર્ડ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. અમે ના પાડી શકીએ નહીં. આવું અનેક વખત વિજયતા સાથે બન્યું હતું.

જતિન- લલિતના જ સંગીતવાળી ફિલ્મ ‘રાજૂ બન ગયા જેન્ટલમેન’ (૧૯૯૨) ના બધા ગીતો પહેલાં વિજયતાએ ગાયા હતા. પતિ આદેશ શ્રીવાસ્તવે ફિલ્મ ‘કન્યાદાન’ (૧૯૯૩) નું ગીત ‘ઓ સજના દિલબર’ પહેલાં વિજયતા પાસે ગવડાવ્યું હતું. પણ નિર્માતા સુધાકર બોકાડેને લતા મંગેશકર પાસે ગવડાવવું હોવાથી પાછળથી આદેશે એમના અવાજમાં રેકોર્ડ કર્યું હતું. છેલ્લે નિર્દેશક પ્રકાશ ઝાની ફિલ્મ ‘દિલ ક્યા કરે’ (૧૯૯૯) માં પણ વિજયતાએ ગાયેલું ટાઇટલ ગીત જતિન- લલિતે અલકા યાજ્ઞિકના અવાજમાં રેકોર્ડ કરવું પડ્યું હતું. ત્યાર પછી વિજયતાએ પોતાના ગાયનના શોખને તિલાંજલિ આપી દીધી હતી.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો