અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થીની ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો તાજ જીત્યો છે. આ સિદ્ધિથી તે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’ એ ભારતની બહાર સૌથી લાંબી ચાલતી ભારતીય સ્પર્ધા છે. આ સ્પર્ધા જીત્યા બાદ ધ્રુવીએ બોલીવુડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ધ્રુવીએ ખુશી વ્યક્ત કરી
એડિસન, ન્યુ જર્સીમાં તાજ સિદ્ધ કર્યા બાદ ધ્રુવીએ તેની ખુશી વ્યક્ત કરી અને કહ્યું, ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ જીતવું એ અવિશ્વસનીય સન્માન છે. તે એક તાજ કરતાં વધુ છે – તે મારા વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે.’ નોંધનીય છે કે ધ્રુવી પટેલ મુળ ગુજરાતી છે.
કોઈપણ સ્પર્ધા વિશે સૌથી સામાન્ય બાબત એ છે કે તેમાં ફક્ત એક જ વિજેતા હોય છે. ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’ની આ સ્પર્ધામાં સુરીનામની લિસા અબ્દોએલહકને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે નેધરલેન્ડની માલવિકા શર્માને આ રેસમાં સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. મિસિસ કેટેગરીમાં ત્રિનિદાદ અને ટોબેગોની સુઆન માઉટ વિજેતા, સ્નેહા નામ્બિયાર પ્રથમ રનર અપ અને યુનાઇટેડ કિંગડમની પવનદીપ કૌર સેકન્ડ રનર અપ રહી હતી. ગ્વાડેલુપની સિએરા સુરેટે ટીન કેટેગરીમાં ‘મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ’નો તાજ જીત્યો હતો. નેધરલેન્ડની શ્રેયા સિંઘ અને સુરીનામની શ્રદ્ધા તેડજોને પ્રથમ અને દ્વિતીય રનર્સ અપ જાહેર કરવામાં આવી હતી.
31મી વર્ષગાંઠની ઉજવણી કરતી સ્પર્ધા
આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ‘ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી’ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભારતીય-અમેરિકન નીલમ અને ધર્માત્મા સરન તેની અધ્યક્ષતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે આ સ્પર્ધા તેની 31મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.
અંબાજી: દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે યોજાયો હતો. ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો ચાલીને જગત જનની માં આંબાના દર્શન કરવા આવે છે. આ વર્ષે મહામેળામાં કુલ ત્રણ રૂટ પર અંદાજીત 34 લાખથી વધુ પદયાત્રીઓએ ચાલીનેમાં અંબાના દર્શન કર્યા હતા. GPCB અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા ‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ કુલ ત્રણ રૂટ પર તા. 12 થી 19 સપ્ટેમ્બર-2024 દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત 73 ટનથી વધારે કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે GPCB અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલ સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાનમાં તારખી 30 સપ્ટેમ્બર સુધીમાં લગભગ 700 ટન જેટલો કચરો એકત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત આ કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ પણ કરવામાં આવશે. આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પદયાત્રાની સાથે સ્વચ્છતા જળવાય તેવા હેતુસર વિવિધ ઉદ્યોગ એસોશીએશનના સહયોગથી ત્રણ પદયાત્રાના રૂટ પર ત્રણ સ્થળોએ પદયાત્રીઓને પાંચ ખાલી પ્લાસ્ટિકની બોટલ સામે એક સ્ટીલની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત ગુજરાતને સમર્થન આપવા પદયાત્રીઓ દ્વારા અનેરો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે અંતર્ગત કુલ 74,800 પ્લાસ્ટીકની ખાલી બોટલની જગ્યાએ 5000 સ્ટીલની બોટલો આપવામાં આવી હતી. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા-જાગૃતિ લાવવાના હેતુથી 50થી વધારે સેવા કેમ્પ-સ્થળો પર શેરી નાટક ભજવવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુમાં પ્રાણીની ચરબી, પ્રાણીજન્ય ચરબી અને માછલીનું તેલ હોવાની વાત સામે આવી છે. આંધ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શર્મિલા રેડ્ડીએ ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને આ મામલે CBI તપાસ કરવાની માગ કરી છે.
CM ચંદ્રબાબુ નાયડુએ પોતે આ આરોપ લગાવ્યો હતો કે YSR કોંગ્રેસ પાર્ટીની પાછલી સરકારમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદ અને ભોગ માટે બનતા લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે મંદિરની પવિત્રતા અને લોકોની આસ્થા સાથે ચેડાં થયા હતા.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે મંદિરના પ્રસાદની તપાસ કરતાં પ્રસાદમાંથી લાડુમાં ચરબી અને બીફ ઉપયોગમાં લેવાયા હોવાનું ખૂલ્યું છે. આખો મામલો પ્રકાશમાં આવતા વિવાદ વધુ વકર્યો હતો. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકાર પર તિરુમાલા મંદિરની પવિત્રતાને લાંછન લગાડવાના આરોપ મૂક્યા છે.
તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદના મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આંધ્ર પ્રદેશના CM એન. ચંદ્રાબાબુ નાયડુ પાસેથી એક વિસ્તૃત અહેવાલ માગ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકાર આ મામલે વધુ તપાસ કરશે અને યોગ્ય પગલાં લેશે. તેમણે કહ્યું હતું કે મને આ મુદ્દા વિશે સોશિયલ મિડિયા દ્વારા જાણ થઈ છે. મેં ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી અને તેમને સંપૂર્ણ અહેવાલ મોકલવા કહ્યું છે. હું તેની તપાસ કરીશ અને રાજ્યના નિયમનકાર સાથે પણ વાત કરીશ અને જાણીશ કે તેઓ શું કહેવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.
ગાંધીનગર: હવામાન વિભાગ દ્રારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 25 અને 26મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ બે દિવસ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા આગામી 20મી સપ્ટેમ્બરનાં રોજ સૌરાષ્ટ્રનાં કેટલાંક જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં છૂટાં છવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.21મી સપ્ટેેમ્બરનાં રોજ હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં કેટલાંક સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.22 અને 23મી સપ્ટેમ્બરનાં રોજ અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.24મી સપ્ટેમ્બરનાં રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. એક એક પરંપરા અને આસ્થાના તહેવારોની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં સૌથી મોટો ગણાતો નવરાત્રીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. લોકોએ નવરાત્રીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સામાન્ય નાગરિકની સાથે અમદાવાદ પોલીસે પણ અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર પોલીસે મહિલા સુરક્ષા માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.
નવરાત્રીમાં મહિલાઓ સાથે છેડતી ન થાય અને ગરબા રમવા જતી વખતે તેમને કોઈ ભય ન રહે તે માટે અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આજુબાજુના ડાર્ક સ્પોટ પર ફરજિયાતપણે લાઈટો લગાવવાથી લઈને દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવાની સૂચના આપી દીધી છે. નવરાત્રી દરમિયાન શી ટીમ (SHE TEAM) ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી અને મહિલાઓની છેડતી કરનાર અસમાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે. અમદાવાદ પોલીસ શહેરના તમામ પાર્ટી પ્લોટ, શેરી ગરબા તેમજ અન્ય જગ્યા જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેનું લિસ્ટ બનાવીને તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા અને લાઈટો માટે ફરજ પાડી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદથી ગરબા દરમિયાન ખાસ બંદોબસ્તનું આયોજન કરશે. આ દરમિયાન જે પણ રોમિયોગીરી કરતું ઝડપાયું તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રોમિયોગીરી કરનારા માટે પોલીસ એન્ટી રોમિયો સ્ક્વોડની પણ રચના કરશે, જે પોલીસ વાન અને પોલીસ ડ્રેસ સિવાય ટ્રેડિશનલ વેશભૂષામાં કોઈપણ વાહનમાં આવીને ગરબા સ્થળ પર ચાંપતી નજર રાખશે અને રોમિયોગીરી કરનારને દબોચીને યોગ્ય પગલાં લેશે.
ચેન્નઈઃ ભારત અને બંગલાદેશની વચ્ચે ચેન્નઈ (ચેપોક)ના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ભારતે બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા હતા. ભારતે આ સાથે બંગલાદેશની સામે 306 રનની લીડ મેળવી છે.
આ પહેલાં મેચના પહેલા દિવસે ભારત 376 રને ઓલઆઉટ થયું હતું. જે પછી બંગલાદેશ માત્ર 149 રન જ બનાવી શક્યું હતું. બંગલાદેશનો કોઈ બેટર પિચ પર ટકી શક્યો નહોતો અને સમયાંતરે વિકેટો પડી હતી. ભારત વતી બુમરાહે ચાર વિકેટ, સિરાજ, આકાશ દીપ અને જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિને એક પણ વિકેટ મળી નહોતી.
આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી તેણે બાંગ્લાદેશ સામે 3 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 400 વિકેટ લેનારો 10મો ભારતીય બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહે ભારત માટે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી બાદ તેણે 400 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.
ભારત તરફથી અનિલ કુંબલેએ સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે. જ્યારે આર અશ્વિને 369 ઇનિંગ્સમાં 744 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહ સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં ત્રીજા સ્થાને છે. તેણે 707 બેટ્સમેનોને ટાર્ગેટ કર્યા છે. ચોથા નંબર પર કપિલ દેવ છે જેણે 448 ઇનિંગ્સમાં 687 વિકેટ લીધી છે. જ્યારે ઝહીર ખાને 373 ઇનિંગ્સમાં 597 વિકેટ લીધી છે.
સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું ઢોલ-નગારાંના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજયમુહૂર્ત 12.39 વાગ્યે તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી. સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના મહાનુભાવોની હાજરી જોવા મળી હતી. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. પદ્મિનીબાએ કહ્યું, કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. સ્ટેજ ઉપર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ પદ્મિનીબા વાળા દ્વારા હોબાળો કરી આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી અને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. પુરુષોતમ રૂપાલાના બફાટ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિયોના સંમેલનમાં પદ્મિનીબા વાળા દ્વારા બીજી વખત વિરોધ કરવામાં આવ્યો છે. તો બીજી બાજું ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે મોટી જવાબદારી આપી છે. મારી સરખામણી કૃષ્ણકુમારસિંહજી સાથે કરવી યોગ્ય નથી. આ મંચ પોલિટિકલ કે વાદવિવાદ માટે નથી. સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે. સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ. વેપાર અને વ્યવસાયમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવાના છે. આગળ જતા બીજા કૃષ્ણકુમારસિંહજી અને બીજા ભગવતસિંહજી પણ પેદા થઈ શકે. સૌને અભિનંદન આપું છું.
ઉલ્લેખનીય છે કે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, ભાજપના એકપણ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ હાજર રહ્યા નહોતા. કોંગ્રેસના આગેવાન એવા શક્તિસિંહ ગોહિલ તેમજ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પણ હાજર રહ્યા નહોતા. રાજપૂત સંકલન સમિતિના નેતાઓ રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા હતા. રાજકોટના કોંગ્રેસના નેતા, કરણીસેનાનાં મહિલા આગેવાન તેમજ રવીન્દ્રસિંહ જાડેજાનાં બહેન નયનાબા જાડેજા, IPS મયંકસિંહ ચાવડા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
મુંબઈ: અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાને પોતપોતાના સમયમાં ‘ડોન’ બનીને ઘણી વાહવાહી જીતી હતી. અમિતાભ બચ્ચને એકવાર 70ના દાયકામાં ડોનનું પાત્ર ભજવીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તો બીજી બાજુ શાહરૂખ ખાને ડોન ફિલ્મ દ્વારા નિર્માતાઓને બે વખત ભારે કમાણી કરાવી હતી. હવે ફરી એક નવો ડોન સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. આ ડોનનું નામ રણવીર સિંહ છે. ડોન ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘ડોન-3’માં રણવીર સિંહ અને કિયારા અડવાણીને કાસ્ટ કરવામાં આવ્યા છે. રણવીર સિંહે પણ ડોન-3ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફિલ્મના શૂટિંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં જ શરૂ થશે.
Mumbai : Bollywood actor Ranveer Singh made a stylish entry at the premiere in an all-white ensemble. The actor looked dapper in a white tuxedo which he teamed with uber-cool shades in Mumbai on Wednesday, December 22, 2021.(Photo:IANS)
‘ડોન-3’ આ તારીખે રિલીઝ થશે
જણાવવામાં આવી રહ્યું છે કે ફરહાન અખ્તર દ્વારા નિર્મિત આ ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2025માં શરૂ થશે. તેમજ ફિલ્મ મે-જૂન 2025માં રિલીઝ થઈ શકે છે. રણવીર સિંહે પણ આ પાત્ર માટે તૈયારી શરૂ કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે રણવીર સિંહ આ પાત્રમાં કેટલો પાવર બતાવે છે. અગાઉ રણવીર સિંહે ગુંડે નામની ફિલ્મમાં ગુંડાની ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મ ખાસ ચાલી ન હતી.
અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનનો જાદુ
રણવીર સિંહ પહેલા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન બંનેએ ડોન નામની સુપરહિટ ફિલ્મો આપી છે. શાહરૂખ ખાને આ ફિલ્મના 2 ભાગમાં કામ કર્યું અને ઘણી કમાણી કરી. 1978માં રિલીઝ થયેલી ફિલ્મ ડોનમાં અમિતાભ બચ્ચનને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. લગભગ 70 લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ 7 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી. આટલું જ નહીં, આ ફિલ્મ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા સ્થાને હતી.
આ પછી 20 ઓક્ટોબર 2006ના રોજ શાહરૂખ ખાને ડોન તરીકે પ્રવેશ કર્યો અને તે હિટ રહ્યો. 38 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 106 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મ ફરહાન અખ્તરે ડિરેક્ટ કરી હતી. આ પછી, તેનો બીજો ભાગ ‘ડોન-2’ 2011 માં રિલીઝ થયો અને બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું. આ ફિલ્મ વિશ્વભરમાં 202 કરોડની કમાણી સાથે સુપરહિટ પણ રહી હતી. હવે ડોન-3ની જવાબદારી રણવીર સિંહ પર રહેશે.
અમદાવાદઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કાપ મૂકતાં અને આગામી સમયમાં વ્યાજદરોમાં વધુ કાપના સંકેતો આપતાં વૈશ્વિક બજારો અને એશિયન બજારોમાં તેજી થઈ હતી. જેને પગલે સેન્સેક્સ અને નિફ્ટી પણ રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સે સૌપ્રથમ વાર 84,000ની સપાટીને વટાવી હતી, જ્યારે નિફ્ટે 25,800ની સપાટી વટાવી હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 469 લાખ કરોડે પહોંચ્યું હતું. નિફ્ટી બેન્ક, મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.5 લાખ કરોડનો વધારો થયો હતો.
અમેરિકી ફેડ રિઝર્વે વ્યાજદરોમાં 50 બેઝિસ પોઇન્ટના કાપ કર્યા પછી S&P 500 અને ડાઉ જોન્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. જાપાનની નિક્કી ઇન્ડેક્સની આગેવાની હેઠળ એશિયન માર્કેટમાં તેજી થઈ હતી. જાપાનનો કોર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 2.8 ટકા વધ્યો છે. જેથી જાપાનની સેન્ટ્રલ બેન્કની આગામી બેઠકમાં વ્યાજદરો યથાવત્ રાખવાની અપેક્ષા છે. જ્યારે સેન્સેક્સ 1359.51 પોઇન્ટ ઊછળી 84,544.31ની ઓલટાઇમ સપાટીએ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 375.15 પોઇન્ટ ઊછળી 25,790.95ના નવા શિખરે બંધ થયો હતો.ફેડરલ રિઝર્વના પગલાથી રિઝર્વ બેન્ક પર વ્યાજદરો ઘટાડવાનું દબાણ છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે RBI ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરોમાં કાપ મૂકે એવી શક્યતા છે. વળી, વ્યાજદરોમાં ઘટાડાને પગલે વૈશ્વિક માર્કેટમાં લિક્વિડિટી વધશે. ઊરતીય અર્થતંત્રની મજબૂતીથી ઇક્વિટી વેલ્યુએશનને સપોર્ટ મળશે.
BSE એક્સચેન્જ પર કુલ 4059 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2468 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1482 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 109 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 306 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 257 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.
2014માં કોંગ્રેસની સરકારની કાંટાની ટક્કર આપી ભાજપ કેન્દ્રની ગાદી પર વિરાજમાન થયું હતું. આ ઈલેક્શનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી ઢંઢેરામાં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું. જે બાદ ડિસેમ્બર 2015માં લો કમિશને વન નેશન, વન ઇલેક્શન પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં દેશમાં એક જ ચૂંટણીના આયોજનથી ખર્ચમાં બચત, વારંવાર ચૂંટણી આચાર સંહિતા ન લાગવાના કારણથી ડેવલપમેન્ટ કામ પર પણ અસર નહીં પડવા જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી. પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમયથી પહેલાં જ ભંગ કરી દેવામાં આવી હતી. જે બાદ 1970માં લોકસભાને ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે વન નેશન, વન ઇલેક્શનની પરંપરા તૂટી ગઈ.
પહેલી ટર્મમાં આપેલું વન નેશન વન ઇલેક્શનનું વચન હવે ત્રીજી ટર્મમાં NDA સરકાર પૂર્ણ કરવા જઈ રહી છે. ત્યારે આ નિર્ણય પર નિષ્ણાંતોએ શું કહ્યું? આવો જાણીએ..
વિષ્ણુ પંડ્યા, રાજકીય વિશ્લેશક
વન નેશન વન ઇલેક્શન વાત નવી નથી. શરૂઆતમાં આપણી ચૂંટણી એક સાથે જ થતી હતી. પછી કેટલાક રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું, પક્ષ પલટા થયા અને સરકાર બદલાઈ. જેના કારણે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે કરવું શક્ય ન બન્યું. બાદમાં અલગ-અલગ ચૂંટણીઓ દેશની પરંપરા બની અને વન નેશન વન ઇલેક્શન ભૂલાય જ ગયું. મુખ્ય વાત એ છે, ચૂંટણી પ્રક્રિયામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ચૂંટણી પંચ, સરકારી તંત્ર સહિત કોઈ પણ પાર્ટી કે ઉમેદવારના પણ કરોડોનો ખર્ચ થાય છે. પહેલાં વિધાનસભા પછી લોકસભા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ હવે તો સારો એવો ખર્ચ કરવામાં આવે છે. આ રીતે ખર્ચનું ભારણ વધે છે. આ નિર્ણય સાથે પક્ષ પલટાને રોકતો નિર્ણય પણ કરવો જોઈએ. જેથી ખર્ચ પણ બચે અને એક સાથે ચૂંટણી થાય. વાત રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના મુદ્દાની થાય તો, જ્યારે બંને ચૂંટણી સાથે યોજાય ત્યારે બંને મુદ્દા વિષે ચર્ચા તો થાય જ છે. રાષ્ટ્ર કક્ષાએ જતા ઉમેદવારે પ્રાદેશિક મુદ્દા તો ધ્યાને લેવા જ પડે છે.
હેમંત શાહ, જાણીતા અર્થશાસ્ત્રી
લોકસભાની બે ચૂંટણી વચ્ચે મોટા ભાગનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવે છે. જેના પગલે કેન્દ્ર સરકારે રાજ્યની પ્રજા પર વધુ ઉત્તરદાયી બનવું પડે છે. વિધાનસભાની ચૂંટણીની આગળ કે પાછળ લોકસભાની પાંચ વર્ષે થતી ચૂંટણી આવે છે, માટે જ કેન્દ્ર સરકાર નાગરિકોની ચિંતા કરે છે, નહિ તો પાંચ વર્ષે જ કરે, વચ્ચે ના કરે.. લોકસભાની ચૂંટણીમાં દેશના અને વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના મુદ્દાઓ ધ્યાને લેવાય છે. જો બંને ચૂંટણી એક સાથે લેવાશે તો, એ બંને કક્ષાના મુદ્દાની ભેળસેળ થઈ જાય છે. નાગરિકો અલગ-અલગ મુદ્દે વિચારે અને જુદી-જુદી ચૂંટણીમાં મતદાન કરે તો એમાં ખોટું શું છે? વળી, જે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને વાર હોય છે તેમની સરકાર પણ લોકસભાની ચૂંટણી વેળાએ લોકોના કલ્યાણ માટે વધુ પગલાં લે છે. આમ, રાજ્ય સરકાર પણ લોકસભાની ચૂંટણી હોવા છતાં લોકો પ્રત્યે વધુ જવાબદાર બને છે. લોકશાહીમાં ચૂંટણી એ લોકો પ્રત્યે સરકારને જવાબદાર બનાવવા માટેનું સૌથી અગત્યનું સાધન છે. અને તેથી જ કદાચ બંધારણમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય એવી કોઈ જોગવાઈ કરવામાં આવી જ નહોતી.
શૈલેષ રાઠોડ, શિક્ષણવિદ
મારી દ્રષ્ટિએ દેશમાં ભૌતિક સુવિધાનો અભાવ છે. જ્યારે પણ ચૂંટણી થાય છે, એ ત્રણ કે પાંચ તબક્કામાં થાય છે. આપણી પાસે EVM, સૈન્ય બળ સહિત ચૂંટણી અધિકારીની પણ અછત જોવા મળે છે. જ્યારે વિધાનસભા અને લોકસભા બંન્ને ચૂંટણી સાથે હોય ત્યારે તો આ અછત ખુબ જ મોટી બની જશે. બીજું કે રાજ્ય અને રાષ્ટ્રના મુદ્દા અલગ હોય છે. ત્યારે અમુક હાઈલાઈટના માધ્યમથી આપણે દેશ કે રાજ્યના નેતા કેવી રીતે નક્કી કરી શકીએ? મારા મત પ્રમાણે આ નિર્ણય અસ્વીકાર્ય એટલે છે કે કેમ કે ઘણી જગ્યા પર વિસંગતા જોવા મળે છે.
રાજવીરસિંહ, સોશિયલ વર્કર
વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય આમ તો આવકારદાયક છે. આ નિર્ણયના પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા છે. પરંતુ નિર્ણયની પોઝિટિવ સાઈડ અસર વધારે છે. આવા મોટા નિર્ણયનો અમલ કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભારત વિવિધતાપૂર્ણ દેશ છે, પણ શું દેશ પાસે એક ચૂંટણી માટેના પૂરતા રિસોર્સ છે? ભારત સિવાય કેટલાંક દેશોમાં એક ચૂંટણીનો કોનસેપ્ટ છે. ચૂંટણીના સમયે મોટી સંખ્યામાં સૈન્ય બળ અને EVMની જરૂર હોય છે. સામાન્ય રીતે રાજ્યની ચૂંટણીમાં પણ સૈન્ય બળ સહિત EVMને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવતા હોય છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે વન નેશન વન ઇલેક્શન માટે સક્ષમ છીએ? બીજી બાજુ કેટલીક રાજકીય પાર્ટીને પણ નુકસાન થઈ શકે. એક સાથે ચૂંટણી આવવાથી તમામ રાજકીય પાર્ટીને બમણી મહેતન કરવી પડશે. આ બધી વાત વચ્ચે એક વાત સારી થશે કે દેશની જનતા રાજકીય પાર્ટીઓની ક્ષમતા જાણી શકશે.
નરેશભાઈ સોનપાલ, વ્યાવસાયિક
વન નેશન વન ઇલેક્શન નિર્ણય મારા મત મુજબ આવકારદાયક છે. આ નિર્ણયથી આપણી ઈકોનોમીને વારંવાર થતું નુકસાન અટકી જશે. ચૂંટણી સમયે થતા ખર્ચ અને આચારસંહિતાથી લોકોને છૂટકારો મળી જશે. આચારસંહિતાથી કેટલાક વિકાસ કાર્ય પર બ્રેક લાગી જતી હોય છે. એ વિકાસ કાર્ય અટક્યા વગર થશે. આમ તો સિક્કાની બે બાજુ હોય છે. પરંતુ આ નિર્ણયથી મોટું નુકસાન મને નથી દેખાઈ રહ્યું. હા, એક વાત છે કે વિધાનસભા ચૂંટણી બાદ બરાબર કામ ન કર્યું લોકસભામાં જનતા કોઈ પણ પાર્ટીને માત આપી શકશે નહીં. જ્યારે એક દેશ એક ચૂંટણીનો નિર્ણય થશે ત્યારે થોડી મુશ્કેલી પડશે સ્થળ, સૈન્ય બળ અને EVM બાબતે, પણ એક વખત ખર્ચ થયા બાદ આગામી ચૂંટણી માટે સાધનો ફરી ઉપયોગ પણ લઈ શકાશે.