Home Blog Page 1473

કરોલ બાગમાં મકાન પડ્યું, કાટમાળમાં અનેક દબાયાની આશંકા

નવી દિલ્હીઃ દિલ્હીમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ત્યારે કરોલ બાગ વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. ઇમારતનો અમુક હિસ્સો પત્તાંના મહેલની જેમ તૂટી જતાં તેની નીચે 15 જેટલા લોકો દટાયા હોવાની આશંકા છે. જોકે તેમાંથી સાત લોને બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે.

કરોલ બાગના બાપાનગરમાં આંબેડકર ગલી હીલ માર્કેટ વિસ્તારમાં આ ઘટના બની હતી. લેટેસ્ટ અપડેટ અનુસાર આ દુર્ઘટનામાં લગભગ 15 જેટલા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની આશંકા છે જેમને બચાવવા માટે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ બચાવ કામગીરીમાં ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ પહોંચી છે. આ અગાઉ પણ ભારે વરસાદને કારણે દિલ્હીના મોડલ ટાઉનમાં રિનોવેશન માટે તોડી પાડવામાં આવી રહેલી જર્જરિત ઇમારત અચાનક ઢળી પડતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

આ ઘટનાનો ઉલ્લેખ કરતાં દિલ્હીના CM પદનાં ઉમેદવાર આતિશીએ સોશિયલ મિડિયા X પોસ્ટમાં કહ્યું કે કરોલ બાગ વિસ્તારમાં મકાન પડવાની આ ઘટના ખૂબ જ દુઃખદ છે. મેં જિલ્લા અધિકારીને ત્યાં રહેતા લોકો અને પીડિતો માટે શક્ય તેટલી મદદ કરવાનો આદેશ આપ્યો છે. “જો કોઈને ઈજા થઈ હોય તો મદદ કરો અને આ અકસ્માતનાં કારણો શોધો. આ વર્ષે ઘણો વરસાદ થયો છે. હું દિલ્હીવાસીઓને અપીલ કરું છું કે બાંધકામ સંબંધિત અકસ્માતો ટાળો. જો તમને કોઈ શંકા હોય તો તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરો અને કોર્પોરેશન, સરકાર તાત્કાલિક મદદ કરશે.

બોલિવૂડ માટે નારાજગી અને જયા બચ્ચન માટે પ્રેમ, શું બોલી કંગના રનૌત?

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કંગનાનું નિશાન હંમેશા બોલિવૂડ અને તેની ખામીઓ પર હોય છે. પરંતુ બોલિવૂડની એક અભિનેત્રી એવી પણ છે જેને કંગના ઘણી પસંદ કરે છે. એટલું જ નહીં, કંગનાએ આ અભિનેત્રીના ખૂબ વખાણ પણ કર્યા છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ જયા બચ્ચન છે. કંગના રનૌતે તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જયા બચ્ચન એક અભિનેત્રી છે જેણે બોલિવૂડમાં મહિલા સશક્તિકરણ માટે કામ કર્યું છે. આજે પણ તેમનાથી વધુ સ્વાભિમાની અભિનેત્રી કોઈ નથી.

જય બચ્ચનને મહાન અભિનેત્રી ગણાવી
કંગના રનૌતે જયા બચ્ચનના ખૂબ વખાણ કર્યા છે. ન્યૂઝ18ને આપેલા ઈન્ટરવ્યુમાં જયા બચ્ચનના વખાણ કરતા કંગનાએ કહ્યું, ‘જય બચ્ચન જી બોલિવૂડની અદભૂત અભિનેત્રી રહી છે. ઉદ્યોગમાં તેમની પ્રતિષ્ઠા ઉચ્ચ સ્તરની છે. લોકો તેને એક એવી મહિલા તરીકે ઓળખે છે જે ઝડપથી ગુસ્સે થઈ જાય છે. પરંતુ હું તેમને આ વાતની પુષ્ટિ કરીને શ્રેય આપવા માંગુ છું કે તેમણે મહિલા સશક્તિકરણ માટે ઘણું કામ કર્યું છે. 70ના દાયકામાં જ્યારે અભિનેત્રીને આકરા તડકામાં સળગવું પડતું હતું ત્યારે તેણે ગુડ્ડી જેવી ફિલ્મો કરી હતી અને મહિલાઓને સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. આજે પણ જયા બચ્ચન એક સ્વાભિમાની મહિલા છે. તેણી જે રીતે તેની છબી જાળવી રાખે છે અને રાજ્યસભામાં તેની હાજરીનો અનુભવ કરાવે છે તે ખૂબ જ પ્રેરણાદાયક છે. મને ખૂબ જ આનંદ છે કે જયા બચ્ચન જેવી ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ આપણી સંસદમાં પોતાના વિચારો વ્યક્ત કરે છે.’

જયા બચ્ચન 20 વર્ષથી સ્ક્રીન પરથી ગાયબ છે
તમને જણાવી દઈએ કે જયા બચ્ચને લગભગ ઘણા વર્ષોથી ફિલ્મથી દૂર રહ્યાં. 1963માં સત્યજીત રેની ફિલ્મ ‘મહાનગર’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી જયા બચ્ચને ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. અડધો ડઝનથી વધુ સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ જયા બચ્ચને એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. 2000 ના દાયકામાં તે કરણ જોહર સાથે કેટલાક અન્ય નિર્દેશકોની ફિલ્મોમાં જોવા મળી હતી. જયા બચ્ચન છેલ્લે કરણ જોહરની ‘રૉકી એન્ડ રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યા હતાં.

શ્રાદ્ધની શ્રદ્ધાનું સરોવર

હિંદુ ધર્મમાં શ્રાધ્ધ પિતૃ તર્પણનું ખુબજ મહત્ત્વ છે.  સમગ્ર ભારતમાં પિતૃઓના મોક્ષ માટે અનેક સ્થળ છે. આ સાથે  શાસ્ત્રોમાં અને ઋષિ મુનિઓના કહેવા પ્રમાણે સિધ્ધપુરમાં આવેલું બિંદુ સરોવરમાં માતાનું શ્રાધ્ધ કરવાથી માતા બ્રહ્મલોકને પામે છે.

ભારતના પાંચ પ્રાચીન તળાવ છે જેમાં આ બિંદુ સરોવરનો પણ સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરમાં આવેલા આ પવિત્ર બિંદુ સરોવરના આખા ક્ષેત્રનું વર્ણન વેદોમાં શ્રીસ્થળ તરીકે કરેલું છે.  આ પ્રાચીન અને પવિત્ર તળાવ સિધ્ધપુર શહેર તરફ જતાં મુખ્ય માર્ગથી એકદમ નજીક આવેલું છે.

હિંદુ સંસ્કૃતિ અનુસાર પૈતૃક અંત્યેષ્ઠિ માટે ઘણાં પરિવાર ‘ગયા’ જતા હોય છે. જ્યારે માતૃપક્ષની અંત્યેષ્ઠિ માટેનું સ્થાન સિધ્ધપુરના બિંદુ સરોવરને માનવામાં આવે છે. પવિત્ર સરસ્વતી નદી સિધ્ધપુરમાં છે. સરસ્વતીનું મંદિર અને પ્રાચીન શિવાલયની આ નગરીમાં દેશ વિદેશથી લોકો  પિતૃઓને યાદ કરી શ્રાધ્ધ માટે આવે છે. બિંદુ સરોવર, ગૌશાળા, ઋષિઓના મંદિર, પીપળો અને બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં પૂજા કરી પૂણ્યનું ભાથું બાંધવા પ્રયાસ કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

‘યાગી’ વાવાઝોડાએ મ્યાનમારમાં ભારે વિનાશ વેર્યોઃ 500થી વધુનાં મોત

નવી દિલ્હીઃ યાગી વાવાઝોડાએ મ્યાનમારમાં ભારે વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. જેનાથી 500થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 77 લોકો લાપતા થયા છે. પૂરને કારણે છ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સ્થિતિ બહુ ખરાબ છે. રાહત અને બચાવ કાર્યમાં ટીમોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતે મ્યાનમારને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. આ વર્ષના એશિયાના સૌથી શક્તિશાળી વાવાઝોડા યાગીએ એક સપ્તાહ પહેલાં મ્યાનમાર, લાઓસ અને વિયેતનામમાં ભારે વિનાશ વેર્યો છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે સદભાવ અભિયાન હેઠળ નેવી અને એરફોર્સે મ્યાનમારને મદદ માટે બીજી ખેપ મોકલી દીધી છે. ત્યાં 32 ટન રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે. એ સાથે 10 ટન અનાજ સામગ્રી પણ મોકલવામાં આવી છે. વિયેતનામને 37 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે.

મ્યાનમારમાં કોમ્યુનિકેશનના મુશ્કેલીઓ આવવાને કારણે સટિક આંકડા કાઢવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. વાવાઝોડા યાગીએ સૌથી પહેલાં વિયેતનામ ઉત્તરી થાઇલેન્ડ અને લાઓસને પ્રભાવિત કર્યું છે. વિયેતનામમાં આશરે 300, થાઇલેન્ડમાં 42 અને લાઓસમાં ચાર લોકોનાં મોત થયાં છે.મ્યાનમારમાં પૂર એવા સમયે આવ્યું છે કે જ્યારે ફેબ્રુઆરી, 2021ના વિરોધમાં સેના અને દળોની વચ્ચે વધતા સંઘર્ષને કારણે હજ્જારો લોકોને ઘર છોડવા મજબૂર થવું પડ્યું હતું. આ સંઘર્ષને કારણે 30 લાખ લોકોએ ઘરોથી નીકળીને સુરક્ષિત સ્થાને આશ્રય લેવો પડ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં 24 બેઠક પર મતદાન, 5 કલાકમાં બનિહાલમાં 30% વોટિંગ

જમ્મુ-કાશ્મીર: આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી આજે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં શરૂઆતના 5 કલાકમાં થયેલા મતદાનની જો વાત કરીએ તો, અનંતનાગમાં 16.9% અને બનિહાલમાં 30% મતદાન નોંધાયું છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની આઠ બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાના મતદાન માટે સુરક્ષા દળો અને એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં 13 મુખ્ય પક્ષો વચ્ચે હરિફાઈ જોવા મળશે. પ્રાદેશિક પક્ષોમાં મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્યરૂપે મેદાને છે. નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

આ જિલ્લામાં શરૂ થયું અન્નપુર્ણા એ.ટી.એમ, 24 કલાક મળશે લોકોને અનાજ

દેશમાં સામાન્ય અને ગરીબ પરિવારો માટે સસ્તા અનાજની દુકાનો શરૂ કરવામાં આવી છે. ત્યારે આ આધુનિક બનાવવા માટે રાજ્યમાં પ્રથમ વખત ‘અન્નપૂર્તિ એટીએમ’નો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતના રેશનકાર્ડ ધારકોને લાઈન ઉભા રહેવા સાથે દુકાનોના ધક્કા ન ખાવા પડે તે માટે રાજ્ય સરકારે નવી પહેલ શરૂ કરી છે. આ સુવિધાથી રેશનકાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈપણ સમયે અનાજ મળી રહેશે. રાજ્ય સરકાર દ્વારા  ભાવનગરમાં આ અત્યાધુનિક સુવિધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા અનેક સસ્તા અનાજની દુકાનો શરૂ કરવામાં આવી છે. જેથી કરીને સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને સસ્તા અનાજ પૂરતું આપવામાં આવે. પરંતુ ઘણી વખત અનાજ મેળવવા માટે તારીખોની રાહ જોવી પડે છે, તો ક્યારેક ક્યારેક લાંબી લાઈનોમાં પણ ઉભું રહેવું પડે છે. ત્યારે સરકારે રેશનકાર્ડ ધારકોને વધુ સરળ અને અત્યાધુનિક સુવિધા આપવા માટે આ પહેલનો પ્રારંભ કરાવ્યો છે. સરકાર દ્વારા સ્માર્ટ એફ.પી.એસ. પાઇલટ પ્રોજેકટ અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કરચલીયાપરા ખાતે અન્નપૂર્તિ અનાજ એટીએમ (ગ્રેઇન એટીએમ)નો પ્રારંભ કરાવ્યો છે. આ અન્નપૂર્તિ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકો ATMમાંથી ચોવિસ કલાક નાણાં ઉપાડી શકે છે, તેવી રીતે થંબ સિસ્ટમ સાથે જોડાયેલા કોઈપણ રેશનકાર્ડધારકો થમ કરીને મળવા પાત્ર એટીએમથી અનાજ મેળવી શકશે.

ભારત સરકાર દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપી રહ્યું છે. ત્યારે સામાન્ય, ગરીબ અને શ્રમિક પરિવારના અનેક રેશનકાર્ડ ધારકોને કામ પર જતા હોવાથી સમયનો અભાવ હોય છે, ત્યારે હવે તેઓ પોતાના અનુકૂળ સમય મુજબ આ સ્થળ પરથી પોતાનું રાશન મેળવી શકશે. આ એટીએમથી રાજ્ય ઉપરાંત પરપ્રાંતીય નોંધાયેલા લોકો પણ અનાજ મેળવવાના પાત્ર રહેશે. તેમજ કોઇપણ રેશનકાર્ડ ધારક ને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે. ભાવનગરમાં એટીએમ લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારે એક મહિલાને રાશન પણ આપવામાં આવ્યું હતું તેમજ એટીએમ મશીનનું મહાનુભવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું .જ્યારે રાજયમાં સૌ પ્રથમ આવા અન્નપૂર્તિ મશીનનો ભાવનગર ખાતે પ્રારંભ થતા લોકોએ રાજ્ય સરકારના કામની સરાહના કરી છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની આજે પૂર્ણાહુતિ

બનાસકાંઠા: આજે ભાદરવી પૂનમનાં મેળાનો અંતિમ દિવસ છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી માતાજીનાં મંદિરે ધજા ચડાવશે. જેને લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તેમજ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ખાસ ઉપસ્થિત છે. પોલીસ પરિવારના ધજા ચડાવ્યા બાદ મેળાની પૂર્ણાહુતિ જાહેર કરાશે. છેલ્લાં 6 દિવસમાં 27 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાનાં દર્શન કર્યા છે. મા અંબાના નિજ મંદિરે ભક્તો મોટી મોટી ધજાઓ લઈને ચાચર ચોકમાં આવી રહ્યા છે. જેને લઈને સમગ્ર અંબાજી લાલ ધજાઓથી લાલ રંગમાં રંગાઈ ગયું છે. ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને આવે છે. મા અંબાને ચડાવેલ ધજાઓને અંબાજી મંદિર દ્વારા નિઃશુલ્ક પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે. શિખર પર ચડાવેલ ધજાઓ ભક્તો મા અંબાના પ્રસાદરૂપે સાથે લઈ જાય છે. પોતાના ઘરે, ગામડે અથવા તો ગામના મંદિરના શિખર ઉપર ધજારોહણ કરીને મા અંબાને નવરાત્રીમાં પધારવાનું આમંત્રણ આપે છે.

મુંબઈકર્સે બાપ્પાને આપી વિદાય, જુઓ તસવીરો

મુંબઈ: ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી. ગણેશ ચતુર્દશી આ તહેવારનો અંતિમ દિવસ છે, ગજાનંદની પૂજા-અર્ચના બાદ ભક્તો બાપ્પાને વિદાય આપે છે. મંગળવારે મુંબઈમાંગણપતિની મૂર્તિઓના વિસર્જન માટેની શોભાયાત્રાઓ શરૂ થઈ હતી.

(તમામ તસવીરો: દીપક ધૂરી)

લેન્ડ ફોર જોબ સ્કેમમાં તેજસ્વી પ્રતાપ સહિત આઠને સમન્સ

નવી દિલ્હીઃ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપને લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે સમન્સ મોકલ્યા છે. એ સિવાય લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, અખિલેશ્વર સિંહ, હઝારી પ્રસાદ રાય,, સંજય રાય, ધર્મેન્દ્ર સિંહ અને કિરણ દેવીને પણ કોર્ટે સમન્સ મોકલ્યા છે. સાત ઓક્ટોબરે આ કેસની સુનાવણી થવાની છે.  

કોર્ટે કહ્યું હતું કે તેજ પ્રતાપ યાદવની સંડોવણીથી ઇનકાર કરી ના શકાય, કેમ કે તેઓ એકે ઇન્ફોસિસ્ટમ લિ.ના ડિરેક્ટર પણ હતા. તેજ પ્રતાપને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. EDએ છઠ્ઠી ઓગસ્ટે 11 આરોપીઓની વિરુદ્ધ પૂરક આરોપ પત્ર દાખલ કર્યું હતું. CBIએ આરોપ લગાવ્યો હતો કે રેલવેમાં ભરતીઓ ભારતીય રેલવેના માપદંડોના દિશા-નિર્દેશોને અનુરૂપ નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટે કહ્યું હતું કે કેસ ચલાવવા માટે પર્યાપ્ત પુરાવા છે. લાલુ યાદવના પરિવારે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો.

 શું છે કેસ? આરોપ છે કે રેલવેપ્રધાન રહેતા લાલુ યાદવે લેન્ડ ફોર જોબ કૌભાંડમાં સામેલ હતા. આ કૌભાંડ 2004થી 2009ની વચ્ચે કરવામાં આવ્યું હતું. એમાં અનેક લોકોને રેલવેના વિવિધ ઝોનામાં ગ્રુપ-Dનાં પદો પર નોકરીઓ આપવામાં આવી હતી. એના બદલામાં આ લોકોએ તેમની જમીન તત્કાલીન રેલવેપ્રધાન લાલુ યાદવના પરિવારના સભ્યો અને સંબંધિત કંપની એકે ઇન્ફોસિસ્ટમને નામે કરી દીધી હતી.

મેઘરાજાએ લીધો વિરામ, 24 કલાકમાં 6 તાલુકામાં આપી હાજરી

રાજ્યમાં ધમાકેદાર બેટિંગ બાદ ચોમાસું નબળું પડતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ગણપતિ વિદાય સાથે ચોમાસાની વિદાયની પણ ઘડીઓ નજીક આવતી હોય તેવો આભાસ થઈ રહ્યો છે. ત્યારે પાછલા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 6 જ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરવી હતી. જેમાં સૌથી વધુ જામનગરના જામજોધપુર તાલુકામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે આજ સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ચોમાસુ નબળું પડી રહ્યું છે, આ વચ્ચે હવામાન વિભાગી ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે  રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી છે. ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા આવશે. આ ઉપરાંત કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે.

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 125.07 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 107.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.