Home Blog Page 1495

વેજ કબાબ

વેજીટેબલ કબાબ એક બહુ જ હેલ્ધી નાસ્તો છે. જે બહુ જ સરળ રીતથી બની જાય છે. બાળકોને તો આ નાસ્તો બહુ જ ભાવશે!

સામગ્રીઃ

  • વટાણા ½ કપ
  • ગાજર 1
  • બાફેલા બટેટા 2
  • સિમલા મરચું 1
  • ફણસી ½ કપ
  • મકાઈના દાણા ½ કપ
  • તેલ 1 ટે.સ્પૂન વઘાર માટે
  • લીલા મરચાં 2
  • ટે.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • કાંદા 2
  • આદુ-લસણ ઝીણાં સમારેલાં 1
  • હળદર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો 2 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કસૂરી મેથી 2 ટી.સ્પૂન
  • ચીઝ ક્યુબ 2
  • પનીર 100 ગ્રામ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • શેકેલો ચણાનો લોટ ¼ કપ
  • તેલ શેલો ફ્રાઈ કરવા માટે
  • કાંદા

રીતઃ ગાજરને છોલીને ઝીણા ટુકડામાં સમારી લો. ચોપરમાં ગાજર, વટાણા, ફણસી, સિમલા મરચું, મકાઈના દાણાને ચોપરમાં અધકચરા પણ બારીક ચોપ કરી લો.

એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરુ તતડે એટલે સમારેલો કાંદો સાંતડો. તેમાં સમારેલાં આદુ-લસણ અને મરચાંને સાંતડી લો. ત્યારબાદ તેમાં ચોપ કરેલાં શાકભાજી 5-7 મિનિટ સાંતડીને તેમાં હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, ચાટ મસાલો 2 ટી.સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, કસૂરી મેથી નાખી 2 મિનિટ થાય એટલે તેમાં બાફેલો બટેટો ખમણીને નાખો. ત્યારબાદ ચીઝ તેમજ પનીરને પણ ખમણીને ઉમેરો. 2-3 મિનિટ બાદ કોથમીર ઉમેરીને શેકેલો ચણાનો લોટ મેળવીને 2-3 મિનિટ સાંતડીને ગેસની આંચ બંધ કરી દો.

આ મિશ્રણ ઢીલું લાગે તો શેકેલો ચણાનો લોટ થોડો ઉમેરી દો. મિશ્રણ ઠંડું થાય એટલે તેના ગોળા વાળીને ફ્રાઈ પેનમાં શેલો ફ્રાઈ કરી લો. અથવા સ્ટીકમાં લાંબા રોલ લગાડીને તંદૂરી કબાબ બનાવીને પેનમાં શેલો ફ્રાઈ કરી લો.

કાંદાને સ્લાઈસમાં સુધારી તેમાંથી રીંગ છૂટ્ટી પાડી દો. આ સલાડમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ તેમજ 1 ચમચી લીંબુનો રસ મેળવીને સલાડ કબાબ સાથે પીરસો. સાથે કોથમીર-ફુદીનાની લીલી તીખી ચટપટી ચટણી સ્વાદિષ્ટ લાગશે.

રાશિ ભવિષ્ય 11/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

નોટ આઉટ @ 90 : અશોક ચેટરજી

અમદાવાદ-સ્થિત વિશ્વવિખ્યાત ડિઝાઇન ઇન્સ્ટિટયૂટ એનઆઈડી (NID)ના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને પ્રોફેસર અશોક ચેટરજીની વાત સાંભળીએ તેમને પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
તેમનો જન્મ મસુરીમાં થયો. ત્રણ ભાઈનું નાનું કુટુંબ હતું. પિતાજી ઇમ્પિરિયલ બેંકમાં કામ કરતા. તેમણે શાળાનો અભ્યાસ વુડસ્ટોક સ્કૂલ, મસૂરીમાંથી કર્યો. પછી સેન્ટ સ્ટીફન સ્કૂલ દિલ્હીમાં અને ત્યારબાદ મિયામી યુનિવર્સિટી, ઓહાયોમાંથી એમબીએ કર્યું. દસ વર્ષ કલકત્તાની એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. ત્યારબાદ ઇન્ટરનેશનલ સિવિલ સર્વિસમાં યુએન(UN) અને (IMF) આઈએમએફમાં કામ કર્યું. ભારત પાછા આવી ઇન્ડિયન ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન ITDCમાં પાંચ વર્ષ કામ કર્યું. 1975માં એનઆઇડીમાં Director તરીકે જોડાયા.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 8:00 વાગે ઊઠે. સવારે પોણો કલાકથી કલાક યોગા કરે છે. વળી પોણો કલાક ચાલવાનું. અમદાવાદ યુનિવર્સિટી, સેન્ટર ફોર હેરિટેજ, ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડસ્ટ્રી વગેરેમાં નિયમિત હાજરી આપે છે, કામ કરે છે. સાંજે પૌત્ર સાથે રમવાનું! તે તેમની કસરત અને તે તેમનો શોખ!
શોખના વિષયો :
લખવાનું બહુ ગમે. પાંચ પુસ્તકો લખ્યા છે. ફરવાનું ગમે. કામને માટે દુનિયા આખીમાં ઘણું ફર્યા છે, પણ માત્ર ફરવાને માટે ફરવાનો મોકો મળ્યો નથી.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
ઉંમરના હિસાબે તબિયત સારી છે. બીપી કે કોલેસ્ટ્રોલ જેવા પ્રોબ્લેમ નથી, પણ આંખનો થોડો પ્રોબ્લેમ છે. 1984માં હાર્ટએટેક આવ્યો હતો, એટલે તબિયતનું ધ્યાન રાખવું પડે છે.
યાદગાર પ્રસંગ:
તેમણે એનઆઇડીની વગડોર સાંભળી ત્યારે એનઆઇડીના વિદ્યાર્થીઓને સારી નોકરી મળે તે જવાબદારી પણ તેમણે સ્વીકારી. એનઆઇડીના અભ્યાસક્રમ મુજબ તો ફાઈનલ પરીક્ષા નહીં લેવાની અને માર્ક પણ નહીં આપવાના! તો ડિપ્લોમા કેવી રીતે માન્ય ગણાય? તે ઇન્ડસ્ટ્રીનો મુખ્ય પ્રશ્ન હતો. જો કે વર્ષોનો અનુભવ થતો ગયો તેમ તેમ  વિદ્યાર્થીઓની આવડત અને તેમની કોમ્યુનિકેશન સ્કિલને કારણે કોઈ પણ કંપનીએ ક્યારેય આવો પ્રશ્ન કર્યો નથી. પહેલા જ વર્ષથી એનઆઇડીના બધાં વિદ્યાર્થીઓને  સરસ નોકરીઓ મળી. યુએનમાં પણ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અને ડેવલોપમેન્ટ માટે એનઆઇડી સારું ઇન્સ્ટિટયૂટ છે તેવું ગ્લોબલી સ્વીકારવામાં આવ્યું! આ તેમની મોટી સિદ્ધિ!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
તેઓ લેપટોપ અને સ્માર્ટફોનનો બહુ સરસ ઉપયોગ કરે છે. તેમના મત મુજબ એક સાધન તરીકે નવી ટેકનોલોજીનું સ્વાગત કરવું જોઈએ. વડીલો માટે બહુ સારું સાધન છે, વડીલોને ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવવા કોઈ ઇન્સ્ટિટયૂટ હોવું જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર તો ચાલે એવું જ નથી, પણ ટેકનોલોજી આપણા પર રાજ ન કરે તે જોવું જોઈએ. બાળકો 24 કલાક લેપટોપ કે મોબાઈલ વાપરે છે તે યોગ્ય નથી.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેમના મત મુજબ ત્યારમાં અને અત્યારમાં કોઈ ફેર નથી! એ જ સમસ્યાઓ છે અને એ જ આશા, ઉમેદ છે! તેના તે પ્રશ્નો છે! ક્લાઈમેટ-ચેન્જનો નવો પ્રશ્ન છે, બાકી તો પોલિટિક્સ પાગલ કરે છે! વિકાસ કોના કોના માટે? શું આપણે ખરેખર આગળ જઈ રહ્યાં છીએ?
આજની પેઢી સાથે સંકળાયેલા છો? 
અમદાવાદ યુનિવર્સિટી અને બીજાં ઘણાં ઇન્સ્ટિટયૂટ સાથે સંકળાયેલા છે એટલે યુવાનોના સંપર્કમાં આવે છે. આજનો યુવાન સેન્સિટિવ છે, ક્રિએટિવ છે, તેની પાસે ઘણી ઇન્ફોર્મેશન છે. તેઓ ડરતા નથી, ચેન્જને સ્વીકારે છે, પોતાને જે કરવું હોય તે કરી શકે છે. અમને આટલી તક મળતી ન હતી. પણ પહેલાના યુવાનો પાસે જે રોલ-મોડલ હતા તે આજના યુવાનો પાસે નથી. એવું કોઈ રોલ-મોડલ કે સાધન નથી જે તેમને ઇન્સાનિયત શીખવાડે! તેમને એક પુત્ર અને પુત્રવધૂ છે જેઓ તેમનું બહુ ધ્યાન રાખે છે. એક પૌત્રી (આલિશા 15 ) એક પૌત્ર (કબીર 20) છે.
સંદેશો : ઉમ્મીદ રાખો! ઇન્સાનિયત રાખો ! ઓર નફરત છોડો!

પંચાંગ 11/09/2024

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. પોલીસ ભરતી અંગે અધ્‍યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્‍યું છે. ગુજરાત પોલીસમાં જોડવા માટે ઇચ્‍છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે. પોલીસમાં ભરતી અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્‍યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્‍યું છે. જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી અને બીજા તબક્કામાં ઓગસ્‍ટ સપ્‍ટેમ્‍બરમાં ફરી અરજી મંગાવી હતી.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્‍યક્ષ હસમુખ પટેલે કહ્યું એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. એ વખતે એ ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજ અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્‍યા હતા અને આપણે ઉનાળા અને ચોમાસાના કારણે તરત જ શારીરિક કસોટી લેવાના ન હતા, એટલે એવા ઉમેદવારો કે જેઓએ એપ્રિલમાં પરીક્ષા આપી હતી, એવા ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્‍ટ સપ્‍ટેમ્‍બરમાં ફરી અરજી મંગાવી હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી.

અરજીની વિગતો આપતા હસમુખ પટેલે કહ્યું કે એપ્રિલમાં PSI માટે ૪.૪૭ લાખ અરજીઓ, લોકરક્ષક માટે ૯.૭૦ લાખ અરજી આવી હતી. આ પછી બીજા તબક્કામાં PSI માટે ૫૧૮૦૦ અરજીઓ અને લોકરક્ષક માટે ૧.૩૫ લાખ અરજી આવી છે. તો બંને તબક્કા મળીને અત્‍યાર સુધીમાં PSI માટે ૪.૯૯ લાખ જેટલી અરજી અને લોકરક્ષક માટે ૧૧.૦૫ લાખ અરજીઓ મળી છે. હવે નવેમ્‍બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે. સૌથી પહેલા PSIની પરીક્ષા ૨ પેપર લેવામાં આવશે. PSIની ૨ લેખિત પરીક્ષા લેવાશે. શારીરિક પરિક્ષા પછી તરત જ PSIની લેખિત પરીક્ષા લેવાશે. PSIની ડિસેમ્‍બરમાં લેખિત પરીક્ષા લેવાશે.

પેરિસ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ માટે પુરસ્કારોની જાહેરાત

પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતીય પેરા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આની જાહેરાત કરી હતી. ભારતે તાજેતરમાં સમાપ્ત થયેલી આ ગેમ્સમાં તેના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને સાત ગોલ્ડ સહિત કુલ 29 મેડલ જીત્યા હતા. પેરિસમાં ગોલ્ડ જીતનાર ખેલાડીઓને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનારને 30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય મિશ્રિત ટીમમાં સામેલ મેડલ વિજેતાઓને 22.5 લાખ રૂપિયા આપવામાં આવશે.

ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું

શાનદાર પ્રદર્શનથી ભારતે પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં 50 મેડલનો આંકડો પણ પાર કર્યો. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ મંગળવારે ઘરે પરત ફર્યા ત્યારે સેંકડો ચાહકો દ્વારા ફૂલો, માળા અને મીઠાઈઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત 29 મેડલ સાથે તેના ઐતિહાસિક અભિયાનનો અંત કર્યો હતો.

લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ જીતવા માટે સંપૂર્ણ સમર્થન મળશે

માંડવીયાએ 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ જીતવા માટે પેરા એથ્લેટ્સને સંપૂર્ણ સમર્થન અને સુવિધાઓ પ્રદાન કરવાનું વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશ પેરાલિમ્પિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યો છે. 2016માં ચાર મેડલમાંથી, ભારતે ટોક્યોમાં 19 અને પેરિસમાં 29 મેડલ જીત્યા અને 18મું સ્થાન મેળવ્યું. અમે અમારા તમામ પેરા એથ્લેટ્સને તમામ સુવિધાઓ પૂરી પાડીશું જેથી કરીને અમે 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ અને ગોલ્ડ મેડલ જીતી શકીએ.

KBCમાં જ્યારે એક સ્પર્ધકે અમિતાભને જયા બચ્ચનને લઈ પૂછ્યો પર્સનલ સવાલ

મુંબઈ:’કૌન બનેગા કરોડપતિ 16’ના હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચન લોકોના દિલ જીતી રહ્યા છે. ટીવી પર તેના શોને વર્ષોથી લોકોનો પ્રેમ મળી રહ્યો છે. હવે આ શોના તાજેતરના એપિસોડમાં અમિતાભ બચ્ચન એક સ્પર્ધકને સાંભળીને જોરથી હસી પડ્યા. વાસ્તવમાં એક સ્પર્ધકે તેને જયા બચ્ચન સાથે સમય પસાર કરવા વિશે પૂછ્યું. સ્પર્ધકનો સવાલ હતો કે તે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાં જયા બચ્ચન માટે સમય કેવી રીતે કાઢે છે.

અહીં નોંધવું રહ્યું કે અમિતાભ અને જયાના લગ્ન જૂન 1973માં થયા હતા. તેમના લગ્નને 40 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. શોમાં આવેલી સ્પર્ધક સુમિત્રા દિનેશે બિગ બીને પૂછ્યું કે શું જયા બચ્ચને પણ તેમની સાથે સમય ન વિતાવવાની ફરિયાદ કરી છે, કારણ કે તે સતત KBC માટે શૂટિંગ કરી રહ્યા છે. આના પર અમિતાભ બચ્ચન હસ્યા અને કહ્યું,’ઓહ, હું શું કહું?’ આ કૌટુંબિક પ્રશ્નો જે લોકો અહીં આવે છે ત્યારે પૂછે છે…તેનાથી અમને ખૂબ જ કષ્ટ પડે છે.’

બોલિવૂડ સુપરસ્ટારે આનો સીધો જવાબ આપ્યો ન હતો, બલ્કે તે સ્પર્ધકને ફ્લેશબેકમાં લઈ ગયો હતો. તેણે એ સમયને યાદ કર્યો જ્યારે તે એક જ સમયે 3 ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો હતો. આ કારણે બિગ બીને પરિવાર માટે સમય નહોતો મળતો. આવી સ્થિતિમાં તેના વ્યસ્ત શિડ્યુલને જોતા, તેના પિતાએ એક વાર તેને એક પ્રશ્ન પૂછ્યો.

ત્રણ-ત્રણ શિફ્ટની વાર્તા સંભળાવતા અમિતાભે કહ્યું, ‘ઘણા વર્ષો વીતી ગયા અને અમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા. અહીં કામ શરૂ કર્યું. અમારું કામ ત્રણ પાળીમાં થતું. એક ફિલ્મ એક શિફ્ટ સવારે 7 થી 2 વાગ્યા સુધી. બીજી અલગ ફિલ્મ, બપોરે 2 થી 10 વાગ્યા સુધીની બીજી શિફ્ટ. ‘કલ્કી 2898 એડી’ના અભિનેતા અમિતાભે વધુમાં જણાવ્યું કે તેઓ ત્રીજી ફિલ્મ માટે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી શૂટ કરતા હતા.

અમિતાભ બચ્ચને યાદ કર્યું કે આ બધું જોયા પછી તેમના પિતા સ્વર્ગસ્થ હરિવંશરાય બચ્ચને એકવાર તેમને કહ્યું હતું, ‘દીકરા, તું બહુ કામ કરે છે. મેં કહ્યું પિતાજી, પૈસા મળવા બહુ મુશ્કેલથી મળે છે. બાદમાં અમિતાભ બચ્ચને ખુલાસો કર્ય કે તે સમયે તેઓ ઘરે સમય પસાર કરી શકતા ન હોવા છતાં તેમની પત્ની જયા ખૂબ જ સપોર્ટ કરતી હતી અને તેણે ક્યારેય ફરિયાદ કરી ન હતી.

અમિતાભ બચ્ચને વર્ષ 2000માં KBCની શરૂઆત કરી હતી. તે પહેલી સીઝનથી જ આ શોના હોસ્ટ હતા. આ વચ્ચે એક સિઝન આવી જ્યારે શાહરૂખ ખાન શોના હોસ્ટ બન્યા, પરંતુ તે સિઝન ખાસ ચાલી ન શકી. આવી સ્થિતિમાં અમિતાભ ફરીથી શોમાં પાછા ફર્યા. ત્યારથી લઈને 16મી સીઝન સુધી અમિતાભ સતત આ શોને હોસ્ટ કરી રહ્યા છે. 16મી સિઝન થોડા દિવસો પહેલા જ શરૂ થઈ છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને IIIT-લખનઉ વચ્ચે મહત્વના કરાર

ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી-લખનઉ વચ્ચે એક સમજૂતી કરાર (M.O.U) પર હસ્તાક્ષર થયા. આ સમજૂતી કરાર કાયદાના અમલીકરણની પદ્ધતિઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ કરવાના પરિવર્તનકારી સહયોગની શરૂઆત દર્શાવે છે.

આ કાર્યક્રમમાં બંન્ને સંસ્થાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. IIIT-લખનઉના ડાયરેક્ટર અરુણ મોહન શેરી, સી.ડી.આર. ડૉ. મનોજ ભટ્ટ, નિવૃત્ત મેજર જનરલ દીપક મહેરા (કીર્તિ ચક્રથી સન્માનિત, અતિ વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત, વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત) હાજર રહ્યા હતા. તેમણે આ સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર પ્રોફેસર ડૉ. બિમલ એન. પટેલે જણાવ્યું, “આ ભાગીદારીથી આંતરિક સુરક્ષા અને પોલીસી મેકિંગમાં આંતરશાખાકીય અભિગમોને પ્રોત્સાહન મળશે. IIIT-લખનઉની એડવાન્સ ટેક્નોલોજીનો લાભ લઈને સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ પોલીસિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ટેક્નોલોજીના ઉપયોગ વગેરે જેવા મહત્ત્વના ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ જોડાણનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની કાર્યકારી ક્ષમતાઓમાં વધારો કરવાનો છે.”આ સહયોગથી અનેક પ્રભાવશાળી પહેલ શરૂ થઈ શકે છે. જેમ કે,

  1. સંયુક્ત સંશોધન: બંન્ને સંસ્થાઓ સાથે મળીને રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસિંગ પ્રથાઓને સુધારવા માટે નવી ટેક્નોલોજી અને પદ્ધતિઓની શોધ કરવાના હેતુથી સહયોગી સંશોધન પ્રોજેક્ટ્સમાં જોડાશે.
  2. ટ્રેનિંગ પ્રોગામમાં વધારો: કાયદાનું અમલીકરણ કરાવવા માટે અધિકારીઓને અનુરૂપ તાલીમ કાર્યક્રમો વિકસાવવામાં આવશે. અધિકારીઓની કુશળતા અને કાર્યક્ષેત્રમાં અસરકારકતા વધારવા માટે નવીનતમ ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે.
  3. નવી ટેક્નોલોજીવાળા સાધનોનો વિકાસ: જાહેર સલામતી સુધારવા અને પોલીસિંગ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે અદ્યતન ટેક્નોલોજીવાળા સાધનોની શોધ કરવામાં આવશે.

IIIT-લખનઉના ડાયરેક્ટર ડૉ. અરુણ મોહન શેરીએ આ ભાગીદારી અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું, “રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે અમારા સહયોગથી ટેક્નોલોજીકલ સંશોધનો અને કાયદાના અમલીકરણ બંન્નેમાં નવા આયામો ઉભા થશે. અમે રક્ષા યુનિવર્સિટી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ. સાથે મળીને અમે આપણા જવાનોની તેમજ દેશની સુરક્ષામાં વધારો થઈ શકે તેવા સંશોધનો કરવા માટે તત્પર છીએ.”

મેજર જનરલ દીપક મહેરાએ કહ્યું, “IIIT લખનઉ સાથેનો આ એમ.ઓ.યુ. એ નવી પોલીસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ટેક્નોલોજીને એકીકૃત કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમે અમારા સહિયારા લક્ષ્યોને આગળ વધારવા માટે IIIT-લખનઉ સાથે મળીને કામ કરવા આતુર છીએ.”

મણિપુરમાં ફરી સ્થિતિ બગડી! ઈન્ટરનેટ પર પ્રતિબંધ

મણિપુરમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે સરકારે મંગળવારે પાંચ દિવસ માટે રાજ્યમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. મણિપુર સરકારના નિર્ણય અનુસાર રાજ્યમાં 15 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યા સુધી ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટા બંધ રહેશે.

મણિપુર સરકારે ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટા બંધ કરવા અંગે નોટિસ જારી કરી છે. નોટિસમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે, ‘સરકારે સોશિયલ મીડિયા દ્વારા નફરત ફેલાવતા ભાષણો અને હિંસા ભડકાવવાથી બદમાશોને રોકવા માટે જ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.’ તમને જણાવી દઈએ કે આ પહેલા મણિપુર સરકારે રાજ્યમાં અનિયંત્રિત સ્થિતિ પર RAFને બોલાવી હતી અને કર્ફ્યુ લગાવવાનો નિર્ણય પણ લીધો હતો.

મણિપુરના વિકાસ વિશે મોટી બાબતો

1. ગૃહ વિભાગે સોશિયલ મીડિયા પર દ્વેષપૂર્ણ તસવીરો, ભાષણો અને વીડિયોના પ્રસારને રોકવા માટે ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવાનો મોટો નિર્ણય લીધો છે.

2. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં લીઝ્ડ લાઇન, VSAT, બ્રોડબેન્ડ અને VPN સેવાઓ સહિત ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓને સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

3. મંગળવારે (10 સપ્ટેમ્બર) પ્રદર્શનકારીઓએ રાજભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓ અને મહિલા પ્રદર્શનકારીઓ સાથે અથડામણમાં સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પ્રદર્શનકારીઓ મણિપુર સરકારના ડીજીપી અને સુરક્ષા સલાહકારને હટાવવાની માંગ પર અડગ છે.

4. સોમવારથી ખ્વાયરમબંદ મહિલા બજારમાં પરેશાન થઈ રહેલા સેંકડો વિદ્યાર્થીઓએ BT રોડ થઈને રાજભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોંગ્રેસ ભવન પાસે સુરક્ષા દળોએ તેમને અટકાવ્યા હતા.

રાજ્યમાં ફરી જામશે વરસાદ, જાણો હવામાન વિભાગ આગાહી

ગુજરાતમાં એક વિરામ બાદ મેઘરાજા ફરી બેટિંગ શરૂ કરી છે. આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધળબળાટી બોલાવી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ત્રણ સિસ્ટમ અસર રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફ, દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર સાયકલોનિક સર્ક્યુલેશન તથા બંગાળની ખાડીમાંથી જે સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધીને ડિપ્રેશન બન્યું છે તે હાલમાં ઉત્તર છત્તીસગઢના આસપાસ સક્રિય છે, જે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. જેને કારણે ગુજરાત ઉપર વરસાદની અસર રહેશે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના છે.

 મળતી માહિતી અનુસાર 11મી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તારીખ 12 થી 14મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જે બાદ 15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી,નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદ પડી શકે છે.